Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નિર્ગમન 39-40

યાજકો માંટેના પોષાક

39 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યાજકોએ પહેરવાના દબદબાભર્યા પોષાક, લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના કાપડમાંથી બનાવ્યા. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માંટેનાં વસ્ત્રો બનાવ્યાં.

એફોદ

તેમણે એફોદ સોનાનું તથા જાંબુડિયા, કિરમજી અને લાલ ઊન અને ઝીણા કાંતેલા શણનું બનાવ્યું. સોનાને ટીપીને બઝાલએલે સોનાના પાતળાં પતરાં બનાવ્યાં. અને તેને કાપીને તેના તાર બનાવ્યા. આ તાર ભૂરા, જાંબુડા, અને કિરમજી રંગના કાપડમાં વણી લેવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું. એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા. જેથી તે બાંધી શકાય. એના ઉપરનો કમરપટો પણ યહોવાએ મૂસાને આજ્ઞા કર્યા મુજબ એફોદના જેવી ન કારીગરીવાળો અને સોનેરી, જાંબુડિયા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો.

પછી તેમણે બે ગોમેદ પાષાણો સોનાના ચોકઠામાં જડયા, આ પાષાણો ઉપર ઇસ્રાએલના કુળોનાં નામ કોતરેલાં હતાં. અને પછી તેઓએ તેને એફોદના ખભાના પટ્ટા સાથે, દેવને ઇસ્રાએલીઓની યાદી તરીકે જોડી દીધા. યહોવાએ જેમ મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાંણે કરવામાં આવ્યું હતું.

ન્યાયકરણનું ઉરપત્ર

તેમણે ન્યાયકરણ ઉરપત્ર એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માંટે તેમણે સોનાના દોરા, જાબુંડિયા, કિરમજી, અને લાલ ઉન તથા ઝીણા કાંતેલા શણનો ઉપયોગ કર્યો. તે એક સમચોરસ બેવડ વાળેલું એક વેંત લાંબું અને એક વેંત પહોળું હતું. 10 એમાં નંગોની ચાર હાર બેસાડેલી હતી; પ્રથમ હારમાં માંણેક, પોખરાજ અને લાલ રત્ન હતા. 11 બીજી હારમાં લીલમ, નીલમ અને હીરા. 12 ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત 13 અને ચોથી હારમાં ગોમેદ, પિરોજ અને યાસપિસની, એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા. 14 આ રીતે તેમાં બાર નંગો હતા અને તેના પર ઇસ્રાએલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. પ્રત્યેક નંગ પર ઇસ્રાએલના એક વંશનું નામ કળાથી કોતરેલું હતું.

15 તેમણે ન્યાયકરણ ઉરપત્ર માંટે શુદ્ધ સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી. 16 તદુપરાંત તેમણે સોનાની બે વાળી બનાવી ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માંટે બે સોનાની નકશી બનાવી. 17 પછી ન્યાયકરણ ઉરપત્રના છેડા પર મૂકેલી કડીઓમાં સોનાની સાંકળીઓ જોડી દીધી. 18 એ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દીધાં અને એ રીતે એ ચોકઠાં ન્યાયકોથળીની સ્કંધપટીઓના આગળના ભાગ પર જોડી દીધાં. 19 તે પછી સોનાની બીજી બે કડીઓ બનાવી એફોદની નજીકના ન્યાયકરણ ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી. 20 ત્યારબાદ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી. 21 ન્યાયકરણ ઉરપત્રના નીચલા છેડાને ભૂરી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધી દીધો, જેથી યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ ન્યાયકરણ ઉરપત્ર કરમપટા ઉપર રહે અને છૂટ્ટુ ન પડી જાય.

યાજકોના અન્ય વસ્ત્રો

22 અફોદ પરનો જામો આખો ભૂરા રંગના કાપડનો એક કુશળ કારીગરે બનાવ્યો હતો. 23 તેમણે જામાંની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. તેની કિનાર ફાટી ન જાય તે માંટે સીવવામાં આવી હતી.

24 જામાંની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના તથા ભૂરા તથા જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં. 25 તેમજ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવી એ દાડમો વચ્ચે આખી નીચલી બાજુએ મૂકી હતી. 26 એ જ રીતે ઝભ્ભાની નીચેની બાજુએ વારાફરતી દાડમ અને ઘૂઘરી આવતાં હતાં. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાંણે હારુન યહોવાની સેવા કરતી વખતે આ ઝભ્ભો પહેરતો હતો.

27 તેમણે હારુન અને તેના પુત્રો માંટે ઝીણા કાંતેલા શણના અંગરખાં બનાવ્યાં, 28 વળી ઝીણા કાંતેલા શણમાંથી પાધડીઓ, ફાળિયા, અને પાયજામાં બનાવ્યા. 29 તથા યહોવાની આજ્ઞા મુજબ ભૂરા, કિરમજી, અને લાલ ઊનનો ભરત ભરેલો ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો.

30 અંતે તેમણે શુદ્ધ સોનામાંથી એક તકતી બનાવી જેની પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, “યહોવા પવિત્રતા” તે મુગટ ઉપર જડેલી હતી. 31 એ ભુરા રંગની પટ્ટી સાથે બાંધેલી હતી, જે પાઘડી ઉપર બંધાએલી હતી.

મૂસા દ્વારા પવિત્રમંડપનું નિરીક્ષણ

32 આ રીતે યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા અનુસાર પવિત્રમંડપનું કામ પૂર્ણ થયું. આ બધુંજ ઇસ્રાએલીઓએ આજ્ઞા મુજબ કર્યું. 33 પછી તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલીઓ અને કૂભીઓ, 34 તેઓએ તેને સુકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના ઢાંકણ અને ઝીણા ચામડામાંથી બનાવેલા ઢાંકણ અને અત્યંત પવિત્રજગ્યાનાં પ્રવેશ દ્વારનો પડદો બનાવ્યો.

35 કરારકોશ, તેના દાંડા, તેનું ઢાંકણ, 36 મેજ અને તેનાં બધાં સાધનો, અર્પણ કરેલી રોટલી, 37 શુદ્ધ સોનાનું દીપવૃક્ષ-તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, અને તેનાં બધાં સાધનો, અને પૂરવાનું તેલ, 38 સોનાની વેદી, અભિષેક માંટેનું તેલ, સુગંધીદાર ધૂપ, મુલાકાત મંડપના પ્રવેશદ્વારનો પડદો, 39 કાંસાની વેદી, તેની કાંસાની બનાવેલી જાળી, તેના દાંડા, અને તેનાં બધાં સાધનો કૂડી અને તેની ધોડી,

40 આંગણાની ભીંતો માંટેના પડદાઓ, અને તેને લટકાવવા માંટેની થાંભલીઓ અને કૂભીઓ, તેમજ આંગણાંના પ્રવેશદ્વાર માંટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ તથા મુલાકાતમંડપમાં સેવા માંટે વાપરવાનાં બધાં સાધનો.

41 પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે પહેરવાનાં સુંદર દબદબાભર્યા વસ્ત્રો તથા યાજક તરીકે ફરજ બજાવતી વખતે હારુન અને તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો મૂસાને બતાવ્યાં.

42 યહોવાએ મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇસ્રાએલીઓએ પૂર્ણ કર્યું હતું. 43 પછી મૂસાએ બધું જ તપાસી લીધું અને યહોવાએ જણાવ્યા મુજબ બનાવ્યુ છે એની ખાતરી કરી લીધી અને પછી મૂસાએ તેમને આશીર્વાદ આપ્યા.

મૂસા દ્વારા પવિત્રમંડપની સ્થાપના

40 હવે યહોવાએ મૂસાને કહ્યું, “પ્રથમ માંસના પ્રથમ દિવસે તું પવિત્રમડંપ ઊભો કરજે. પછી જેમાં દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે સાક્ષ્યકોશ મંડપમાં મૂકજે; અને પરમપવિત્ર સ્થાનમાં સાક્ષ્યકોશને પડદાથી ઢાંકી દેજે. પછી મેજ લાવીને તેના પર પાત્રો ગોઠવજે, અને દીવી લાવીને તેના પર કોડિયાં ગોઠવીને દીવાઓ પ્રગટાવજે. ત્યારબાદ સાક્ષ્યકોશ આગળ સોનાની ધૂપદાની ગોઠવજે.

“પ્રવેશદ્વારનો પડદો મુલાકાતમંડપમાં યથાસ્થાને લટકાવજે. અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સામે દહનાર્પણ માંટે વેદી મૂકજે. મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે કૂડી મૂકજે અને તેમાં પાણી ભરજે. મુલાકાત મંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરજે અને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે.

“પછી અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરી, તેની તથા તેમાંના બધા રાચરચીલાની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે. 10 વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરી તેમની શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે. 11 કૂડી અને તેની ઘોડીની પણ શુદ્ધિ કરવા માંટે અભિષેક કરજે.

12 “પછી તું હારુનને અને તના પુત્રોને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેમને જળથી સ્નાન કરાવજે. 13 ત્યારબાદ હારુનને પવિત્ર પોશાક પહેરાવજે અને તેનો અભિષેક કરજે, અને યાજક તરીકે માંરી સેવા કરવા માંટે તેને પવિત્ર કરજે. 14 ત્યાર પછી તું તેના પુત્રોને આગળ લાવીને અંગરખાં પહેરાવજે. 15 તેમના પિતાની જેમ તમને પણ અભિષેક કરી યાજકપદે દીક્ષિત કરજે. તેમનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માંટે યાજકો બનશે.” 16 યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે પ્રમાંણે કરવા માંટે મૂસા આગળ વધ્યો.

17 બીજા વર્ષના પ્રથમ માંસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો. 18 મૂસાએ કૂભીઓ ગોઠવી. પાટિયાં બેસાડયાં, વળીઓ જડી દીધી અને થાંભલીઓ ઊભી કરી દીધી. 19 યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાંણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને છેક ઉપર આચ્છાદન લગાવ્યા.

20 અને તેની પર યહોવાની આજ્ઞા મુજબ ઢાંકણ પાથરી દીધું. તેણે સાક્ષ્યલેખ કોશમાં મૂકી, કડાંમાં દાંડીઓ બેસાડી કરારકોશને મથાળે ઢાંકણ મૂકી દીધું. 21 પછી પવિત્રકોશને તે પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો. 22 મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂકયો. 23 અને તેના ઉપર યહોવાની આજ્ઞા અનુસાર યહોવાને ધરાવેલી રોટલી મૂકી. 24 મુલાકાત મંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેમણે દીવી મૂકી. 25 અને યહોવાની આજ્ઞા મુજબ તેના ઉપર યહોવા સમક્ષ દીવા સળગાવ્યાં.

26 મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી. 27 યહોવાની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો. 28 પવિત્રમંડપના પ્રવેશદ્વારે તેણે પડદો લટકાવ્યો.

29 તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માંટે વેદી ગોઠવી, અને તેના ઉપર બળેલાં દહનાર્પણ અને ખાધાર્પણ અર્પવા આ બધું તેણે દેવની આજ્ઞા મુજબ કર્યુ.

30 તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે કૂડી ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માંટે પાણી રેડયું; 31 મૂસા અને હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા અથવા આહુતિ અર્પણ કરવા વેદી પાસે જતા. 32 ત્યારે યહોવાએ મૂસાને આજ્ઞા કર્યા મુજબ એમાંથી હાથપગ ધોતા.

33 તેણે પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભું કર્યુ. અને આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાંણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.

યહોવાનું ગૌરવ

34 ત્યારબાદ મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું. 35 મૂસા મુલાકાત મંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે, વાદળ તેના પર સ્થિર થયું હતું, અને યહોવાનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.

36 ઇસ્રાએલીઓના પ્રવાસના પ્રત્યેક મુકામે જયારે વાદળ મંડપ પરથી હઠી જતું ત્યારે તે લોકો મુકામ ઉપાડતા. 37 પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ ઉપાડતા નહિ. 38 દિવસ દરમ્યાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇસ્રાએલી લોકો સમગ્ર પ્રવાસ દરમ્યાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.

માથ્થી 23:23-39

23 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમે તમારી પાસે જે કાંઈ ફુદીનાનો, સૂવાનો, તથા જીરાનો દશમો ભાગ છે તે દેવને આપો છો. પરંતુ તમે વધારે નિયમશાસ્ત્રની મોટી વાતોનું પાલન કરતા નથી. તમે ન્યાયીકરણ, દયા અને વિશ્વાસની અવગણના કરો છો. તમારે આ બીજી બાબતોની ઉપેક્ષા કર્યા વિના તમારે આ બધાનું પાલન કરવું જોઈએ. 24 તમે લોકોને માર્ગદર્શન આપો છો, પણ તમે પોતે જ આંધળા છો! તમે તમારા પીણામાંથી માખી દૂર કરો છો પણ ઊંટને ગળી જાઓ છો.

25 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! તમે તમારી વાટકીઓ, થાળીઓ બહારથી સાફ કરી રાખો છો, પરંતુ તમે તમારા પોતાના સંતોષ માટે લોકોને છેતરીને તેની અંદર જુલ્મ તથા અન્યાય ભરો છો. 26 ઓ આંધળા ફરોશી, પહેલા તું તારા થાળી વાટકા અંદરથી સાફ કર તો તેની સાથે સાથે વાસણ બહારથી પણ સ્વચ્છ થઈ જશે.

27 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! કે તમે સફેદ ધોળેલી કબર જેવા છો. કારણ કે તે બહારથી સુંદર દેખાય છે પણ અંદરથી મરણ પામેલા લોકોનાં હાડકાઓ અને બધીજ જાતનો ગંદવાડ ભરેલો છે. 28 એવું જ તમારા માટે છે. લોકો તમને બહારથી જુએ છે તો તમે ન્યાયી જેવા દેખાવ છો. પણ અંદરથી તો તમે ઢોંગથી ભરેલા દુષ્ટ છો.

29 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રી અને ફરોશીઓ, તમને અફસોસ છે! કે તમે પ્રબોધકો માટે કબરો બનાવો છો અને ન્યાયી લોકોની કબરો શણગારો છો. 30 અને કહો છો, ‘જો પૂર્વજોના સમયમાં અમે હોત તો આ પ્રબોધકોને મારી નાખવા જરાપણ મદદ ન કરી હોત.’ 31 એટલે તમે એ સ્વીકારો છો કે જે લોકોએ પ્રબોધકોને મારી નાખ્યા છે તેમના જ તમે સંતાનો છો. 32 તેઓના પગલે ચાલીને અને તમારા બાપદાદાઓનાં પાપ પૂરા કરશો!

33 “ઓ સર્પો! સર્પોના વંશ! તમે નરકના દંડમાંથી કેવી રીતે બચી શકશો! 34 આથી હું તમારી પાસે પ્રબોધકને તથા જ્ઞાનીઓ તથા શાસ્ત્રીઓને મોકલું છું. તેઓમાંના કેટલાકને તમે વધસ્તંભે જડશો અને કેટલાકને મારી નાખશો. કેટલાકને તમે તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો અને ગામેગામ તેઓની પાછળ પડશો.

35 “તેથી તમે પૃથ્વી પર સારી વ્યક્તિઓને મારી નાખવા માટે ગુનેગાર ઠરશો, ન્યાયી હાબેલને મારી નાખવામાં આવ્યો. તેનાથી માંડી બેરખ્યાના દીકરા ઝખાર્યાને મંદિરની તથા હોમવેદીની વચ્ચે મારી નાખવામાં આવ્યો. તેથી હાબેલ અને ઝખાર્યાના સમયમાં જે બધા સારા લોકો રહેતા હતા તેના મરણ માટે તમે ગુનેગાર છો. 36 હું તમને સાચે જ કહું છું. આ બધી વસ્તુઓ માટે આ પેઢીના લોકોને ભોગવવું જ પડશે.

યરૂશાલેમના લોકો પર ઈસુનો ખેદ

(લૂ. 13:34-35)

37 “ઓ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને દેવના પ્રેરિતોને પથ્થરોથી મારી નાખનાર, હું ઘણીવાર તમારાં બાળકોને ભેગા કરવા ઈચ્છતો હતો, જેમ મરઘી પોતાના બચ્ચોઓને પાંખો તળે એકઠાં કરે છે, પણ તમે એવું ઈચ્છયું નહિ. 38 હવે તારું મંદિર પૂરેપૂરું ઉજજડ થઈ જશે. 39 હું તને કહું છું, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે’(A) એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International