Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 148-150

યહોવાની સ્તુતિ કરો!

આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
    ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
    તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
    સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
    આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
    કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
    તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
    આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
તમે પર્વતો તથા ડુંગરો;
    ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
    પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
    તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
    વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
    કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
    તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
    તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.

યહોવાની સ્તુતિ કરો!

તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
    સંતોની સભામાં તેની સ્તુતિ કરો.
ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો;
    સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.
તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
    ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.
કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે;
    અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.
તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે;
    પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.

તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ;
    અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
તેઓ બીજા રાષ્ટ્રોને સજા કરે
    અને તેમને પાઠ ભણાવે.
તેઓના રાજાઓને અને આગેવાનોને;
    લોખંડની સાંકળોથી બાંધે.
અને તેઓને દેવના ચુકાદા મુજબ તેઓ સજા કરે!
    યહોવા તેમના બધાં સંતોનો આદર છે.

યહોવાની સ્તુતિ કરો.

યહોવાની સ્તુતિ કરો!

તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
    તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
    તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
    સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
    સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
    ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!

શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!

તમે સૌ યહોવાની સ્તુતિ કરો!

ગીતશાસ્ત્ર 114-115

જ્યારે ઇસ્રાએલીઓ વર્ષો પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
    તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
પછી યહૂદિયા દેવનું નવું ઘર
    અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
    યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
    અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.

અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
    યર્દન નદી, શું થયું તારા પાણીનું?
    શા માટે તમે પાછા હઠી ગયા?
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
    અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?

હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
    તું થરથર કાંપ.
તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.
    તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.

હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
    તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
    “તમારા દેવ ક્યાં છે?”
કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
    અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
તેઓના દેવો સોના ચાંદીના જ છે;
    તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
    તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
    પણ, તેઓ સૂંઘી શકતા નથી.
તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
    તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
    તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
    તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.

હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
    તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
    તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
    તે તમારા મદદગાર અને ઢાલ છે.

12 યહોવાએ આપણને સંભાર્યા છે,
    તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
    પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
    નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
    તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
    યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
    પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
    યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
    સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.

યહોવાની સ્તુતિ થાઓ!

નિર્ગમન 18:1-12

મૂસાને તેના સસરાની સલાહ

18 મૂસાના સસરા યિથ્રો મિધાનમાં યાજક હતા. દેવે મૂસા અને ઇસ્રાએલના લોકોને જે અનેક પ્રકારે સહાય કરી હતી, તે બાબતમાં તથા જે રીતે તે ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર લાવ્યા હતા તે બાબતમાં સાંભળ્યું. તેથી મૂસા જ્યારે દેવના પર્વત પાસે છાવણી નાખીને રહ્યો હતો, ત્યારે યિથ્રો મૂસા પાસે ગયો. અને તેની સાથે મૂસાની પત્ની સિપ્પોરાહ ને લાવ્યો, જેને પહેલા મૂસાએ તેમના બે પુત્રો સાથે યિથ્રો પાસે મોકલાવેલ હતા. યિથ્રો મૂસાના બે પુત્રોને સાથે લાવ્યો હતો. પ્રથમ પુત્રનું નામ ગેર્શોમ હતું; કારણ તે જન્મ્યો ત્યારે મૂસાએ કહ્યું કે, “હું પરદેશમાં અજાણ્યો છું.” બીજા પુત્રનું નામ અલીએઝેર હતું. કારણ કે મૂસાએ કહ્યું હતું કે, “માંરા પિતાના દેવે મને મદદ કરીને ફારુનની તરવારથી ઉગાર્યો હતો.” એટલા માંટે યિથ્રો મૂસાની પત્ની અને પુત્રને લઈને રણમાં દેવના પર્વત આગળ જયાં મૂસાએ છાવણી નાખીને મુકામ કર્યો હતો ત્યાં આવ્યો.

તેના સસરા યિથ્રોએ મૂસાને સંદેશો મોકલ્યો કે, “હું તમાંરો સસરો યિથ્રો છું અને તમાંરી પત્ની અને બે પુત્રોને તમાંરી પાસે લાવું છું.”

એટલા માંટે મૂસા તેના સસરાને મળવા સામો ગયો અને પ્રણામ કરીને ચુંબન કર્યુ. બંનેએ પરસ્પર એકબીજાને ક્ષેમકુશળતાના સમાંચાર પૂછયા. પછી તેઓ મૂસાની છાવણીમાં વધારે વાતો કરવા માંટે ગયા. ત્યાં મૂસાએ પોતાના સસરા યિથ્રોને યહોવાએ ઇસ્રાએલના લોકો માંટે ફારુન અને મિસરના લોકોના જે હાલ કર્યા હતા તથા ઇસ્રાએલના લોકોને માંર્ગમાં જે જે વિંટંબણાઓનો સામનો કરવો પડયો હતો અને યહોવાએ તે લોકોને કેવી રીતે ઉગાર્યા હતા, તે બધું કહી સંભળાવ્યું.

યહોવાએ ઇસ્રાએલના લોકોને મિસરના લોકોના હાથમાંથી છોડાવીને તેમના પર જે ઉપકાર કર્યો હતો તે જાણીને યિથ્રો ખૂબ પ્રસન્ન થયો. 10 અને યિથ્રોએ કહ્યું,

“યહોવાની સ્તુતિ કરો,
    જેણે ઇસ્રાએલી લોકોને મિસર વાસીઓના
    અને ફારુનના હાથમાંથી છોડવ્યા છે!
11 હવે મને ખાતરી થઈ છે કે, યહોવા, બધા દેવોમાં મહાન છે;
કારણ કે મિસરવાસીઓએ તમાંરી સાથે ગેરવર્તાવ રાખ્યો ત્યારે તમને સૌને એમના હાથમાંથી છોડાવ્યા.”

12 પછી મૂસાના સસરા યિથ્રોએ દેવને યજ્ઞો અને દહનાર્પણો ચઢાવ્યાં, અને હારુન ઇસ્રાએલના સર્વ વડીલોને સાથે લઈને દેવ સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માંટે આવ્યો.

1 યોહાન 2:7-17

દેવે બીજા લોકોને પ્રેમ કરવા આપણને આજ્ઞા કરી છે

મારા વહાલા મિત્રો, હું તમને નવી આજ્ઞા લખતો નથી. જે તમને શરુંઆતથી આપવામાં આવી છે તે એ જ આજ્ઞા છે. જે વચન તમે સાંભળ્યું છે તેની તે જ આ આજ્ઞા છે. પણ હું આ નવી આજ્ઞા તરીકે તમને લખું છું. આ આજ્ઞા સત્ય છે. તમે તેનું સાચાપણું ઈસુમાં અને તમારી જાતમામ જોઈ શકશો. અંધકાર દુર જઈ રહ્યો છે અને ખરો પ્રકાશ આ સમયે હમણા પ્રકાશી રહ્યો છે.

કોઈ વ્યક્તિ કહે છે કે, “હું પ્રકાશમાં છું,” પણ જો તે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે, તો પછી તે હજુ અંધકારમાં જ છે. 10 જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરે છે તો તે પ્રકાશમાં જીવે છે, અને તે વ્યક્તિમાં એવું કશું નથી જેથી તે ખોટું કરી શકે. 11 પરંતુ જે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે તે અધંકારમાં છે. તે અધંકારમાં જીવે છે. તે વ્યક્તિ જાણતો નથી કે તે ક્યાં જાય છે. શા માટે? કારણ કે અંધકારે તેને આધળો બનાવી દીધો છે.

12 વહાલા બાળકો, હું તમને લખું છું,
    કારણ કે તમારાં પાપો ખ્રિસ્ત દ્વારા માફ કરવામાં આવ્યાં છે.
13 પિતાઓ, હું તમને લખું છું
    કારણ કે આરંભથી તમે તે કોણ છે તે જાણો છો,
જુવાનો, હું તમને લખું છુ,
    કારણ કે તમે દુષ્ટ વ્યક્તિ (શેતાન) પર વિજય મેળવ્યો છે.
14 બાળકો હું તમને લખું છું,
    કારણ કે તમે પિતાને ઓળખો છો.
પિતાઓ, મેં તમને લખ્યું છે
    કારણ કે જે આરંભથી ત્યાં હતો
તેને તમે ઓળખો છો. જુવાનો, મે તમને લખ્યું છે.
    કારણ કે તમે બળવાન છો;
દેવનું વચન તમારામાં છે,
    અને તમે દુષ્ટ વ્યક્તિ પર વિજય મેળવ્યો છે.

15 જગત પર અથવા જગતમાંના વાનાં પર પ્રેમ ના રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે છે, તો તેનામાં બાપ પરનો પ્રેમ નથી. 16 જગતમાં આ દુષ્ટ વસ્તુઓ છે આપણા પાપી સ્વભાવને પ્રસન્ન કરવા માટેની ઈચ્છા, આંખોની લાલસા માટેની ઈચ્છા, આપણી સંપત્તિનું ખૂબ અભિમાન હોવું, આ બધું બાપ (દેવ) પાસેથી આવતું નથી, આ સર્વ જગતમાંથી આવે છે. 17 જગત અને દુનિયાની જે બધી વસ્તુઓ લોકો ઈચ્છે છે તેનો પણ લય થશેજ. પરંતુ જે વ્યક્તિ દેવની ઈચ્છા પ્રમાણે કરે છે તે અનંતકાળ જીવે છે.

માર્ક 16:9-20

કેટલાક શિષ્યો ઈસુને જુએ છે

(માથ. 28:9-10; યોહ. 20:11-18; લૂ. 24:13-35)

ઈસુ અઠવાડિયાના પ્રથમ દિવસે મૂએલામાંથી ઊઠ્યો. ઈસુએ પોતાની જાતે પ્રથમ મરિયમ મગ્દાલાને દર્શન આપ્યા. એક વખત ભૂતકાળમાં ઈસુએ મરિયમમાંથી સાત અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા હતા. 10 મરિયમે ઈસુને જોયા પછી તેના શિષ્યોને જઇને તેણે કહ્યું, તેના શિષ્યો ઘણા દુ:ખી હતા. અને રૂદન કરતા હતા. 11 પણ મરિયમે તેઓને કહ્યું કે ઈસુ જીવતો છે. મરિયમે કહ્યું કે તેણે ઈસુને જોયો છે. પણ શિષ્યો તેનું માનતા નહોતા.

12 પાછળથી ઈસુએ પોતાના દર્શન આપ્યા. જ્યારે શિષ્યો પોતાના ખેતરમાં ચાલતા જતા હતા ત્યારે થોડા સમય પછી ઈસુએ પોતાની જાતે તે લોકોને દર્શન આપ્યા. પરંતુ ઈસુ મરણ પામતા પહેલા જેવો દેખાતો નહોતો.

13 આ શિષ્યો બીજા શિષ્યો પાસે પાછા ગયા અને જે બન્યું હતુ તે તેમને કહ્યું. ફરીથી શિષ્યોએ એમાનું કોઈનું પણ માન્યું નહિ.

ઈસુ પ્રેરિતો સાથે વાત કરે છે

(માથ. 28:16-20; લૂ. 24:36-49; યોહ. 20:19-23; પ્રે.કૃ. 1:6-8)

14 પાછળથી ઈસુએ પોતાની જાતે અગિયાર શિષ્યો જ્યારે તેઓ ખાતા હતા, ત્યારે દર્શન દીધા. ઈસુએ શિષ્યોને ઠપકો આપ્યો, કારણ કે તેઓને ઓછો વિશ્વાસ હતો. તેઓ કઠણ હૃદયના હતા. અને જે લોકોએ ઈસુને મૂએલામાંથી સજીવન થયેલો જોયો તેઓનું માનવા તેઓ તૈયાર નહોતા.

15 ઈસુએ શિષ્યોને કહ્યું, “દુનિયામાં દરેક જગ્યાએ જાઓ, પ્રત્યેક વ્યક્તિને સુવાર્તા કહો. 16 જે કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તે તારણ પામશે. પરંતુ જે વ્યક્તિ વિશ્વાસ ધરાવતી નથી તે ગુનેગાર ગણાશે. 17 અને જે લોકો વિશ્વાસ કરે છે તેઓ સાબિતી તરીકે આવા પ્રકારના ચમત્કારો કરવા સમર્થ થશે. તેઓ લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢવા મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કદી શીખ્યા નથી તેવી ભાષાઓમાં બોલશે. 18 ઈજા પામ્યા વગર તેઓ સર્પોને તેમના હાથમાં પકડશે. ઇજા વગર વિષપાન કરશે. તેઓ બિમાર લોકો પર હાથ મૂકશે અને બિમાર લોકો સાજા થશે.”

સ્વર્ગારોહણ

(લૂ. 24:50-53; પ્રે.કૃ. 1:9-11)

19 પ્રભુ ઈસુએ શિષ્યોને આ વાતો કહ્યા પછી, તેને આકાશમાં લઈ લેવાયો. ત્યાં ઈસુ દેવની જમણી બાજુએ બેઠો. 20 તેના શિષ્યો જગતમાં દરેક જગ્યાએ ગયા અને લોકોને સુવાર્તા પ્રગટ કરી. અને પ્રભુએ તેઓને મદદ કરી. પ્રભુએ સિદ્ધ કર્યુ કે તેણે લોકોને આપેલ સુવાર્તા સાચી હતી. તેણે શિષ્યોને ચમત્કારો કરવાનું સામર્થ્ય આપીને આ સાબિત કર્યુ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International