Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પુનર્નિયમ 17

ફકત સારા પ્રૅંણીઓનું બલિદાન

17 “તમાંરા દેવ યહોવાને તમાંરે ખોડખાંપણવાળાં બળદ કે ઘેટું અર્પણ કરવાં નહિ. કારણ કે આવાં બલિદાનો યહોવાને ધૃણાપાત્ર છે.

મૂર્તિપૂજાની સજા

“તમાંરા દેવ યહોવાએ આપેલા કોઈ ગામમાં કોઈ સ્ત્રી કે પુરૂષ યહોવાના કરારનો ભંગ કરીને તેની દૃષ્ટિએ પાપ કરે, અને મેં જે વિષે સખત ના જણાવી છે તેવા અન્ય દેવો એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારાઓનું-નક્ષત્રોનું પૂજન કરે છે. અને તમને એ વાતની ખબર પડે તો તમાંરે તેની કાળજીપૂર્વક તપાસ કરવી. અને જો એ વાત સાચી ઠરે અને એવું સાબિત થાય કે, એવી ઘૃણાપાત્ર ઘટના ઇસ્રાએલમાં બનવા પામી છે, તો એવું દુષ્ટકૃત્ય કરનાર સ્ત્રી કે પુરૂષને શહેરના દરવાજા આગળ લાવી, ઇટાળી કરી તેને માંરી નાખવો. પરંતુ એકાદ સાક્ષીના આધારે કોઈ વ્યકિતને માંરી નાખવી નહિ; તે માંટે ઓછામાં ઓછા બે અથવા ત્રણ સાક્ષી હોવા જ જોઈએ. ઇટાળી કરતી વખતે સાક્ષીઓએ પ્રથમ પથ્થર માંરવો અને ત્યારબાદ બીજાઓએ માંરવા; આ રીતે તમાંરે એ અનિષ્ટ દૂર કરવું.

મુશ્કેલ ન્યાય ચૂકાદાઓ

“કોઈ વાર કોઈ ખટલાનો ચુકાદો આપવો તમને બહું મુશ્કેલ લાગે-જેમ કે ખૂનનો, મિલકતના હકનો કે માંરામાંરીનો કે તમાંરા શહેરોમાંના કોઇ વિવાદનો જો કોઈ આવો ખટલો તમાંરી સમક્ષ આવે તે બાબત તમાંરે જે જગ્યા તમાંરા દેવ યહોવા પસંદ કરશે ત્યાં લઇ જવી. લેવી કુળસમૂહના યાજકોની કે તે વખતના ન્યાયાધીશની પાસે જઈ તેમને પૂછવું, તેઓ તમને સાચો નિર્ણય કહેશે. 10 ત્યાં યહોવાની પસંદ કરેલી જગ્યા પર તેઓ તેમનો ચુકાદો તમને કહેશે. તમાંરે તે ચુકાદાને સ્વીકારવો અને યથાર્થ તેનું અનુસરણ કરવું, તેઓ તમને જે કઇ કરવા કહે તે કરવા નિશ્ચિત બનો. 11 તેઓ જે ચુકાદો આપે તેને સ્વીકારવો, અને તેમની તમાંમ સૂચનાઓનો અમલ કરવો. તેઓ કહે તેમાં કઇ પણ બદલશો નહિ.

12 “જો કોઈ તે વખતે દેવ યહોવાની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચૂકાદાઓ અસ્વીકાર કરવાની દૃષ્ટતા કરે, તો તેને દેહાતદંડ આપવો. આમ, તમાંરે એ પાપીઓને ઇસ્રાએલમાંથી દૂર કરવા. 13 પછી બીજા બધા લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ગભરાઇ જશે અને એવી દુષ્ટતા કદી કરશે નહિ.

રાજાઓનો રાજધર્મ

14 “તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપે છે ત્યાં પહોંચી જાઓ અને તેનો કબજો લઈ ત્યાં વસવાટ કરો, પછી તમને એમ લાગે કે, ‘અમાંરી આસપાસની અન્ય પ્રજાઓની જેમ અમાંરે પણ રાજા હોવો જોઈએ.’ 15 તો તમાંરે તમાંરા યહોવા દેવ જે વ્યકિતને પસંદ કરે તેને જ તમાંરે રાજા તરીકે નિયુકત કરવો. પરંતુ તે ઇસ્રાએલી હોવો જોઈએ, વિદેશી નહિ. 16 તે રાજા પાસે મોટી સંખ્યામાં ઘોડાઓ ન હોવા જોઇએ. અને તેણે ઘોડાઓ લાવવા માંટે પોતાના માંણસોને મિસર મોકલવા નહિ. યહોવાએ આદેશ કર્યો છે કે, ‘તમાંરે ફરી કદી મિસર પાછા જવું નહિ.’ 17 વળી તેણે વધારે પત્નીઓ પણ કરવી નહિ. નહિ તો તેનું હૃદય યહોવા તરફથી વિમુખ થઈ જવાનો ભય છે. વળી તેણે વધારે સોનું; ચાંદી પણ સંઘરવુ નહિ. તે અતિ શ્રીમંત ન હોવો જોઈએ.

18 “તેના રાજ્યાભિષેક પછી તેણે લેવી યાજકો પાસે રહેલ નિયમની એક નકલ પોતાને માંટે કરાવી લેવી. 19 અને તેણે એ જીવનપર્યત પોતાની પાસે રાખવી અને દરરોજ એનો પાઠ કરવો, જેથી તે પોતાના દેવ યહોવાથી ગભરાઇને ચાલતાં શીખે અને આ નિયમના પ્રત્યેક નિયમોનું પાલન કરે. 20 એમ કરવાથી તે પોતાના દેશબંધુઓને ઉતરતી કોટિના ગણશે નહિ, તથા આ આજ્ઞાઓથી વિમુખ થશે નહિ અને આમ કરવાથી તેઓ લાંબો સમય શાસન કરશે, અને તેના વંશજો ઇસ્રાએલ પર પેઢીઓ સુધી રાજ્ય કરશે.

ગીતશાસ્ત્ર 104

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો;
તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.
    તમે પ્રકાશથી વિંટળાયેલા છો,
અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
    તમારા આકાશી ઘરનો પાયો;
તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે;
    વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો,
    અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!
તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે,
    જેથી તે કદી ચલિત થાય નહિ.
તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે;
    અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં,
    તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં;
    અને ખીણો ઊંડી થઇ ગઇ.
તમે મહાસાગરોને હદ બાંધી આપી;
    જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.

10 તમે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં;
    અને પર્વતોમાં વહેતી નદીઓ બનાવી.
11 તેઓ સર્વ પ્રાણીઓને પાણી પૂરું પાડે છે;
    અને ગધેડાઓ ત્યાં તરસ છીપાવે છે.
12 પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે;
    અને વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
13 તમે પર્વતો પર વરસાદ વરસાવો છો;
    અને પૃથ્વી તમારાં કામનાં ફળથી તૃપ્ત થાય છે.
14 તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે,
    તે આપણને ખેડવા છોડ આપે છે,
    અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.
15 દેવે આપણને ખુશ કરવા માટે દ્રાક્ષ આપી,
    આપણી ત્વચાને નરમ કરવા તેલ
    અને શરીરને ટકાવી રાખવા રોટલી આપે છે.

16 યહોવાનાં વૃક્ષ, એટલે લબાનોનનાં દેવદારો;
    જે તેણે રોપ્યાં હતાં તેઓ ધરાયેલાં છે.
17 ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે;
    વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
18 ઊંચા પર્વતો પર જંગલી બકરાને
    અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.

19 ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું,
    ક્યારે આથમવું એ સૂર્ય હંમેશા જાણે છે.
20 રાત્રિ અને અંધકાર તમે મોકલો છો;
    જંગલનાં પ્રાણીઓ ત્યારે બહાર આવે છે.
21 પછી સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે;
    તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.
22 પરોઢિયે તેઓ ગૂપચૂપ જંગલોમાં પાછા જાય છે;
    અને પોતાની ગુફાઓમાં સૂઇ જાય છેં.
23 માણસ પોતાનો ઉદ્યમ કરવાં બહાર નીકળે છે;
    અને સાંજ સુધી પોતપોતાના કામ કરે છે.

24 હે યહોવા, કેટલા છે તારા સર્જનો!
    તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે.
    તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
25 જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના
    અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ
    તથા જાનવરો તેની અંદર છે!
26 અને જુઓ, વહાણો તેમાં આવજા કરે છે;
    વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.

27 તમે તેઓને યોગ્ય ટાણે ખાવાનું આપો છો;
    તેથી આ સઘળાં જીવો તમારી વાટ જુએ છે.
28 તમે જે કાંઇ આપો છો તે તેઓ વીણે છે;
    તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધાં ઉપકારથી તૃપ્ત થાય છે
29 તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે,
    તેઓનો પ્રાણ તેઓને છોડે છે
અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે
    તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
30 પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે;
    અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.

31 યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો;
    અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો.
32 જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે;
    અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.

33 હું જીવનપર્યંત યહોવાની પ્રશંસાનાં ગીતો ગાઇશ;
    હું મારા છેલ્લા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.
34 તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ
    કારણ કે યહોવા મારા સર્વ આનંદનું ઉદૃભવ સ્થાન છે.
35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
    અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે.

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    તમે યહોવાની સ્તુતિ કરો!

યશાયા 44

મૂર્તિપૂજા પર પ્રહાર – દેવ માત્ર એક

44 યહોવા કહે છે, “હે યાકૂબ, મારા સેવક, ઇસ્રાએલ, મારા પસંદ કરેલા, મને સાંભળ. હું જ તારો સર્જનહાર છું, જ્યારથી તું જનમ્યો હતો ત્યારથી હું તને મદદ કરી રહ્યો છું. હે યાકૂબ, મારા સેવક, મારા પસંદ કરાયેલા યશુરૂન, હું તને આ કહું છું તું ભયભીત થઇશ નહિ.

“હું તમારી તરસ છીપાવવા ભૂમિ પર પુષ્કળ પાણી વરસાવીશ. સૂકી ધરતી પર ઝરણાં વહાવીશ. તારી સંતતિ ઉપર હું મારી શકિત ઉતારીશ. તારા વંશજો પર મારા આશીર્વાદ વરસાવીશ. તેઓ વહેતાં ઝરણાંની ધારે પાણીમાં ઊગી નીકળતા ઘાસની જેમ તથા નદી કાંઠે ઊગી નીકળતા નેતરના ઝાડોની જેમ વૃદ્ધિ પામશે,

“તેથી તેઓ બધા પોતાને યહોવાના સેવક અને યાકૂબના વંશજો તરીકે ઓળખાવવામાં ગૌરવ લેશે. તેઓ કહેશે કે તેઓ યહોવાની માલિકીના છે અને ‘ઇસ્રાએલીઓ’ તરીકે ઓળખાય.”

ઇસ્રાએલનો રાજા અને તેના ઉદ્ધારક સૈન્યોના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: “હું જ આદિ છું અને હું જ અંત છું; મારા સિવાય કોઇ બીજો દેવ નથી. આવનાર ભવિષ્યમાં શું બનશે તે વિષે તમને મારા સિવાય કોણ કહી શકે છે? જો કોઇ કહી શકે તેમ હોય તો તેઓને કહેવા દો અને તેઓનું પરાક્રમ સાબિત કરવા દો. પ્રાચીનકાળથી જે પ્રમાણે મેં કર્યુ છે તેમ તેઓને કરવા દો.

“ઓ મારા લોકો, ગભરાશો નહિ, ડરશો નહિ, પ્રાચીનકાળથી મેં એ બધું કહ્યું નથી? મેં જાહેર નથી કર્યુ? તમે મારા સાક્ષી છો. મારા સિવાય અન્ય કોઇ દેવ છે? મારા સિવાય બીજો કોઇ ખડક નથી.”

ખોટાં દેવો નકામાં છે

જેઓ મૂર્તિ બનાવે છે તે બધા કેવા તુચ્છ છે? તેઓ જેને મોંધીમૂલી ગણે છે તે મૂર્તિઓ કશા કામની નથી, તેમના સાક્ષીઓ કંઇ દેખતા નથી અને જાણતાં કંઇ નથી કે સાક્ષી આપી શકે. એટલે આખરે એમની ફજેતી થાય છે.

10 કોણ દેવની મૂર્તિ બનાવશે જે તેને સહેજ પણ સહાય કરી શકતી નથી? 11 જરા થોભો અને જુઓ આ સર્વ મૂર્તિઓની પૂજા કરનારા ભેગા થશે અને તેમની ફજેતી થશે. અને મૂર્તિઓને ઘડનારા સર્વ કારીગરો પણ માણસો જ છે. તેમને ભેગા થઇને મારી સામે ઊભા તો રહેવા દો; બધા ધ્રુજી ઊઠશે અને ફજેત થશે.

12 લુહાર ધાતુને અગ્નિમાં તપાવીને હથોડાથી ટીપી ટીપીને ધાટ આપે છે. પોતાના બળવાન બાહુ વડે ઘડતાં ઘડતાં તે ભૂખ્યો થાય છે અને થાકી જાય છે. ને તરસથી પાણી પીધા વિના નબળો અને નિર્ગત થઇ જાય છે.

13 સુથાર લાકડા પર દોરી છાંટે છે, ચાકથી રૂપરેખા દોરે છે, ફરસીથી કોતરી કાઢે છે, કંપાસથી માપ લે છે, તેને માણસોનો આકાર આપે છે, પછી સુંદર મૂર્તિ બનાવી મંદિરમાં સ્થાપે છે.

14 માણસ જઇને એરેજવૃક્ષને કાપે છે, અથવા જંગલમાંથી બીજું કોઇ વૃક્ષ પસંદ કરે છે, અથવા દેવદારનો રોપો રોપે છે જે વરસાદ પડતાં મોટો થાય છે.

15 પછી તે લાકડાનો કેટલોક ભાગ બળતણ તરીકે પોતાને હૂંફાળા બનાવવા માટે વાપરે છે અને તેના પર રોટલી શેકે છે. બાકી રહેલા લાકડામાંથી તે પોતાને માટે દેવ બનાવે છે-લોકો ભકિત કરી શકે માટે દેવ બનાવે છે! પગે લાગવા માટે તે મૂર્તિઓ ઘડે છે. 16 અડધાં લાકડાને તે ઇંધણ તરીકે વાપરે છે, તેના પર તે માંસ શેકે છે અને તૃપ્ત થાય ત્યાં સુધી ખાય છે, પોતાની જાતને તપાવે છે અને કહે છે, “વાહ! કેવું સરસ તાપણું છે! હવે હૂંફ વળી.” 17 બાકીના ભાગમાંથી તે કોઇ દેવની મૂર્તિ બનાવે છે, તેને પગે લાગીને તેની પૂજા કરે છે, તે તેની પ્રાર્થના કરે છે અને કહે છે, “મારો ઉદ્ધાર કરો, કારણ તમે મારા દેવ છો!”

18 એ લોકો કશું જાણતા નથી કે સમજતા નથી. એમની આંખો પર અને ચિત્ત પર અજ્ઞાનના પડ જામ્યા છે એટલે એ લોકો નથી કશું જોઇ શકતા કે, નથી કશું સમજી શકતા. 19 એવો માણસ કદી વિચાર કરતો નથી, “આ તો લાકડાંનો ટુકડો છે! મેં તેને અગ્નિમાં બાળીને તાપણી કરી છે. અને રોટલી તથા માંસ શેકવા તેનો ઉપયોગ કર્યો છે, તો પછી બાકી રહેલું લાકડું તેનો દેવ કેવી રીતે બની શકે? તો શું મારે ફકત આ લાકડાના ટુકડા આગળ નમવું જોઇએ?”

20 પોતાને મૂર્ખ બનાવનાર મનુષ્ય રાખ ખાવાનું ચાલુ રાખે છે; તેના મિત ચિત્તે તેને ભમાવ્યો છે; તેનો ઉદ્ધાર થાય એમ નથી, કારણ, તે એટલું પણ સમજતો નથી કે, “મારા જમણા હાથમાં છે એ તો જૂઠી વસ્તુ છે.”

સાચા યહોવા દેવ ઇસ્રાએલના મદદગાર છે

21 યહોવા કહે છે, “હે યાકૂબ, આટલી વાતનું ધ્યાન રાખજે,
    હે ઇસ્રાએલ, તું મારો સેવક છે.
મેં તને ઉત્પન્ન કર્યો છે,
    અને હું તને મદદ કરવાનું ક્યારેય ભૂલી જઇશ નહિ.
22 મેં તારા અપરાધોને વાદળની
    જેમ હઠાવી દીધા છે.
તારા પાપોને ધુમ્મસની
    જેમ વિખેરી નાખ્યાં છે.
તું મારી પાસે પાછો આવ,
    કારણ હું તારો ઉપાસક છું.”

23 ઓ આકાશ, હર્ષના પોકાર કરો, કારણ, આ કાર્ય યહોવાનું છે!
    આનંદના લલકાર કરો, ઓ પૃથ્વીના ઊંડાણો!
આનંદના ગીત ગાઓ, હે પર્વતો,
    જંગલો અને જંગલના વૃક્ષો!
કારણ, યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કરીને
    ઇસ્રાએલ દ્વારા પોતાનો મહિમા પ્રગટ કર્યો છે!
24 તને ઘડનારા, તારા મુકિતદાતા યહોવા એમ કહે છે,
    “સર્વનો સર્જનહાર હું યહોવા છું;
મેં એકલાએ આકાશોને વિસ્તાર્યા છે.
    મેં જ્યારે આ પૃથ્વીને પાથરી
    ત્યારે મારી મદદમાં કોણ હતું?”

25 હું દંભી પ્રબોધકોને જુઠ્ઠા પાડું છું અને તેઓ જે બનાવો વિષે કહે છે તેના કરતાં જુદા જ બનાવો દઇને હું તેઓને ખોટા પાડું છું. હું જ્ઞાનીઓના વચન પાછા ખેંચાવું છું અને તેમના જ્ઞાનને મૂર્ખાઇ ઠરાવું છું. 26 પણ મારા સેવકોનાં વચનને હું સાચાં ઠરાવું છું. અને મારા સંદેશાવાહકો મારફતે પ્રગટકરેલા ઉદ્દેશો પાર પાડું છું.

યરૂશાલેમને હું કહું છું, “તારે ત્યાં ફરી વસ્તી થશે,”
    યહૂદાના શહેરોને હું કહું છું,
    “તમે ફરી બંધાશો, તમારાં ખંડેરો હું ફરી ઉભા કરીશ.”
27 સાગરને હું કહું છું, “તું સુકાઇ જા,
    તારી નદીઓને હું સૂકવી નાખીશ.”
28 હું કોરેશને કહું છું, “તું તો મારો મોકલેલો પ્રજાનો પાલક છે,
    અને તું મારા બધા મનોરથો પૂર્ણ કરશે;
અને તું યરૂશાલેમને ફરી બાંધવાનો
    અને મંદિરનો પાયો નાખવાનો આદેશ આપશે.”

પ્રકટીકરણ 14

ઉદ્ધાર પામેલાઓનું ગીત

14 પછી મેં જોયું તો ત્યાં મારી આગળ હલવાન હતું. તે સિયોન પહાડ પર ઊંભું હતું. ત્યાં તેની સાથે 1,44,000 લોકો હતા. તેઓ બધાના કપાળ પર તેનું નામ અને તેના પિતાનું નામ લખેલું હતું.

અને મેં પાણીના પૂર જેવો ઘોંઘાટ અને મોટી ગર્જના જેવો અવાજ સાંભળ્યો. મેં જે અવાજ સાંભળ્યો તે લોકો પોતાની વીણા વગાડતા હોય તેવો હતો. તે લોકોએ રાજ્યાસનની આગળ અને ચાર પ્રાણીઓની અને વડીલોની આગળ એક નવું ગીત ગાયું. તે નવું ગીત ગાઈ શકે તેવા ફક્ત 1,44,000 લોકો હતા. જેઓનો પૃથ્વી પરથી ઉદ્ધાર કરવામાં આવ્યો હતો. બીજું કોઈ તે ગીત ગાઇ શક્યું નહિ.

આ 1,44,000 એવા લોકો છે, જેઓએ સ્ત્રીઓ સાથે કોઈ કુકર્મ કર્યું નથી. તેઓએ પોતાની જાતને શુદ્ધ રાખી છે. તેઓ જ્યાં જતા ત્યાં હલવાનને અનુસરતા. પૃથ્વી પરના લોકોમાંથી આ 1,44,000નો ઉદ્ધાર કરવામાં આવ્યો હતો. દેવને અને હલવાનને અર્પિત થનાર તેઓ પહેલા હત. આ લોકો અસત્ય બોલવાના દોષિત ન હતા. તેઓ નિર્દોષ છે.

ત્રણ દૂતો

પછી મેં બીજા એક દૂતને આકાશમાં ઊંચે ઉડતો જોયો. તે દૂત પાસે સનાતન સુવાર્તા હતી. જે પૃથ્વી પર રહેતા હતા, તે લોકો દરેક રાજ્ય, જાતિ, ભાષા અને પ્રજાના લોકોને બોધ આપવા માટે હતી. તે દૂતે મોટા સાદે વાણીમા કહ્યું કે, “દેવનો ડર રાખો અને તેની આરાધના કરો. તેના માટે દરેક લોકોનો ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે. દેવની આરાધના કરો, તેણે આકાશો, પૃથ્વી, સમુદ્ર, અને પાણીનાં ઝરાઓ ઉત્પન્ન કર્યા છે.”

પછી તે બીજો દૂત પ્રથમ દૂતને અનુસર્યો અને કહ્યું કે, “તેનો વિનાશ થયો છે! તે મહાન બેબિલોનનો વિનાશ થયો છે. તેણે પોતાનો વ્યભિચાર (ને લીધે રેડાયેલો) અને દેવનો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશોને પીતાં કર્યા છે.”

એ ત્રીજો દૂત પહેલા બે દૂતોને અનુસર્યો, આ ત્રીજા દૂતે મોટા સાદે વાણીમાં કહ્યું કે, “જે તે પ્રાણી અને પ્રાણીની મૂર્તિને પૂજે છે અને તેના કપાળ પર કે તેના હાથ પર તે પ્રાણીની છાપ પ્રાપ્ત કરે છે તે વ્યક્તિ ઓ માટે ખરાબ સમય હશે. 10 તે વ્યક્તિ દેવનો કોપરૂપી દ્રાક્ષારસ પીશે. આ દ્રાક્ષારસ દેવના કોપના પ્યાલામાં તેની પૂર્ણ શક્તિથી તૈયાર થયો છે. તે વ્યક્તિ પવિત્ર દૂતો અને હલવાનની આગળ સળગતા ગંધકથી રિબાશે. 11 અને તેઓના ત્રાસમાંથી નીકળતો ધુમાડો સદા સર્વકાળ ઊંચે ચઢશે. જે લોકો પ્રાણીની તથા તેની મૂર્તિની પૂજા કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે, તેઓને રાત દિવસ આરામ નથી.” 12 આનો અર્થ એ છે કે સંતો ધૈર્યવાન હોવા જોઈએે. તેઓએ દેવની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએે અને ઈસુમાં તેઓએ વિશ્વાસ રાખવો જોઈએ.

13 પછી મેં આકાશમાંથી વાણી સાંભળી. તે વાણીએ કહ્યું કે, “આ લખ, કે હવે પછી જે મૃત્યુ પામનારાઓ પ્રભુમાં મૃત્યુ પામે છે. તેઓને ધન્ય છે.”

આત્મા કહે છે, “હા, તે સાચું છે. તે લોકો તેઓનાં સખત શ્રમથી આરામ કરશે. તેઓએ જે કંઈ કર્યું છે તે તેઓની સાથે રહે છે.”

પૃથ્વી પરની કાપણી

14 જ્યારે મેં નજર કરી ત્યારે મેં ત્યાં મારી આગળ એક ઊજળું વાદળ જોયું તે ઊજળા વાદળ પર બેઠેલો એક દૂત માણસનાં પુત્ર[a] જેવો દેખાતો હતો. તેના માથા પર સોનાનો મુગટ અને હાથમા ધારદાર દાતરડું હતું. 15 પછી બીજો એક દૂત મંદિરમાથી બહાર આવ્યો. આ દૂતે જે વાદળ પર બેઠો હતો તેને બોલાવ્યો અને કહ્યું કે, “તારું દાતરડું ચલાવ અને બધો પાક ભેગો કર, કાપણી કરવાનો સમય આવી પહોંચ્યો છે. પૃથ્વીનાં ફળ પાકયાં છે.” 16 તેથી જે વાદળ પર બેઠો હતો તેણે પૃથ્વી પર દાતરડું ચલાવ્યું અને પૃથ્વીની ફસલ લણાઈ ગઈ.

17 પછી બીજો એક દૂત મંદિરની બહાર આવ્યો જે આ આકાશમાં હતું. આ દૂત પાસે પણ એક ધારદાર દાતરડું હતું. 18 પછી બીજો એક દૂત વેદીમાંથી બહાર આવ્યો. આ દૂતને અગ્નિ પર અધિકાર છે. આ દૂતે મોટા અવાજે તે દૂતને ધારદાર દાતરડાં સાથે બોલાવ્યો. તેણે કહ્યું કે, “તારું ધારદાર દાતરડું લે અને પૃથ્વીની દ્રાક્ષમાંથી દ્રાક્ષનાં ઝૂમખાને ભેગાં કર. પૃથ્વીની દ્રાક્ષો પાકી ચૂકી છે.” 19 તે દૂતે તેનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું. તે દૂતે પૃથ્વીની દ્રાક્ષોનાં ઝૂમખાં ભેગા કરીને દેવના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યાં. 20 અને દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેરની બહાર ખૂંદવામાં આવ્યું, 200 માઈલ સુધી ઘોડાઓના માથાં જેટલી ઊંચાઈએ પહોંચે એટલુ લોહી દ્રાક્ષાકુંડમાંથી બહાર વહી નીકળ્યું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International