Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પ્રેરિતોનાં કૃત્યો 1-3

લૂક બીજુ પુસ્તક લખે છે

વહાલા થિયોફિલ,

મેં પ્રથમ પુસ્તક ઈસુએ જે કંઈ કર્યુ અને શીખવ્યું તે દરેક બાબતો વિષે લખ્યું છે. મેં ઈસુના જીવનના આરંભથી તેને જે દિવસથી આકાશમાં લઈ લેવામાં આવ્યો ત્યાં સુધીના સમગ્ર જીવન વિષે લખ્યું છે. આ બનતાં પહેલાં, ઈસુએ પોતે પસંદ કરેલા પ્રેરિતો સાથે વાત કરી. પવિત્ર આત્માની સહાયથી ઈસુએ પ્રેરિતોને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું. આ ઈસુના મૃત્યુ પછીની વાત હતી. પણ તેણે પ્રેરિતોને બતાવ્યું કે તે જીવંત છે. ઈસુએ ઘણાં સાર્મથ્યશાળી પરાક્રમો કરીને આ સાબિત કર્યુ. પ્રેરિતોને ઈસુના મૃત્યુમાંથી સજીવન થયા બાદ 40 દિવસ દરમ્યાન ઘણીવાર તેના દર્શન થયાં. ઈસુએ પ્રેરિતોને દેવના રાજ્ય વિષે કહ્યું. એક વખત ઈસુ તેઓની સાથે જમતો હતો, ત્યારે ઈસુએ તેઓને યરૂશાલેમ છોડવાની ના પાડી હતી. ઈસુએ કહ્યું, “તમને બાપે જે વચન આપ્યું છે તે વિષે મેં તમને પહેલાં કહ્યું છે. આ વચન પ્રાપ્ત કરવા માટે અહીં યરૂશાલેમમાં રાહ જુઓ. યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યુ, પણ થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”

ઈસુ આકાશમાં લઈ લેવામાં આવ્યો છે

બધા પ્રેરિતો ભેગા થયા. તેઓએ ઈસુને પૂછયું, “પ્રભુ, શું આ સમય તારા માટે યહૂદિઓને તેઓનું રાજ્ય ફરીથી સોંપવાનો છે?”

ઈસુએ તેઓને કહ્યું, “ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ. પણ પવિત્ર આત્મા તમારી પાસે આવશે. પછી તમે સાર્મથ્ય પ્રાપ્ત કરશો. ત્યારે તમે મારા સાક્ષી થશો-તમે લોકોને મારા વિષે કહેશો. પહેલાં, તમે યરૂશાલેમમાં લોકોને કહેશો. પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા વિશ્વના બધા જ લોકોને કહેશો.”

પ્રેરિતોને આ બાબતો કહ્યા પછી, ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યો. પ્રેરિતોના દેખતાં જ ઈસુ વાદળમાં અદ્ધશ્ય થઈ ગયો, અને તેઓ તેને જોઈ શક્યા નહિ. 10 ઈસુ દૂર જઈ રહ્યો હતો અને પ્રેરિતો આકાશમાં જોઈ રહ્યા હતા. અચાનક, બે શ્વેત વસ્ત્રધારી માણસો તેઓની બાજુમાં આવીને ઊભા. 11 તે બે માણસોએ પ્રેરિતોને કહ્યું, “ઓ ગાલીલના માણસો, તમે અહીં આકાશ તરફ જોતાં શા માટે ઊભા છો? તમે જોયું કે ઈસુને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે. જે રીતે તમે તેને જતાં જોયો તે જ રીતે તે પાછો આવશે.”

એક નવા પ્રેરિતની પસંદગી

12 પછી તે પ્રેરિતો જૈતૂન પર્વત પરથી યરૂશાલેમ પાછા ફર્યા. (આ પર્વત યરૂશાલેમથી લગભગ અડધો માઇલ દૂર છે.) 13 તે પ્રેરિતો શહેરમાં પ્રવેશ્યા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં મેડી પરના ઓરડામાં ગયા. તે પ્રેરિતો હતા, પિતર, યોહાન, યાકૂબ, આંન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, યાકૂબ (અલ્ફીનો દીકરો), સિમોન (ઝલોતસ) તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.

14 બધા પ્રેરિતો ભેગા થયા હતા. તેઓ સતત એક જ હેતુથી પ્રાર્થના કરતાં હતા ત્યાં કેટલીક સ્ત્રીઓ હતી. ઈસુની મા મરિયમ, અને તેના ભાઈઓ પણ ત્યાં પ્રેરિતો સાથે હતા.

15 થોડા દિવસ પછી વિશ્વાસીઓની એક સભા મળી. (ત્યાં તેમાનાં લગભગ 120 હાજર હતા.) પિતરે ઊભા થઈને કહ્યું, 16-17 “ભાઈઓ, શાસ્ત્રવચનોમાં પવિત્ર આત્માએ દાઉદ દ્ધારા કહ્યું કે કંઈક થવાની જરુંર છે. તે આપણા સમૂહમાનાં એક યહૂદા વિષે કહેતો હતો. યહૂદા આપણી સાથે સેવામાં ભાગીદાર હતો. આત્માએ કહ્યું કે ઈસુને પકડવા માટે યહૂદા માણસોને દોરશે.”

18 (યહૂદાને આ દુષ્ટ કામ માટે પૈસા આપવામાં આવ્યા હતા. તેના પૈસા તેના માટે ખેતર ખરીદવામાં વપરાયા. પણ યહૂદા ઊંધે મસ્તકે પટકાયો, અને તેનું શરીર ફાટી ગયું. તેનાં બધાં આંતરડાં બહાર નીકળી ગયાં. 19 યરૂશાલેમના બધા લોકોએ આ વિષે જાણ્યું. તેથી તેઓએ તે ખેતરનું નામ હકેલ્દમા રાખ્યું. તેઓની ભાષામાં હકેલ્દમાનો અર્થ, “લોહીનું ખેતર” થાય છે.)

20 પિતરે કહ્યું, “ગીતશાસ્ત્રના પુસ્તકમાં યહૂદા વિષે આમ લખેલું છે:

‘તેની જમીન નજીક લોકોએ જવું નહિ;
    ત્યાં કોઇએ રહેવું નહિ!’(A)

અને એમ પણ લખેલું છે:

‘તેનું કામ બીજો કોઇ માણસ લે.’(B)

21-22 “તેથી હવે બીજા કોઈ માણસે આપણી સાથે જોડાવું જોઈએ અને ઈસુના પુનરુંત્થાનના સાક્ષી થવું જોઈએ. આ માણસ પેલા માણસોમાંનો એક હોવો જોઈએ. જ્યારે પ્રભુ ઈસુ આપણી સાથે હતો ત્યારે બધા જ સમય દરમ્યાન આપણા સમૂહનો ભાગ હતો, જ્યારથી યોહાને લોકોને બાપ્તિસ્મા આપવાનું શરૂ કર્યુ, ત્યારથી ઈસુને આપણી પાસેથી આકાશમાં લઈ જવાયો ત્યાં સુધી આ માણસ આપણી સાથે હોવો જોઈએ.”

23 પ્રેરિતોએ બે માણસોને સમૂહની આગળ ઊભા કર્યા. એક હતો યૂસફ બર્સબા, તે યુસ્તસના નામથી ઓળખતો અને બીજો માણસ હતો માથ્થિયાસ. 24-25 પ્રેરિતોએ પ્રાર્થના કરી, “પ્રભુ, તું પ્રત્યેક માણસોના મનોને જાણે છે. આ બેમાંથી તું આ કામ કરવા માટે કોને પસંદ કરે છે તે દર્શાવ. યહૂદા ભટકી જઈને જ્યાં જવાનો હતો ત્યાં ગયો. પ્રભુ, કયા માણસે પ્રેરિત તરીકે તેની જગ્યા લેવી જોઈએ તે બતાવ.” 26 પછી પ્રેરિતોએ બેમાંથી એકની પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી. પ્રભુની ઈચ્છાનુસાર માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી. તેથી તે બીજા અગિયારની સાથે પ્રેરિત થયો.

પવિત્ર આત્માનું આગમન

જ્યારે પચાસમાનો દિવસ આવ્યો ત્યારે, પ્રેરિતો બધા એક જગ્યાએ ભેગા થયા હતા. અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. આ અવાજ સખત ફૂંકાતા પવનના જેવો હતો. તેઓ જ્યાં બેઠા હતાં તે આખું ઘર આ અવાજથી ગાજી ઊઠ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી. આ જીભો છૂટી પડીને પ્રત્યેક વ્યક્તિ પર ઊભી બેઠી. તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને તેઓએ જુદી જુદી ભાષાઓ બોલવાનું શરૂ કર્યુ. પવિત્ર આત્માએ તેઓને આ કરવાનું સાર્મથ્ય આપ્યું.

આ સમયે યરૂશાલેમમાં કેટલાક ધાર્મિક યહૂદિઓ રહેતા હતા. દુનિયાના દરેક દેશમાંના આ માણસો હતા. આ માણસોનો મોટો સમૂહ ભેગો થયો હતો કારણ કે તેઓએ આ અવાજ સાંભળ્યો હતો. તેઓ નવાઇ પામ્યા હતા. કારણ કે પ્રેરિતો બોલતાં હતા. અને દરેક માણસે તેઓની પોતાની ભાષામાં તે સાંભળ્યું હતું.

બધા યહૂદિઓ આનાથી આશ્ચર્ય પામ્યા હતા. તેઓ સમજી શક્યા નહિ કે પ્રેરિતો આવું કેવી રીતે કરી શક્યા. તેઓએ કહ્યું, “જુઓ, આ બધા જ માણસો જેઓને આપણે બોલતાં સાંભળીએ છીએ તે બધા શું ગાલીલના નથી? પણ આપણે તેઓને આપણી પોતાની ભાષામાં બોલતાં સાંભળીએ છીએ. આ કેવી રીતે શક્ય છે? આપણે બધા જ જુદી જુદી જગ્યાઓના છીએ: પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોતામિયાના, યહૂદિયાના, કપ્પદોકિયાના, પોન્તસના, આશિયાના, 10 ફુગિયાના, પમ્ફૂલિયાના, ઇજીપ્તના, લિબિયાના, કૂરેની ભાષા તથા રોમ વિસ્તારના પ્રવાસીઓ, યહૂદિ તથા બીન-યહૂદિઓમાંથી થએલા યહૂદિ, 11 આમ આપણે જુદા જુદા દેશોના છીએ. પણ આપણે આ માણસને આપણી પોતાની ભાષામાં સાંભળીએ છીએ! તેઓ દેવના જે કંઈ મોટાં કામો વિષે કહે છે તે આપણે બધા સમજી શકીએ છીએ.”

12 બધા લોકો આશ્ચર્યચકિત થયા. અને મૂંઝાયા. તેઓ એકબીજાને પૂછે છે, “આ શું થઈ રહ્યું છે?” 13 બીજા લોકો પ્રેરિતો તરફ ઠઠ્ઠા કરી રહ્યાં હતા. આ લોકોએ વિચાર્યુ કે પ્રેરિતોએ વધારે પડતો દ્ધાક્ષારસ પીધેલો છે.

પિતરનું લોકોને ભાષણ

14 પછી પિતર અગિયાર બીજા પ્રેરિતો સાથે ઊભો રહ્યો. તે એટલા મોટા અવાજે બોલ્યો કે જેથી બધા લોકો સાંભળી શકે. તેણે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ તથા યરૂશાલેમમાં તમારામાંના બધા જે રહો છો, હું તમને કંઈક કહીશ, જે જાણવાની તમારે જરુંર છે. કાળજીપૂર્વક સાંભળો. 15 આ માણસો તમે ધારો છો એમ પીધેલા નથી; હજુ સવારના નવ વાગ્યા છે! 16 પણ યોએલ પ્રબોધકે જે બાબત માટે લખ્યું હતું તે આજે તમે અહીં થતું જુઓ છો. યોએલ પ્રબોધકે જે લખ્યું છે તે આ છે:

17 ‘દેવ કહે છે કે:
છેલ્લા દિવસોમાં, હું મારો આત્મા બધા લોકો પર રેડી દઈશ.
    તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે.
    તમારા જુવાનોને સંદર્શનો થશે.
    તમારા વૃદ્ધોને ખાસ સ્વપ્નો આવશે.
18 તે સમયે, હું મારા સેવક-સેવિકાઓ પર મારો આત્મા રેડીશ
    અને તેઓ પ્રબોધ કરશે.
19 હું ઊચે આકાશમાં આશ્ચર્યજનક કામો બતાવીશ.
    હું નીચે પૃથ્વી પર તેના અદભૂત ચિહનો આપીશ.
    ત્યાં લોહી, અગ્નિ, અને ધુમાડાના ગોટેગોટા દેખાડીશ.
20 સૂર્યનું પરિવર્તન અંધકારમાં થશે,
    અને ચંદ્ર લાલ લોહી જેવો બનશે.
પછી પ્રભુનો મહાન તથા પ્રસિધ્ધ દિવસ આવશે.
21 અને પ્રત્યેક માણસ જે પ્રભુમાં વિશ્વાસ કરશે ત તારણ પામશે.’(C)

22 “મારા યહૂદિ ભાઈઓ, આ શબ્દો ધ્યાનથી સાંભળો: નાસરેથનો ઈસુ એક ઘણો વિશિષ્ટ માણસ હતો. દેવે તમને આ સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. દેવે પરાક્રમો અને આશ્ચર્યો તથા ચમત્કારોથી તે સાબિત કર્યુ છે. તે ઈસુ દ્ધારા કરવામાં આવ્યું હતું. તમે બધાએ આ બાબતો જોઈ છે. તેથી તમે જાણો છો કે આ સાચું છે. 23 તમને ઈસુ સોંપવામાં આવ્યો, અને તમે તેની હત્યા કરી. દુષ્ટ માણસોની સહાયથી તમે ખીલા ઠોકીને ઈસુને વધસ્તંભે જડાવ્યો. પણ દેવ તો જાણતો હતો કે આ બધું થવાનું છે. આ દેવની યોજના હતી. ઘણા સમય પહેલા દેવે આ યોજના ઘડી હતી. 24 ઈસુએ મૃત્યુની વેદના સહન કરી, પણ દેવે તેને એ બધી વેદનાઓમાંથી મુક્ત કર્યો. દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો. મૃત્યુ ઈસુને પકડી શક્યું નહિ. 25 દાઉદે ઈસુના સંદર્ભમાં આમ કહ્યું છે:

‘મેં પ્રભુને હંમેશા મારી સંન્મુખ જોયો;
    મને સલામત રાખવા માટે તે મારી જમણી બાજુએ છે.
26 તેથી મારું હ્રદય પ્રસન્ન છે,
    અને મારી જીભ હર્ષોલ્લાસ વ્યક્ત કરે છે.
હા, મારું શરીર પણ આશામાં રહેશે.
27 કારણ કે તું મારા આત્માને મૃત્યુના સ્થળે છોડશે નહિ.
    તું તારા પવિત્રને પણ કબરમાં કોહવાણ જોવા દઇશ નહિ.
28 તેં મને જીવન જીવતાં શીખ્વયું છે.
    તું તારી નજીક આવીશ અને મને આનંદથી ભરપૂર કરીશ.’(D)

29 “મારા ભાઈઓ, હું તમને આપણા પૂર્વજ દાઉદના સંદર્ભમાં સાચું કહીશ. તે મૃત્યુ પામ્યોં હતો અને તેને દફનાવવામાં આવ્યો હતો. તેની કબર આજે પણ આપણી પાસે છે. 30 દાઉદ એક પ્રબોધક હતો અને દેવે જે કહ્યું તે જાણતો હતો. દેવે દાઉદને વચન આપ્યું હતું કે તે દાઉદના પરિવારમાંથી કોઈ વ્યક્તિને દાઉદના જેવો રાજા બનાવશે. 31 દાઉદે તે થતાં પહેલા આ જાણ્યું. તેથી તે વ્યક્તિના સંદર્ભમાં દાઉદે આમ કહ્યું:

‘તેને મૃત્યુની જગ્યાએ રહેવા દેવામાં આવ્યો ન હતો.
તેનું શરીર કબરમાં સડવા દીધું નહિ.’

દાઉદ મૃત્યુમાંથી પુનરુંત્થાન પામેલ ખ્રિસ્તના સંદર્ભમાં કહેતો હતો. 32 તેથી ઈસુ મૃત્યુમાંથી સજીવન થયેલ દેવ છે, દાઉદ નહિ! આપણે બધા આ માટે સાક્ષી છીએ. આપણે તેને જોયો છે! 33 ઈસુનો આકાશમાં લઈ જવામાં આવેલ છે. તેથી ઈસુ દેવની જમણી બાજુએ દેવની સાથે છે. પિતાએ (દેવ) હવે ઈસુને પવિત્ર આત્મા આપેલ છે. દેવે જે વચન આપ્યું હતું તે પવિત્ર આત્મા છે. તેથી હવે ઈસુ તે આત્મા રેડી રહ્યો છે. તમે જે જુઓ છે અને સાંભળે છો તે આ છે. 34 જે એકને આકાશમાં લઈ જવામાં આવેલ છે તે દાઉદ ન હતો. જેને આકાશમાં લઈ જવામાં આવ્યો હતો તે તો ઈસુ હતો. દાઉદે પોતે જ કહ્યું છે:

‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને કહ્યું:
35 જ્યાં સુધી હું તારા દુશ્મનોને હું તારી સત્તામાં ના સોંપું
    ત્યાં સુધી મારી જમણી બાજુએ બેસ.’(E)

36 “તેથી બધા યહૂદિ લોકોએ આ સત્ય જાણવું જોઈએ, દેવે ઈસુને પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યો છે. તે એ જ માણસ છે જેને તમે વધસ્તંભે ખીલા મારીને જડ્યો!”

37 જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ ઘણા દુ:ખી થયા. તેઓએ પિતર અને બીજા શિષ્યોને પૂછયું, “ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”

38 પિતરે તેઓને કહ્યું, “પસ્તાવો કરો. તમારામાંનો દરેક ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામો. પછી દેવ તમારાં પાપોને માફ કરશે. અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે. 39 આ વચન તમારા માટે છે અને તે તમારાં બાળકો તથા જે લોકો દૂર દૂર છે તેઓને માટે પણ છે. આપણા પ્રભુ દેવ તેની પાસે જેટલાંને બોલાવશે તે દરેક માણસ માટે છે.”

40 પિતરે બીજા ઘણા શબ્દોથી તેઓને ચેતવણી આપી; તેણે તેઓને કહ્યું, “હાલમાં જે દુષ્ટ લોકો જીવી રહ્યા છે તેઓથી તમારી જાતનો બચાવ કરો!” 41 પછી જે લોકોએ પિતરે કહ્યું હતું તેમાં વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યાં. તે દિવસે આશરે 3,000 લોકો વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાયા.

વિશ્વાસીઓનો ફાળો

42 વિશ્વાસીઓએ સંગતમાં ભેગા મળવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રેરિતોના બોધ શીખવામાં તેઓના સમયનો ઉપયોગ કરતા. વિશ્વાસીઓ એકબીજાના સહભાગી બન્યા. તેઓ રોટલી ભાગવામાં તથા પ્રાર્થના કરવામાં લાગું રહ્યા. 43 પ્રેરિતો ઘણા અદભૂત કૃત્યો અને ચમત્કારો કરતા હતાં. પ્રત્યેક માણસના હ્રદયમાં દેવના માટે મહાન સન્માનની ભાવના જાગી. 44 બધા જ વિશ્વાસીઓ સાથે રહેતાં. તેઓ દરેક વસ્તુઓ વહેંચતા. 45 વિશ્વાસીઓએ તેઓની જમીનો તથા તેઓની માલિકીની વસ્તુઓ વેચી અને પછી તે પૈસા તેઓનામાં જ દરેકની જરૂરીયાત પ્રમાણે વહેંચી આપ્યા. 46 વિશ્વાસીઓ પ્રતિદિન મંદિરના આંગણામાં ભેગા મળતા. તેઓ બધાને હેતુ સર્વ સામાન્ય હતો. તેઓ તેઓના ઘરોમાં એક સાથે જમતા. તેઓ રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસથી ખાતા. 47 વિશ્વાસીઓ દેવની સ્તુતિ કરતા અને બધા જ લોકોને તેઓ ગમતા. પ્રતિદિન વધારે ને વધારે માણસોનો ઉદ્ધાર થતો; પ્રભુ વિશ્વાસીઓના સમૂહમાં તે લોકોનો ઉમેરો કરતો હતો.

પિતર લંગડા માણસને સાજો કરે છે

એક દિવસે પિતર અને યોહાન મંદિરમાં ગયા. તે વખતે બપોરનાં ત્રણ વાગ્યા હતા. આ સમય મંદિરની દૈનિક પ્રાર્થના કરવાનો હતો. જ્યારે તેઓ મંદિરના પ્રાંગણમાં જતાં હતાં ત્યારે એક માણસ ત્યાં હતો. આ માણસ તેના જન્મથી અપંગ હતો. તે ચાલી શકતો ન હતો, તેથી કેટલાક મિત્રો તેને ઊચકીને લઈ જતા. તેના મિત્રો તેને રોજ મંદિરે લાવતા. તેઓ મંદિરના બહારના દરવાજાની એક તરફ તે લંગડા માણસને બેસાડતા. તે દરવાજો સુંદર નામે ઓળખાતો. ત્યાં મંદિર જતા લોકો પાસે તે માણસ પૈસા માટે ભીખ માગતો. તે દિવસે તે માણસે પિતર અને યોહાનને મંદિરના પ્રાંગણમાં જતા જોયા. તેણે તેઓની પાસે પૈસા માંગ્યા.

પિતર અને યોહાને તે અપંગ માણસ તરફ જોયું અને કહ્યું, “અમારા તરફ જો!” તે માણસે તેઓના તરફ જોયું, તેણે વિચાર્યુ તેઓ તેને થોડા પૈસા આપશે. પણ પિતરે કહ્યું, “મારી પાસે સોનું કે ચાંદી કંઈ નથી. પણ મારી પાસે તને આપી શકાય તેવું બીજું કંઈક છે: ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ઊભો થા અને ચાલ!”

પછી પિતરે તે માણસનો જમણો હાથ પકડ્યો અને તેને ઉઠાડ્યો. તરત જ તે માણસના પગોમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું. તે માણસ કૂદયો, તેના પગ ઉપર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. તે તેઓની સાથે મંદિરમાં ગયો. તે માણસ ચાલતો, કૂદતો અને દેવની સ્તુતિ કરવા લાગ્યો. 9-10 બધા લોકોએ તેને ઓળખ્યો. લોકોએ જાણ્યું કે તે એ જ અપંગ માણસ હતો જે હંમેશા સુંદર નામના દરવાજા પાસે પૈસાની ભીખ માગવા બેસતો હતો. હવે તેઓએ તે જ માણસને ચાલતો અને સ્તુતિ કરતો જોયો. લોકો આશ્ચર્યચકિત થયા. આમ કેવી રીતે બન્યું તે તેઓ સમજી શક્યા નહિ.

પિતરનું લોકોને સંબોધન

11 તે માણસ પિતર અને યોહાનને પકડી રહ્યો હતો. બધા જ લોકો અચરજ પામ્યા હતા કારણ કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેઓ પિતર અને યોહાન પાસે સુલેમાનની પરસાળમાં દોડી ગયા.

12 જ્યારે પિતરે આ જોયું, તેણે લોકોને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, આમાં તમે શા માટે અચરજે પામો છો? તમે અમારા તરફ એ રીતે જોઈ રહ્યો છો જાણે અમારા સાર્મથ્યથી આ માણસ ચાલતો થઈ શક્યો છે. તમે વિચારો છો અમે સારા છીએ તેથી આમ બન્યું હતું? 13 ના! દેવે જ તે કર્યું છે! તે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છે. તે આપણા બધા પૂર્વજોનો દેવ છે. તેણે તેના વિશિષ્ટ સેવક ઈસુને મહિમા આપ્યો છે. પણ તમે ઈસુને મારી નાખવા સુપ્રત કર્યો, પિલાતે ઈસુને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો. પણ તમે પિલાતને કહ્યું કે તમારે ઈસુની જરુંર નથી. 14 ઈસુ પવિત્ર અને પ્રમાણિક હતો પણ તમે પવિત્ર અને પ્રમાણિક માણસની ઈચ્છા રાખી નહી. તમે ઈસુને બદલે એક ખૂનીને છોડી મૂક્વાનું પિલાતને કહ્યું. 15 અને તેથી તમને જે જીવન આપે છે તેને જ મારી નાખ્યો! પરંતુ દેવે તેને મૃત્યુમાંથી ઊઠાડ્યો. અમે તેના સાક્ષી છીએ-અમે અમારી આંખોથી તે જોયું છે.

16 “તે ઈસુનું પરાક્રમ હતું કે જેના વડે આ લંગડો માણસ સાજો થયો. આ બન્યું કારણ કે અમને ઈસુના નામમાં વિશ્વાસ હતો. તમે આ માણસને જોઈ શકો છો. અને તમે તેને જાણો છો. તે ઈસુ પરના વિશ્વાસને કારણે સંપૂર્ણ સાજો થયો હતો. જે કંઈબન્યું તે બધું તમે બધાએ જોયું હતું!

17 “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે ઈસુ સાથે આમ કર્યુ કારણ કે તમે શું કરતાં હતા તે તમે જાણતાં નહોતા. તમારા અધિકારીઓ પણ સમજતા ન હતા. 18 દેવે કહ્યું કે આ વસ્તુઓ બનશે. દેવે બધા પ્રબોધકો મારફતે કહ્યું કે તેનો ખ્રિસ્ત દુ:ખ સહેશે અને મૃત્યુ પામશે. દેવે આ કેવી રીતે પૂર્ણ કર્યુ એ મેં તમને કહ્યું. 19 તેથી તમારે પસ્તાવો કરવો જોઈએ. દેવ પાસે પાછા ફરો અને તે તમારા પાપો માફ કરશે. 20 પછી પ્રભુ તમને આત્મિક તાજગી માટે સમય આપશે. તે તમને ઈસુ આપશે, તે એક ખ્રિસ્ત તરીકે પસંદ થયેલ છે.

21 “પણ જ્યાં સુધી બધી વસ્તુઓ ફરીથી બરાબર ન થાય ત્યાં સુધી ઈસુએ આકાશમાં રહેવું જોઈએ. જ્યારે તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા તે બોલ્યો હતો ત્યારે ઘણાં લાંબા સમય પહેલા દેવે આ સમય વિષે કહ્યું હતું. 22 મૂસાએ કહ્યું, ‘પ્રભુ તારો દેવ તને એક પ્રબોધક આપશે. તે પ્રબોધક તમારા પોતાના લોકોમાંથી જ આવશે. તે મારા જેવો હશે. તમને પ્રબોધક જે કહે તે સર્વનું પાલન કરવું જોઈએ. 23 અને જો કોઇ વ્યક્તિ તે પ્રબોધકની અવજ્ઞા કરશે તો, પછી તેનું મૃત્યુ થશે, અને દેવના લોકોથી તે જુદો પડશે.’

24 “શમુએલના કહ્યા પછી તેના પછીના બધા પ્રબોધકોએ દેવ વિષે કહ્યું છે. તે સર્વ જણે આ સમય માટે પણ કહ્યું છે. 25 પ્રબોધકોએ જેના વિષે કહ્યું હતું તે તમને પ્રાપ્ત થયેલ છે. દેવે તમારા પૂર્વજો સાથે જે કરાર કર્યો હતો તે તમને પ્રાપ્ત થયેલ છે. દેવે તમારા પિતા ઈબ્રાહિમને કહ્યું હતું. ‘પૃથ્વી પરના દરેક રાષ્ટ્ર તમારા સંતાનો દ્ધારા આશીર્વાદિત થશે.’[a] 26 દેવે તેના ખાસ સેવકને મોકલ્યો છે. દેવે ઈસુને તમારી પાસે પ્રથમ મોકલ્યો છે. દેવે તમને આશીર્વાદ આપવા માટે ઈસુને મોકલ્યો છે. તમારામાંના દરેકને ખરાબ કાર્યો કરવામાંથી પાછા ફેરવીને તે આમ કરે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International