Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 22:1-15

નિર્દેશક માટે. ઢાળ: “પરોઢનું હરણ.” દાઉદનું ગીત.

હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે?
    મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો?
    શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું,
    પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી.
હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.

દેવ, તમે પવિત્ર છો.
    તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો.
    અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં.
    તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
હું માણસ નથી પણ માત્ર કીડો છુ.
    સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે.
    અને મને તુચ્છ ગણે છે.
જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે.
    અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
તેઓ મારી મશ્કરી કરતાં કહે છે,
    “તે જરૂર તને ઉગારશે કારણ
    તે તને ખૂબ પસંદ કરે છે.”

હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી.
    તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા.
હું જ્યારે મારી માતાને ધાવતો હતો
    ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું.
    મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે.
    અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે.
    બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે,
    તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.

14 જેમ પાણી વહી જાય તેમ,
    મારી શકિત પણ ચાલી ગઇ છે.
જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે,
    તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવુ સુકું થઇ ગયું છે;
    મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે;
    અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.

અયૂબ 17

17 “હું ત્રાહિત છું. મારો આત્મા રૂંધાય છે.
    હું જીવનને આરે આવી ઊભો છું,
હવે કબર સિવાય મારે માટે કોઇ
    મારી રાહ જોતું નથી.
મારી આજુબાજુ હવે માત્ર મારી હાંસી કરનારાઓ જ રહ્યાં છે;
    અને જ્યારે તેઓ કઠોર વચનો બોલે છે, હું તેઓને નજરમાં રાખું છું.

“દેવ, મને બતાવો કે તમે ખરેખર મને આધાર આપો છો.
    બીજુ કોઇ મને આધાર નહિ આપે.
હે દેવ, તમે જ તેઓને આ સમજવા દીધું નથી,
    તેથી તમે તેઓને જીતવા દેશો નહિ.
તમે જાણો છો, લોકો શું કહે છે,
    ‘જ્યારે એક માણસ પોતાની સંપતિનો હિસ્સો મેળવવા માટે
    પોતાના મિત્રોને વાત કરે છે, તેના બાળકો અંધ બની જશે.’
દેવે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે;
    તેથી લોકો મારા મોઢા પર થૂંકે છે.
દુ:ખથી આંસુ સારવાથી હવે મારી આંખે અંધારા આવે છે,
    અને મારાં અંગો પડછાયા જેવા બની ગયા છે.
ન્યાયી લોકો આને લીધે ઉદ્વિગ્ન છે.
    નિર્દોષ લોકો જેઓ દેવની કાળજી કરતાં નથી તેને લીધે વ્યથિત છે.
છતાંય સજ્જન પુરૂષો પોતાના માર્ગમાં ટકી રહેશે
    અને પ્રામાણિક નીતિવાન અધિકાધિક બળવાન થતાં રહેશે.

10 “પરંતુ તમે બધા રહેવા જ દો, પાછા આવો,
    મને તમારી વચ્ચે એકપણ શાણો માણસ નહિ મળે.
11 મારું જીવન પસાર થતું જાય છે.
    મારી યોજનાઓ નષ્ટ થઇ ગઇ છે.
    મારી આશાઓ અદ્રશ્ય થઇ ગઇ છે.
12 પણ મારા મિત્રો રાત ને દિવસ માને છે,
    અંધકાર હોવા છતાં તેઓ કહે છે, ‘પ્રકાશ નજીકમાં છે.’

13 “હું કદાચ આશા રાખુંકે કબર મારું નવું ઘર બને.
    હું કબરના અંધકારમાં પથારી પાથરવાની પણ કદાચ આશા રાખું.
14 મેં કબરને એમ કહ્યું છે, ‘તમે મારા પિતા છો.’
    મેં કીડાઓને કહ્યું છે, ‘તમે મારી માતા અને બહેનો છો.’
15 તો પછી હવે, મારે માટે કોઇ આશા રહી ખરી?
    કોણ જોશે, મારા માટે કોઇ આશા છે કે નહિ?
16 મારી આશા, નીચે મૃત્યુલોક સુધી જશે?
    આપણે માટીમાં સાથે મળી જઇશું?”

હિબ્રૂઓ 3:7-19

આપણે દેવને અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ

એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ:

“જો તમે આજે દેવની વાણી સાંભળો તો,
    ઈસ્રાએલ પ્રજાએ અરણ્યમાં કર્યું તેમ તમે તમારા હ્રદયો કઠોર કરશો નહિ,
    અરણ્યમાં પ્રવાસ કરતી વખતે કસોટીના સમયમાં તેઓએ દેવ વિરૂદ્ધ બળવો કર્યો.
મેં જે કઈ કર્યું તે તમારા લોકોએ વરસ સુધી અરણ્યમાં જોયું. છતાં તેઓએ મારી ધીરજની કસોટી કરી.
10 તેથી હું તે લોકો પર રોષે ભરાયો.
    અને મેં કહ્યું, ‘તેઓ તેમના હ્રદયમાં જે વિચારે છે તે હંમેશા ખોટું જ છે.
    તેઓને મારા માર્ગોની કદી પણ સમજણ પડી નથી.’
11 તેથી ગુસ્સે થઈ મેં પ્રતિજ્ઞા કરી:
    ‘તેઓ મારા વિસામામાં કદી પ્રવેશ કરી શકશે નહિ.’” (A)

12 માટે હે ભાઈઓ અને બહેનો, તમે સાવધ રહો. રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. 13 પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો ન થાય અને દેવ વિરૂદ્ધનો બને નહિ. 14 કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું તો ખ્રિસ્તની સાથે સર્વસ્વના ભાગીદાર બનીશું. 15 શાસ્ત્રમાં કહેલું છે કે:

“જો આજે તમે દેવની વાણી સાંભળો,
    તો અરણ્યમાં જેમ ઇસ્ત્રાએલ પ્રજાએ જે રીતે દેવ વિરૂદ્ધ બળવો કર્યો, તેમ તમે તમારા હ્રદય દેવ વિરૂદ્ધ કઠોર કરશો નહિ.” (B)

16 દેવની વાણી સાંભળ્યા છતાં જેમણે તેની વિરૂદ્ધ બંડ પોકાર્યું. એ કયા લોકો હતા? મૂસાની આગેવાની હેઠળ ઇજીપ્તમાંથી નીકળી આવનાર તે લોકો હતા. 17 અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા. 18 દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ. 19 અને આપણે જોઈએ છીએ કે એ લોકો પ્રવેશ કરી શક્યા નહિ. અને દેવનો વિશ્રામ મેળવવા તેઓ શક્તિમાન નહોતા. શા માટે? કારણ કે તેઓએ દેવ પર વિશ્વાસ કર્યો નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International