Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:97-120

મેમ

97 તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું!
    હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે;
    કારણકે મારી પાસે સર્વદા છે.
99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે
    કારણ કે હું તમારા સાક્ષ્યો વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું;
    કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
101 હું તમારું વચન પાળી શકું તે માટે મેં
    મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પણ પાછા વાળ્યા છે.
102 તમારા ન્યાયી વચનોને મેં ત્યજ્યા નથી;
    કારણકે તમે મને તે શીખવ્યા છે.
103 મારી રૂચિને તમારાં વચનો કેવા મીઠાઁ લાગે છે!
    મારા મુખને તે મધથીય વધુ મીઠાઁ લાગે છે.
104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે;
    માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

નુન

105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે;
    મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ઠોકર ખાતાં બચાવે છે.
106 એવી પ્રતિજ્ઞા મેં કરી હતી,
    “હું તમારા યથાર્થ ન્યાય શાસનો પાળીશ,” અને મેં તે પાળ્યા પણ ખરા.
107 હે યહોવા, હું દુ:ખમાં કચડાઇ ગયો છું;
    તમારા વચનો પ્રમાણે મને જિવાડ.
108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો;
    અને તમારાં ન્યાય વચનો મને શીખવો.
109 મારો પ્રાણ સદા મારી મુઠ્ઠીમાં છે;
    છતાં હું ભૂલતો નથી તારા નિયમને.
110 દુષ્ટ શત્રુઓએ મારે માટે પાશ રાખ્યો છે;
    છતાં હું તમારાં શાસનોથી ભાગી ગયો નથી.
111 હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ,
    તે મારા હૃદયનો આનંદ છે.
112 મેં મારા જીવનનાં અંત સુધી સદા તમારા નિયમોનું પાલન કરવા માટે
    મારા હૃદયથી જવાબદારી સ્વીકારી છે.

સામેખ

113 બેવડી માનસિકતા ધરાવતા લોકોને હું ધિક્કારું છું.
    પણ હું તમારા નિયમોને ચાહું છું.
114 તમે જ મારી ઓથ તથા ઢાલ છો;
    મને તમારા વચનની આશા રાખું છે.
115 દુષ્ટ મન વાળા માણસો મારાથી દૂર રહો,
    જેથી હું મારા યહોવાની આજ્ઞાઓ પાળું.
116 તમારા વચન મુજબ મને ટેકો આપો જેથી હું જીવી શકું.
    મારી આશાઓને નિરાશ ન કરો.
117 મને ટકાવી રાખો, જેથી હું બચી શકુ.
    અને સદાય હું તમારા નીતિ નિયમોનો અભ્યાસ કરીશ.
118 હે યહોવા, જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે અસ્વીકાર કરો છો,
    કારણકે તમે તેમનાં છેતરામણા માર્ગોને પ્રગટ કરો છો.
119 તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો;
    માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
120 હું તમારા ભયથી કાંપુ છું,
    અને તમારા ન્યાયવચનનો આદર કરું છું.

ગીતશાસ્ત્ર 81-82

નિર્દેશક માટે. રાગ: ગિત્તિથ આસાફના ગીતોમાંનુ એક.

દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ,
    યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.
ઢોલક અને સિતાર
    અને મધુર વીણા સાથે
    તેમના સ્તુતિ-ગાન ગાઓ.
રણશિંગડું વગાડો! આવો અને પૂનમનો દિવસ ઉજવો,
    નૂતન ચંદ્રનો પવિત્ર દિવસ અને અન્ય સર્વ પવિત્રપવોર્; ઉમંગે ઊજવો.
એમ કરવુંએ ઇસ્રાએલનાં લોકો માટે તે વિધિ છે,
    દેવે યાકૂબને તે હુકમ આપ્યો છે.
જ્યારે તે મિસરમાંથી ઇસ્રાએલીઓને લાવ્યાં
    ત્યારે દેવે યૂસફ[a] સાથે કરાર કર્યો;
જ્યાં અમે એક ભાષા સાંભળી જે અમે સમજ્યાં નથી.
દેવ કહે છે, “મેં તમારા ખભાને બોજથી મુકત કર્યા,
    મેં તમારા હાથોને વજનદાર ટોપલાંથી મુકત કર્યા.
સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યાં;
    ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુતર આપ્યો;
    મરીબાહનાં પાણી આગળ મેં તમારી પરીક્ષા કરી.

“હે મારા લોકો, સાંભળો; હે ઇસ્રાએલ માત્ર મારું સાંભળો;
    હું તમને કડક ચેતવણી આપું છું.
અન્ય દેવતાઓની આરાધના તમારે કદાપિ કરવી નહિ,
    અને ઘરમાં મૂર્તિ રાખવી નહિ.
10 કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર
    હું ‘યહોવા’ તમારો દેવ છું!
તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ.
    હું તમને ખવડાવીશ.

11 “પણ ના! મારા લોકોએ મને સાંભળી નહિ;
    ઇસ્રાએલ મારી ચેતવણી સ્વીકારવા ઇચ્છતુ નથી.
12 તેથી તેઓને મેં જવા દીધા તેમના અંધારિયાં તથા હઠીલા માર્ગે;
    અને તેઓની ઇચ્છા પ્રમાણે જીવવા દીધા.
13 મારા લોકો મારું સાંભળે તો કેવું સારું! અરે,
    ઇસ્રાએલ મારું અનુસરણ કરો અને મારા માર્ગો પર ચાલે તો કેવું સારું!
14 તો હું તેઓના શત્રુઓને પરાજીત કરું અને વહેલા નમાવું;
    અને તેઓના વેરીની વિરુદ્ધ, મારો હાથ ઝડપથી ઉપાડું!
15 જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ધૂજશે;
    પણ તેમની સજા તો સદાને માટે રહેશે.
16 પરંતુ તમને હું, શ્રેષ્ઠ ઘઉંથી તૃપ્ત કરીશ;
    અને તમને, ખડકમાંના મધથી સંતોષ આપીશ.”

આસાફના સ્તુતિગીતોમાંનુ.

દેવની સભામાં ઇશ્વર
    ન્યાયાધીશ તરીકે ઊભા રહે છે.
દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો?
    ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”

“તમે અબળ અને અનાથને ન્યાય કરો,
    દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.
અબળ અને દરિદ્રી ને છોડી મૂકો
    તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો.

“તેઓ જાણતા નથી કે સમજતા નથી;
    તેઓ અંધકારમાં ચાલે છે.
જ્યારે દુનિયા તેમની આજુબાજુ
    નીચે ઉતરી રહી છે.”
મેં કહ્યું કે “તમે દેવો છો,
    અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.
તો પણ માણસની જેમ મૃત્યુ પામશો
    અને અન્ય સરદારની મ પડશો.”

હે દેવ, ઊઠો! પૃથ્વીનો ન્યાય કરો; કારણ,
    સર્વ પ્રજાઓ તમારા હાથમાં છે.

ઉત્પત્તિ 27:1-29

યાકૂબનું ઇસહાકથી છળ કપટ

27 જયારે ઈસહાક વૃદ્વ થયો, ત્યારે તેની આંખોની દૃષ્ટિ નબળી પડી અને તેને કઇં પણ ચોખ્ખું દેખાતું ન હતું. એક દિવસ તેણે તેના મોટા પુત્ર એસાવને બોલાવ્યો. ઈસહાકે કહ્યું, “માંરા દીકરા.”

ઈસહાકને એસાવે જવાબ આપ્યો, “જી, પિતાજી, હું આ રહ્યો.”

ઇસહાકે કહ્યું, “જુઓ, હું વૃદ્વ થઈ ગયો છું. હવે હું જલ્દી મરી જઇશ, એટલે તું તારાં હથિયાર, બાણો અને ધનુષ્ય લે અને જંગલમાં જઈને માંરે માંટે શિકાર કરીને કંઈક લાવ. અને મને ભાવતી સ્વાદિષ્ટ વાનગી બનાવીને માંરા માંટે લઈ આવ. જેથી હું ખાઉં અને મરતાં પહેલાં તને આશીર્વાદ આપું.” એટલે એસાવ શિકાર કરવા ગયો.

રિબકાએ તે વાતો સાંભળી હતી, જે ઇસહાકે પોતાના પુત્ર એસાવ સાથે કરી હતી. રિબકાએ તેના પુત્ર યાકૂબને કહ્યું, “સાંભળ, મેં તારા પિતાને તારા ભાઈ સાથે વાતો કરતાં સાંભળ્યા છે. તારા પિતાએ કહ્યું, ‘માંરા ખાવા માંટે શિકાર કરીને કંઈક લઈ આવ, અને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર, જેથી હું ખાઉં અને મરતાં પહેલાં દેવની સાક્ષીએ તને આશીર્વાદ આપું.’ એટલા માંટે હવે માંરા પુત્ર, હું તને કહું તે પ્રમાંણે કર. આપણી બકરીઓનાં ઝુંડમાં જા અને બે સરસ લવારાં માંરી પાસે લઈ આવ. જેથી હું તેમાંથી તારા પિતાને ભાવતી સ્વાદિષ્ટ વાનગી બનાવીશ. 10 પછી તું તે તારા પિતાની આગળ લઈ જજે, જેથી તે ખાઈને મરતાં પહેલાં તને આશીર્વાદ આપે.”

11 પરંતુ યાકૂબે પોતાની માંતા રિબકાને કહ્યું, “પરંતુ માંરા ભાઈ એસાવને તો આખા શરીરે વાળ છે, અને માંરું શરીર વાળ વગરનું છે. 12 કદાચ માંરા પિતા જો મને અડકશે તો જાણી જશે કે, હું એસાવ નથી. પછી તે મને આશીર્વાદ આપશે નહિ. તે મને શાપ આપશે કારણકે, મેં તેમને છેતરવાનો પ્રયત્ન કર્યો.”

13 તેથી રિબકાએ તેને કહ્યું, “કોઈ મુશ્કેલી ઊભી થશે તો તે હું માંરા માંથે લઈ લઇશ. હું જે કહું છું તે કર. જા, અને માંરા માંટે બે લવારાં લઈ આવ.”

14 એટલે યાકૂબ બહાર ગયો. તેણે બે બકરીઓ પકડી. અને તે તેને તેની માંતા પાસે લાવ્યો. રિબકાએ ઇસહાકની પસંદગી પ્રમાંણે સ્વાદિષ્ટ વાનગી બનાવી. 15 પછી રિબકાએ તે પોષાક જે તેનો મોટો પુત્ર એસાવ પહેરવા માંટે પસંદ કરતો હતો, તે લઈને પોતાના નાના પુત્ર યાકૂબને પહેરાવ્યો. 16 અને લવારાંની ખાલ યાકૂબના હાથ પર અને તેની ડોકીના સુંવાળા ભાગ પર ઢાંકી દીધી. 17 પછી તેણે પોતે તૈયાર કરેલી પેલી સ્વાદિષ્ટ વાનગી અને રોટલી પોતાના પુત્ર યાકૂબના હાથમાં આપી.

18 યાકૂબે તેના પિતા પાસે જઈને કહ્યું, “પિતાજી!”

ઇસહાકે, પૂછયું, “શું છે બેટા? તું કોણ છે?”

19 યાકૂબે પોતાના પિતાને કહ્યું, “હું તમાંરો મોટો પુત્ર એસાવ છું, તમે જે કહ્યું હતું તે પ્રમાંણે મેં કર્યુ છે. હવે તમે બેઠા થાઓ, અને મેં જે શિકાર તમાંરા માંટે કર્યો છે તેની વાનગી ખાઈને મને આશીર્વાદ આપો.”

20 પરંતુ ઇસહાકે પોતાના પુત્રને કહ્યું, “બેટા, તને આટલો જલદી કેવી રીતે શિકાર મળી ગયો?”

યાકૂબે જવાબ આપ્યો, “કારણ કે તમાંરા દેવ યહોવાએ મને જલદીથી શિકાર ઉપલબ્ધ કરાવ્યો.”

21 પછી ઇસહાકે યાકૂબને કહ્યું, “બેટા, માંરી પાસે આવ, જેથી હું તારો સ્પર્શ કરી શકું અને જાણી શકું કે, તું માંરો પુત્ર એસાવ છે કે, નહિ?”

22 યાકૂબ તેના પિતા ઇસહાક પાસે ગયો. ઇસહાકે, તેનો સ્પર્શ કર્યો અને કહ્યું, “તારો અવાજ તો યાકૂબના અવાજ જેવો જ છે. પરંતુ તારા હાથ તો એસાવના રૂવાંટીવાળા હાથ જેવા જ છે.” 23 ઇસહાકને એ ખબર ના પડી કે, આ યાકૂબ છે, કારણ કે તેના હાથ એસાવના હાથની જેમ રૂવાંટીવાળા હતા. તેથી ઇસહાકે, યાકૂબને આશીર્વાદ આપ્યા.

24 ઇસહાકે કહ્યું, “શું, તું ખરેખર માંરો પુત્ર એસાવ જ છે?”

યાકૂબે જવાબ આપ્યો, “હાજી!”

યાકૂબ માંટે આશીર્વાદ

25 પછી ઇસહાકે કહ્યું, “ખાવાનું લાઓ. હું તે ખાઈશ અને તને આશીર્વાદ આપીશ.” એથી યાકૂબે તેમને ખાવાનું આપ્યું અને તેમણે ખાધું. પછી તેણે દ્રાક્ષારસ આપ્યો, અને તેણે તે પીધો.

26 પછી ઈસહાકે તેને કહ્યુ, “પુત્ર, માંરી પાસે આવ, અને મને ચુંબન કર.” 27 તેથી યાકૂબ પોતાના પિતાની પાસે ગયો અને ચુંબન કર્યુ. ઇસહાકે, એસાવનાં વસ્રોની ગંધ પારખી અને તેને આશીર્વાદ આપ્યા. ઇસહાકે કહ્યું,

“અરે! માંરા પુત્રના શરીરની વાસ તો યહોવાએ આશીર્વાદ આપેલા ખેતરની વાસ જેવી છે.
28 દેવ તારા માંટે આકાશમાંથી ઝાકળ વરસાવો. જેથી તમને મબલખ પાક અને દ્રાક્ષારસ મળે.
29 બધા લોકો તમાંરી સેવા કરે.
    રાષ્ટ તમાંરી શરણે આવે, તમે તમાંરા ભાઈઓ ઉપર શાસન કરો.
તારી માંતાના પુત્રો તારા ચરણોમાં નમે.
    અને તારી આજ્ઞાનું પાલન કરો.
પ્રત્યેક વ્યકિત જે તમને શાપ આપશે તે શાપ તેના પર ઊતરશે
    અને જે વ્યકિત આશીર્વાદ આપશે, તે આશીર્વાદ પામશે.”

રોમનો 12:1-8

તમારું જીવન દેવને સમર્પિત કરો

12 હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે. આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે.

દેવે મને એક વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. તેથી જ તો તમારામાંની દરેક વ્યક્તિને મારે કઈક કહેવાનું છે. તમે એવું ન માની લો કે તમે ખરેખર જેવા છો તેના કરતાં તમે વધારે સારા છો. તમે ખરેખર જેવા છો તેવા તમારી જાતને ઓળખો. દેવે તમને કઈ જાતનો વિશ્વાસ આપ્યો છે, એના આધારે નક્કી કરો કે તમે કોણ છો! આપણામાંના દરેક માનવને એક શરીર છે, અને એ શરીરને ઘણાં અવયવો છે. આ બધાં અવયવો એક જ પ્રકારનું કાર્ય કરતાં નથી. આપણી સાથે એમ જ છે, જો કે આપણે લોકો ઘણા છીએ. પરંતુ આપણે ઘણા હોવા છત્તાં ખ્રિસ્તમાં એક શરીર છીએ. અને અરસપરસ એકબીજાનાં અવયવો છીએ.

આપણ સૌને જુદાં જુદાં કૃપાદાનો મળેલ છે. આપણા પર થએલ દેવની કૃપાને કારણે પ્રત્યેક કૃપાદાન આપણને પ્રાપ્ત થયેલ છે. જો કોઈ વ્યક્તિને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો એ વ્યક્તિએ પૂરા વિશ્વાસથી પ્રબોધ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિને સેવા કરવાનું કૃપાદાન હોય, તો તેણે માનવોની સેવા કરવી જોઈએ. કોઈ વ્યક્તિને શિક્ષણ આપવાનું કૃપાદાન હોય. તો તેણે લોકોને શિક્ષણ આપવામાં મંડયા રહેવું. જો કોઈ વ્યક્તિને એવું કૃપાદાન મળ્યું હોય કે તે બીજા લોકોને આશ્વાસન આપી શકે, તો તેણે દુ:ખી લોકોને આશ્વાસન આપવું જોઈએ. અન્ય લોકોને મદદરૂપ થવા કોઈ વ્યક્તિને દાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, તો તેણે ઉદારતાથી દાન કરવું જોઈએ. કોઈ વ્યક્તિમાં અધિકારી થવાની આવડત હોય, તો તેણે સારો અધિકાર ચલાવવા સખત શ્રમ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિમાં અન્ય લોકો પ્રત્યે દયા દર્શાવવાનું કૃપાદાન મળ્યું હોય તો તેણે ઉમંગથી એ કાર્ય ઉપાડી લેવું જોઈએ.

યોહાન 8:12-20

ઈસુ જગતનો પ્રકાશ છે

12 પાછળથી ઈસુએ લોકોને કહ્યું, “હું જગતનો પ્રકાશ છું. જે વ્યક્તિ મને અનુસરે છે તે કદી અંધકારમાં રહેશે નહિ. તે વ્યક્તિને પ્રકાશ મળશે જે જીવન આપે છે.”

13 પરંતુ ફરોશીઓએ ઈસુને કહ્યું, “જ્યારે તું તારી જાત વિષે કહે છે ત્યારે તું જ ફક્ત એક એકલો એવો છે જે આ વાતો સાચી છે એમ કહે છે. તેથી અમે આ વાતો જે તું કહે છે તે અમે સ્વીકારી શકીએ તેમ નથી.”

14 ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું મારી જાત વિષે આ વાતો કહું છું. પરંતુ હું જે વાતો કહું છું, તે લોકો માની શકશે. શા માટે? કારણ કે હું ક્યાંથી આવ્યો તે હું જાણુ છું, અને હું ક્યાં જાઉં છું તે પણ હું જાણું છું, હું તમારા લોકો જેવો નથી. હું ક્યાંથી આવ્યો છું. અને ક્યાં જાઉં છું તે જાણતા નથી. 15 તમે કોઈ માણસનો ન્યાય કરો તે રીતે મારો ન્યાય કરો છો. હું કોઈ માણસનો ન્યાય કરતો નથી. 16 પણ જો હું ન્યાય કરું તો, મારો ન્યાય સાચો હશે. શા માટે? કારણ કે જ્યારે હું ન્યાય કરું ત્યારે હું એકલો હોતો નથી. મને મોકલનાર પિતા મારી સાથે હોય છે. 17 તમારું પોતાનું નિયમશાસ્ત્ર કહે છે કે જ્યારે બે સાક્ષીઓ એક જ વાત કહે તો પછી તમારે તેઓ જે કહે તે સ્વીકારવું જોઈએ. 18 હું સાક્ષીઓમાંનો એક છું કે હું મારી જાત વિષે બોલું છું, અને મને જેણે મોકલ્યો છે તે પિતા મારા બીજા સાક્ષી છે.”

19 લોકોએ પૂછયું, “તારો પિતા ક્યાં છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “તમે મને કે મારા પિતાને જાણતા નથી. પણ જો તમે મને જાણ્યો હોત તો પછી તમે મારા પિતાને પણ જાણતા હોત.” 20 જ્યારે ઈસુ મંદિરમાં ઉપદેશ આપતો હતો, ત્યારે તેણે આ બાબતો કહી. જ્યાં બધા લોકો પૈસા આપવા આવતા હતા. તે જગ્યાની નજીક તે હતો. પરંતુ કોઈ વ્યક્તિએ તેને પકડ્યો નહિ. ઈસુ માટેનો યોગ્ય સમય હજુ આવ્યો ન હતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International