Old/New Testament
36 “બઝાલએલ, આહોલીઆબ અને અન્ય બધા કારીગરો, જેઓને યહોવાએ કૌશલ્ય અને સમજ આપ્યાં છે જેથી તેઓને મુલાકાતમંડપના બાંધકામને લગતું બધું કામ કરતાં આવડે, તેમણે બરાબર યહોવાની આજ્ઞા મુજબ જ બધું બનાવવાનું છે.”
2 પછી મૂસાએ બઝાલએલને, આહોલીઆબને અને જે કારીગરોને યહોવાએ કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે બધાને બોલાવ્યા અને સૌને કામ શરૂ કરવા જણાવ્યું. 3 ઇસ્રાએલીઓએ મંદિર બાંધવા માંટે જે જે ભેટો આપી હતી તે બધી મૂસાએ તેમને સોંપી દીધી. તેમ છતાં ઇસ્રાએલીઓ પ્રતિદિન સવારમાં ભેટ લાવતા રહ્યા. 4 તેથી મંદિરનું કામ કરનારા બધાજ કારીગરો પોતપોતાનું કામ છોડીને મૂસા સમક્ષ આવીને કહેવા લાગ્યા, 5 “યહોવાએ જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરુ કરવા માંટે જરૂરી હોય તેના કરતાં ધણું વધારે લોકો લાવ્યા કરે છે.”
6 તેથી મૂસાએ આખી છાવણીમાં ઢંઢેરો પિટાવ્યો કે હવે વધુ ભેટ લાવવાની જરૂર નથી. એટલે લોકોએ ભેટ લાવવાનું બંધ કર્યું. 7 અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરુ કરવા માંટે જોઈએ તેના કરતાં વધારે હતું.
પવિત્ર મંડપ
8 સૌથી કુશળ કારીગરોએ પવિત્રમંડપ બનાવ્યો. ઝીણાં કાંતેલા શણ અને ભૂરા કિરમજી અને લાલ ઊનના દશ પડદાઓથી તેમણે તંબુ બનાવ્યો. એના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિઓ ભરેલી હતી. 9 પ્રત્યેક પડદો 28 વાર લાંબો અને 4 વાર પહોળો હતો. બધા જ પડદા સમાંન માંપના હતા. 10 તેમણે પાંચ તાકા જોડીને એક મોટો પડદો બનાવ્યો, અને બીજા પાંચનો બીજો મોટો પડદો બનાવ્યો. 11 તેમણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા કાપડની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં. 12 તેમણે એક મોટા પડદાના પહેલાં પડદાને 50 નાકા બનાવ્યા, અને બીજા મોટા પડદાના છેલ્લા પડદાને એની બરાબર સામે આવે એ રીતે 50 નાકાં બનાવ્યાં. 13 આ નાકાંઓને જોડવા માંટે તેમણે 50 સોનાની કડીઓ બનાવી. અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ તંબુ રચાયો.
14 એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માંટે તેમણે બકરાંના વાળના કાપડના અગિયાર પડદાઓ બનાવ્યા. તે બધા સરખા માંપના હતા. 15 પ્રત્યેક પડદો 30 હાથ લાંબો અને 4 હાથ પહોળો હતો. બધા પડદા એક જ માંપના હતા. 16 બઝાલએલ પાંચ પડદા એકબીજા સાથે જોડી દઈને એક મોટો પડદો બનાવ્યો અને બીજા છ નો બીજો એક મોટો પડદો બનાવ્યો; 17 પછી તેમણે પહેલા મોટા પડદાના છેલ્લા તાકાને 50 નાકાં મૂક્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં મૂક્યાં. 18 આ નાકાંઓને જોડવા માંટે કાંસાની નાના કદની 50 કડીઓ બનાવી તેના વડે એ બે પડદા જોડી દીધા એટલે એક સળંગ તંબુ થઈ ગયો. 19 તેમણે પવિત્રમંડપની છતનું સૌથી ઉપરનું આવરણ બનાવ્યુ. પહેલું ઘેટાનાં લાલ રંગેલાં ચામડાઓમાંથી તથા બીજુ બકરાંના પકવેલાં કુમાંશદાર ચામડાનું બનાવ્યું.
20 પવિત્રમંડપની બાજુની ભીતો માંટે ઊભા ગોઠવવા તેમણે બાવળનાં પાટિયાં તૈયાર કર્યા. 21 પ્રત્યેક પાટિયું 10 હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હતું. 22 પ્રત્યેક પાટિયાંને એકબીજા સાથે જોડવા માંટે દરેકને બબ્બે સાલ કાઢયાં હતાં; 23 દક્ષિણ બાજુએ ભીત માંટે 20 પાટિયાં હતાં. 24 તે 20 પાટિયાં ચાંદીની 40 કૂભીઓમાં ઊભા કર્યા હતા, પ્રત્યેક પાટિયું બે કૂભીઓમાં ઊભું કર્યુ હતું. 25 ઉત્તર બાજુએ ભીત માંટે પણ 20 પાટિયાં હતાં. 26 તે 20 પાટિયાં ચાંદીની 40 કૂભીઓમાં ઊભા કર્યા હતાં. પ્રત્યેક પાટિયું બે કૂભીઓ વચ્ચે ઊભુ કર્યુ હતું. 27 મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછીત માંટે છ પાટિયાં બનાવ્યાં હતાં. 28 અને પછીતના ખૂણાઓ માંટે બે પાટિયાં બનાવ્યાં. 29 પછીતનાં અને ખૂણાઓનાં પાટિયાં નીચેથી જોડેલાં હતાં અને ઠેઠ ઉપરથી પહેલી કડી સુધી જોડી દીધેલાં હતાં. 30 આમ, પશ્ચિમ બાજુએ કુલ આઠ પાટિયાં, ચાંદીની 16 કૂભીઓમાં ઊભા કરેલાં હતાં. અને પ્રત્યેક પાટિયું બે કૂભીઓમાં બેસાડેલું હતું.
31 પછી તેમણે આ પાટિયાઓને તેમની બાજુએથી એક બીજા સાથે જોડી દેવા માંટે બાવળનાં લાકડાંની ભૂંગળો બનાવી, પાંચ તંબુની એક બાજુનાં પાટિયાં માંટે અને બીજી પાંચ બીજી બાજુનાં પાટિયાં માંટે. 32 અને પાંચ ભૂગળો પશ્ચિમની પછીતના પાટિયાં માંટે, 33 આ પાંચ ભૂંગળોમાંથી વચલી ભૂંગળ પાટિયાઓની અડધી ઊચાઈને એક છેડાથી તે બીજા છેડા સુધી લાગેલી હતી. 34 આ પાટિયાઓ અને ભૂંગળો સોનાંથી મઢેલાં હતાં અને કડાંઓ શુદ્ધ સોનાનાં બનાવ્યાં હતાં.
35 અંદરનો પડદો વણાંટકામના કાપડનો બનાવેલો હતો. અને ભૂરા, જાંબુડા અને કિરમજી ઊનનો હતો. તેના ઉપર જરીથી કલાત્મક રીતે કરૂબદેવદૂતોની આકૃતિઓનું ભરત કરવામાં આવ્યું હતું. 36 પડદાને લટકાવવા માંટે બાવળની ચાર થાંભલીઓ બનાવી અને તેને સોને મઢીને, સોનાની વાળી મુકી. અને થાંભળીઓ માંટે ચાર ચાંદીની કૂભીઓ બનાવી. 37 માંડવાના પ્રવેશદ્વાર માંટે બઝાલએલે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો તથા ઝીણા કાંતેલા શણનો ભરત ભરેલો પડદો બનાવ્યો. 38 બાવળના લાકડામાંથી પાંચ થાભલી અને કડીઓ તૈયાર કરી સોનાથી મઢી, પછી તેઓને કાંસાની પાંચ કૂભીઓમાં ઊભી કરી. તેના ટોચકાઓને અને પડદાની દાંડીને. પછી સોનાની પાંચ કડીઓ વડે આ પડદો લટકાવવામાં આવ્યો.
કરારકોશની રચના
37 પછી બઝાલએલે બાવળના લાકડામાંથી પવિત્રકોશ બનાવ્યો, જેની લંબાઈ અઢી હાથ, પહોળાઈ દોઢ હાથ અને ઊંચાઈ દોઢ હાથ હતી. 2 તેણે તેને અંદર બહાર શુદ્ધ સોનાથી મઢીને તેની ફરતે સોનાની પટી મૂકી હતી. 3 તેના ચાર પગોમાં સોનાનાં ચાર કડાં જોડેલા હતાં. પ્રત્યેક છેડા ઉપર બે કડાં. 4 પછી તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેને સોનાથી મઢી લીધાં. 5 અને કોશ ઉપાડવા માંટે બંને બાજુના કડામાં પરોવી દીઘા. 6 ત્યારબાદ તેણે શુદ્ધ સોનામાંથી અઢી હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું ઢાંકણ તૈયાર કર્યું. 7 તેણે બે કરૂબદેવદૂતોની આકૃતિઓ સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવી. 8 એક છેડે એક કરૂબદેવદૂત અને બીજે છેડે એક કરૂબદેવદૂત; તેણે તેને ઢાંકણ સાથે જોડી દીધી. 9 દેવદૂતોની પાંખો ઊંચે પસારેલી હોવાથી ઢાંકણ પાંખોથી ઢંકાઈ જતું હતું. દેવદૂતોનાં મોં એકબીજાની સામસામે હતાં, અને ઢાંકણ તરફ વાળેલાં હતાં.
વિશિષ્ટ મેજ
10 બાવળના લાકડામાંથી તેણે 2 હાથ લાંબો, 1 હાથ પહોળો અને દોઢ હાથ ઊચો બાજઠ બનાવ્યો, 11 આખા બાજઠને શુદ્ધ સોનાથી મઢી લઈને બાજઠની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી. 12 પછી તેણે તેની ફરતે ચાર ઈચની કિનાર બનાવી અને તેની ફરતે સોનાની કોર મૂકી. 13 તેણે એને ઉપાડવા માંટે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચાર ખૂણે ચાર પાયે જડી દીધાં. 14 બાજઠ ઉપાડવાની દાંડીની જગાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા. 15 દાંડીઓ બાવળના લાકડાની બનાવી અને તેને સૂવર્ણથી મઢી લીધી. 16 પછી તેણે બાજઠને માંટેનાં વાસણો-રકાબીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માંટેના વાટકા શુદ્ધ સોનાનાં બનાવ્યા.
દીવીની બેસણી
17 તેણે શુદ્ધ સોનાની દીવી બનાવી; દીવીની બેસણી અને થાંભલી સોનામાંથી ઘડીને બનાવ્યાં અને તેના ઉપરનાં શોભાનાં ફૂલો, કળીઓ અને પાંદડીઓ તેની સાથે જડી દીધાં. 18 દીપવૃક્ષની બંને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી. 19 પ્રત્યેક શાખા ઉપર શોભા માંટે કળીઓ અને પાંદડીઓ સાથે બદામ ઘાટનાં ત્રણ ત્રણ ફૂલ હતાં. 20 દીપવૃક્ષની થાંભલીઓને કળીઓ અને પાંદડીઓવાળાં ચાર શોભાનાં ફૂલ હતાં. 21 દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું. અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું. આમ ચાર ફૂલ હતાં. 22 દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં, અને એ બધું શુદ્ધ સોનાની એક જ ઢાળકીમાંથી ઘડીને બનાવવામાં આવ્યું હતું. 23 દીવી માંટે તેણે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમાંરવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં. 24 દીપવૃક્ષ અને એનો સાજ બનાવવામાં તેણે 75 પૌંડ શુદ્ધ સોનું વાપર્યું હતું.
ધૂપ માંટેની વેદી
25 ધૂપ માંટેની વેદી તેણે બાવળના લાકડામાંથી બનાવી. તે 1 હાથ લાંબી, 1 હાથ પહોળી અને 2 હાથ ઊચી ને સમચોરસ હતી. વેદી પર ચાર શિંગ હતાં દરેક ખૂણામાં એક શિંગ હતું. આ શિંગો એકબીજા સાથે જોડેલા હતા, એક નંગ બનાવવા એક ભાગ તરીકે એક જ એકમમાં તેના ખુણાઓ ઉપર શિંગ તૈયાર કરેલાં હતાં. 26 આખી વેદીને શુદ્ધ સોનાથી મઢી લેવામાં આવી અને તેની ચારે તરફની ધાર ઉપર સોનાની કિનારી બનાવવામાં આવી. 27 તેણે તેને માંટે બે સોનાનાં કડા બનાવીને બંને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેમાં ઉપાડતી વખતે દાંડા પરોવી શકાય. 28 પછી તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢયા.
29 વળી તેણે અભિષેક માંટેનું તેલ તેમજ સરૈયો બનાવે તેવો શુદ્ધ સુગંધીદાર ધૂપ પણ બનાવ્યો.
યજ્ઞવેદી
38 તેણે 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊચી ચોરસ યજ્ઞ માંટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી. 2 તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર કાંસાનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું. 3 પછી તેણે વેદીનાં બધાં જ પાત્રો-ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ડોયા, પંજેટી અને સગડીઓ-કાંસાનાં બનાવ્યાં. 4 પછી તેણે વેદીની અંદરના ભાગમાં જયાં અગ્નિ પ્રગટે છે ત્યાં અડધી ઊચાઈએ ટેકા માંટેની ધાર બનાવીને તેના ઉપર કાંસાની જાળી ગોઠવી. 5 આ વેદીની ચાર બાજુઓ માંટે ચાર કડાં બનાવીને કઠેરાના ચાર ખૂણે મૂક્યાં જેથી તેમાં દાંડા ભેરવી શકાય. 6 આ દાંડા બાવળના લાકડાના બનાવીને તેને કાંસાથી મઢી લીધા, 7 પછી તેને વેદીની બાજુએ આવેલાં કડાંઓમાં પરોવી દીધા. વેદી લાકડાંના પાટિયાંમાંથી બનાવેલી હતી અને અંદરથી પોલી રાખી હતી.
8 મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે ભેગી થયેલી સ્ત્રીઓનાં દાન કરેલા કાંસાના દર્પણમાંથી ઢાળીને તેણે હાથ પગ ધોવાની કાંસાની કૂડી અને તેની કાંસાની ઘોડી બનાવ્યાં.
પવિત્ર મંડપનું આંગણું
9 પછી તેણે આંગણું બનાવ્યું; તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત 100 હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી. 10 આ પડદાને પકડી રાખવા માંટે 20 થાંભલીઓ અને 20 કૂભીઓ કાંસાની હતી. તથા એ થાંભલીઓના આંકડા અને આડા સળિયા ચાંદીના બનાવેલા હતા. 11 ઉત્તરની બાજુએ 100 હાથ લાંબા પડદા હતા અને તેને માંટે કાંસાની 20 થાંભલીઓ અને 20 કૂભીઓ હતી, તથા આંકડા અને સળિયા ચાંદીના હતા.
12 આંગણાની પશ્ચિમ બાજુએ 50 હાથ લાંબા પડદા હતા. તથા 10 થાંભલીઓ અને 10 કૂભીઓ હતી. અને આંકડા અને સળિયા ચાંદીના હતા.
13 આંગણાની પૂર્વ તરફ 50 હાથ લાંબી ભીંત હતી. આંગણનો પ્રવેશદ્વાર આ તરફ હતો. 14 પ્રવેશદ્વારની એક બાજુએ 15 હાથનો પડદો હતો અને તેને થોભવા માંટે ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી. 15 અને આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ 15 હાથ લાંબા પડદા હતા, અને તેમને ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી. 16 ભીતો બનાવવા માંટે વપરાયેલા બધા જ પડદાઓ ઝીણા કાંતેલા શણના બનાવેલા હતા. 17 પ્રત્યેક થાંભલીઓ માંટેની કૂભીઓ કાંસાની હતી અને આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં. થાંભલીઓનો ટોચકા ચાંદીના પતરાથી મઢેલી હતી, આંગણાની બધી થાંભલીઓને ચાદીની દાંડીઓ હતી.
18 આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભૂરા, કિરમજી, તથા લાલ રંગના ઊનનો અને ઝીણા કાંતેલા શણનો હતો, તેના પર ભરતકામ કરેલું હતું. અને તે 20 હાથ લાંબો અને આંગણાને ફરતા પડદાની જેમ 5 હાથ ઊંચો હતો. 19 તે ચાર કાંસાની કૂભીઓમાં બેસાડેલી ચાર કાંસાની થાંભલીઓ ઉપર લટકાવેલો હતો. તેના આંકડાઓ અને સળિયાઓ ચાંદીના હતા. થાંભલીઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતાં. 20 પવિત્રમંડપ તથા આંગણાના બાંધકામમાં વપરાયેલી બધી ખૂંટીઓ કાંસાની બનાવેલી હતી.
21 પવિત્ર તંબુ એટલે કે કરારકોશના તંબુના બાંધકામમાં વપરાયેલ વિવિધ ધાતુનો હિસાબ આ મુજબ છે. મૂસાએ એ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, અને તે યાજક હારુનના પુત્ર ઈથામાંરના નિરીક્ષણ હેઠળ તૈયાર કરેલી હતી.
22 યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા બઝાલએલે યહોવાએ મૂસાને જે જે બનાવવાની આજ્ઞા કરી હતી તે બધું બનાવ્યું. 23 તેને મદદ કરનાર દાનના વંશના અહીસામાંખનો પુત્ર આહોલીઆબ કોતરકામ કરનાર, નવી ભાતો બનાવનાર, અને ભૂરા કિરમજી અને લાલ ઊન તેમજ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.
24 એ પવિત્રસ્થાનક માંટે યહોવાને સમર્પિત કુલ સોનાનું વજન મંદિરના માંપના ધોરણ મુજબ 2 ટન કરતા વધારે હતું.
25 વસ્તીગણતરીની નોંધણી વખતે લોકો પાસેથી મળેલ ચાદીનું વજન મંદિરના માંપ ધોરણ પ્રમાંણે 3-3/4 ટન કરતા વધારે હતું. 26 વસ્તીગણતરીમાં વીસની અને તેની ઉપરની ઉંમરના 6,03,550 માંણસો નોંધાયેલ હતાં. અને તેમાંના પ્રત્યેક એક બેકા ચાંદીની ખંડણી ભરી હતી (અધીકૃત માંપ વાપરતા એક બેકા એટલે અડધો શેકેલ). 27 પવિત્રસ્થાન માંટેની અને પડદા માંટેની કૂભીઓ બનાવવામાં 3-3/4 ટન ચાંદી વપરાઈ હતી: તેમાંથી 100 કૂભીઓ બનાવી. તેથી દરેક કૂભીમાં 75 પૌંડ ચાંદી હતી. 28 બાકીની 50 પૌંડ ચાંદીમાંથી તેણે થાંભલીઓના આંકડા, તેમનાં મથાળાં અને દાંડીઓ બનાવી.
29 યહોવાને સમર્પિત કુલ કાંસા સાડા છવ્વીસ ટન કરતા વધારે હતું. 30 આ કાંસાનો ઉપયોગ મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂભીઓ, કાંસાની વેદી અને તેની કાંસાની જાળી, વેદીનાં બધાં સાધનો, 31 આંગણા માંટેના પાયા તથા તેના પ્રવેશદ્વાર અને પવિત્રમંડપ અને આંગણાનાં બાંધકામ માંટે વપરાયેલા સર્વ અને ખીલીઓ બનાવવા માંટે થયો હતો.
ઈસુ ધાર્મિક નેતાઓની ટીકા કરે છે
(માર્ક 12:38-40; લૂ. 11:37-52; 20:45-47)
23 ઈસુએ પછી લોકોને અને તેના શિષ્યોને કહ્યું. ઈસુએ કહ્યું, 2 “યહૂદિ શાસ્ત્રીઓને તથા ફરોશીઓને મૂસાનો ઉપદેશ તમને સમજાવવાનો અધિકાર છે. 3 તેથી એ લોકો જે કહે તે પ્રમાણે વર્તજો અને તેમની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ તે લોકો જે કરે છે તે પ્રમાણે તમે ન કરતા. હું એટલા માટે કહું છું કે, તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે તેઓ પોતે વર્તતા નથી. 4 તેઓ એવા કડક નિયમો બનાવે છે કે લોકોને પાળવા મુશ્કેલ પડે છે. તે બીજા લોકોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરે છે પરંતુ તે લોકો તેમાંનો એક પણ નિયમ પાળવા પ્રયત્ન કરતા નથી.
5 “તેઓ સારા કામ એટલા માટે કરે છે કે લોકો તેઓને જુએ. તેઓ પવિત્ર દેખાવા માટે શાસ્ત્ર વચનોના શબ્દો સાથેની પેટીઓ લઈ લે છે અને સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના ઝભ્ભાની ઝૂલને લાંબી કરે છે જેથી લોકો તેમને ધર્માત્મા સમજે, જુએ. 6 આવા ફરોશીઓ અને શાસ્ત્રીઓને જમણવારોમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવાનું ગમે છે અને સભાસ્થાનોમાં મુખ્ય સ્થાને બેસવાનુ ગમે છે. 7 બજારમાં લોકો તેમને માન આપે તે તેમને ગમે છે અને લોકો તેમને ‘ગુરું’ કહીને બોલાવે તેવુ તે ઈચ્છે છે.
8 “પરંતુ તમે ‘ગુરું’ ન કહેવાઓ કારણ તમારો ગુરું તો એક જ છે અને તમે બધા તો ભાઈ બહેન છો. 9 તમારામાંથી કોઈને પણ આ પૃથ્વી પર ‘પિતા’ ન કહો કારણ તમારો પિતા તો એક જ છે અને તે આકાશમાં છે. 10 તમે ‘સ્વામી’ પણ ન કહેવાઓ, કારણ તમારો સ્વામી તો ફક્ત એક જ છે અને તે માત્ર ખ્રિસ્ત, જે તમારા સ્વામી છે. 11 તમારામાં મહત્વપૂર્ણ વ્યક્તિ એ હશે કે જે તમારો સેવક બનશે. 12 જે પોતાની જાતને બીજા કરતા ઊંચો કરશે તેઓને નીચા કરવામાં આવશે. અને જેઓ પોતાને નીચો કરશે તેઓને ઊંચા કરવામાં આવશે.
13 “હે શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમને અફસોસ છે, તમે ઢોંગી છો, કારણ તમે આકાશના રાજ્યના દરવાજા લોકો માટે બંધ કરો છો. તમે પોતે આકાશના રાજ્યમાં પ્રવેશ કરતા નથી, અને જેઓ આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે તેમને જવા દેતા નથી. [14 અરે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ; ઢોંગીઓ, તમને અફસોસ છે! કારણ કે તમે વિધવાઓની મિલકત હડપ કરી જાઓ છો અને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરો છો તે માટે તમને સખત સજા થશે.]
15 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમારા માર્ગોને એક વ્યક્તિ અનુસરે માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો; જ્યારે તમને તે વ્યક્તિ મળે છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો!
16 “ઓ અંધ આગેવાનો તમારી કેવી દુર્દશા થશે? તમારો નિયમ છે કે ‘જો કોઈ પ્રભુ મંદિરના નામે સમ લે તો કાંઈ વાંધો નહિં, અને એ ના પાળે તો પણ ચાલે પણ મંદિરના સોનાના નામે સમ લે તો પછી તેણે તેના સમ પાળવા જોઈએ.’ 17 અરે ઓ અંધ મૂર્ખાઓ! વધારે મોટુ કયું, સોનું કે મંદિર? મંદિર મોટું છે કારણ એ મંદિરને લીધે સોનું પવિત્ર બન્યું છે.
18 “તમે એ પણ કહો છો, ‘કોઈ વેદીના સમ ખાય તો તે અગત્યનું નથી પરંતુ જો વેદી પર ચઢાવેલ વસ્તુના સમ ખાય તો તેણે તે સમ પાળવા જ જોઈએ.’ 19 અરે અંધજનો, કોણ મોટું, વેદી પર ચઢાવેલી વસ્તુ કે વેદી? જે અર્પણને પવિત્ર બનાવે છે? 20 તેથી જે કોઈ વેદીના સમ લે છે તે તેના તથા તેના પર મૂકેલ દરેક વસ્તુના સમ લે છે. 21 જે મંદિરના સમ લે છે તે તેની સાથે મંદિરમાં રહે છે તેના પણ સમ લે છે. 22 અને જે આકાશના સમ લે છે તે દેવના રાજ્યાસનની સાથે એ રાજ્યાસન પર બેસનારના પણ સમ લે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International