M’Cheyne Bible Reading Plan
દેવ દ્વારા યાજકોની સ્વીકૃતિ
9 આઠમે દિવસે મૂસાએ હારુનને અને તેના પુત્રોને તથા ઇસ્રાએલના વડીલોને બોલાવ્યા. 2 મૂસાએ હારુનને કહ્યું, “તું ખોડખાંપણ વગરનો એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને એવો જ એક ઘેટો દહનાર્પણ માંટે લાવ અને તેમને યહોવા સમક્ષ અર્પણ કર. 3 ત્યારબાદ તું ‘ઇસ્રાએલીઓને પાપાર્થાર્પણ તરીકે એક બકરો અને આહુતિ તરીકે ખોડખાંપણ વગરનો એક વરસનો વાછરડો અને એવું જ એક ઘેટાનું બચ્ચું. 4 તદુપરાંત શાંત્યર્પણ તરીકે એક બળદ અને એક ઘેટો યહોવા સમક્ષ વધેરવાનું કહે, વળી તેઓએ તેલથી મોયેલા લોટને ખાદ્યાર્પણ તરીકે ચઢાવવો; કારણ કે આજે યહોવા તમને દર્શન આપશે.’”
5 આથી તેઓ મૂસાએ કહ્યું હતું તે પ્રમાંણે બધું મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇસ્રાએલના લોકો ત્યાં યહોવાની સમક્ષ આવીને ઊભા રહ્યા. 6 તેઓને મૂસાએ કહ્યું, “યહોવાએ તમને આ પ્રમાંણે કરવાનું કહ્યું છે. અને જો તમે એ પ્રમાંણે કરશો એટલે તમને યહોવાના ગૌરવનાં દર્શન થશે.”
7 પછી મૂસાએ હારુનને કહ્યુ, “તું અગ્નિની વેદી પાસે આવ અને તારા પાપાર્થાર્પણ, દહનાર્પણ અને દોષાર્થાર્પણ ચઢાવ અને તારે પોતાને માંટે અને બધા લોકોને માંટે પ્રાયશ્ચિત કર. ત્યાર પછી લોકોએ ધાર્મિક વિધિ કરી કરેલા અર્પણો ચઢાવ અને યહોવાના આદેશ પ્રમાંણે તેમને શુદ્ધ કર.”
8 હારુન વેદી પાસે જઈને પોતાના પાપાર્થાર્પણ માંટે વાછરડાનો વધ કર્યો. 9 તેના પુત્રોએ તેને માંટે લોહી તેની આગળ ધર્યું. અને તેમાં આંગળી બોળીને થોડું લોહી વેદીનાં ટોચકાંઓને લગાડયું અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું. 10 ત્યારબાદ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કાળજા પરનો ચરબીનો ભાગ, હારુને યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા મુજબ વેદી પર હોમી દીધાં. 11 પરંતુ માંસ અને ચામડું તેણે છાવણી બહાર બાળી મૂક્યું.
12 ત્યારબાદ હારુને દહનાર્પણના પ્રાણીનો વધ કર્યો. તેના પુત્રોએ તેને લોહી આપ્યું અને તેણે તે વેદીની ચારે બાજુએ છાંટયું. 13 પછી તેણે પ્રાણીના ટુકડાઓને માંથાં સહિત એક પછી એક તેની આગળ લઈ આવ્યા અને વેદીમાં હોમી દીધાં. 14 પછી તેણે આંતરડાં અને પાછલા પગ ધોઈ નાખ્યાં અને દહનાર્પણ વેદીમાં હોમી દીધાં.
15 પછી તે લોકો માંટે અર્પણ લાવ્યો, અને પોતાના પાપાર્થાર્પણની વિધિ પ્રમાંણે તેણે બકરાનો વધ કર્યો અને બલિદાન આપ્યું. 16 પછી તેણે દહનાર્પણ યહોવાની આજ્ઞા પ્રમાંણે વિધિપૂર્વક અર્પણ કર્યુ. 17 પછી તેણે ખાદ્યાર્પણ ચઢાવ્યો, તેમાંથી એક મૂઠી લઈ સવારના દહનાર્પણ સાથે વેદીમાં હોમી દીધી.
18 તેણે લોકોના શાંત્યર્પણ તરીકે બળદ અને ઘેટાનો પણ વધ કર્યો, તેના પુત્રોએ તેને લોહી આપ્યું જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું. 19 અને બળદના ચરબીવાળા ભાગો, ઘેટાની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કાળજા પરની ચરબીવાળો ભાગ. 20 આ બધું તેણે પહેલાં પશુઓના છાતીના ભાગ ઉપર મૂક્યું, અને પછી વેદીમાં હોમી દીધું. 21 અને મૂસાની આજ્ઞા પ્રમાંણે હારુનને પશુઓની છાતીના ભાગો અને જમણી જાઘ તરીકે યહોવાને આરત્યર્પણ તરીકે ધરાવ્યો.
22 ત્યારબાદ હારુને હાથ ઊચા કરીને લોકોને આશીર્વાદ આપ્યા. આમ પાપાર્થાર્પણ, દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યા પછી તે વેદી પરથી નીચે ઊતર્યો.
23 મૂસા અને હારુન મુલાકાતમંડપમાં ગયા. પછી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યા અને બધા લોકોને યહોવાના ગૌરવના દર્શન થયા. 24 યહોવા તરફથી એકાએક અગ્નિ પ્રગટયો અને તે આવીને વેદી પરના દહનાર્પણ અને ચરબીવાળા ભાગો ભસ્મ કરી ગયો. આ જોઈને બધા લોકોએ હર્ષના પોકારો કર્યા અને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કરી જમીન પર ઊધા સૂઈ ગયા.
1 હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
2 દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
3 ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
4 દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
5 તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
6 “હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
7 તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
8 નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
માટે તેઓ છુપાઇ જાય છે.
9 જેમ સિંહ ગુફામાં છુપાઇને
ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”
12 હે યહોવા, ઊઠો! હે દેવ,
તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.
15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.
– 19 –
24 દુર્જનોની ઇર્ષ્યા કરીશ નહિ કે તેમની સાથે રહેવાની ઇચ્છા સેવીશ નહિ. 2 કારણ, તેમનાં મન હિંસાના વિચારો કરે છે અને તેમના મોઢેથી ઉપદ્રવની વાણી નીકળે છે.
– 20 –
3 જ્ઞાન વડે ઘર બંધાય છે; બુદ્ધિથી તે સ્થિર થાય છે. 4 અને વિદ્યા વડે તેના ઓરડા બધી જ જાતની મૂલ્યવાન અને સુખદાયક વસ્તુઓથી ભરાય છે.
– 21 –
5 શરીરબળ કરતાં બુદ્ધિબળ સારું, જ્ઞાની વ્યકિત શકિતશાળી વ્યકિત કરતાં વધારે મહાન છે. 6 કુશળ યોજનાથી યુદ્ધ જીતાય છે, અને અનેક સલાહકારોથી વિજય નિશ્ચિત બને છે.
– 22 –
7 ડહાપણ મૂરખના ગજા બહારની વસ્તુ છે, તેથી તે જાહેર સભામાં પોતાનું મોં ખોલી શકતો નથી.
– 23 –
8 જે ભૂંડુ કરવા માટે યુકિતઓ રચે છે, તે લોકોમાં ઉપદ્રવી માણસ તરીકે ઓળખાય છે. 9 મૂર્ખ પાપ ભરેલી યોજનાઓ ઘડ્યા કરે છે, લોકો જે વ્યકિત બડાઇ હાંકે છે તેને ધિક્કારે છે.
– 24 –
10 જો તમે સંકટ આવતાં તમારી હિંમત હારી બેસશો તો તમે નબળા છો.
– 25 –
11 જેઓને મોત માટે ઘસડી જવામાં આવતા હોય તેમને છોડાવ, જેઓ લથડતે પગે હત્યા માટે જઇ રહ્યા હોય તેમને ઉગારી લે. 12 જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા,” તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું જાણતો નહોત? અને જે તારા જીવનનો રક્ષક છે તે શું જાણતો ન હોત? અને તે પ્રત્યેક વ્યકિતને તેમનાં કર્મ પ્રમાણે પાછું નહિ આપશે?
– 26 –
13 મારા દીકરા, મધ ખા; તે ગુણકારી છે, એનો સ્વાદ મીઠો છે. 14 જાણો કે જ્ઞાન તમારા જીવન માટે સારૂં છે; જો તું તેને પ્રાપ્ત કરે તો તારું ભાવિ ઉજ્જવળ છે, તારી આશા વ્યર્થ નહિ જાય.
– 27 –
15 હે દુષ્ટ માણસ, સજ્જનનાં ઘર આગળ લાગ જોઇ બેસી રહીશ નહિ, તેના ઘર પર આક્રમણ કરીશ નહિ. 16 કારણકે, સજ્જન સાત વાર પડશે તોયે પાછો ઊભો થશે, પણ દુર્જન વિપત્તિ આવતાં ભાંગી પડે છે, પાયમાલ થઇ જાય છે.
– 28 –
17 તારા દુશ્મનની પડતી જોઇને હરખાઇશ નહિ, અને તે પાયમાલ થાય ત્યારે રાજી ન થઇશ; 18 નહિ તો યહોવા એ જોશે અને નારાજ થશે, અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે.
– 29 –
19 જેઓ દુષ્કર્મો કરે છે તેની ઉપર ગુસ્સે થતો નહિ કે દુર્જનની ઇર્ષ્યા કરતો નહિ. 20 કારણકે, દુર્જનને કોઇ ભાવિ નથી, તેનો દીવો હોલવાઇ જશે,
– 30 –
21 મારા દીકરા, યહોવાથી અને રાજાથી ડરીને ચાલજે, બળવાખોરો સાથે કશો સંબંધ રાખીશ નહિ; 22 કારણ, તેમના પર અચાનક આફત આવી પડશે, અને કોને ખબર છે કે બંને કેવી પાયમાલી મોકલશે?
અસંખ્ય બોધ વચનો
23 આ જ્ઞાનીઓના વચન છે, ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી. 24 ગુનેગારને નિર્દોષ ઠરાવનારને બધા લોકો શાપ દેશે, પ્રજાઓ તેને ઠપકો આપશે. 25 પણ જેઓ દોષીને ઠપકો આપશે તેમનું ભલું થશે. તેમના પર આશીર્વાદ ઊતરશે.
26 સાચો જવાબ મૈત્રીભર્યા ચુંબન જેવો છે.
27 તારું બહારનું કામ કર, જમીન ખેડ, અને તારું ઘર બાંધ.
28 કારણ વગર તારા પડોશી વિરૂદ્ધ સાક્ષી પૂરીશ નહિ, તારે મોઢે તેની વિરૂદ્ધ ખોટું બોલીશ નહિ.
29 એવું ના કહીશ કે, “એણે મારી સાથે વર્તાવ રાખ્યો છે તેવો જ હું એની સાથે રાખીશ, એણે જે કર્યુ છે તેને હું પાછું વાળી દઇશ.”
30 હું આળસુ વ્યકિતના ખેતરમાંથી જઇને તથા મૂઢ માણસની દ્રાક્ષાવાડી પાસેથી પસાર થતો હતો. 31 ત્યારે મેં જોયું તો બધે ઝાંખરા ઊગી નીકળ્યાં હતાં. જમીન કાંટાથી છવાઇ ગઇ હતી. અને પથ્થરની વાડ તૂટી પડી હતી. 32 એ જોઇને મેં વિચાર કર્યો, એ ઉપરથી હું શીખ્યો કે, 33 થોડું ઊંઘો, થોડું ઘોરો, હાથ જોડીને થોડો આરામ કરો. 34 એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ તથા હથિયારધારી યોદ્ધાની જેમ કંગાલાવસ્થા આવી પહોંચશે.
3 1-2 અમે તમારા સુધી આવી શક્યા નહિ, પરંતુ થોડી વધારે પ્રતીક્ષા કરવી અમારાં માટે ખૂબ કઠિન હતું. તેથી અમે તિમોથીને તમારી પાસે મોકલવાનો નિર્ણય કર્યો. અને અમે આથે સમાં એકલા રહેવાનું નક્કી કર્યુ, તિમોથી આપણો ભાઈ છે. તે દેવ સાથે ખ્રિસ્ત વિષેની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય કરે છે. અમે તિમોથીને તમારી પાસે તમારા વિશ્વાસમાં તમને દૃઢ કરવાને અને તમને ઉત્તેજન આપવાને મોકલ્યો. 3 અમે તિમોથીને મોકલ્યો જેથી તમારામાંનો કોઈ અત્યારે જે આપત્તિઓ છે, તેનાથી વિચલિત ન થાય. તમે પોતે પણ જાણો જ છો કે આપણા પર તો આવી મુશ્કેલીઓ આવશે જ. 4 જ્યારે અમે તમારી સાથે હતા, ત્યારે અમે તમને જણાવ્યું હતું કે, આપણે સહન કરવાનું થશે. અને તમે જાણો છો કે જે રીતે અમે કહ્યું હતું તે જ પ્રમાણે તે થયું. 5 તેથી જ તિમોથીને મેં તમારી પાસે મોકલ્યો, જેથી કરીને તમારા વિશ્વાસ વિષે હું જાણી શકું. હું વધારે પ્રતીક્ષા કરી શકું તેમ ન હતો તેથી મેં તેને મોકલ્યો. મને ભય હતો કે તે એક (શેતાન) કે જે લોકોનું પરીક્ષણ કરે છે તેણે તમારું પણ પરીક્ષણ કર્યુ હોય, અને તમારો પરાજય કર્યો હોય. તેથી અમારો કઠોર પરિશ્રમ વેડફાઈ ગયો હતો.
6 પરંતુ તિમોથી તમારી પાસેથી અમારી પાસે પાછો આવ્યો. તેણે તમારા વિશ્વાસ અને પ્રેમના ખુશકારક સમાચાર અમને જ્ણાવ્યા. તિમોથીએ અમને જ્ણાવ્યું કે તમે હમેશા સારી ભાવનાથી અમારું સ્મરણ કરો છો. તેણે અમને જ્ણાવ્યું કે તમે અમને મળવા અત્યંત આતુર છો. અને અમારી સાથે પણ તેમ જ છે, અમે પણ તમને મળવા અત્યંત ઈચ્છીએ છીએ. 7 તેથી ભાઈઓ અને બહેનો, તમારા વિષે જાણીને તમારા વિશ્વાસને કારણે અમને પ્રોત્સાહન મળ્યું છે. અમારે ઘણી મુશ્કેલીઓ અને પીડાઓ છે, છતાં પણ અમને સાંત્વન છે. 8 જો તમે પ્રભુમાં દ્રઢ છો તો આપણું જીવન ખરેખર ભરપૂર છે. 9 તમારે કારણે અમારા દેવ આગળ અમે અત્યંત હર્ષ અનુભવીએ છે! તેથી તમારા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ. પરંતુ જે પરમ આનંદનો અનુભવ અમે કરીએ છીએ તેના માટે અમે દેવનો પૂરતો આભાર માની શકતા નથી. 10 દિવસ અને રાત્રે તમારા માટે અતિશય પ્રાર્થના કરી રહ્યાં છીએ. અમે પ્રાર્થી રહ્યાં છીએ કે તમારા વિશ્વાસમાં જે કઈ ન્યૂનતા હોય તે સંપૂર્ણ કરવા અમે ત્યાં આવી શકીએ, તમને પુનઃમળી શકીએ અને તમને આવશ્યક બધી જ વસ્તુઓ તમને પૂરી પાડી શકીએ.
11 અમે પ્રાર્થીએ છીએ કે દેવ આપણા બાપ અને આપણા પ્રભુ ઈસુ તમારા સુધી પહોંચવા માટેનો અમારો માર્ગ સરળ બનાવે. 12 અમે પ્રાર્થીએ છીએ કે પ્રભુ તમારામાં પ્રેમને વિકસિત કરે. અમે પ્રાર્થીએ છીએ કે તે તમારામાં એકબીજા અને અન્ય લોકો માટે ઉત્તરોત્તર પ્રેમ વધારે. અમે પ્રાર્થીએ કે જેમ અમે તમને પ્રેમ કરીએ છીએ તેમ તમે બધા જ લોકોને પ્રેમ કરો. 13 તમારા હૃદય સુદૃઢ બને તેથી અમે આમ પ્રાર્થીએ છીએ. તેથી જ્યારે આપણા પ્રભુ ઈસુ તેના સર્વ સંતો સહિત પધારે, ત્યારે દેવ આપણા બાપની હજૂરમાં તમે પવિત્ર અને નિર્દોષ બની શકો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International