Print Page Options
Previous Prev Day Next DayNext

Read the Gospels in 40 Days

Read through the four Gospels--Matthew, Mark, Luke, and John--in 40 days.
Duration: 40 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
માર્ક 4-6

બી વાવનાર એક ખેડૂત વિષેની વાર્તા

(માથ. 13:1-9; લૂ. 8:4-8)

બીજી એક વખત ઈસુએ સરોવરની બાજુમાં ઉપદેશ શરૂ કર્યો. ઘણા બધા લોકો ઈસુની આજુબાજુ ભેગા થયા. તેથી તે હોડીમાં ચઢ્યો અને ત્યાં બેઠો. બધા જ લોકો પાણીની બાાજુમાં સમુદ્રને કાંઠે રહ્યાં. ઈસુએ હોડીમાંથી જ લોકોને ઉપદેશ આપ્યો. ઈસુએ તેઓને શીખવવા માટે ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું:

“ધ્યાનથી સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા માટે બહાર નીકળ્યો. જ્યારે ખેડૂત વાવતો હતો, કેટલાંક બી રસ્તાની બાજુએ પડ્યા. પક્ષીઓ આવ્યાં અને પેલાં બધા બી ખાઈ ગયાં. કેટલાંક બી ખડકાળ જમીન પર પડ્યાં. જ્યાં પૂરતી માટી ન હતી. ત્યાં બી ઘણા ઝડપથી ઊગ્યાં કારણ કે જમીન બહુ ઊંડી ન હતી. પણ સુર્ય ઊગ્યો ત્યારે તે છોડ કરમાઇ ગયો હતો. તે અંતે સુકાઇ ગયો. કારણ કે તેને ઊંડા મૂળિયાં ન હતા. બીજા કેટલાંક બી કાંટાળા જાળાંમા પડ્યાં. કાંટાના જાળાંએ સારા છોડને ઉગતાં અટકાવ્યા. તેથી તે છોડોએ ફળ ન આપ્યું. કેટલાંક બીજા બી સારી જમાન પર પડ્યાં. સારી જમીનમાં તે બી ઊગવા માંડ્યાં. તે ઊગ્યા અને ફળ આપ્યાં. કેટલાક છોડે ત્રીસગણાં, કેટલાક છોડોએ સાઠગણાં અને કેટલાક છોડોએ સોગણાં ફળ આપ્યાં.”

પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!”

ઈસુ કહે છે તે શા માટે વાર્તાઓનો ઉપયોગ કરે છે

(માથ. 13:10-17; લૂ. 8:9-10)

10 જ્યારે ઈસુ એકાંતમાં હતો ત્યારે બાર પ્રેરિતો અને ઈસુના બીજા શિષ્યોએ તેને વાર્તાઓ વિષે પૂછયું.

11 ઈસુએ કહ્યું, “તમે ફક્ત દેવના રાજ્ય વિષેનું સાચું રહસ્ય સમજી શકો. પણ બીજા લોકોનું હું બધી વસ્તુઓ વાર્તાઓનો ઉપયોગ કરી કહું છું. 12 હું આ કરું છું તેથી,

‘તેઓ જોશે અને જોયા કરશે પરંતુ કદાપિ જોઈ શકશે નહિ;
    તેઓ સાંભળશે અને સાંભળ્યાં કરશે, પણ કદાપિ સમજશે નહિ.
    જો તેઓએ જોયું હોય અને સમજ્યા હોય તો, તેઓ પસ્તાવો કરે, ને તેઓને (પાપની) માફી મળે.’(A)

બી વાવનારની વાર્તા ઈસુ સમજાવે છે

(માથ. 13:18-23; લૂ. 8:11-15)

13 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે આ વાર્તા સમજ્યા? જો તમે ના સમજ્યા હોય તો પછી તમે બીજી કઈ વાર્તા સમજી શકશો? 14 ખેડૂત એ એક વ્યક્તિ છે જે લોકોમાં દેવના વચનને વાવે છે. 15 કેટલીક વાર તે વચન રસ્તા પર પડે છે. આ કેટલાક લોકો જેવું છે. તે લોકો દેવનું વચન સાંભળે છે. પરંતુ શેતાન આવે છે અને વચન લઈ જાય છે જે તેઓનામાં વવાયેલું હતું.

16 “બીજા લોકો પથ્થરવાળી જમીનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ વચન સાંભળે છે અને તેનો આનંદથી તરત જ સ્વીકાર કરે છે. 17 પણ આ લોકો વચનને તેમના જીવનમાં ઊંડા ઉતરવા દેતા નથી. તેઓ આ વચનને ફક્ત થોડી વાર માટે રાખે છે. જ્યારે મુશ્કેલી અથવા સતાવણી વચનને કારણે આવે છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.

18 “બીજા કેટલાંક લોકો કાંટાળા જાળામાં વાવેલાં બીજ જેવા છે. આ લોકો વચન સાંભળે છે. 19 પણ પછી તેમના જીવનમાં આવી બાબતો આવે છે. જેવી કે આ જીવનની ચિંતાઓ, ખૂબ પૈસાનો ખોટો મોહ, અને બીજી બધીજ જાતની વસ્તુઓની કામના. આ વસ્તુઓ વચનના વિકાસને અટકાવે છે. તેથી તે વચન તે લોકોના જીવનમાં ફળદાયી થતું નથી.

20 “બીજા લોકો સારી જમાનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ ઉપદેશ સાંભળે છે, સ્વીકારે છે અને ફળ આપે છે. કેટલીક વાર ત્રીસગણાં, કેટલીક વાર સાઠગણાં અને કેટલીક વાર સોગણાં ફળ આપે છે.”

તમારી પાસે જે હોય તેનો ઉપયોગ કરવો જોઈએ

(લૂ. 8:16-18)

21 પછી ઈસુએ તેઓને કહ્યું, “શું માપ તળે અથવા ખાટલા તળે મૂકવા સારું કોઈ દીવો રાખે છે? શું દીવી પર મૂકવા નહિ? 22 જે બધું સંતાડેલું છે તે સ્પષ્ટ થશે. દરેક ગુપ્ત વસ્તુ પ્રગટ કરવામાં આવશે. 23 તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો! 24 તમે જે સાંભળો તે વિષે કાળજીપૂર્વક વિચારો. તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશે. પણ દેવ તમને, તમે જેટલું આપશો તેનાથી વધુ આપશે. 25 જે વ્યક્તિ પાસે કાંઇક છે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે કઈ થોડું છે તે પણ ગુમાવશે.”

ઈસુની બીજની વાર્તાનો ઉપયોગ

26 પછી ઈસુએ કહ્યું, “દેવનું રાજ્ય એક માણસ જમીનમાં બીજ વાવે છે તેના જેવું છે. 27 બીજ ઊગવાની શરૂઆત કરે છે. તે રાત અને દિવસ ઊગે છે. તે મહત્વનું નથી કે માણસ ઊંઘે છે કે જાગે છે, છતા પણ બીજ તો ઊગે છે; પણ તે શી રીતે ઊગયું તે જાણતો નથી. 28 કોઈ પણ જાતની મદદ વિના ભોંય અનાજ ઉગાડે છે. પ્રથમ છોડ ઊગે છે. પછી કણસલું અને ત્યાર બાદ કણસલામાં બધા દાણા ભરાય છે. 29 જ્યારે દાણા તૈયાર થાય છે, ત્યારે માણસ તેને કાપે છે. આ સમય કાપણીનો છે.”

દેવનું રાજ્ય રાઈના દાણા જેવું છે

(માથ. 13:31-32, 34-35; લૂ. 13:18-19)

30 પછી ઈસુએ કહ્યું, “દેવનું રાજ્ય શાના જેવું છે એ તમને બતાવવા હું શાનો ઉપયોગ કરી શકું? તે સમજાવવા માટે હું વાર્તાનો ઉપયોગ કરી શકું? 31 દેવનું રાજ્ય એક રાઈના બી જેવું છે જે તમે જમીનમાં વાવો છે. તે સર્વ બી કરતાં નાનામાં નાનું બી છે. 32 પણ જ્યારે તમે આ બી વાવો છો, તે ઊગે છે અને તમારા બાગના બધા જ છોડવાઓમાં સૌથી મોટો છોડ બને છે. તેને ખૂબ મોટી ડાળીઓ હોય છે. ત્યાં આકાશનાં પક્ષીઓ આવી શકે છે અને માળાઓ બનાવી શકે છે અને સૂર્યથી રક્ષણ મેળવી શકે છે.”

33 ઈસુએ તેમને શીખવવા માટે આવી ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો, જેથી તેઓ દરેક બાબત સમજી શકે. 34 ઈસુ હંમેશા લોકોને શીખવવા માટે વાર્તાઓનો ઉપયોગ કરતો. પણ જ્યારે ઈસુ અને તેના શ્ષ્યો એકલા ભેગા થતા ત્યારે ઈસુ તેઓને દરેક વાતોનો ખુલાસો કરતો.

ઈસુનું તોફાનને અટકાવવું

(માથ. 8:23-27; લૂ. 8:22-25)

35 તે દિવસે સાંજે ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે સરોવરને પેલે પાર જઇએ.” 36 ઈસુ અને શિષ્યોએ લોકોને ત્યાં છોડ્યા. ઈસુ જેમાં બેઠો હતો તે જ હોડીમાં તેઓ ગયા. ત્યાં તેની સાથે બીજી હોડીઓ પણ હતી. 37 સરોવરમાં પવનનું મોટું તોફાન થયું. મોજાઓ ઉપરની બાજુઓ પર અને હોડીની અંદર આવવા લાગ્યાં. હોડી લગભગ પાણીથી ભરાઇ ગઈ હતી. 38 ઈસુ હોડીના પાછલા ભાગમા ઓસીકા પર તેનું માથું ટેકવીને ઊંઘતો હતો. શિષ્યો તેની પાસે ગયા અને તેને જગાડીને કહ્યું, “ઉપદેશક, તને અમારી ચિંતા નથી? આપણે ડૂબી જઈશું!”

39 ઈસુ ઊભો થયો અને પવનને અને મોંજાઓને અટકી જવા આજ્ઞા કરી, ઈસુએ કહ્યું, “છાનો રહે, શાંત થા!” પછી પવન અટકી ગયો અને સરોવર શાંત થઈ ગયું.

40 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમે શા માટે ડરો છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?”

41 શિષ્યો ઘણા ડરી ગયા હતા અને એકબીજાને પૂછતા હતા કે, “આ માણસ કેવા પ્રકારનો છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?”

ઈસુ ભૂત વળગેલા માણસને મુક્ત કરે છે

(માથ. 8:28-34; લૂ. 8:26-39)

ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરીને ગેરસાની લોકો રહેતા હતા તે પ્રદેશમાં ગયો. જ્યારે ઈસુ હોડીમાંથી નીચે ઉતર્યો ત્યારે જ્યાં મરેલા માણસોને દાટવામાં આવે છે તે ગુફાઓમાંથી એક માણસ તેમની પાસે આવ્યો. આ માણસને ભૂત વળગેલ હતું. તે માણસ કબરસ્તાનની ગુફાઓમાં રહેતો હતો. કોઈ માણસ તેને બાંધી શકતો ન હતો. સાંકળો પણ આ માણસને બાંધી શકતી ન હતી. ઘણી વાર લોકોએ તે માણસના હાથ પગ બાંધવા સાંકળનો ઉપયોગ કર્યો. પણ તે માણસ તેના હાથપગથી સાંકળો તોડી નાખતો. કોઈ માણસ તેને કાબુમાં રાખવા પૂરતો સમર્થન હતો. રાત દિવસ તે માણસ કબરસ્તાનની ગુફાઓની આસપાસ અને ટેકરીઓ પર ચાલતો હતો. તે માણસ ચીસો પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.

જ્યારે ઈસુ ઘણે દૂર હતો ત્યારે તે માણસે તેને જોયો. તે માણસ ઈસુ પાસે દોડી ગયો અને તેની આગળ ઘૂંટણીએ પડ્યો. 7-8 ઈસુએ તે માણસને કહ્યું, “ઓ અશુદ્ધ આત્મા, તે માણસમાંથી બહાર નીકળ.” તેથી તે માણસે મોટા અવાજે ઘાંટો પાડ્યો, “ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસે શું ઈચ્છે છે? હું તને દેવના સોગંદ દઉં છું કે, તું મને શિક્ષા નહિ કરે!”

પછી ઈસુએ તે માણસને પૂછયું, “તારું નામ શું છે?”

તે માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના છે. કેમ કે મારામાં ઘણા આત્માઓ છે.” 10 તે માણસમાં રહેલા આત્માઓએ ઈસુને વારંવાર વિનંતિ કરી કે તેઓને તે પ્રદેશમાંથી બહાર ન કાઢે.

11 ત્યાં નજીકમાં એક ભૂંડોનું મોટું ટોળું ટેકરીઓની બાજુમાં ચરતું હતું. 12 અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, “અમને ભૂંડોમાં મોકલ, અમને તેઓમાં મોકલ.” 13 તેથી ઈસુએ તેઓને રજા આપી. અશુદ્ધ આત્માઓએ માણસને છોડયો અને તેઓ ભૂંડોમાં ગયા. પછી તે ભૂંડોનું ટોળું ટેકરીઓની કરાડો પરથી ધસી ગયું અને સરોવરમાં પડી ગયું. બધાંજ ભૂંડો ડૂબી ગયાં. તે ટોળામાં લગભગ 2,000 ભૂંડો હતાં.

14 જે માણસો ભૂંડોની સંભાળ રાખવાનું કામ કરતા હતા તે નાસી ગયા. તે માણસો ગામમાં ગયા અને ખેતરોમાં દોડી ગયા. તેઓએ બધાં લોકોને જે બન્યું હતું તે કહ્યું તેથી જે બન્યું હતું તે જોવા માટે તેઓ આવ્યા. 15 લોકો ઈસુ પાસે આવ્યા. તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો. તે માણસ બેઠો હતો અને વસ્ત્રો પહેરેલો હતો. તેનું મગજ ફરીથી સ્વસ્થ હતું. લોકો ભયભીત થયા હતા. 16 કેટલાક લોકો ત્યાં હતા અને ઈસુએ જે કર્યું તે જોયું હતું. તે લોકોએ બીજા લોકોને પેલો માણસ જેનામાં દુષ્ટાત્મા હતો તેનું શું થયું તે કહ્યું અને તેઓએ ભૂંડો વિષે પણ કહ્યું. 17 પછી તે લોકો ઈસુને તેમનો પ્રદેશ છોડી જવા વિનંતી કરવા લાગ્યા.

18 ઈસુ હોડીમાં બેસવા જતો હતો. અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે ઈસુ સાથે જવા વિનંતી કરી. 19 પણ ઈસુએ તે માણસને સાથે આવવાની ના પાડી. ઈસુએ કહ્યું, “તારે ઘેર તારા સગાંઓ પાસે જા, પ્રભુએ તારા માટે જે બધું કર્યું તે વિષે તેઓને કહે. તેમને જણાવ કે પ્રભુ તારા માટે દયાળુ હતો.”

20 તેથી તે માણસે વિદાય લીધી અને તેના માટે ઈસુએ જે મહાન કાર્યો કર્યા તે વિષે દશનગરમાં લોકોને કહ્યું. બધા લોકો નવાઈ પામ્યા.

ઈસુનું મૃત છોકરીને સજીવન કરવું અને બિમાર સ્ત્રીને સાજી કરવી

(માથ. 9:18-26; લૂ. 8:40-56)

21 ઈસુ હોડીમાં બેસી સરોવર ઓળંગીને તેની બીજી બાજુએ ગયો. સરોવરની બાજુમાં તેની આજુબાજુ ઘણા લોકો ભેગા થયા હતા. 22 સભાસ્થાનના આગેવાનોમાંનો એક ત્યાં આવ્યો. તેનું નામ યાઈર હતું. યાઈરે ઈસુને જોયો અને તેની આગળ પગે પડ્યો. 23 યાઈરે ઈસુને ઘણી આજીજી કરીને કહ્યું, “મારી નાની દિકરી મરણ પથારી પર છે. કૃપા કરીને તારો હાથ તેના પર મૂક. પછી તે સાજી થઈ જશે અને જીવશે.”

24 તેથી ઈસુ યાઈર સાથે ગયો. ઘણા લોકો ઈસુની પાછળ ગયા. તેઓ તેની આજુબાજુ ઘણા નજીક હોવાથી ધક્કા-ધક્કી થતી હતી.

25 લોકો મધ્યે એક સ્ત્રી હતી. આ સ્ત્રીને છેલ્લા બાર વર્ષોથી લોહીવા હતો. 26 તે સ્ત્રીએ ઘણું સહન કર્યુ હતું. ઘણા વૈદોએ તેનો ઇલાજ કરવા પ્રયત્ન કર્યો હતો. તેની પાસેના બધા પૈસા ખર્ચાઇ ગયા પરંતુ તેનામાં સુધારો થતો ન હતો. તેની બિમારી વધતી જતી હતી.

27 તે સ્ત્રીએ ઈસુ વિષે સાંભળ્યું. તેથી તે ટોળામાંથી ઈસુની પાછળ લોકો સાથે ગઈ. અને તેના ઝભ્ભાને અડકી. 28 તે સ્ત્રીએ વિચાર્યુ, “જો હું તેના કપડાંને પણ સ્પર્શ કરીશ તો તે મને સાજી કરવા પૂરતું છે.” 29 જ્યારે તે સ્ત્રી તેના ઝભ્ભાને અડકી, ત્યારે તરત તેનો લોહીવા અટકી ગયો. તે સ્ત્રીને લાગ્યું કે તેનું શરીર દર્દમાંથી સાજું થઈ ગયું છે. 30 ઈસુએ જાણ્યું કે તેનામાંથી સાર્મથ્ય બહાર નીકળ્યું. તેથી તે ટોળા તરફ ફર્યો અને પૂછયું, “મારા લૂગડાને કોણે સ્પર્શ કર્યો?”

31 શિષ્યોએ ઈસુને કહ્યું, “તું જુએ છે કે ઘણા લોકો તારી પર પડાપડી કરે છે અને તું પૂછે છે કે, ‘મને કોણે સ્પર્શ કર્યો?’”

32 પરંતુ જે વ્યક્તિએ ઈસુને સ્પર્શ કર્યો તેને જોવાનું ઈસુએ ચાલું રાખ્યું. 33 તે સ્ત્રીએ જાણ્યું કે તે સાજી થઈ ગઈ હતી. તેથી તે આવી અને ઈસુના પગે પડી. તે સ્ત્રી ભયથી ધ્રુંજતી હતી. તેણે ઈસુને આખી વાત કહી. 34 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તને સાજી કરવામાં આવી છે કારણ કે તને વિશ્વાસ છે. શાંતિથી જા. હવે તારે વધારે સહન કરવાનું નહિ રહે.”

35 ઈસુ હજુ બોલતો હતો તેટલામાં કેટલાક માણસો યાઈર જે સભાસ્થાનનો આગેવાન છે તેના ઘરમાંથી આવ્યો. તે માણસોએ કહ્યું, “તારી દીકરી મૃત્યુ પામી છે. તેથી હવે ઉપદેશકને તસ્દી આપવાની જરુંર નથી.”

36 માણસો શું કહે છે તેની ચિંતા પણ ઈસુએ કરી નહિ. ઈસુએ સભાસ્થાનના આગેવાનને કહ્યું, “ગભરાઈશ નહિ; માત્ર વિશ્વાસ રાખ.”

37 ઈસુએ ફક્ત પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને પોતાની સાથે આવવા દીધા. 38 ઈસુ અને આ શિષ્યો યાઈર જે સભાસ્થાનનો આગેવાન હતો તેને ઘેર ગયા. ઈસુએ ઘણા લોકોને મોટે સાદે રડતા જોયા. ત્યાં ઘણી મુંઝવણ હતી. 39 ઈસુએ ઘરમાં પ્રવેશીને લોકોને કહ્યું, “તમે લોકો શા માટે રડો છો અને આટલો બધો ઘોંઘાટ કરો છે? આ બાળક મરી ગયું નથી. તે તો ફક્ત ઊંઘે છે.” 40 પણ બધા લોકો ઈસુ તરફ હસ્યા. ઈસુએ લોકોને ઘરની બહાર જવા કહ્યું. પછી ઈસુ બાળક જે ઓરડામાં હતું ત્યાં ગયો. તે બાળકના માતાપિતા અને તેના ત્રણ શિષ્યોને તેની સાથે ઓરડામાં લાવ્યા. 41 પછી ઈસુએ છોકરીનો હાથ પકડ્યો અને તેને કહ્યું, “ટલિથા કૂમ!” (આનો અર્થ, “નાની છોકરી, હું તને ઊભી થવા કહું છું.”) 42 તે છોકરી ઊભી થઈ અને ચાલવા લાગી. (તે છોકરી બાર વરસની હતી.) પિતા, માતા અને શિષ્યો ખૂબ અચરજ પામ્યા હતા. 43 ઈસુએ પિતા અને માતાને કડક હુકમ કર્યો કે લોકોને આ વિષે કહેવું નહિ. પછી ઈસુએ તે છોકરીને થોડું ખાવાનું આપવા તેઓને કહ્યું.

ઈસુનું તેના વતનમાં ગમન

(માથ. 13:53-58; લૂ. 4:16-30)

ઈસુ ત્યાંથી વિદાય લઈને પાછો તેના વતનમાં આવ્યો. તેના શિષ્યો તેની સાથે ગયા. વિશ્રામવારના દિવસે ઈસુએ સભાસ્થાનમાં ઉપદેશ આપ્યો. ઘણા લોકો તેનો ઉપદેશ સાંભળીને નવાઇ પામ્યા. આ લોકોએ કહ્યું, “આ માણસે આ ઉપદેશ ક્યાંથી મેળવ્યો? તેને આ ડાહપણ કેવી રીતે મળ્યું? તે તેને કોણે આપ્યું? અને આવા પરાક્રમો કરવાની તાકાત તેણે ક્યાંથી મેળવી? તે તો ફક્ત એક સુથાર છે. અને તેની મા મરિયમ છે. તે યાકૂબ, યોસે, યહૂદા અને સિમોનનો ભાઈ છે અને તેની બહેનો અહીં આપણી સાથે છે.” તે લોકોએ ઈસુનો સ્વીકાર કર્યો નહિ.

ઈસુએ લોકોને કહ્યું, “બીજા લોકો પ્રબોધકને સન્માન આપે છે પણ તેના પોતાના ગામમાં, તેના પોતાના લોકો સાથે અને પોતાના ઘરમાં પ્રબોધકને સન્માન મળતું નથી.” ઈસુએ તે ગામમાં વધારે પરાક્રમી કામ કર્યા નહિ. તેણે જે પરાક્રમો કર્યા તે તો માત્ર કેટલાક બીમાર લોકો પર તેનો હાથ મૂકી સાજાં કર્યા હતાં. ઈસુને ઘણું આશ્ચર્ય થયું હતું કારણ કે પેલા લોકોને વિશ્વાસ ન હતો. પછી ઈસુએ તે પ્રદેશના બીજા ગામોમાં જઇને ઉપદેશ આપ્યો.

બાર પ્રેષિતોનું સેવકાર્ય

(માથ. 10:1, 5-15; લૂ. 9:1-6)

ઈસુએ બાર શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ તેઓને બબ્બે જણને બહાર મોકલ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું તે આ છે: “તમારી યાત્રાઓ માટે કાંઇ લેવું નહિ. ચાલવા માટે ફક્ત એક લાકડી સાથે લો, રોટલી નહિ, થેલી નહિ, અને તમારા ખિસ્સામાં પૈસા નહિ. જોડા પહેરો અને ફક્ત પહેરેલાં વસ્ત્રો જ રાખો. 10 જ્યારે તમે ઘરમાં પ્રવેશો ત્યારે જ્યાં સુધી તે જગ્યા છોડો ત્યાં સુધી તે ઘરમાં જ રહો. 11 જો કોઈ ગામ તમને સ્વીકારવા ના પાડે અથવા તમને સાંભળવા ના પાડે તો તે ગામ છોડી જાઓ. તમારા પગને લાગેલી ધૂળ ખંખેરી નાખો. આ તેઓને માટે એક ચેતવણી હશે.”

12 તે શિષ્યો ત્યાંથી વિદાય થયા અને બીજી જગ્યાએ ગયા. તેઓએ લોકોને ઉપદેશ આપ્યો અને તેઓને પસ્તાવો કરવા કહ્યું. 13 તે શિષ્યોએ ઘણાં ભૂતોને લોકોમાંથી કાઢ્યાં અને તેમણે ઘણાં માંદા લોકોને ઓલિવ તેલ ચોળી સાજાં કર્યા.

હેરોદ માને છે ઈસુ એ જ બાપ્તિસ્મા કરનાર યોહાન છે

(માથ. 14:1-12; લૂ. 9:7-9)

14 હેરોદ રાજાએ ઈસુ વિષે સાંભળ્યું, કારણ કે હવે ઈસુ પ્રખ્યાત થઈ ગયો હતો. કેટલાક લોકોએ કહ્યું, “તે (ઈસુ) બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે. તેથી તે આવાં પરાક્રમો કરી શકે છે.”

15 બીજા લોકોએ કહ્યું, “ઈસુ એક પ્રબોધક જેવો છે. લાંબા સમય પહેલા થઈ ગયેલા પ્રબોધકો જેવો તે છે.”

16 હેરોદે ઈસુના વિષે આ વાતો સાંભળી. તેણે કહ્યું, “મેં યોહાનને તેનું માથું કાપી નાંખી મારી નાંખ્યો. હવે તે યોહાન મૃત્યુમાંથી સજીવન થયો છે!”

યોહાન બાપ્તિસ્તનું મૃત્યુ કેવી રીતે થયું

17 હેરોદે પોતે તેના સૈનિકોને યોહાનને પકડવાનો હુકમ કર્યો હતો. તેથી યોહાન બંદીખાનામાં કેદ થયો હતો. હેરોદે તેની પત્નીને ખુશ કરવા આમ કર્યુ હતું. હેરોદિયા હેરોદના ભાઈ ફિલિપની પત્ની હતી. પરંતુ પાછળથી હેરોદ હેરોદિયાને પરણયો. 18 યોહાને હેરોદને કહ્યું કે તેના માટે તેના ભાઈની પત્ની સાથે પરણવું તે ઉચિત નથી. 19 તેથી હેરોદિયાએ યોહાનને ધિક્કાર્યો. તે તેને મારી નાખવા ઈચ્છતી હતી. પરંતુ હેરોદને યોહાનને મારી નાખવાનું સમજાવવા માટે હેરોદિયા અશક્તિમાન હતી. 20 હેરોદ યોહાનની હત્યા કરતાં ડરતો હતો. હેરોદે જાણ્યું કે બધા લોકો ધારતા હતા કે યોહાન એક સારો અને પવિત્ર માણસ છે. તેથી હેરોદે યોહાનનું રક્ષણ કર્યુ. હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવાનો આનંદ થયો. પણ યોહાનનો ઉપયોગ હેરોદને હંમેશા ચિંતા કરાવતો.

21 પછી યોહાનના મૃત્યુના કારણ માટે હેરોદિયાને યોગ્ય સમય મળ્યો. તે હેરોદની વરસગાંઠને દિવસે બન્યું. હેરોદ સૌથી મહત્વના સરકારી અધિકારીઓ, તેના લશ્કરી સેનાપતિઓ અને ગાલીલના ઘણા અગત્યના લોકોને મિજબાની આપી. 22 હેરોદિયાની પુત્રી મિજબાનીમાં આવી અને નાચી. જ્યારે તે નાચી ત્યારે હેરોદ અને તેની સાથે જમતા લોકો ઘણા પ્રસન્ન થયા.

તેથી હેરોદે તે છોકરીને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંગી શકે છે અને હું તને તે આપીશ.” 23 હેરોદે તેણીને વચન આપ્યું, “તું ગમે તે માગીશ હું તને આપીશ. હું મારું અડધું રાજ્ય પણ તને આપીશ.”

24 તે છોકરી તેની મા પાસે ગઈ અને કહ્યું, “મારે રાજા હેરોદની પાસે શું માંગવું જોઈએ?”

તેની માએ કહ્યું, “યોહાન બાપ્તિસ્તનું માથું માંગ.”

25 તે છોકરી ઝડપથી રાજા પાસે ગઈ. તે છોકરીએ રાજાને કહ્યું, “કૃપા કરીને મને યોહાન બાપ્તિસ્તનું માથું આપ. હમણાં થાળીમાં તે મારી પાસે લાવ.”

26 રાજા હેરોદ ઘણો દિલગીર થયો. પણ તેણે છોકરીને જે ઈચ્છે તે આપવાનું વચન આપ્યું હતું. અને ત્યાં હેરોદની સાથે જમતાં લોકોએ તેનું વચન સાંભળ્યું હતું. તેથી હેરોદ તેણી જે માગે તેનો અસ્વીકાર કરવા ઈચ્છતો ન હતો. 27 તેથી રાજાએ યોહાનનું માંથુ કાપીને લાવવા માટે સૈનિકને મોકલ્યો. તેથી સૈનિકે કારાવાસમાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું. 28 પછી તે સૈનિક યોહાનનું માથું થાળીમા પાછું લાવ્યો. તેણે તે માથું છોકરીને આપ્યું. પછી તે છોકરીએ તે માથું તેની માને આપ્યું. 29 યોહાનના શિષ્યોએ જે બન્યું તેના વિષે સાંભળ્યું. તેથી તેઓ આવ્યા અને યોહાનનું ધડ મેળવ્યું. તેઓએ તેને કબરમાં મૂક્યું.

ઈસુનું 5,000 થી વધારે માણસને જમાડવું

(માથ. 14:13-21; લૂ. 9:10-17; યોહ. 6:1-14)

30 જે પ્રેરિતોને ઈસુએ ઉપદેશ માટે મોકલ્યા હતા, તે ઈસુ પાસે પાછા આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા અને તેઓએ જે બધી વસ્તુ કરી અને શીખવ્યું તે વિષે તેને કહ્યું. 31 ઈસુ અને તેના શિષ્યો ઘણી ભીડવાળી જગ્યાએ હતાં. અને ત્યાં ઘણા બધા લોકો હતા. ઈસુ અને તેના શિષ્યોને ખાવાનો સમય પણ ન હતો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “મારી સાથે આવો આપણે એકાંત માટે શાંત જગ્યોએ જઈશું. ત્યાં આપણે થોડો આરામ કરીશું.”

32 તેથી ઈસુ અને તેના શિષ્યો એકલા દૂર ચાલ્યા ગયા. તેઓ હોડીમાં જ્યાં કોઈ લોકો ન હતા એવા નિર્જન સ્થળે ગયા. 33 પરંતુ ઘણા લોકોએ તેને જતા દીઠો. લોકોએ તેને ઓળખ્યો કે તે ઈસુ હતો તેથી જ્યાં ઈસુ જતો હતો તે સ્થળે બધાં ગામોમાંથી લોકો પગપાળા દોડી ગયા. ઈસુના આવતા પહેલાં લોકો ત્યાં હતા. 34 જ્યારે ઈસુ ત્યાં આવ્યો, તેણે ઘણા માણસોને વાટ જોતાં જોયા. ઈસુને તેમના માટે દુ:ખ થયું, કારણ કે તેઓ સંભાળ રાખનાર ભરવાડ વિનાના ઘેંટા જેવા હતા. ઈસુએ લોકોને ઘણી વસ્તુઓ શીખવી.

35 હવે દિવસનો નમતો પહોર હતો. તેથી ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “આ જગ્યાએ કોઈ લોકો રહેતા નથી અને અત્યારે ઘણું મોડુ થયું છે, 36 તેથી લોકોને દૂર મોકલો. તેઓ અહીંના આસપાસના ગામોમાં અને ખેતરોમાં જઇને ખાવાનું ખરીદે.”

37 પણ ઈસુએ જવાબ આપ્યો, “તમે તેઓને થોડું ખાવાનું આપો.”

તે શિષ્યોએ ઈસુને કહ્યું, “આપણે આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલીઓ ખરીદી શકીએ તેમ નથી! આપણે બધાને તેટલી રોટલીઓ ખરીદવા માટે એક મહીના સુધી કામ કરીને પૂરતું કમાવું પડે.”

38 ઈસુએ શિષ્યોને કહ્યું, “તમારી પાસે કેટલી રોટલીઓ છે? જાઓ અને જુઓ.”

શિષ્યોએ તેઓની રોટલીઓ ગણી. તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું, “આપણી પાસે પાંચ રોટલી અને બે માછલીઓ છે.”

39 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “બધા લોકોને લીલા ઘાસ પર જૂદા જૂદા જૂથોમાં બેસવા કહો.” 40 તેથી બધા લોકો સમૂહમાં બેઠા, કેટલાક જૂથોમાં એકસો માણસો હતા તો કેટલાક જૂથોમાં પચાસ માણસો હતા.

41 ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. તેણે ઊંચે આકાશમાં જોયું અને રોટલી માટે દેવનો આભાર માન્યો. પછી ઈસુએ તે રોટલીના ટુકડા કર્યા અને તે તેના શિષ્યોને આપ્યા. ઈસુએ તેના શિષ્યોને તે રોટલી લોકોને આપવા કહ્યું. પછી ઈસુએ બે માછલીના ભાગ કર્યા અને લોકોને માછલી આપી.

42 આમ લોકોએ ખાધું અને તૃપ્ત થયા. 43 લોકોએ ખાવાનું પૂરું કર્યા બાદ શિષ્યોએ છાંડેલા રોટલીના ટુકડાઓથી અને માછલીઓથી બાર ટોપલીઓ ભરી. 44 ત્યાં લગભગ 5,000 પુરુંષોએ ભોજન કર્યુ.

ઈસુ પાણી પર ચાલે છે

(માથ. 14:22-23; યોહ. 6:16-21)

45 પછી ઈસુએ શિષ્યોને હોડીમાં બેસવા માટે કહ્યું. ઈસુએ તેમને બેથસૈદાની પેલે પાર સરોવરની બીજી બાજુએ જવા માટે કહ્યું. ઈસુએ કહ્યું કે તે પાછળથી આવશે, ઈસુએ લોકોને તેમના ઘર તરફ જવાનું કહ્યું. 46 લોકોને શુભ વિદાય કહ્યાં પછી ઈસુ ટેકરી પર પ્રાર્થના કરવા ગયો.

47 તે રાત્રે, હોડી હજુ પણ સરોવરની મધ્યમાં હતી. ઈસુ ભૂમિ પર એકલો હતો. 48 ઈસુએ સરોવરમાં હોડીને દૂર દૂર જોઈ. તેણે શિષ્યોને હોડીના હલેસા મારવામાં સખત મહેનત કરતાં જોયા. પવન તેમની વિરૂદ્ધ ફૂંકાતો હતો. સવારે ત્રણ થી છ કલાકના સમયે, ઈસુએ પાણી પર ચાલવાનું ચાલુ રાખ્યું, અને તે તેમની બાજુમાંથી પસાર થતો હતો. ને જાણે તેઓથી આગળ જવાનું તેણે કર્યુ. 49 પરંતુ શિષ્યોએ ઈસુને પાણી પર ચાલતો જોયો. તેઓએ ધાર્યુ કે, એ તો આભાસ છે. શિષ્યો ભયથી બૂમો પાડવા લાગ્યા. 50 બધા શિષ્યોએ ઈસુને જોયો અને તેઓ ઘણા ભયભીત થયા. પરંતુ ઈસુએ શિષ્યાને કહ્યું, “હિમ્મત રાખો. તે હું જ છું, ગભરાશો નહિ,” 51 પછી ઈસુ શિષ્યો સાથે હોડીમાં પ્રવેશ્યો અને પવન શાંત થઈ ગયો. તે શિષ્યો તો સંપૂર્ણ આશ્ચર્ય પામ્યા. 52 તેઓએ ઈસુને પાંચ રોટલીમાંથી વધારે રોટલી બનાવતા જોયો હતો. પણ તેઓ સમજી શક્યા ન હતા. તેનો અર્થ શું છે. તેઓ તે સમજવા માટે શક્તિમાન ન હતા.

ઈસુએ માંદા માણસોને સાજા કર્યા

(માથ. 14:34-36)

53 ઈસુના શિષ્યોએ સરોવરને ઓળંગ્યું. તેઓ ગન્નેસરેતના દરિયા કિનારે આવ્યા. તેઓએ ત્યાં હોડી લાંગરી. 54 જ્યારે તેઓ હોડીની બહાર હતા. ત્યારે લોકોએ ઈસુને જોયો. તેઓએ જાણ્યું કે તે કોણ હતો. 55 આખા પ્રદેશમાં દોડી જઇને લોકોને જણાવ્યું કે ઈસુ ત્યાં છે. લોકો માંદા માણસોને ખાટલામાં લાવ્યા. 56 ઈસુ તે પ્રદેશના આસપાસનાં ગામો, શહેરો અને ખેતરોમાં ગયો અને દરેક જગ્યાએ ઈસુ ગયો. ત્યાં તે લોકો બિમાર લોકોને બજારના સ્થળોએ લાવ્યા. તેઓ ઈસુને તેનાં ઝભ્ભાની કીનારને પણ સ્પર્શ કરવા દેવા માટે વિનંતી કરી. અને બધા લોકોએ જેમણે સ્પર્શ કર્યો તે સર્વ સાજાં થઈ ગયા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International