Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 95

આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
    આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
    અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
કારણ, યહોવા મહાન દેવ છે;
    તે સર્વ દેવો પર મહાન રાજા છે.
તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
    અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
    પણ બનાવી તેમના તે માલિક છે.
આવો આપણે તેને ભજીએ અને નમીએ;
    ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
કારણ તે આપણા દેવ છે,
    આપણે તેના ચારાના લોક
    અને તેના હાથના ઘેટાં છીએ.

આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
    દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
    પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
    પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
    તે લોકો અવિનયી છે.
    તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
    કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
    તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”

ગીતશાસ્ત્ર 40

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ,
    તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.
યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો,
    તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો,
તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા,
    અને મારા પગલા સ્થિર કર્યા.
તેમણે આપણા દેવનું સ્તોત્ર,
    મારા મુખમાં મૂક્યું છે,
એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે;
    અને યહોવા પર ભરોસો રાખશે.
જે યહોવાનો વિશ્વાસ કરે છે તે ને ધન્ય છે.
    તે દૈત્યો પાસે અને ખોટા દેવ પાસે મદદ માટે જતો નથી.
હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે.
    તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે.
તમારા જેવું કોઇ નથી!
    હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.

તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી.
    તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી.
    તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ
    ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું.
    તમારો નિયમ મારા હૃદયમાં છે.”
એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે,
    હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
10 મેં કયારેય તમારી નિષ્પક્ષતાને
    મારા હૃદયમાં છુપાવી નથી.
મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા
    અને તારણ વિષે જાહેરાત કરી છે.
11 હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો.
    તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.

12 કારણ, મારા માથે સમસ્યાઓનો
    ઢગલો ખડકાયો છે;
મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે
    હું દબાઇ ગયો છું મારા પાપો
મારા માથાના વાળથીયે વધારે છે.
    મેં મારી હિંમત ગુમાવી છે.
13 હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો.
    હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
14 હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે
    તેઓ ફજેત થાઓ
    અને પરાજય પામો જેઓ
મારું નુકશાન કરવા માગે છે
    તેઓ શરમથી નાસી જાઓ.
15 જેઓ મારી મજાક કરે છે;
    તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
16 યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો.
    ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”

17 હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો;
    હે મારા દેવ,
તમે મારા સહાયક તથા મુકિતદાતા છો;
    માટે હવે વિલંબ ન કરશો.

ગીતશાસ્ત્ર 54

નિર્દેશક માટે. વાજીંત્ર સાથે ગાવા માટે દાઉદનું માસ્કીલ. જ્યારે ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું કે, “દાઉદ અમારી વચ્ચે સંતાઇ રહ્યો છે.” ત્યારનું ગીત.

હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો;
    અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
હે દેવ, મારી પ્રાર્થના સાંભળો;
    મારા મોઢાંની વાતો કાને ઘરો.
વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે,
    મારો જીવ લેવા ઇચ્છે છે. “દેવ છે” એ હકીકતની તેમને દરકાર નથી.

યહોવા દેવ, મને સહાય કરનાર છો,
    મારા જીવનનો એજ આધાર છે.
યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે,
    હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.

હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું;
    હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.
દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે;
    મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે.

ગીતશાસ્ત્ર 51

નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.

હે પ્રેમાળ દયાળુ દેવ!
    મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
    મારા પાપો ભૂંસી નાખો.
હે યહોવા, મારા અપરાધ
    અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
    હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
    હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
    તેથી તમે તમારા નિર્ણયો
    અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
હું પાપમાં જન્મ્યો હતો,
    મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
    મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
    અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
    જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
મારા પાપો તરફ જોશો નહિ,
    ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
    અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
    અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
    મારા આત્માને મજબૂત,
    તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
    અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
    મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
    અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
    એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
    તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
    પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.

18 દેવ, તમે સિયોનનું ભલું કરો,
    અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે,
    અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,
    દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.

ઉત્પત્તિ 40

યૂસફ કેદીઓનાં સ્વપ્નનો અર્થ કરે છે

40 આ બધું થયા પછી એમ બન્યું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માંલિક મિસરના રાજાનો અપરાધ કર્યો. તેથી ફારુન તેના બંને સેવકો પાત્રવાહક અને ભઠિયારા પર કોપાયમાંન થયો. અને તેણે તેઓને કેદખાનામાં નાખ્યાં, તે એ કેદખાનું હતું જેના માંટે ફારુનના રક્ષકોનો અમલદાર પોટીફાર અધિકારી હતો, ત્યાં યૂસફ કેદ હતો. અંગરક્ષકોના સરદારે યૂસફને તેમના તાબામાં સોંપ્યો. તે તેમની સેવા કરતો; આમ તેઓ કેટલાક સમય માંટે કેદમાં રહ્યાં. એક દિવસ રાત્રે કેદખાનામાં પુરાયેલા મિસરના રાજાના પાત્રવાહકને અને ભઠિયારાને બન્નેને એક સાથે સ્વપ્ન આવ્યું. બન્નેનાં સ્વપ્ન જુદાં હતાં. તથા પ્રત્યેક સ્વપ્નનો અર્થ પણ જુદો હતો. પછી સવારે જયારે યૂસફે અંદર આવીને જોયું, તો તેઓ ચિંતિત હતા. તેથી તેણે તેમને પૂછયું, “આજે તમે કેમ ચિંતિત દેખાઓ છો?”

એટલે તેઓએ તેને કહ્યું, “અમને દરેકને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી.”

એટલે યૂસફે તેઓને કહ્યું, “એક માંત્ર દેવ જ સ્વપ્નોનો ખુલાસો કરી શકે, છે. કૃપા કરી મને તમાંરું સ્વપ્ન કહો.”

દ્રાક્ષારસ આપનારા નોકરનું સ્વપ્ન

એટલે દ્રાક્ષારસ આપનારા નોકરે પોતાનું સ્વપ્ન યૂસફને કહ્યું, “મેં સ્વપ્નમાં એક દ્રાક્ષનો વેલો જોયો. 10 તે દ્રાક્ષના વેલાને ત્રણ ડાળીઓ હતી, મેં ડાળીઓ પર કળીઓ બેસતી અને તેમાંથી ફૂલ ફૂટતાં જોયા. અને ગુચ્છામાં પાકી દ્રાક્ષો જોઈ; 11 ફારુનનો પ્યાલો માંરા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને તે પ્યાલામાં નિચોવી અને પ્યાલો ફારુનના હાથમાં આપ્યો.”

12 પછી યૂસફે કહ્યું, “હું તને સ્વપ્નનો અર્થ સમજાવું છું. ત્રણ ડાળીઓનો અર્થ ત્રણ દિવસ છે. 13 ત્રણ દિવસમાં ફારુન તને મુકત કરી માંફ કરશે, અને તને તારા પોતાના કામ પર પાછો રાખશે; તું પહેલાં જેમ એનો દ્રાક્ષારસ પીરસનાર હતો તેમ તેના હાથમાં ફારુનનો પ્યાલો આપીશ. 14 પણ જયારે તારા સુખના દિવસો આવે ત્યારે કૃપા કરીને મને સંભારજે. માંરા પર દયા રાખજે. ફારુનને માંરી વાત કરજે અને મને આ કારાગારમાંથી મુકત કરાવજે. 15 અહીંયા હિબ્રૂઓના દેશમાંથી માંરી ઇચ્છા વિરુધ્ધ લાવવામાં આવ્યો છે. મેં અહીં એવું કશુંય ખોટું કર્યુ નથી જેને કારણે મને કારાગૃહમાં નાખવો પડે.”

રોટલી બનાવનારનું સ્વપ્ન

16 રોટલી બનાવનારાએ જોયું કે, બીજા નોકરનું સ્વપ્ન સારું હતું. તેથી તેણે યૂસફને કહ્યું, “મેં પણ એક સ્વપ્ન જોયું હતું. માંરા માંથા પર રોટલીઓની ત્રણ નેતરની છાબડીઓ હતી. 17 સૌથી ઉપરની છાબડીમાં ફારુન માંટે દરેક જાતનાં પકવાન હતાં. પરંતુ તેને પંખીઓ ખાઈ જતાં હતાં.”

18 યૂસફે કહ્યું, “ત્રણ છાબડીઓનો અર્થ ત્રણ દિવસ છે. 19 ત્રણ દિવસમાં ફારુન તમને મુકત તો કરશે, પરંતુ તારું માંથું કાપીને તને ઝાડ પર લટકાવશે, અને પંખીઓ તારું માંસ ફોલી ખાશે.”

યૂસફને ભુલ્યા

20 ત્રીજે દિવસે ફારુનની વર્ષગાંઠ હતી, તે દિવસે તેણે તેના બધા સેવકોને મિજબાની આપી; અને ફારુને તેના સેવકોમાં મુખ્યપાત્રવાહકનો અને ભઠિયારાનો ન્યાય કર્યો, અને બંનેને કારાગૃહમાંથી બહાર આવવા દીધા. 21 અને તેણે મુખ્ય પાત્રવાહકને તેની પદવી પર પાછો રાખ્યો; અને તેણે ફારુનના હાથમાં પ્યાલો આપ્યો, 22 પણ યૂસફે જે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાંણે ભઠિયારાને ફાંસીએ ચઢાવ્યો. 23 છતાં મુખ્ય પાત્રવાહકએ યૂસફને યાદ કર્યો નહિ, અને તે તેને ભૂલી ગયો.

1 કરિંથીઓ 3:16-23

16 તમારે જાણવું જોઈએ કે તમે પોતે જ દેવનું મંદિર છો. દેવનો આત્મા તમારામાં નિવાસ કરે છે. 17 જો કોઈ પણ વ્યક્તિ દેવના મંદિરનો વિનાશ કરશે તો દેવ તે વ્યક્તિનો વિનાશ કરશે. શા માટે? કારણ કે દેવનું મંદિર પવિત્ર છે. તમે પોતે જ દેવનું મંદિર છો.

18 તમારી જાતને મૂર્ખ ન બનાવો. જો તમારામાંનો કોઈ એમ વિચારે કે દુનિયામાં તે જ્ઞાની છે, તો તેણે જ્ઞાની થવા મૂર્ખ બનવું. પછી જ તે વ્યક્તિ વાસ્તવમાં જ્ઞાની બની શકશે. 19 શા માટે? કારણ કે આ દુનિયાનું જ્ઞાન તો દેવ માટે મૂર્ખતા સમાન છે કારણ કે તે શાસ્ત્રલેખમાં લખેલ છે કે, “તે જ્ઞાની માણસોને જ્યારે તેઓ પ્રપંચો કરે છે, ત્યારે પકડે છે.”(A) 20 શાસ્ત્રલેખોમાં તો આવું પણ લખેલું છે કે, “પ્રભુ જ્ઞાની માણસોને વિચારોને જાણે છે. તે એમ પણ જાણે છે કે તેમના વિચારોનું કશું જ મૂલ્ય નથી.”(B) 21 તેથી તમારે માણસો વિષે બડાશ મારવી જાઈએ નહિ. દરેક વસ્તુઓ તમારી જ છે. 22 પાઉલ, અપોલોસ અને કેફા: વિશ્વ, જીવન, મૃત્યુ, વર્તમાન તેમજ ભવિષ્ય-આ બધી જ વસ્તુઓ તમારી છે. 23 અને તમે ખ્રિસ્તના છો અને ખ્રિસ્ત દેવનો છે.

માર્ક 2:13-22

લેવીને ઈસુનું તેડું

(માથ. 9:9-13; લૂ. 5:27-32)

13 ઈસુ ફરીથી સરોવર પાસે ગયો. ઘણા માણસો ત્યાં તેને અનુસર્યા. તેથી ઈસુએ તેમને ઉપદેશ આપ્યો. 14 ઈસુ સરોવરની બાજુમાંથી પસાર થતો હતો, ત્યાં અલ્ફીના દીકરા લેવીને જોયો. લેવી જકાતનાકા પર બેઠો હતો. ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ,” પછી લેવી ઉભો થયો અને ઈસુની પાછળ ગયો.

15 તે દિવસે મોડેથી ઈસુએ લેવીને ઘેર ભોજન કર્યુ. ત્યાં ઘણા જકાતદારો હતા. અને બીજા ખરાબ લોકો ત્યાં ઈસુ અને તેના શિષ્યો સાથે ભોજન કરતા હતા. ત્યાં આ લોકોમાંના ઘણા હતા જેઓ ઈસુને અનુસર્યા હતા. 16 શાસ્ત્રીઓએ (તેઓ ફરોશીઓ હતા) ઈસુને જકાતદારો અને બીજા ખરાબ લોકો સાથે ભોજન કરતાં જોયો. તેઓએ ઈસુના શિષ્યોને પૂછયું, “શા માટે તે (ઈસુ) જકાતદારો અને પાપીઓ સાથે ખાય છે?”

17 ઈસુએ આ સાંભળ્યું અને તેણે તેઓને કહ્યું, “તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. પણ માંદા માણસોને વૈદની જરુંર પડે છે. હું સજ્જન લોકોને નિમંત્રણ આપવા આવ્યો નથી, હું પાપીઓને નિમંત્રણ આપવા આવ્યો છું.”

ઈસુનો અન્ય ધાર્મિક આગેવાનો તરફનો અણગમો

(માથ. 9:14-17; લૂ. 5:33-39)

18 યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા. કેટલાક લોકોએ ઈસુ પાસે આવીને કહ્યું, “યોહાનના શિષ્યો ઉપવાસ કરે છે. અને ફરોશીઓના શિષ્યો પણ ઉપવાસ કરે છે. પણ તારા શિષ્યો ઉપવાસ કરતા નથી. શા માટે?”

19 ઈસુએ જવાબ આપ્યો, “જ્યારે લગ્ન સમારંભ હોય છે ત્યારે વરરાજાના મિત્રો ઉદાસ હોતા નથી. તે તેઓની સાથે હોય છે. ત્યારે તેઓ ઉપવાસ કરતા નથી. 20 પણ જ્યારે સમય આવશે ત્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે. જ્યારે વરરાજા તેઓને છોડીને જાય છે ત્યારે તેઓ ઉદાસ હોય છે. પછી તેઓ ઉપવાસ કરશે.”

21 “જ્યારે વ્યક્તિ જૂનાં વસ્ત્રના કાણા પર થીંગડું મારે છે ત્યારે તે કોરા કપડાનો ઉપયોગ કરતો નથી. જો તે તેમ કરે તો થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢશે. અને તે કાણું વધારે ફાટે છે. 22 અને લોકો કદાપિ નવો દ્રાક્ષારસ જુના દ્રાક્ષારસની મશકમાં રેડતાં નથી. શા માટે? કારણ કે નવો દ્રાક્ષારસ, જૂના દ્રાક્ષારસની મશકને ફાડી નાખશે અને દ્રાક્ષારસ દ્રાક્ષારસની મશકો નાશ પામશે. લોકો હંમેશા નવો દ્રાક્ષારસ નવા દ્રાક્ષારસની મશકમાં ભરે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International