Print Page Options
Previous Prev Day Next DayNext

Read the Gospels in 40 Days

Read through the four Gospels--Matthew, Mark, Luke, and John--in 40 days.
Duration: 40 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
માર્ક 13-14

મંદિરનું વિનાશાત્મક ભાવિ

(માથ. 24:1-25; લૂ. 21:5-24)

13 ઈસુ મંદિરમાંથી વિદાય લેતો હતો તેના શિષ્યોમાંના એકે કહ્યું, “જો, ઉપદેશક! આ મંદિરમાં ઘણા આકર્ષક મકાનો અને ઘણા મોટા પથ્થરો છે.”

ઈસુએ કહ્યું, “તમે આ મોટાં બાંધકામો જુઓ છો? આ બધાં બાંધકામોનો વિનાશ થશે. દરેક પથ્થર જમીન પર ફેંકવામાં આવશે. એક પણ પથ્થર ત્યાં રહેવા દેવામાં આવશે નહિ.”

પાછળથી, ઈસુ જૈતૂનના પહાડ પર એક જગ્યાએ બેઠો હતો. તે પિતર, યાકૂબ, યોહાન તથા આંન્દ્રિયા સાથે એકલો હતો. તેઓ બધા મંદિરને જોઈ શક્યા. પેલા શિષ્યોએ ઈસુને પૂછયું. “અમને કહે, આ ક્યારે બનશે? અને આ સમય બનવા માટેનો છે તે બાબતે અમને કઈ નિશાની બતાવશે?”

ઈસુએ શિષ્યોને કહ્યું, “સાવધાન રહો! કોઈ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે. ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કહેશે, ‘હું એ છું’ અને તેઓ ઘણા લોકોને છેતરશે. તમે યુદ્ધો વિષે સાંભળશો અને યુદ્ધોની અફવાઓ વિષે સાંભળશો. પણ ગભરાશો નહિ. આ વસ્તુઓ તેનો અંત થતા પહેલા થશે. રાજ્યો બીજા રાજ્યો સામે લડશે. એવો સમય આવશે જ્યારે લોકોને માટે ખાવાનું પણ નહિ હોય. અને ત્યાં જુદા જુદા સ્થળોએ ધરતીકંપ થશે. મહા દુ:ખનો આ તો આરંભ છે. બાળક જન્મતા પહેલા થતી પીડાઓ જેવી આ વસ્તુઓ છે.

“પોતા વિષે સાવધાન રહેવું જોઈએ. લોકો તમને પકડશે અને તમને ન્યાય માટે લઈ જશે. તેઓ તમને તેમના સભાસ્થાનમાં મારશે. તમને રાજ્યપાલ અને રાજાઓ સામે ઊભા રાખવામાં આવશે. તમે તેઓને મારા વિષે કહેશો. આ તમારા જીવનમાં બનશે કારણ કે તમે મને અનુસરો છો. 10 આ વસ્તુઓ બને તે પહેલા બધા લોકોને સુવાર્તા પહોંચવી જોઈએ. 11 તમને પકડવામાં આવશે અને ન્યાય થશે. પરંતુ તમારે શું કહેવું જોઈએ તેની ચિંતા અગાઉથી ના કરશો. તે સમયે દેવ તમને જે આપે તે કહેશો. તે વખતે ખરેખર તમે બોલશો નહિ પણ તે પવિત્ર આત્મા બોલનાર છે.

12 “ભાઈઓ પોતાના ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. પિતા પોતાના બાળકોની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. બાળકો તેમના માતાપિતાની વિરૂદ્ધ થશે અને તેમના માબાપને મારી નંખાવવાના રસ્તા શોધશે. 13 બધા લોકો તમને ધિક્કારશે. કારણ કે તમે મને અનુસરો છો. પણ જે વ્યક્તિ અંત સુધી ટકશે તેનું તારણ થશે.

14 “જેનાં કારણે વિનાશ થશે એવી ભયંકર વસ્તુ તમે જોશો. જ્યાં તેને ન હોવું જોઈએ, તે જગ્યાએ તે ઊભી રહેલી હશે.” (જે આ વાંચે છે તેમણે સમજવું.) “તે સમયે, યહૂદિયામાંથી લોકોએ પહાડો તરફ નાસી જવું જોઈએ. 15 કોઈ પણ વસ્તુ માટે રોકાયા વિના સમય બગાડ્યા વિના લોકોએ ભાગી જવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તેના ઘરના છાપરા ઉપર હોય તો તેણે તેના ઘરમાંથી કઈ પણ લેવા સારું નીચે જવું જોઈએ નહિ. 16 જો કોઈ વ્યક્તિ ખેતરમાં હોય તો તેણે તેનો ડગલો લેવા પાછા જવું ન જોઈએ.

17 “તે સમયે સ્ત્રીઓ જે ગર્ભવતી છે અથવા જેને ધાવણાં બાળકો છે, તેઓ માટે ઘણું ખરાબ હશે. 18 અને (તમારું નાસવુ) શિયાળામાં ન થાય તે માટે પ્રાર્થના કરો. 19 શા માટે? કારણ કે તે દિવસો દરમ્યાન ઘણી મુશ્કેલીઓ હશે. શરૂઆતમાં દેવે જ્યારે આ જગત બનાવ્યું ત્યારે જે કંઈ બન્યું હતું તેના કરતા વધારે મુશ્કેલીઓ ઊભી થશે અને આવી મુશ્કેલીઓ ફરીથી ક્યરેય બનશે નહિ. 20 તે ભયંકર સમયને ટૂંકો કરવાનો નિર્ણય દેવે કર્યો છે. જો તે સમયને ટૂંકો કરવામાં ન આવ્યો હોત તો પછી કોઈ વ્યક્તિ જીવતી રહી શકી ના હોત. પણ દેવે તેણે પસંદ કરેલા તેના ખાસ લોકોને માટે તે સમય ટૂંકો કર્યો છો.

21 “તે સમયે કેટલીક વ્યક્તિઓ તમને કહેશે, ‘જુઓ, અહીં ખ્રિસ્ત છે!’ અથવા બીજી એક વ્યક્તિ કહેશે, ‘તે ત્યાં છે!’ પણ તેમનું માનશો નહિ. 22 જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો આવશે અને મહાન કામો અને અદભૂત ચમત્કારો કરશે. તેઓ આ કામો દેવે પસંદ કરેલા લોકો આગળ કરશે, જો શક્ય હશે તો તેઓ આ કામો કરીને તેના લોકોને છેતરવાનો પ્રયત્ન કરશે. 23 તેથી સાવધાન રહો, હવે મેં તમને આ બધું બનતા પહેલા તે વિષે ચેતવણી આપી છે.”

24 “તે દિવસો દરમ્યાન આ વિપત્તિઓ પછી,

‘સૂર્ય અંધકારરૂપ થઈ જશે,
    અને ચંદ્ર તેનો પ્રકાશ આપશે નહિ.
25 આકાશના તારાઓ ખરવા લાગશે,
    અને આકાશના પરાક્રમો હલાવાશે.’[a]

26 “પછી લોકો માણસના પુત્રને ઘણાં પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશે. 27 માણસનો પુત્ર પૃથ્વીની ચારેબાજુ તેના દૂતોને મોકલશે. દૂતો પૃથ્વી પરના દરેક ભાગોમાંથી તેના પસંદ કરેવા લોકોને ભેગા કરશે.

28 “અંજીરીનું વૃક્ષ આપણને એક બોધપાઠ શીખવે છે. જ્યારે અંજીરીના વૃક્ષની ડાળીઓ લીલી અને નરમ બને છે અને નવા પાંદડાં ઊગવાની શરુંઆત થાય છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે. 29 આ વસ્તુઓ સાથે એવું જ છે જે મેં તમને કહ્યું તે બનશે જ. જ્યારે તમે આ બધું બનતું જોશો, ત્યારે તમે જાણશો કે તે સમય[b] નજીક છે. 30 હું તમને સત્ય કહું. જ્યારે આ સમયના લોકો જીવતા હશે ત્યારે જ આ બધી વસ્તુઓ બનશે. 31 આખી પૃથ્વી અને આકાશનો વિનાશ થશે. પણ જે વાતો મેં કહી છે તે કદાપિ નાશ પામશે નહિ.

32 “કોઈ વ્યક્તિ જાણતી નથી કે કયા દિવસે કયા સમયે તે થશે. તે પુત્ર અને આકાશના દૂતો પણ તે જાણતા નથી. ફક્ત પિતા જ જાણે છે. 33 સાવધાન રહો! હંમેશા તૈયાર રહો! તમને ખબર નથી તે સમય ક્યારે આવશે.

34 “એક માણસ તેનું ઘર છોડીને પ્રવાસમાં જાય છે તેના જેવું આ છે. તે માણસ તેના ઘરની સંભાળ લેવાનું તેના સેવકોને સોંપે છે. તે દરેક સેવકને દરવાજાની ચોકી કરવાનું કામ સોંપે છે. તે માણસ આ સેવકને હંમેશા તૈયાર રહેવાનું કહે છે. હમણા હું તમને કહું છું તે એ જ છે. 35 તેથી તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ, તમે જાણતા નથી, ઘરનો ધણી સાંજે, મધરાતે કે વહેલી સવારે કે જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે કદાચ આવે. 36 રખેને તે ધણી એકાએક પાછો ઝડપથી પણ આવે. જો તમે હંમેશા તૈયાર રહો તો પછી તે તમને ઊંઘતા જોશે નહિ. 37 હું તમને આ કહું છું, અને હું આ પ્રત્યેક વ્યક્તિને કહું છું: ‘તૈયાર રહો!’”

ઈસુને મારી નાખવાનું યહૂદિ આગેવાનોનું કાવતરું

(માથ. 26:1-5; લૂ. 22:1-2; યોહ. 11:45-53)

14 પાસ્ખા અને બેખમીર રોટલીના પર્વના[c] ફક્ત બે દિવસ પહેલાનો વખત હતો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને પકડવા માટે કઈક જૂઠાણાંનો ઉપયોગ કરવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરતાં હતા. પછી તેઓ તેને મારી શકે. તેઓએ કહ્યું, “પણ અમે પર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ. અમે ઈચ્છતા નથી કે લોકો ગુસ્સે થાય અને હુલ્લડનું કારણ બને.”

એક સ્ત્રીનું કંઈક વિશિષ્ટ કાર્ય

(માથ. 26:6-13; યોહ. 12:1-8)

ઈસુ બેથનિયામાં હતો. તે સિમોન કોઢિયાના ઘરમાં ખાતો હતો. જ્યારે ઈસુ ત્યાં હતો, ત્યારે એક સ્ત્રી તેની પાસે આવી. તે સ્ત્રી પાસે કીમતી અત્તરથી ભરેલી આરસપાનની શીશી હતી. આ અત્તર શુદ્ધ જટામાંસીમાંથી બનાવેલું હતું. તે સ્ત્રીએ તે શીશી ભાંગી નાખી અને ઈસુના માથા પર તે અત્તર રેડ્યું.

ત્યા કેટલાએક શિષ્યોએ આ જોયું. તેઓ નારાજ થયા અને એકબીજાને ફરિયાદ કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “તે અત્તરનો બગાડ શા માટે કરવો જોઈએ? તે અત્તરનું મૂલ્ય આખા વર્ષની કમાણી જેટલું છે. તે વેચી શકાતું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શક્યા હોત.” અને તેઓએ તે સ્ત્રીની કડક ટીકા કરી.

ઈસુએ કહ્યું, “તે સ્ત્રીની ચિંતા ના કરો. તમે શા માટે તેને સતાવો છો? તેણે મારા માટે ઘણું સારું કામ કર્યુ છે. તમારી સાથે સદાય ગરીબ લોકો હશે, તમે ઈચ્છો તે સમયે તેમને મદદ કરી શકો છે. પણ હું હંમેશા તમારી સાથે નથી. આ સ્ત્રીએ ફક્ત તે કામ કર્યુ. જે મારે માટે તેનાથી થઈ શકે, તેણે અત્તર મારા શરીર પર રેડ્યું. મારા મરતાં પહેલા મારા દફન માટે અગાઉથી તેણે આ કર્યુ. હું તમને સત્ય કહું છું. સુવાર્તા આખી દુનિયામાં લોકોને જણાવવામાં આવશે. અને દરેક જગ્યાએ જ્યાં સુવાર્તા જણાવશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ તેની વાત પણ કહેવાશે. તેણે જે કર્યું છે તેની વાતો થશે અને લોકો તેને યાદ કરશે.”

ઈસુના દુશ્મનોને મદદ કરવા યહૂદા સંમત

(માથ. 26:14-16; લૂ. 22:3-6)

10 પછી બાર પ્રેરિતોમાંનો એક મુખ્ય યાજકોને કહેવા માટે ગયો. આ યહૂદા ઈશ્કરિયોત નામનો શિષ્ય હતો, તે તેઓને ઈસુને સોંપવા ઈચ્છતો હતો. 11 મુખ્ય યાજકો આ વિષે જાણી ઘણા પ્રસન્ન હતા. તેઓએ યહૂદાને આ કરવા માટે પૈસા આપવાનું વચન આપ્યું. તેથી યહૂદા ઈસુને સોંપવાની ઉત્તમ સમયની રાહ જોતો હતો.

પાસ્ખાપર્વ

(માથ. 26:17-25; લૂ. 22:7-14, 21-23; યોહ. 13:21-30)

12 હવે તે બેખમીર રોટલીના પર્વનો પ્રથમ દિવસ હતો. આ સમયે યહૂદિઓ હંમેશા પાસ્ખાપર્વમાં ઘેટાંઓના બલિદાન કરતા. ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “અમે જઈશું અને પાસ્ખા ભોજન જમવા તારે માટે દરેક વસ્તુઓ તૈયાર કરીશું. ભોજન માટે ક્યાં જઈએ એ વિષે તારી ઈચ્છા શી છે?”

13 ઈસુએ તેના શિષ્યોમાંથી બે જણાને મોકલ્યા. ઈસુએ તેઓને કહ્યું, “શહેરમાં જાઓ, તમે એક માણસને પાણીની ગાગર લઈને જતા જોશો. તે માણસ તમારી પાસે આવશે. તે માણસની પાછળ જાઓ. 14 તે માણસ એક ઘરમાં જશે. તે વ્યક્તિ જે ઘરનો ધણી છે તેને કહો, ‘ઉપદેશક પૂછે છે કે તમે અમને તે ઓરડો બતાવો કે જ્યાં તે અને તેના શિષ્યો પાસ્ખા ભોજન ખાઈ શકે.’ 15 માલિક તમને મોટી ઉપલી મેડી બતાવશે. આ મેડી તમારા માટે તૈયાર છે. આપણાં માટે ત્યાં ભોજન તૈયાર કરો.”

16 તેથી શિષ્યો વિદાય થયા ને તે શહેરમાં ગયા. ઈસુએ કહેલી દરેક બાબત એ પ્રમાણે બની. તેથી શિષ્યોએ પાસ્ખા ભોજન તૈયાર કર્યું.

17 સાંજે, ઈસુ બાર પ્રેરિતો સાથે તે ઘરમાં ગયો. 18 જ્યારે તેઓ બધા ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારા બારમાંનો એક મારી વિરૂદ્ધ થશે, તમારામાંનો એક હમણા મારી સાથે ખાય છે.”

19 શિષ્યો આ સાંભળીને ઘણા દિલગીર થયા. દરેક શિષ્યે ઈસુને ખાતરી આપી, “ખરેખર તારી વિરૂદ્ધ થનાર તે હું નથી!”

20 ઈસુએ ઉત્તર આપ્યો, “તે માણસ જે મારી વિરૂદ્ધ છે તે તમારા બારમાંનો એક છે. જે રોટલી મારી સાથે એક જ વાટકામાં બોળે છે તે જ તે છે. 21 માણસનો પુત્ર જશે અને મૃત્યુ પામશે. તે લખાણો કહે છે, આ બનશે પરંતુ જે માણસના પુત્રને મારી નાખવા માટે સોંપવાનો છે તે વ્યક્તિ માટે તે ઘણું ખરાબ હશે. તે વ્યક્તિ કદાપિ જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.”

પ્રભુ ભોજન

(માથ. 26:26-30; લૂ. 22:15-20; 1 કરિં. 11:23-25)

22 જ્યારે તેઓ ખાતાં હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને રોટલીના ભાગ પાડ્યા. તેણે રોટલી તેના શિષ્યોને આપી. ઈસુએ કહ્યું, “આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે.”

23 પછી ઈસુએ દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને તેણે તે માટે દેવનો આભાર માન્યો અને તે શિષ્યોને આપ્યો. બધાજ શિષ્યોએ તે પ્યાલામાંથી પીધું. 24 પછી ઈસુએ કહ્યું, “આ દ્રાક્ષારસ મારું લોહી છે. મારું લોહી (મરણ) દેવ તરફથી તેના લોકો સાથે નવા કરારનો આરંભ કરે છે. આ લોહી ઘણા લોકો માટે વહેવડાવવામાં આવ્યું છે. 25 હું તમને સત્ય કહું છું, હવે પછી હું આ દ્રાક્ષારસ પીનાર નથી. જ્યારે હું દેવના રાજ્યમાં તે પીશ ત્યારે તે દ્રાક્ષારસ નવો હશે.”

26 બધા શિષ્યોએ ગીત ગાયું પછી તેઓ જૈતુનના પર્વત તરફ ગયા.

ઈસુના બધા શિષ્યોનું તેને છોડી જવું

(માથ. 26:31-35; લૂ. 22:31-34; યોહ. 13:36-38)

27 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે બધા તમારો વિશ્વાસ ગુમાવશો. શાસ્ત્રમાં તે લખાયેલું છે:

‘હું પાળકને મારી નાખીશ,
    અને ઘેટાંઓ નાસી જશે.’(A)

28 પરંતુ મારા મૃત્યુ પછી, મૃત્યુમાંથી સજીવન થઈને હું ગાલીલમાં જઇશ. હું ત્યાં તમારા જતાં પહેલા હોઈશ.”

29 પિતરે કહ્યું, “બીજા બધા શિષ્યો તેમનો વિશ્વાસ કદાચ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”

30 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. આજે રાત્રે તું કહીશ કે તું મને ઓળખતો નથી. મરઘો બે વાર બોલે તે પહેલા તું આ ત્રણ વાર એવું કહીશ.”

31 પણ પિતરે દ્રઢતાપૂર્વક ખાતરી આપી, “હું કદીય કહીશ નહિ કે હું તને ઓળખતો નથી અને જરૂર હશે તો હું તારી સાથે મૃત્યુ પણ પામીશ!” અને બીજા બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.

ઈસુ એકલો પ્રાર્થના કરે છે

(માથ. 26:36-46; લૂ. 22:39-46)

32 ઈસુએ અને તેના શિષ્યો ગેથશેમાને નામે એક સ્થળે ગયા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જ્યારે હું પ્રાર્થના કરું ત્યારે અહીં બેસો.” 33 ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને તેની સાથે આવવા કહ્યું પછી ઈસુની વધારે મુશ્કેલીઓની શરુંઆત થઈ અને તે ઘણો ઉદાસ થયો. 34 ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને કહ્યું, “મારો આત્મા દુ:ખથી ભરેલો છે. મારું હ્રદય દુ:ખથી ભાંગી પડે છે. અહીં રાહ જુઓ અને જાગતા રહો.”

35 ઈસુ તેઓથી થોડો આગળ ગયો. પછી ઈસુ ભોંય પર પડ્યો અને પ્રાર્થના કરી. ઈસુએ પ્રાર્થના કરી કે, જો શક્ય હોય તો, આ પીડાની ઘડી મારાથી દૂર થાઓ. 36 ઈસુએ પ્રાર્થના કરી, “અબ્બા પિતા! તારાથી બધું થઈ શકે છે. આ પીડાનો પ્યાલો મારાથી દૂર કર પણ તારી ઈચ્છા પ્રમાણે કર. હું ઈચ્છું તે નહિ.”

37 પછી ઈસુ તેના શિષ્યો પાસે ગયો. તેણે તેઓને ઊંઘતા જોયા. તેણે પિતરને કહ્યું, “સિમોન, તું શા માટે ઊંઘે છે? તું મારી સાથે એક કલાક જાગતો ના રહી શકે? 38 જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમને લલચાવવામાં ન આવે. જે સાચું છે તે કરવા તમારો આત્મા ઈચ્છે છે. પણ તમારું શરીર નબળું છે.”

39 ફરીથી ઈસુ ચાલ્યો ગયો અને એ જ શબ્દોમાં પ્રાર્થના કરી. 40 પછી ઈસુ શિષ્યો પાસે પાછો ગયો. ફરીથી ઈસુએ તેઓને ઊંઘતા જોયા. તેઓની આંખો ખૂબ થાકેલી હતી. શિષ્યોને ખબર નહોતી કે તેઓએ ઈસુને શું કહેવું જોઈએ.

41 ત્રીજી વખતની પ્રાર્થના કર્યા પછી ઈસુ તેના શિષ્યો પાસે પાછો ગયો. ઈસુએ તેઓને કહ્યું, “તમે હજુ પણ ઊંઘો છો અને આરામ કરો છો? તે પૂરતું છે! માણસના પુત્રને પાપી લોકોને આપવા માટેનો સમય આવ્યો છે. 42 ઊભા થાઓ! આપણે જવું જોઈએ. અહીં તે માણસ આવે છે જેમને પેલા લોકોને સોંપવાનો છે.”

ઈસુ પકડાય છે

(માથ. 26:47-56; લૂ. 22:47-53; યોહ. 18:3-12)

43 જ્યારે ઈસુ હજુ બોલતો હતો તે જ પળે યહૂદા ત્યાં આવ્યો. યહૂદા એ બાર પ્રેરિતોમાંનો એક હતો. યહૂદા સાથે ઘણા લોકો હતા. આ લોકો મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલ યહૂદી આગેવાનોમાંથી મોકલવામાં આવ્યા હતા. યહૂદા સાથેના આ લોકો પાસે તલવારો અને સોટા હતા.

44 લોકોને કયો માણસ ઈસુ હતો તે બતાવવા કઈક કરવા માટેની યોજના યહૂદાએ કરી હતી. યહૂદાએ કહ્યું, “જે માણસને હું ચૂમીશ તે ઈસુ છે. તેને પકડો અને જ્યારે તમે તેને દૂર દોરી જાઓ ત્યારે તેની ચોકી કરો.” 45 તેથી યહૂદા ઈસુ પાસે ગયો અને કહ્યું, “રાબ્બી!” પછી યહૂદા ઈસુને ચૂમ્યો. 46 પછી તે માણસોએ ઈસુને ઘેર્યો અને તેને પકડ્યો. 47 ઈસુની નજીક ઊભેલા શિષ્યોમાંના એકે તેની તલવાર તાણી અને ખેંચીને બહાર કાઢી. આ શિષ્યે મુખ્ય યાજકના નોકરને માર્યો અને તલવારથી તેનો કાન કાપી નાખ્યો.

48 પછી ઈસુએ કહ્યું, “હું એક ગુનેગાર હોઉં એમ તમે મને પકડવા તલવારો અને સોટા લઈને આવ્યા છો શું? 49 પ્રતિદિન હું મંદિરમાં ઉપદેશ આપતી વખતે તમારી સાથે હતો. તમે મને ત્યાં પકડી શક્યા નહિં પરંતુ આ બધી વસ્તુઓ બની જે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ છે.” 50 પછી ઈસુના બધા શિષ્યો તેને મૂકીને દૂર નાસી ગયા.

51 ત્યાં ઈસુની પાછળ એક જુવાન માણસ આવતો હતો. તેણે ફક્ત શણનું વસ્ત્ર ઓઢેલું હતું. લોકોએ પણ આ માણસને પકડ્યો. 52 તેણે ઓઢેલું શણનું વસ્ત્ર છૂટું થઈ ગયું અને તે ઉઘાડા શરીરે નાસી ગયો.

યહૂદિ આગેવાનો સમક્ષ ઈસુ

(માથ. 26:57-68; લૂ. 22:54-55, 63-71; યોહ. 18:13-14, 19-24)

53 તે લોકો જેમણે ઈસુને પકડ્યો હતો તેઓ તેને પ્રમુખ યાજકને ઘેર લઈ ગયા. બધા આગળ પડતાં યાજકો, વડીલ યહૂદી આગેવાનો અને શાસ્ત્રીઓ ત્યાં ભેગા થયા હતા. 54 પિતર ઈસુની પાછળ ગયો. પણ તે ઈસુની નજીક આવ્યો નહિ. પિતર ઈસુની પાછળ પ્રમુખ યાજકના ઘેર ચોકમાં આવ્યો. પિતર ત્યાં ચોકીદારો સાથે બેઠો હતો. તે અંગારાથી તાપતો હતો.

55 મુખ્ય યાજકો અને યહૂદિયોની ન્યાયની સભાએ ઈસુને મારી નાખી શકાય તે માટે કાંઇક ખોટી સાક્ષી ઈસુની વિરૂદ્ધ શોધવા પ્રયત્ન કર્યો. પરંતુ તે શોધી શક્યા નહિ. 56 ઘણા લોકો આવ્યા અને ઈસુ માટે ખોટી સાક્ષી આપી પણ તે બધાએ જુદી જુદી વાતો કહી. તેઓ એકબીજા સાથે સંમત ન હતા.

57 પછી કેટલાએક લોકો ઊભા થયા અને ઈસુની વિરૂદ્ધ કંઈક ખોટું પ્રમાણપત્ર આપ્યું. તેઓએ કહ્યું, 58 “અમે આ માણસને (ઈસુ) એમ કહેતા સાંભળ્યો છે, ‘હું આ મંદિરનો વિનાશ કરીશ જેને માણસોએ બનાવ્યું છે. અને હું ત્રણ દિવસમાં બીજું એક મંદિર બાંધીશ જે માણસોએ બનાવેલું નહિ હોય.’” 59 પણ આ લોકો જે બાબતો કહેતા હતા તે એકબીજા સાથે મળતી આવતી ન હતી.

60 પછી પ્રમુખ યાજક બધા લોકોની આગળ ઊભો થયો અને ઈસુને કહ્યું, “આ લોકો તારી વિરૂદ્ધ જે બાબત કહે છે, તારી ઉપરના આ તહોમતો વિષે તારી પાસે કઈક કહેવાનું છે? શું આ લોકો સાચું કહે છે?” 61 પણ ઈસુ કાંઇ બોલ્યો નહિ, તેણે કોઈ ઉત્તર આપ્યો નહિ.

તે પ્રમુખ યાજકે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછયો: “શું તું સ્તુતિમાન દેવનો પુત્ર ખ્રિસ્ત છે?”

62 ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું દેવનો પુત્ર છું અને ભવિષ્યમાં તમે માણસના પુત્રને તેના (દેવ) પરાક્રમની જમણી બાજુએ બેઠેલો જોશો. અને તમે માણસના પુત્રને આકાશનાં વાદળો પર આવતો જોશો.”

63 જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાખ્યા અને કહ્યું, “અમારે કોઈ વધારાના સાક્ષીઓની જરૂર નથી. 64 તમે બધાએ તેને દેવની વિરૂદ્ધ આ બાબત કહતાં સાંભળ્યો છે. તમે શું વિચારો છો?” બધા લોકોએ કહ્યું કે ઈસુ ગુનેગાર છે.

તેઓએ કહ્યું કે તે ગુનેગાર છે અને તેને મારી નાખવો જોઈએ. 65 ત્યાં કેટલાએક લોકો ઈસુ પર થૂંક્યા. તેઓએ ઈસુની આંખો ઢાંકી દીધી અને તેના પર તેમની મુંઠીઓનો પ્રહાર કર્યો તેઓએ કહ્યું, “અમને કહી બતાવ કે તું એક પ્રબોધક છે!” પછીથી ચોકીદારો ઈસુને દૂર દોરી ગયા અને તેને માર્યો.

તે ઈસુને જાણે છે તેવું કહેવામાં પિતરનો ડર

(માથ. 26:69-75; લૂ. 22:56-62; યોહ. 18:15-18, 25-27)

66 તે સમયે પિતર હજુ પણ ચોકમાં હતો. પ્રમુખ યાજકની એક દાસી પિતર પાસે આવી. 67 તે દાસીએ પિતરને અગ્નિથી તાપતા જોયો. તે પિતરને નજીકથી જોવા લાગી. પછીથી તે દાસીએ કહ્યું, “તું નાઝરેથના માણસ ઈસુ સાથે હતો.”

68 પરંતુ પિતરે કહ્યું કે તે કદી ઈસુ સાથે ન હતો. તેણે કહ્યું, “તું શાના વિષે વાતો કરે છે તે હું જાણતો કે સમજતો નથી.” પછી પિતર વિદાય થયો અને ચોકના પ્રવેશદ્ધાર તરફ ગયો.

69 દાસીએ પિતરને ત્યાં જોયો. ફરીથી તે દાસીએ લોકોને જેઓ ત્યાં ઊભા હતા તેઓને કહ્યું, “આ માણસ પેલા લોકોમાંનો એક છે જે ઈસુની પાછળ ગયો છે.” 70 ફરીથી પિતરે કહ્યું, તે સાચું નથી.

થોડાક સમય પછી કેટલાક લોકો પિતરની નજીક ઊભા હતા, તે લોકોએ કહ્યું, “તું તે લોકોમાંનો એક છે જે ઈસુને અનુસર્યો છે. તું ગાલીલથી ઈસુની જેમ જ આવ્યો છે.”

71 પછી પિતરે શાપ આપવાની શરૂઆત કરી. તેણે દ્રઢતાથી કહ્યું, “હું દેવના સોગન ખાઇને કહું છું કે આ માણસને હું ઓળખતો નથી.”

72 પિતરના આમ કહ્યાં પછી મરઘો બીજી વાર બોલ્યો, પછી ઈસુએ તેને જે કહ્યું હતું તે પિતરે યાદ કર્યું. “મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વખત કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી પિતર ઘણો દિલગીર થયો અને તે પર મન લગાડીને રડ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International