Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 32-34

અલીહૂનું ઉદ્બોદન

32 પછી અયૂબના ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું મૂકી દીધુ કારણકે અયૂબને એટલો આત્મ વિશ્વાસ હતો કે તે પોતે સાચે નિર્દોષ હતો. પરંતુ રામના કુળનો બુઝનો વંશજ બારાકેલનો પુત્ર અલીહૂ અયૂબ પર ગુસ્સે થયો હતો, કારણકે અયૂબ પોતાને નિર્દોષ અને દેવને દોષિત માનતો હતો. વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેનો ક્રોધ ચઢયો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તો પણ તેઓએ અયૂબને દોષિત ઠરાવ્યો હતો. તેઓ બોલતા હતાં ત્યારે અલીહૂ બોલ્યા વિના બેસી રહ્યો હતો, કારણકે તેઓ એનાથી ઉંમરમાં મોટા હતા; પણ જ્યારે એણે જોયું કે એ ત્રણેના મોંમા ઉત્તર નથી ત્યારે એને રોષ થયો હતો. બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે:

“હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો;
    માટે હું દબાઇ ગયો, અને મારો મત તમને જણાવવાની મારી હિંમત ચાલી નહિ.
મને લાગ્યું, ‘મોટેરાઓએ બોલવું જોઇએ,
    વયોવૃદ્ધોએ એમનું જ્ઞાન શીખવવું જોઇએ.’
પરંતુ માણસમાં રહેલો આત્મા વ્યકિતને ડાહ્યો બનાવે છે.
    ને સર્વસમર્થ દેવનો શ્વાસ લોકોને સમજાવે છે.
માત્ર મોટી ઉંમરવાળા બુદ્ધિમાન હોય છે, એમ નથી,
    અને વૃદ્ધો ન્યાય સમજે છે એમ હંમેશા હોતું નથી.

10 “માટે હું કહું છું કે, ‘મને સાંભળો;
    હું પણ મારો મત દર્શાવીશ.’
11 જુઓ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં રાહ જોઇ.
    જ્યારે તમે શબ્દો શોધતા હતા, હું તમારી દલીલો સાંભળતો હતો.
12 તમને મેં ધ્યાનથી સાંભળ્યા, પણ તમે કોઇએ અયૂબને ખોટો પાડ્યો નહિ.
    અયૂબને સામો જવાબ આપ્યો નહિ.
13 તમે ત્રણ જણાઓ કહી ન શકો કે તમને જ્ઞાન મળ્યુ.
    દેવે નહિ લોકોએ અયૂબની દલીલોનો જવાબ આપવો જેઇએ.
14 એ મારી સાથે દલીલમાં ઊતર્યો નથી,
    અને હું તમારી જેમ સામે જવાબ આપીશ નહિ.

15 “અયૂબ, તેઓ દલીલ હારી ગયા છે,
    તેઓ કંઇ વધારે સામો જવાબ આપતા નથી,
    એમની પાસે હવે શબ્દો રહ્યા નથી.
16 અયૂબ, તને જવાબ આપવા હું આ માણસોની રાહ જોતો હતો.
    પણ તેઓ ચૂપ રહ્યા.
    તેઓએ તમારી સાથે દલીલ કરવાનું બંધ કર્યુ છે.
17 ના, હવે હું મારે જે કંઇ કહેવાનું છે તે કહીશ,
    હું જે વિચારું છું તે કહીશ.
18 મારી પાસે ઘણી બાબતો કહેવા માટે છે
    મારી અંદરનો આત્મા મને ફરજ પાડે છે.
19 હું દ્રાક્ષારસની તે નવી બાટલી જેવો છું કે જે હજી ખોલી ન હોય.
    હું તે નવા દ્રાક્ષારસના ઢાંકણા જેવો છું કે જે ખોલાયા પછી ઊડવાની તૈયારીમાં હોય છે.
20 મારું મન સ્વસ્થ થાય માટે મારે બોલવું જ જોઇએ,
    મારે મોઢે અયૂબની દલીલોનો જવાબ આપવો જ જોઇએ.
21 હું કોઇનો પક્ષ નહિ લઉં,
    હું કોઇની પ્રશંસા નહિ કરું.
22 મને પ્રશંસા કરતાઁ નથી આવડતું,
    જો હું એમ કરું તો દેવ મને કબરની તરફ મોકલી દેશે!

33 “અને હવે, અયૂબ, હું જે કહું
    તે કૃપા કરીને ધ્યાનથી સાંભળ,
જો, હવે મેં મારું મોં ખોલ્યું છે,
    મારી જીભ બોલવાની તૈયારીમાં છે.
મારું હૃદય પવિત્ર છે, તેથી હું પ્રામાણિકતાથી બોલીશ,
    મારા હોઠો હું જે જાણું છું એ વિશે સચ્ચાઇથી બોલશે.
દેવના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે,
    સર્વસમર્થ દેવનો શ્વાસ મને જીવન આપે છે.
જો તારાથી બની શકે, તો તું મને ઉત્તર આપ;
    તારી દલીલો વિચારી લે અને મારી સાથે દલીલ કર.
દેવની નજરમાં તો હું તારા જેવો જ છું
    હું પણ માટીમાંથી જ પેદા થયો છું.
તારે મારાથી ડરવા જેવું કાંઇ નથી.
    હું તારી સાથે કઠોર નહિ થાઉં.

“મારી સુનાવણીમાં તમે કહ્યું છે,
    ‘તમારા એ શબ્દો મેં સાંભળ્યા હતા.’
હું નિર્મળ છું,
    ‘મે ખોટું કાંઇ કર્યુ નથી.
10 દેવ મારી વિરુદ્ધ થવા બહાનું શોધી કાઢે છે,
    દેવ મારી સાથે એક શત્રુ જેવો વર્તાવ કરે છે.
11 તે મારું એકેએક પગલું
    ધ્યાનથી જુએ છે.’

12 “જો, હું તને કહું છું કે એમાં તું સાચો નથી.
    દેવ માણસથી બહુ મહાન છે.
13 તું શા માટે એમની સાથે દલીલ કરે છે
    કે એ તારા એક પણ સવાલનો જવાબ આપતા નથી?
14 દેવ વારંવાર અનેક રીતે બોલતા હોય છે,
    પણ માણસ સમજતો નથી.
15 જ્યારે માણસો ગાઢ નિદ્રામાં હોય કે, પથારી પર ઝોકાં ખાતાં હોય,
    અને સ્વપ્નમાં, અથવા રાતના સંદર્શનમાં પડ્યાં હોય;
16 દેવ લોકોના કાન ખોલી નાખે છે,
    અને એમને ચેતવણી આપીને ભયભીત કરે છે.
17 અને એમ એ માણસને પાપ કરતાં અટકાવે છે,
    અભિમાનથી બચાવે છે,
18 દેવ, લોકોને ચેતવણી આપે છે જેથી તે તેઓને કબરમાં જતાં બચાવી શકે.
    માણસને વિનાશમાંથી બચાવવા માટે દેવ આમ કરે છે.

19 “તદુપરાંત, દેવ માણસને પથારીવશ કરીને સતત
    તેના હાડકાઓમાં પીડા મારફતે તે તેઓને સમજાવે છે.
20 પછી તે માણસ ખાઇ શકતો નથી.
    તે માણસને એટલી બધી પીડા થાય છે
    કે તેને સ્વાદિષ્ટ ભોજનનો પણ અણગમો થાય છે.
21 એનું શરીર સુકાઇ જાય છે
    અને ચામડી નીચેથી હાડકાં દેખાઇ આવે છે.
22 તે વ્યકિત કબરની પાસે છે.
    અને તેનુ જીવન મૃત્યુની નજીક છે.
23 દેવને હજારો દેવદૂતો છે.
    કદાચ તે દેવદૂતોમાંથી એક
    તે વ્યકિત પર બરોબર નજર રાખે.
24 અને તેના પર દયાળુ થઇને દેવને કહે છે કે,
    ‘એને કબરમાં ધકેલો નહિ,
    તેના પાપનો ચુકાદો કરવા મેં એક રસ્તો શોધી કાઢયો છે.’
25 તો એનો દેહ ફરીથી પાંગરે છે,
    એ ફરીથી જ્યારે તે યુવાન હતો તેવો બની જાય છે.
26 તે દેવને પ્રાર્થના કરે છે, અને દેવ તેની પ્રાર્થનાનો જવાબ આપે છે.
    અને તે વ્યકિત એનું મુખ જોઇને આનંદમાં આવી જઇ બૂમો પાડશે અને દેવની ઉપાસના કરશે.
    અને ફરીથી તે સારું જીવન જીવવા લાગશે.
27 તે માણસ પોતાના મિત્રની આગળ કબૂલ કરશે, ‘મેં પાપ કર્યુ હતું.
    મેં સારા ને ખરાબમાં બદલાવ્યુ હતું.
    પરંતુ દેવે હું જે સજાને પાત્ર હતો તે મને આપી નહિ.
28 તેમણે મને મોતના મુખમાંથી બચાવ્યો છે.
    હવે હું ફરીથી જીવનનો આનંદ માણી શકીશ.’

29 “દેવ તો માણસની સાથે એકવાર, બેવાર, વારંવાર આમ વતેર્ છે.
30 “તે મનુષ્યને ચેતવવા અને તેના આત્માને કબરમાંથી બચાવવા જેથી
    તે માણસ જીવનનો આનંદ માણી શકે.

31 “હે અયૂબ, હવે હું જે કહું તે ધ્યાનથી સાંભળ!
    તું મૌન રહે અને મને બોલવા દે.
32 પણ અયૂબ, તારે જો મારી સાથે સંમત થવું ન હોય,
    તો બોલવાનું ચાલુ રાખ, તારી દલીલ મને કહે કારણકે
    હું તને નિર્દોષ જાહેર કરવા માગું છુ
33 પણ જો તારે કાઇ કહેવાનું જ ન હોય,
    મારું સાંભળો, છાના રહો અને હું તમને ડહાપણના જ્ઞાનના પાઠ શીખવીશ.”

34 અલીહૂએ અનુસંધાનમાં આગળ બોલતા કહ્યું:

“હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ,
    તમે મારા કહેવા પર ધ્યાન આપો.
જેમ જીભ સ્વાદને ઓળખી શકે છે,
    તેમ કાન શબ્દોને પારખી શકે છે.
ચાલો આપણે પસંદ કરીએ કે સાચું શું છે,
    ચાલો આપણે નક્કી કરીએ કે સારું શું છે.
કારણ કે અયૂબે કહ્યું છે કે, ‘હું નિર્દોષ છું
    અને દેવ મારી સાથે ન્યાયી નથી.
હું નિર્દોષ છું છતાં હું જૂઠા બોલો તરીકે ગણાઉં છું;
    એમણે મને સતત જીવલેણ પ્રહાર કર્યો છે;
    પણ મેં કઇં વાંક ગુનો કર્યો નથી.’

“અયૂબના જેવો બીજો કોણ છે?
    અયૂબ જેટલી સરળતાથી પાણી પીએ છે તેટલી સરળતાથી તિરસ્કાર પી જાય છે.
એને દુષ્ટ લોકોનીં સંગત ગમે છે,
    એ દુષ્ટ લોકોની સાથે ફરે છે.
તેણે કહ્યું છે, ‘દેવને ખુશ કરવાથી તેમાઁ
    તેને કોઇ લાભ નથી.’

10 “તેથી હે શાણા માણસો,
    મારું સાંભળો દેવ કદી કંઇ ખોટું કરેજ નહિ,
    અને સર્વસમર્થ દેવ કદી કંઇ અનિષ્ટ કરે નહિ.
11 તે માણસે જે કર્યુ હશે તેનો બદલો
    તે માણસને દેવ આપશે.
12 દેવ ખોટું કરશે જ નહિ, અન્યાય કરશે
    જ નહિ. આના કરતાં વધારે સાચું કોઇ વિધાન નથી.
13 પૃથ્વી પર કામગીરી બજાવવા માટે કોઇએ દેવને પસંદ કર્યા નથી.
    કોઇએ દેવને આખી દુનિયાની જવાબદારી સોંપી નથી.
દેવેજ બધી વસ્તુઓ બનાવી છે
    અને તે વસ્તુઓ પર હમેશા તેમની જ સત્તા રહી છે.
14 જો દેવ પોતાનો આત્મા
    અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે.
15 તો તમામ સજીવોનો વિનાશ થાય
    અને માણસ જાત પાછી ધૂળ ભેગી થઇ જાય.

16 “જો તમારામાં સમજ શકિત હોય તો
    મને સાંભળો! મારા શબ્દો ધ્યાનમાં રાખો.
17 જે ન્યાયને ધિક્કારે, તો એ કદી રાજ ચલાવી શકે?
    દેવ ન્યાયી અને પરાક્રમી છે.
    શું તને લાગે છે તું તેને દોષિત ઠરાવી શકીશ?
18 શું દેવ કદી રાજાઓને કહે છે કે, ‘તમે નકામા છો’
    અથવા રાજકુમારોને કે, ‘તમે દુષ્ટ છો?’
19 દેવ રાજકર્તાઓને બીજા લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી,
    ધનવાનોને ગરીબ લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી.
    કારણ કે બધા તેના હાથે સર્જાયેલા છે.
20 એક ક્ષણમાં, મધરાતે પણ, તેઓ મૃત્યુ પામે છે.
    જ્યારે દેવ પ્રહાર કરે છે, બળવાન પણ મરી જાય છે.
    મહાન લોકો અદ્રશ્ય થઇ જાય છે અને તેમાં માણસનો હાથ સંડોવાયેલો નથી.

21 “કારણકે, દેવની નજર માણસની ચાલચલગત પર હોય છે.
    તે તેની સઘળી વર્તણૂક જુએ છે.
22 દુષ્ટ માણસને સંતાડી શકે એવો
    કોઇ પડદો કે અંધકાર નથી.
23 દેવને લોકોની વધુ પરીક્ષા કરવા માટે સમય પસંદ કરવાની જરૂર નથી.
    દેવને લોકો વિશે અભિપ્રાય આપવા તેમને સામે લાવવાની જરૂર નથી.
24 જો શકિતશાળી લોકો પણ દુષ્કર્મ કરે,
    તો દેવને તેઓને માટે પ્રશ્ર્ન કરવાની જરૂર નથી.
તે સર્વથા તે લોકોનો વિનાશ કરશે
    અને બીજાઓને નેતા તરીકે નિયુકત કરશે.
25 તેથી દેવ જાણે છે કે લોકો શું કરે છે એજ કારણે દેવ રાતોરાત
    દુષ્ટ લોકોને પાયમાલ કરશે અને તેઓનો નાશ કરશે.
26 દેવ દુષ્ટ લોકોને તેઓએ જે દુષ્કર્મો કર્યા છે
    તેને માટે બીજાઓ જ્યારે જોતા હશે ત્યારે સજા કરશે.
27 કારણકે તેઓ દેવથી પાછા ફરી ગયા છે,
    તેઓ એના માર્ગને અનુસરવા માગતા નથી.
28 તેમનો પોકાર દેવ સુધી પહોંચે છે
    અને દેવ એ દુ:ખી લોકોનો સાદ સાંભળે છે.
29 પણ જો દેવ તેઓને મદદ ન કરવાનો નિશ્ચય કરે તો
    કોઇપણ દેવને દોષિત ઠરાવી શકે તેમ નથી.
જો દેવ પોતે લોકોથી સંતાઇ જાય તો
    કોઇ તેને શોધી શકે તેમ નથી.
30 અને જો તે લોકોને પાપ કરવાનું કારણ શાસન
    છે તો દેવ તેને તેની સત્તા પરથી ઊતારી નાખશે.

31 “શું કોઇએ ઇશ્વરને એમ કહ્યું છે કે,
    ‘હું ગુનેગાર છું, હવે પછી હું કદી પાપ કરીશ નહિ.
32 દેવ, હું તમને જોઇ શકતો નથી તે છતાં મને જીવવાની સાચી રીત
    મને શીખવશો જો મેં ખોટું કર્યુ હોય તો હું ફરી એવું કરીશ નહિ.’
33 અયૂબ, તને દેવ પાસેથી ફળ જોઇએ છે.
    પણ તારે તે બદલવું નથી.
અયૂબ એ તારો નિર્ણય છે અને મારો નથી.
    મને કહે તું શું જાણે છે.
34 ડાહ્યો માણસ મને સાંભળશે
    ડાહ્યો માણસ કહેશે.
35 ‘અયૂબ જ્ઞાન વગર બોલે છે.
    એના શબ્દોમાં કોઇ તાત્પર્ય નથી.’
36 મને લાગે છે કે અયૂબને વધારે સજા થવી જોઇએ.
    કારણકે અયૂબ અમને
દુષ્ટ માણસો જેવા જવાબ આપે છે.
    અંત સુધી તેની કસોટી થવી જોઇએ.
37 અયૂબ તેના બીજા પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે.
    અયૂબ ત્યાં અમારું અપમાન કરી અમારી પહેલા બેસે છે.
    અને તે દેવની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International