Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
લૂક 23

હાકેમ પિલાત ઈસુને પ્રશ્રો પૂછે છે

(માથ. 27:1-2, 11-14; માર્ક 15:1-5; યોહ. 18:28-38)

23 પછી આખો સમૂહ ઊભો થયો અને પિલાત પાસે ઈસુને લઈ ગયો. તેઓ ઈસુની વિરૂદ્ધ તહોમત મૂકવા લાગ્યા. તેઓએ પિલાતને કહ્યું કે, “અમારા લોકોના વિચારોને બદલવાના પ્રયત્ન કરતા આ માણસને અમે પકડ્યો છે. કૈસરને કરવેરા આપવાનો તેણે વિરોધ કર્યો. તે એક ખ્રિસ્ત રાજા હોવાનો દાવો કરે છે.”

પિલાતે ઈસુને પૂછયું કે, “શું તું યહૂદિઓનો રાજા છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “હા, તે સાચું છે.”

પિલાતે મુખ્ય યાજકો તથા લોકોને કહ્યું કે, “મને આ માણસમાં કંઈ ખોટું દેખાતું નથી.”

તેઓએ ફરીફરીને કહ્યું કે, “પણ તે લોકોને ઉશ્કેરે છે! તે યહૂદિયાની આજુબાજુ બોધ આપે છે. તેણે ગાલીલમાં શરૂ કર્યો અને હવે તે અહીં છે!”

પિલાત ઈસુને હેરોદ પાસે મોકલે છે

પિલાતે આ સાંભળ્યું અને પૂછયું કે, શું ઈસુ ગાલીલનો હતો? પિલાતે જાણ્યું કે ઈસુ હેરોદના તાબામાં છે. તે વખતે હેરોદ યરૂશાલેમમાં હતો. તેથી પિલાતે ઈસુને તેની પાસે મોકલ્યો.

જ્યારે હેરોદે ઈસુને જોયો ત્યારે તે ઘણો ખુશ થયો. હેરોદે ઈસુ વિષે ઘણી બાબતો સાંભળી હતી. તેથી લાંબા સમયથી તે ઈસુને મળવા ઈચ્છતો હતો. હેરોદ કોઈ ચમત્કાર જોવા માંગતો હતો. તેથી તેણે આશા રાખી કે ઈસુ કંઈ ચમત્કાર કરશે. હેરોદે ઈસુને ઘણા પ્રશ્રો પૂછયા, પણ ઈસુએ કંઈ કહ્યું નહિ. 10 મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ત્યાં ઊભા હતા. તેઓએ ઈસુની વિરૂદ્ધ તહોમત મૂકવાનું ચાલું રાખ્યું. 11 પછી હેરોદ અને તેના સૈનિકો ઈસુને હસતા હતા. તેઓએ ઈસુને રાજાઓના જેવાં કપડાં પહેરાવી તેની મશ્કરી ઉડાવી. પછી હેરોદે ઈસુને પાછો પિલાત પાસે મોકલ્યો. 12 ભૂતકાળમાં પિલાત અને હેરોદ હંમેશા દુશ્મનો હતા પણ તે દિવસે હેરોદ અને પિલાત મિત્રો બન્યા.

ઈસુએ મરવું જોઈએ

(માથ. 27:15-26; માર્ક 15:6-15; યોહ. 18:39–19:16)

13 પિલાતે મુખ્ય યાજકો, યહૂદિ અધિકારીઓ અને બધા લોકોને ભેગા કર્યા અને સાથે બોલાવ્યા. 14 પિલાતે તેઓને કહ્યું કે, “આ માણસને તમે મારી પાસે લાવ્યા છો. તમે કહ્યું કે તે લોકોનું પરિવર્તન કરે છે. પણ મેં તમારી સમક્ષ તેની પરીક્ષા કરી, મને તેણે કંઈ ખોટું કર્યુ હોય એવું દેખાયું નહિ. 15 હેરોદને પણ કંઈ ખોટું જણાયું નથી. તેઓ આક્ષેપ મૂકે છે તેમાનું તેણે કશું જ કર્યુ નથી. પણ તેનામાં કંઈ ખોટું દેખાયું નથી. હેરોદે ઈસુને આપણી પાસે પાછો મોકલ્યો છે તેથી તેને મારી નાખવો જોઈએ નહિ. 16 તેથી હું તેને થોડી શિક્ષા કર્યા પછી, તેને જવા માટે મુક્ત કરીશ.” 17 હવે દર વર્ષે પાસ્ખાપર્વને દિવસે લોકોને માટે પિલાતે એક કેદીને છોડી દેવો પડતો હતો.

18 પણ બધા લોકોએ બૂમો પાડી, “તેને મારી નાખો! બરબ્બાસને મુક્ત કરો!” 19 (બરબ્બાસ શહેરમાં હુલ્લડ શરું કરવા બદલ બંદીખાનામાં હતો. તેણે કેટલાક માણસોની હત્યા પણ કરી હતી.)

20 પિલાત ઈસુને મુક્ત કરવા ઈચ્છતો હતો. તેથી પિલાતે તેને ફરીથી કહ્યું કે તે ઈસુને છોડી મૂકશે. 21 પણ તેઓએ વારંવાર બૂમો પાડી, “તેને મારી નાખો!” “વધસ્તંભ પર મારી નાખો!”

22 ત્રીજી વખત પિલાતે લોકોને કહ્યું કે, “શા માટે? તેણે શું ખોટું કર્યુ છે? તે દોષિત નથી. તેને મારી નાખવાનું કોઈ કારણ મને દેખાતું નથી. તેથી હું તેને થોડીક સજા કરીને પછી છોડી દઇશ.”

23 લોકોએ બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. તેઓએ માંગણી કરી કે ઈસુને વધસ્તંભે જડાવીને મારી નાખો. તેમની બૂમો એટલી મોટી થઈ કે 24 પિલાતે તેઓના માંગ્યા પ્રમાણે તેઓને આપવાનો નિર્ણય કર્યો. 25 લોકો બરબ્બાસને મુક્ત કરાવવા ઈચ્છતા હતા. બરબ્બાસ હુલ્લડ શરું કરાવવા બદલ તથા લોકોની હત્યા માટે બંદીખાનામાં હતો. પિલાતે બરબ્બાસને છોડી મૂક્યો. અને પિલાતે ઈસુને મારી નાખવા માટે લોકોને સોંપ્યો. લોકોને તો આ જ જોઈતું હતું.

ઈસુનું વધસ્તંભે મૃત્યુ

(માથ. 27:32-44; માર્ક 15:21-32; યોહ. 19:17-19)

26 ઈસુને મારી નાખવા સૈનિકો દૂર લઈ જતા હતા. તે જ સમયે સીમમાંથી એક માણસ શહેરમાં આવતો હતો. તેનું નામ સિમોન હતું. સિમોન, કુરેની શહેરનો હતો. સૈનિકોએ સિમોનને ઈસુનો વધસ્તંભ તેની ખાંધે ચઢાવીને ઈસુની પાછળ ચાલવા ફરજ પાડી.

27 ઘણા બધા લોકો ઈસુની પાછળ ચાલ્યા. તેમાંની ઘણી સ્ત્રીઓ હતી. 28 પરંતુ ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું કે, “યરૂશાલેમની સ્ત્રીઓ, મારા માટે રડશો નહિ. તમારી જાત માટે અને તમારા બાળકો માટે રડો! 29 સમય એવો આવે છે કે જ્યારે લોકો કહેશે કે, ‘એ સ્ત્રીઓને ધન્ય છે જેઓને બાળકો થઈ શકતા નથી. તે સ્ત્રીઓને ધન્ય છે કે જેઓએ બાળકોને જન્મ આપ્યો નથી. અને જેઓએ બાળકોને ધવડાવ્યું નથી.’ 30 પછી લોકો પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો!’ લોકો ટેકરીઓને કહેશે કે, ‘અમને ઢાંકી નાખો!’ 31 જો હમણા જ્યારે જીવન સારૂં છે ત્યારે લોકો આ રીતે વર્તશે. પણ જ્યારે ખરાબ સમય આવશે ત્યાંરે શું થશે? કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું નહિ કરશે?”

32 ત્યાં બીજા બે ગુનેગારો પણ હતા તેઓને મારી નાખવા માટે તેઓ ઈસુની સાથે દોરી જતા હતા. 33 ઈસુ અને તે બે ગુનેગારોને “ખોપરી” નામની જગ્યાએ લઈ ગયા. ત્યાં સૈનિકોએ ઈસુને ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યો. તેઓએ એક ગુનેગારને ઈસુની જમણી બાજુએ વધસ્તંભે જડ્યો. તેઓએ બીજા ગુનેગારને ઈસુની ડાબી બાજુએ વધસ્તંભે જડ્યો.

34 ઈસુએ કહ્યું કે, “હે બાપ, આ લોકોને માફ કર. જેઓ મારી હત્યા કરી રહ્યા છે. તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.”

સૈનિકોએ પાસા ફેંકીને જુગાર રમ્યો અને નક્કી કર્યુ કે ઈસુના લૂગડાં કોણ લેશે. 35 લોકો ત્યાં ઊભા રહીને ઈસુને જોતા હતા. યહૂદિ અધિકારીઓ ઈસુની મશ્કરી કરતાં હતા. તેઓએ કહ્યું કે, “જો તે દેવનો એક પસંદ કરાયેલ ખ્રિસ્ત હોય તો તેને તેનો બચાવ તેની જાતે કરવા દો. તેણે બીજા લોકોને બચાવ્યા છે. શું તેણે નથી બચાવ્યા?”

36 સૈનિકોએ પણ ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરી. તેઓ ઈસુ પાસે આવ્યા અને તેને થોડો સરકો આપ્યો. 37 સૈનિકોએ કહ્યું કે, “જો તું યહૂદિઓનો રાજા હોય તો તું તારી જાતને બચાવ!” 38 (વધસ્તંભની ટોચ પર આ શબ્દો લખેલા હતા: “આ યહૂદિઓનો રાજા છે.”)

39 ગુનેગારોમાંનો એક જેને ત્યા ફાંસીએ લટકાવ્યો હતો તેણે ઈસુનું અપમાન કરીને બૂમો પાડવાનું શરું કર્યુ, “શું તું ખ્રિસ્ત નથી? તો તારી જાતને બચાવ! અને અમને પણ બચાવ!”

40 પરંતુ બીજા ગુનેગારે તેને અટકાવ્યો. તેણે કહ્યું કે, “તારે દેવથી ડરવું જોઈએ! આપણે બધાજલ્દીથી મરી જઇશું! 41 તારા અને મારા માટે મૃત્યુ ન્યાયી રીતે આવી રહ્યું છે કારણ કે આપણને જે કંઈ મળ્યું છે તે આપણા કુકર્મો માટે યોગ્ય છે. આ માણસે તો કશું જ ખોટું કર્યુ નથી.” 42 પછી આ ગુનેગારે ઈસુને કહ્યું કે, “ઈસુ, જ્યારે તું રાજા તરીકે શાસન શરું કરે ત્યારે મને સંભારજે!”

43 પછી ઈસુએ તેને કહ્યું કે, “ધ્યાનથી સાંભળ, હું જે કહું છું તે સાચું છે. આજે તું મારી સાથે પારાદૈસમાં[a] હોઇશ!”

ઈસુ મૃત્યુ પામે છે

(માથ. 27:45-56; માર્ક 15:33-41; યોહ. 19:28-30)

44 તે લગભગ બપોર હતી, પરંતુ સમગ્ર વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યા સુધી અંધકાર છવાયો હતો. 45 ત્યાં સૂરજ ન હતો. મંદિરમાંનો પડદો બે ભાગમાં ફાટી ગયો. 46 ઈસુએ જોરથી ઊચા અવાજે પોકાર કર્યો કે, “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું.” ઈસુએ એમ કહ્યું, પછી તે મૃત્યુ પામ્યો.

47 લશ્કરના અધિકારીએ ત્યાં જે કંઈ થયું તે જોયું. તેણે દેવની સ્તુતિ કરીને કહ્યું કે, “હું જાણું છું આ માણસ ખરેખર ન્યાયી હતો!”

48 ઘણા લોકો આ જોવા માટે શહેરની બહાર આવ્યા. જ્યારે લોકોએ તે જોયું, તેઓ 49 ઈસુના નજીકના મિત્રો ત્યાં હતા. ત્યાં કેટલીએક સ્ત્રીઓ ગાલીલમાંથી ઈસુની પાછળ આવી હતા તે પણ ત્યાં હતી. તેઓ વધસ્તંભથી ઘણે દૂર ઊભા રહીને આ જોતી હતી.

અરિમથાઇનો યૂસફ

(માથ. 27:57-61; માર્ક 15:42-47; યોહ. 19:38-42)

50-51 યહૂદિઓના શહેર અરિમથાઇનો એક માણસ ત્યાં હતો. તેનું નામ યૂસફ હતું. તે એક સારો, અને ધર્મિક માણસ હતો. તે દેવના રાજ્યની આવવાની રાહ જોતો હતો. તે યહૂદિઓની ન્યાયસભાનો સભ્ય હતો. જ્યારે બીજા યહૂદિઓના આગેવાનોએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યા ત્યારે તે સંમત થયો નહોતો. 52 યૂસફે પિલાત પાસે જઇને ઈસુનો દેહ માંગ્યો. પિલાતે યૂસફને શબ લેવાની હા પાડી. 53 તેથી યૂસફે વધસ્તંભ પરથી દેહ નીચે લાવીને લૂગડાંમાં વીંટાળ્યું. પછી તેણે ઈસુનું દેહ ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યું. આ અગાઉ આ કબર કદી ઉપયોગમાં લેવાઇ ન હતી. 54 તે દિવસ સિદ્ધિકરણનો હતો. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે, વિશ્રામવાર શરૂ થયો હતો.

55 જે સ્ત્રીઓ ગાલીલથી ઈસુની સાથે આવી હતી તે યૂસફ પાસે ગઇ. તેઓએ કબર જોઈ. તેઓએ જ્યાં ઈસુનો દેહ મૂકવામાં આવ્યો હતો તે પણ જોયું. 56 પછી તે સ્ત્રીઓ ઈસુના દેહ પર મસાલા તથા સુગંધિત દ્ધવ્યો મૂકવા માટેની તૈયારી કરવા પાછી આવી.

વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. મૂસાના નિયમ પ્રમાણે બધાજ લોકોએ આ કર્યુ.

યોહાન 18-19

ઈસુ પકડાય છે

(માથ. 26:47-56; માર્ક 14:43-50; લૂ. 22:47-53)

18 જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી, તે તેના શિષ્યો સાથે વિદાય થયો. તેઓ કિદ્રોન ખીણને પેલે પાર ગયા. બીજી બાજુએ ત્યાં એક ઓલીવના વૃક્ષોની વાડી હતી. ઈસુ અને તેના શિષ્યો ત્યાં ગયા.

યહૂદાએ જાણ્યું આ જગ્યા ક્યાં હતી, કારણ કે ઈસુ તેના શિષ્યો સાથે વારંવાર ત્યાં મળતા હતો. યહૂદા જે ઈસુની વિરૂદ્ધ થયો હતો. તેથી યહૂદા સૈનિકોના સમૂહને બાગ તરફ દોરી ગયો. યહૂદા મુખ્ય યાજકો તથા ફરોશીઓ પાસેથી સિપાઈઓને લઈને આવ્યો. તેઓ મશાલો, ફાનસો અને શસ્ત્રો લઈને આવ્યા હતા.

ઈસુ બધું જ જાણતો હતો કે તેનું શું થવાનું હતું. ઈસુ બહાર ગયો અને પૂછયું, “તમે કોને શોધો છો?”

તે માણસોએ ઉત્તર આપ્યો, “નાઝરેથના ઈસુને.”

ઈસુએ કહ્યું, “હું ઈસુ છું.” (યહૂદા, જે એક ઈસુની વિરૂદ્ધ થયો તે તેઓની સાથે ત્યાં ઊભો હતો.) જ્યારે ઈસુએ કહ્યું, “હું ઈસુ છું.” ત્યારે માણસો પાછા પડ્યા અને જમીન પર પડ્યા.

ઈસુએ તેઓને ફરીથી પૂછયું, “તમે કોની શોધ કરો છો?”

તે માણસોએ કહ્યું, “નાઝરેથના ઈસુની.”

ઈસુએ કહ્યું, “મેં તમને કહ્યું કે, હું ઈસુ છું, તેથી જો તમે મારી શોધ કરતાં હોય તો પછી આ બીજા માણસોને મુક્ત રીતે જવા દો.” આ બન્યું તેથી ઈસુએ અગાઉ કહ્યું હતું તે સાચું સાબિત થશે. “તેં મને આપેલા માણસોમાંથી મેં કોઈને ગુમાવ્યો નથી.”

10 સિમોન પિતર પાસે એક તલવાર હતી. તેણે તલવાર ખેંચીને પ્રમુખ યાજકના સેવકને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. (સેવકનું નામ માલ્ખસ હતુ.) 11 ઈસુએ પિતરને કહ્યું, “તારી તલવાર પાછી મ્યાનમાં મૂક! મારે પીડાનો પ્યાલો પીવાનું સ્વીકારવું જોઈએ જે મને પિતાએ આપ્યો છે.”

ઈસુને અન્નાસની આગળ લાવવામાં આવે છે

(માથ. 26:57-58; માર્ક 14:53-54; લૂ. 22:54)

12 પછી સૈનિકો તેમના સેનાપતિઓ સાથે અને યહૂદિ ચોકીદારોએ ઈસુને પકડ્યો. તેઓએ ઈસુને બાંધ્યો. 13 અને તેને પ્રથમ અન્નાસ પાસે લાવ્યા. અન્નાસ કાયાફાનો સસરો હતો. તે વર્ષે કાયાફા પ્રમુખ યાજક હતો. 14 કાયાફા જે એક હતો જેણે યહૂદિઓને સલાહ આપી. જો કોઈ એક માણસ બધા લોકો માટે મૃત્યુ પામે તો તે વધારે સારું હશે.

પિતર ઈસુની જાણકારી વિષે જૂઠું બોલે છે

(માથ. 26:69-70; માર્ક 14:66-68; લૂ. 22:55-57)

15 સિમોન પિતર અને બીજો એક ઈસુનો શિષ્ય ઈસુને અનુસર્યા. આ શિષ્ય પ્રમુખ યાજકને જાણતો હતો. તેથી તે ઈસુની સાથે પ્રમુખ યાજકના મકાનના વરંડામાં ગયો. 16 પરંતુ પિતરે બહાર દરવાજાની બાજુમાં રાહ જોઈ. તે શિષ્યે જેણે જાણ્યું કે પ્રમુખ યાજક બહારની બાજુ પાછો આવ્યો. તેણે તે છોકરીને કહ્યું કે લોકો માટે દરવાજા ઉઘાડ. પછી તે પિતરને અંદર લાવ્યો.

17 દરવાજા પાસેની ચોકીદાર છોકરીએ પિતરને કહ્યું, “શું તું પણ તે માણસના (ઈસુ) શિષ્યોમાંનો એક છે?”

પિતરે કહ્યું, “ના, હું નથી!”

18 તે સમયે ઠંડી હતી, તેથી તો સેવકો અને ચોકીદારોએ અગ્નિ સળગાવ્યો હતો. તેઓ તેની આજુબાજુ ઊભા હતા અને પોતાની જાતે તાપતા હતા. પિતર આ માણસોની સાથે ઊભો હતો.

પ્રમુખ યાજક ઈસુને પ્રશ્નો પૂછે છે

(માથ. 26:59-66; માર્ક 14:55-64; લૂ. 22:66-71)

19 પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો વિષે પ્રશ્નો પૂછયા. તેણે ઈસુને તેણે આપેલા બોધ વિષે પ્રશ્નો પૂછયા. 20 ઈસુએ ઉત્તર આપ્યો, “હું હમેશા બધા જ લોકોને જાહેરમાં કહું છું. મેં હમેશા સભાસ્થાનોમાં અને મંદિરોમાં બોધ આપ્યો છે. બધા જ યહૂદિઓ ત્યાં ભેગા થતા હતા. મેં કદી ગુપ્ત રીતે કશું જ કહ્યું નથી. 21 તો પછી તું મને શા માટે પ્રશ્ન કરે છે? જે લોકોએ મારો બોધ સાંભળ્યો છે તેઓને પૂછ. મેં શું કહ્યું તે તેઓ જાણે છે.”

22 જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યાં ઊભેલા ચોકીદારોમાંના એકે તેને માર્યો. ચોકીદારે કહ્યું, “તારે પ્રમુખ યાજક સાથે આ રીતે વાત ના કરવી જોઈએ!”

23 ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું કંઈક ખોટું કહું તો, પછી અહીં દરેક જણને સાબિત કરાવો કે શું ખોટું હતું. પણ જો મેં કહેલી વાતો સાચી હોય તો પછી તું મને શા માટે મારે છે?”

24 તેથી અન્નાસે ઈસુને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યો. હજુ ઈસુ બંધાએલો હતો.

પિતર ફરી જૂઠું બોલે છે

(માથ. 26:71-75; માર્ક 14:69-72; લૂ. 22:58-62)

25 સિમોન પિતર પોતાની જાતને ગરમ રાખવા માટે અગ્નિ પાસે ઊભો હતો, બીજા માણસોએ પિતરને કહ્યું, “શું તું તે માણસના (ઈસુ) શિષ્યોમાંનો એક છે?”

પરંતુ પિતરે નકાર કરીને કહ્યું, “ના, હું નથી.”

26 પ્રમુખ યાજકના સેવકોમાંનો એક ત્યાં હતો. આ સેવક તે માણસનો સંબંધી હતો જેનો પિતરે કાન કાપી નાખ્યો હતો. તે સેવકે કહ્યું કે, “મેં તને તેની (ઈસુ) સાથે બાગમાં જોયો નથી?”

27 પરંતુ ફરીથી પિતરે કહ્યું, “ના, હું તેની સાથે ન હતો!” અને તે જ સમયે મરઘો બોલ્યો.

ઈસુને પિલાતની આગળ લાવવામાં આવે છે

(માથ. 27:1-2, 11-31; માર્ક 15:1-20; લૂ. 23:1-25)

28 પછી યહૂદિઓ ઈસુને કાયાફાના મકાનમાંથી રોમન હાકેમના દરબારમાં લઈ જાય છે. તે વહેલી સવારનો સમય હતો. યહૂદિઓ દરબારની અંદર જઈ શક્યા નહિ. તેઓ તેમની જાતને અશુદ્ધ[a] બનાવવા ઈચ્છતા નહોતા. કારણ કે તેઓ પાસ્ખાપર્વનું ભોજન ખાવા ઈચ્છતા હતા. 29 તેથી પિલાત બહારની બાજુએ યહૂદિઓ તરફ ગયો. તેણે પૂછયું, “તું શું કહે છે, આ માણસે શું ખોટું કર્યુ છે?”

30 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તે ખરાબ માણસ છે. તેથી અમે તેને તારી પાસે લાવ્યા છીએ.”

31 પિલાતે યહૂદિઓને કહ્યું, “ઓ યહૂદિઓ, તમે પોતે એને લઈ જાઓ, અને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો.”

યહૂદિઓએ ઉત્તર આપ્યો, “પણ અમારું નિયમશાસ્ત્ર અમને કોઈ વ્યક્તિને તેને મૃત્યુદંડની શિક્ષા કરવાની પરવાનગી આપતું નથી.”

32 (આમ બન્યું તેથી પોતે કેવી રીતે મૃત્યુ પામવાનો હતો તે વિષે ઈસુએ કહેલા વચન સાચા ઠરે.)

33 પછી પિલાત પાછો મહેલની અંદરની બાજુએ ગયો. પિલાતે ઈસુને પોતાની પાસે બોલાવ્યો. તેણે ઈસુને પૂછયું, “શું તું યહૂદિઓનો રાજા છે?”

34 ઈસુએ કહ્યું, “શું તે તારો પોતાનો સવાલ છે, અથવા બીજા લોકોએ તને મારા વિષે કહ્યું છે?”

35 પિલાતે કહ્યું, “હું યહૂદિ નથી! તે તારા પોતાના લોકો અને મુખ્ય યાજકો તને લાવ્યા છે. તેં શું ખોટું કર્યુ છે?”

36 ઈસુએ કહ્યું, “મારું રાજ્ય આ જગતનું નથી. જો તે આ જગતનું હોત, તો પછી મારા સેવકો લડાઈ કરત તેથી મને યહૂદિઓને સોંપવામાં આવી શકાયો ના હોત. પણ મારું રાજ્ય બીજા કોઈ સ્થળનું છે.”

37 પિલાતે કહ્યું, “તેથી તું રાજા છે!”

ઈસુએ ઉત્તર આપ્યો, “તું કહે છે કે હું રાજા છું તે સાચું છે. મારો જન્મ આ માટે હતો કે લોકોને સત્ય વિષે કહેવું. તેના કારણે હું જગતમાં આવ્યો છું. અને પ્રત્યેક વ્યક્તિ જે સત્યનો છે તે મને ધ્યાનથી સાંભળે છે.”

38 પિલાતે કહ્યું, “સત્ય શું છે?” જ્યારે પિલાતે આ કહ્યું, તે ફરીથી યહૂદિઓ સાથે બહાર ગયો. પિલાતે યહૂદિઓને કહ્યું, “આ માણસમાં તેની સામેનો કોઈ આક્ષેપ મૂકવા જેવું મને કંઈ લાગતું નથી. 39 પણ પાસ્ખાપર્વના સમયે તમારા માટે એક બંદીવાનને મારે મુક્ત કરવો જોઈએ એવો તમારા રિવાજોમાં એક રિવાજ છે. શું તમે ઈચ્છો છો કે હું આ ‘યહૂદિઓના રાજાને મુક્ત કરું?’”

40 યહૂદિઓએ પાછળથી બૂમ પાડી, “ના, એને તો નહિ જ! બરબ્બાસને મુક્ત કરીને જવા દો?” (બરબ્બાસ એ તો લૂંટારો હતો.)

19 પછી પિલાતે આજ્ઞા કરી કે ઈસુને દૂર લઈ જઈને કોરડા ફટકારો. સૈનિકોએ કેટલીક કાંટાળી ડાળીઓનો મુગટ બનાવવામાં ઉપયોગ કર્યો. તેઓએ આ કાંટાનો મુગટ ઈસુના માથે મૂક્યો. પછી તે સૈનિકોએ જાંબુડા રંગનો ઝભ્ભો ઈસુને પહેરાવ્યો. સૈનિકો ઈસુ પાસે ઘણીવાર આવ્યા અને કહ્યું, “હે યહૂદિઓના રાજા, સલામ!” તેઓએ ઈસુને ચહેરા પર માર્યો.

ફરીથી પિલાત બહાર આવ્યો અને યહૂદિઓને કહ્યું, “જુઓ! હું ઈસુને બહાર તમારી પાસે મોકલું છું. હું ઈચ્છું છું કે તમે જાણો કે મને તેની સામે ગુનો દાખલ કરવા કઈ મળ્યું નથી.” પછી ઈસુ બહાર આવ્યો. તેણે કાંટાનો મુગટ અને જાંબલી ઝભ્ભો પહેર્યો હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “અહીં તે માણસ છે!”

જ્યારે મુખ્ય યાજકો અને યહૂદિ ચોકીદારોએ ઈસુને જોયો તેઓએ બૂમ પાડી, “વધસ્તંભ પર તેને જડો! વધસ્તંભ પર તેને જડો!”

પરંતુ પિલાતે ઉત્તર આપ્યો, “તમે તેને લઈ જાઓ અને તેને તમારી જાતે વધસ્તંભે જડો. મને એનામાં તેની સામે આક્ષેપ મૂકવા કોઈ ગુનો જડ્યો નથી.”

યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમારું નિયમશાસ્ત્ર છે તે કહે છે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ, કારણ કે તેણે કહ્યું કે તે દેવનો દીકરો છે.”

જ્યારે પિલાતે આ સાંભાળ્યું, તે વધારે ગભરાયો. પિલાત દરબારની અંદરની બાજુએ પાછો ગયો. તેણે ઈસુને પૂછયું, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ તેને કોઈ ઉત્તર આપ્યો નહિ. 10 પિલાતે કહ્યું, “તું મને કહેવાની ના પાડે છે? યાદ રાખ, તને મુક્ત કરવાની સત્તા મારી પાસે છે. તને વધસ્તંભ પર મારી નાખવાની સત્તા પણ મને છે.”

11 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા પરની જે સત્તા છે તે ફક્ત તને દેવે જ આપેલી છે તેથી જે માણસે મને તને સોંપ્યો છે તે વધારે મોટા પાપને માટે દોષિત છે.”

12 આ પછી, પિલાતે ઈસુને છોડી દેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ યહૂદિઓએ બૂમો પાડી. “જે કોઈ વ્યક્તિ પોતે રાજા હોવાનો દાવો કરે છે તે કૈસરનો વિરોધી છે તેથી જો તું આ માણસને છોડી દેશે તો એનો અર્થ એ કે તું કૈસરનો મિત્ર નથી.”

13 યહૂદિઓએ જે કહ્યું તે પિલાતે સાંભળ્યું. તેથી તે ઈસુને બહાર ફરસબંદી નામની જગ્યાએ લાવ્યો. (યહૂદિ ભાષામાં “ગબ્બથા” કહે છે.) પિલાત ત્યાં ન્યાયાસન પર બેઠો. 14 હવે તે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસ[b] હતો અને લગભગ બપોરનો સમય હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “તમારો રાજા અહીં છે!”

15 યહૂદિઓએ બૂમ પાડી, “તેને દૂર લઈ જાઓ! તેને દૂર લઈ જાઓ! તેને વધસ્તંભ પર જડો!”

પિલાતે યહૂદિઓને પૂછયું, “શું તમે ઈચ્છો છો કે હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?”

મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો, “અમારો રાજા ફક્ત કૈસર છે.”

16 તેથી પિલાતે ઈસુને તેને વધસ્તંભ પર જડીને મારી નાખવા સોંપ્યો.

ઈસુનું વધસ્તંભ પર મૃત્યુ

(માથ. 27:32-44; માર્ક 15:21-32; લૂ. 23:26-39)

સૈનિકોએ ઈસુને પકડયો. 17 ઈસુ તેનો પોતાનો વધસ્તંભ ઊચકીને “તે ખોપરીની જગ્યાના નામે ઓળખાતા સ્થળે ગયો.” (યહૂદિ ભાષામાં તે જગ્યાને “ગુલગુથા” કહેવાય છે.) 18 ગુલગુથામાં તેઓએ ઈસુને વધસ્તંભ પર જડ્યો. તેઓએ બીજા બે મૅંણસોને વધસ્તંભ પર મૂક્યા. તેઓએ ઈસુને વચમાં રાખીને તેની આજુબાજુ બે માણસોને મૂક્યા.

19 પિલાતે એક નિશાની લખી અને વધસ્તંભ પર મૂકી. તે નિશાની પર લખેલું હતું. “નાઝરેથનો ઈસુ, યહૂદિઓનો રાજા.” 20 તે નિશાની યહૂદિ, લેટિન, ગ્રીક ભાષામાં લખેલી હતી. યહૂદિઓમાંના ઘણાએ નિશાની વાંચી, કારણ કે આ જગ્યા જ્યાં તેઓએ ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યો તે શહેરની નજીક હતી.

21 મુખ્ય યહૂદિ યાજકોએ પિલાતને કહ્યું, “યહૂદિઓનો રાજા” એમ લખો નહિ પણ લખો, “આ માણસો કહ્યું, ‘હું યહૂદિઓનો રાજા છું.’”

22 પિલાતે ઉત્તર આપ્યો, “મેં જે લખ્યું છે તે હું બદલીશ નહિ.”

23 સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર જડ્યા પછી તેઓએ તેના લૂગડાં ઉતાર્યા. તેઓએ તેના લૂગડાંના ચાર ભાગો પાડ્યા. દરેક સૈનિકે એક ભાગ લીધો. તેઓએ તેનો લાંબો ડગલો પણ લીધો. તે ઉપરથી નીચે સુધી ગૂંથેલો આખો એક લૂગડાંનો ટુકડો હતો. 24 તેથી સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે તેના ભાગ પાડવા માટે આને ચીરવો જોઈએ નહિ પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી.” તે શાસ્ત્રમાં લખેલું છે એ સાચું થાય, તેથી આમ બન્યું:

“તેઓએ મારા લૂગડાં તેઓની વચ્ચે વહેંચ્ચા.
    અને તેઓએ મારા લૂગડાં માટે ચિઠ્ઠીઓ નાખી.” (A)

તેથી સૈનિકોએ આ કર્યુ.

25 ઈસુની મા તેના વધસ્તંભ નજીક ઊભી હતી. તેની માની બહેન કલોપાની પત્ની તથા મગ્દલાની મરિયમ પણ ત્યાં હતી. 26 ઈસુએ તેની માને જોઈ તથા તે જેના પર પ્રેમ રાખતો હતો તે શિષ્યને પણ ત્યાં ઊભેલો જોયો. તેણે તેની માને કહ્યું, “વહાલી બાઈ, તારો દીકરો અહીં છે.” 27 પછી ઈસુએ શિષ્યને કહ્યું, “અહીં તારી મા છે.” તેથી આમ કહ્યાં પછી, આ શિષ્ય ઈસુની માને તેના ઘરે રહેવા લઈ ગયો.

ઈસુ મૃત્યુ પામે છે

(માથ. 27:45-56; માર્ક 15:33-41; લૂ. 23:44-49)

28 પાછળથી, ઈસુએ જાણ્યું કે હવે બધુંજ પૂરું થઈ ગયું છે તેથી શાસ્ત્રવચન પ્રમાણે પૂર્ણ કરવા તેણે કહ્યું, “હું તરસ્યો છું.”[c] 29 ત્યાં સરકાથી ભરેલું વાસણ હતું તેથી સૈનિકોએ તેમાં વાદળી બોળી અને તેઓએ ઝૂફાના છોડની એક ડાળી પર વાદળી મૂકી. પછી તેઓએ તે ઈસુના મોંમાં મૂકી. 30 ઈસુએ તે સરકો ચાખ્યો. પછી તેણે કહ્યું, “સંપૂર્ણ થયું.” ઈસુએ તેનું માથું નમાવ્યું અને મૃત્યુ પામ્યો.

31 આ દિવસ તૈયારીનો દિવસ હતો. બીજો દિવસ ખાસ સાબ્બાથ દિવસ હતો. યહૂદિઓ ઈચ્છતા નહોતા કે સાબ્બાથના દિવસે વધસ્તંભ પર મુડદાં રહે. તેથી તેઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગવામાં આવે જેથી તેઓ જલદી મરણ પામે અને તેઓના મુડદાં વધસ્તંભ પરથી ઉતારી શકાય. 32 તેથી તે સૈનિકો આવ્યા અને ઈસુની બાજુમાં વધસ્તંભ પરના પહેલા માણસના પગ ભાંગી નાખ્યા. 33 પરંતુ જ્યારે તે સૈનિક ઈસુની નજીક આવ્યા. તેઓએ જોયું કે તે ખરેખર મૃત્યુ પામી ચૂક્યો હતો તેથી તેઓએ તેના પગ ભાંગ્યા નહિ.

34 પણ સૈનિકોમાંના એકે ઈસુની કૂખમાં તેનો ભાલો ભોંકી દીધો. તેથી લોહી અને પાણી બહાર નીકળ્યા. 35 (જે વ્યક્તિએ આ બનતા જોયું તેણે તે વિષે કહ્યું. તેથી તમે પણ વિશ્વાસ કરી શકો તે જે વાતો કહે છે તે સાચી છે. તે જાણે છે કે તે સાચું કહે છે.) 36 આ બાબતો બની તેથી કરીને શાસ્ત્રવચન પૂર્ણ થયું છે. “તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.” 37 બીજા શાસ્ત્રવચનમાં કહ્યું છે, “જેને તેઓએ વીધ્યો તેને તેઓ જોશે.”(B)

ઈસુનું દફન

(માથ. 27:57-61; માર્ક 15:42-47; લૂ. 23:50-56)

38 પાછળથી, અરિમથાઈનો યૂસફ નામનો માણસ પિલાતને ઈસુના દેહને લઈ જવા માટે પૂછયું. (યૂસફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો. પરંતુ તેણે ગુપ્ત રાખ્યું, કારણ કે તે યહૂદિઓથી બીતો હતો.) પિલાતે કહ્યું કે યૂસફ ઈસુના દેહને લઈ જઈ શકે તેમ છે. તેથી યૂસફ આવ્યો અને ઈસુના દેહને લઈ ગયો.

39 નિકોદેમસ યૂસફ સાથે ગયો. નિકોદેમસ તે માણસ હતો જે અગાઉ રાત્રે ઈસુ પાસે આવ્યો હતો અને તેની સાથે વાતો કરી હતી. નિકોદેમસ આશરે 100 શેર સુગંધી દ્રવ્ય લાવ્યો. આ એક બોર તથા અગરનું મિશ્રણ હતું. 40 આ બે માણસોએ ઈસુના દેહને લીધો. તેઓએ તેને સુગધીદાર દ્રવ્યો સાથે શણના લૂગડાંના ટુકડાઓમાં લપેટ્યું હતું. (આ રીતે યહૂદિઓ લોકોને દફનાવે છે.) 41 જ્યાં ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો, ત્યાં એક બાગ હતો. તે બાગમાં ત્યાં એક નવી કબર હતી. ત્યાં પહેલા કોઈ વ્યક્તિને દફનાવવામાં આવી ન હતી. 42 તે માણસોએ ઈસુને તે કબરમાં મૂક્યો. કારણ કે તે નજીક હતી, અને યહૂદિઓ તેઓના સાબ્બાથ દિવસના આરંભની તૈયારી કરતા હતા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International