New Testament in a Year
કંઈ આજ્ઞા સૌથી મહત્વની?
(માથ. 22:34-40; લૂ. 10:25-28)
28 શાસ્ત્રીઓમાંનો એક ઈસુ પાસે આવ્યો. તેણે ઈસુને સદૂકીઓ અને ફરોશીઓ સાથે દલીલો કરતા સાંભળ્યો. તેણે જોયું કે ઈસુએ તેમના પ્રશ્નોના સારા ઉત્તર આપ્યા. તેથી તેણે ઈસુને પૂછયું, “કંઈ આજ્ઞઓ સૌથી મહત્વની છે?”
29 ઈસુએ ઉત્તર આપ્યો, “સૌથી વધારે મહત્વની આજ્ઞાઆ છે: ‘ઈસ્ત્રાએલના લોકો, ધ્યાનથી સાંભળો! પ્રભુ આપણો દેવ છે તે ફક્ત પ્રભુ છે. 30 તારે પ્રભુ તારા દેવને પ્રેમ કરવો જોઈએ. તારે તેને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી, ને તારા પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ.’ 31 બીજી સૌથી મહત્વની આજ્ઞા આ છે: ‘તું તારી જાતને પ્રેમ કરે છે તે જ રીતે તારે તારા પડોશી પર પ્રેમ કરવો જોઈએ.’ આ બે આજ્ઞાઓ સૌથી અગત્યની છે.”
32 તે માણસે ઉત્તર આપ્યો. “તે એક સારો ઉત્તર હતો. ઉપદેશક, જ્યારે તેં આ બાબતો કહી તું સાચો હતો. દેવ જ ફક્ત પ્રભુ છે, અને બીજો કોઈ દેવ નથી. 33 અને વ્યક્તિએ દેવને પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા સામર્થ્યથી પ્રીતિ કરવી જોઈએ. અને વ્યક્તિ તેની જાતને પ્રેમ કરે છે તે જ રીતે પડોશીને પ્રેમ કરવો જોઈએ. આ આજ્ઞાઓ, દેવને અર્પિત બઘા જ પ્રાણીઆ અને બલિદાનોથી વધારે મહત્વની છે.”
34 ઈસુએ જોયું કે માણસે તેને ડહાપણથી ઉત્તર આપ્યો. તેથી ઈસુએ માણસને કહ્યું, “તું દેવના રાજ્યની નજીક છે.” અને તે પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્નો પૂછવાની હિમ્મત ન કરી.
મસીહ-દાવિદનો પણ પ્રભુ
(માથ. 22:41-46; લૂ. 20:41-44)
35 ઈસુ મંદિરમાં ઉપદેશ આપતો હતો. ઈસુએ પૂછયું, “શા માટે શાસ્ત્રીઓ કહે છે કે ખ્રિસ્ત એ દાઉદનો દીકરો છે? 36 પવિત્ર આત્માની મદદથી, દાઉદ તેની જાતે કહે છે:
‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્તને) કહ્યું:
મારી પાસે જમણી બાજુએ બેસ,
અને હું તારા દુશ્મનોને તારા અંકુશમાં મૂકીશ.’(A)
37 દાઉદ તેની જાતે ખ્રિસ્તને ‘પ્રભુ’ કહે છે. તેથી ખ્રિસ્ત કેવી રીતે દાઉદનો દીકરો હોઇ શકે?” ઘણા લોકોએ ઈસુને સાંભળ્યો અને તેઓ ઘણા ખુશ થયા હતા.
ધાર્મિકતાના ઢોંગ
(માથ. 23:6-7; લૂ. 11:43; 20:45-47)
38 ઈસુએ ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું. ઈસુએ કહ્યું, “શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓને કપડાં પહેરીને આજુબાજુ ફરવાનું જે મહત્વનું દેખાય, તે ગમે છે. અને લોકો બજારના સ્થળોએ તેમને માન આપે તે તેઓને ગમે છે. 39 તેઓને સભાસ્થાનોમાં સૌથી મહત્વની બેઠકો પ્રાપ્ત થાય, તે ગમે છે. અને મિજબાનીઓમાં પણ તેઓને સૌથી મહત્વની બેઠકો મળે તે ગમે છે. 40 તેઓ વિધવાઓનાં સાધન અને તેમના ઘરો પડાવી લે છે. પછી તેઓ તેમની જાતે સારા દેખાવાનો પ્રયત્નો લાંબી પ્રાર્થનાઓ કરીને કરે છે. દેવ તેઓને ઘણી બધી શિક્ષા કરશે.”
વિધવા આપવાનો અર્થ બતાવે છે
(લૂ. 21:1-4)
41 ઈસુ મંદિરમાં દાનપેટી નજીક બેઠો, જ્યાં લોકો તેઓની ભેટો મૂકતા. લોકો પેટીમાં પૈસા આપતા. 42 પછી એક ગરીબ વિધવા આવી અને તેણે બે ઘણા નાના તાંબાના સિક્કા આપ્યા. આ સિક્કાઓની કિંમત એક દમડી પણ ન હતી.
43 ઈસુએ તેના શિષ્યોને બોલાવ્યા. ઈસુએ કહ્યું, “હું તમને સાચું કહું છું. આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા. પણ તેણે ખરેખર બધા ધનવાન માણસો કરતા વધારે આપ્યું છે. 44 આ લોકો પાસે પુષ્કળ છે. તેઓએ તો ફક્ત તેમને જેની જરુંર નથી તે જ આપ્યું. પણ તેણે તો તેના જીવન જીવવા માટે જરુંર હતું તે બધુજ નાણું આપ્યું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International