Read the Gospels in 40 Days
19 પછી પિલાતે આજ્ઞા કરી કે ઈસુને દૂર લઈ જઈને કોરડા ફટકારો. 2 સૈનિકોએ કેટલીક કાંટાળી ડાળીઓનો મુગટ બનાવવામાં ઉપયોગ કર્યો. તેઓએ આ કાંટાનો મુગટ ઈસુના માથે મૂક્યો. પછી તે સૈનિકોએ જાંબુડા રંગનો ઝભ્ભો ઈસુને પહેરાવ્યો. 3 સૈનિકો ઈસુ પાસે ઘણીવાર આવ્યા અને કહ્યું, “હે યહૂદિઓના રાજા, સલામ!” તેઓએ ઈસુને ચહેરા પર માર્યો.
4 ફરીથી પિલાત બહાર આવ્યો અને યહૂદિઓને કહ્યું, “જુઓ! હું ઈસુને બહાર તમારી પાસે મોકલું છું. હું ઈચ્છું છું કે તમે જાણો કે મને તેની સામે ગુનો દાખલ કરવા કઈ મળ્યું નથી.” 5 પછી ઈસુ બહાર આવ્યો. તેણે કાંટાનો મુગટ અને જાંબલી ઝભ્ભો પહેર્યો હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “અહીં તે માણસ છે!”
6 જ્યારે મુખ્ય યાજકો અને યહૂદિ ચોકીદારોએ ઈસુને જોયો તેઓએ બૂમ પાડી, “વધસ્તંભ પર તેને જડો! વધસ્તંભ પર તેને જડો!”
પરંતુ પિલાતે ઉત્તર આપ્યો, “તમે તેને લઈ જાઓ અને તેને તમારી જાતે વધસ્તંભે જડો. મને એનામાં તેની સામે આક્ષેપ મૂકવા કોઈ ગુનો જડ્યો નથી.”
7 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમારું નિયમશાસ્ત્ર છે તે કહે છે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ, કારણ કે તેણે કહ્યું કે તે દેવનો દીકરો છે.”
8 જ્યારે પિલાતે આ સાંભાળ્યું, તે વધારે ગભરાયો. 9 પિલાત દરબારની અંદરની બાજુએ પાછો ગયો. તેણે ઈસુને પૂછયું, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ તેને કોઈ ઉત્તર આપ્યો નહિ. 10 પિલાતે કહ્યું, “તું મને કહેવાની ના પાડે છે? યાદ રાખ, તને મુક્ત કરવાની સત્તા મારી પાસે છે. તને વધસ્તંભ પર મારી નાખવાની સત્તા પણ મને છે.”
11 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા પરની જે સત્તા છે તે ફક્ત તને દેવે જ આપેલી છે તેથી જે માણસે મને તને સોંપ્યો છે તે વધારે મોટા પાપને માટે દોષિત છે.”
12 આ પછી, પિલાતે ઈસુને છોડી દેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ યહૂદિઓએ બૂમો પાડી. “જે કોઈ વ્યક્તિ પોતે રાજા હોવાનો દાવો કરે છે તે કૈસરનો વિરોધી છે તેથી જો તું આ માણસને છોડી દેશે તો એનો અર્થ એ કે તું કૈસરનો મિત્ર નથી.”
13 યહૂદિઓએ જે કહ્યું તે પિલાતે સાંભળ્યું. તેથી તે ઈસુને બહાર ફરસબંદી નામની જગ્યાએ લાવ્યો. (યહૂદિ ભાષામાં “ગબ્બથા” કહે છે.) પિલાત ત્યાં ન્યાયાસન પર બેઠો. 14 હવે તે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસ[a] હતો અને લગભગ બપોરનો સમય હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “તમારો રાજા અહીં છે!”
15 યહૂદિઓએ બૂમ પાડી, “તેને દૂર લઈ જાઓ! તેને દૂર લઈ જાઓ! તેને વધસ્તંભ પર જડો!”
પિલાતે યહૂદિઓને પૂછયું, “શું તમે ઈચ્છો છો કે હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?”
મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો, “અમારો રાજા ફક્ત કૈસર છે.”
16 તેથી પિલાતે ઈસુને તેને વધસ્તંભ પર જડીને મારી નાખવા સોંપ્યો.
ઈસુનું વધસ્તંભ પર મૃત્યુ
(માથ. 27:32-44; માર્ક 15:21-32; લૂ. 23:26-39)
સૈનિકોએ ઈસુને પકડયો. 17 ઈસુ તેનો પોતાનો વધસ્તંભ ઊચકીને “તે ખોપરીની જગ્યાના નામે ઓળખાતા સ્થળે ગયો.” (યહૂદિ ભાષામાં તે જગ્યાને “ગુલગુથા” કહેવાય છે.) 18 ગુલગુથામાં તેઓએ ઈસુને વધસ્તંભ પર જડ્યો. તેઓએ બીજા બે મૅંણસોને વધસ્તંભ પર મૂક્યા. તેઓએ ઈસુને વચમાં રાખીને તેની આજુબાજુ બે માણસોને મૂક્યા.
19 પિલાતે એક નિશાની લખી અને વધસ્તંભ પર મૂકી. તે નિશાની પર લખેલું હતું. “નાઝરેથનો ઈસુ, યહૂદિઓનો રાજા.” 20 તે નિશાની યહૂદિ, લેટિન, ગ્રીક ભાષામાં લખેલી હતી. યહૂદિઓમાંના ઘણાએ નિશાની વાંચી, કારણ કે આ જગ્યા જ્યાં તેઓએ ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યો તે શહેરની નજીક હતી.
21 મુખ્ય યહૂદિ યાજકોએ પિલાતને કહ્યું, “યહૂદિઓનો રાજા” એમ લખો નહિ પણ લખો, “આ માણસો કહ્યું, ‘હું યહૂદિઓનો રાજા છું.’”
22 પિલાતે ઉત્તર આપ્યો, “મેં જે લખ્યું છે તે હું બદલીશ નહિ.”
23 સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર જડ્યા પછી તેઓએ તેના લૂગડાં ઉતાર્યા. તેઓએ તેના લૂગડાંના ચાર ભાગો પાડ્યા. દરેક સૈનિકે એક ભાગ લીધો. તેઓએ તેનો લાંબો ડગલો પણ લીધો. તે ઉપરથી નીચે સુધી ગૂંથેલો આખો એક લૂગડાંનો ટુકડો હતો. 24 તેથી સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે તેના ભાગ પાડવા માટે આને ચીરવો જોઈએ નહિ પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી.” તે શાસ્ત્રમાં લખેલું છે એ સાચું થાય, તેથી આમ બન્યું:
“તેઓએ મારા લૂગડાં તેઓની વચ્ચે વહેંચ્ચા.
અને તેઓએ મારા લૂગડાં માટે ચિઠ્ઠીઓ નાખી.” (A)
તેથી સૈનિકોએ આ કર્યુ.
25 ઈસુની મા તેના વધસ્તંભ નજીક ઊભી હતી. તેની માની બહેન કલોપાની પત્ની તથા મગ્દલાની મરિયમ પણ ત્યાં હતી. 26 ઈસુએ તેની માને જોઈ તથા તે જેના પર પ્રેમ રાખતો હતો તે શિષ્યને પણ ત્યાં ઊભેલો જોયો. તેણે તેની માને કહ્યું, “વહાલી બાઈ, તારો દીકરો અહીં છે.” 27 પછી ઈસુએ શિષ્યને કહ્યું, “અહીં તારી મા છે.” તેથી આમ કહ્યાં પછી, આ શિષ્ય ઈસુની માને તેના ઘરે રહેવા લઈ ગયો.
ઈસુ મૃત્યુ પામે છે
(માથ. 27:45-56; માર્ક 15:33-41; લૂ. 23:44-49)
28 પાછળથી, ઈસુએ જાણ્યું કે હવે બધુંજ પૂરું થઈ ગયું છે તેથી શાસ્ત્રવચન પ્રમાણે પૂર્ણ કરવા તેણે કહ્યું, “હું તરસ્યો છું.”[b] 29 ત્યાં સરકાથી ભરેલું વાસણ હતું તેથી સૈનિકોએ તેમાં વાદળી બોળી અને તેઓએ ઝૂફાના છોડની એક ડાળી પર વાદળી મૂકી. પછી તેઓએ તે ઈસુના મોંમાં મૂકી. 30 ઈસુએ તે સરકો ચાખ્યો. પછી તેણે કહ્યું, “સંપૂર્ણ થયું.” ઈસુએ તેનું માથું નમાવ્યું અને મૃત્યુ પામ્યો.
31 આ દિવસ તૈયારીનો દિવસ હતો. બીજો દિવસ ખાસ સાબ્બાથ દિવસ હતો. યહૂદિઓ ઈચ્છતા નહોતા કે સાબ્બાથના દિવસે વધસ્તંભ પર મુડદાં રહે. તેથી તેઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગવામાં આવે જેથી તેઓ જલદી મરણ પામે અને તેઓના મુડદાં વધસ્તંભ પરથી ઉતારી શકાય. 32 તેથી તે સૈનિકો આવ્યા અને ઈસુની બાજુમાં વધસ્તંભ પરના પહેલા માણસના પગ ભાંગી નાખ્યા. 33 પરંતુ જ્યારે તે સૈનિક ઈસુની નજીક આવ્યા. તેઓએ જોયું કે તે ખરેખર મૃત્યુ પામી ચૂક્યો હતો તેથી તેઓએ તેના પગ ભાંગ્યા નહિ.
34 પણ સૈનિકોમાંના એકે ઈસુની કૂખમાં તેનો ભાલો ભોંકી દીધો. તેથી લોહી અને પાણી બહાર નીકળ્યા. 35 (જે વ્યક્તિએ આ બનતા જોયું તેણે તે વિષે કહ્યું. તેથી તમે પણ વિશ્વાસ કરી શકો તે જે વાતો કહે છે તે સાચી છે. તે જાણે છે કે તે સાચું કહે છે.) 36 આ બાબતો બની તેથી કરીને શાસ્ત્રવચન પૂર્ણ થયું છે. “તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.” 37 બીજા શાસ્ત્રવચનમાં કહ્યું છે, “જેને તેઓએ વીધ્યો તેને તેઓ જોશે.”(B)
ઈસુનું દફન
(માથ. 27:57-61; માર્ક 15:42-47; લૂ. 23:50-56)
38 પાછળથી, અરિમથાઈનો યૂસફ નામનો માણસ પિલાતને ઈસુના દેહને લઈ જવા માટે પૂછયું. (યૂસફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો. પરંતુ તેણે ગુપ્ત રાખ્યું, કારણ કે તે યહૂદિઓથી બીતો હતો.) પિલાતે કહ્યું કે યૂસફ ઈસુના દેહને લઈ જઈ શકે તેમ છે. તેથી યૂસફ આવ્યો અને ઈસુના દેહને લઈ ગયો.
39 નિકોદેમસ યૂસફ સાથે ગયો. નિકોદેમસ તે માણસ હતો જે અગાઉ રાત્રે ઈસુ પાસે આવ્યો હતો અને તેની સાથે વાતો કરી હતી. નિકોદેમસ આશરે 100 શેર સુગંધી દ્રવ્ય લાવ્યો. આ એક બોર તથા અગરનું મિશ્રણ હતું. 40 આ બે માણસોએ ઈસુના દેહને લીધો. તેઓએ તેને સુગધીદાર દ્રવ્યો સાથે શણના લૂગડાંના ટુકડાઓમાં લપેટ્યું હતું. (આ રીતે યહૂદિઓ લોકોને દફનાવે છે.) 41 જ્યાં ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો, ત્યાં એક બાગ હતો. તે બાગમાં ત્યાં એક નવી કબર હતી. ત્યાં પહેલા કોઈ વ્યક્તિને દફનાવવામાં આવી ન હતી. 42 તે માણસોએ ઈસુને તે કબરમાં મૂક્યો. કારણ કે તે નજીક હતી, અને યહૂદિઓ તેઓના સાબ્બાથ દિવસના આરંભની તૈયારી કરતા હતા.
કેટલાક શિષ્યોએ ઈસુની કબર ખાલી જોઈ
(માથ. 28:1-10; માર્ક 16:1-8; લૂ. 24:1-12)
20 અઠવાડિયાના પ્રથમ દિવસે વહેલી સવારે મરિયમ મગ્દલાની કબર પાસે ગઈ જ્યાં ઈસુનું શબ હતું ત્યાં હજુ અંધારું હતું. મરિયમે જોયું કે જે મોટો પથ્થર પ્રવેશદ્વાર પર ઢાંકેલો હતો તે દૂર ખસેડવામાં આવ્યો હતો. 2 તેથી મરિયમ સિમોન પિતર તથા બીજા શિષ્ય પાસે દોડી ગઈ. (જે એક કે જેને ઈસુ ચાહતો હતો.) મરિયમે કહ્યું, “તેઓ કબરમાંથી પ્રભુને લઈ ગયા છે. અમને ખબર નથી તેઓએ તેને ક્યાં મૂક્યો છે.”
3 તેથી પિતર અને બીજો શિષ્ય બહાર ગયો અને કબર તરફ જવાનું શરું કર્યું. 4 તેઓ બંને દોડતા હતા, પરંતુ બીજો શિષ્ય પિતર કરતાં વધારે ઝડપથી દોડતો હતો તેથી બીજો શિષ્ય કબર પાસે પહેલો પહોંચ્યો. 5 તે શિષ્યએ નીચા નમીને અંદર જોયું. તેણે ત્યાં શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં પડેલા જોયા. પણ તે અંદર ગયો નહિ.
6 પછી તેની પાછળ સિમોન પિતર પણ આવ્યો. પિતર કબરમાં ગયો. તેણે પણ શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં જોયા. 7 તેણે ઈસુના માથાની આજુબાજુ વીંટાળેલું લૂગડું પણ જોયું. તે લૂગડાંની ગળી વાળેલી હતી અને શણના ટુકડાઓથી જુદી જગ્યાએ તે મૂકેલું હતું. 8 પછી બીજો શિષ્ય અંદર ગયો. આ તે શિષ્ય હતો જે કબર પાસે પહેલો પહોંચ્યો હતો. જ્યારે તેણે શું બન્યું હતું તે જોયું ત્યારે તેણે વિશ્વાસ કર્યો. 9 (આ શિષ્યો હજુ પણ શાસ્ત્રલેખ સમજતા નહોતા કે ઈસુએ મૃત્યુમાંથી ઊઠવું જોઈએ.)
મરિયમ માગ્દાલેણને ઈસુનું દર્શન
(માર્ક 16:9-11)
10 પછી શિષ્યો ઘેર પાછા ફર્યા. 11 પણ મરિયમ કબરની બહારની બાજુ ઊભી રહીને રડતી હતી. જ્યારે તે રડતી હતી, તેણે નીચા નમીને કબરની અંદરની બાજુ નજર કરી. 12 મરિયમે બે દૂતોને સફેદ વસ્ત્રોમાં જોયા. તેઓ જ્યાં ઈસુનો દેહ હતો ત્યાં બેઠા હતા. એક દૂત જ્યાં ઈસુનું માથું હતું ત્યાં બેઠો હતો, અને બીજો દૂત જ્યાં ઈસુના પગ હતા ત્યાં બેઠો હતો.
13 દૂતોએ મરિયમને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે?”
મરિયમે કહ્યું, “કેટલાક લોકો મારા પ્રભુના શરીરને લઈ ગયા. મને ખબર નથી કે તેઓએ તેને ક્યાં મૂક્યો છે.” 14 જ્યારે મરિયમે આ કહ્યું, તેણે પછવાડે ફરીને જોયું તો ત્યાં ઈસુને ઊભેલો દીઠો. પણ તે જાણતી ન્હોતી કે તે ઈસુ હતો.
15 ઈસુએ તેને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે? તું કોને શોધે છે?”
મરિયમે ધાર્યુ કે આ માણસ બગીચાની કાળજી રાખનાર હતો. તેથી મરિયમે તેને કહ્યું, “સાહેબ, જો તેં તેને અહીંથી ઉઠાવી લીધો હોય, તો તેં તેને ક્યાં મૂક્યો છે તે મને કહે. હું જઈશ અને તેને લઈ જઈશ.”
16 ઈસુએ તેને કહ્યું, “મરિયમ.”
મરિયમ ઈસુ તરફ ફરી અને તેને હિબ્રું ભાષામાં કહ્યું, “રાબ્બોની” (આનો અર્થ “ગુરુંજી.”)
17 ઈસુએ તેને કહ્યું, “મને પકડીશ નહિ. હજુ સુધી હું પિતા પાસે ગયો નથી. પરંતુ મારા ભાઈઓ (શિષ્યો) પાસે જા અને તેઓને આ વાત કહે. ‘હું મારા અને તમારા પિતા પાસે પાછો જાઉ છું. હું મારા અને તમારા દેવ પાસે પાછો જાઉ છું.’”
18 મરિયમ મગ્દલાની શિષ્યો પાસે ગઈ અને તેઓને કહ્યું, “મેં પ્રભુને જોયો!” અને તેણે તેઓને ઈસુએ જે કહ્યું હતું તે બધું કહ્યું.
તેના શિષ્યોને ઈસુના દર્શન
(માથ. 28:16-20; માર્ક 16:14-18; લૂ. 24:36-49)
19 અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 20 આમ કહ્યાં પછી ઈસુએ શિષ્યોને તેના હાથ અને તેની કૂખ બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયો ત્યારે ખૂબ ખુશ થયા.
21 પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું. 22 આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો. 23 જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી તેઓનાં પાપોની માફી મળશે. જો તમે લોકોનાં પાપોને માફ નહિ કરો તો, પછી તેઓનાં પાપ માફ થશે નહિ.”
થોમાને ઈસુના દર્શન
24 થોમા (દીદુમસ કહેવાતો) જ્યારે ઈસુ આવ્યો ત્યારે બીજાઓની સાથે તે નહોતો. થોમા તે બારમાંનો એક હતો. 25 બીજા શિષ્યોએ થોમાને કહ્યું, “અમે પ્રભુને જોયો છે.” થોમાએ ઉત્તર આપ્યો, “જ્યા સુધી હું તેના હાથમાં ખીલાંના ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહિ. તેના હાથોના ઘા જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરીશ નહિ.”
26 એક અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા. થોમા તેઓની સાથે હતો. બારણાંઓને તાળાં હતાં. પરંતુ ઈસુ આવ્યો અને તેઓની વચ્ચે આવીને ઊભો. ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 27 પછી ઈસુએ થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક. મારા હાથો તરફ જો. તારો હાથ અહીં મારી કૂખમાં મૂક. શંકા કરવાનું બંધ કરી વિશ્વાસ કરવાનું શરું કર.”
28 થોમાએ ઈસુને કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ!”
29 ઈસુએ થોમાને કહ્યું, “તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો. જે લોકો મને જોયા વિના વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે.”
યોહાને આ પુસ્તક શા માટે લખ્યું
30 ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા જે તેના શિષ્યોએ જોયા. આ ચમત્કારો આ પુસ્તકમાં લખેલા નથી. 31 છતાં આ વાતો લખી છે તેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. પછી, વિશ્વાસ કરવાથી, તેના નામ દ્વારા તમે જીવન પ્રાપ્ત કરી શકશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International