Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગણના 7-8

પવિત્રમંડપની સમર્પણ વિધિ

જે દિવસે મૂસાએ પવિત્રમંડપ ઊભો કરવાનું કાર્ય સંપૂર્ણ કર્યુ, તે દિવસે તેણે મંડપનો તેમજ તેમાંની બધી સાધન-સામગ્રી વેદી તથા તેનાં બધાં સાધનોનો અભિષેક કરી તેમના બધાં પાત્રોનો અભિષેક કરીને પવિત્ર કર્યા.

ત્યારપછી ઇસ્રાએલનાં કુળસમૂહોના આગેવાનોમાંથી પસંદ કરેલા પુરુષો પોતાનાં અર્પણો લાવ્યા. તેઓ કુળોના મુખ્ય આગેવાનો હતાં અને તેઓએ વસ્તી ગણતરીના કામમાં મદદ કરી હતી. તેમણે યહોવાની સંમુખ બે બળદ જોડેલા છત્તરાવાળાં છ ગાડાં તેઓ લાવ્યા બે કુટુંબના વડાઓ દીઠ એક ગાડું અને પ્રત્યેક આગેવાન દીઠ એક બળદ. આ બધુ તેઓએ પવિત્ર મંડપમાં પ્રવેશદ્વાર પાસે યહોવાની સમક્ષ રજૂ કર્યુ.

પછી યહોવાએ મૂસાને કહ્યું, “તેઓની ભેટોનો સ્વીકાર કર, મુલાકાતમંડપની સેવામાં આ ગાડાનો ઉપયોગ કરજે. લેવીઓને તું એ તેમના કાર્યમાં ઉપયોગ કરે, તે માંટે તેમણે બજાવવાની સેવા અનુસાર સોંપી દેજે.”

તેથી મુસાએએ ગાડાં અને બળદો સ્વીકાર્યા અને લેવીઓને સોંપી દીધાં. તેણે ગેર્શોનના સમૂહને તેઓને જે સેવાઓ કરવાની હતી તે માંટે બે ગાડાં અને ચાર બળદો આપ્યા. મરારીના સમૂહે યાજક હારુનના પુત્ર ઈથામાંરની આગેવાની હેઠળ જે સેવાએ કરવાની હતી તેને માંટે તેણે તેમને ચાર ગાડાં અને આઠ બળદો આપ્યા. પરંતુ કહાથના વંશજોને કાંઈ જ આપ્યું નહિ, કારણ કે તેઓને જે પવિત્ર વસ્તુઓ સોંપવામાં આવી હતી તેની જવાબદારી તેઓ પોતાના માંથે જ રાખતા અને પોતાના ખભા ઉપર ઊચકી લેતા હતા.

10 જે દિવસે યજ્ઞવેદીને અભિષિક્ત અને સમર્પિત કરવામાં આવી તે દિવસે આગેવાનો પોતાના અર્પણો લાવ્યા અને વેદી આગળ રજૂ કર્યા. 11 યહોવાએ મૂસાને કહ્યું, “વેદીની પ્રતિષ્ઠા કરવા સારું અર્પણ વારાફરતી એક દિવસે એક જણેજ ધરાવવા.”

12-83 પ્રત્યેક વંશના આગેવાન એક સરખાં જ અર્પણ લઈને આવ્યાં.

પ્રથમ દિવસે યહૂદાના કુળસમૂહનો આગેવાન આમ્મીનાદાબનો પુત્ર નાહશોન અર્પણ લઈને આવ્યો.

બીજે દિવસે ઈસ્સાખાર વંશનો સૂઆરનો પુત્ર નથાનિયેલે અર્પણ લઈને આવ્યો.

ત્રીજે દિવસે ઝબુલોનના વંશનો વડો અને હેલોનનો પુત્ર અલીઆબ અર્પણ લાવ્યો.

ચોથે દિવસે રૂબેન વંશનો શદેઉરનો પુત્ર અલીસૂર અર્પણ લાવ્યો.

પાંચમે દિવસે શિમયોન વંશના વડા સૂરીશાદાયના પુત્ર શલુમીએલે અર્પણ લાવીને ઘરાવ્યું.

છઠ્ઠે દિવસે ગાદના વંશના વડા દેઉએલના પુત્ર એલ્યાસાફે અર્પણ લાવીને ઘરાવ્યું.

સાતમે દિવસે એફ્રાઈમના વંશના વડા આમ્મીહૂદના પુત્ર અલીશામાંએ અર્પણ લાવીને ધરાવ્યું.

આઠમાં દિવસે મનાશ્શા વંશના વડા પદાહસૂરના પુત્ર ગમાંલ્યેલ અર્પણ લાવીને ધરાવ્યું.

નવમાં દિવસે બિન્યામીન વંશના વડા ગિદિયોનીના પુત્ર અબીદાને અર્પણ લાવીને ધરાવ્યું.

દશમે દિવસે દાનના વંશના વડા આમ્મીશાદાયના પુત્ર અહીએઝેર અર્પણ ધરાવ્યું.

અગિયારમે દિવસે આશેરના વંશના વડા ઓક્રાનના પુત્ર પાગીએલે અર્પણ લાવીને ધરાવ્યું.

બારમે દિવસે નફતાલીના વંશના વડા એનાનના પુત્ર અહીરાએ અર્પણ લાવીને ધરાવ્યું.

પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 130 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો. આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો. તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી, તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન; શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.

84 આ રીતે વેદીના અભિષેકના પ્રસંગે ઇસ્રાએલના વંશના આગેવાનો સમર્પણવિધિમાં પોતપોતાનાં અર્પણો લાવ્યાં; ચાંદીની 12 કથરોટ, ચાંદીના 12 પ્યાલા, તથા સોનાની 12 ધૂપદાનીઓ, 85 ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન અધિકૃત માંપ અનુસારે 130 શેકેલ હતું, અને ચાંદીના પ્રત્યેક પ્યાલાનું વજન 70 શેકેલ હતું. ચાંદીની કથરોટો અને ચાંદીના પ્યાલાઓનું કુલ વજન 2,400 શેકેલ હતું. 86 તદુપરાંત ધૂપથી ભરેલાં 12 સોનાનાં પાત્રો હતાં, તે પ્રત્યેકનું વજન અધિકૃત માંપ પ્રમાંણે દશ શેકેલ હતું. એ પાત્રોના સોનાનું કુલ વજન મંદિરના માંપ પ્રમાંણે 120 શેકેલ હતું,

87 દહનાર્પણો માંટે કુલ 12 બળદો, 12 ઘેટાઓ એક વર્ષની ઉમરના 12 હલવાન હતા. પાપાર્થાપણ માંટે 12 નર બકરાં પણ હતાં. 88 તથા શાંત્યર્પણ માંટે કુલ 24 બળદો, 60 ઘેટા, 60 બકરાં, અને એક વર્ષની ઉમરના 60 હલવાન હતા, આ અર્પણો વેદીનો અભિષેક કરી તેના સમર્પણના પ્રસંગે અર્પણ થયા હતા. 89 જે સમયે મૂસા યહોવા સાથે વાત કરવા માંટે પવિત્રમંડપમાં પ્રવેશ્યો તે સમયે તેણે કરારકોશના ઢાંકણા ઉપરના બે કરૂબ દેવદૂતોની વચ્ચેનો અવાજ સાંભળ્યો. યહોવા આ રીતે તેની સાથે બોલતા હતા.

દીપવૃક્ષની વ્યવસ્થા

યહોવાએ મૂસાને કહ્યું, “તું હારુનને જણાવ કે તે દીપવૃક્ષની સાત દીવીઓને પ્રગટાવે ત્યારે તેનો પ્રકાશ દીપવૃક્ષના આગળના ભાગમાં પડે તે ધ્યાનમાં રાખજે.”

હારુને યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ. તેણે દીવીઓને ઉચિત સ્થાને રાખી અને તેમનું મોઢું એવી રીતે રાખ્યું અને દીપવૃક્ષનો આગળનો ભાગ પ્રકાશીત કર્યો. આ તેણે દેવે મૂસાને કરેલ આજ્ઞા પ્રમાંણે કર્યુ. દીપવૃક્ષ તથા ફૂલોથી સુશોભિત તેની બેઠક તથા ડાળીઓ, સંપૂર્ણ સોનાના ધડેલા હતાં. મૂસાને યહોવાએ દર્શાવેલા નમૂના પ્રમાંણે ખૂબ કાળજીપૂર્વક તે બનાવવામાં આવી હતી.

લેવીવંશીઓનું શુદ્ધિકરણ

પછી યહોવાએ મૂસાને કહ્યું, “હવે બાકીના ઇસ્રાએલીઓમાંથી લેવીઓને અલગ કરીને તારે તેઓની વિધિપૂર્વક શુદ્ધિ કરવી. એમની શુદ્ધિ આ મુજબ કરવી: પ્રથમ તેના પર પવિત્ર શુદ્ધિકરણનાં જળનો છંટકાવ કરવો. ત્યારબાદ તેમણે આખા શરીરે મૂડન કરાવવું, કપડા ધોઈ નાખવાં તથા શીરને ધોઈને સ્વચ્છ કરવું ત્યારે તેમની શુદ્ધિ થઈ ગણાશે.

“ત્યારબાદ તેમણે એક વાછરડું તથા મોયેલા લોટનો ખાધાર્પણ લાવવો, અને સાથે તારે એક બીજો વાછરડો પાપાર્થાર્પણ માંટે પણ લેવો, પછી લેવીઓને મુલાકાત મંડપ પાસે લાવવા. પછી બધા મુલાકાતમંડપ આગળ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ભેગો કરવો. 10 અને તું લેવીઓને યહોવા સમક્ષ લાવે ત્યારે ઇસ્રાએલીઓએ પોતાના હાથ લેવીઓના મસ્તક પર મૂકવા, 11 પછી હારુને લેવીઓને ઇસ્રાએલીઓ તરફથી ખાસ ઉપહાર તરીકે મને ધરાવવા અને માંરી સેવા માંટે સમર્પિત કરવા. ઇસ્રાએલી પ્રજાના પ્રતિનિધિ તરીકે લેવીઓ યહોવાની સેવા કરશે.

12 “ત્યારબાદ લેવીએ બંને બળદોના માંથા પર હાથ મૂકવા અને એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને બીજો દહનાર્પણ તરીકે યહોવાને ધરાવવા, લેવીઓને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિત કરવાની આ વિધિ છે. 13 પછી સર્વ લેવીઓને હારુન અને તેના પુત્રો સમક્ષ ઉભા કરવા અને યહોવાને ઉપાસના તરીકે ધરાવવાં. 14 આ રીતે તારે લેવીઓને બીજા ઇસ્રાએલીઓથી અલગ કરીને વિધિસર મને અર્પણ કરવા, જેથી લેવીઓ માંરા પોતાના થશે.

15 “આ પ્રમાંણે લેવીઓનું શુદ્ધિકરણ અને અરત્યર્પણ થયા પછી જ તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાનું શરૂ કરી શકે. તારે લેવીઓની શુદ્ધ કરીને મને સમર્પિત કરવા. 16 કારણ કે બધાં જ ઇસ્રાએલીઓ તરફથી તેઓ મને ઈનામરૂપે અપાયેલા છે. તેથી તેઓ માંરા પોતાના છે. ઇસ્રાએલી કુળના સર્વ પ્રથમજનિતોના બદલામાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે. 17 કારણ કે ઇસ્રાએલીઓનું પ્રથમજનિત બાળક પછી તે મનુષ્યનું હોય કે પશુનું હોય, માંરું છે, જે દિવસે મેં મિસરના એકેએક પ્રથમજનિત બાળક, પછી તે મનુષ્યનું હોય કે પશુનું હોય, સર્વને માંરી નાખ્યાં, તે દિવસે મેં ઇસ્રાએલનાં પ્રથમજનિત પુત્રોને મેં માંરા માંટે રાખી લીધા હતાં. 18 હવે મેં ઇસ્રાએલ સમાંજના સર્વ જ્યેષ્ઠ પુત્રોની અવેજીમાં લેવીઓને સ્વીકાર્યો છે, 19 હું તેમને હારુનને તથા તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી સેવા કરવા અને તેમના બદલે પ્રાયશ્ચિતવિધિ કરવા મુલાકાત મંડપમાં ભેટો તરીકે આપીશ. જેથી જ્યારે ઇસ્રાએલીઓ પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે મરકી કે કોઈ મુશ્કેલી તેમના પર ન પડે.”

20 પછી યહોવાએ મૂસાને લેવીઓની દીક્ષાવિધી વિષે જે સૂચનાઓ આપી હતી તેનો મૂસાએ, હારુને તથા સમગ્ર ઇસ્રાએલી સમાંજે અમલ કર્યો. 21 લેવીઓએ પોતાની જાતને શુદ્ધ કરી અને વસ્ત્રો પણ ધોયાં. હારુને તે સૌને અર્પણ તરીકે યહોવાને ધરાવી દીધા, અને તેમને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિતવિધિ કરીને સૌને શુદ્ધ કર્યા. 22 ત્યારવાદ લેવીઓને મુલાકાતમંડપમાં હારુન અને તેના પુત્રોના હાથ નીચે સેવા કરવાની છૂટ મળી. આમ યહોવાએ લેવીઓ અંગે જે આજ્ઞાઓ મૂસાને જણાવી હતી તેનું અક્ષરસ: પાલન કરવામાં આવ્યું.

23 યહોવાએ મૂસાને કહ્યું, 24 “પચ્ચીસ વર્ષની ઉમરે લેવીઓ મૂલાકાતમંડપની સેવા શરૂ કરી શકે. 25 પચાસ વર્ષની ઉમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે. 26 તેઓ મુલાકાતમંડપમાં સેવા કરતા પોતાના સાથીને ભલે મદદ કરે, પણ પોતે નિયમસરની સેવા ન કરે, લેવીઓની સેવા માંટે આ વ્યવસ્થાનું આયોજન કરવું.”

માર્ક 4:21-41

તમારી પાસે જે હોય તેનો ઉપયોગ કરવો જોઈએ

(લૂ. 8:16-18)

21 પછી ઈસુએ તેઓને કહ્યું, “શું માપ તળે અથવા ખાટલા તળે મૂકવા સારું કોઈ દીવો રાખે છે? શું દીવી પર મૂકવા નહિ? 22 જે બધું સંતાડેલું છે તે સ્પષ્ટ થશે. દરેક ગુપ્ત વસ્તુ પ્રગટ કરવામાં આવશે. 23 તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો! 24 તમે જે સાંભળો તે વિષે કાળજીપૂર્વક વિચારો. તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશે. પણ દેવ તમને, તમે જેટલું આપશો તેનાથી વધુ આપશે. 25 જે વ્યક્તિ પાસે કાંઇક છે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે કઈ થોડું છે તે પણ ગુમાવશે.”

ઈસુની બીજની વાર્તાનો ઉપયોગ

26 પછી ઈસુએ કહ્યું, “દેવનું રાજ્ય એક માણસ જમીનમાં બીજ વાવે છે તેના જેવું છે. 27 બીજ ઊગવાની શરૂઆત કરે છે. તે રાત અને દિવસ ઊગે છે. તે મહત્વનું નથી કે માણસ ઊંઘે છે કે જાગે છે, છતા પણ બીજ તો ઊગે છે; પણ તે શી રીતે ઊગયું તે જાણતો નથી. 28 કોઈ પણ જાતની મદદ વિના ભોંય અનાજ ઉગાડે છે. પ્રથમ છોડ ઊગે છે. પછી કણસલું અને ત્યાર બાદ કણસલામાં બધા દાણા ભરાય છે. 29 જ્યારે દાણા તૈયાર થાય છે, ત્યારે માણસ તેને કાપે છે. આ સમય કાપણીનો છે.”

દેવનું રાજ્ય રાઈના દાણા જેવું છે

(માથ. 13:31-32, 34-35; લૂ. 13:18-19)

30 પછી ઈસુએ કહ્યું, “દેવનું રાજ્ય શાના જેવું છે એ તમને બતાવવા હું શાનો ઉપયોગ કરી શકું? તે સમજાવવા માટે હું વાર્તાનો ઉપયોગ કરી શકું? 31 દેવનું રાજ્ય એક રાઈના બી જેવું છે જે તમે જમીનમાં વાવો છે. તે સર્વ બી કરતાં નાનામાં નાનું બી છે. 32 પણ જ્યારે તમે આ બી વાવો છો, તે ઊગે છે અને તમારા બાગના બધા જ છોડવાઓમાં સૌથી મોટો છોડ બને છે. તેને ખૂબ મોટી ડાળીઓ હોય છે. ત્યાં આકાશનાં પક્ષીઓ આવી શકે છે અને માળાઓ બનાવી શકે છે અને સૂર્યથી રક્ષણ મેળવી શકે છે.”

33 ઈસુએ તેમને શીખવવા માટે આવી ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો, જેથી તેઓ દરેક બાબત સમજી શકે. 34 ઈસુ હંમેશા લોકોને શીખવવા માટે વાર્તાઓનો ઉપયોગ કરતો. પણ જ્યારે ઈસુ અને તેના શ્ષ્યો એકલા ભેગા થતા ત્યારે ઈસુ તેઓને દરેક વાતોનો ખુલાસો કરતો.

ઈસુનું તોફાનને અટકાવવું

(માથ. 8:23-27; લૂ. 8:22-25)

35 તે દિવસે સાંજે ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે સરોવરને પેલે પાર જઇએ.” 36 ઈસુ અને શિષ્યોએ લોકોને ત્યાં છોડ્યા. ઈસુ જેમાં બેઠો હતો તે જ હોડીમાં તેઓ ગયા. ત્યાં તેની સાથે બીજી હોડીઓ પણ હતી. 37 સરોવરમાં પવનનું મોટું તોફાન થયું. મોજાઓ ઉપરની બાજુઓ પર અને હોડીની અંદર આવવા લાગ્યાં. હોડી લગભગ પાણીથી ભરાઇ ગઈ હતી. 38 ઈસુ હોડીના પાછલા ભાગમા ઓસીકા પર તેનું માથું ટેકવીને ઊંઘતો હતો. શિષ્યો તેની પાસે ગયા અને તેને જગાડીને કહ્યું, “ઉપદેશક, તને અમારી ચિંતા નથી? આપણે ડૂબી જઈશું!”

39 ઈસુ ઊભો થયો અને પવનને અને મોંજાઓને અટકી જવા આજ્ઞા કરી, ઈસુએ કહ્યું, “છાનો રહે, શાંત થા!” પછી પવન અટકી ગયો અને સરોવર શાંત થઈ ગયું.

40 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમે શા માટે ડરો છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?”

41 શિષ્યો ઘણા ડરી ગયા હતા અને એકબીજાને પૂછતા હતા કે, “આ માણસ કેવા પ્રકારનો છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International