Read the Gospels in 40 Days
ઈસુનું પૂલ પાસે માણસને સાજા કરવું
5 પાછળથી યહૂદિઓના પર્વોમાંના એક પર્વ માટે ઈસુ યરૂશાલેમ કયો. 2 યરૂશાલેમમાં ત્યાં પાંચ પરસાળથી ઢંકાયેલો કુંડ છે. યહૂદિ ભાષામાં તેને બેથઝાથા કહે છે. આ કુંડ ઘેટાંઓના દરવાજા પાસે છે. 3 ઘણા માંદા લોકો કુંડ નજીક પરસાળોમાં પડેલા હતા. કેટલાક લોકો આંધળા હતા, કેટલાક લંગડા હતા, કેટલાક લકવાગ્રસ્ત હતા. [અને તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા. 4 કેમ કે કોઈ કોઈ વેળા પ્રભુનો દૂત તે કૂંડમાં ઊતરતો અને પાણીને હલાવતો હતો. દૂતે આ કર્યા પછી, જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નીરોગી થતો.][a] 5 એક માણસ ત્યાં પડેલો હતો જે 38 વરસથી માંદો હતો. 6 ઈસુએ ત્યાં તે માણસને પડેલો જોયો. ઈસુએ જાણ્યું કે તે માણસ ઘણા લાંબા સમયથી માંદો હતો. તેથી ઈસુએ તે માણસને પૂછયું, “શું તું સાજો થવા ઈચ્છે છે?”
7 તે માંદા માણસે ઉત્તર આપ્યો, “પ્રભુ, જ્યારે તે પાણી હાલે ત્યારે તે પાણીમાં ઊતરવા માટે મને મદદ કરનાર મારી પાસે કોઈ નથી. પાણીમાં સૌથી પહેલાં ઊતરવા માટે પ્રયત્ન કરું છું. પરંતુ જ્યારે હું પ્રયત્ન કરું છું, ત્યારે બીજો માણસ હંમેશા મારી અગાઉ ઊતરી પડે છે.”
8 પછી ઈસુએ કહ્યું, “ઊભો થા! તારી પથારી ઉપાડ અને ચાલ.” 9 પછી તરત જ તે માણસ સાજો થઈ ગયો. તે માણસે તેની પથારી ઉપાડીને ચાલવાનું શરું કર્યુ.
જે દિવસે આ બધું બન્યું તે વિશ્રામવારનો દિવસ હતો. 10 તેથી તે યહૂદિઓએ તે માણસને જે સાજો થઈ ગયો હતો તેને કહ્યું, “આજે વિશ્રામવાર છે, વિશ્રામવારને દિવસે તારા માટે પથારી ઊચકવી તે નિયમની વિરૂદ્ધ છે.”
11 પણ તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ (ઈસુ) જેણે મને સાજો કર્યો, તેણે મને કહ્યું, ‘તારી પથારી ઊચકીને ચાલ.’”
12 યહૂદિઓએ તે માણસને પૂછયું, “તારી પથારી ઊચકીને ચાલ એમ જેણે તને કહ્યું તે માણસ કોણ છે?”
13 પરંતુ તે માણસ કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; ત્યાં તે જગ્યાએ ઘણા લોકો હતા અને ઈસુ ત્યાંથી ખસી ગયો હતો.
14 પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યો. ઈસુએ તેને કહ્યું, “જો, તું હવે સાજો થયો છે હવેથી પાપ ન કર. કદાચ તારું કંઈક વધારે ખરાબ થાય!”
15 પછી તે માણસ ત્યાંથી ખસી જઈને પેલા યહૂદિઓ પાસે પાછો ગયો. તે માણસે તેઓને કહ્યું કે, “તે ઈસુ હતો જેણે તેને સાજો કર્યો હતો.”
16 ઈસુ આ કાર્યો વિશ્રામવારે કરતો હતો. માટે યહૂદિઓએ ઈસુનું ખરાબ કરવાનું શરું કર્યું. 17 પરંતુ ઈસુએ યહૂદિઓને કહ્યું, “મારા પિતાએ કદી કામ કરવાનું બંધ કર્યુ નથી અને તેથી હું પણ કામ કરું છું.”
18 તેથી યહૂદિઓએ તેને મારી નાખવાનો વધારે પ્રયત્ન કર્યો. તે યહૂદિઓએ કહ્યું, “પહેલા ઈસુ વિશ્રામવારના કાયદાનો ભંગ કરતો હતો પછી તે એવો દાવો કરે છે કે દેવ તેનો પિતા છે, આ રીતે તે પોતાની જાતને દેવ સાથે સમાન બનાવે છે!”
ઈસુ પાસે દેવની સત્તા છે
19 પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે જ માત્ર કરે છે. પિતા જે કરે છે તે જ કામ દીકરો કરે છે. 20 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું જ દીકરાને દેખાડે છે; આ માણસ સાજો થયો હતો, પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે. પછી તમે બધા નવાઈ પામશો. 21 પિતા મૂએલાઓને ઊઠાડે છે અને તેઓને સજીવન કરે છે. તે જ રીતે દીકરો પણ તેની ઈચ્છા હોય તો મૂએલાઓને સજીવન કરે છે.
22 “કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી. પરંતુ પિતાએ ન્યાય કરવાની સર્વ સત્તા દીકરાને આપી છે. 23 દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે.
24 “હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે. 25 હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 કારણ કે પિતા (દેવ) ના પોતાનામાંથી જીવન આવે છે. તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે. 27 અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. શા માટે? કારણ કે તે દીકરો માણસનો દીકરો છે.
28 “આથી તમે આશ્ચર્ય પામશો નહિ. એ સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે. 29 જે લોકોએ જીવનમાં સારા કામો કર્યા છે તેઓ સજીવન થશે અને અનંતજીવન મેળવશે. પરંતુ જે લોકોએ ભૂંડા કામ કર્યા છે તેઓને ન્યાયની સામે ઊભા કરવામાં આવશે.
30 “હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.
ઈસુ યહૂદિઓ સાથે વાતો કરવાનું ચાલુ રાખે છે
31 “જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ. 32 પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.
33 “તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે. 34 મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને આ બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે. 35 યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.
36 “પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. આ તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. આ કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો. 37 અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી. 38 પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી. 39 શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે! 40 પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”
41 “મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી. 42 પણ હું તમને જાણું છું-હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. 43 હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે જ બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો. 44 એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો? 45 એમ ના માનશો કે હું પિતા આગળ ઊભો રહીને કહીશ કે તમે ખોટા છો. મૂસા એ વ્યક્તિ છે જે કહે છે કે તમે ખોટા છો. અને મૂસા એ તે જ છે જે તમને બચાવશે એવી તમે આશા રાખી હતી. 46 જો તમે ખરેખર મૂસામાં વિશ્વાસ કર્યો હતો તો, તમે મારા પર વિશ્વાસ કર્યો હોત. શા માટે? કારણકે મૂસાએ મારા વિષે લખ્યું છે. 47 પરંતુ તમે મૂસાએ જે લખ્યું છે તેનો વિશ્વાસ કરતા નથી. તેથી હું જે વાતો કહું છું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહિ.”
ઈસુ 5,000થી વધારે લોકોને જમાડે છે
(માથ. 14:13-21; માર્ક 6:30-44; લૂ. 9:10-17)
6 એ પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર). 2 ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું. 3 ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. 4 હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.
5 ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?” 6 (ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).
7 ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.”
8 બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું, 9 “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”
10 ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા. 11 પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.
12 બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.” 13 તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.
14 લોકોએ ઈસુએ કરેલો આ ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”
15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.
ઈસુ પાણી પર ચાલે છે
(માથ. 14:22-27; માર્ક 6:45-52)
16 તે સાંજે ઈસુના શિષ્યો સરોવર (ગાલીલ સરોવર) તરફ નીચે ગયા. 17 હવે અંધારું થયું હતું અને હજુ ઈસુ તેઓની પાસે પાછો આવ્યો ન હતો. શિષ્યો હોડીમાં બેઠા અને કફરનહૂમ તરફ બીજી બાજુ જવાનું શરું કર્યુ. 18 પવન ઘણો સખત ફૂંકાતો હતો. સાગર પરનાં મોજાં મોટાં થતાં જતાં હતાં. 19 તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા. 20 પણ ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ. તે હું જ છું.” 21 ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.
લોકો ઈસુને શોધે છે
22 બીજો દિવસ આવ્યો, કેટલાક લોકો સમુદ્રની બીજી બાજુએ રહ્યા. આ લોકોએ જાણ્યું કે ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં ગયો નહિ. લોકોએ જાણ્યું કે ઈસુના શિષ્યો હોડીમાં એકલા હતા અને તેઓએ જાણ્યું કે ત્યાં એક જ હોડી હતી. 23 પણ પછી તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી. આગલા દિવસે લોકોએ જ્યાં ભોજન કર્યુ હતું તે સ્થળની નજીક હોડીઓ આવી. પ્રભુ (ઈસુ) નો આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી તે આ જ જગ્યા હતી. 24 લોકોએ જોયું કે ઈસુ અને તેના શિષ્યો હવે ત્યાં ન હતા. તેથી લોકો હોડીઓમાં બેસી ગયા અને કફર-નહૂમ ગયા. તેઓની ઈચ્છા ઈસુને શોધવાની હતી.
ઈસુ, જીવનની રોટલી
25 લોકોએ ઈસુને સમુદ્રની બીજી બાજુએ જોયો. તેઓએ ઈસુને પૂછયું, “રાબ્બી, તું ક્યારે અહીં આવ્યો?”
26 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે શા માટે મને શોધો છો? તમે મને શોધી રહ્યા છો કારણ કે તમે મારી શક્તિના અદભૂત કાર્યો જોયા છે. જે મારી સત્તાની સાબિતી છે. ના! હું તમને સાચું કહું છું. તમે મને શોધતા હતા. કારણ કે તમે રોટલી ખાઈને તૃપ્ત થયા હતા. 27 ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”
28 લોકોએ ઈસુને પૂછયું, “દેવ આપણી પાસે કેવાં કામો કરાવવા માટે ઈચ્છે છે?”
29 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે કામ ઈચ્છે છે તે આ છે: દેવે જેને મોકલ્યો છે તેનામાં તમે વિશ્વાસ કરો.”
30 તેથી તે લોકોએ પૂછયું, “તું દેવે મોકલેલો છે તે સાબિત કરવા તું કેવા ચમત્કારો કરીશ? જ્યારે અમે તને ચમત્કાર કરતાં જોઈશું પછી વિશ્વાસ કરીશું. તું શું કરીશ? 31 અમારા (પૂર્વજો) એ રણમાં આપેલ માન્ના ખાધું. આ શાસ્ત્રમાં લખેલું છે. ‘દેવે તેઓને આકાશમાંથી રોટલી ખાવા માટે આપી.’”
32 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, મૂસાએ તમારા લોકોને આકાશમાંથી રોટલી આપી ન હતી. પરંતુ મારા પિતા તમને આકાશમાંથી સાચી રોટલી આપે છે. 33 દેવની રોટલી શું છે? આકાશમાંથી જે રોટલી નીચે આવે છે તે દેવની છે, અને તે જગતને જીવન આપે છે.”
34 તે લોકોએ કહ્યું, “પ્રભુ, આ રોટલી અમને સદા આપો.”
35 પછી ઈસુએ કહ્યું, “જે જીવન આપે છે તે રોટલી હું છું. જે વ્યક્તિ મારી પાસે આવે છે તે કદાપિ ભૂખે મરશે નહિ. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ રાખે છે તેને કદાપિ તરસ લાગશે નહિ. 36 મે તમને અગાઉ કહ્યું છે કે તમે મને જોયો છે અને છતાં તમે વિશ્વાસ કરતા નથી. 37 મને લોકો આપે છે અને તે લોકોમાંના બધા જ મારી પાસે આવશે. મારી પાસે જે દરેક વ્યક્તિ આવશે તેનો હું હમેશા સ્વીકાર કરીશ. 38 દેવ મારી પાસે જે કરાવવા ઈચ્છે છે તે કરવા માટે હું આકાશમાંથી નીચે આવ્યો છું. હું મારી ઈચ્છાથી કઈ કરવા માટે આવ્યો નથી. 39 દેવે મને જે કઈ આપ્યું છે તેમાંથી કશું ગુમાવીશ નહિ. પણ છેલ્લા દિવસે તે લોકોને હું પાછા ઉઠાડીશ. જેણે મને મોકલ્યો છે અને મારી પાસે જે કઈ કરાવવાની ઈચ્છા છે તે આ છે. 40 વ્યક્તિ જે દીકરાને જુએ છે, અને તેનામાં વિશ્વાસ મૂકે છે. તેને અનંતજીવન મળે છે. હું તે વ્યક્તિને છેલ્લા દિવસે ઉઠાડીશ. એ મારા પિતાની ઈચ્છા છે.”
41 યહૂદિઓએ ઈસુ વિષે ફરિયાદો શરું કરી. કારણ કે ઈસુએ કહ્યું હતું કે, “હું આકાશમાંથી નીચે ઉતરેલી રોટલી છું.” 42 યહૂદિઓએ કહ્યું, “આ ઈસુ છે. અમે તેના માતાપિતાને ઓળખીએ છે. ઈસુ, યૂસફનો દીકરો છે. તે કેવી રીતે કહી શકે કે, ‘હું આકાશમાંથી નીચે આવ્યો છું’?”
43 પણ ઈસુએ કહ્યું, “તમે માંહોમાંહે ફરિયાદો કરવાનું બંધ કરો. 44 તે પિતા એ જ મને મોકલ્યો છે. અને તે જ પિતા લોકોને મારી પાસે લાવે છે. હું તે લોકોને છેલ્લા દિવસે પાછા ઊઠાડીશ. જો પિતા વ્યક્તિને મારી પાસે લાવતા નથી, તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શક્તી નથી. 45 પ્રબોધકોનાં પુસ્તકોમાં આ લખેલું છે. ‘દેવ બધા લોકોને ઉપદેશ આપશે.’ લોકો પિતાને ધ્યાનથી સાંભળે છે અને તેની પાસેથી શીખે છે. તે લોકો મારી પાસે આવે છે. 46 હું સમજતો નથી કે કોઈએ પિતાને જોયો હોય. ફક્ત જે દેવ પાસેથી આવ્યો છે તેણે જ પિતાને જોયો છે.
47 “હું તમને સાચું કહું છું, જો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે છે તો તેને અનંતજીવન છે. 48 હું રોટલી છું જે જીવન આપે છે. 49 તમારા પૂર્વજો માન્ના (અન્ન) ખાધું છે, જે દેવે તેઓને રણમાં આપ્યું હતું. પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. 50 હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરે છે. જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય છે તે કદાપિ મૃત્યુ પામશે નહિ. 51 હું જીવતી રોટલી છું જે આકાશમાંથી ઉતરી છે, જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય તો તે અનંતજીવન પ્રાપ્ત કરે છે. આ રોટલી મારું શરીર છે. હું મારું શરીર આપીશ જેથી જગતમાંના લોકો જીવન પ્રાપ્ત કરી શકે.”
52 પછી યહૂદિઓ અંદરો અંદર દલીલો કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “આ માણસ આપણને તેનું શરીર ખાવા માટે કેવી રીતે આપી શકે?”
53 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, તમારે માણસના દીકરાનું શરીર ખાવું જોઈએ અને તેનું લોહી પીવું જોઈએ. જો તમે આ નહિ કરો, તો પછી તમારામાં સાચું જીવન હશે નહિ. 54 જે વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંતજીવન છે. છેલ્લે દિવસે હું તે વ્યક્તિને ફરીથી ઊઠાડીશ. 55 મારું શરીર સાચું ભોજન છે. મારું લોહી ખરેખર પીવાનું છે. 56 જો કોઈ વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે પછી તે વ્યક્તિ મારામાં રહે છે અને હું તે વ્યક્તિમાં રહું છું.
57 “પિતાએ મને મોકલ્યો છે. તે પિતા જીવે છે, અને હું જીવું છું તે કારણે જ જે વ્યક્તિ મને ખાય છે તે પણ મારા કારણે જ જીવશે. 58 આપણા પૂર્વજોએ રણમાં જે રોટલી ખાધી તેના જેવી રોટલી હું નથી. તેઓએ તે રોટલી ખાધી, પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરી આવી છે. જે વ્યક્તિ આ રોટલી ખાય છે તે અનંતજીવન જીવશે.”
59 આ બધી બાબતો કફર-નહૂમના શહેરના સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે કહી.
ઘણા શિષ્યોએ ઈસુને છોડી દીધા
60 ઈસુના શિષ્યોએ આ સાંભળ્યું, શિષ્યોમાંના ઘણાએ કહ્યું, “આ ઉપદેશ સ્વીકારવો ઘણો કઠિન છે. આ ઉપદેશ કોણ સ્વીકારી શકે?”
61 ઈસુએ જાણ્યું કે તેના શિષ્યો આ વિષે ફરિયાદ કરે છે. તેથી ઈસુએ કહ્યું, “શૂં આ ઉપદેશ તમને ઠોકર ખવડાવે છે? 62 તો પછી માણસનો દીકરો જ્યાંથી આવ્યો તે જગ્યાએ પાછો ફરતો જોઈને તમને પણ ઠોકર લાગશે? 63 તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે. 64 તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.” (ઈસુ જે વિશ્વાસ કરતા નથી તે લોકોને જાણે છે. ઈસુએ આરંભથી જ આ વાતો જાણી અને કયો માણસ તેનો દ્રોહ કરવાનો છે તે પણ ઈસુએ જાણ્યું.) 65 ઈસુએ કહ્યું, “આ કારણે જ મેં કહ્યું, ‘જો પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા નહિ દે તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શકશે નહિ.’”
66 આ બાબતો ઈસુએ કહ્યા પછી, ઈસુના ઘણા શિષ્યો તેને છોડી ગયા. તેઓએ ઈસુની પાછળ જવાનું બંધ કર્યુ.
67 ઈસુએ બાર પ્રેરિતોને પૂછયું, “તમે પણ મને છોડીને જવા ઈચ્છો છો?”
68 સિમોન પિતરે ઈસુને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે ક્યાં જઈશુ? તારી પાસે જે વાતો છે તે અનંતજીવન આપશે. 69 અમને તારામાં વિશ્વાસ છે. અમે જાણીએ છીએ કે દેવનો પવિત્ર એક તું જ છે.”
70 પછી ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમારામાંથી તે બધા બાર પસંદ કર્યા છે છતાં પણ તમારામાંનો એક શેતાન છે.” 71 ઈસુ સિમોનના દીકરા યહૂદા ઈશ્કરિયોત વિષે વાત કરતોં હતો. યહૂદા બાર પ્રેરિતોમાંનો એક હતો. પરંતુ પાછળથી યહૂદા ઈસુને સુપ્રત કરનાર હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International