Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 34-35

34 અલીહૂએ અનુસંધાનમાં આગળ બોલતા કહ્યું:

“હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ,
    તમે મારા કહેવા પર ધ્યાન આપો.
જેમ જીભ સ્વાદને ઓળખી શકે છે,
    તેમ કાન શબ્દોને પારખી શકે છે.
ચાલો આપણે પસંદ કરીએ કે સાચું શું છે,
    ચાલો આપણે નક્કી કરીએ કે સારું શું છે.
કારણ કે અયૂબે કહ્યું છે કે, ‘હું નિર્દોષ છું
    અને દેવ મારી સાથે ન્યાયી નથી.
હું નિર્દોષ છું છતાં હું જૂઠા બોલો તરીકે ગણાઉં છું;
    એમણે મને સતત જીવલેણ પ્રહાર કર્યો છે;
    પણ મેં કઇં વાંક ગુનો કર્યો નથી.’

“અયૂબના જેવો બીજો કોણ છે?
    અયૂબ જેટલી સરળતાથી પાણી પીએ છે તેટલી સરળતાથી તિરસ્કાર પી જાય છે.
એને દુષ્ટ લોકોનીં સંગત ગમે છે,
    એ દુષ્ટ લોકોની સાથે ફરે છે.
તેણે કહ્યું છે, ‘દેવને ખુશ કરવાથી તેમાઁ
    તેને કોઇ લાભ નથી.’

10 “તેથી હે શાણા માણસો,
    મારું સાંભળો દેવ કદી કંઇ ખોટું કરેજ નહિ,
    અને સર્વસમર્થ દેવ કદી કંઇ અનિષ્ટ કરે નહિ.
11 તે માણસે જે કર્યુ હશે તેનો બદલો
    તે માણસને દેવ આપશે.
12 દેવ ખોટું કરશે જ નહિ, અન્યાય કરશે
    જ નહિ. આના કરતાં વધારે સાચું કોઇ વિધાન નથી.
13 પૃથ્વી પર કામગીરી બજાવવા માટે કોઇએ દેવને પસંદ કર્યા નથી.
    કોઇએ દેવને આખી દુનિયાની જવાબદારી સોંપી નથી.
દેવેજ બધી વસ્તુઓ બનાવી છે
    અને તે વસ્તુઓ પર હમેશા તેમની જ સત્તા રહી છે.
14 જો દેવ પોતાનો આત્મા
    અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે.
15 તો તમામ સજીવોનો વિનાશ થાય
    અને માણસ જાત પાછી ધૂળ ભેગી થઇ જાય.

16 “જો તમારામાં સમજ શકિત હોય તો
    મને સાંભળો! મારા શબ્દો ધ્યાનમાં રાખો.
17 જે ન્યાયને ધિક્કારે, તો એ કદી રાજ ચલાવી શકે?
    દેવ ન્યાયી અને પરાક્રમી છે.
    શું તને લાગે છે તું તેને દોષિત ઠરાવી શકીશ?
18 શું દેવ કદી રાજાઓને કહે છે કે, ‘તમે નકામા છો’
    અથવા રાજકુમારોને કે, ‘તમે દુષ્ટ છો?’
19 દેવ રાજકર્તાઓને બીજા લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી,
    ધનવાનોને ગરીબ લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી.
    કારણ કે બધા તેના હાથે સર્જાયેલા છે.
20 એક ક્ષણમાં, મધરાતે પણ, તેઓ મૃત્યુ પામે છે.
    જ્યારે દેવ પ્રહાર કરે છે, બળવાન પણ મરી જાય છે.
    મહાન લોકો અદ્રશ્ય થઇ જાય છે અને તેમાં માણસનો હાથ સંડોવાયેલો નથી.

21 “કારણકે, દેવની નજર માણસની ચાલચલગત પર હોય છે.
    તે તેની સઘળી વર્તણૂક જુએ છે.
22 દુષ્ટ માણસને સંતાડી શકે એવો
    કોઇ પડદો કે અંધકાર નથી.
23 દેવને લોકોની વધુ પરીક્ષા કરવા માટે સમય પસંદ કરવાની જરૂર નથી.
    દેવને લોકો વિશે અભિપ્રાય આપવા તેમને સામે લાવવાની જરૂર નથી.
24 જો શકિતશાળી લોકો પણ દુષ્કર્મ કરે,
    તો દેવને તેઓને માટે પ્રશ્ર્ન કરવાની જરૂર નથી.
તે સર્વથા તે લોકોનો વિનાશ કરશે
    અને બીજાઓને નેતા તરીકે નિયુકત કરશે.
25 તેથી દેવ જાણે છે કે લોકો શું કરે છે એજ કારણે દેવ રાતોરાત
    દુષ્ટ લોકોને પાયમાલ કરશે અને તેઓનો નાશ કરશે.
26 દેવ દુષ્ટ લોકોને તેઓએ જે દુષ્કર્મો કર્યા છે
    તેને માટે બીજાઓ જ્યારે જોતા હશે ત્યારે સજા કરશે.
27 કારણકે તેઓ દેવથી પાછા ફરી ગયા છે,
    તેઓ એના માર્ગને અનુસરવા માગતા નથી.
28 તેમનો પોકાર દેવ સુધી પહોંચે છે
    અને દેવ એ દુ:ખી લોકોનો સાદ સાંભળે છે.
29 પણ જો દેવ તેઓને મદદ ન કરવાનો નિશ્ચય કરે તો
    કોઇપણ દેવને દોષિત ઠરાવી શકે તેમ નથી.
જો દેવ પોતે લોકોથી સંતાઇ જાય તો
    કોઇ તેને શોધી શકે તેમ નથી.
30 અને જો તે લોકોને પાપ કરવાનું કારણ શાસન
    છે તો દેવ તેને તેની સત્તા પરથી ઊતારી નાખશે.

31 “શું કોઇએ ઇશ્વરને એમ કહ્યું છે કે,
    ‘હું ગુનેગાર છું, હવે પછી હું કદી પાપ કરીશ નહિ.
32 દેવ, હું તમને જોઇ શકતો નથી તે છતાં મને જીવવાની સાચી રીત
    મને શીખવશો જો મેં ખોટું કર્યુ હોય તો હું ફરી એવું કરીશ નહિ.’
33 અયૂબ, તને દેવ પાસેથી ફળ જોઇએ છે.
    પણ તારે તે બદલવું નથી.
અયૂબ એ તારો નિર્ણય છે અને મારો નથી.
    મને કહે તું શું જાણે છે.
34 ડાહ્યો માણસ મને સાંભળશે
    ડાહ્યો માણસ કહેશે.
35 ‘અયૂબ જ્ઞાન વગર બોલે છે.
    એના શબ્દોમાં કોઇ તાત્પર્ય નથી.’
36 મને લાગે છે કે અયૂબને વધારે સજા થવી જોઇએ.
    કારણકે અયૂબ અમને
દુષ્ટ માણસો જેવા જવાબ આપે છે.
    અંત સુધી તેની કસોટી થવી જોઇએ.
37 અયૂબ તેના બીજા પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે.
    અયૂબ ત્યાં અમારું અપમાન કરી અમારી પહેલા બેસે છે.
    અને તે દેવની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે.”

35 વળી અલીહૂએ અનુસંધાનમાં કહ્યું,

“અયૂબ, તું દેવને પૂછ,
    ‘જો કોઇ દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે તો તેને શું ફાયદો થાય?
    જો મે પાપ ન કર્યા હોત તો મને વધારે ફાયદો થાત?’
તું એમ માને છે કે,
    ‘આમ કહેવું તે યોગ્ય છે? તું કહે છે;
    દેવ કરતા હું વધારે સાચો સત્ય છું?’

“હું તને તથા તારા બધા મિત્રોને
    એક સાથે જવાબ આપીશ.
ઊંચે આકાશમાં જો! જો વાદળાં
    તારા કરતાં કેટલાં ઊંચા છે!
અયૂબ, જો તમે પાપ કરો, તો તેમાં દેવને કોઇ રીતે હાનિ થવાની નથી.
    જો તમારી પાસે ખૂબ પાપ ભર્યા હોય તો તેમાં દેવનું કાંઇ નુકસાન નથી.
અને અયૂબ, જો તું સારો હોય તો તે કોઇ રીતે દેવને સહાયરૂપ નથી.
    તારી પાસેથી દેવને કાંઇ મળવાનું નથી.
અયૂબ, તુ જે કાંઇ સારું કે ખરાબ કાર્ય કરે છે તે તારી જેમ ફકત બીજાઓને અસર થાય છે.
    તેઓ દેવને મદદ કે હાનિ કરતા નથી.

“જો દુષ્ટ લોકોને હાનિ થાય તો તેઓ મદદ માટે પોકાર કરશે.
    તેઓ શકિતશાળી લોકો પાસે જાય છે અને મદદ માંગે છે.
10 પરંતુ તે દુષ્ટ લોકો, તેઓને મદદ કરવાનું દેવને કહેતા નથી.
    તેઓ કહેશે નહિ મારા સર્જનહાર દેવ ક્યાં છે?
    દેવ જેઓ ઉત્સાહ ભંગ છે, તેઓને મદદ કરે છે. તો તે ક્યાં છે?
11 જે દેવે આપણને પશુઓ અને પંખીઓ કરતાં
    વધારે સમજુ બનાવ્યા છે તો તે ક્યાં છે!
12 તેઓ બૂમો પાડે છે, પણ કોઇ એમને સાંભળતું નથી,
    કારણકે એમનામાં અનિષ્ટનું અભિમાન હોય છે.
13 એ સાચું છે, દેવ તેઓની નિરર્થક માંગણીઓ પર ધ્યાન આપશે નહિ.
    સર્વસમર્થ દેવ તેઓ તરફ જરા પણ ધ્યાન આપશે નહિ.
14 તેથી અયૂબ, તું કહે છે કે, તું તેને જોતો નથી,
    ત્યારે દેવ તેને સાંભળશે નહિ.
તું કહે છે કે તું દેવને મળવાની તકની રાહ જુએ છે
    અને તારી નિર્દોષતા સાબિત કરે છે.

15 “અયૂબ, વિચારે છે કે દેવ દુષ્ટ લોકોને સજા કરતા નથી.
    તે વિચારે છે કે દેવ પાપ જોતા નથી.
16 તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે.
    અયૂબ જાણે તે મહત્વશીલ હોય તેમ વતેર્ છે.
    એ સહેલાઇથી જાણી જવાય છે કે અયૂબને તે શેના વિશે બોલે છે તેની તેને ખબર નથી.”

પ્રેરિતોનાં કૃત્યો 15:1-21

યરૂશાલેમમાં સભા

15 પછી કેટલાક માણસો યહૂદિયાથી અંત્યોખમાં આવ્યા. તેઓએ બિનયહૂદિ ભાઈઓને શીખવવાનું શરૂ કર્યુ. “જો તમે સુન્નત નહિ કરાવો તો તમને બચાવી શકાશે નહિ. મૂસાએ આપણને આમ કરવાનું શીખવ્યું છે.” પાઉલ અને બાર્નાબાસ આ બોધની વિરૂદ્ધમાં હતા. તેઓએ આ માણસો સાથે દલીલો કરી. તેથી તે સમૂહે પાઉલ અને બાર્નાબાસને, અને બીજા કેટલાક માણસોને યરૂશાલેમ મોકલવાનું નક્કી કર્યુ. આ માણસો પ્રેરિતો અને વડીલોની સાથે આ વિષયમાં વધારે વાતો કરવા ત્યાં જતા હતા.

તે મંડળીએ માણસોને વિદાય થવામાં મદદ કરી. આ માણસો ફિનીકિયા સમરૂનનાં દેશોમાં થઈને ગયા. આ બધાં શહેરોમાં તેઓએ બિનયહૂદિ લોકો સાચા દેવ તરફ કેવી રીતે વળ્યા તે સંબંધમાં કહ્યું, આથી બધા ભાઈઓ ઘણા આનંદિત થયા. પાઉલ, બાર્નાબાસ અને બીજાઓ યરૂશાલેમમાં આવ્યા. પ્રેરિતો, વડીલો અને વિશ્વાસીઓના આખા સમૂહે તેઓનું સ્વાગત કર્યુ. પાઉલ, બાર્નાબાસ અને બીજાઓને દેવે તેઓની સાથે જે કંઈ કર્યુ તે વિષે કહ્યું, યરૂશાલેમના કેટલાક વિશ્વાસીઓ ફરોશીપંથના હતા. તેઓ ઊભા થયા અને કહ્યું, “બિનયહૂદિ વિશ્વાસીઓની સુન્નત કરાવવી જોઈએ. આપણે તેઓને મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવા કહેવું જોઈએ!”

પછી પ્રેરિતો અને વડીલો આ સમસ્યાનો અભ્યાસ કરવા ભેગ થયા. ત્યાં એક લાંબો વાદવિવાદ થયો. પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે શરૂઆતના દિવસોમાં શું બન્યું છે તેનું સ્મરણ કરો છો. દેવે મને તમારામાંથી બિનયહૂદિ લોકોને સુવાર્તા આપવા પસંદ કર્યો છે. તેઓએ મારી પાસેથી સુવાર્તા સાંભળી છે અને તેઓએ વિશ્વાસ મૂક્યો છે. દેવ બધા માણસોના વિચાર જાણે છે, અને તેણે આ બિનયહૂદિઓને સ્વીકાર્યા છે. દેવ જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિષે સાક્ષી પૂરી. દેવની આગળ આ લોકો આપણા કરતાં જુદા નથી. જ્યારે તેઓ વિશ્વાસી બન્યા, દેવે તેઓનાં હ્રદયો પવિત્ર બનાવ્યાં. 10 તેથી હવે તમે શા માટે બિનયહૂદિ ભાઈઓની ગરદન પર ભારે બોજ લાદો છો? તમે દેવને ગુસ્સે કરવાના પ્રયત્ન કરી રહ્યા છો? અમે અને અમારા પૂર્વજો તે બોજ વહન કરવા શું પૂરતા સશકત નહોતા! 11 ના, અમને વિશ્વાસ છે કે અમે અને આ લોકો પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામીશું!”

12 પછી આખો સમૂહ શાંત થયો. તેઓએ પાઉલ અને બાર્નાબાસની વાણીને ધ્યાનપૂર્વક સાંભળી. પાઉલ અને બાર્નાબાસે બિનયહૂદિ લોકોની વચમાં દેવ દ્ધારા જે ચમત્કારો તથા અદભૂત પરાક્રમો કર્યા હતા તે બધા વિષે કહ્યું, 13 પાઉલ અને બાર્નાબાસે તેમનું વક્તવ્ય પૂરું કર્યુ. પછી યાકૂબે કહ્યું. તેણે કહ્યું, “મારા ભાઈઓ, મને ધ્યાનથી સાંભળો. 14 સિમોને (પિતર) અમને બતાવ્યું કે બિનયહૂદિ લોકો પર દેવે તેનો પ્રેમ કેવી રીતે દર્શાવ્યો છે. દેવે પ્રથમ વખત જ બિનયહૂદિ લોકોને સ્વીકારીને તેઓને તેઓના લોકો બનાવ્યા. 15 પ્રબોધકોનાં વચનો પણ આ સાથે સુસંગત છે:

16 ‘હુ (દેવ) આ પછી પાછો આવીશ.
    હું દાઉદનું મકાન ફરીથી બાંધીશ.
    તે નીચે પડી ગયેલું છે.
હું તેના મકાનના ભાગોને ફરીથી બાંધીશ.
    જે નીચે ખેંચી કાઢવામાં આવેલ છે. હું તે મકાન ફરીથી બાંધીશ.
17 પછી બીજા બધા બાકીના લોકો પ્રભુને શોધશે.
    બધા જ બિનયહૂદિ લોકો પણ મારા લોકો છે.
પ્રભુએ આ કહ્યુ છે.
    અને પ્રભુ જે આ બધું કરે છે તે આ એક કહે છે.’(A)

18 ‘દુનિયાના આરંભથી આ વસ્તુઓ પ્રગટ થયેલ છે.’

19 “તેથી હું વિચારું છું કે આપણે બિનયહૂદિ ભાઈઓ જે દેવ તરફ વળ્યા છે તેઓને હેરાન ન કરીએ. 20 તેને બદલે, આપણે તેઓને પત્ર લખવો જોઈએ. આપણે તેઓને આ બાબતો કહેવી જોઈએ:

મૂર્તિઓને ધરાવેલો ખોરાક તેઓએ ખાવો નહિ. આનાથી ખોરાક અશુદ્ધ બને છે.

કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ.

લોહીવા ચાખો (ખાઓ) નહિ. ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાઓ નહિ.

21 તેઓએ આ બાબતો કરવી જોઈએ નહિ, કારણ કે આજે પણ દરેક શહેરમાં હજી એવા માણસો (યહૂદિઓ) છે જેઓ મૂસાના નિયમશાસ્ત્રનો બોધ આપે છે. ઘણા વર્ષોથી પ્રત્યેક વિશ્રામવારે સભાસ્થાનોમાં મૂસાના વચનો વાંચવામાં આવે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International