Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પુનર્નિયમ 24

24 “જો કોઈ પુરુષ સ્ત્રીને પરણ્યો હોય, અને તેની સાથે થોડા સમય સંસાર માંડયા બાદ તેનામાં કંઈં શરમજનક હોવાને કારણે તેને તે પસંદ ના હોય તો તેને છૂટાછેડા લખી આપી ઘરમાંથી કાઢી મૂકી શકે. અને તે તેનું ઘર છોડીને અન્ય પુરુષ સાથે લગ્ન કરે. અને તેનો બીજો પતિ પણ તેને ન ચાહે. અને છૂટાછેડા લખી આપી તેને ઘરમાંથી કાઢી મૂકે, અથવા જો તે અવસાન પામે, એ સ્ત્રીને છૂટાછેડા આપનાર એનો પ્રથમ પતિ એને પોતાની પત્ની તરીકે ફરીથી લગ્ન કરીને રાખી શકે નહિ, કારણ કે, તે તેના માંટે અશુદ્ધ થયેલી છે. યહોવાની દૃષ્ટિએ એ પાપ છે. તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપનાર છે તેને તમાંરે બગાડવો જોઈએ નહિ.

“કોઈ પણ નવપરિણીત પુરુષની લશ્કરમાં કે અન્ય કોઈ જાહેર નોકરીમાં નિમણૂક કરવી નહિ; કારણ કે એક વર્ષ સુધી તે ઘેર પોતાની પત્ની સાથે રહીને આનંદ કરવા માંટે મુકત છે.”

“કોઈ પણ વ્યકિતએ ઘંટીનું પડ કે ઉપલું પડ પણ ગીરવે રાખવું નહિ; એ મનુષ્યનું જીવન ગીરવે રાખ્યા બરાબર છે.”

“કોઈ વ્યકિતએ તેના જાતિબંધુ ઇસ્રાએલીનું અપહરણ કરી તેને ગુલામ બનાવે અને પછી તેને ગુલામ તરીકે વેચી દે, તો તેને મૃત્યુદંડની શિક્ષા કરવી. તમાંરામાંથી આ અનિષ્ટ દૂર કરવું.

“કોઈ વ્યકિતને રકતપિત્ત કોઢનો રોગ થયો હોય તો લેવી યાજકો જે સૂચનાઓ આપે તેનું અત્યંત કાળજીપૂર્વક પાલન કરો, કારણ કે, મેં તેઓેને સ્પષ્ટ માંર્ગદર્શન આપ્યું છે અને તે તમાંરે બહુ જ કાળજીપૂર્વક પાળવું તમે લોકો મિસરમાંથી આવતા હતા ત્યારે તમાંરા દેવ યહોવાએ મરિયમની શી દશા કરી હતી તે યાદ રાખવું.

10 “તમે કોઈ વ્યકિતને કશું ધારો, તો ગીરવે વસ્તુ લેવા માંટે તમાંરે તેના ઘરમાં પ્રવેશ કરવો નહિ. 11 બહાર ઊભા રહેવું, જે વ્યકિતએ ઉછીનું લીધું હશે તે તમને બહાર આવીને વસ્તુ ગીરવે મુકવા આપશે. 12 અને જો કોઈ માંણસ ગરીબ હોય તો ગીરવે મૂકેલો ઝભ્ભો પેહરીને તમે સૂઈ જાઓ નહિ. 13 સાંજ પહેલાં તમાંરે તે ઝભ્ભો એને પાછો આપી દેવો, જેથી તે એ પેહરીને સૂએ અને તમને આશીર્વાદ આપે, તમાંરા દેવ યહોવાની દૃષ્ટિએ તે ન્યાયી અને સાચું કાર્ય ગણાશે.

14 “તમે કોઈ ગરીબ માંણસને દૈનિક વેતને મજૂરીએ રાખો તો તેને પજવશો નહિ, પછી તે તમાંરો જાતિબંધુ હોય કે તમાંરા નગરમાં વસતો વિદેશી હોય, પણ તેની રોજી અટકાવશો નહિ. 15 સૂર્યાસ્ત પહેલાં તે માંણસને તમાંરે તેની મજૂરી રોજની રોજ ચૂકવી દેવી, કારણ કે એ ગરીબ હોવાથી એ નાણાં પર જ તેના જીવનનો આધાર છે. તમે જો એમ કરશો તો એને તમાંરી વિરુદ્ધ યહોવાને ફરિયાદ કરવી પડશે નહિ અને તમને પાપ પણ લાગશે નહિ.

16 “પુત્રોનાં પાપને કારણે તેમના પિતાઓને મૃત્યુદંડની શિક્ષા થશે નહિ, અને પિતાઓનાં પાપને કારણે પુત્રોને મૃત્યુદંડની શિક્ષા થશે નહિ. પોતપોતાના પાપને કારણે પ્રત્યેકને મૃત્યુદંડની શિક્ષા થશે.

17 “વિદેશીઓ કે અનાથો ન્યાયથી વંચિત રહી ન જાય તેનું ધ્યાન રાખવું. વિધવાનાં વસ્રો તેના દેવા પેટે કદી ગીરવે લેવાં નહિ. 18 તમે મિસરમાં ગુલામ હતા અને તમાંરા યહોવા દેવે તમને મુકત કરાવ્યાં હતાં એ હંમેશા યાદ રાખવું. તેથી જ હું તમને આમ કરવાની આજ્ઞા જણાવું છું.

19 “જયારે પાકની કાપણી કરો ત્યારે એકાદ પૂળો ખેતરમાં રહી જાય, તો તે લેવા પાછા ખેતરે જવું નહિ; વિદેશીઓ, અનાથો તથા વિધવાઓ માંટે તેને ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી તમાંરા યહોવા દેવ તમને આશીર્વાદ આપશે અને તમાંરા કામમાં લાભ આપશે. 20 જયારે તમે ફળ લેવાં જૈતૂનના વૃક્ષને ઝૂડો ત્યારે કોઈ ડાળને બીજી વાર ઝૂડવી નહિ, કંઈ રહી ગયું હોય તો તે વિદેશીઓ, વિધવાઓ અને અનાથો માંટે રહેવા દેવું. 21 એ જ રીતે જયારે તમે દ્રાક્ષની વાડીમાંથી પાક ઉતારો ત્યારે દ્રાક્ષ બીજી વાર વીણો નહિ. જે કંઈ રહી જાય તે વિદેશીઓ, વિધવાઓ અને અનાથો માંટે રહેવા દો. 22 યાદ રાખો કે તમે મિસરમાં ગુલામ હતા, તેથી હું તમને આમ કરવાની આજ્ઞા કરું છું.

ગીતશાસ્ત્ર 114-115

જ્યારે ઇસ્રાએલીઓ વર્ષો પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
    તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
પછી યહૂદિયા દેવનું નવું ઘર
    અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
    યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
    અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.

અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
    યર્દન નદી, શું થયું તારા પાણીનું?
    શા માટે તમે પાછા હઠી ગયા?
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
    અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?

હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
    તું થરથર કાંપ.
તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.
    તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.

હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
    તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
    “તમારા દેવ ક્યાં છે?”
કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
    અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
તેઓના દેવો સોના ચાંદીના જ છે;
    તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
    તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
    પણ, તેઓ સૂંઘી શકતા નથી.
તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
    તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
    તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
    તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.

હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
    તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
    તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
    તે તમારા મદદગાર અને ઢાલ છે.

12 યહોવાએ આપણને સંભાર્યા છે,
    તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
    પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
    નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
    તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
    યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
    પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
    યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
    સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.

યહોવાની સ્તુતિ થાઓ!

યશાયા 51

યહોવાના લોકો અને દેવનો ભય

51 યહોવા કહે છે, “હે ન્યાયની અપેક્ષા રાખનારાઓ, મને પ્રાપ્ત કરવા ઇચ્છનારાઓ. મારુ કહ્યું સાંભળો! જે ખડકમાંથી તમને તોડી નાખવામાં આવ્યા છે તેનો ખ્યાલ કરો, જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે, તેનો વિચાર કરો. અને હા, તમારા પૂર્વજો ઇબ્રાહિમ અને સારાનો વિચાર કરો. મેં જ્યારે તેને બોલાવ્યો ત્યારે તેને એકે સંતાન નહોતું. મેં તેને આશીર્વાદ આપ્યા અને તે એકના અનેક થયા.”

યહોવા સિયોનને-એના ખંડેરમાં વસતા બધા લોકોને સાંત્વના આપવા માગે છે. તે તેની ઉજ્જડ થઇ ગયેલી ભૂમિને એદન જેવા ઉપવનમાં ફેરવી નાખશે. ત્યાં આનંદોત્સવ વ્યાપી જશે અને સ્તુતિનાં ગીતો સંભળાશે.

“હે મારા લોકો, મારી વાત ધ્યાનથી સાંભળો! હે મારી પ્રજા,
    મારી વાત કાને ધરો! કારણકે, હું મારો નિયમ પ્રજાઓને સંભળાવું છું, અને મારો ન્યાયચુકાદો તેમને પ્રકાશ આપશે.
હું તમને મુકિત આપવા આવી રહ્યો છું;
    મારો વિજય હાથવેંતમાં છે, હું પ્રજાઓ પર શાસન કરીશ;
તે દરિયા કિનારાના દેશો મારી વાટ જોશે,
    અને મારા આગમનની તેઓ આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરશે.
ઊંચે આકાશ તરફ જુઓ
    અને નીચે પૃથ્વી તરફ નજર કરો!
આકાશ ધુમાડાની જેમ અલોપ થઇ જશે,
    અને પૃથ્વી વસ્ત્રની જેમ ર્જીણ થઇ જશે,
અને તેના લોકો મચ્છરની જેમ મરી જશે.
    પરંતુ મારું તારણ સદાકાળ રહેશે,
    મારા ન્યાયનો ક્યારેય અંત નહિ આવે;
ધર્મને ઓળખનારાઓ, મારા નિયમોને હૈયે રાખનારાઓ,
    મારું કહ્યું સાંભળો!
લોકોના મહેણાં ટોણાંથી ગભરાશો નહિ,
    લોકનિંદાથી ડરશો નહિ,
માટે જેમ જીવાત કપડાંનો નાશ કરે છે
    અને કંસારી ઊનને કોતરી કાઢે છે.
તેમ તેઓનો નાશ થશે, પણ મારો ન્યાય સદાકાળ ટકી રહેશે
    અને મારું તારણ પેઢી દર પેઢી રહેશે.”

દેવનું સાર્મથ્ય તેના લોકોની રક્ષા કરે છે

હે યહોવાના બાહુ, જાગૃત થાઓ!
    ઊઠો અને સાર્મથ્યના વસ્ત્રો ધારણ કરો, પ્રાચીન કાળનાં,
સમયો પૂવેર્ જેમ જાગ્યા હતા તેમ જાગો.
    જેણે રાહાબને વીંધી નાખી તેના ટુકડા કરી નાખ્યા,
અને જેણે અજગરને વીંધ્યો,
    તે જ તું નથી?
10 જેણે સાગરને, તેનાં અગાધ જળને સૂકવી નાખ્યાં,
    જેણે તારણ પામેલાઓને પાર ઉતારવા માટે સાગરનાં
    ઊંડાણોમાં થઇને માર્ગ કરી આપ્યો, તે જ તું નથી?
11 હવે એવો સમય આવશે જ્યારે
    યહોવા દ્વારા ઉગારાયેલા સર્વ લોકો ફરીથી ગાતાં ગાતાં સિયોન પાછા આવશે.
તેઓ અનંત આનંદ તથા હર્ષથી ભરપૂર થશે;
    દુ:ખ તથા શોક સર્વ જતાં રહેશે.

12 યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું.
    ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી
    ભયભીત થવાનું શું કારણ છે?”

13 તમે તમારા સર્જનહાર યહોવાને ભૂલી ગયા છો,
    જેણે આ આકાશનો વિસ્તાર કર્યો છે
    અને પૃથ્વીનો પાયો નાખ્યો છે!
હજી તમે આખો વખત તમારો નાશ કરવા તૈયાર
    થયેલા જુલમગારના રોષથી શા માટે ફફડ્યા કરો છો?
એ જુલમગારનો રોષ
    તમને શું કરવાનો હતો?

14 જેઓ બંધનમાં છે તેઓ જલદીથી મુકત થશે,
    તેઓ કબરમાં મરવા નહિ પામે.
    તેમ તેમને કદી રોટલાની ખોટ નહિ પડે.

15 “હું તમારો દેવ યહોવા છું,
    હું સાગરને ખળભળાવીને ગર્જના કરતા મોજાં પેદાં કરું છું.”
    મારું નામ સૈન્યોના દેવ યહોવા છે.

16 “મેં આકાશને વિસ્તાર્યું છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે અને સિયોનના લોકોને કહ્યું છે કે, તમે મારી પ્રજા છો. મેં તમારા મોઢામાં મારી વાણી મૂકી છે અને મારા બાહુની છાયામાં તમને આશ્રય આપ્યો છે.”

દેવે ઇસ્રાએલને સજા કરી

17 હે યરૂશાલેમ જાગૃત થા, જાગૃત થા,
    તેં યહોવાને હાથે તેના રોષનો પ્યાલો પીધો છે,
તું એ પ્યાલો પૂરેપૂરો પી ગયો છે
    અને લથડે છે.

18 તારે પેટે જન્મેલા અને તે ઉછરેલા બધા પુત્રોમાંથી એકે એવો નથી જે તારો હાથ પકડી તને માર્ગ બતાવે. 19 વિનાશ અને પાયમાલી, દુષ્કાળ અને યુદ્ધ આ બે આફતો તારે માથે આવી છે ત્યારે કોણ તને દિલાસો આપે? કોણ તને હિંમત આપે?

20 કારણ કે તારા પુત્રો મૂછિર્ત થઇને શેરીઓમાં પડ્યા છે. તેઓ જાળમાં ફસાયેલા હરણાંની જેમ લાચાર થયેલા છે. તારા દેવનો પુણ્યપ્રકોપ તેમના પર પૂરેપૂરો ઊતર્યો છે.

21 માટે, તું જે ઘવાયેલી છે અને દ્રાક્ષારસ ન પીધાં છતાં લથડિયા ખાય છે.

22 પોતાના લોકોનો પક્ષ લેનાર તારા દેવ યહોવા એમ કહે છે કે, “જો, હું તારા હાથમાંથી મારા રોષનો પ્યાલો, તને લથડિયાં ખવડાવનારનો પ્યાલો લઇ લઉં છું, હવે તારે એ પીવો નહિ પડે. 23 હું તારા ત્રાસગારોના હાથમાં તે આપીશ, જેઓ તને કહેતાં હતાં કે, જમીન પર મોઢું નીચે કરીને સૂઇ જા કે, જેથી અમે તારા ઉપર થઇને જઇએ; તેં તારી પીઠને સપાટ જમીન જેવી અને તેમને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.”

પ્રકટીકરણ 21

નવું યરૂશાલેમ

21 પછી મેં એક નવું આકાશ અને એક નવી પૃથ્વી જોયાં. તે પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વી અદ્દશ્ય થયા હતા. હવે ત્યાં દરિયો ન હતો. અને મેં દેવ પાસેથી આકાશમાંથી નીચ આવતા પવિત્ર શહેરને જોયું. આ પવિત્ર શહેર નવું યરૂશાલેમ હતું. તેને તેના પતિના માટે શણગારવામાં આવેલ કન્યા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું.

મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે. દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”

તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”

રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ. તે વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરશે તે આ બધું પ્રાપ્ત કરશે અને હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”

સાત દૂતોમાંથી એકે આવીને મને કહ્યું, “આ તે દૂતો હતા જેઓની પાસે છેલ્લાં સાત અનર્થોથી ભરેલાં સાત પ્યાલાં હતા.” તે દૂતે કહ્યું કે, “મારી સાથે આવ. હું તને તે કન્યા, હલવાનની વહુ બતાવીશ.” 10 તે દૂતે મને આત્મા દ્ધારા ઘણા મોટા અને ઊંચા પહાડ પાસે લઈ ગયો. તે દૂતે મને પવિત્ર શહેર યરૂશાલેમ બતાવ્યું તે શહેર દેવ પાસેથી આકાશમાંથી બહાર નીચે આવી રહ્યું હતું.

11 તે શહેર દેવના મહિમા સાથે પ્રકાશતું હતું. તે અતિ મૂલ્યવાન કિંમતી પથ્થર યાસપિસ જેવું ચમકતું તેજ હતું. તે સ્ફટિકના જેવું નિર્મળ હતું. 12 તે શહેરને એક મોટી અને ઊંચી બાર દરવાજા વાળી દિવાલ હતી. દરેક દરવાજા પાસે બાર દૂતો હતા. દરેક દરવાજા પર ઈસ્ત્રાએલ પુત્રોના બાર કુળોનાં નામ લખેલા હતા. 13 ત્યાં પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા, અને પશ્વિમમાં ત્રણ દરવાજા હતા. 14 શહેરની દિવાલો બાર પાયાના પથ્થરો પર બંધાયેલી હતી. અને તે પથ્થરો પર હલવાનના બાર પ્રેરિતોનાં નામ હતાં.

15 તે દૂતે જેણે મારી સાથે વાત કરી. તેની પાસે માપ લેવા માટે સોનાની છડી હતી. તે દૂત પાસે તે શહેર, તેના દરવાજાઓ એને તેની દિવાલો માપવા આ છડી હતી. 16 તે શહેર ચોરસમાં બાંધવામાં આવ્યું હતું. તે દૂતે માપવાની છડી વડે શહેરને માપ્યું. તેની લંબાઇ તેની પહોળાઇ જેટલી હતી. તે શહેર 12,000 સ્ટેડીયા[a] લાંબુ, 12,000 સ્ટેડીયા પહોળું અને 12,000 સ્ટેડીયા ઊંચું હતું. 17 (તે દૂતે તેની દિવાલ માપી. તે 144 હાથ ઊંચીં લોકોના માપ પ્રમાણે હતી. તે માપનો ઉપયોગ દૂત કરતો હતો.) 18 તે દિવાલ યાસપિસની બનેલી હતી. તે શહેર નિર્મળ કાચના જેવું શુદ્ધ સોનાનું બનેલું હતું.

19 નગરની દિવાલમાં પાયાના પથ્થરોમાં દરેક જાતના કિંમતી પથ્થરો હતા. પ્રથમ પાયાનો પથ્થર યાસપિસ હતો, બીજો નીલમ હતો, ત્રીજો પાનું, ચોથો લીલમ હતો. 20 પાંચમો અકીક હતો, છઠો લાલ હતો. સાતમો પીળો તૃણમણિ હતો આઠમો પિરોજ હતો, નવમો પોખરાજ હતો. દશમો લસણિયો હતો. અગિયારમો શનિ હતો, બારમો યાકૂવ હતો. 21 ત્યાં બાર દરવાજા અને બાર મોતી હતાં, દરેક દરવાજો એક એક મોતીમાંથી બનાવ્યો હતો. તે શહેરની શેરી શુદ્ધ સોનામાંથી બનાવાઈ હતી. સોનું નિર્મળ કાચના જેવું હતું.

22 મેં શહેરમાં મંદિર જોયું નહિ કારણ કે તે પ્રભુ દેવ સર્વશક્તિમાન અને હલવાન (ઈસુ) એ જ મંદિર છે. 23 તે શહેર પર સૂર્યને કે ચંદ્રને પ્રકાશવાની જરૂર નથી. દેવનો મહિમા શહેરને પ્રકાશ આપે છે. તે હલવાન શહેરનો દીવો છે.

24 દુનિયાના લોકો તેના પ્રકાશમાં ચાલશે. પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ શહેરમાં લાવશે. 25 તે શહેરના દરવાજાઓ દિવસ દરમ્યાન કદાપિ બંધ રહેશે નહિ. કારણ કે ત્યાં રાત્રિ નથી. 26 સર્વ પ્રજાઓનું ગૌરવ અને સન્માન શહેરમાં લવાશે. 27 શહેરમાં કદાપિ અશુદ્ધ પ્રવેશ કરશે નહિ. જે વ્યક્તિ શરમજનક કાર્યો કરે છે અથવા જૂઠું બોલે છે તે આ શહેરમાં પ્રવેશ કરશે જ નહિ. ફક્ત તે જ લોકો જેઓનાં નામો હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International