Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગણના 5

અછૂતો માંટેના નિયમો

યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલી પ્રજાને તું એવું જણાવ કે, તેઓ પોતાની છાવણીમાંથી બધા જરફતપિત્તના દર્દીઓને, જેમના શરીરમાંથી સ્ત્રાવ થતો હોય તેઓને, તથા જેઓ શબના સ્પર્શથી અશુદ્ધ થયા હોય તેઓને છાવણીમાંથી બહાર કાઢી મૂકે. સ્ત્રી હોય કે પુરુષ, બંનેને બહાર કાઢી મૂકવાં, જેથી જે છાવણીમાં હું તમાંરી વચ્ચે રહું છું તેને તેઓ અશુદ્ધ કરે નહિ.”

યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા અનુસાર ઇસ્રાએલીઓએ છાવણી બહાર એ લોકોને કાઢી મૂકયાં.

પાપોની ભરપાઈ

યહોવાએ મૂસાને કહ્યું, “તું ઇસ્રાએલીઓને કહે કે, જે પુરુષ અથવા સ્ત્રી યહોવાની આજ્ઞાઓનો ભંગ કરીને અન્યને નુકસાન કરે, તો તે દોષિત બને છે, તેથી તેણે તે બદલ પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. પોતે કરેલાં પાપની તેણે કબૂલાત કરવી અને જેનું તેણે જે કાંઈ નુકસાન કર્યુ હોય તે પૂરેપૂરું ભરપાઈ કરી આપવા ઉપરાંત વીસ ટકા જેટલું વધારે ચૂકવવું. પણ જેને નુકસાન કર્યું છે તે જો મૃત્યુ પામ્યો હોય અને ક્ષતિપૂર્તી માંટે તેનું નજીકનું કોઈ સગું ના હોય, તો તે રકમ યહોવાને આપવી અને યાજકને ચૂકવવી અને જે ઘેટો પાપોના પ્રાયશ્ચિત માંટે વધેરવા આપવાનો હોય છે, તે ઉપરાંત આ રકમ આપવાની છે.

“ઇસ્રાએલીઓ દેવને જે કંઈ ઉચ્છાલીયાર્પણ ઘરાવે છે, તે યાજકની ગણાય છે. 10 યાજકોને માંણસો જે કોઈ ભેટ આપે છે તે યાજકો પોતાને માંટે રાખે.”

વહેમી પતિ અને તેનું નિરાકરણ

11 યહોવાએ મૂસાને કહ્યું, 12 “ઇસ્રાએલી પ્રજાને તું આ પ્રમાંણે કહે: જો કોઈ પુરુષની પત્ની આડે રસ્તે જાય અને વિશ્વાસઘાતી નીવડે, કોઈ પર પુરુષ સાથે સૂઈને વ્યભિચાર કરે, 13 પરંતુ તેની સાબિતી ના હોય અને સાક્ષી આપનાર કોઈ ના હોય, 14 અને છતાં તેના પતિને તેના પર શંકા જાય; અથવા પત્નીએ વ્યભિચારનું પાપ કર્યુ ના હોય તો પણ તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય તો પતિએ તેને યાજક પાસે લઈ જવી. 15 તેણે 8 વાટકા જવનો લોટ (એક દશાંશ એફાહ) લઈ યહોવાને અર્પણ કરે. તેણે તેના પર તેલ રેડવું નહિ કે ધૂપ પણ મૂકવો નહિ, કારણ કે એ વહેમને કાઢવા ગુનાનું પારખું કરવા માંટેનું સ્મરણદાયક ખાધાર્પણ છે.

16 “યાજકે તે સ્ત્રીને યહોવા સમક્ષ રજૂ કરવી. 17 પછી યાજકે માંટીના પાત્રમાં પવિત્ર જળ લેવું, અને તેમાં પવિત્રમંડપની પવિત્ર ભૂમિ પરની ધૂળ લઈને તેમાં નાખવી. 18 પછી તેણે તે સ્ત્રીને યહોવા સમક્ષ ઊભી રાખી તેના વાળ છોડી નાખશે, અને તેણીના હાથમાં ખાધાર્પણ મૂકશે. પતિની ઈર્ષ્યાને કારણે આપવામાં આવેલો આ જવનો લોટ છે. પછી યાજક નક્કી કરે કે તેના પતિનો વહેમ સાચો છે કે નહિ, યાજકે શ્રાપ આપવા માંટેના કડવા જળનું પાત્ર પોતાના હાથમાં રાખવું.

19 “ત્યારબાદ યાજકે સ્ત્રી પાસે સોગન લેવડાવવા, તેને કહેવું કે, ‘જો તેં કુમાંર્ગે જઈને કોઈ માંણસ સાથે વ્યભિચાર કર્યો ન હોય, તો આ શ્રાપના કડવા જળથી તને કશું જ નુકસાન નહિ થાય. 20 પણ જો તેં કુમાંર્ગે જઈને કોઈ માંણસ સાથે વ્યભિચાર કર્યો હશે તો 21 યહોવા તારા નામને તારા લોકમાં શ્રાપરૂપ બનાવી દો. તારી જાંધોમાં સડો પેદા કરો, અને તારા શરીરને ફુલાવી દો.’

22 “આ જળ તારા પેટમાં પ્રવેશીને તેને ફુલાવી દો, અને તારા ગર્ભાશયને સંકોચાવી દો. પછી તે સ્ત્રીએ ‘આમીન’ ‘આમીન’ એમ જવાબ આપે.”

23 “પછી યાજકે તે શ્રાપ સૂચિપત્રમાં લખવા અને તેને કડવા જળમાં ધોઈ નાખવા, 24 ત્યારબાદ યાજક તે સ્ત્રીને તે પાણી પીવડાવે, જેથી તે ગુનેગાર હોય તો ખૂબ હેરાન થાય.

25 “પણ જળ પીવડાવતાં પહેલાં યાજક પાપની કસોટી કરવા ખાધાર્પણને સ્ત્રીના હાથમાંથી લઈને યહોવા સમક્ષ ઘરાવીને વેદી પર અર્પણ કરશે. 26 એ પછી યાજકે તે ખાધાર્પણમાંથી એક મૂઠી ભરી વેદીમાં હોમવું. અને પછી સ્ત્રીને જળ પાઈ દેવું. 27 જો તે સ્ત્રીએ વ્યભિચાર કર્યો હશે તો શ્રાપનું પાણી પેટમાં જતાં જ તેનું પેટ ફૂલી જશે અને તેનું ગર્ભાશય સંકોચાઈ જશે, અને તેનું નામ તેના લોકોમાં શ્રાપરૂપ થઈ પડશે. 28 પણ જો તે સ્ત્રી પવિત્ર હશે અને પોતાની જાતને કલંકિત નહિ કરી હોય તો તેને કંઈ પણ હાનિ થશે નહિ અને થોડા સમય પછી તે ગર્ભ ધારણ કરશે.

29 “આ નિયમો સ્વચ્છંદી પત્ની માંટે અથવા જેના પર પતિને વહેમ હોય એવી પત્ની માંટે છે. 30 પછી એ સ્ત્રીએ ખરેખર વ્યભિચાર કર્યો હોય કે ખાલી વહેમ આવ્યો હોય પતિએ આવી સ્ત્રીને યહોવા સમક્ષ લાવવી અને યાજકે ઉપર દર્શાવેલી રીત અનુસાર નક્કી કરવું. 31 પછી સ્ત્રી જો પોતાની સજા ભોગવે તો તે માંટે પતિ જવાબદાર ઠરશે નહિ. સ્ત્રી પોતે જ તેના પાપોના પરિણામ માંટે જવાબદાર છે.”

ગીતશાસ્ત્ર 39

નિર્દેશક માટે. યદૂથૂન માટે. દાઉદનું ગીત.

મેં કહ્યું, “મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ;
    મારી જીભે હું પાપ કરીશ નહિ.
જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે
    હું મારા મોઢા પર લગામ રાખીશ.”

સત્ય બોલવાનું હતું પણ હું બોલ્યો નહિ,
    છાનોમાનો મૂંગો ઊભો રહ્યો;
    ત્યારે મારી આંતરિક વ્યથા વધી અને મારો શોક વધી ગયો.
મારા હૃદયમાં આગ ભભૂકતી હતી,
    અગ્નિ સળગી ઊઠયો મારા વિચારનો;
    અને અંતે હું મારી જીભે બોલ્યો કે,

હે યહોવા, મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલુ છે?
    મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો.
તમે મને જીવવા માટે ખૂબ ટૂંકો સમય આપ્યો છે!
    મારું ટૂંકુ જીવન તમારી તુલનામાં કંઇ નથી.
પ્રત્યેક વ્યકિતનું જીવન ઝડપથી અદ્રશ્ય થઇ જતાં વાદળ જેવું છે.

મનુષ્યનું અસ્તિત્વ તો ફકત આરસીમાંનું પ્રતિબિંબ છે,
    તે જે કરે છે તે મૂલ્યહીન છે.
    તે સંપત્તિનો સંચય કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોને મળશે?

હે પ્રભુ, મારે શું આશા હોય?
    તમે જ મારી આશા છો.
હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો,
    દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો.
હે યહોવા, હું મૂગો રહ્યો છું,
    હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહિ;
    કારણ, તમે જે કર્યુ છે એ હું જાણું છું.
10 હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો,
    તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઇ ગયો છું.
11 યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે
    તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો.
જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે.
    હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે.
    જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે.

12 હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો.
    મારા આંસુઓની અવગણના ન કરશો,
    આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું,
મારા પિતૃઓની જેમ
    હું અહી એક કામચલાઉ વતની છું.
13 મૃત્યુ પછી હું પૃથ્વી પરથીજાઉ તે પહેલાં તમારી વેધક દ્રૃષ્ટી મારા પરથી દૂર કરો;
    જેથી ખરેખર બળ પામું ને ફરીથી આનંદ પામું.

ગીતોનું ગીત 3

કન્યા:

મેં રાત્રે મારા પ્રાણપ્રિયને
    મારા પલંગમાં શોધ્યો,
પણ તે મને મળ્યો નહિ.
હું શહેરની ગલી ગલી
    અને રસ્તા ફરી વળી;

છતાંય મારી સઘળી
    શોધખોળ નિષ્ફળ નીવડી.
નગરમાં રોન ફરતાં ચોકીદારોનો મને ભેટો થયો;
    મેં તેઓને પૂછયું, “મારા પ્રાણપ્રિયને તમે જોયો?”

થોડા સમય પછી મને મળ્યો મારો પ્રાણપ્રિય,
    પકડી લીધો મેં તેને,
તે લાવી નિવાસસ્થાને;
    ને ખેંચી ગઇ મુજ જનેતાના ઘરમાં;
    ત્યાં સુધી નહિ છોડ્યાં મેં મારા પ્રીતમને.

કન્યાના વચન સ્ત્રીને:

હે યરૂશાલેમની યુવતીઓ,
    હું તમને હરણીઓના
તથા મૃગલીઓના સમ દઇને વીનવું છું
    કે યર્થાથ સમય આવ્યા પહેલાં મારા પ્રીતમને જગાડશો નહિ.

યરૂશાલેમની યુવાન કન્યાઓ:

રણ તરફથી આવતો,
    આ જે મધુર સુગંધી ધૂપ
બાળીને બનાવેલાં ધુમાડાંના સ્તંભ
    જેવો લાગે છે તે કોણ છે?

જુઓ, આ તો સુલેમાનની પાલખી છે;
    તેની સાથે છે ઇસ્રાએલી
    સૈન્યના સાઠ યોદ્ધાઓ
તેઓ કુશળ તરવારબાજ
    અને અનુભવી અંગરક્ષકો છે,
    રાત્રીના ભયને કારણે દરેકની કમરે તરવાર લટકે છે.

લબાનોનના કાષ્ટમાંથી બનાવ્યો છે રથ,
    સુલેમાન રાજાએ પોતાના ઉપયોગાર્થે.
10 તેણે તેના સ્તંભ ચાંદીના અને છત સોનાની,
    અને તેનું આસન બનાવ્યું જાંબુડા રંગનું;
યરૂશાલેમની દીકરીઓ દ્વારા અંદરથી
    તે પ્રેમપૂર્વક શણગારાયેલી હતી.

11 “ઓ સિયોનની યુવતીઓ,
    જાઓ અને જુઓ સુલેમાન રાજાને,
એના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે
    તેની માતાએ તેને પહેરાવ્યો છે,
    તે મુગટસહિત નિહાળો તેને.”

હિબ્રૂઓ 3

ઈસુ મૂસા કરતાં મહાન

તેથી તમારે બધાએ ઈસુ વિષે વિચાર કરવો જોઈએ. દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો અને તે આપણા વિશ્વાસનો પ્રમુખ યાજક છે. હું તમને આ કહું છું, મારા પવિત્ર ભાઈઓ અને બહેનો, તમને સર્વને દેવે તેડ્યા છે. દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો છે અને તેને આપણો મુખ્ય યાજક બનાવ્યો છે. મૂસાની જેમ ઈસુ પણ દેવને વફાદાર હતો. દેવના ઘરમાં દેવ તેની પાસે જે કરાવવા ઈચ્છતો હતો તે બધું તેણે કર્યું. જ્યારે મનુષ્ય મકાન બાંધે છે, ત્યારે લોકો મકાન બાંધનારને ખુબ માન આપે છે. તેમ ઈસુ મૂસા કરતાં માન આપવાને વધુ યોગ્ય ઠર્યો. દરેક મકાન કોઈ એક મનુષ્ય બાંધે છે, પરંતુ દેવે તો આખી દુનિયાનું સર્જન કર્યું છે. મૂસા સેવકની જેમ ખૂબજ વફાદાર હતો. દેવ જે ભવિષ્યમાં કહેવાનો છે તે (મૂસાએ) તેણે કહ્યું. પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. આપણે વિશ્વાસીઓ દેવનું ઘર (કુટુંબ) છીએ. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન ચાલુ રાખીએ, તો આપણે દેવનું ઘર છીએ.

આપણે દેવને અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ

એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ:

“જો તમે આજે દેવની વાણી સાંભળો તો,
    ઈસ્રાએલ પ્રજાએ અરણ્યમાં કર્યું તેમ તમે તમારા હ્રદયો કઠોર કરશો નહિ,
    અરણ્યમાં પ્રવાસ કરતી વખતે કસોટીના સમયમાં તેઓએ દેવ વિરૂદ્ધ બળવો કર્યો.
મેં જે કઈ કર્યું તે તમારા લોકોએ વરસ સુધી અરણ્યમાં જોયું. છતાં તેઓએ મારી ધીરજની કસોટી કરી.
10 તેથી હું તે લોકો પર રોષે ભરાયો.
    અને મેં કહ્યું, ‘તેઓ તેમના હ્રદયમાં જે વિચારે છે તે હંમેશા ખોટું જ છે.
    તેઓને મારા માર્ગોની કદી પણ સમજણ પડી નથી.’
11 તેથી ગુસ્સે થઈ મેં પ્રતિજ્ઞા કરી:
    ‘તેઓ મારા વિસામામાં કદી પ્રવેશ કરી શકશે નહિ.’” (A)

12 માટે હે ભાઈઓ અને બહેનો, તમે સાવધ રહો. રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. 13 પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો ન થાય અને દેવ વિરૂદ્ધનો બને નહિ. 14 કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું તો ખ્રિસ્તની સાથે સર્વસ્વના ભાગીદાર બનીશું. 15 શાસ્ત્રમાં કહેલું છે કે:

“જો આજે તમે દેવની વાણી સાંભળો,
    તો અરણ્યમાં જેમ ઇસ્ત્રાએલ પ્રજાએ જે રીતે દેવ વિરૂદ્ધ બળવો કર્યો, તેમ તમે તમારા હ્રદય દેવ વિરૂદ્ધ કઠોર કરશો નહિ.” (B)

16 દેવની વાણી સાંભળ્યા છતાં જેમણે તેની વિરૂદ્ધ બંડ પોકાર્યું. એ કયા લોકો હતા? મૂસાની આગેવાની હેઠળ ઇજીપ્તમાંથી નીકળી આવનાર તે લોકો હતા. 17 અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા. 18 દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ. 19 અને આપણે જોઈએ છીએ કે એ લોકો પ્રવેશ કરી શક્યા નહિ. અને દેવનો વિશ્રામ મેળવવા તેઓ શક્તિમાન નહોતા. શા માટે? કારણ કે તેઓએ દેવ પર વિશ્વાસ કર્યો નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International