Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “શોશાન્નિમ.” કોરાહના કુટુંબનું માસ્કીલ. પ્રેમનું ગીત.
1 મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે.
મેં રાજા માટે કવિતા રચી છે તે.
હું બોલ છું.
મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે.
2 તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો.
તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે.
તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.
3 હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો;
અને ગૌરવથી પ્રતાપ પરિધાન કરો.
4 તમે ભવ્ય દેખાઓ છો, જાઓ, સત્ય અને ભલાઇ અને ન્યાયની લડતમાં વિજયી થાઓ.
પ્રભાવશાળી કાર્યો કરવા માટે તમારી શકિતશાળી જમણી બાહુ કેળવાયલી છે.
5 તમારા તીક્ષ્ણ બાણો મારા શત્રુઓના હૃદયો વીંધે છે,
તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે.
6 હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે;
અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.
7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે;
તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે.
8 હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે,
ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.
9 તમારી માનીતી સ્રીઓમાં ઘણી રાજકુમારીકાઓ છે.
શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે.
10 હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર;
ને પછી વિચાર કર;
તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.
11 તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે,
તે તારા સ્વામી છે,
માટે તેની સેવાભકિત કર.
12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો
લઇને તમને મળવા આવશે.
13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે;
તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે.
14 તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે.
તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે.
તમારા માટે લાવવામાં આવેલી
કુમારિકાઓ તેને અનુસરે છે.
15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે
ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે.
16 તારા વંશજો તારા પછી શાસન કરશે.
તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ.
17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ;
પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.
1 આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો,
આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
2 કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના
રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
3 તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં
અને આપણા શાસન નીચે મૂકે છે.
4 તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે,
અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.
5 હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે,
યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
6 દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ;
પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
7 દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે.
તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
8 તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે,
અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
9 ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટ્રોના
નેતાઓ ભેગા થયા છે.
બધાં રાષ્ટ્રોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે,
દેવ સવોર્ચ્ચ છે.
ગાયન: કોરાહનાં કુટુંબનું ગીત.
1 યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં
અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.
2 કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર;
આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર,
સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય,
આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!
3 તે નગરના મહેલોમાં
દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
4 પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા,
અને એકત્ર થઇ સૌ નગર પર
કૂચ કરીને ગયા.
5 જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા,
ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
6 તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ
અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.
7 દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ
તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
8 આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે.
આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં,
હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.
9 હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.
10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે,
પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે;
તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે
અને યહૂદિયાનાં નગરો હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
અને તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ,
તેના મહેલોની મુલાકાત લો;
જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે
જે આપણને સદાય દોરી જશે.
12 એક વખત યૂસફના ભાઈઓ પિતાના ઘેટાંબકરાં ચરાવવા માંટે શખેમ ગયા. 13 પછી ઇસ્રાએલે યૂસફને કહ્યું, “શખેમ જા, તારા ભાઈઓ શખેમમાં ઘેટાં બકરાં ચરાવે છે. ચાલ, હું તને તેમની પાસે મોકલું છું.”
યૂસફે કહ્યું, “હું જઈશ, હું તૈયાર છું.”
14 યૂસફના પિતાએ કહ્યું, “જા અને તપાસ કર. તારા ભાઇઓ અને ઘેટાં બકરાં કુશળ છે કે, કેમ? જોઈ આવ ને મને કહે.” એમ કહીને તેણે તેને હેબ્રોનની ખીણમાં થઈ શખેમ જવા મોકલ્યો.
15 યૂસફ શખેમમાં ખોવાઈ ગયો. એક માંણસે તેના ખેતરમાં આમતેમ રખડતો જોયો. તે માંણસે પૂછયું. “તું કોને શોધે છે?”
16 યૂસફે જવાબ આપ્યો, “હું માંરા ભાઈઓને શોધું છું; શું તમે બતાવી શકો છો કે, તેઓ કઈ જગ્યાએ ઘેટાંબકરાં ચરાવે છે?”
17 પેલા માંણસે કહ્યું, “તેઓ તો ચાલ્યા ગયા છે. મેં તેમને એમ વાત કરતાં સાંભળ્યા હતા કે, ચાલો, આપણે દોથાન જઈએ.” આથી યૂસફ પોતાના ભાઈઓની પાછળ ગયો અને તેઓ તેને દોથાનમાં મળ્યા.
યૂસફનું ગુલામી માંટે વેંચાઈ જવું
18 યૂસફના ભાઈઓએ તેને દૂરથી આવતાં જોયો અને એ તેમની પાસે આવી પહોંચે તે પહેલાં જ એને માંરી નાખવા માંટેનું ષડયંત્ર તેમણે રચ્યું. 19 ભાઈઓએ એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્ન જોવાવાળો યૂસફ આવે છે! 20 ચાલો તક મળતાં આપણે તેને માંરી નાખીએ અને કોઈ હવડ કૂવામાં નાખી દઈએ. અને આપણે આપણા પિતાને કહીશું કે, તેને કોઈ જંગલી જાનવર ખાઈ ગયું છે. પછી આપણે જોઈશું કે, એના સ્વપ્નોનું શું થાય છે?”
21 પરંતુ રૂબેન યૂસફને બચાવવા માંગતો હતો. રૂબેને કહ્યું, “આપણે એનો જીવ ન લઈએ. 22 રણના આ ખાલી કૂવામાં એને નાખી દો, પણ એને કોઈ ઈજા ન કરશો.” રૂબેનની યોજના એને બીજા ભાઇઓના હાથમાંથી બચાવી લઈને પિતાને સુપ્રત કરવાની હતી. 23 યૂસફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે એણે પેલો લાંબી બાંયનો સુંદર ડગલો પહેર્યો હતો, તેને ફાડીને ઉતારી લીધો. 24 પછી તેઓએ એને લઈ જઈને હવડ કૂવામાં ફેંકી દીધો. કૂવામાં પાણી નહોતું.
20 જ્ઞાની વ્યક્તિ ક્યાં છે? શિક્ષિત વ્યક્તિ ક્યાં છે? આ યુગનો તત્વજ્ઞાની ક્યાં છે? દેવે દુન્યવી જ્ઞાનને મૂર્ખતામાં ફરવી દીધું છે. 21 તેમના આ જ જ્ઞાન વડે દેવ આવું ઈચ્છતો હતો: દુનિયા પોતાના જ્ઞાનથી દેવને ન ઓળખી શકી ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું દેવે ઈચ્છયું.
22 યહૂદિઓ પ્રમાણ તરીકે ચમત્કારોની માગણી કરે છે. ગ્રીકો શાણપણ માગે છે. 23 પણ અમે આવો ઉપદેશ આપીએ છીએ: ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો. આ યહૂદિઓ માટે અસ્વીકાર્ય છે. અને બિનયહૂદિઓને આ મૂર્ખામી ભરેલું લાગે છે. 24 દેવે જેને બોલાવ્યો તેવા યહૂદિ (પસંદ કરેલા) અને ગ્રીક લોકો માટે ખ્રિસ્ત તો દેવનું સાર્મથ્ય તથા જ્ઞાન છે. 25 દેવની મૂર્ખતા પણ માણસો કરતાં વધુ જ્ઞાનવાળી હોય છે. દેવની નિર્બળતા પણ માણસો કરતાં વધુ શક્તિશાળી હોય છે.
26 ભાઈઓ અને બહેનો, દેવે તમને પસંદ કર્યા. તેના વિષે વિચાર કરો! અને દુનિયા જે રીતે જ્ઞાનને મુલવે છે, તે રીતે તમારામાંના ઘણા જ્ઞાની ન હતા. તમારામાના ઘણાનો વિશિષ્ટ પ્રભાવ ન હતો. કે તમારામાંના ઘણા વિશિષ્ટ ખાનદાનમાંથી પણ આવતા ન હતા. 27 જ્ઞાની માણસોને શરમાવવા દેવે જગતના મૂર્ખોની પસંદગી કરી, જગતના શક્તિશાળી માણસોને શરમાવવા દેવે નિર્બળોની પસંદગી કરી. 28 જગત જેને બિનમહત્વનું ગણે છે, અને જેને દુનિયા ધિક્કારે છે જે કશું જ નથી. દેવ તેને પસંદ કરે છે. જેને જગતે મહત્વનું ગણ્યું તેનો વિનાશ કરવા માટે દેવે પસંદ કર્યુ. 29 કોઈ પણ માણસ દેવ સામે બડાશ મારી શકે નહિ તેથી દેવે આમ કર્યુ. 30 દેવ એક જ છે જે આપણને ખ્રિસ્ત ઈસુના અંશરૂપ બનાવે છે. દેવ તરફથી ખ્રિસ્ત આપણું શાણપણ બન્યો છે. ખ્રિસ્તના કારણે આપણે દેવે પ્રત્યે ન્યાયી છીએ. ખ્રિસ્તના કારણે પાપમાંથી મુક્તિ મળી છે. ખ્રિસ્તના કારણે જ આપણે પવિત્ર છીએ. 31 તેથી જેમ શાસ્ત્રલેખ કહે છે, “જો કોઈ વ્યક્તિ અભિમાન કરે તો તે ફક્ત પ્રભુમાં જ અભિમાન કરે.”(A)
ઈસુ કેટલાક શિષ્યોની પસંદગી કરે છે
(માથ. 4:12-17; લૂ. 4:14-15)
14 આ પછી, યોહાનને બંદીખાનામાં મૂકવામાં આવ્યો હતો. ઈસુ ગાલીલમાં ગયો અને દેવ તરફથી સુવાર્તા પ્રગટ કરી. 15 ઈસુએ કહ્યું, “હવે નિશ્ચિત સમય આવી પહોંચ્યો છે. દેવનું રાજ્ય નજીક છે. પસ્તાવો કરો અને દેવની સુવાર્તામાં વિશ્વાસ કરો!”
પ્રથમ શિષ્યોને આમંત્રણ
(માથ. 4:18-22; લૂ. 5:1-11)
16 ઈસુ ગાલીલના સરોવરની બાજુમાં ચાલતો હતો ત્યારે ઈસુએ સિમોનના ભાઈ આંદ્રિયાને જોયો. આ બંને માણસો માછીમારો હતા, અને તેઓ માછલા પકડવા સરોવરમાં જાળ નાખતા હતાં. 17 ઈસુએ તેમને કહ્યું, “મારી પાછળ આવો, ને હું તમને એક જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે લોકોને ભેગા કરવાનું કામ કરશો, માછલીઓ નહિ.” 18 તેથી સિમોન અને આંદ્રિયાએ તેઓની જાળો છોડી દીધી અને ઈસુની પાછળ ગયા.
19 ઈસુએ ગાલીલ સરોવરની બાજુમાં ચાલવાનું ચાલુ રાખ્યું. તેણે ત્યાં બે વધારે ભાઈઓ, ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ હોડીમાં તેમની માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા. 20 તેમનો પિતા ઝબદી અને તે માણસો જે તેમના માટે કામ કરતાં હતા, તેઓ તે ભાઈઓ સાથે હોડીમાં હતા. જ્યારે ઈસુએ તે ભાઈઓને જોયા, તેણે તેઓને આવવા કહ્યું. તેઓએ તેમના પિતાને છોડ્યા અને ઈસુની પાછળ ગયા.
ઈસુનું અશુદ્ધ આત્માવાળા માણસને સાજા કરવું
(લૂ. 4:31-37)
21 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમમાં ગયા. વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં ગયો અને લોકોને ઉપદેશ આપ્યો. 22 ત્યાં જે લોકો હતા તેઓ ઈસુના ઉપદેશથી નવાઇ પામ્યા. ઈસુએ તેમના શાસ્ત્રીઓની જેમ શીખવ્યું નહિ. પરંતુ ઈસુએ જે વ્યક્તિ પાસે અધિકાર હોય તેવી રીતે શીખવ્યું. 23 જ્યારે ઈસુ સભાસ્થાનમાં હતો, ત્યારે એક અશુદ્ધ આત્મા વળગેલા માણસે બૂમ પાડી, 24 “નાઝરેથના ઈસુ! તારે અમારી સાથે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું તું કોણ છે-દેવનો એક પવિત્ર!”
25 ઈસુએ તેને ધમકાવતાં કહ્યું, “શાંત રહે! તે માણસમાંથી બહાર નીકળ!” 26 તે અશુદ્ધ આત્માએ તે માણસને ધ્રુંજાવી નાખ્યો. પછી તે આત્માએ મોટી બૂમ પાડી અને તે માણસમાંથી બહાર નીકળી ગયો.
27 લોકો નવાઇ પામ્યા હતા. તેઓએ એકબીજાને પૂછયું, “અહીં શું થઈ રહ્યું છે? આ માણસ કઈક નવું શીખવે છે. અને તે અધિકારથી શીખવે છે. તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.” 28 તેથી ઈસુના સમાચાર ઝડપથી ગાલીલના પ્રદેશમાં સર્વત્ર પ્રસરી ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International