Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
લૂક 20:1-26

યહૂદિ આગેવાનો ઈસુને પ્રશ્ર પૂછે છે

(માથ. 21:23-27; માર્ક 11:27-33)

20 એક દિવસ ઈસુ મંદિરમાં હતો. તે લોકોને બોધ આપતો હતો. ઈસુ દેવના રાજ્ય વિષેની સુવાર્તા લોકોને કહેતો હતો. ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વૃદ્ધ યહૂદિ આગેવાનો પણ ઈસુ સાથે વાત કરવા આવ્યા. તેઓએ કહ્યું કે, “અમને કહે! કયા અધિકારથી તું આ વસ્તુઓ કરે છે? આ અધિકાર તને કોણે આપ્યો?”

ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું પણ તમને એક પ્રશ્ર પૂછીશ; મને કહો; જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે આકાશમાંથી આવ્યું હતુ કે માણસોમાંથી?”

યાજકો, શાસ્ત્રીઓ, યહૂદિ આગેવાનો બધા આ અંગે વાતો કરવા લાગ્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા. “જો આપણે ઉત્તર આપીશું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવથી થયુ હતુ તો એ કહેશે, તો તમે શા માટે યોહાનને માનતા નથી?’ પણ જો આપણે કહીએ કે, યોહાનનું બાપ્તિસ્મા માણસથી થયું હતુ તો પછી બધા લોકો આપણને પથ્થરોથી મારી નાખશે. કારણ કે તેઓ માને છે કે યોહાન એક પ્રબોધક હતો.” તેથી તેઓએ ઉત્તર આપ્યો કે, “અમે ઉત્તર જાણતા નથી.”

તેથી ઈસુએ તેઓને કહ્યું કે, “તો હું તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.”

દેવ તેના પુત્રને મોકલે છે

(માથ. 21:33-46; માર્ક 12:1-12)

પછી ઈસુએ લોકોને આ વાર્તા કહી, “એક માણસે વાડીમાં દ્ધાક્ષા રોપી. કેટલાએક ખેડૂતોને જમીન ઇજારે આપી પછી તે લાબાં સમય સુધી બહાર ગયો. 10 થોડા સમય પછી દ્ધાક્ષની ફસલનો સમય આવ્યો. તેથી તે માણસે પેલા ખેડૂતો પાસે એક ચાકરને મોકલ્યો, જેથી તેઓ તેને તેના ભાગની દ્ધાક્ષ આપે. પણ તે ખેડૂતોએ ચાકરને માર્યો અને કંઈ પણ આપ્યા વિના કાઢી મૂક્યો. 11 તેથી તે માણસે બીજા એક ચાકરને મોકલ્યો. ખેડૂતોએ આ ચાકરને પણ માર્યો. તેઓએ તેનું સહેજ પણ માન રાખ્યું નહિ. તે ખેડૂતોએ તે ચાકરને કાંઇ આપ્યા વિના કાઢી મૂક્યો. 12 તેથી માણસે ત્રીજા સેવકને ખેડૂતો પાસે મોકલ્યો, ખેડૂતોએ આ ચાકરને ખરાબ રીતે ઇજા પહોંચાડી અને તેને બહાર ફેંકી દીધો.

13 “ખેતરના માલિકે કહ્યું કે, ‘હવે હું શું કરું? હું મારા પુત્રને મોકલીશ. હું મારા પુત્રને ઘણો ચાહું છું. કદાચ ખેડૂતો મારા પુત્રને માન આપે!’ 14 જ્યારે ખેડૂતોએ પુત્રને જોયો ત્યારે તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ માલિકનો દીકરો છે. આ ખેતરો તેના થશે.’ જો આપણે તેને મારી નાખીશું ત્યાર પછી તેના ખેતરો આપણા થશે. 15 તેથી ખેડૂતોએ પુત્રને ખેતરમાંથી બહાર કાઢી મૂક્યો અને મારી નાખ્યો.

“આ ખેતરનો ધણી તેઓને શું કરશે? 16 તે આવીને પેલા ખેડૂતોને મારી નાખશે! પછી કે બીજા કેટલાએક ખેડૂતોને ખેતર આપશે.”

લોકોએ આ વાર્તા સાંભળી. તેઓએ કહ્યું કે, “ના! આવું કદી ન થાઓ!” 17 પરંતુ ઈસુએ તેઓની તરફ નજર કરી અને કહ્યું કે, “તો પછી આ લખાણનો શો અર્થ:

‘જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો. તે જ ખૂણાનું મથાળું થયો?’(A)

18 જે વ્યક્તિ તે પથ્થર પર પડશે તેના ટુકડા થઈ જશે અને જો તે પથ્થર તમારા પર પડશે તો તે તમને કચડી નાખશે!”

19 શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકો આ વાર્તા જે ઈસુએ કહી તે સાંભળી. તેઓએ જાણ્યું કે આ વાર્તા તેઓના વિષે હતી. તેથી તેઓ તે વખતે ઈસુને પકડવા ઈચ્છતા હતા. પરંતુ લોકો કંઈ કરશે તો તેવો તેઓને ડર હતો.

યહૂદિ આગેવાનોની ઈસુ સામેની યુક્તિ

(માથ. 22:15-22; માર્ક 12:13-17)

20 તેથી શાસ્ત્રીઓ અને યાજકોએ ઈસુને પકડવાના યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. તેઓએ કેટલાએક માણસોને ઈસુ પાસે મોકલ્યા. તેઓએ આ માણસોને તેઓ સારા હોય તે રીતે વર્તવા કહ્યું. ઈસુ જે કંઈ કહે તેમાં કંઈક ખોટું શોધવા તેઓ ઈચ્છતા હતા, જો તેઓ કંઈ ખોટું શોધી કાઢે તો પછી તેઓ ઈસુને શાસનકર્તાને સોંપી શકે જેની પાસે સત્તા અને અધિકાર હતા. 21 તેથી તે માણસોએ ઈસુને પૂછયું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું જે કહે છે અને શીખવે છે તે દેવના માર્ગ માટે સાચું છે, કોણ સાંભળે છે તેનું કોઈ મહત્વ નથી, તું એ જ બધા લોકોને શીખવે છે. તું હંમેશા સત્યથી દેવનો માર્ગ શીખવે છે. 22 અમને કહે કે, અમારે કૈસરને કર આપવો ઉચિત છે? હા કે ના?”

23 પણ ઈસુએ જાણ્યું કે આ માણસો તેની સાથે કપટ કરી રહ્યા છે. ઈસુએ તેઓને કહ્યું કે, 24 “મને એક દીનાર સિક્કો બતાવો, સિક્કા પર કોનું નામ છે? અને તેના પર કોની છાપ છે?”

તેઓએ કહ્યું કે, “કૈસરની.”

25 ઈસુએ તેઓને કહ્યું કે, “તો કૈસરની જે વસ્તુઓ હોય તે કૈસરને અને દેવની જે વસ્તુઓ છે તે દેવને આપો.”

26 તે માણસો તેના શણપણભર્યા ઉત્તરથી આશ્ચર્ય પામ્યા. તેઓ કંઈ બોલી શક્યા નહિ. તે માણસો લોકો આગળ ઈસુને ફસાવવામાં ફાવ્યા નહિ. ઈસુએ કશું કહ્યું નહિ જેથી તેઓ તેની વિરૂદ્ધ ઉપયોગ કરી શકે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International