M’Cheyne Bible Reading Plan
ચર્મરોગો અંગેના નિયમો
13 યહોવાએ મૂસા તથા હારુનને જણાવ્યું, 2 “જો કોઈ વ્યક્તિના શરીરની ચામડી પર સોજો આવે, અથવા ચાંદું કે ગૂમડું થાય, અને એ કોઢમાં પરિણમે એમ લાગતું હોય. તો તેને યાજક હારુનની પાસે અથવા તેના કોઈ યાજક દીકરા પાસે લઈ જવો.” 3 પછી યાજકે એ ચામડી પરનું ચાઠું તપાસવું. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય, અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઊતરેલો લાગે તો તે કોઢ છે. અને યાજકે તે માંણસને એક અશુદ્ધ કોઢિયો જાહેર કરવો.
4 “પરંતુ જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો. 5 પછી સાતમે દિવસે યાજકે તેને ફરીથી તપાસવો અને જો એ સફેદ ડાઘ જેવો હતો તેવો જ રહ્યો હોય અને ચામડીના બીજા ભાગમાં પ્રસર્યો ના હોય, તો યાજકે તેને બીજા સાત દિવસ સુધી જુદો રાખવો. 6 યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ન હોય તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફકત ચાંદું જ હતું એમ માંનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે શુદ્ધ થઈ જાય.
7 “પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો વ્યક્તિ એ ફરીથી તપાસ માંટે યાજક પાસે આવવું. 8 યાજકે તેને ફરીથી તપાસવો અને જો સફેદ ડાઘ કે ચાંદું ફેલાતું જતું લાગે, તો યાજકે તે માંણસને એક અશુદ્ધ કોઢિયો જાહેર કરવો.
9 “જો કોઈ વ્યક્તિને કોઢનું ચાંદું હોય અને કોઢ હોવાની શંકા જાય, તો તેને યાજક આગળ લઈ જવો. અને યાજકે તેને તપાસવો. 10 જો ચામડી પર સફેદ ચાંઠું પડયું હોય, અને વાળ ધોળા થઈ ગયા હોય અને સોજા પરની ચામડી કાચી લાગતી હોય. 11 તો એ કોઢની શરૂઆત થઈ ચૂકી છે. એ ર્જીણ કોઢ છે, તેથી યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. એને જુદો રાખવાની જરૂર નથી, કારણ કે તે અશુદ્ધ જાહેર થઈ જ ચુક્યો છે.
12 “પણ જો યાજકને ખબર પડે કે કોઢ ફાટી નીકળ્યો છે અને તેના સમગ્ર શરીર પર પગથી માંથા સુધી ફેલાઈ ગયો છે. 13 એટલે યાજકે તેને તપાસવો, અને સમગ્ર શરીર રોગ પ્રસરી ગયેલો ખબર પડે તો તેને યાજકે શુદ્ધ જાહેર કરવો, આખું શરીર સફેદ થઈ ગયું છે, તે શુદ્ધ છે. 14 પણ જો માંણસ પર કાચી ચામડી હોય, તો કાચી ચામડી જ્યારથી દેખાઈ હોય, ત્યારથી અશુદ્ધ ગણવો, યાજકે કાચી ચામડી તપાસવી અને માંણસને અશુદ્ધ જાહેર કરવો. 15 શરીર પરની કાચી ચામડી એ સાબિત કરે છે કે તે કોઢ છે.
16 “પરંતુ જો કાચી ચામડી રૂઝાઈ જાય અને સફેદ થઈ જાય, તો તે વ્યક્તિએ યાજક પાસે જવું. 17 યાજકે ફરીથી તેને તપાસવો, અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયાં હોય, તો તેને શુદ્ધ જાહેર કરવો એ શુદ્ધ છે.
18 “જો શરીરની ચામડીમાં ગૂમડું થઈને રૂજાઈ ગયું હોય. 19 અને ગૂમડાની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે તો તે યાજકને બતાવી તપાસ કરાવવી. 20 જો યાજકને લાગે કે રોગ ચામડીની નીચે અંદર સુધી પ્રસરી ગયો છે અને તે ચાઠા પરના વાળ સફેદ થઈ ગયા છે, તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે, કારણ કે ગુમડામાંથી કોઢ ફાટી નીકળ્યો છે. 21 પણ જો તપાસતાં યાજકને એમ ખબર પડે કે એમાંના વાળ સફેદ થયેલા નથી તે ચામડી કરતાં ઊડે ઊતરેલું નથી, અને ઝાખું પડી ગયું છે, તો તેણે તે વ્ય્કતિને સાત દિવસ જુદો રાખવો. 22 જો રોગ ચામડીમાં ફેલાયો હોય તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો, કારણકે તે કોઢ છે. 23 પરંતુ જો ચાઠું એવું ન એવું રહે, પ્રસરે નહિ, તો એ ગૂમડાનું ચાઠું છે, અને યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો.
24 “જો કોઈ વ્યક્તિની ચામડી દાઝી જાય અને દાઝેલી જગ્યાએ ચમકતું લાલાશ પડતું સફેદ ચાઠું થઈ જાય, 25 તો યાજકે તે ચાંઠાની તપાસ કરવી જોઈએ. જો ચાઠાનાં વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય, તો દાઝવાના ધામાંથી કોઢ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને એક અશુદ્ધ કોઢી જાહેર કરવો. 26 પરંતુ યાજક જુએ કે ચાઠાંમાં સફેદ વાળ નથી, અને તે ચામડીની નીચે સૂધી પ્રસરેલ નથી અને ચાઠું ઝાખું પડતું જાય છે, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ માંટે જુદો રાખવો. 27 સાતમે દિવસે યાજક તેને તપાસે ત્યારે જો ચાઠું ચામડીમાં ફેલાયું હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો એ કોઢ છે. 28 પરંતુ જો ચાઠું ચામડી પર ફેલાયું ના હોય અને ઝાંખું થઈ ગયું હોય, તો તે દાઝેલા ધાનું ચાઠું છે માંટે યાજકે તે શુદ્ધ જાહેર કરવું કેમકે તે દાઝેલાનું ચાઠું છે.
29 “જો કોઈ પુરુષ કે સ્ત્રીના માંથા પર કે દાઢી એ પર રોગ હોય 30 તો યાજકે તેની તપાસ કરવી, અને જો તે ચામડી કરતાં ઊડું ખબર પડે અને વાળ પીળા અને આછા થઈ ગયા હોય, તો યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો, તે ઉંદરી પ્રકારનો માંથાનો કે હડપચીનો એક કોઢ છે. 31 પરંતુ યાજક ઉંદરી તપાસે ત્યારે તે ચામડી કરતાં ઊડી ખબર ન પડે અને ત્યાંના વાળ હજી પણ કાળા હોય, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ જુદો રાખવો. 32 યાજકે સાતમાં દિવસે ફરીથી તેની તપાસ કરવી જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીળા થયા ન હોય, તેમજ તે ચામડી કરતાં ઊડી ખબર ના પડે, 33 તો તે માંણસે ઉંદરીવાળા ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા સાત દિવસ માંટે જુદો રાખવો. 34 યાજકે સાતમાં દિવસે ફરીથી તેને તપાસવો, અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ ન હોય, અને ચામડી કરતાં ઊડી ખબર ન પડે, તો યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો. પછી તે વ્યક્તિએ વસ્ત્રો ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થઈ જશે. 35 છતાં તે વ્યક્તિને શુદ્ધ જાહેર કર્યા પછી જો ઉંદરી ચામડીમાં ફેલાય, 36 તો યાજકે તેને ફરીથી તપાસવો, અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ હોય, તો યાજકે તેના વાળ પીળા છે કે નહિ એ પણ જોવાની જરૂર નથી. તેને અશુદ્ધ કોઢી જાહેર કરવો. 37 પણ જો ઉંદરી હતી એવી ને એવી રહે અને તેમાં કાળા વાળ ઊગવા માંડે તો તે કોઢી નથી. પણ શુદ્ધ છે અને યાજકે તેને શુદ્ધ જાહેર કરવો.
38 “જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડીમાં સફેદ રંગના ચાઠાં પડયાં હોય, તો યાજકે તે તપાસવાં. 39 જો તે સફેદ હોય અને ઝાખાં પડતા જતા હોય તો તે કોઢ નથી, એમ સમજવું કે ચામડી પર કરોળિયો થયો છે અને એ માંણસ શુદ્ધ છે.
40 “જો કોઈ વ્યક્તિના માંથાના વાળ ખરી પડયા હોય અને માંથાના પાછળના ભાગમાં તેને ટાલ પડી હોય તો પણ તે શુદ્ધ છે, કોઢી નથી. 41 જો માંથાના આગળના ભાગમાંથી વાળ ખરી ગયા હોય, તો આગળના ભાગમાં માંથા પર ટાલ પડે છતાં તે શુદ્ધ છે તેને કોઢ નથી એમ કહેવાય. 42 પરંતુ માંથા પરની આગળ કે પાછળની ટાલમાં રતાશ પડતા સફેદ ડાઘ હોય, તો કોઢની શરૂઆત થઈ છે એમ મનાય. 43 યાજકે તેને તપાસવો અને પાછળની કે કપાળ પરની ટાલમાંનો ડાઘ રતાશ પડતો સફેદ હોય તો તેને કોઢ થયો છે, ને તે અશુદ્ધ છે. 44 યાજકે તેને માંથામાં થયેલા રોગને કારણે અચૂક અશુદ્ધ જાહેર કરવો.
45 “જે વ્યક્તિને કોઢ થયો હોય તેણે પોતાનાં વસ્ત્રો ફાડવાં, પોતાના વાળ વિખરાયેલા રહેવા દેવા, ઉપરનો હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો. અને બૂમો પાડવી, હું અશુદ્ધ છું, હું કોઢી છું. 46 જયાં સુધી તે વ્યક્તિમાં રોગ રહે ત્યાં સુધી તે અશુદ્ધ ગણાય, અને એણે છાવણીની બહાર નિવાસમાં રહેવું.
47 “જો ઊનના કે શણના કપડા ઉપર, 48 અથવા શણના કે ઊનના તાણા કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફુગનો ડાધ હોય, 49 તે લીલાશ પડતો કે રતાશ પડતો હોય, તો તેને તપાસ માંટે યાજક પાસે લઈ જવો. 50 યાજકે સાત દિવસ સુધી ડાઘવાળી વસ્તુને તપાસીને જુદી રાખવી. 51 અને સાતમે દિવસે તેણે ફરીથી તે તપાસવી અને જો ડાઘ ફેલાયેલા હોય, તો એ ભયાનક ફૂગ છે. તે અશુદ્ધ છે. 52 તેણે એ ફૂગવાળી વસ્તુ બાળી નાખવી જોઈએ. કારણ એને ભયાનક ફૂગનો ચેપ લાગ્યો હોય છે, તેથી તેનો અગ્નિમાં બાળીને નાશ કરવો જોઈએ. પછી તે ચામડુ હોય કે કપડું પછી કાપડ વણેલુ અથવા ગુંથેલુ હોય અને ચામડુ તે કામે વપરાયેલુ હોય તેનાથી કોઈ ફરક નથી પડતો.
53 “પરંતુ સાતમે દિવસે યાજક તેની તપાસ કરે ત્યારે ડાઘ ફેલાયેલો ન જણાય. 54 યાજકે તે વસ્તુને ધોઈ નાખવા માંટે આજ્ઞા કરવી જોઈએ. અને તેને બીજા સાત દિવસ જુદી રાખવી. 55 પછી તે સમય બાદ યાજકે ફરી જોવું, જો ડાઘનો રંગ ન બદલાય કે તે ના ફેલાય તો પણ તે ફૂગ છે, અને તેથી તે અશુદ્ધ છે. તે વસ્તુને ચેપ લાગેલો હોવાથી તેને બાળી નાખીને નાશ કરવો જોઈએ.
56 “પણ યાજકને લાગે કે ધોયા પછી ડાઘ ઝાખો થયો છે, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો ભાગ તે વસ્ત્ર હોય કે પછી ચામડાની બનાવેલી વસ્તુ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, તેને તાણાવાણામાંથી ફાડી નાખવી. 57 છતાં જો વસ્ત્રમાં તાણાવાણામાં કે ચામડાની વસ્તુમાં ફરીથી ડાઘ દેખાય તો ચેપ નવેસરથી ફેલાય છે એમ માંનવું અને જેને ચેપ લાગ્યો હોય તે વસ્તુને અગ્નિમાં બાળી મૂકવી. 58 જો વસ્ત્ર, કે તાણાવાણો કે ચામડાની કોઈ પણ વસ્તુ ધોવાથી ડાઘ જતો રહે તો તેને બીજી વખત ધોઈ નાખવી, એટલે તે શુદ્ધ થઈ જશે અને ફરી એક વાર તેને ઉપયોગમાં લઈ શકાશે.”
59 ઊનના કે શણનાં વસ્ત્રો પર તાણાવાણામાંના વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુ ઉપર ફૂંગનો ડાઘ પડયો હોય તો તેને માંટે આ નિયમ છે, એને અનુસરીને વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવી, વળી ક્યારે જાહેર કરવી અને કયારે નહિ, તે આ નિયમને આધારે નક્કી કરવું.
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે?
તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
2 જે સાધુશીલતા પાળે છે,
જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
3 તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી,
તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી.
તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી;
અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.
4 તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે.
જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે.
તેને નુકશાન સહન કરવું પડે તો
પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
5 તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને
તે કોઇનું શોષણ કરતો નથી.
તે નિર્દોષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી.
જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.
દાઉદનું મિખ્તામ.
1 હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.
2 મે યહોવાને કહ્યુ છે,
“તમે મારા માલિક છો.
મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.”
3 પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે,
“એવાં સ્રી પુરુષના સંગમાંજ
મને આનંદ મળે છે.”
4 જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે.
હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ.
હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.
5 યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો.
હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો!
6 આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત
વારસાનો ભાગ મને મળ્યો છે.
7 મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું.
રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.
8 મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે
તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી.
હું તેમના જમણા હાથ પાસે જ છું,
ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
9 તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે.
અને મારો આત્મા પણ ખુશ છે;
તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
10 કારણ, તમે મારો આત્મા,
શેઓલને સોંપશો નહિ.
તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ.
11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગે મારે જવું.
તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે.
તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.
27 આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ, આવતીકાલે શું થઇ જાય તે તું જાણતો નથી.
2 તારાં વખાણ બીજાને કરવા દે, તારે મોઢે ન કર; પારકો ભલે કરે, તું ન કર.
3 પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પરંતુ મૂર્ખની ઉશ્કેરણી બંન્ને કરતાઁ ભારે હોય છે.
4 ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે, પણ ઇર્ષ્યા આગળ કોણ ટકી શકે?
5 છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.
6 મિત્રના ઘા પ્રામાણિક હોય છે, દુશ્મનનાં ચુંબન શંકાશીલ હોય છે.
7 ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, જ્યારે ભૂખ્યાને કડવું પણ મીઠું લાગે છે.
8 પોતાનું ઘર છોડીને ભટકતી વ્યકિત પોતાનો માળો છોડી દીધેલા પક્ષી જેવી છે.
9 જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.
10 તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ન તજીશ. વિપત્તિને સમયે તારા ભાઇને ઘેર ન જઇશ. દૂરના ભાઇ કરતાં નજીકનો પડોશી સારો.
11 મારા દીકરા જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.
12 ચતુર વ્યકિત આફતને આવતી જોઇને તેને ટાળે છે, અવિચારી માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.
13 અજાણ્યાનો જામીન થનારનાં કપડાં લઇ લેવાં, અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય તો તેને તાબામાં પકડી લેવો.
14 જે કોઇ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ દે છે, તે તેને શાપ સમાન લાગશે.
15 ચોમાસામાં ચૂતું છાપરું તથા કજિયાળી સ્ત્રી બંને બરાબર છે.
16 જે તેણીને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાના જમણા હાથમાં લગાવેલા તેલની સુગંધ પણ પકડી શકે.
17 લોઢું લોઢાને તેજ બનાવે છે, તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.
18 જે કોઇ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે, જે પોતાના ધણીની કાળજી કરે છે તે માન પામે છે.
19 જેમ માણસોનો ચહેરો પાણીમાં પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે એક માણસનું હૃદય બીજા માણસના હૃદયમાં પ્રતિબિંબિત થાય છે.
20 જેમ શેઓલ અને અબદોન કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.
21 રૂપું ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે તેમ વ્યકિતની પરીક્ષા બીજા તેની પ્રશંસા કરે તેના પરથી થાય છે.
22 ઘંટીમાં અનાજની જેમ દળાય તોયે મૂર્ખની મૂર્ખાઇ ન જાય.
23 તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતીથી બરાબર માહિતગાર રહે. તારા ઢોરઢાંકરની પૂરતી સંભાળ લે. 24 કારણ ધન સદા ટકતું નથી અને રાજમુગટ કાયમ રહેતો નથી. 25 સૂકું ઘાસ વઢાઇ જાય ત્યાં નવું ઘાસ ફૂટે છે, પર્વત પરની વનસ્પતિઓ ભેગી કરી લેવામાં આવે છે. 26 ઘેટાં તને વસ્ત્રો આપે છે, અને બકરાં તારાં ખેતરનું મૂલ્ય છે; 27 વળી બકરીનું દૂધ તને, તારા કુટુંબને અને તારી દાસીઓના ગુજરાન માટે ચાલશે.
1 પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી તરફથી થેસ્સલોનિકામાં રહેતી મંડળીને કુશળતા હો.
તમે લોકો આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આઘિન છો.
2 દેવ બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ.
3 અમે તમારા માટે હમેશા દેવની આભારસ્તુતિ કરીએ છીએ. અને અમારે તેમ કરવું જોઈએ કારણ કે તેમ કરવું યથાર્થ છે. તે યથાર્થ છે કારણ કે તમારા બધાનો વિશ્વાસ અને એકબીજા માટેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે. 4 તેથી બીજી દેવની મંડળીઓ આગળ અમે તમારાં વખાણ કરીએ છીએ. અમે કહીએ છીએ કે કઈ રીતે તમે તમારા વિશ્વાસમાં દૃઢ બનવાનું ટકાવી રાખ્યું છે. તમારી ઘણી રીતે સતાવણી કરવામાં આવી છે, અને ઘણી મુશ્કેલીઓ તમે સહન કરી છે પરંતુ નિષ્ઠા પ્રતિ તમે અચળ રહ્યાં છો.
દેવના ન્યાય વિષે પાઉલ કહે છે
5 એ સાબિત થઈ ચૂક્યું છે કે દેવ તેના ન્યાયમાં યથાર્થ છે. દેવ તેના રાજ્ય માટે તમે યોગ્ય ગણાઓ તેવા બનાવવા માંગે છે. તમારે ભોગવવી પડતી વેદના તે રાજ્ય માટે છે. 6 દેવ જે વાજબી છે તે કરશે. જેઓ તમને કષ્ટ આપે છે, તેઓને તે કષ્ટ આપશે. 7 અને તમે કે જે હેરાન થયા છો તેમને દેવ વિસામો આપશે. દેવ અમને પણ વિસામો આપશે. જ્યારે પ્રભુ ઈસુ પ્રગટ થશે. ઈસુ સ્વર્ગમાંથી તેના પરાક્રમી દૂતો સાથે આવશે. 8 તે આકાશમાંથી જવાળામય અગ્નિ સહિત જેઓ દેવને જાણતા નથી તેવા લોકોને શિક્ષા કરવા આવશે. જે લોકો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુર્વાતા માનતા નથી તેઓને દેવ શિક્ષા કરશે. 9 તે લોકો અનંતકાળ સુધી ચાલતા વિનાશથી દંડાશે અને પ્રભુનું સાનિધ્ય તેઓને માટે અલભ્ય બનશે. તેઓ તેના મહિમાવાન સાર્મથ્યથી દૂર રખાશે. 10 જે દિવસે પ્રભુ ઈસુ આવશે ત્યારે આમ બનશે. ઈસુ તેના સંતો[a] સાથે મહિમાને સ્વીકારવા આવશે. અને દરેક વિશ્વાસીઓ ઈસુ દર્શનથી મુગ્ધ બની જશે. અમે તમને જે કહ્યું તેમાં તમે વિશ્વાસ રાખ્યો છે તેથી તમે એ વિશ્વાસુઓના સમૂહમાં સામેલ થશો.
11 તેથી અમે હમેશા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે તમને જીવવા મળેલ તેડાને યોગ્ય થઈ ચાલો માટે દેવ તમને સહાય કરે. તમારામાં રહેલું સૌજન્ય તમને સારું કાર્ય કરવા પ્રેરે છે અને તમારો વિશ્વાસ તમને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે દેવનું સાર્મથ્ય તમને આમ વધુ ને વધુ કરવા માટે મદદરૂપ બનો. 12 અમે આ બધા માટે પ્રાર્થના કરીએ છીએ કે જેથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ તમારામાં મહિમાવાન થાય. અને તેના થકી તમે મહિમાવાન બનો. આ મહિમા આપણા દેવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી પ્રાપ્ત થાય છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International