Book of Common Prayer
નિર્દેશક માટે. સ્તુતિગીત.
1 હે સર્વ પૃથ્વીવાસી લોકો,
તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
2 તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
3 દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
4 આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.
5 આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
6 સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
7 તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.
8 હે પ્રજાજનો, આપણા દેવને,
ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.
16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.
નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.
1 હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.
2 જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
3 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
5 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
6 પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
7 દેવ આપણને આશીર્વાદ આપશે,
પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
નિર્દેશક માટે. કોરાહના કુટુંબનું ગીત. અલામોથ સાથે ગાવાનું.
1 દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે;
આપણે અનુભવ કર્યો છે કે,
સંકટ સમયનાં તેઓ સાથી,
ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
2 માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય,
અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી.
3 ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે,
ને પર્વતો ધ્રુજી ઉઠે.
4 ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર
દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
5 દેવ સ્વયં તે નગરમાં વસે છે.
દેવ પરોઢિયે તેની સહાય કરશે,
તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.
6 ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો;
જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.
7 આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે;
આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.
8 આવો અને યહોવાના પરાક્રમો જુઓ.
તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.
9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે,
ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે;
અને રથોને અગ્નિથી સળગાવી દે છે.
10 દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો,
કે હું દેવ છું, સવેર્ રાષ્ટ્રો મારો આદર કરશે.
અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”
11 સૈન્યોના યહોવા આપણી સાથે છે,
યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.
8 અને પછી જયારે યૂસફના પુત્રોને ઇસ્રાએલે જોયા ત્યારે તેણે તેમને સવાલ કર્યો, “આ કોણ છે?”
9 એટલે યૂસફે કહ્યું, “એ તો માંરા પુત્રો છે, જે દેવે મને અહીં આપ્યાં છે.”
ઇસ્રાએલે કહ્યું, “એમને માંરી પાસે લાવ, જેથી હું એમને આશીર્વાદ આપું.”
10 હવે વૃદ્વાવસ્થાને કારણે ઇસ્રાએલની આંખોનું તેજ ઓછું થયું હતું. તેને દેખાતું ન હતું. તેથી યૂસફ તેઓને તેમની પાસે લઈ આવ્યો એટલે તેણે તેઓને ચુંબન કર્યુ અને પછી તે તેઓને કોટે વળગ્યો. 11 પછી ઇસ્રાએલે કહ્યું, “મને તો સ્વપ્નમાંય ખબર નહોતી કે, હું તારું મોઢું જોઈ શકીશ. પરંતુ દેવે તો મને તારાં સંતાનોનાં મુખ પણ બતાવ્યાં.”
12 પછી યૂસફે તેમને તેમના ખોળામાંથી લઈ લીધા અને જમીનને માંથું અડાડીને પ્રણામ કર્યા. 13 ત્યાર બાદ યૂસફે તે બંનેને લીધા, એફ્રાઈમને જમણી બાજુએ રાખ્યો જેથી તે ઇસ્રાએલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને ડાબી બાજુએ રાખ્યો, જેથી તે ઇસ્રાએલની જમણી બાજુએ રહે; ને એમ તે તેઓને ઇસ્રાએલની પાસે લઈને આવ્યો. 14 પરંતુ ઇસ્રાએલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમ જે નાનો હતો તેના માંથા પર મૂક્યો, અને પોતાનો ડાબો હાથ આંટી પાડીને મનાશ્શાના માંથા પર મૂકયો, જો કે, મનાશ્શા જયેષ્ઠ હતો; 15 પછી તેણે યૂસફને આશીર્વાદ આપતાં કહ્યું,
“જે દેવની સાક્ષીએ માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાક ચાલતા હતા,
જે દેવે મને સમગ્ર જીવનપર્યત સંભાળ્યો.
16 જે દેવદૂતે મને સર્વ અનિષ્ટોમાંથી ઉગાર્યો છે,
તે આ છોકરાઓને આશીર્વાદ આપો;
અને માંરું નામ તથા માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાકનાં નામ એમના વડે અમર રહો.
અને આ પૃથ્વી પર એમના વંશની વૃદ્વિ થાઓ.”
17 પરંતુ જયારે યૂસફે જોયું કે, તેના બાપે પોતાનો જમણો હાથ એફ્રાઈમને માંથે મૂકયો તો એ બાબતે નાખુશ હતો; અને એફ્રાઈમના માંથા પરથી હાથ ખસેડીને મનાશ્શાના માંથા પર લઈ જવા તેણે પોતાના પિતાનો હાથ ઉપાડયો. 18 અને પિતાને કહ્યું, “એમ નહિ, પિતાજી, કારણ કે આ જયેષ્ઠ છે; તમાંરો જમણો હાથ એના માંથા પર મૂકો.”
19 પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.”
20 આમ, તે દિવસે તેમને આશીર્વાદ આપી ઇસ્રાએલે કહ્યું,
“ઇસ્રાએલના લોકો જ્યારે
પણ કોઇને આશીર્વાદ આપશે
ત્યારે તમાંરા નામનો ઉપયોગ કરશે,
તેઓ કહેશે, ‘દેવ તમને
એફ્રાઈમ અને મનાશ્શા જેવા બનાવો.’”
આમ તેણે એફ્રાઈમને મનાશ્શાથી આગળ મૂકયો.
21 પછી યૂસફને ઇસ્રાએલે કહ્યું, “જુઓ, હવે માંરો અંત નજીક છે, પરંતુ દેવ તમને સાથ આપશે. અને ફરીથી તમને તમાંરા પિતૃઓના દેશમાં લઈ જશે. 22 પરંતુ મે તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપ્યો છે, શખેમ પહાડ આપું છું જે મેં અમોરીઓ પાસેથી માંરી તરવાર તથા માંરા ધનુષ્યની તાકાતથી એ જીતી લીધો હતો.”
11 જો દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો, અને જો દેવનો આત્મા તમારામાં વસતો હશે, તો તમારા ર્મત્ય શરીરોને પણ તે નવું જીવન આપશે. ખ્રિસ્તને મૃત્યુમાંથી ઊઠાડનાર એક માત્ર દેવ છે. અને એ જ રીતે તમારામાં રહેતો તેનો પવિત્ર આત્મા દ્વારા તમારા નાશવંત શરીરોને જીવન આપશે.
12 તેથી, મારા ભાઈઓ અને બહેનો, આપણે આપણાં પાપાત્માઓની સત્તા આપણા પર ન જ ચાલવા દેવી જોઈએ. આપણાં પાપી શરીરોની ઈચ્છાઓ કે વાસનાઓથી દોરવાઈને આપણે જીવવું જોઈએ જ નહિ. 13 જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો, તો તમારું મૃત્યુ થશે જ. પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે.
14 દેવનાં સાચાં સંતાનો એ છે કે જેઓ દેવના આત્માનું માર્ગદર્શન સ્વીકારે છે. 15 જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ. 16 આપણા આત્માની સાથે એ જ આત્મા સાક્ષી આપે છે કે આપણે દેવનાં સંતાનો છીએ. 17 જો આપણે દેવનાં સંતાનો હોઈશું, તો દેવ પોતાનાં માણસોને જે આશીર્વાદ આપે છે, તે આપણને પણ મળશે. આ આશીર્વાદો દેવ તરફથી આપણને મળશે. ખ્રિસ્તની સાથે સાથે આપણને પણ એ આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ ખ્રિસ્તે જે દુ:ખો સહન કર્યા હતાં, તેમ આપણે પણ સહન કરવાં જ પડશે. તો જ, ખ્રિસ્તની જેમ આપણને પણ મહિમા પ્રાપ્ત થશે.
ભવિષ્યમાં આપણને મહિમા મળશે
18 હમણાં આપણે દુ:ખો સહન કરી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણને જે મહિમા પ્રાપ્ત થવાનો છે તેની તુલનામાં આપણાં અત્યારનાં દુ:ખો કઈ જ નથી. 19 દેવે સર્જેલી દરેક વસ્તુ એ સમયની ઉત્તેજનાપૂર્વક રાહ જોઈ રહી છે કે જ્યારે દેવ દુનિયાને બતાવી દેશે કે તેનાં (સાચાં) સંતાનો કોણ છે એ ઘટના ઘટે એની આખા જગતને આતુરતા છે. 20 દેવે જે દરેક વસ્તુ સર્જી તે દરેક વસ્તુ જાણે નિરર્થકતાને આધીન હોય તેમ તેને બદલી નાખવામાં આવી. તેને બદલવાની ઈચ્છા ન હતી. પરંતુ દેવે તેમાં પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમાં પણ આ આશા તો હતી 21 કે દેવ-સર્જિત પ્રત્યેક વસ્તુ નષ્ટ થવાથી મુક્ત હશે. એવી પણ આશા હતી કે દેવનાં સંતાનોને જે મુક્તિ અને મહિમા પ્રાપ્ત થયા છે, તે દેવે બનાવેલી દરેક વસ્તુને મળશે.
22 આપણે જાણીએ છીએ કે, બાળકને જન્મ આપવા માટે તૈયાર કોઈ સ્ત્રી દુ:ખ સહન કરતી રાહ જોતી હોય, એ રીતે અત્યારે તો સમગ્ર સૃષ્ટિ દેવ-સર્જિત દરેક વસ્તુ માટે પ્રસૂતાની વેદના જેવી વેદના સહન કરી રહી છે. 23 પરંતુ તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે. તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતાં આપણે પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ, કહેવાનો અર્થ એ છે કે આપણાં શરીરોથી આપણને મુક્તિ મળી જાય એની આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ. 24 કારણ કે એ જ આશાથી આપણો ઉદ્ધાર થયો છે. પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે, તેની આશા કેવી રીતે રાખે. 25 પરંતુ આપણે એવી વસ્તુ મેળવવાની આશા રાખીએ છીએ કે જે હજી સુધી આપણને મળી નથી. તેના માટે આપણે ધીરજપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છીએ.
27 ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”
28 લોકોએ ઈસુને પૂછયું, “દેવ આપણી પાસે કેવાં કામો કરાવવા માટે ઈચ્છે છે?”
29 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે કામ ઈચ્છે છે તે આ છે: દેવે જેને મોકલ્યો છે તેનામાં તમે વિશ્વાસ કરો.”
30 તેથી તે લોકોએ પૂછયું, “તું દેવે મોકલેલો છે તે સાબિત કરવા તું કેવા ચમત્કારો કરીશ? જ્યારે અમે તને ચમત્કાર કરતાં જોઈશું પછી વિશ્વાસ કરીશું. તું શું કરીશ? 31 અમારા (પૂર્વજો) એ રણમાં આપેલ માન્ના ખાધું. આ શાસ્ત્રમાં લખેલું છે. ‘દેવે તેઓને આકાશમાંથી રોટલી ખાવા માટે આપી.’”
32 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, મૂસાએ તમારા લોકોને આકાશમાંથી રોટલી આપી ન હતી. પરંતુ મારા પિતા તમને આકાશમાંથી સાચી રોટલી આપે છે. 33 દેવની રોટલી શું છે? આકાશમાંથી જે રોટલી નીચે આવે છે તે દેવની છે, અને તે જગતને જીવન આપે છે.”
34 તે લોકોએ કહ્યું, “પ્રભુ, આ રોટલી અમને સદા આપો.”
35 પછી ઈસુએ કહ્યું, “જે જીવન આપે છે તે રોટલી હું છું. જે વ્યક્તિ મારી પાસે આવે છે તે કદાપિ ભૂખે મરશે નહિ. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ રાખે છે તેને કદાપિ તરસ લાગશે નહિ. 36 મે તમને અગાઉ કહ્યું છે કે તમે મને જોયો છે અને છતાં તમે વિશ્વાસ કરતા નથી. 37 મને લોકો આપે છે અને તે લોકોમાંના બધા જ મારી પાસે આવશે. મારી પાસે જે દરેક વ્યક્તિ આવશે તેનો હું હમેશા સ્વીકાર કરીશ. 38 દેવ મારી પાસે જે કરાવવા ઈચ્છે છે તે કરવા માટે હું આકાશમાંથી નીચે આવ્યો છું. હું મારી ઈચ્છાથી કઈ કરવા માટે આવ્યો નથી. 39 દેવે મને જે કઈ આપ્યું છે તેમાંથી કશું ગુમાવીશ નહિ. પણ છેલ્લા દિવસે તે લોકોને હું પાછા ઉઠાડીશ. જેણે મને મોકલ્યો છે અને મારી પાસે જે કઈ કરાવવાની ઈચ્છા છે તે આ છે. 40 વ્યક્તિ જે દીકરાને જુએ છે, અને તેનામાં વિશ્વાસ મૂકે છે. તેને અનંતજીવન મળે છે. હું તે વ્યક્તિને છેલ્લા દિવસે ઉઠાડીશ. એ મારા પિતાની ઈચ્છા છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International