Print Page Options
Previous Prev Day Next DayNext

Read the Gospels in 40 Days

Read through the four Gospels--Matthew, Mark, Luke, and John--in 40 days.
Duration: 40 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યોહાન 7-8

ઈસુ અને તેના ભાઈઓ

આ પછી, ઈસુએ ગાલીલના પ્રદેશની આજુબાજુ મુસાફરી કરી. ઈસુ યહૂદિયામાં મુસાફરી કરવા ઈચ્છતો નહોતો, કારણ કે ત્યાંના યહૂદિઓ તેને મારી નાખવા ઈચ્છતા હતાં. તે યહૂદિઓના માંડવાપર્વનો સમય પાસે હતો. તેથી ઈસુના ભાઈઓએ તેને કહ્યું, “તારે અહીંથી નીકળી જવું જોઈએ અને યહૂદિયાના ઉત્સવમાં જવું જોઈએ. પછી ત્યાં તારા શિષ્યો તું જે ચમત્કારો કરે છે તે જોઈ શકશે. જો કોઈ વ્યક્તિ, લોકો તેને ઓળખે તેમ ઈચ્છતી હોય તો પછી તે વ્યક્તિએ તે જે કામ કરે તે છુપાવવા જોઈએ નહિ. તારી જાતને જગત સમક્ષ જાહેર કર. તું જે ચમત્કારો કરે તે તેઓને જોવા દે.” (ઈસુના ભાઈઓએ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.)

ઈસુએ તેના ભાઈઓને કહ્યું, “મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી. પરંતુ તમારા જવા માટે કોઈ પણ સમય યોગ્ય છે. જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે. તેથી તમે પર્વમાં જાઓ. હવે હું પર્વમાં જઈશ નહિ. મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી.” ઈસુ આમ કહ્યા પછી ગાલીલમાં રહ્યો.

10 તેથી ઈસુના ભાઈઓ પર્વમાં જવા વિદાય થયા. તેઓના વિદાય થયા પછી ઈસુ પણ ગયો. પરંતુ લોકો તેને ન જુએ તે રીતે ગયો. 11 યહૂદિઓ પર્વમાં ઈસુને શોધતા હતા. યહૂદિઓએ કહ્યું, “તે માણસ ક્યાં છે?”

12 ત્યાં લોકોનો મોટો સમૂહ હતો. આ લોકોમાંના ઘણા એકબીજા સાથે અંદરોઅંદર ઈસુ વિષે ગુપ્ત રીતે વાતો કરતા હતા. કેટલાક લોકોએ કહ્યું, “તે એક સારો માણસ છે,” પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે લોકોને મૂર્ખ બનાવે છે.” 13 પરંતુ લોકોમાંથી કોઈની પણ જાહેરમાં ઈસુ વિષે બોલવાની હિંમત ન હતી. લોકો યહૂદિ આગેવાનોથી ડરતા હતા.

ઈસુનો યરૂશાલેમમાં બોધ

14 પર્વ લગભગ અડધુ પૂરું થયુ હતુ. પછી ઈસુ મંદિરમાં ગયો અને બોધ શરું કર્યો. 15 યહૂદિઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, “આ માણસે શાળામાં કદી અભ્યાસ કર્યો નથી. આટલી બધી વિધા તે કેવી રીતે શીખ્યો?”

16 ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે બોધ આપું છું તે મારો પોતાનો નથી પણ જેણે મને મોકલ્યો છે તેનો (દેવ) છે. 17 જો કોઈ માણસ દેવ જે ઈચ્છે છે તે કરવા ઈચ્છે તો પછી તે વ્યક્તિ જાણશે કે મારો બોધ દેવ પાસેથી આવે છે. અથવા 18 કોઈ વ્યક્તિ તેના વિચારનો બોધ આપે છે તેના પોતાના માટે માન મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે વ્યક્તિ તેને મોકલનાર માટે માન મેળવવા પ્રયત્ન કરે છે તે વ્યક્તિ સાચું કહે છે. તેનામાં કશું ખોટું હોતું નથી. 19 તમને નિયમશાસ્ત્ર આપ્યુ. ખરું ને? પરંતુ તમારામાંના કોઈએ તેનું પાલન કર્યુ નથી. તમે શા માટે મને મારી નાખવા પ્રયત્ન કરો છો?”

20 લોકોએ ઉત્તર આપ્યો, “તારામાં અશુદ્ધ આત્મા પ્રવેશેલો છે અને તને ગાંડો બનાવ્યો છે! અમે તને મારી નાખવાનો પ્રયત્ન કરતા નથી.”

21 ઈસુએ તેઓને કહ્યું, “મેં એક ચમત્કાર કર્યો અને તમે બધા અચરજ પામ્યા. 22 મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે. (પરંતુ ખરેખર મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો નથી. મૂસાના પહેલા જે લોકો જીવી ગયા તેઓની પાસેથી સુન્નતનો નિયમ આવ્યો છે.) તેથી કેટલીક વાર વિશ્રામવારે શિશુની સુન્નત કરવામાં આવે છે. 23 આ બતાવે છે કે વ્યક્તિ વિશ્રામવારે મૂસાના નિયમનું પાલન કરવા સુન્નત કરાવી શકે છે. તેથી વિશ્રામવારના દિવસે માણસના આખા શરીરને સાજા કરવા માટે મારા પર શા માટે ગુસ્સે થયા છો? 24 વસ્તુઓ જે રીતે દેખાય છે તેના આધારે ન્યાય કરવાનું બંધ કરો. ન્યાયી બનો અને જે સાચું છે તેનો યથાર્થ ન્યાય કરો.”

લોકો નવાઈ પામે છે કે ઈસુ જ ખ્રિસ્ત છે

25 પછી કેટલાક લોકો જે યરૂશાલેમમાં રહે છે તેઓએ કહ્યું, “આ તે માણસ છે જેને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે. 26 પરંતુ તે જ્યાં બધા જોઈ શકે અને તેને સાંભળી શકે ત્યાં બોધ આપે છે. અને કોઈ પણ વ્યક્તિ તેને બોધ આપતા અટકાવવાનો પ્રયત્ન કરતા નથી. અધિકારીઓએ શું ખરેખર નિર્ણય કર્યો હશે કે તે ખરેખર ખ્રિસ્ત જ છે? 27 પણ અમે જાણીએ છીએ કે આ માણસનું ઘર ક્યાં છે. પણ ખરેખર ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે કોઈ વ્યક્તિ જાણશે નહિ કે તે ક્યાંથી આવે છે?”

28 ઈસુ હજી મંદિરમાં શીખવતો હતો. ઈસુએ કહ્યું, “હા, તમે મને જાણો છો અને હું ક્યાંનો છું એ પણ તમે જાણો છો. પણ હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. જેણે મોકલ્યો છે તે (દેવ) સત્ય છે. તમે તેને ઓળખતા નથી. 29 પણ હું તેને ઓળખું છું અને હું તેની પાસેથી આવ્યો છું. તેણે મને મોકલ્યો છે.”

30 જ્યારે ઈસુએ આ કહ્યું, લોકોએ તેની ધરપકડ કરવા પ્રયત્ન કર્યો. પણ કોઈ વ્યક્તિએ ઈસુ પર હાથ નાખ્યો નહિ. હજુ ઈસુને મારી નાખવા માટેનો યોગ્ય સમય ન હતો. 31 પરંતુ લોકોમાંના ઘણા ઈસુમાં વિશ્વાસ રાખતા હતા. લોકોએ કહ્યું, “અમે ખ્રિસ્તની આવવાની રાહ જોઈએ છીએ. જ્યારે ખ્રિસ્ત આવશે, ત્યારે તે શું આ માણસ (ઈસુ) કરતા વધારે ચમત્કારો કરશે? ના! આથી આ માણસ જ ખ્રિસ્ત હોવો જોઈએ.”

યહૂદિઓ ઈસુને પકડવાનો પ્રયત્ન કરે છે

32 ઈસુ વિષે લોકો જે ગણગણાટ કરતા હતા તે ફરોશીઓએ સાંભળ્યું. તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓએ કેટલાક મંદિરના ભાલદારોને ઈસુની ધરપકડ કરવા મોકલ્યા. 33 પછી ઈસુએ કહ્યું, “હજુ થોડો સમય હું તમારી સાથે રહીશ. પછી હું જેણે (દેવ) મને મોકલ્યો છે તેની પાસે પાછો જઈશ. 34 તમે મારી શોધ કરશો, પણ તમે મને શોધી શકશો નહિ. અને જ્યાં હું છું ત્યાં તમે આવી શકશો નહિ.”

35 યહૂદિઓએ એકબીજાને કહ્યું, “આ માણસ ક્યાં જશે કે આપણે શોધી શકીશું નહિ. જ્યાં આપણા લોકો રહે છે તે ગ્રીક શહેરમાં તે જશે? શું તે ગ્રીક લોકોને ત્યાં બોધ આપશે? 36 માણસ (ઈસુ) કહે છે, ‘તમે મને શોધશો પણ તમે મને શોધી શકશો નહિ.’ અને તે એમ પણ કહે છે, ‘હું જ્યાં છું ત્યાં તમે આવી શકશો નહિ’ તેનો અર્થ શો?”

ઈસુ પવિત્ર આત્મા વિષે કહે છે

37 પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. 38 જો કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે.” 39 ઈસુ પવિત્ર આત્મા વિષે કહેતો હતો. પવિત્ર આત્મા હજુ લોકોને આપવામાં આવ્યો ન હતો કારણ કે હજુ ઈસુ મૃત્યુ પામીને મહિમાવાન થયો ન હતો. પણ પાછળથી પેલા લોકો જે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓ આત્માને પ્રાપ્ત કરશે.

ઈસુની લોકો વિષે દલીલ

40 લોકોએ ઈસુએ જે બધી બાબતો કહી તે સાંભળી. કેટલાક લોકોએ કહ્યું, “આ માણસ ખરેખર પ્રબોધક જ છે.”

41 બીજા કેટલાક લોકોએ કહ્યું, “તે જ ખ્રિસ્ત છે.”

બીજા લોકોએ કહ્યું, “ખ્રિસ્ત ગાલીલમાંથી આવશે નહિ. 42 શાસ્ત્ર કહે છે, ખ્રિસ્ત દાઉદના વંશમાંથી આવનાર છે, અને શાસ્ત્ર કહે છે કે ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવનાર છે, જે શહેરમાં દાઉદ હતો.” 43 તેથી લોકો ઈસુ વિષે એકબીજા સાથે સંમત થયા નહિ. 44 કેટલાક લોકો ઈસુની ધરપકડ કરવા ઈચ્છતા હતા. પણ આમ કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો નહિ.

યહૂદિ અધિકારીઓએ વિશ્વાસ કરવાની ના પાડી

45 મંદિરના ભાલદારો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા. યાજકો અને ફરોશીઓએ પૂછયું, “તમે ઈસુને શા માટે લાવ્યા નથી?”

46 મંદિરના ભાલદારોએ ઉત્તર આપ્યો, “તે જે બાબતો કહે છે તે કોઈ પણ માણસના શબ્દો કરતા મહાન છે.”

47 ફરોશીઓએ ઉત્તર આપ્યો, “ઈસુએ તમને પણ મૂર્ખ બનાવ્યા શું! 48 અધિકારીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો? ના! શું આપણા ફરોશીઓમાંથી કોઈને તેનામાં વિશ્વાસ હતો? ના! 49 પણ પેલા લોકો બહાર છે તેઓ નિયમશાસ્ત્ર વિષે જાણતા નથી. તેઓ દેવના શાપિત છે!”

50 નિકોદેમસ ત્યાં તે સમૂહમાં હતો. નિકોદેમસ તેઓમાંનો એક જે અગાઉ ઈસુ પાસે આવ્યો હતો. નિકોદેમસે કહ્યું,

51 “માણસને પહેલા સાંભળ્યા વિના શું આપણું નિયમશાસ્ત્ર આપણને તેનો ન્યાય કરવા દે છે? જ્યાં સુધી તેણે શું કર્યું છે તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી આપણે તેનો ન્યાય કરી શકતા નથી.”

52 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રોનો અભ્યાસ કર, તું વાંચી શકીશ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી આવનાર નથી.”

વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી

[53 [a] બધા યહૂદિ અધિકારીઓ તેને છોડીને ગયા.

ઈસુ જૈતૂનના પહાડ પર ગયો વહેલી સવારમાં ઈસુ મંદિરમાં પાછો આવ્યો. બધા લોકો ઈસુ પાસે આવ્યા. ઈસુએ ત્યાં બેસીને લોકોને બોધ કર્યો.

શાસ્ત્રીઓ અને ફરોશીઓ એક સ્ત્રીને ત્યાં લાવ્યા. તે સ્ત્રી વ્યભિચારનું પાપ કરતાં પકાડાઈ હતી. આ યહૂદિઓએ તે સ્ત્રીને લોકો સમક્ષ ઊભા રહેવા માટે દબાણ કર્યુ. તેઓએ ઈસુને કહ્યું, “ગુરુંજી, આ સ્ત્રી એક માણસ સાથે વ્યભિચાર કરતાં પકડાઈ છે જે તેનો પતિ નથી. નિયમશાસ્ત્રમાં મૂસાએ આપણને આજ્ઞા કરી છે કે આવું કામ કરનાર પ્રત્યેક સ્ત્રીઓને આપણે પથ્થરોથી મારી નાખવી. અમારે શું કરવું, તે વિષે તું શું કહે છે?”

યહૂદિઓ ઈસુનું પરીક્ષણ કરવા આ પ્રશ્નનો ઉપયોગ કરતાં હતા, તેઓ ઈસુને કંઈક ખોટું કહેતા પકડવા ઈચ્છતા હતા. પછી તેઓ તેની વિરુંદ્ધ આરોપ મૂકી શકે. પણ ઈસુએ નીચા વળીને તેની આંગળી વડે જમીન પર લખવાનું શુરું કર્યું. યહૂદિ અધિકારીઓએ ઈસુને તેઓના પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું. તેથી ઈસુ ઊભો થયો અને કહ્યું, “શું અહીં કોઈ એવી વ્યક્તિ છે જેણે કદી પાપ ના કર્યું હોય? જે વ્યક્તિએ પાપ કર્યું ના હોય તે આ સ્ત્રી પર પહેલો પથ્થર મારે.” પછી ઈસુ ફરીથી નીચો વળ્યો અને જમીન પર લખ્યું.

જે લોકોએ ઈસુને સાંભળ્યો તેઓ એક પછી એક વિદાય થયા. વૃદ્ધ માણસો પ્રથમ છોડી ગયા, અને પછી બીજા ગયા. ઈસુને ત્યાં તે સ્ત્રી સાથે એકલા છોડી ગયા. હજુ તે ત્યાં ઊભી રહી છે. 10 ઈસુ ફરીથી ઊભો થયો ને તેને પૂછયું, “બાઈ, તે બધા લોકો ગયા છે. તેમાંથી કોઈએ તને દોષિત ઠરાવી નથી?”

11 તે સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પ્રભુ, તેમાંના કોઈએ મને દોષિત ઠરાવી નથી.”]

પછી ઈસુએ કહ્યું, “તેથી હું પણ તને દોષિત ઠરાવતો નથી. તું હવે જઈ શકે છે, પણ ફરીથી પાપ કરીશ નહિ.”

ઈસુ જગતનો પ્રકાશ છે

12 પાછળથી ઈસુએ લોકોને કહ્યું, “હું જગતનો પ્રકાશ છું. જે વ્યક્તિ મને અનુસરે છે તે કદી અંધકારમાં રહેશે નહિ. તે વ્યક્તિને પ્રકાશ મળશે જે જીવન આપે છે.”

13 પરંતુ ફરોશીઓએ ઈસુને કહ્યું, “જ્યારે તું તારી જાત વિષે કહે છે ત્યારે તું જ ફક્ત એક એકલો એવો છે જે આ વાતો સાચી છે એમ કહે છે. તેથી અમે આ વાતો જે તું કહે છે તે અમે સ્વીકારી શકીએ તેમ નથી.”

14 ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું મારી જાત વિષે આ વાતો કહું છું. પરંતુ હું જે વાતો કહું છું, તે લોકો માની શકશે. શા માટે? કારણ કે હું ક્યાંથી આવ્યો તે હું જાણુ છું, અને હું ક્યાં જાઉં છું તે પણ હું જાણું છું, હું તમારા લોકો જેવો નથી. હું ક્યાંથી આવ્યો છું. અને ક્યાં જાઉં છું તે જાણતા નથી. 15 તમે કોઈ માણસનો ન્યાય કરો તે રીતે મારો ન્યાય કરો છો. હું કોઈ માણસનો ન્યાય કરતો નથી. 16 પણ જો હું ન્યાય કરું તો, મારો ન્યાય સાચો હશે. શા માટે? કારણ કે જ્યારે હું ન્યાય કરું ત્યારે હું એકલો હોતો નથી. મને મોકલનાર પિતા મારી સાથે હોય છે. 17 તમારું પોતાનું નિયમશાસ્ત્ર કહે છે કે જ્યારે બે સાક્ષીઓ એક જ વાત કહે તો પછી તમારે તેઓ જે કહે તે સ્વીકારવું જોઈએ. 18 હું સાક્ષીઓમાંનો એક છું કે હું મારી જાત વિષે બોલું છું, અને મને જેણે મોકલ્યો છે તે પિતા મારા બીજા સાક્ષી છે.”

19 લોકોએ પૂછયું, “તારો પિતા ક્યાં છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “તમે મને કે મારા પિતાને જાણતા નથી. પણ જો તમે મને જાણ્યો હોત તો પછી તમે મારા પિતાને પણ જાણતા હોત.” 20 જ્યારે ઈસુ મંદિરમાં ઉપદેશ આપતો હતો, ત્યારે તેણે આ બાબતો કહી. જ્યાં બધા લોકો પૈસા આપવા આવતા હતા. તે જગ્યાની નજીક તે હતો. પરંતુ કોઈ વ્યક્તિએ તેને પકડ્યો નહિ. ઈસુ માટેનો યોગ્ય સમય હજુ આવ્યો ન હતો.

યહૂદિઓ ઈસુ વિષે સમજતા નથી

21 ફરીથી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને છોડીશ. તમે મારી શોધ કરશો, પણ તમે તમારા પાપ સાથે મૃત્યુ પામશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકશો નહિ.”

22 તેથી યહૂદિઓએ તેમની જાતે પૂછયુ, “તમે ધારો છો કે ઈસુ આત્મહત્યા કરશે? તો પછી આ બાબત હોવી જોઈએ. કારણ કે તેણે કહ્યું, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકશો નહિ’?”

23 પણ ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “તમે નીચેની દુનિયાના છો, હું ઉપરની દુનિયાનો છું. તમે આ દુનિયાના છો, હું આ દુનિયાનો નથી. 24 તેથી મેં તમને કહ્યું છે કે તમે તમારા પાપોમાં મૃત્યુ પામશો. હા, હું (તે) છું એવો તમે વિશ્વાસ નહિ કરો તો તમે તમારાં પાપોમાં મૃત્યુ પામશો.”

25 યહૂદિઓએ પૂછયું, “તો પછી તું કોણ છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમને શરુંઆતથી જે કહ્યું છે તે હું છું. 26 મારી પાસે તમારા વિષે કહેવાની ઘણી બાબતો છે. હું તમારો ન્યાય કરી શકું છું તો પણ જેણે મને મોકલ્યો છે અને મેં તેની પાસેથી જે વાતો સાંભળી છે તે જ ફક્ત હું લોકોને કહું છું અને તે સત્ય કહું છું.”

27 ઈસુ કોના વિષે વાત કરતો હતો તે લોકો સમજતા ન હતા. ઈસુ તેઓને પિતા (દેવ) વિષે વાત કરતો હતો. 28 તેથી ઈસુએ લોકોને કહ્યું, “તમે માણસના દીકરાને ઊચો કરશો (મારી નાખશો) પછી તમે હું તે જ છું તે તમે જાણી શકશો અને હું મારી પોતાની જાતે કઈ કરતો નથી પણ જેમ પિતાએ જે મને શીખવ્યું છે, તેમ હું એ વાતો તમને કહું છું. 29 જેણે (દેવે) મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેને જે ગમે છે તે હું હમેશા કરું છું. તેથી તેણે મને એકલો છોડ્યો નથી.” 30 જ્યારે ઈસુ આ વાતો કહેતો હતો ત્યારે, ઘણા લોકોએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો. ઈસુ પાપમાંથી છુટકારા વિષે વાત કરે છે.

પાપ વિષે ચેતવણી

31 તેથી જે યહૂદિઓએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા બોધને માનવાનું ચાલુ રાખશો તો પછી તમે મારા સાચા શિષ્યો છો. 32 પછી જ તમને સત્ય સમજાશે અને સત્ય તમને મુક્ત કરશે.”

33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે ઈબ્રાહિમના લોકો છીએ. અમે કદી ગુલામ રહ્યા નથી. તેથી શા માટે તું કહે છે કે એમ મુક્ત થઈશું?”

34 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સાચું કહું છું પ્રત્યેક વ્યક્તિ જે પાપ કરે છે તે ગુલામ છે. પાપ તેનો માલિક છે. 35 ગુલામ કુટુંબ સાથે હંમેશા રહેતો નથી. પરંતુ તે દીકરો હંમેશા કુટુંબનો રહી શકે. 36 તેથી જો દીકરો તમને મુક્ત કરે તો પછી તમે ખરેખર મુક્ત થશો. 37 હું જાણું છું તમે ઈબ્રાહિમના લોકો છો. પરંતુ તમે મને મારી નાખવા ઈચ્છો છો. શા માટે? કારણ કે તમે મારા બોધનો સ્વીકાર કરવા ઈચ્છતા નથી. 38 મારા પિતાએ જે મને બતાવ્યું છે તે જ કામો હું તમને કહું છું. પરંતુ તમે તમારા પિતાએ તમને જે કહ્યું છે તે કરો છો.”

39 યહૂદિઓએ કહ્યું, “અમારો પિતા ઈબ્રાહિમ છે.”

ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર ઈબ્રાહિમના બાળકો હતા તો પછી તમે જે કામો ઈબ્રાહિમે કર્યા તે જ કરશો. 40 હું એ માણસ છું કે જેણે દેવ પાસેથી સાંભળ્યું તે સત્ય તમને કહ્યું છે. પરંતુ તમે મને મારી નાખવા પ્રયત્ન કરો છો. ઈબ્રાહિમે તેના જેવું કંઈ જ કર્યું નથી. 41 તેથી તમારા પિતાએ જે કંઈ કર્યુ તે તમે કરો છો.”

પણ યહૂદિઓએ કહ્યું, “અમે એના જેવા બાળકો નથી કે જે તેઓએ કદી જાણ્યું ન હોય કે તેમનો પિતા કોણ છે. દેવ અમારો પિતા છે. અમારો તે માત્ર એક જ પિતા છે.”

42 ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “જો દેવ ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; હું દેવમાંથી નીકળીને આવ્યો છું. અને હવે હું અહીં છું. હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. દેવે મને મોકલ્યો છે. 43 હું તમને આ બાબતો જે કહું છું તે તમે સમજી શકશો નહિ. શા માટે? કારણ કે તમે મારા બોધને સ્વીકારી શકતા નથી. 44 તમારો પિતા શેતાન છે, અને તમે તેના દીકરા છો. તે જે ઈચ્છે છે તે કરવા તમે ઈચ્છો છો. શેતાન શરુંઆતથી જ ખૂની હતો. શેતાન હંમેશા સત્યથી વિરૂદ્ધ છે અને તેથી તેનામાં સત્ય નથી. જૂઠું બોલવું તે તેનો સ્વભાવ છે. હા, તે જુઠો છે. અને તે જૂઠાનો બાપ છે.

45 “હું સત્ય કહું છું, તેથી તમે મારામાં વિશ્વાસ કરતા નથી. 46 તમારામાંથી કોણ સાબિત કરી શકે છે કે હું પાપનો ગુનેગાર છું. જો હું સત્ય કહું છું, તો પછી તમે શા માટે મારું માનતા નથી? 47 જે વ્યક્તિ દેવનો છે તે દેવ જે કહે છે તે સ્વીકારે છે. પણ તમે દેવ જે કહે છે તે સ્વીકારતા નથી. કારણ કે તમે દેવના નથી.”

ઈસુ પોતાના વિષે અને ઈબ્રાહિમ વિષે વાત કરે છે

48 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે કહીએ છીએ કે તું સમરૂની છે, અમે કહીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે. અને તને ગાંડો બનાવ્યો છે! અમે આ બાબત કહીએ છીએ ત્યારે શું અમે સાચા નથી?”

49 ઈસુએ ઉત્તર આપ્યો, “મારામાં કોઈ શેતાન પ્રવેશ્યો નથી. હું મારા પિતાને આદર આપું છું. પણ તમે કોઈ મારો આદર કરતા નથી. 50 હું મારી જાત માટે આદર મેળવવા પ્રયત્ન કરતો નથી. મને આદર અપાવવાની ઈચ્છા કરનાર ત્યાં એક જ છે. તે ન્યાય કરનાર છે. 51 હું તમને સત્ય કહું છું. જો કોઈ મારું વચન પાળે છે, તો પછી તે કદી મૃત્યુ પામશે નહિ.”

52 યહૂદિઓએ ઈસુને કહ્યું, “હવે અમે જાણીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે! ઈબ્રાહિમ અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. પણ તું કહે છે કે, ‘જે વ્યક્તિ મારાં વચનોને પાળશે તે કદી મૃત્યુ પામશે નહિ.’ 53 શું તું ધારે છે કે તું અમારા પિતા ઈબ્રાહિમ કરતાં વધારે મહાન છે? ઈબ્રાહિમ મૃત્યુ પામ્યો અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. તું કોણ હોવાનો દાવો કરે છે?”

54 ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું મારી જાતને માન આપું તો પછી તે આદરની કોઈ કિંમત નથી. જે એક મારો આદર કરે છે તે મારો પિતા છે. અને તમે દાવો કરો છો કે તે તમારો દેવ છે. 55 પણ ખરેખર તમે તેને ઓળખતા નથી. હું તેને ઓળખું છું. જો હું કહું કે હું તેને જાણતો નથી, તો પછી હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેને ઓળખું છું અને તે જે કહે છે તેનું હું પાલન કરું છું. 56 તમારો પિતા ઈબ્રાહિમ ઘણો ખુશ હતો, કારણ કે જ્યારે હું આવ્યો તે દિવસ તેણે જોયો અને તે સુખી થયો.”

57 યહૂદિઓએ ઈસુને કહ્યું, “શું તેં ઈબ્રાહિમને જોયો છે? હજુ તો તું 50 વરસનો પણ થયો નથી.”

58 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું, ઈબ્રાહિમનો જન્મ થયા પહેલાનો હું છું.” 59 જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યારે લોકોએ તેના તરફ ફેંકવા માટે પથ્થર ઉપાડ્યા. પરંતુ ઈસુ છુપાઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International