New Testament in a Year
ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે
27 “હવે હું ઘણો વ્યાકુળ થયો છું. મારે શું કહેવું જોઈએ? મારે એમ કહેવું, ‘પિતા, મને આ વિપત્તિના સમયમાંથી બચાવ?’ ના! હું આ વખતે આના માટે જ આવ્યો છું તેથી મારે દુ:ખ સહેવું જોઈએ. 28 પિતા, તારા નામનો મહિમા થાઓ!”
પછીથી એક વાણી આકાશમાંથી આવી, “મેં તેના નામનો મહિમા કર્યો છે. હું ફરીથી તે કરીશ.”
29 ત્યાં ઊભેલા લોકોએ તે વાણી સાંભળી. પેલા લોકોએ કહ્યું, તે ગર્જના હતી.
પણ બીજા લોકોએ કહ્યું, “એક દૂતે ઈસુ સાથે વાત કરી!”
30 ઈસુએ લોકોને કહ્યું, “તે વાણી તમારા માટે હતી મારા માટે નહિ. 31 હવે જગતનો ન્યાય કરવાનો સમય છે. હવે આ જગતનો શાસક (શેતાન) બહાર ફેંકાઇ જશે. 32 મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે અને જ્યારે આ બનશે ત્યારે હું બધા લોકોને મારી તરફ ખેંચીશ.” 33 ઈસુએ પોતાનું મૃત્યુ કેવી રીતે થશે તે દર્શાવવા આ કહ્યું.
34 લોકોએ કહ્યું, “પરંતુ આપણો નિયમ કહે છે કે ખ્રિસ્ત સદાકાળ જીવશે. તેથી તું શા માટે કહે છે કે, ‘માણસના દીકરાને ઊંચો કરાવવો જોઈએ?’ આ માણસનો દીકરો કોણ છે?”
35 પછી ઈસુએ કહ્યું, “ફક્ત થોડા વધુ સમય માટે તમારી સાથે પ્રકાશ રહેશે. જ્યાં સુધી તમારી સાથે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં ચાલો, તો પછી અંધકાર (પાપ) તમને પકડશે નહિ. જે વ્યક્તિ અંધકારમાં ચાલે છે તે જાણતી નથી કે તે ક્યાં જાય છે. 36 તેથી જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ હોય ત્યાં સુધી તમારો વિશ્વાસ પ્રકાશ પર રાખો. પછી તમે પ્રકાશના દીકરા બનશો.” જ્યારે ઈસુએ આ વાતો કહેવાનું પૂર્ણ કર્યુ ત્યારે તે વિદાય થયો. ઈસુ એવી જગ્યાએ ગયો જ્યાં લોકો તેને શોધી શકે નહિ.
યહૂદિઓએ ઈસુમાં વિશ્વાસ કરવાની ના પાડી
37 ઈસુએ ઘણા ચમત્કારો કર્યા. લોકોએ આ બાબતો જોઈ. પણ તેઓએ હજુ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ. 38 તે સંપૂર્ણ રીતે સમજાવવા યશાયા પ્રબોધકે કહ્યું:
“પ્રભુ, અમે તેઓને જે કહ્યું છે તેને કોણે માન્યું છે?
પ્રભુની સત્તા કોણે જોઈ છે?” (A)
39 આના કારણે જ લોકો વિશ્વાસ કરી શક્યા નહિ. કારણ કે યશાયાએ વળી કહ્યું હતુ કે,
40 “દેવે લોકોને આંધળા બનાવ્યા.
દેવે તેમનાં મન જડ કર્યા દેવે
આ કર્યુ તેથી કરીને તેઓ પોતાની આંખોથી આ જોઈ શકે નહિ
અને તેમના મનથી સમજે નહિ. રખેને હું તેઓને સાજા કરું.” (B)
41 યશાયાએ આ કહ્યું કારણ કે તેણે તેનો (ઈસુનો) મહિમા જોયો. તેથી યશાયા તેના (ઈસુ) વિષે બોલ્યો.
42 પરંતુ ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. ઘ્ૅંણા યહૂદિ આગેવાનોએ પણ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. પરંતુ તેઓ ફરોશીઓથી બીતા હતા. તેથી તેઓ જાહેરમાં કહી શકતા નહોતા કે તેઓએ વિશ્વાસ મૂક્યો છે. તેઓને ભય હતો કે તેઓ તેમને કદાય સભાસ્થાનમાંથી કાઢી મૂકે. 43 આ માણસો દેવ તરફથી થતી પ્રસંશા કરતાં માણસો તરફથી થતી પ્રસંશાને વધારે ચાહતા હતા.
ઈસુનો બોધ લોકોનો ન્યાય કરશે
44 પછી ઈસુએ મોટા સાદે કહ્યું, “જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેણે ખરેખર જેણે (દેવે) મને મોકલ્યો છે તેનામાં પણ વિશ્વાસ કરે છે. 45 જે વ્યક્તિ મને જુએ છે તે ખરેખર જેણે મને મોકલ્યો છે તેને જુએ છે. 46 હું પ્રકાશ છું અને હું આ જગતમાં આવ્યો છું. હું આવ્યો છું જેથી કરીને પ્રત્યેક વ્યક્તિ જે મારામાં વિશ્વાસ કરે છે તે અંધકારમાં રહે નહિ.
47 “હું જગતમાં લોકોનો ન્યાય કરવા આવ્યો નથી. હું જગતના લોકોને બચાવવા માટે આવ્યો છું. તેથી જે લોકો મારી વાતોને સાંભળે છે પણ પાલન કરતા નથી તેનો ન્યાય જે કરે છે તે હું નથી. 48 જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરવાની ના પાડે છે જે કહું છું તેનો સ્વીકાર કરતાં નથી તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તે વ્યક્તિનો ન્યાય કરશે. 49 શા માટે? કારણ કે આ વાતો મારી પોતાની નથી. પિતાએ જેણે મને મોકલ્યો છે તેણે શું કહેવું અને શું શીખવવું તે મને કહ્યું છે. 50 પિતા જે આજ્ઞા કરે છે તેમાંથી અનંતજીવન આવે છે તે હું જાણું છું, તેથી હું જે કઈ કહું છું તે પિતાએ મને કહ્યું છે તે જ હું કહું છું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International