M’Cheyne Bible Reading Plan
દાઉદના અંતિમ વચનો
23 દાઉદનાં અંતિમ વચનો આ છે:
“આ વચનો યશાઇનો પુત્ર દાઉદ તરફથી છે.
આ વચનો એ માંણસ તરફથી છે
કે જેને યાકૂબના દેવે રાજા તરીકે અભિષિકત કર્યો હતો,
જે ઇસ્રાએલનો મધુર ગાયક છે.
2 યહોવાનો આત્માં માંરા દ્વારા બોલે છે,
અને તેમનાં વચનો માંરા હોઠ ઉપર છે.
3 ઇસ્રાએલના દેવ માંરી સાથે બોલે છે.
ઇસ્રાએલના ખડકે મને કહ્યું કે,
‘જે ન્યાયપૂર્વક લોકો પર શાસન કરે છે.
જે રાજા દેવનો આદર કરીને રાજ કરે છે.
4 તે વ્યકિત પ્રભાતના તેજસ્વી પ્રકાશ
જેવો વાદળ વિનાની સવાર જેવો થશે;
વર્ષા પછી સૂર્યપ્રકાશથી ઊગી
નીકળતાં કૂમળા ઘાસ જેવો તે થશે.’
5 “દેવે માંરા કુળને મજબૂત અને સુરક્ષિત બનાવ્યું,
દેવે કરાર કર્યો છે જે અનંતકાળ રહેશે,
તે દરેક રીતે સુરક્ષિત છે.
દેવે મને વિજય અને મને જે કાંઇ જોઇએ તે આપશે.
તે માંરી બધી ઇચ્છાઓ
અને મહત્વકાંક્ષાઓ પરિપૂર્ણ કરશે.
6 “પરંતુ દુષ્ટ લોકો કાંટા જેવા છે;
કે જે કોઇને પણ તેઓના હાથમાં રાખવા ગમતાં નથી.
તેઓ તેમને ફેંકી દે છે.
7 જો કોઇ વ્યકિત તેમને અડવા જાય
તો લોખંડના લાકડાના ભાલાની જેમ વાગે છે.
એમને તો આગમાં ફેંકી દેવામાં આવશે.
અને સદંતર નાશ કરી દેવામાં આવશે.”
ત્રણ શૂરવીરો
8 દાઉદના સૈન્યના શ્રેષ્ઠ શૂરવીરોમાં પ્રથમ ત્રણ આ પ્રમાંણે છે:
પ્રથમ તાહખમોની યોશેબ-બાશ્શેબેથ, જે વીર-ત્રિપુટીનો નાયક હતો, એક યુદ્ધમાં એણે ભાલો ચલાવીને 800 માંણસોનો સંહાર કર્યો હતો.
9 દાઉદના ત્રણ શૂરવીર યોદ્ધાઓમાં બીજો દોદોનો પુત્ર આહોહીનો એલઆઝાર હતો. જે દાઉદ સાથેના ત્રણ શૂરવીરોમાંથી એક હતો, જ્યારે પલિસ્તાનીઓએ પડકાર કર્યો હતો. તેઓ લડાઇને સારું એકઠાં થયા હતા પણ ઇસ્રાએલીઓનું લશ્કર ભાગી ગયું હતું. 10 તે થાકી ગયો ત્યાં સુધી પલિસ્તીઓની સાથે લડ્યો છતાં પણ તેણે તરવાર હાથમાં પકડી રાખી હતી. તે દિવસે દેવે ઇસ્રાએલીઓને મહાન વિજય આપ્યો. એલઆઝારે પલિસ્તાનીઓને હરાવ્યા પછી ઇસ્રાએલીઓ દુશ્મન સૈનિકોના મૃતદેહો આગળથી ફકત લૂંટેલો માંલ લેવા ગયા.
11 ત્રીજો શૂરવીર સૈનિક આગીનો પુત્ર હારારનો શામ્માંહ હતો. એક વખત પલિસ્તીઓ લડવા માંટે એકઠાં થયા હતાં, ત્યાં મસૂરનું એક ખેતર હતું. પલિસ્તીઓથી ડરીને ઇસ્રાએલીઓ નાસી ગયાં હતાં. 12 પણ શામ્માંહ ખેતરની વચ્ચે ઊભો રહ્યો, ખેતરનું રક્ષણ કર્યુ અને પલિસ્તીઓને હરાવી દીધા. તે દિવસે પણ યહોવાએ મોટો વિજય અપાવ્યો હતો.
13 કાપણીના સમયે શરૂઆતમાં જયારે પલિસ્તીઓની એક ટુકડી રફાઈમની ખીણમાં હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ તે વખતે અદુલ્લામની ગુફામાં રહેતા દાઉદ સાથે જોડાયા.
14 બીજીવાર ત્યારે દાઉદ ગઢમાં રહેતો હતો. પલિસ્તી સૈનિકોની ટૂકડી બેથલેહેમમાં હતી. 15 દાઉદ ઝૂરવા લાગ્યો અને બોલી ઊઠયો, “આહ! બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને કોઈ લાવી આપે તો કેવું સારું!” 16 ત્યારે આ ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણીમાંથી પસાર થઈને કૂવામાંથી પાણી ખેંચ્યું અને દાઉદ પાસે લાવ્યાં. પણ દાઉદે તે પીવાની ના પાડી અને યહોવાની આગળ રેડી દીધું. 17 તે બોલ્યો, “ઓ યહોવા, આ હું કેવી રીતે પી શકું? એ તો માંરા માંટે પોતાના પ્રાણ સંકટમાં મૂકનાર આ ત્રણ શૂરવીરોનું લોહી પીધા બરાબર છે.”
અન્ય શૂરવીર યોદ્ધાઓ
18 યોઆબના ભાઈ સરૂયાનો પુત્ર અબીશાય ત્રણ શૂરવીરોમાં સૌથી વધારે શૂરવીર હતો. એક વખતે તેણે એકલા હાથે ત્રણસો માંણસોની સાથે યુદ્ધ કરી તેઓનો સંહાર કર્યો હતો. આ વીરતા ભરેલા કાર્યને લીધે આ ત્રણ શૂરવીરોમાં તે ખૂબ પ્રખ્યાત થયો. 19 તે પ્રખ્યાત હોવાથી તે તેઓમાંનો ન હોવા છતાં તેઓનો સરદાર બન્યો હતો.
20 યહોયાદાનો પુત્ર કાબ્સએલનો બનાયા પણ શૂરવીર પુરુષ હતો અને તેણે અનેક શૂરવીર કાર્યો કર્યા હતા. તેણે મોઆબના અરીએલના બે બળવાન પુત્રોને માંરી નાખ્યા હતા, અને એક દિવસે જ્યારે બરફ પડતો હતો, તેણે એક ખાડામાં ઊતરીને એક સિંહને માંર્યો હતો. 21 વળી પ્રચંડકાય એક મિસરીને પણ માંરનાર એ જ હતો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા ફકત એક લાકડી લઈને તેની સામે પહોંચી ગયો અને તેના હાથમાંથી ભાલો ઝૂંટવી લઈ તેના વડે જ તેને માંરી નાખ્યો. 22 બનાયા આવાં કાર્યોને લીધે જ પેલા ત્રણ શ્રેષ્ઠ શૂરવીરો જેટલું જ નામ મેળવ્યું. 23 તે ત્રીસ વીરો કરતાં પણ વધારે વિખ્યાત હતો, પણ તે ત્રણ વીરોમાંનો એક નહોતો. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો મુખ્ય અધિકારી બનાવ્યો હતો.
ત્રીસ શૂરવીરો
24 બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાંણે છે:
યોઆબનો ભાઈ અસાહેલ,
બેથલેહેમમાંથી દોદોનો પુત્ર એલ્હાનાન;
25 હરોદમાંથી શામ્માંહ અને અલીકા;
26 પાલટીમાંથી હેલેસ,
તકોઈમાંથી ઇકેકેશનો પુત્ર ઇરા,
27 અનાથોથમાંથી અબીએઝેર;
હુશાથમાંથી મબુન્નાય;
28 અહોહમાંથી સાલ્મોન;
નટોફાથમાંથી માંહરાય;
29 નટોફાથી બાઅનાહનો પુત્ર હેલેબ;
બિન્યામીન ગિબયાહમાંથી રીબાયનો પુત્ર ઇત્તાય;
30 પિરઆથોનમાંથી બનાયા;
ગાઆશના નાળામાંથી હિધ્રાય;
31 આર્બાથી અબીઆલ્બોન;
બાર્હુમીમાંથી આઝમાંવેથ;
32 શાઆલ્બોનમાંથી એલ્યાહબા;
યાશેનના પુત્રોમાંથી
યોનાથાન; 33 હારારથી શામ્માંહ, પુત્ર,
અરારમાંથી શારારનો પુત્ર અહીઆમ;
34 માંઅખાથીના પુત્ર અહાસ્બાય દીકરો
અલીફેલેટ અહીથોફેલ ગિલોનીનો દીકરો અલીઆમ;
35 કામેર્લમાંથી હેસ્રોઇ,
આર્બામાંથી પ્રાય.
36 સોબાહમાંથી નાથાનનો પુત્ર યિગઆલ;
ગાદમાંથી બાની;
37 આમ્નોનમાંથી સેલેક;
બએરોથમાંથી નાહરાય; નાહરાય સરૂયાના પુત્ર યોઆબનો શસ્ત્રવાહક હતો.
38 યિથામાંથી ઇરા અને ગારેબ,
39 ઊરિયા હિત્તી,
એમ બધા મળીને કુલ સાડત્રીસ માંણસો હતા.
દેવનો આશીર્વાદ વિશ્વાસથી ઉદ્દભવે છે
3 તમને ગલાતીઓના લોકોને ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુ વિષે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. પરંતુ તમે ઘણા મૂર્ખ હતા. તમે કોઈકનાથી છેતરાયા. 2 મને આ એક વાત કહો: તમે પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કર્યો? શું નિયમનું પાલન કરીને તમે આત્મા પામ્યા? ના! તમે આત્માને પામ્યા કારણ કે તમે સુવાર્તાને સાંભળી અને તેમા વિશ્વાસ કર્યો. 3 તમે આત્મા સાથેના તમારા ખ્રિસ્તમય જીવનની શરુંઆત કરી. હવે તમે તમારી શક્તિથી તેનું સાતત્ય જાળવવાનો પ્રયત્ન કરો છો? તે નરી મૂર્ખતા છે. 4 તમને ઘણી બાબતોનો અનુભવ થયો છે. શું તે બધો અનુભવ નિરર્થક થયો? હું આશા રાખું છું કે તે નિરર્થક નથી ગયો! 5 દેવે તમને આત્માનું દાન એટલે કર્યુ કે તમે નિયમને અનુસર્યા હતા? ના! શું દેવે તમારી વચ્ચે ચમત્કારો એટલા માટે કર્યા કે તમે નિયમને અનુસર્યા હતા? ના! દેવે તમને તેનો આત્મા આપ્યો છે અને તમારી વચ્ચે ચમત્કારો કર્યા છે કારણ કે તમે સુવાર્તા સાભળી છે અને તેમાં તમે વિશ્વાસ કર્યો.
6 પવિત્રશાસ્ત્ર ઈબ્રાહિમ વિષે આ જ કહે છે. “ઈબ્રાહિમે દેવમાં વિશ્વાસ રાખ્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો. આને કારણે ઈબ્રાહિમ દેવને યોગ્ય બન્યો.”(A) 7 તેથી તમારે જાણવું જોઈએ કે ઈબ્રાહિમના સાચા સંતાનો એ છે જેઓને વિશ્વાસ છે. 8 પવિત્રશાસ્ત્રએ જણાવ્યું છે કે ભવિષ્યમાં શું થશે. આ લખાણે જણાવ્યું કે દેવ બિનયહૂદી લોકોને તેઓના વિશ્વાસ થકી યોગ્યતા પ્રદાન કરશે. આ સુવાર્તા ઈબ્રાહિમને પહેલા જણાવેલ હતી, પવિત્રશાસ્ત્ર આમ કહે છે કે: “ઈબ્રાહિમ, પૃથ્વીના બધા લોકોને ધન્ય કરવા માટે દેવ તારો ઉપયોગ કરશે.”(B) 9 ઈબ્રાહિમે આ માન્યું. ઈબ્રાહિમ વિશ્વાસ કરતો હતો તેથી તે આશીર્વાદ પામ્યો. અને એ જ રીતે આજે પણ જે ઈબ્રાહિમની માફક વિશ્વાસીઓ છે તેઓ પણ આશીર્વાદ પામે છે. બધા જ લોકો ઈબ્રાહિમની માફક જેમને વિશ્વાસ છે તેમને ઈબ્રાહિમની જેમ આશીર્વાદ મળે છે.
10 પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા જે લોકો નિયમોનો આધાર લે છે તેઓ શાપિત છે. શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રો કહે છે કે, “જે દરેક વસ્તુ નિયમશાસ્ત્રમાં લખેલ છે, તે બધી જ વસ્તુઓ વ્યક્તિએ કરવી જોઈએ. જો તે કાયમ આજ્ઞાનું પાલન નહિ કરે તો તે શાપિત થશે.”(C) 11 તેથી એ સ્પષ્ટ છે કે નિયમ દ્વારા કોઈ પણ વ્યક્તિ દેવને યોગ્ય બની શકે નહિ. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, “જે વ્યક્તિ વિશ્વાસથી દેવને યોગ્ય છે તે વિશ્વાસથી જીવશે.”(D)
12 નિયમ વિશ્વાસનો ઉપયોગ નથી કરતો; તે જુદો માર્ગ અપનાવે છે. નિયમ કહે છે, “જે વ્યક્તિ આ વસ્તુઓ (નિયમ) ને અનુસરીને જીવવાની ઈચ્છા રાખે છે, જે નિયમ કહે છે તે તેણે કરવું જ જોઈએ.”[a] 13 નિયમે આપણને અભિશાપિત કર્યા છે. પરંતુ ખ્રિસ્તે આપણને તે શાપમાંથી મુક્ત કર્યા. તેણે આપણા સ્થાન બદલી નાખ્યા. ખ્રિસ્ત પોતે શાપિત થયો. પવિત્રશાસ્ત્રમાં લખ્યું છે કે, “જ્યારે વ્યક્તિનું શરીર વૃક્ષ ઉપર મૂકવામાં આવે (લટકે), ત્યારે તે શાપિત છે.”[b] 14 ખ્રિસ્તે આ કર્યુ જેથી દેવનો આશીર્વાદ બધા જ લોકોને પ્રદાન થાય, દેવે આ આશીર્વાદનું ઈબ્રાહિમને વચન આપ્યું હતું. ઈસુ ખ્રિસ્ત તરફથી આશીર્વાદ આવે છે. ઈસુ મૃત્યુ પામ્યો જેથી આપણને પવિત્ર આત્મા જેનું દેવે વચન આપ્યું હતું તે આપણને પ્રાપ્ત થાય. વિશ્વાસથી આપણને આ વચન પ્રાપ્ત થયું છે.
નિયમ અને વચન
15 ભાઈઓ અને બહનો, મને એક ઉદાહરણ આપવા દો: એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે માન્ય કરાર કરે તે વિષે વિચારો. એક વાર ને માન્ય કરાર કાયદેસરનો બને પછી, કોઈ પણ વ્યક્તિ ને માન્ય કરારને અટકાવી નથી શકતી. અથવા તેમાં કશો ઉમેરો કરી શક્તી નથી. 16 દેવે ઈબ્રાહિમ અને તેના વંશજને વચનો આપ્યા. દેવે ન હોતું કહ્યું કે, “તારા સંતાનોને.” (એનો અર્થ ઘણા લોકો થઈ શકે પરંતુ દેવે કહ્યું કે, “તારા સંતાનને.” આનો અર્થ માત્ર એક જ વ્યક્તિ; અને તે વ્યક્તિ ખ્રિસ્ત છે.) 17 હું આમ કહેવા માંગુ છું; દેવે જે કરાર ઈબ્રાહિમને આપ્યો, તે નિયમના આગમનના ઘણા પહેલા અધિકૃત બનાવાયો હતો. 430 વરસ પછી નિયમ ઉદભવ્યો. તેથી નિયમ કરારને છીનવી શકે નહિ, અને દેવ ઈબ્રાહિમને આપેલા વચનને બદલી શકે નહિ.
18 દેવે જે વચનો આપ્યાં હતાં તે નિયમને અનુસરવાથી આપણે મેળવી શકીશું? ના! જો આપણે તે વારસો નિયમને અનુસરવાથી મેળવી શકીશું, તો પછી તે દેવના વચનનું પરિણામ નથી. પરંતુ પોતાના વચનથી દેવે મુક્ત રીતે ઈબ્રાહિમને આશીર્વાદિત કર્યો.
19 તો નિયમ શા માટે હતો? લોકો જે ખરાબ કૃત્યો છે તે બતાવવા નિયમ આપવામાં આવ્યો હતો, જ્યાં સુધી ઈબ્રાહિમના વિશિષ્ટ વંશજ આવ્યો ત્યાં સુધી નિયમ ચાલુ રહ્યો. દેવનું આ વચન આ વંશજ (ખ્રિસ્ત) માટેનું હતું. દૂતો થકી નિયમનું પ્રદાન થયું હતું. દૂતોએ લોકોને નિયમ આપવા મૂસાનો મધ્યસ્થ[c] તરીકે ઉપયોગ કર્યો હતો. 20 પરંતુ જ્યારે એક જ પક્ષ છે, અને દેવ પણ એક જ છે ત્યારે મધ્યસ્થની જરૂર પડતી નથી.
મૂસાના નિયમને હેતુ
21 શું આનો અર્થ એવો થાય કે નિયમ દેવનાં વચનોથી વિરુંદ્ધ છે? ના! જો એવો નિયમ હોત કે જે લોકોને જીવન બક્ષી શકે, તો નિયમને અનુસરવાથી આપણે યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ. 22 પરંતુ આ સાચું નથી કારણ કે નિયમશાસ્ત્ર કહે છે કે, બધા જ લોકો પાપના બંધનથી બધાયેલા છે. પવિત્રશાસ્ત્ર આમ શા માટે કહે છે? તેથી કે જેથી વિશ્વાસ થકી લોકોને વચનનું પ્રદાન થઈ શકે. જે લોકોને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ છે તેઓને વચન આપવામાં આવ્યું છે.
23 આ વિશ્વાસ આવ્યો તે પહેલા, આપણે બધા નિયમના કેદી હતા. જ્યા સુધી દેવે આપણને વિશ્વાસનો આવી રહેલો માર્ગ ના બતાવ્યો, ત્યાં સુધી આપણે બધા મુક્ત ન હતા. 24 તેથી જ્યાં સુધી ખ્રિસ્ત ના આવ્યો, નિયમ આપણો બાળશિક્ષક હતો. ખ્રિસ્તના આવ્યા પછી, વિશ્વાસ દ્વારા આપણે દેવ સાથે ન્યાયી બની શકયા. 25 હવે વિશ્વાસનો માર્ગ આવ્યો છે. તેથી હવે આપણે નિમયની નીચે જીવતા નથી.
26-27 તમે બધા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા છો. તેથી તમે બધાએ ખ્રિસ્ત સાથે વસ્ત્રો પરિધાન કર્યા છે આ બતાવે છે કે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્વારા તમે બધાં દેવના બાળકો છો. 28 હવે યહૂદી અને બિનયહૂદિ વચ્ચે કોઈ તફાવત નથી. ગુલામ અને મુક્ત વ્યક્તિ વચ્ચે કોઈ નફાવત નથી. પુરુંષ અને સ્ત્રી વચ્ચે કોઈ તફાવત નથી. ખ્રિસ્ત ઈસુમાં બધાં એક સમાન છો. 29 તમે ખ્રિસ્તનાં છો તેથી ઈબ્રાહિમનાં સંતાન છો. દેવે ઈબ્રાહિમને આપેલા વચન થકી તમે બધા દેવના આશીર્વાદ પ્રાપ્ત કરો છો.
બાબિલનું સૈન્ય મિસર પર આક્રમણ કરશે
30 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી ઉચ્ચાર અને કહે કે, ‘યહોવા મારા માલિક કહે છે:
“‘આ બધી વસ્તુઓનો નખ્ખોદ જાજો!
“કેવો ભયંકર દિવસ આવી રહ્યો છે!”
3 તે દિવસ,
એટલે યહોવાનો દિવસ આવી પહોંચ્યો છે;
વાદળોથી ઘેરાયેલો દિવસ,
પ્રજાઓને માથે આફત ઉતારવાનો દિવસ!
4 એ દિવસે મિસરમાં
અને કોનો સંહાર થશે,
તેની સંપત્તિ લૂંટાઇ જશે
અને દેશ આખો ખેદાનમેદાન થઇ જશે.
5 “‘દેશમાં ભારે દુ:ખ થશે તેની સાથે જ કૂશના, પૂટના અને લૂદના તેમજ અરબસ્તાનના અને બાબિલના લોકો તેમ જ મિસર સાથે સંધિથી જોડાયેલા બીજા લોકો પણ યુદ્ધમાં માર્યા જશે.
6 “‘યહોવા મારા માલિકના આ વચન છે:
મિસરના સર્વ મિત્ર રાજ્યોનું પતન થશે
અને તેના સાર્મથ્યના અભિમાનનો અંત આવશે.
ઉત્તરમાં મિગ્દોલથી તે દક્ષિણમાં આસ્વાન સુધીના સર્વ
તરવારથી નાશ પામશે.
એમ યહોવા મારા માલિક જાહેર કરે છે.
7 તે તથા તેની સાથેના આસપાસના દેશો ઉજ્જડ થશે અને તેના નગરો તથા તેની આજુબાજુના નગરો ખંડિયેર થઇ જશે.
8 હું મિસરને આગ ચાંપીશ
અને તેના બધા ટેકેદારોનો નાશ કરી નાખીશ,
ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.
9 “‘જ્યારે એ દિવસ આવશે અને મિસરનો નાશ થયો હશે ત્યારે હું વહાણોમાં ખેપિયાઓ મોકલીને નિશ્ચિંત જીવે વસતા કૂશના વતનીઓને ચેતવીશ અને તેઓ ભયભીત થઇ જશે. એ દિવસ આવી રહ્યો છે!’”
10 યહોવા મારા માલિકના આ વચન છે:
“હું બાબિલના રાજા નબૂખાદરેસ્સારને હાથે
મિસરની પ્રજાનો અંત આણીશ.
11 તે અને તેની ઘાતકી સેના આવીને દેશને ખેદાન-મેદાન કરી નાખશે.
તેઓ મિસર સામે તરવાર ચલાવશે
અને આખો દેશ મૂડદાંથી છવાઇ જશે.
12 હું નાઇલ નદીને સૂકવી નાખીશ
અને મિસરને બદમાશોને સોંપી દઇશ.
હું પરદેશીઓને હાથે આખા દેશને વેરાન બનાવી દઇશ.
આ હું યહોવા બોલ્યો છું.”
મિસરની મૂર્તિઓનો નાશ કરવામાં આવશે
13 યહોવા મારા માલિકના આ વચન છે:
“હું મેમ્ફિસની મૂર્તિઓનો
અને પૂતળાંઓનો નાશ કરીશ.
મિસરમાં કોઇ રાજકર્તા નહિ રહે.
આખા દેશમાં ભય વ્યાપી જશે.
14 હું પાથોર્સને વેરાન બનાવી દઇશ
અને સોઆનને આગ ચાંપીશ
અને નોનોને સજા કરીશ.
15 હું મિસરના સૌથી મજબૂત કિલ્લાઓ પર મારો રોષ ઠાલવીશ
અને નોફની જાહોજલાલી અને પાપનો નાશ કરીશ.
16 હું મિસરને આગ ચાંપીશ
અને પાપનું નગર ભયથી થરથરી ઊઠશે.
નોફની દિવાલમાં ગાબડાં પડશે અને,
મેમ્ફિઓના દુશ્મનો તેમને રાતદિવસ હેરાન કરશે.
17 આવેનના તથા પી-બેસેથના યુવાનો તરવારથી માર્યા જશે
અને બાકીના લોકોને ગુલામ તરીકે લઇ જવામાં આવશે.
18 જે દિવસે હું મિસરની સત્તાને તોડી પાડીશ અને જે બળ ઉપર એ અભિમાન કરે છે
તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઇ જશે
અને આખા મિસર પર વાદળ ઘેરાશે,
અને ત્યાંનાં બધા નગરોના વતનીઓ કેદ પકડાશે.
19 હું જ્યારે મિસરનું આવું કરીશ ત્યારે
તે લોકોને ખબર પડશે કે હું યહોવા છું.”
મિસર કાયમ માટે દુર્બળ થશે
20 યહોયાકીન રાજાને બંદીવાન થયાના અગિયારમાં વર્ષના પહેલા મહિનાના સાતમા દિવસે મને યહોવા તરફથી આ સંદેશો મળ્યો: 21 “હે મનુષ્યના પુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. કોઇએ એને પાટો બાંધ્યો નથી કે એને ઝોળીમાં નથી મૂક્યો, જેથી તે તરવાર પકડવા જેટલી શકિત ફરીથી મેળવે.”
22 તેથી યહોવા મારા માલિક, કહે છે, કે “હું મિસરના રાજા ફારુનની વિરુદ્ધ છું. હું એનો સાજો અને પહેલાં મેં ભાંગેલો એમ બંને હાથ ભાંગી નાખનાર છું. અને તેના હાથમાંથી તરવાર પડી જશે. 23 હું મિસરીઓને બીજી પ્રજાઓમાં અને વિદેશીઓમાં વેરવિખેર કરી નાખીશ. 24 ત્યાર બાદ હું બાબિલના રાજાના હાથ મજબૂત કરીશ અને તેમાં મારી તરવાર પકડાવીશ. પણ મિસરના રાજાના હાથ હું ભાંગી નાખીશ અને તે પોતાના દુશ્મનો સામે વધ થયેલા માણસની જેમ ચીસો પાડતો રહેશે.
25 “હું જરૂર બાબિલના રાજાના હાથ બળવાન બનાવીશ, પણ ફારુનના હાથ નબળાં પડી જશે, હું બાબિલના રાજાના હાથમાં મારી તરવાર આપીશ અને તે મિસર તરફ તેને લંબાવશે ત્યારે સૌને ખાતરી થશે કે હું યહોવા છું. 26 હું મિસરવાસીઓને બીજી પ્રજાઓમાં અને અન્ય દેશોમાં વિખેરી નાખીશ, અને ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”
38 તેમ છતા તેમણેં દયા દર્શાવી,
તેઓનાં પાપોની ક્ષમા આપી, નાશ ન કર્યો;
તેમણે ઘણીવાર ક્રોધ સમાવી દીધો;
અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
39 યહોવાએ સંભાર્યુ કે તેઓ કેવળ ક્ષુદ્ર છે;
અને એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
40 તેઓએ વર્ષો દરમ્યાન કેટલીવાર રણમાં યહોવા વિરુદ્ધ બંડ કર્યું;
અને રાનમાં દુ:ખી તેમને કર્યા.
41 વારંવાર તેઓએ દેવની કસોટી કરી
અને તેઓએ ઇસ્રાએલના પવિત્ર યહોવાને દુ:ખી કર્યા.
42 તેઓ દેવનાં મહાન સાર્મથ્યને ભૂલી ગયા,
તથા તેમણે શત્રુઓથી તેઓને બચાવ્યાં હતાં, તે ભૂલી ગયાં.
43 યહોવાએ મિસરમાં ચમત્કારિક ચિન્હો
અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.
44 તેણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને
લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ પી ન શકે.
45 તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, અને જે તેઓને કરડ્યા,
અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
46 તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી હતી,
ને તેઓનો બધો જ પાક તીડો ખાઇ ગયા હતા.
47 તેમણે તેઓની દ્રાક્ષવાડીઓ,
કરાથી તથા હિમથી તેઓના ગુલ્લરઝાડોનો નાશ કર્યો હતો.
48 તેઓના ઢોરઢાંખર પર આકાશમાંથી મોટાં કરાનો માર પડ્યો,
અને ઘેટાનાં ટોળાઁ પર વીજળીઓ પડી.
49 દેવે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમનો રોષ, ગુસ્સો અને તિરસ્કાર;
તેઓની વિરુદ્ધ નાશ કરનારા દૂતોની માફક મોકલ્યા.
50 તેમણે પોતાના કોપ માટે રસ્તો ખૂલ્લો કર્યો;
અને મિસરવાસીઓના જીવન બચાવ્યાં નહિ,
પણ તેઓને વિપત્તિ તથા માંદગીને સોંપી દીધા.
51 પછી તેણે સર્વ પ્રથમ, મિસરમાં સર્વ પ્રથમ જનિતને મારી નાખ્યાઁ;
હામના પ્રથમ જનિત નર બાળકોને તંબુઓમાં માર્યા.
52 પરંતુ તે પોતાના લોકોને ઘેટાઁનાં ટોળાઁની જેમ બહાર લાવ્યાં;
અને રણમાં થઇને તેઓને સુરક્ષિત ચલાવ્યા.
53 તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યા
કે તેઓ બીધા નહિ,
પરંતુ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
54 તેણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં,
ડુંગરોવાળા દેશ તરફ જે તેઓએ તેમની શકિતથી લીધો હતો તેમા ચાલતાં કર્યા.
55 અને તેમણે અન્ય રાષ્ટ્રોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા.
ઇસ્રાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.
56 છતાં ત્યારે પણ, તેઓએ પરાત્પર દેવની કસોટી કરવાનું
અને તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓનું અનુસરણ કરવાનો ઇન્કાર કર્યો.
57 તેઓ દેવ પાસેથી દૂર થયા.
તેઓ તેમનાં પૂર્વજોની જેમ દેવને અવિનયી થયાં.
ફેંકનાર[a] તરફ પાછા ફરતાં,
વાંકા શસ્રની જેમ તેઓ પૂર્વજોની જેમ દિશા બદલતા હતા.
58 તેઓએ ઉચ્ચાસ્થાનો બનાવીને
અને જૂઠાં દેવોની મૂર્તિથી દેવને ગુસ્સે કર્યા.
59 જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો,
અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.
60 પછી માણસો મધ્યે તે નિવાસ કરતા;
એ શીલોહના મંડપનો તેમણે ત્યાગ કર્યો.
61 દેવે બીજા લોકોને પોતાના લોકોને પકડવાં દીધા.
દુશ્મનોએ દેવનું “ગૌરવ રત્ન” લઇ લીધું.
62 તેમણે પોતાના લોકોનો સંહાર થવા દીધો, કારણકે,
તેમનો ક્રોધ અતિ વધારે હતો.
63 તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યાં;
અને તેઓની કન્યાઓ તેઓનાં લગ્નગીતો ગવાય તે પહેલાં જ મૃત્યુ પામી.
64 યાજકોનો વધ થયો અને તેઓની વિધવાઓ
તેઓ માટે રૂદન કરે તે પહેલાં તેઓ પણ મૃત્યુ પામી.
65 ત્યારે ઊંઘમાંથી કોઇ જાગે, તેમ,
તથા દ્રાક્ષારસમાંથી શૂરવીર પુરૂષને શૂરાતન આવે તેમ યહોવા ઊઠયા.
66 તે તેમના શત્રુઓ તરફ ઢળ્યા, તેમણે તેઓને પાછા વાળ્યા
અને તેઓને કાયમ માટે હિણપદ કર્યા.
67 દેવે યૂસફના પરિવારનો અસ્વીકાર કર્યો,
અને એફાઇમના પરિવારનો પણ સ્વીકાર કર્યો નહિ.
68 પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા
તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.
69 ત્યાં તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી
પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.
70 તેમણે ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને
પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
71 જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો,
યાકૂબનાં સંતાન અને ઇસ્રાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુકત કર્યો.
72 દાઉદે તેમને શુદ્ધ હૃદયથી
અને કૌશલ્ય સભર શાણપણથી દોર્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International