Old/New Testament
અદોનિયાની રાજા બનવાની ઇચ્છા
1 હવે દાઉદ રાજા ઘણો વૃદ્ધ થયો હતો. તેમને અનેક ધાબળાઓ ઓઢાડયાં, છતાં તેનું શરીર ગરમ રહેતું નહોતું. 2 તેથી તેમના સેવકોએ તેને કહ્યું, “આપ, નામદારની આજ્ઞા હોય તો આપને માંટે કોઈ યુવાન કુમાંરિકા શોધી કાઢીએ, જે આપની સેવામાં ઊભી રહે અને આપની સારવાર કરે, આપની સોડમાં સૂઈ જશે, જેથી આપનું શરીર હુંફાળું થઇ જશે.” 3 તેમણે આખા ઇસ્રાએલમાં એક સુંદર, જુવાન અને અપરણિત કન્યા મેળવવા તપાસ કરી, આખરે તેમને શૂનામ્મી અબીશાગ નામની કન્યા પસંદ આવી, તેથી તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા. 4 તે ખૂબ રૂપાળી હતી અને સતત રાજાની સાથે રહેતી અને તેણ રાજાની મદદ અને સેવા કરી, છતાં રાજાએ તેનો સંસર્ગ કર્યો નહિ.
5 તે સમયે દાઉદ અને હાગ્ગીથના પુત્ર અદોનિયાએ પોતાના વૃદ્વ પિતાની જગ્યાએ રાજા થવાની મહત્વાકાંક્ષા રાખી હોવાથી તેણે એક રથ મેળવ્યો, ઘોડા અને પોતાના રસાલા માંટે પચાસ માંણસો મેળવ્યા. 6 તેના પિતાએ તેને આખા જીવન દરમ્યાન કદી ઠપકો આપ્યો નહોતો કે, તેને પૂછયું સરખુંય નહોતું કે, “તું આમ શા માંટે કરે છે?” વળી તે દેખાવડો હતો; અને આબ્શાલોમ પછી જન્મ્યો હતો.
7 તેણે સરૂયાના પુત્ર સરદાર યોઆબ અને યાજક અબ્યાથાર ને સર્વ પ્રથમ પોતાના વિશ્વાસમાં લીધા. તેઓએ તેને રાજા બનવામાં મદદરૂપ થવા તૈયારી બતાવી. 8 પરંતુ યાજક સાદોકે, યહોયાદાના પુત્ર બનાયા, પ્રબોધક નાથાન, શિમઈ, રેઈ અને દાઉદના સૈન્યના સરદારોએ અદોનિયાને સાથ આપવાનો ઇન્કાર કર્યો,
9-10 તેથી એક વખત અદોનિયાએ એન-રોગેલના ઝરણાં પાસે આવેલા ઝોહેલેથના ખડક પર ઘેટાં, ગાય અને વાછરડાઓનું બલિદાન કર્યુ. અને તેણે પોતાના સર્વ ભાઈઓને-રાજકુમાંરોને અને જે યહૂદાવાસીઓ રાજાના સેવકો હતા તે બધાને તેણે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેણે પ્રબોધક નાથાનને, યાજક બનાયાને કે અંગરક્ષકોને અથવા ભાઈ સુલેમાંનને આમંત્રણ આપ્યું નહિ.
નાથાન બાથશેબાને મળ્યો
11 ત્યારબાદ પ્રબોધક નાથાને સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને પૂછયું; તમને ખબર છે કે, “હાગ્ગીથનો પુત્ર અદોનિયા રાજા થઈને બેઠો છે, ને આપણા ધણી રાજા દાઉદ એનાથી અજાણ છે? 12 હવે જો તમે તમાંરો અને તમાંરા પુત્ર સુલેમાંનનો જીવ બચાવવા ઇચ્છતા હોય તો માંરી તમને સલાહ છે કે, 13 તમે અત્યારે જ દાઉદ રાજા પાસે જાઓ, અને તેમને કહો કે, ‘ધણી, આપે આપની દાસીને એવું વચન નહોતું આપ્યું કે, માંરા પછી તારો પુત્ર સુલેમાંન રાજા થશે, અને તે જ માંરી ગાદી પર બેસશે? તો પછી શા માંટે અદોનિયા રાજા થયો છે?’ 14 અને તમે રાજા સાથે વાત કરતા હશો, એટલામાં જ હું આવી પહોંચીશ અને તમે શું કહો છો તેની ચોકસાઇ કરીશ.”
15 તેથી બાથશેબા રાજાના ઓરડામાં ગઈ, રાજા ઘણો વૃદ્વ થઈ ગયો હતો અને શુનામ્મી અબીશાગ તેમની સેવા ચાકરી કરતી હતી. 16 બાથશેબાએ રાજાની સમક્ષ જમીન પર પડી સાષ્ટાંગ પ્રણામ કર્યા. રાજાએ પૂછયું, “બોલ, તારી શી ઇચ્છા છે?”
17 તેણે જવાબ આપ્યો, “નામદાર, આપે આ દાસીને આપના દેવ યહોવાને નામે વચન આપ્યું હતું કે, ‘માંરા પછી તારો પુત્ર સુલેમાંન રાજા થશે અને ફકત તે જ માંરી રાજગાદી પર બેસશે.’ 18 પણ અત્યારે તો આપની જાણ બહાર અદોનિયા જ રાજા થઈ બેઠો છે. 19 તેણે બળદો અને ઘણા તંદુરસ્ત બકરાઓનું શાંત્યર્પણ અર્પણ કર્યુ, તમાંમ રાજકુમાંરોને, યાજક અબ્યાથારને અને લશ્કરના સેનાપતિ યોઆબને નિમંત્રણ આપ્યાં છે, પરંતુ તેણે આપના સેવક સુલેમાંનને નિમંત્રણ આપ્યું નથી. 20 અને હવે માંરા ધણી, માંરા રાજા, સમગ્ર ઇસ્રાએલ આપના પછી કોણ રાજગાદી પર આવશે એની જાહેરાત માંટે આપના પર મીટ માંડી રહ્યું છે. 21 જો તમે એમ નહિ કરો તો તમે જ્યારે તમાંરા પિતૃઓ સાથે દટાયા હશો, ત્યારે માંરા પુત્ર સુલેમાંન અને માંરી સાથે ગુનેગારનું વર્તન થશે.”
22 બાથશેબા હજી તો રાજાની સાથે વાત કરતી હતી, ત્યાં જ પ્રબોધક નાથાન આવી પહોંચ્યો. 23 સેવકોએ રાજાને જણાવ્યું કે, “પ્રબોધક નાથાન આવ્યા છે.” અને નાથાને રાજાની સમક્ષ આવીને ભૂમિ પર પડી પ્રણામ કર્યા. 24 તેણે કહ્યું, “તો શું આપ નામદારની એવી આજ્ઞા છે કે, અદોનિયા આપના પછી રાજા થાય અને તે આપની ગાદીએ બેસે? 25 કારણ, આજે તેણે પોતાના રાજયાભિષેકની ઉજવણી માંટે બળદો, અને ઘણાં પુષ્ટ બકરાઓનાં બલિદાન આપ્યાં છે અને તેની ખાણીપીણીમાં તેણે તમાંરા પુત્રો ઉપરાંત લશ્કરના સેનાપતિ અને યાજક અબ્યાથાર, તેઓ તેની સાથે ખાન-પાન કરે છે અને કહે છે. ‘ઇશ્વર રાજા અદોનિયાને ઘણું જીવાડો!’ 26 તેમ છતાં તેણે આપના સેવક મને કે યાજક સાદોકને કે યહોયાદાના પુત્ર બનાયા અથવા આપના સેવક સુલેમાંનને આમંત્રણ આપ્યું નથી. 27 શું આ બધું તમાંરી જાણમાં છે? આ બધું આપ નામદારની સંમતિથી થયું છે, અને તમે આ સેવકોને જણાવ્યું પણ નથી કે, આપના પછી રાજગાદીએ કોણ આવનાર છે?”
28 ત્યારબાદ રાજા દાઉદે કહ્યું, “બાથશેબાને માંરી પાસે બોલાવો.” તેથી તે રાજા સમક્ષ આવીને ઊભી રહી.
29-30 રાજા દાઉદે કહ્યું કે, “મેં ઇસ્રાએલના દેવ યહોવાને નામે પ્રતિજ્ઞા કરી હતી, તારો પુત્ર સુલેમાંન માંરા પછી રાજા થશે અને માંરી રાજગાદી પર બેસશે. માંરા બધા સંકટોમાંથી મને યહોવાએ ઉગાર્યો છે. હું યહોવાના સોગંદ ખાઉં છું કે આજે હું માંરું વચન પાળીશ.”
31 ફરીવાર બાથશેબાએ તેની સમક્ષ ભૂમિ પર પડીને રાજાને પ્રણામ કર્યા અને બોલી, “માંરા નામદાર રાજા દાઉદ અમર રહો!”
નવો રાજા સુલેમાંન
32 ત્યારબાદ રાજા દાઉદે કહ્યું, “યાજક સાદોકને પ્રબોધક નાથાનને અને યહોયાદાના પુત્ર બનાયાને પોતાની પાસે બોલાવી લાવવાની સેવકોને આજ્ઞા આપી,” અને તેઓ રાજાની સમક્ષ ઉપસ્થિત થયા. 33 તેણે હુકમ કર્યો, “માંરા અંગરક્ષકોને સાથે લઈ જાઓ, માંરા પુત્ર સુલેમાંનને માંરા ખચ્ચર પર બેસાડો અને તેને ગીહોન લઈ જાઓ. 34 ત્યાં યાજક સાદોક અને પ્રબોધક નાથાન તેનો રાજા તરીકે અભિષેક કરશે. તે વખતે તમે રણશિંગડું વગાડી પોકાર કરજો કે, ‘રાજા સુલેમાંન ઘણું જીવો!’ 35 ત્યારબાદ તમે સુલેમાંનને ત્યાંથી અહીં લઈ આવો અને માંરા બદલે સુલેમાંનને રાજગાદી પર બેસાડો. સુલેમાંન ઇસ્રાએલ અને યહૂદાનો રાજા થશે; આ માંરો આદેશ છે.”
36 ત્યારે યહોયાદાના પુત્ર બનાયાએ રાજાને કહ્યું, “ભલે એમ થાઓ! યહોવા, તમાંરા દેવ તમાંરી ઇચ્છાઓ પૂરી કરે! 37 માંરા માંલિક અને રાજા, જેવી રીતે યહોવા તમાંરી સાથે રહ્યાં છે, તેઓ સુલેમાંન સાથે પણ રહો! એનું રાજ્ય રાજા દાઉદ કરતા પણ વધુ શકિતશાળી અને મહાન બને.”
38 એ પછી યાજક સાદોક પ્રબોધક નાથાન. યહોયાદાના પુત્ર બનાયા અને રાજાના અંગરક્ષકોએ જઈને સુલેમાંનને રાજા દાઉદના ખચ્ચર પર બેસાડયો અને તેને લઈને તેઓ ગીહોન ગયા. 39 યાજક સાદોકે એક તેલનું શિંગડુ લીધું અને સુલેમાંનના માંથા પર તેનો રાજા તરીકે અભિષેક કરવા રેડ્યું. તેમણે રણશિંગડું વગાડયું; અને બધા લોકો બોલી ઊઠયા. “રાજા સુલેમાંન ઘણું જીવો.” 40 પછી બધા લોકો વાંસળી વગાડતા અને ધરતીકંપ કરતા પણ મોટા અવાજે બૂમો પાડતા આનંદ કરતા તેની સાથે ઉપર ગયા.
41 તે વખતે અદોનિયા અને તેના મહેમાંનોએ ભોજન પૂરું કર્યુ, ત્યાં તેમણે સૌએ આ અવાજ સાંભળ્યો. રણશિંગડાનો નાદ સાંભળીને યોઆબ બોલી ઊઠયો. “શહેરમાં આ શોરબકોર શાનો છે?”
42 તે હજી બોલતો હતો, એટલામાં જ, યાજક અબ્યાથારનો પુત્ર યોનાથાન આવી પહોંચ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, તું પ્રામાંણિક માંણસ છે અને શુભ-સંદેશ જ લાવ્યો હશે.”
43 યોનાથાને જવાબ આપ્યો “નાજી, એમ નથી. આપણા નામદાર રાજા દાઉદે સુલેમાંનને રાજા બનાવ્યો છે. 44 તેણે યાજક સાદોક, પ્રબોધક નાથાન અને યહોયાદાના પુત્ર બનાયા તથા રાજાના અંગરક્ષકોને તેની સાથે મોકલ્યા છે. તેમણે તેને રાજાના ખચ્ચર પર બેસાડયો છે. 45 ત્યાં યાજક સાદોકે અને પ્રબોધક નાથાને સુલેમાંનના માંથા પર, તેલ રેડીને તેને રાજા બનાવવા અભિષેક કર્યો છે, તેઓ હમણા જ ગીહોન ઝરણાથી નગરમાં પાછા આવ્યા છે, અને સમગ્ર નગર હષોર્લ્લાસથી ઉત્સવ ઊજવી રહ્યું છે, અત્યારે શહેરમાં ભારે કોલાહલ મચી રહ્યો છે તમે જે સાંભળો છો તે એનો જ અવાજ છે. 46 સુલેમાંન હવે રાજગાદી પર બેસે છે. 47 એટલું જ નહિ, બધા જ દરબારીઓ અને પ્રજાજનો રાજા દાઉદને અભિનંદન આપતાં કહે છે, ‘દેવ સુલેમાંનને તમાંરા કરતા પણ વધુ પ્રસિદ્ધ બનાવે. તમાંરા રાજય કરતાં સુલેમાંનનું રાજ્ય દેવ વધારે પ્રતાપી બનાવો.’ રાજા દાઉદે પલંગમાંથી જ દેવને પ્રણામ કર્યા. 48 અને કહ્યું, ‘ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! માંરા એક વંશજને માંરી રાજગાદી પર બેઠેલો હું માંરી નજરે જોઈ શકયો છું.’”
49 આ સાંભળીને અદોનિયાના બધા મહેમાંનો ભયભીત બની, એકદમ ઊઠીને સૌ પોતપોતાને ધેર ગયાં. 50 અદોનિયા પણ વેદી પાસે દોડી ગયો અને તેણે વેદીના શિંગ પકડી લીધાં. 51 સુલેમાંનને સમાંચાર આપવામાં આવ્યા કે, “અદોનિયા સુલેમાંનથી ડરતો હતો અને વેદીનાં શિંગ પકડીને કહેતો હતો, ‘સુલેમાંન પહેલાં મને વચન આપો કે પોતે આ સેવકનો વધ નહિ કરો,’”
52 પછી સુલેમાંને કહ્યું, “જો તે સારી રીતે વર્તશે તો તેને આંચ નહિ આવે; પણ જો એ પ્રતિકારપૂર્વક વર્તશે તો એને માંરી નખાશે.” 53 ત્યારબાદ રાજા સુલેમાંને તેને માંણસો મોકલીને યજ્ઞવેદી પરથી તેડાવી મંગાવ્યો. તેણે આવીને રાજા આગળ પ્રણામ કર્યા; અને સુલેમાંને તેને કહ્યું કે, “તું તારે ઘેર જા.”
દાઉદનુ મૃત્યુ
2 રાજા દાઉદના જીવનનો અંત જયારે નજીક આવ્યો ત્યારે; તેણે પોતાના પુત્ર સુલેમાંનને બોલાવ્યો અને તેને આ પ્રમાંણે હુકમ કર્યો: 2 “જગતના સૌ માંનવીઓને જયાં જવાનું છે ત્યાં હું પણ હવે જાઉં છું. તું બળવાન બનજે અને વીરની જેમ વર્તજે. 3 તમાંરા દેવ યહોવાએ તમને જેનું પાલન કરવા કહ્યું છે તેનું પૂર્ણ પાલન કરજે. મૂસાના નિયમશાસ્રમાં લખેલી દેવ યહોવાના પ્રત્યેક કાનૂન અને આજ્ઞાને આધીન થજે, જેથી તું જે કામ કરે ને જયાં જાય ત્યાં તેમાં તને સફળતા પ્રાપ્ત થાય. 4 જો તું એમ કરીશ તો યહોવા મને આપેલું વચન પાળશે, યહોવાએ મને કહ્યું છે, ‘જો તારા પુત્રો ધ્યાનપૂર્વક વફાદારીથી અને સાચા અંત:કરણથી મને અનુસરશે તો ઇસ્રાએલનો રાજા સદા તમાંરા પરિવારમાંથી જ આવશે,’”
5 “સરૂયાના પુત્ર યોઆબે માંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે તું જાણે છે, તને ખબર નથી કે તેણે ઇસ્રાએલી લશ્કરના બે સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર અને યેથેરના પુત્ર અમાંસાને માંરી નાખ્યા હતા? યુદ્ધમાં તે બનેલો બનાવ હતો એવો તેણે દેખાવ કર્યો હતો, પણ હકીકતમાં એ કૃત્ય શાંતિના સમયમાં કરવામાં આવ્યું હતું. અને તેની તરવારબંધ અને પગરખાને નિર્દોષના લોહીથી કલંકિત કર્યા હતાં. 6 તું તારા ડહાપણ અનુસાર કામ કરજે, અને તેને શાંતિપૂર્વક મરવા દેતો નહિ.
7 “પરંતુ ગિલયાદના બાઝિર્લ્લાયના પરિવાર પ્રતિ સદા મિત્રભાવ રાખજે, તેમને પણ ભોજન સમયે તારી સાથે રાખજે, કારણ કે હું જયારે તારા ભાઈ આબ્શાલોમથી ભાગતો ફરતો હતો, ત્યારે તેઓ માંરા પ્રત્યે વફાદાર રહ્યાં હતા, અને માંરી સારસંભાળ રાખી હતી.
8 “બાહૂરીમનો બિન્યામીની જાતિના ગેરાનો પુત્ર શિમઈ હજી તારી સાથે છે, હું માંહનાઈમ ગયો ત્યારે તેણે મને ભારે શાપ આપ્યો હતો, પણ યર્દન નદી આગળ મળવા આવ્યો હતો અને મેં તેને યહોવાને નામે સોગંદ ખાઈને વચન આપ્યું હતું કે, હું તેને માંરી તરવારથી માંરીશ નહિ. 9 પરંતુ હવે તારે એને સજા વગર જવા દેવો નહિ, તું સમજુ છે અને એની સાથે કેમ કામ પાર પાડવું એ તને સમજાઈ રહેશે, ખાતરી કરજે કે તે વેદનાપૂર્ણ મૃત્યુથી મરે.”
10 પછી દાઉદનું અવસાન થયું અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. 11 તેણે ઇસ્રાએલ પર ચાળીસ વર્ષ રાજય કર્યુ સાત વર્ષ હેબ્રોનથી અને તેત્રીસ વર્ષ યરૂશાલેમથી.
રાજ સંભાળતો સુલેમાંન
12 પછી તેના પિતા દાઉદને સ્થાને સુલેમાંને રાજગાદી સંભાળી; તેણે રાજ્ય પર કાબૂ મેળવ્યો હતો, તેનો રાજ્ય પરનો કાબૂ મજબૂત બન્યો.
13 એક વખત હાગ્ગીથના પુત્ર અદોનિયાએ સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને તેણે પ્રણામ કર્યા. બાથશેબાએ પૂછયું, “તું શાંતિથી આવ્યો છે?”
તેણે જવાબ આપ્યો, “હા, હું શાંતિપૂર્વક આવ્યો છું. 14 એટલે તેણે કહ્યું, માંરે તમને એક વાત કરવી છે.”
બાથશેબાએ કહ્યું “તમાંરે શું કહેવું છે?”
15 એટલે તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે રાજગાદી મને મળવી જોઈતી હતી અને સમગ્ર ઇસ્રાએલ હું રાજા થઈશ એવી અપેક્ષા રાખતું હતું; પણ તેને બદલે રાજગાદી મને ટાળીને માંરા ભાઈને મળી છે, તેને યહોવાએ તે આપી. 16 અને હવે માંરે તમને એક વિનંતી કરવાની છે.”
કૃપા કરીને તમે ના ન પાડશો, બાથશેબાએ પૂછયું, “તો શું?”
17 તેથી અદોનિયાએ જવાબ આપ્યો, “તમે મહેરબાની કરી સુલેમાંનને પૂછો, મને અબીશાગ સાથે પરણવાની રજા આપે. તમને તે ના પાડશે નહિ.”
18 એટલે બાથશેબાએ કહ્યું, “સારું, હું રાજાને વાત કરીશ.”
19 પછી બાથશેબા અદોનિયા વિષે વાત કરવા રાજા સુલેમાંન પાસે ગઈ. અને આવકાર આપવા રાજા ઊભો થઇને પગે લાગ્યો, પછી પાછો રાજ્યાસન પર બેઠો, રાજાએ તેની માંતા માંટે પણ એક આસન લાવવાનો હુકમ કર્યો અને તેણી તેની જમણી બાજુ બેઠી.
20 પછી તેણે કહ્યું, “માંરે તને એક નાની વિનંતી કરવાની છે, ના પાડતો નહિ.”
રાજાએ કહ્યું, “કહો, શી વિનંતી છે. માંતાજી? હુ ના નહિ પાડું.”
21 બાથશેબાએ કહ્યું, “શૂનામ્મી અબીશાગનાં લગ્ન તારા ભાઈ અદોનિયા સાથે થાય તો સારું,”
22 રાજા સુલેમાંને તેની માંતાને કહ્યું, “તમે એમ શું કામ પૂછો છો કે, શૂનામ્મી અબીશાગનાં લગ્ન અદોનિયા સાથે થાય! માંરા રાજ્ય માંટે પૂછો, તે એના માંટે પૂછયા બરોબર છે? કારણ, એ માંરો મોટો ભાઈ છે. અને યાજક અબ્યાથાર અને સરૂયા નો પુત્ર યોઆબે તેને ટેકો આપ્યો.”
23 રાજા સુલેમાંને સમ લીધા, યહોવા મને દંડ આપે સિવાય કે, “અદોનિયા આ વિનંતી કરવા માંટે પોતાનો જીવ આપે! 24 જે યહોવાએ મને માંરાં પિતા દાઉદની ગાદી પર સ્થિર કરીને સ્થાપ્યો છે, અને જેણે વચન આપ્યા પ્રમાંણે માંરા વંશની સ્થાપના કરી છે. તેના સમ ખાઈને હું કહું છું કે, અદોનિયાને આજે જ મોતને હવાલે કરવામાં આવશે.”
25 તેથી સુલેમાંને યહોયાદાના પુત્ર બનાયાને આજ્ઞા કરી, અદોનિયાને માંરી નાખવાની.
26 પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું તારે ઘેર અનાથોથ જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે; પણ હું તને માંરી નાખીશ નહિ. કારણ કે તેં દેવ યહોવાનો પવિત્રકોશ માંરા પિતા દાઉદ સમક્ષ ઉચક્યો હતો અને તેમનાં બધાં કષ્ટોમાં તેં ભાગ પડાવ્યો હતો.” 27 આમ સુલેમાંને યહોવાના યાજકપદેથી અબ્યાથારને પદષ્ટ કર્યો. આમ એલી યાજકના વંશજો વિષે યહોવાએ શીલોહમાં જે વાણી ઉચ્ચારી હતી તે સાચી પાડી.
28 જયારે યોઆબને આ સમાંચાર મળ્યા ત્યારે, તે યહોવાના મંડપ પવિત્રસ્થાનમાં ભાગી ગયો. અને વેદીનાં શિંગ પકડી લીધાં; કારણ, તેણે અદોનિયાનો પક્ષ લીધો હતો. જો કે આબ્શાલોમનો પક્ષ લીધો નહોતો. 29 રાજા સુલેમાંનને સમાંચાર મળ્યા કે, યોઆબ યહોવાના પવિત્રમંડપમાં ભાગી ગયો છે, અને ત્યાં વેદી પાસે છે. ત્યારે સુલેમાંને યહોયાદાના પુત્ર બનાયાને મોકલીને કહ્યું કે, “જા, તેને પૂરો કર.”
30 એટલે બનાયાએ યહોવાના મંડપમાં જઈને કહ્યું, “તને રાજાનો હુકમ છે કે બહાર આવ.”
પરંતુ યોઆબે કહ્યું, “ના, હું તો અહીં જ મરીશ.”
બનાયાએ રાજાને સમાંચાર આપ્યા કે, યોઆબે મને આમ કહ્યું અને આવો જવાબ આપ્યો, 31 તેથી રાજાએ કહ્યું, “તેના કહ્યા પ્રમાંણે કર. તેને પૂરો કરીને દફનાવી દે; અને મને અને માંરા કુટુંબને, નિર્દોષ લોકોને માંરીને યોઆબે કરેલા ગુનાહમાંથી મુકત કર. 32 યહોવા એણે કરેલા ખૂનનું પાપ એને પોતાને માંથે નાખશે; કારણ, એણે બે નિર્દોષ માંણસો કે જે તેના કરતા વધારે સારા હતા, તેને માંરી નાખ્યા હતા, માંરા પિતા જાણતા નહોતા કે યોઆબે ઇસ્રાએલના સેનાધિપતિ નેરનો પુત્ર આબ્નેરનું અને યહૂદિયાના સેનાધિપતિ યેથેરના પુત્ર અમાંસાનું ખૂન કર્યુ હતું. 33 યોઆબ અને તેનાં સંતાનોને માંથે એમના રકતનું પાપ કાયમ રહો, પણ દાઉદને અને તેનાં વંશજોને અને તેના વંશને અને તેની રાજગાદીને યહોવા સદા સુખશાંતિ આપો.”
34 તેથી યહોયાદાના પુત્ર બનાયાએ જઇને યોઆબને માંરી નાખ્યો. તેના ઘર પાસે તેને વગડામાં દફનાવવામાં આવ્યો. 35 પછી રાજાએ યોઆબને બદલે યહોયાદાના પુત્ર બનાયાને લશ્કરના સેનાધિપતિ તરીકે અને યાજક તરીકે; અબ્યાથારને બદલે સાદોકની નિમણૂંક કરી. 36 એ પછી રાજાએ શિમઇને તેડાવી મંગાવ્યો અને કહ્યું, “તું યરૂશાલેમમાં ઘર બંધાવીને ત્યાં રહે, યરૂશાલેમ છોડીને તારે બીજે જવાનું નથી. 37 જે દિવસે તું શહેર છોડીને કિદ્રોનનું નાળું ઓળંગીશ તે દિવસે જરૂર તારું મોત થવાનું. અને તારા મોત માંટે તું જ જવાબદાર ગણાશે.”
38 શિમઇએ રાજાને કહ્યું, “સારું, હું આપ નામદારની આજ્ઞા મુજબ વર્તીશ,” અને લાંબા વખત સુધી શિમઇ યરૂશાલેમમાં જ રહ્યો. 39 પણ ત્રણ વરસ પછી તેના બે ગુલામો ગાથના રાજા માંઅખાહના દીકરા આખીશ પાસે ભાગી ગયા. જયારે શિમઇને કહેવામાં આવ્યું કે, તારા ગુલામો ગાથમાં છે. 40 ત્યારે શિમઇ તુરંત જ ગધેડા પર જીન નાખીને ગુલામોની શોધમાં ગાથમાં આખીશ પાસે જવા ગયો. પછી તે તેઓને ગાથમાંથી પાછા લાવ્યો.
41 જયારે રાજા સુલેમાંનને સમાંચાર મળ્યા કે, “શિમઇ યરૂશાલેમથી ગાથ ગયો હતો; અને પાછો આવી ગયો છે,” 42 પછી માંણસ મોકલીને તેણે તેને બોલાવડાવ્યો અને કહ્યું, “મેં તને યહોવાના સમ નહોતા લેવડાવ્યા, મેં તને સખત ચેતવણી નહોતી આપી કે, તું જે દિવસે શહેર છોડીને બીજે જશે તે દિવસે જરૂર મોંત આવ્યું સમજજે! અને તેં કહ્યું હતું કે, સારું, હું એ પ્રમાંણે કરીશ. 43 તો પછી તેં યહોવાના સમ ખાઈને આપેલું વચન કેમ પાળ્યું નહિ, અને માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું? 44 માંરા પિતા દાઉદ સાથે તેં જે દુષ્ટ વ્યવહાર કર્યો હતો તે તું બરાબર જાણે છે. યહોવા તને તારાં એ દુષ્ટ કૃત્યો માંટે સજા કરશે; 45 પણ રાજા સુલેમાંન આશીર્વાદિત હશે અને દાઉદની ગાદી યહોવાની હાજરીમાં સદાયને માંટે મજબૂત રીતે સ્થાપિત રહેશે.”
46 ત્યારબાદ યહોયાદાના પુત્ર બનાયાએ રાજાની આજ્ઞા પ્રમાંણે શિમઇને બહાર લઈ જઈને માંરી નાખ્યો. આમ, સુલેમાંનની સત્તા સ્થાપીત થઈ.
યરૂશાલેમમાં ઈસુનો પ્રવેશ
(માથ. 21:1-11; માર્ક 11:1-11; યોહ. 12:12-19)
28 આ બાબતો કહ્યા પછી ઈસુએ યરૂશાલેમ તરફની મુસાફરી ચાલું રાખી. 29 ઈસુ બેથફગે તથા બેથાનીયા શહેર પાસે જૈતૂન નામના પહાડ નજીક આવ્યો. ઈસુએ તેના બે શિષ્યોને મોકલ્યા. 30 તેણે કહ્યું કે, “તમે ત્યાં જે શહેર જુઓ છો ત્યાં જાઓ, જ્યારે તમે શહેરમાં પ્રવેશસો તો તમે એક (ગધેડાનું) વછેરું ત્યાં બાધેલું જોશો. આ વછેરા પર કોઈએ કદાપિ સવારી કરી નથી. વછેરાને છોડીને મારી પાસે લઈ આવો. 31 જો કોઈ વ્યક્તિ તમને પૂછે કે તમે વછેરાને શા માટે લઈ જાઓ છો. તમારે કહેવું, ‘પ્રભુને આ વછેરાની જરૂર છે.’”
32 બે શિષ્યો શહેરમાં ગયા. ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે જ તેઓને વછેરું મળ્યું. 33 શિષ્યોએ વછેરાને છોડ્યું. પણ વછેરાના માલિકો બહાર આવ્યા. તેઓએ શિષ્યોને કહ્યું કે, “તમે અમારા વછેરાને શા માટે છોડો છો?”
34 શિષ્યોએ ઉત્તર આપ્યો કે, “પ્રભુને તેની જરુંર છે.” 35 તેથી ઈસુની પાસે તે શિષ્યો વછેરાને લાવ્યા. શિષ્યોએ વછેરાની પીઠ પર તેઓનાં લૂગડાં મૂક્યા. પછી તેઓએ ઈસુને વછેરા પર બેસાડ્યો. 36 ઈસુએ યરૂશાલેમના રસ્તે વછેરા પર સવારી કરી. શિષ્યો ઈસુની આગળ પોતાના લૂગડાં રસ્તા પર પાથરતાં હતા.
37 ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો. તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો. શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો. તેઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેઓએ દેવની સ્તુતિ કરી. તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી. 38 તેઓએ કહ્યું કે,
“‘પધારો! પ્રભુના નામે જે રાજા આવે છે તેને ધન્ય છે!’ (A)
આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાઓ!”
39 કેટલાએક ફરોશીઓ જે ટોળામાં હતાં તેઓએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, તારા શિષ્યોને કહે કે આવી વાતો ના ઉચ્ચારે!”
40 ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું તમને કહું છું, આ બાબતો કહેવાવી જોઈએ. જો મારા શિષ્યો આ નહિં કહે તો આ પથ્થરો તેઓને બૂમો પાડીને કહેશે.”
યરૂશાલેમ માટે ઈસુનું રૂદન
41 ઈસુ યરૂશાલેમ પાસે આવ્યો. તેણે શહેર જોયું અને તે માટે રૂદન કર્યુ. 42 ઈસુએ યરૂશાલેમને કહ્યું કે, “હું ઈચ્છું છું કે તેં આજે શાંતિ શાના વડે લાવી શકાય તે જાણ્યું હોત. પણ તેં તે જાણ્યું નથી કારણ કે તે તમારાથી ગુપ્ત રખાયેલ છે. 43 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તારા દુશ્મનો તારી આજુબાજુ દીવાલ બાંધશે અને તને દુશ્મનો ચારે બાજુથી ઘેરી લેશે. તેઓ તને સપડાવશે અને પકડશે. 44 તેઓ તારા મકાનના એક પથ્થર પર બીજો પથ્થર પણ રહેવા દેશે નહિ. જ્યારે દેવ તારો ઉદ્ધાર કરવા આવ્યો ત્યારે તે સમયને તેં ઓળખ્યો નહિ.”
ઈસુનું મંદિરમાં આગમન
(માથ. 21:12-17; માર્ક 11:15-19; યોહ. 2:13-22)
45 ઈસુ મંદિરમાં પ્રવેશ્યો અને વસ્તુઓ વેચનારાઓની વસ્તુઓ બહાર ફેંકવા માડી. 46 ઈસુએ કહ્યું કે, “શાસ્ત્રોમાં લખ્યું છે કે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે.’(B) પરંતુ તમે તેને ‘ચોરોને છુપાવા માટેનો અડ્ડો બનાવી દીધું છે.’”
47 ઈસુ રોજ મંદિરમાં ઉપદેશ આપતો હતો. પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા. 48 પણ બધાજ લોકો ઈસુને નજીકથી એકાગ્રતાથી સાંભળતા હતા. ઈસુ જે કહેતો તેમાં તેઓને ખુબ રસ હતો. તેથી મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓને તેને કેવી રીતે મારી નાખવા શું કરવું તે સૂઝતુ ન હતું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International