Book of Common Prayer
દાઉદનું ગીત.
1 આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે,
આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
2 તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે,
અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.
3 યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
4 ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે,
તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી,
તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી,
અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.
5 તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે,
અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
6 તેઓ પેઢીના લોકો છે
તેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.
7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો!
હે પ્રાચીન પ્રવેશદ્વારો,
ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
8 તે ગૌરવવાન રાજા કોણ છે?
એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે,
તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.
9 હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો.
અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો.
હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ;
અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે?
યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.
દાઉદનું ગીત.
1 હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
2 યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
આવો અને તેમનું ભજન કરો.
3 યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
4 યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
5 યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
6 યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
7 યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
8 યહોવાના સાદના પડઘા રણને,
અને કાદેશના રણને ધ્રુજાવે છે.
9 યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”
10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.
નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.
1 હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.
2 નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
3 હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
4 પછી મને આશ્ચર્ય થાય છે,
કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?
5 કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
6 તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
7 એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
8 વળી આકાશનાં પક્ષીઓ,
સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
9 હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.
નિર્દેશક માટે. ગિત્તિથ સાથે ગાવા માટે કોરાહના કુટુંબનું સ્તુતિગીત.
1 હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે!
2 તમારા આંગણામાં આવવા માટે
મારો આત્મા ખૂબ ઉત્સુક છે;
જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
3 હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ,
ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન
તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા
તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.
4 તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે;
તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે.
5 જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય
તમારા માર્ગો માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.
6 તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે.
જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે.
પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.[a]
7 તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે;
તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.
8 હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો;
હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.
9 હે દેવ, અમારી ઢાલને જુઓ;
તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો.
10 કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં
તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે,
દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું,
તે મને વધારે પસંદ છે.
11 કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે,
યહોવા કૃપા તથા ગૌરવ આપશે;
ન્યાયથી વર્તનારને માટે તે કંઇ
પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે;
જે રાખે છે ભરોસો તમારા ઉપર.
યૂસફને સ્વપ્ન જાણવા માંટે બોલાવાયો
14 પછી ફારુનને યૂસફને તેડવા માંટે માંણસો મોકલ્યા, ને તેઓ તેને ઝટપટ કારાગારમાંથી બહાર કાઢી લાવ્યા; પછી તેણે હજામત કરાવી, કપડાં બદલ્યાં અને તે ફારુન પાસે આવ્યો. 15 ફારુને યૂસફને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે, પણ તેનો અર્થ સમજાવનાર કોઇ નથી. મેં તમાંરા વિષે એવું સાંભળ્યું છે કે, જો તમને સ્વપ્ન કહેવામાં આવે તો તમે તેનો અર્થ કહી શકો છો.”
16 પછી યૂસફે ફારુનને જવાબ આપતા કહ્યું, “અર્થ કરનાર હું કોણ? ફારુનનું જેમાં કલ્યાણ હોય એવો જવાબ તો દેવ જ આપશે.”
17 પછી ફારુનને યૂસફને કહ્યું, “જુઓ, માંરા સ્વપ્નમાં હું નાઇલ નદીને કાંઠે ઊભો હતો; 18 અને સાત સુંદર તંદુરસ્ત પુષ્ટ ગાયો નદીમાંથી નીકળીને બીડમાં ચરતી હતી; 19 અને જુઓ, તેમની પછવાડે બીજી સાત પાતળી, કદરૂપી અને સૂકલકડી ગાયો નીકળી, આવી કદરૂપી ગાયો મેં કદી આખા મિસરમાં જોઈ નહોતી. 20 અને એ સૂકલકડી કદરૂપી ગાયો પેલી હૃષ્ટપુષ્ટ સાત ગાયોને ખાઈ ગઈ. 21 પણ તેમ છતા કોઇ ન કહી શકે કે, તેમણે સ્વસ્થ ગાયો ખાધી છે, કેમકે તેઓ તો પહેલાંના જેવી જ કદરૂપી અને પાતળી જ લાગતી હતી. પછી હું જાગી ગયો.
22 “ફરી આંખ મળતાં બીજું સ્વપ્ન આવ્યું. મેં એક જ સાંઠા ઉપર ઊગેલાં સાત સારાં ભરાયેલાં દાણાવાળાં ડૂંડા જોયાં. 23 અને પછી તેઓની પાછળ જ સૂકાયેલાં તથા હલકાં, ચિમળાઈ ગયેલાં પાતળાં અને લૂથી બળી ગયેલાં ડૂંડા ફૂટી નીકળ્યાં. 24 અને પછી તે હલકાં-પાતળાં ડૂંડા પેલા સાત સારાં ડૂંડાને ગળી ગયાં.
“તેથી મેં માંરા જોષીઓને તથા જાદુગરોને આ સ્વપ્ન વિષે પૂછયું, પણ તેઓમાંથી પણ કોઇ મને એનો અર્થ બતાવી શક્યું નહિ.”
યૂસફે સ્વપ્નનો અર્થ સમજાવ્યો
25 ત્યારબાદ યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનાં બંને સ્વપ્નનો અર્થ તો એક જ છે. હવે દેવ શું કરનાર છે એ તેણે ફારુનને દર્શાવ્યું છે.” 26 સાત સારી ગાયો અને સાત સારાં ડૂંડા એ સાત સારાં વર્ષ છે. 27 તેમની પછવાડે જે સાત પાતળી અને કદરૂપી ગાયો નીકળી તે પણ સાત વર્ષ છે. અને લૂથી બળી ગયેલાં સાત ખાલી ડૂંડાં પણ દુકાળનાં સાત વર્ષ છે. 28 દેવે તમને તે શું કરવા માંગે છે અને નજીકના ભવિષ્યમાં શું થવાનું છે તેની ફારુનને જાણ કરી છે. 29 જુઓ, સમગ્ર મિસરમાં તમાંરી આબાદીનાં તથા ધણી જ પુષ્કળતાના સાત વર્ષ આવશે. 30 અને ત્યારબાદ સાત વર્ષ દુકાળના આવશે. આખા મિસરમાં લોકો આબાદીની વાતો ભૂલી જશે. એ દુકાળ દેશનો સર્વનાશ કરશે; 31 અને એ દુકાળ એવો ભયંકર હશે કે, દેશમાં કયાંય આબાદીનું નામનિશાન જોવા પણ નહિ મળે.
32 “અને ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તેનો અર્થ એ કે, દેવ તરફથી આ વાત નક્કી થઈ ગયેલ છે. અને દેવ તેને થોડા સમયમાંજ પૂર્ણ કરશે. 33 તેથી કરીને હવે ફારુને કોઈ બુદ્વિમાંન અને જ્ઞાની પુરુષને પસંદ કરીને મિસર દેશનો વહીવટ સોંપી દેવો જોઈએ. 34 દેશભરમાં ફારુને અમલદારો નિયુકત કરવા જોઈએ અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મિસરમાંથી પાકનો પાંચમો ભાગ વસૂલ કરવો જોઈએ. 35 અને જે સાત સારાં વર્ષ આવે તે દરમ્યાન બધી જ જાતનું અનાજ ભેગું કરવું જ. અને ફારુનના તાબા નીચે પ્રત્યેક શહેરમાં તેને સાચવવું જોઈએ. 36 અને મિસરમાં દુકાળનાં જે સાત વર્ષ આવશે, ત્યારે એ અનાજનો જથ્થો કામ આવશે. અને દુકાળથી દેશનો નાશ થતો અટકી જશે.”
37 આ સલાહ ફારુન અને તેના બધા અમલદારોને પસંદ પડી. તેથી ફારુને પોતાના અમલદારોને કહ્યું. 38 “આ યોજનાને પાર પાડવા માંટે યૂસફ યોગ્ય માંણસ છે. એનાથી સારો માંણસ આપણને ન મળે, તેની અંદરનો દેવનો આત્માં તેને ઘણો શાણો બનાવે છે!”
39 તેથી ફારુને યૂસફને કહ્યું, “યૂસફ જ આ કામ સંભાળવા માંટે લાયક વ્યકિત છે, આની કરતા વધારે લાયકાતવાળું આપણને કોઇ નહિ મળે. દેવનો આત્માં એનામાં છે, જેનાથી એ ખૂબ બુધ્ધિમાંન છે. 40 માંટે તું જ માંરો દેશ સંભાળી લે. તારી આજ્ઞાનું પાલન માંરી બધી જ પ્રજા કરશે. ફકત આ રાજગાદીને કારણે જ હું તારા કરતાં મોટો હોઈશ.”
41 વળી તેણે યૂસફને કહ્યું, “જો મેં તને આખા મિસરનો વહીવટ સોંપ્યો છે.” 42 આમ કહીને ફારુને પોતાના હાથની મુદ્રા લઈને યૂસફના હાથે પહેરાવી દીધી, ને તેને મલમલનાં વસ્ર પહેરાવ્યાં અને ગળામાં સોનાનો હાર પહેરાવ્યો. 43 પછી તેણે યૂસફને પોતાના પછીના ઉત્તમ રથમાં બેસાડીને ફેરવ્યો. લોકોએ તેની આગળ દયા પોકારી: “વંદન હો” એવી છડી પોકારી. ફારુને આ રીતે યૂસફને આખા મિસર દેશનો શાસનકર્તા બનાવ્યો.
44 અને તેણે યૂસફને કહ્યું, “હું ફારુન છું; રાજા છું, તેથી માંરી મરજી મુજબ વર્તીશ, પરંતુ તારી પરવાનગી વિના આખા મિસર દેશમાં કોઈ હાથ કે, પગ હલાવશે નહિ.” 45 પછી ફારુને યુસફનું નામ સાફનાથ-પાનેઆહ રાખ્યું. અને તેને ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથને પરણાવી. પછી યૂસફ મિસર દેશમાં ફરવા માંટે નીકળ્યો.
3 જ્યારે આપણે બાપ્તિસ્મા પામ્યા હતા ત્યારે આપણે સૌ ખ્રિસ્ત ઈસુ સાથે એકરૂપ થયા હતા, એ તમે શું ભૂલી ગયા છો? આપણા બાપ્તિસ્માથી આપણે તેના મૃત્યુ સાથે ભાગીદાર બન્યા હતા. 4 કારણ કે જ્યારે આપણું બાપ્તિસ્મ થયું ત્યારે આપણે પણ તેની સાથે મરણમાં દટાયા અને તેના મૃત્યુમાં ભાગીદાર થયા. આ રીતે બાપના મહિમાથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊભો થયો તેમ આપણે પણ ઊભા થઈ શકીશું અને નવું જીવન જીવીશું.
5 ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, અને આપણે પણ આપણા મૃત્યુથી ખ્રિસ્ત સાથે જોડાયા છીએ. તેથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામ્યો તેમ આપણે પણ મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામીને તેની સાથે જીવનમાં એકરૂપ થઈશું. 6 આપણે જાણીએ છીએ કે વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુની સાથે જ આપણા જૂનાં માણસપણાનો અંત આવ્યો હતો. આપણા પાપમય ભૂતકાળની કોઈ અસર નવા જીવન પર ન પડે, અને (વળી પાછા) આપણે પાપના ગુલામ ન બનીએ માટે આમ થયું. 7 જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને મૃત્યુની સત્તામાંથી મુક્ત કરવામાં આવે છે.
8 આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામ્યા તેથી આપણે માનીએ છીએ કે આપણે તેની સાથે નવુ જીવન પામીશું. 9 મૃત્યુમાંથી ખ્રિસ્તને પુર્નજીવિત કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે તે હવે ફરીથી કદી મૃત્યુ પામી શકશે નહિ. હવે તેના પર મૃત્યુની કોઈ સત્તા નથી. 10 હા, જ્યારે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો ત્યારે તે જ સમયે મૃત્યુની સત્તાને પરાસ્ત કરવા મર્યો હતો તે સદાને માટે પૂરતું હતું. હવે તે જીવે છે, એટલે દેવના સંબંધમાં તે જીવે છે. 11 એ જ પ્રમાણે, તમારી ઉપર પણ પાપની સત્તાનો હવે અંત આવ્યો છે. અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવ-પ્રાપ્તિ સારું તમે હવે જીવંત છો, એવું તમારી જાત વિષે તમે વિચારો.
12 તમારા ર્મત્ય શરીરમાં પાપને રાજ કરવા ન દો અને તમારી પાપની દુર્વાસનાને આધીન થશો નહિ. તમારું પાપયુક્ત શરીર જો તમને પાપકર્મ કરવા પ્રેરતું હોય તો તમારે એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવું નહિ. 13 પાપકર્મમાં તમારા શરીરનાં અવયવોને સમર્પિત ન કરો. અનિષ્ટ કાર્યો કરવાના સાધન તરીકે તમે તમારાં શરીરોનો ઉપયોગ ન કરો. પરંતુ તમારે પોતે દેવને સમર્પિત થઈ જવું જોઈએ. જે લોકો મરણ પામીને પણ હવે ફરીથી સજીવન થયા છે એવા તમે થાવ. તમારાં શરીરનાં અવયવો દેવને સમર્પિત કરો જેથી શુભ કાર્યો માટે એનો ઉપયોગ થાય. 14 હવે “પાપ” તમારો “માલિક” થઈ શકશે નહિ. શા માટે? કેમ કે તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી. હવે તમે દેવની કૃપા હેઠળ જીવી રહ્યા છો.
ઈસુ પાસે દેવની સત્તા છે
19 પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે જ માત્ર કરે છે. પિતા જે કરે છે તે જ કામ દીકરો કરે છે. 20 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું જ દીકરાને દેખાડે છે; આ માણસ સાજો થયો હતો, પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે. પછી તમે બધા નવાઈ પામશો. 21 પિતા મૂએલાઓને ઊઠાડે છે અને તેઓને સજીવન કરે છે. તે જ રીતે દીકરો પણ તેની ઈચ્છા હોય તો મૂએલાઓને સજીવન કરે છે.
22 “કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી. પરંતુ પિતાએ ન્યાય કરવાની સર્વ સત્તા દીકરાને આપી છે. 23 દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે.
24 “હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International