Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 88

કોરાહના કુટુંબનું એક સ્તુતિગીત. નિર્દેશકને – દર્દનાક બિમારી વિષે, હેમાન એઝાહીનું માસ્કીલ.

હે યહોવા, મારા તારણના દેવ,
    મેં રાતદિવસ તમારી વિનંતી કરી છે.
હવે તમે મારી પ્રાર્થના સાંભળો,
    મારા પોકાર તમારે કાને ધરો.
કારણ, મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે,
    અને હું જલદીથી મૃત્યુ પામીશ.
હું કબરમાં ઊતરનાર ભેગો ગણાયેલો છું,
    અને લાચાર સ્થિતિમાં આવી પડ્યો છું.
હું મૃત્યુ પામેલાઓની વચ્ચે પેડેલા મૃતદેહ જેવો છું.
    જેઓ યુદ્ધમાં મરાયા હતાં અને કબરમાં દટાયા હતાં.
અને હવે તમે તેઓને યાદ કરતાં નથી.
    તેઓ તમારી કાળજીથી દૂર રખાયાં છે, હું તેમના જેવો છું.
તમે મને છેક નીચલા ખાડામા ધકેલી દીધોં,
    તેવા ઊંડાણોમાં અતિશય અંધકાર હોય છે.
મારા પર તમારો કોપ અતિ ભારે છે,
    તમારા સર્વ મોજાંથી હું દુ:ખમાં ડૂબી ગયો છું;

તમે મારા મિત્રો પાસે મારો તિરસ્કાર કરાવ્યો છે,
    મારાથી તેઓ દૂર નાસે છે;
હું ફાંદામા ફસાઇ ગયો છું, અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
    દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે;
હે યહોવા, મેં તને સદા અરજ કરી છે
    અને તારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
10 શું તમે મૂએલા સમક્ષ ચમત્કારો દેખાડશો?
    શું તેઓ ઊઠીને તારી આભારસ્તુતિ કરશે?

11 શું તારી કૃપા કબરમાં કે વિનાશમાં
    તારું વિશ્વાસપણું જાહેરમાં કરવામાં આવશે?
12 શું અંધકારમાં તારાં કૃત્યો જે આશ્ચર્યકારક છો, તે વિષે,
    અને વિસ્મરણના દેશમાં તમારાં ન્યાયીપણાંનાં કૃત્યો વિષે જણાવવામાં આવે છે?
13 પણ, હે યહોવા, સહાય માટે હું વિનંતી કરું છું,
    દરરોજ સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
14 હે યહોવા, તમે મને તજો છો શા માટે?
    શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
15 મારી યુવાવસ્થાથી જ મારા પર દુ:ખ આવી પડ્યાં છે.
    હું તમારા ગુસ્સાથી દુ:ખી થયો છું. હું અસહાય છું.
16 તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે,
    તમારા તરફથી મને ત્રાસ થાય છે;
    અને તેથી હું ભાંગી પડ્યો છું.
17 મને જળપ્રલયની જેમ દરરોજ ઘેરી લે છે,
    અને તેઓએ મને ડૂબાડી દીધો છે.
18 તમે મારા મિત્રોને અને સબંધીઓને મારાથી દૂર કર્યા છે.
    ફકત અંધકાર જ મિત્ર તરીકે મારી પાસે છે.

ગીતશાસ્ત્ર 91-92

પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે,
    તે સર્વસમર્થની છાયામાં રહેશે.
હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે,
    હું તમારો વિશ્વાસ કરું છું.”
કારણકે તે તને સર્વ ફાંદાઓથી
    અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે,
    તમને તેની પાંખો નીચે આશ્રય મળશે,
    તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
હવે તું રાત્રે બીશ નહિ
    કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી
    કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
તારી બાજુએથી હજાર
    અને તારે જમણે હાથ પડશે દશ હજાર,
    છતાં તને સ્પશીર્ શકશે નહિ.
તે તમે તમારી પોતાની આંખોથી જોશો
    કે દુષ્ટ લોકોને કેવી સજા થાય છે!
શા માટે? કારણ તમે યહોવાનો વિશ્વાસ કરો છો.
    તમે પરાત્પર દેવને તમારી સુરક્ષિત જગા બનાવ્યાં છે.
10 તેથી તમારા પર કોઇ અણધારી આફત આવશે નહિ,
    તમારી પાસે, તમારા રહેઠાણની જગાની નજીક કોઇ બિમારી આવશે નહિ.
11 કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.
12 તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે,
    જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
13 માર્ગમાં સિંહ મળે કે પગ પડે ઝેરી સાપ પર,
    તો પણ તું સુરક્ષિત રહેશે; હા,
    તું તેઓને પગ નીચે છૂંદી નાંખશે.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ,
    હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ;
    સંકટમાં હું તેની સાથે રહીશ
    અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ,
    અને હું મારું તારણ તેને આપીશ.”

વિશ્રામવાર માટેનું સ્તુતિગીત.

યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના,
    પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર
    કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો,
    અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે;
    હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે!
    તમારા વિચારો બહુ ગહન છે.
ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી,
    અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે,
    ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે.
    પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.

હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે;
    અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.
10 પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે;
    મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.
11 મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે;
    અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.

12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે
    અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13 યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે;
    તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે,
    અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15 તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે.
    તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.

ઉત્પત્તિ 27:46-28:4

46 પછી રિબકાએ ઇસહાકને કહ્યું, “તારા પુત્ર એસાવે હિત્તી કન્યાઓ સાથે વિવાહ કરી લીધા છે. હું એ સ્ત્રીઓથી કંટાળી ગઈ છું. કારણ કે તેઓ આપણા લોકોમાંની નથી. અને જો યાકૂબ પણ આ કન્યાઓમાંથી કોઈ એકની સાથે વિવાહ કરશે તો પછી માંરે તો મરવા સિવાય કોઈ રસ્તો નહિ રહે.”

28 ઇસહાકે યાકૂબને બોલાવીને આશીર્વાદ આપ્યા. પછી તેને આદેશ આપીને કહ્યું, “તારે કોઈ કનાની કન્યા સાથે વિવાહ કરવાના નથી. તેથી તું આ સ્થળ છોડીને પાદૃાનારામ જા, તારા દાદા બથુએલને ત્યાં જા. જયાં તારા માંમાં લાબાન રહે છે. તેમની પુત્રીઓમાંથી કોઈ એક સાથે તું વિવાહ કર. હું પ્રાર્થના કરું છું કે, સર્વસમર્થ દેવ તને આશીર્વાદ આપો અને તમને ઘણા પુત્રો આપે. અને તારો વંશવેલો એટલો વધારો કે, તારામાંથી અનેક પ્રજાઓ પેદા થાય. હું પ્રાર્થના કરું છું કે, જે પ્રમાંણે દેવે ઇબ્રાહિમને વરદાન આપ્યું હતું તે જ પ્રમાંણે તમને પણ આશીર્વાદ આપે. હું પ્રાર્થના કરું છું કે, દેવ તમને ઇબ્રાહિમના આશીર્વાદ આપે. તે તને અને તારી ભાવિપેઢીને આ જગ્યા કે, જયાં તમે પરદેશીની જેમ રહો છો તેને સદાને માંટે તમાંરી સંપત્તિ બનાવી દે.”

ઉત્પત્તિ 28:10-22

દેવનું ઘર બેથેલ

10 યાકૂબે બેર-શેબા છોડયું અને ત્યાંથી તે હારાન તરફ ગયો. 11 યાત્રા સમયે સૂર્યાસ્ત થઈ ગયો હોવાથી તે એક જગ્યાએ રાતવાસો કરવા માંટે રોકાયો. યાકૂબે ત્યાં એક પથ્થર જોયો, તેથી સૂઈ જવા માંટે તેના પર માંથું મૂકયું. 12 યાકૂબને એક સ્વપ્ન આવ્યું; તેણે જોયું કે, એક સીડી પૃથ્વી પર મૂકેલી છે, જેની ટોચ આકાશ સુધી પહોંચે છે, 13 અને યાકૂબે જોયું તો દેવદૂતો સીડી ઉપરથી ચઢતા-ઊતરતા હતા. અને યહોવા સીડી પાસે ઊભા હતા. યહોવાએ કહ્યું, “હું તમાંરા પિતા ઇબ્રાહિમનો દેવ યહોવા છું. હું ઇસહાકનો દેવ છું. જે જમીન પર તું સૂતો છે તે જમીન હું તને અને તારા વંશજોને આપીશ. 14 પૃથ્વી પર માંટીના જેટલાં રજકણ છે તેટલા તારા વંશજો હશે. તેઓ પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણમાં ફેલાશે. અને તારા તથા તારા વંશજોને કારણે પૃથ્વી પરની બધી પ્રજાઓ આશીર્વાદ પ્રાપ્ત કરશે.

15 “હું તમાંરી સાથે છું અને હું તમાંરું રક્ષણ કરીશ. તમે જયાં જશો ત્યાંથી હું તમને પાછો આ ભૂમિ પર લઈ આવીશ. મેં તને જે કરવાનું વચન આપ્યું છે તે જયાં સુધી પૂરું નહિ કરી લઉં ત્યાં સુધી હું તારો સાથ છોડવાનો નથી.”

16 પછી યાકૂબ ઊંઘમાંથી જાગ્યો અને બોલ્યો, “મને ખબર છે કે, યહોવા આ જગ્યા પર છે. પરંતુ જયાં સુધી હું અહીં સૂતો ન હતો, ત્યાં સુધી જાણતો નહોતો કે, તે અહીં છે.”

17 યાકૂબને બીક લાગી, તેણે કહ્યુ, “આ તો કોઈ મહાન જગ્યા છે. આ તો દેવનું ઘર છે. આ તો આકાશનું દ્વાર છે.”

18 બીજે દિવસે સવારે યાકૂબ વહેલો ઊઠયો, અને જે પથ્થર તેને માંથા નીચે મૂકયો હતો તે ઊઠાવ્યો. અને તેને સ્માંરકસ્તંભ તરીકે ઊભો મૂકી દીધો. પછી તેણે તેના પર તેલ રેડ્યું. આ રીતે તેણે આ પથ્થરને દેવનો સ્માંરક સ્તંભ બનાવ્યો. 19 આ જગ્યાનું નામ પહેલાં લૂઝ હતું પરંતુ યાકૂબે તે જગ્યાનું નામ બેથેલ પાડયું.

20 પછી યાકૂબે એક પ્રતિજ્ઞા કરી. તેણે કહ્યું, “જો દેવ માંરી સાથે રહેશે, અને હું પ્રવાસમાં જયાં જયાં જાઉં ત્યાં દેવ માંરી રક્ષા કરશે અને મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્રો આપશે. 21 જેથી હું માંરા પિતાને ઘેર સુરક્ષિત પાછો આવીશ. તો યહોવાને હું માંરા દેવ માંનીશ. 22 આ જગ્યા પર જયાં મેં પથ્થર ઊભો કર્યો છે, તે જગ્યા પવિત્ર સ્થાન બનશે. અને દેવ તું મને જે કાંઈ આપશે તેનો દશમો ભાગ હું તને અર્પણ કરીશ.”

રોમનો 13

રાજ્ય પ્રત્યેની ફરજો

13 દરેક માણસે મુખ્ય અધિકારીઓના હુકમનું પાલન કરવું જ જોઈએ. જે અધિકારી છે તેઓને દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. અને અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે, તેમને પણ દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. તેથી જે વ્યક્તિ સરકારની વિરુંદ્ધમાં હોય તે ખરેખર તો દેવના આદેશની વિરુંદ્ધમાં છે. સરકારની વિરુંદ્ધ જતા લોકો પોતે શિક્ષા વહોરી લે છે. જે લોકો સારાં કાર્યો કરતા હોય તેમણે સરકારી અધિકારીઓથી ડરવાની જરૂર નથી. પરંતુ જે લોકો ખોટાં કામો કરતા હોય તેમને તો અધિકારીઓનો ડર લાગવો જ જોઈએ. શું તમારે શાસકોના ડરમાંથી મુક્ત થવું છે? તો તમારે સારાં કામો કરવાં જોઈએ. જો તમે સારાં કાર્યો કરશો તો સરકારી અધિકારીઓ તમારાં વખાણ કરશે.

શાસક તો દેવનો સેવક છે. જે તમને મદદ કરે છે. પરંતુ જો તમે કઈક ખોટું કરશો તો તમારે ડરવું પડશે. શાસક પાસે શિક્ષા કરવાની સત્તા હોય છે, અને તે એ સત્તાનો ઉપયોગ કરશે. ખોટાં કામો કરનાર લોકોને સજા કરતો અધિકારી દેવનો સેવક છે. તેથી તમારે સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તમારે સરકારી કાયદાઓનું પાલન કરવું જોઈએ કારણ કે જો તમે પાલન ન કરો તો તમને શિક્ષા થાય. તમારે એટલા માટે પણ કાયદાનું પાલન કરવું જોઈએ કેમ કે, એમ કરવું જ યોગ્ય છે એ તમે જાણો છો.

અને તેથી જ તમે કરવેરા પણ ચૂકવો છો. જે સત્તાધારી છે તે દેવ માટે કાર્ય કરે છે અને શાસન કાર્યમાં પોતાનો બધો સમય આપે છે. જે લોકોનું ઋણ તમારા માથે હોય તે તેમને ચૂકવો. કોઈ પણ જાતના કરવેરા કે કોઈ પણ જાતનું દેવું તમારા પર હોય તો તે ભરપાઈ કરી દો. જે લોકોને માન આપવા જેવું હોય તેમને માન આપો. અને જેમનું સન્માન કરવા જેવું હોય તેમનું સન્માન કરો.

અન્ય લોકોને પ્રેમ કરવો એ જ માત્ર નિયમ છે

કોઈનું કોઈ પણ પ્રકારનું દેવું રાખશો નહિ. પરંતુ હંમેશા એક બીજાના પ્રેમના ઋણી રહો. જે વ્યક્તિ બીજા લોકોને પ્રેમ કરે છે તેણે ખરેખર નિયમની બધી જ જરૂરિયાતો પરિપૂર્ણ કરી છે એમ ગણાશે. હું આમ શા માટે કહું છું? કારણ કે નિમયશાસ્ત્ર કહે છે, “તારે વ્યભિચારનું પાપ ન કરવું જોઈએ, ખૂન ન કરવું, કશાયની ચોરી ન કરાય, બીજા લોકોની વસ્તુઓ મેળવી લેવાની ઈચ્છા ન કરાય.”(A) આ અને બીજી બધી આજ્ઞાઓ કે આદેશો ખરેખર તો એક જ નિયમમાં સમાઈ જાય છે: “જે રીતે તમે તમારી જાતને પ્રેમ કરો છો, એ જ રીતે પોતાના પડોશી પર પણ પ્રેમ કરો.”(B) 10 પ્રેમ બીજા લોકોને ઈજા કે દુ:ખ પહોંચાડી શકતો નથી. તેથી, નિયમના બધા જ આદેશોનું પાલન કરવું કે તેને પ્રેમ કરવો એ બધું એક જ છે.

11 આ બધી વાત હું તમને એટલા માટે કહું છું કે, તમે જાણો છો તેમ, આપણે સૌ મહત્વપૂર્ણ સમયમાં જીવી રહ્યાં છીએ. હા, તમારી નિંદ્રામાંથી જાગૃત થવાનો હવે સમય આવ્યો છે. પછી જ્યારે આપણે વિશ્વાસીઓ બન્યા તેના કરતાં હવે તારણનો સમય આપણી વધુ નજીક છે. 12 “રાત”[a] લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. “દિવસ”[b] ઊગી રહ્યો છે. તેથી આપણે અંધકારનાં કામો કરવાનું હવે બંધ કરવું જોઈએ. સત્કર્મોના કાર્યો માટે આપણે પ્રકાશના શાસ્ત્રોથી સજજ થવું જોઈએ. 13 પ્રકાશમાન દિવસમાં રહેતા લોકોની જેમ આપણે વર્તવું જોઈએ. મોંજ મસ્તીથી છલકાતી ખર્ચાળ મિજબાનીઓ આપણે ઉડાવવી ન જોઈએ. મદ્યપાન કરીને આપણે નશો ન કરવો જોઈએ. આપણે આપણાં અવયવો વડે જાતીય વાસનાનું પાપ કે બીજાં કોઈ પણ પાપ ન કરવાં જોઈએ. આપણે (બિનજરુંરી) દલીલો કરીને મુશ્કેલીઓ ઊભી કરવી ન જોઈએ, અથવા ઈર્ષાળુ ન બનવું જોઈએ. 14 પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. તમારામાં રહેલો પાપનો અંશ તમને જે ખરાબ ઈચ્છાઓ કરાવે છે, તેને સંતોષવાના વિચારો ન કરો.

યોહાન 8:33-47

33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે ઈબ્રાહિમના લોકો છીએ. અમે કદી ગુલામ રહ્યા નથી. તેથી શા માટે તું કહે છે કે એમ મુક્ત થઈશું?”

34 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સાચું કહું છું પ્રત્યેક વ્યક્તિ જે પાપ કરે છે તે ગુલામ છે. પાપ તેનો માલિક છે. 35 ગુલામ કુટુંબ સાથે હંમેશા રહેતો નથી. પરંતુ તે દીકરો હંમેશા કુટુંબનો રહી શકે. 36 તેથી જો દીકરો તમને મુક્ત કરે તો પછી તમે ખરેખર મુક્ત થશો. 37 હું જાણું છું તમે ઈબ્રાહિમના લોકો છો. પરંતુ તમે મને મારી નાખવા ઈચ્છો છો. શા માટે? કારણ કે તમે મારા બોધનો સ્વીકાર કરવા ઈચ્છતા નથી. 38 મારા પિતાએ જે મને બતાવ્યું છે તે જ કામો હું તમને કહું છું. પરંતુ તમે તમારા પિતાએ તમને જે કહ્યું છે તે કરો છો.”

39 યહૂદિઓએ કહ્યું, “અમારો પિતા ઈબ્રાહિમ છે.”

ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર ઈબ્રાહિમના બાળકો હતા તો પછી તમે જે કામો ઈબ્રાહિમે કર્યા તે જ કરશો. 40 હું એ માણસ છું કે જેણે દેવ પાસેથી સાંભળ્યું તે સત્ય તમને કહ્યું છે. પરંતુ તમે મને મારી નાખવા પ્રયત્ન કરો છો. ઈબ્રાહિમે તેના જેવું કંઈ જ કર્યું નથી. 41 તેથી તમારા પિતાએ જે કંઈ કર્યુ તે તમે કરો છો.”

પણ યહૂદિઓએ કહ્યું, “અમે એના જેવા બાળકો નથી કે જે તેઓએ કદી જાણ્યું ન હોય કે તેમનો પિતા કોણ છે. દેવ અમારો પિતા છે. અમારો તે માત્ર એક જ પિતા છે.”

42 ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “જો દેવ ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; હું દેવમાંથી નીકળીને આવ્યો છું. અને હવે હું અહીં છું. હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. દેવે મને મોકલ્યો છે. 43 હું તમને આ બાબતો જે કહું છું તે તમે સમજી શકશો નહિ. શા માટે? કારણ કે તમે મારા બોધને સ્વીકારી શકતા નથી. 44 તમારો પિતા શેતાન છે, અને તમે તેના દીકરા છો. તે જે ઈચ્છે છે તે કરવા તમે ઈચ્છો છો. શેતાન શરુંઆતથી જ ખૂની હતો. શેતાન હંમેશા સત્યથી વિરૂદ્ધ છે અને તેથી તેનામાં સત્ય નથી. જૂઠું બોલવું તે તેનો સ્વભાવ છે. હા, તે જુઠો છે. અને તે જૂઠાનો બાપ છે.

45 “હું સત્ય કહું છું, તેથી તમે મારામાં વિશ્વાસ કરતા નથી. 46 તમારામાંથી કોણ સાબિત કરી શકે છે કે હું પાપનો ગુનેગાર છું. જો હું સત્ય કહું છું, તો પછી તમે શા માટે મારું માનતા નથી? 47 જે વ્યક્તિ દેવનો છે તે દેવ જે કહે છે તે સ્વીકારે છે. પણ તમે દેવ જે કહે છે તે સ્વીકારતા નથી. કારણ કે તમે દેવના નથી.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International