Chronological
અયૂબનો જવાબ
21 પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું:
2 “હું જે કહું તે ધ્યાનથી સાંભળો
અને મને એટલો તો દિલાસો આપો.
3 મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી કરજો.
પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખો.
4 “શું મારી ફરિયાદ માણસ સામે છે?
હું શા માટે અધીરો ના થાઉં?
5 મારી દશા તો જુઓ! અને આઘાત પામજો મહેરબાની કરીને
તમારા મોઢા પર તમારો હાથ મૂકી અને ઢાંકી દેશો.
6 હું યાદ કરું છું ત્યારે ગભરાઇ જાઉં છું.
હું ભયથી જી ઊઠું છું.
7 શા માટે દુષ્ટ માણસો લાંબુ જીવે છે?
શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે?
8 દુષ્ટ લોકો તેમના સંતાનોને મોટાં થતા જુએ છે.
દુષ્ટ લોકો પોતાના પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.
9 એમનાં ઘર સુરક્ષિત હોય છે, તેઓ ડરતા નથી તેઓને સજા
આપવા માટે દેવ લાકડીનો ઊપયોગ કરતા નથી.
10 તેઓના બળદો જાતીય સંબધ બાંધવામાં કદી નિષ્ફળ જતા નથી.
તેઓની ગાયો વાછરડાંઓને જન્મ આપે છે અને વાછરડાંઓ મરેલા જન્મતા નથી.
11 દુષ્ટ લોકો તેઓના સંતાનોને ઘેટાંના બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે.
તેઓના સંતાનો આસપાસ નાચે છે.
12 તેઓ નાચગાનમાં પોતાનો સમય પસાર કરે છે, તેઓ વાંસળી, સારંગી અને ખંજરીના તાલે ગાય છે અને ઝૂમે છે.
13 દુષ્ટ લોકો તેઓના જીવન દરમ્યાન સફળ થવાનો આનંદ માણે છે.
ત્યાર પછી તેઓ મૃત્યુ પામે છે અને પીડા વગર તેઓની કબરમાં જાય છે.
14 તો પણ દુષ્ટ લોકો દેવને કહે છે, ‘અમને એકલા મૂકી દો’
તમે અમારી પાસે શું કરાવવા માગો છો તેની અમને ચિંતા નથી.
15 તેઓ કહે છે, ‘સર્વસમર્થ દેવ કોણ છે?
અમારે તેમની સેવા શા માટે કરવી જોઇએ?
શું એમને પ્રાર્થના કરીને કાઇ નહિ વળે?’
16 “એ સાચું છે કે દુષ્ટ લોકો પોતાની જાતે સફળ થયા નથી.
હું તેઓની સલાહ પ્રમાણે અનુસરી શકતો નથી.
17 પણ કેટલીવાર દેવ અવારનવાર
દુષ્ટ લોકોનો દીવો ફૂંક મારીને ઓલવે છે?
કેટલીવાર દુષ્ટ લોકોને સમસ્યાઓ હોય છે?
18 આપણે એને કેટલીવાર હવામાં ખરસલાંની જેમ ઊડી જતો જોયો છે?
વંટોળિયામાં ફોતરાઁની જેમ ફૂકાંઇ જતો જોયો છે?
19 તમે કહેશો, ‘દેવ તેઓના પાપની સજા તેઓના સંતાનોને કરે છે.’
પણ દેવ જો તેઓને સજા કરે, તોજ તેઓને જાણ થશે કે તેઓ તેઓના પોતાના પાપોને લીધેજ સજા ભોગવી રહ્યાં છે!
20 પાપીને પોતાની સજા જોવા દો.
તેને સર્વસમર્થ દેવનો ક્રોધ અનુભવવા દો.
21 જ્યારે દુષ્ટ માણસના જીવનનો અંત આવે છે, અને તે મરી જાય છે,
તે તેની પાછળ રહેલા કુટુંબની ચિંતા કરતો નથી.
22 “માણસ શું દેવને પાઠ ભણાવી શકશે?
દેવ ઉચ્ચ સ્થાનના લોકોનો પણ અભિપ્રાય બાંધે છે.
23 કોઇ માણસ મરી જાય છે ત્યાં સુધી તંદુરસ્ત રહે છે
તથા સુખચેનમાં રહે છે.
24 તેના શરીરને સારું પોષણ મળ્યું હતું
અને તેના હાડકાં હજીપણ મજબૂત હતા.
25 પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે,
અને કદી સુખનો અનુભવ કરતો નથી.
26 પણ માટીમાં તો એ બંને એક સાથે મળી જાય છે
અને જીવડાં તેઓ બંને ઉપર પથરાઇ જાય છે અને તેમને ઢાંકી દે છે.
27 “જુઓ, તમારા વિચારો હું જાણું છું
અને હું જાણું છું તમે મને દુ:ખ પહોચાડવા માગો છો.
28 તમે કહો છો, ‘એ મહાશયનું ઘર ક્યાં છે?
એ દુષ્ટ માણસ વસતો હતો તે જગા ક્યાં છે?’
29 “શું તમે રસ્તે જનારાઓને પૂછયું?
તમે ખાત્રીપૂર્વક તેઓની વાતો માનશો?
30 ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે.
દેવના કોપમાંથી દુષ્ટ ઊગરી જાય છે.
31 તેણે જે દુષ્કર્મો કર્યા તે માટે તેને કોઇ જાહેરમાં ઠપકો આપી શકતું નથી.
તેણે જે કર્યુ છે તે માટે તેને સજા આપનાર કોઇ નથી.
32 ઊલટું તેની કબરનુ રક્ષણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેને માન અપાય છે.
33 એની કબરમાં માટી પણ એની આસપાસ નરમાશથી પથરાઇ જાય છે.
એની આગળ અને પાછળ મોટી મેદની હોય છે.
34 “અને તમે! શા માટે મને ખોટા આશ્વાસન આપો છો?
તમારા એક એક જવાબ સદંતર જૂઠા છે.”
અલીફાઝનો ત્રીજો સંવાદ
22 ત્યારે અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,
2 “શું કોઇપણ માણસ દેવને ઉપયોગી છે?
ડાહ્યામાં ડાહ્યો માણસ પણ દેવને ઉપયોગી છે ખરો?
3 તું સાચી રીતે જીવે તો પણ તેથી દેવને શું?
તારું વર્તન ગમે તેટલું નિર્દોષ હોય તો પણ તેથી દેવને શો ફાયદો?
4 અયૂબ, દેવ તને શા માટે સજા આપે છે, અને તારો વાંક કાઢે છે?
તું તેની ઉપાસના કરે છે એટલા માટે?
5 તારા અનિષ્ટો ઘણા ભયંકર છે,
તારાં પાપ પાર વિનાનાં છે.
6 કદાચ તેઁ તારા ભાઇને થોડા પૈસા ઊછીના આપ્યા હોય
અને તે તને પાછા આપશે તેની સુરક્ષાનો પૂરાવો આપવાનો આગ્રહ કર્યો હોય.
કદાચ એમ હોય કે તેઁ ઉછીના પૈસાના દેણા માટેના વચન તરીકે ગરીબ માણસના કપડાં લીધા હોય.
તેઁ આ કદાચ કારણ વગર કર્યું છે.
7 કદાચ તમે તરસ્યાને પાણી પાયું નહિ હોય,
તમે ભૂખ્યાને રોટલો આપ્યો નહિ હોય.
8 અયૂબ, તમે પુષ્કળ જમીનની માલિકી ધરાવો છો.
અને લોકો તમને માન આપે છે.
9 કદાચ તમે વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે.
તમે કદાચ અનાથોને છેતર્યા છે.
10 તેથી તારી ચારેતરફ ફાંસલો છે,
અને અણધારી આફત તને ડરાવી મૂકે છે.
11 એટલા માટે તું અંધકારમાં જોઇ શકતો નથી,
અને પુરના પાણી તને ઢાંકી દે છે.
12 “શું દેવ આકાશમાં, ઊંચ્ચસ્થાનમાં, નથી?
તારાઓની ઊંચાઇ જો, તેઓ કેટલાં ઊંચા છે.
13 અને છતાં તું કહે છે, ‘દેવ શું જાણે છે?
કાળા વાદળોની[a] આરપાર જોઇને તે આપણા વિશે અભિપ્રાય કેવી રીતે આપી શકવાનો છે?
14 જેવો તે આકાશની ધાર પર ચાલે છે,
ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે કાંઇ જોઇ શકતો નથી.’
15 “અયૂબ, તું પ્રાચીન માર્ગમા ચાલી રહ્યો છે
જેના પર દુષ્ટ લોકો પહેલા ચાલતા હતા.
16 તે દુષ્ટ લોકો, તેઓનો મૃત્યુનો સમય આવે
તે પહેલાંજ નાશ પામી ગયા હતા.
17 કારણકે તેઓ દેવને કહેતા હતાં કે, ‘તમે અમારાથી દૂર ચાલ્યા જાઓ;
સર્વસમર્થ દેવ તમે અમને શું કરી શકવાનાં છો?’
18 તેમ છતઁા પણ દેવે જ એમનાં ઘર ખજાનાથી ભર્યા હતા ના!
હું દુષ્ટ લોકોની સલાહ પ્રમાણે અનુસરી શકતો નથી.
19 ભલા લોકો તેમનો નાશ થતો જોઇને ખુશ થશે.
અને નિર્દોષો દુષ્ટો પર હસશે.
20 તેઓ કહે છે, ‘જુઓ, બાકી રહેલા અમારા દરેક શત્રુઓનો નાશ થઇ ગયો છે.
અને અગ્નિ તેઓની સંપતિને ભરખી જાય છે.’
21 “અયૂબ, હવે તું તારી જાત દેવને સમર્પિત કરી દે,
અને તેની સાથે સુલેહ કર, જેથી તારું ભલું થશે.
22 કૃપા કરીને એના મોઢેથી એનો બોધ સાંભળ અને સ્વીકાર કર.
એની વાણી તારા હૃદયમાં ધારણ કર!
23 જો તું સર્વસમર્થ દેવ પાસે પાછો વળે તો તારો પુનરોદ્ધાર થશે.
પાપને તારા ઘરથી દૂર રાખજે.
24 જો તું તારું ધન ધૂળ સમાન ગણીશ
અને કંચનને કથીર સમાન માનીશ,
25 ભલે સર્વસમર્થ દેવ તારું સોનું
અને ચાંદીનો સંગ્રહ બને.
26 તો સર્વસમર્થ દેવ તારો પરમ આનંદ બની જશે.
અને તું દેવ સામે નજર મેળવીશ.
27 તું જે કઇં અરજ કરીશ તે એ સાંભળશે,
અને પછી તું તારી માનતાઓ પૂરી કરી શકીશ.
28 તારી સર્વ યોજનાઓ સફળ થશે.
તારા માર્ગમાં આકાશનું તેજ ઝળહળશે.
29 દેવ અભિમાનીને પાડે છે
અને નમ્રને બચાવે છે.
30 તે જેઓ નિર્દોષ નથી તેઓને પણ ઉગારે છે,
તારા હાથ ચોખ્ખા હશે તો તને પણ ઉગારશે.”
અયૂબનો જવાબ
23 ત્યારે અયૂબે જવાબ આપ્યો કે,
2 “આજે પણ મારી વાણીમાં ફરિયાદ અને કડવાશ છે.
કારણકે હું હજી પણ પીડા સહન કરું છું.
3 હું ઇચ્છું છું, હું જાણતો હોત, હું દેવને ક્યાં શોધી શકીશ.
હું તેના સ્થાને આવી શકત!
4 હું મારી દલીલો દેવને સમજાવીશ.
મારી નિર્દોષતા બતાવવા મારું મોઢું દલીલોથી ભરેલું હશે.
5 મારે જાણવું છે, દેવ મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે.
મારે દેવના જવાબો સમજવા છે.
6 શું દેવ તેની શકિતનો મારી સામે ઊપયોગ કરશે?
ના, હું જે કઇં કહું તે જરૂર સાંભળશે.
7 હું એક પ્રામાણિક માણસ છું. દેવ મને મારી દલીલો કહેવા દેશે.
પછી મારો ન્યાયાધીશ મને મુકત કરશે.
8 “પણ હું પૂર્વમાં આગળ વધું છું અને એ ક્યાંય જડતાં નથી.
હું પશ્ચિમમાં જોઉં છું અને એ ક્યાંય નજરે પડતા નથી.
9 જ્યારે દેવ ઉત્તરમાં કામ કરે છે તે ત્યાં દેખાતા નથી.
જ્યારે દેવ દક્ષિણ તરફ ફરે છે તે ત્યાં પણ દેખાતા નથી.
10 પણ દેવ તો જાણે છે કે હું ક્યા માર્ગે જાઉં છું.
એ મને કસી જોશે ત્યારે હું સુવર્ણ જેવો શુદ્ધ પુરવાર થવાનો છું.
11 હું દેવના માર્ગોમાં રહ્યો છું. તેમને પગલે ચાલ્યો છું.
હું આમતેમ ભટકી ગયો નથી.
12 તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું.
હું મારું ધાર્યુ નહિ, એનું ધાર્યું કરૂં છું.
13 “પરંતુ દેવ બદલાતા નથી. કોઇપણ તેની સામે ઊભું રહી શકતું નથી.
દેવ તેને જે કરવું હોય તેજ કરે છે.
14 તેમણે મારે માટે જે યોજના બનાવી છે તે પ્રમાણે જ તે કરશે.
અને તેની પાસે મારે માટે બીજી ઘણી યોજનાઓ છે.
15 એજ કારણે હું તેમની હાજરીમાં જું છું.
જ્યારે હું આ બાબતો વિશે વિચાર કરું છું ત્યારે હું તેનાથી ગભરાઇ જાઉં છું.
16 દેવે મારું મન નબળું પાડી દીધું છે.
એમાં સર્વસમર્થ દેવે ડર પેસાડી દીધો છે.
17 મારી સાથે બનેલા દુષ્ટ બનાવો મારું મુખ ઢાંકતા કાળા વાદળ જેવા છે.
પણ તે અંધકાર મને ચૂપ રહેવા દેશે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International