New Testament in a Year
દેવ અને યહૂદિ લોકો
9 હું ખ્રિસ્તમાં છું અને તમને સત્ય કહીં રહ્યો છું. હું અસત્ય બોલતો નથી. પવિત્ર આત્મા મારી સંવેદનાનું સંચાલન કરે છે. અને એવી સંવેદનાથી હું તમને કહું છું કે હું જૂઠું બોલતો નથી. 2 યહૂદિ લોકો માટે હું ઘણો દિલગીર છું અને સતત મારા હૃદયમાં ઉદાસીનતા અનુભવું છું. 3 તેઓ મારા ભાઈઓ અને બહેનો છે, મારું દુન્યવી કુટુંબ છે. એમને મદદ કરવાનું મને મન થાય છે. દેવનો અભિશાપ જો મારા પર કે મારાં સગાંઓ પર આવે તો તેનો પણ સ્વીકાર કરીને હું યહૂદિઓને મદદ કરવા તૈયાર છું. 4 કારણ કે તેઓ તો ઈઝરાએલના લોકો છે. એ યહૂદિઓ તો ખાસ પસંદગી પામેલાં બાળકો છે. દેવે જે માનવો સાથે કરારો કર્યા છે એવા એ યહૂદિઓને દેવનો મહિમા પ્રાપ્ત થયેલો છે. દેવે મૂસાનું નિયમશાસ્ત્ર તેઓને આપીને ભક્તિની સાચી પધ્ધત્તિ બતાવી હતી. અને દેવે એ યહૂદિઓને માટે વચન પણ આપ્યું હતું. 5 તેઓ આપણા પિતાઓના વંશજો છે. અને તેઓ ખ્રિસ્તના દુન્યવી કુટુંબીજનો છે. ખ્રિસ્ત સર્વોપરી દેવ છે. તેની સ્તુતિ નિત્ય કરો! આમીન.
6 હા, આ યહૂદિઓ માટે હું ઘણું દુ:ખ અનુભવું છું. એમને આપેલું વચન દેવ પાળી ન શક્યો, એમ હું કહેવા માગતો નથી. પરંતુ ઈસ્રાએલના માત્ર થોડાક યહૂદિઓ જ દેવના સાચા લોકો છે. 7 અને ઈબ્રાહિમના વંશજોમાં ફક્ત થોડાક માણસો જ તમારાં દેવનો સાચાં સંતાનો છે. દેવે ઈબ્રાહિમને આમ કહ્યું હતું: “ઈસહાક જ તારો કાયદેસરનો દીકરો ગણાશે.”(A) 8 આનો અર્થ એ છે કે ઈબ્રાહિમના બધા જ વંશજો કઈ દેવનાં સાચાં સંતાનો નથી. દેવે ઈબ્રાહિમને આપેલાં વચન પ્રમાણે જે સંતાનો દેવના થશે તે જ સંતાનો ઈબ્રાહિમનાં સાચાં સંતાનો થશે. 9 ઈબ્રાહિમને આપેલું દેવનું વચન આવું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ, અને સારાને દીકરો થશે.”(B)
10 માત્ર એટલું જ નહિ, રિબકાને પણ દીકરો થયો. એક જ પિતાના એ દીકરા હતા. તે જ આપણા પિતા ઈસહાક. 11-12 (રિબકાને) બે દીકરા જન્મ્યા, તે પહેલાં દેવે રિબકાને કહ્યું હતું, “તારો મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”(C) એ છોકરાઓએ તેઓના જીવનમાં કંઈક સારું અથવા ખરાબ કર્યુ હોય એ પહેલા આવી ભવિષ્યવાણી થઈ હતી. તેમના જન્મ પહેલાં દેવે આ કહ્યું હતું. જેથી કરીને દેવની પોતાની યોજના પ્રમાણે દેવની પસંદગી પામેલા છોકરાને એ સ્થાન મળે. એ છોકરાની પસંદગી કરવામાં આવી કેમ કે માત્ર એને જ પસંદ કરવો એવી દેવની ઈચ્છા હતી અને તે એટલા માટે નહિ કે એ છોકરાઓએ તેમના જીવનમાં કઈક સારાં અથવા ખોટાં કામો કર્યા હોય. 13 શાસ્ત્ર કહે છે તેમ, “યાકૂબને હું ચાહતો હતો, પરંતુ એસાવને હું ધિક્કારતો હતો.”(D)
14 તો આ બાબતમાં આપણે શું કહીશું? શું દેવ ન્યાયી નથી? એવું તો આપણે કહી શકીએ એમ નથી. 15 દેવે મૂસાને કહ્યું હતું, “જે વ્યક્તિ પર મારે કૃપા કરવી હશે, તેના પર હું કૃપા કરીશ. જે વ્યક્તિ પર દયા બતાવવી હશે તેના પર હું દયા દર્શાવીશ.”(E)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International