Print Page Options
Previous Prev Day Next DayNext

Read the Gospels in 40 Days

Read through the four Gospels--Matthew, Mark, Luke, and John--in 40 days.
Duration: 40 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
માથ્થી 4-6

ઈસુનું પરીક્ષણ

(માર્ક 1:12-13; લૂ. 4:1-13)

પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો. ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ. આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો. ઈસુ પાસે લલચાવનાર શેતાન આવ્યો અને કહ્યુ કે, “જો તું દેવનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.”

ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે, “ધર્મશાસ્ત્રમા[a] લખ્યું છે કે,

‘માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ
    દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે.’”(A)

પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે. પછી શેતાને કહ્યું કે, “જો તું દેવનો દીકરો હોય તો કૂદકો માર. શા માટે? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે,

‘દે પોતાના દૂતોને આજ્ઞા કરશે,
    અને તેમના હાથમાં તને ઝીલી લેશે,
જેથી તારા પગ ખડક પર અથડાશે નહિ.’”(B)

ઈસુએ તેને ઉત્તર આપ્યો, “એના વિષે પણ શાસ્ત્રમા કહ્યું છે કે,

‘પ્રભુ તારા દેવની પરીક્ષણ તું ન કર.’”(C)

પછી શેતાન ઈસુને ખૂબ ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને અને ત્યાં તેને વિશ્વના બધાંજ રાજ્યો અને તેમાં આવેલ બધીજ ભવ્યતાનું દર્શન કરાવ્યું. તેણે કહ્યુ, “જો તું પગે પડીને મારું ભજન કરીશ, તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ.”

10 ઈસુએ શેતાનને કહ્યુ, “શેતાન! ચાલ્યો જા, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે,

‘પ્રભુનું તારા દેવનું જ ભજન કર.
    ફક્ત તેની જ સેવા કર!’”(D)

11 પછી શેતાન ઈસુને છોડી ચાલ્યો ગયો, ત્યાર પછી કેટલાએક દૂતો આવી તેને મદદ કરવા લાગ્યા.

ગાલીલમાં ઈસુનાં સેવા કાર્યો

(માર્ક 1:14-15; લૂ. 4:14-15)

12 ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પૂર્યો છે. તેથી તે ગાલીલ પાછો ગયો. 13 તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો. 14 યશાયા પ્રબોધકે[b] જે કહ્યું હતું તે સાચું પુરવાર કરવા માટે ઈસુએ આમ કર્યુ:

15 “ઝબુલોનના પ્રદેશમાં, અને નફતાલીન પ્રદેશમાં,
    સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં,
    યર્દન નદી પાસેના, જ્યાં વિદેશીઓ રહે છે.
16 જેઓ અંધકારમાં જીવતા હતાં.
    પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો;
તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી
    પર જીવે છે તેમના માટે આવ્યો છે.” (E)

17 ત્યારથી ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો, તેણે કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે.”

ઈસુ દ્વારા કેટલાક પ્રેરિતોની પસંદગી

(માર્ક 1:16-20; લૂ. 5:1-11)

18 ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન (જે પિતર કહેવાતો) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા. તેઓ જાળથી માછલા પકડતા હતાં. તેઓ માછીમાર હતા. 19 ઈસુએ કહ્યું, “ચાલો મારી પાછળ આવો. હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ. તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે.” 20 તે બંને ભાઈઓ તેમની જાળો પડતી મૂકીને ઈસુની પાછળ ગયાં.

21 ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી. તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે, મારી સાથે ચાલો. 22 બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા.

ઈસુ બોધ કરે છે અને લોકોને સાજા કરે છે

(લૂ. 6:17-19)

23 ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાં[c] ઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો. તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા. 24 ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા, આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને, તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં; અને ઈસુએ તે બધાને સાજા કર્યા. 25 આથી ગાલીલથી તથા દશનગરથી[d] તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો.

ઈસુ લોકોને શિક્ષણ આપે છે

(લૂ. 6:20-23)

ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા. તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો, ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં. ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું:

“જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે.
    કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે.
જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે.
    કારણ કે તેઓને દેવ દિલાસો આપશે.
જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે.
    કેમ કે તેઓ પૃથ્વીનું વતન[e] પામશે.
બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે,
    તેઓને ધન્ય છે. કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે.
જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે.
    કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે.
    કારણ કે તેઓને દેવના દર્શન થશે.
જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે.
    કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે.
10 સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે.
    કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.

11 “તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે, તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે. 12 ખૂબજ પ્રસન્ન રહો અને આનંદમાં રહો કારણ આકાશમાં તમને ખૂબજ મોટો બદલો મળશે. યાદ રાખજો કે તમારી અગાઉના પ્રબોધકો ઉપર જુલ્મ ગુજારાયો હતો.

તમે મીઠા સમાન છો અને પ્રકાશ સમાન છો

(માર્ક 9:50; 4:21; લૂ. 14:34-35; 8:16)

13 “તમે જગતનું મીઠું છો. પરંતુ મીઠું જો એનો સ્વાદ ત્યજી દેશે તો પછી તે ફરીથી ખારાશવાળું નહિ જ થઈ શકે. જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દેશે તો તે નકામું છે એમ સમજીને તેને ફેંકી દેવાશે અને લોકો તેને પગ તળે છુંદી નાખશે.

14 “તમે સ્વયં પ્રકાશ છો, જે આખા જગતને પ્રકાશિત કરે છે. પર્વત ઉપર બાંધેલ નગરને છુપાવી શકાતું નથી, તેને દરેક જણ જોઈ શકે છે. 15 અને લોકો દીવો સળગાવીને પછી તેને વાટકા નીચે મૂકતા નથી, પણ તેઓ તેને દીવી પર મૂકે છે પછી તે દીવો ઘરમાં જે બધા લોકો રહે છે તેમને પ્રકાશ આપે છે. 16 તે રીતે તમારે પણ બીજા લોકોને પ્રકાશ આપવો જોઈએ. જેથી તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને લોકો તમારા આકાશમાં બાપની સ્તુતિ કરે.

ઈસુ અને જૂનું નિયમશાસ્ત્ર

17 “એવું ના માનશો કે હું મૂસાના નિમયશાસ્ત્રનો કે પ્રબોધકોના ઉપદેશોનો નાશ કરવા આવ્યો છું. હું તેના ઉપદેશોનો નાશ કરવા માટે નહિ પરંતુ તેનો પૂરો અર્થ સમજાવવા આવ્યો છું. 18 હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી કશું જ અદ્રશ્ય થઈ શકશે નહિ, આવું બનશે નહિ (વિનાશ સજાર્શે નહિ) ત્યાં સુધી નિમયશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતો રહેશે નહિ.

19 “મનુષ્યે નિયમની દરેક આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ પછી ભલે તે આજ્ઞાની કોઈ અગત્યતા ન જણાય. મનુષ્ય જો આજ્ઞાઓનું પાલન કરવાની ના પાડશે અને બીજાઓને તેમ કરવા શીખવશે તો આકાશના રાજ્યમાં તે મનુષ્ય બીન મહત્વનો ગણાશે. જેઓ નિયમ અને નિયમશાસ્ત્રનું પાલન કરશે તેમજ બીજા લોકોને તેનું પાલન કરવા જણાવશે, તેઓ આકાશના રાજ્યમાં મહાન હશે. 20 હું તમને જણાવું છું કે તમારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં દેવને જેની જરૂર છે તે માટે કઈક વધુ સારું કરનારા થવું જોઈએ નહિ તો તમે આકાશના રાજ્યમાં દાખલ પણ થઈ શકશો નહિ.

ઈસુ ક્રોધ વિષે શિક્ષણ આપે છે

21 “તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે,(F) જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’ 22 પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે.

23 “તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે. 24 તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ.

25 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે. 26 હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ.

ઈસુ વ્યભિચારના પાપ વિષે શિક્ષણ આપે છે

27 “તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’(G) 28 પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે. 29 જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે. 30 જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો. આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે.

ઈસુ છૂટા છેડા વિષે શિક્ષણ આપે છે

(માથ. 19:9; માર્ક 10:11-12; લૂ. 16:18)

31 “એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.’ 32 પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે.

ઈસુ સમ વિષે શિક્ષણ આપે છે

33 “તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.[f] પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.’ 34 પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે. 35 પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે. અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે. 36 તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ. 37 ફક્ત ‘હા’ કે ‘ના’ કહો એટલું પૂરતું છે. તમે તેમાં જે કંઈ ઉમેરશો તો તે ભૂંડાથી આવેલું છે.

ઈસુ વેર વિષે શિક્ષણ આપે છે

(લૂ. 6:29-30)

38 “તમે સાંભળ્યું કે એમ કહેવાયુ હતુ, ‘આંખ ને બદલે આંખ અને દાંત ને બદલે દાંત.’(H) 39 પરંતુ હું તમને કહું છું કે દુષ્ટ વ્યક્તિનો પ્રતિકાર ન કરો. જો તમને કોઈ જમણા ગાલ પર તમાચો મારે, તો તમારે બીજો ગાલ દરવો. 40 જો તમારું ખમીસ લઈ લેવા માટેનો દાવો કરીને તમને કોઈ ન્યાયસભામાં લઈ જવા ઈચ્છે તો તમારો કોટ પણ તેને આપી દો. 41 જો કોઈ સૈનિક તમને તેની સાથે એક માઈલ ચાલવા બળજબરી કરે તો તમે તેની સાથે બે માઈલ ચાલો. 42 જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તેને અવશ્ય આપો, તમારી પાસે કોઈ ઉછીનું માંગવા આવ તો ના પાડશો નહિ.

બધાને પ્રેમ કરો

(લૂ. 6:27-28, 32-36)

43 “તમે સાંભળ્યું કે એમ કહેવાયું હતું કે, ‘તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર.’(I) 44 પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો. 45 જો તમે આ પ્રમાણે કરશો તો તમે આકાશમાં રહેલા તમારા પિતાના સાચા દીકરા ગણાશો અને તમારા પિતા, સૂર્યનો પ્રકાશ ભલા અને ભૂંડા લોકો માટે મોકલે છે. વરસાદ પણ ભલૂં કરનાર અને ભૂંડુ કરનાર માટે મોકલે છે. 46 જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે. 47 જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે. 48 એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ.

ઈસુ દાન વિષે શિક્ષણ આપે છે

“સાવધાન રહો! તમે કોઈપણ સત્તકાર્યો કરો તો તે લોકોની સમક્ષ કરશો નહિ. લોકો તમને સારા કાર્યો કરતાં જુએ તે રીતે ના કરો. એમ કરશો તો આકાશના પિતા તરફથી તમને કોઈ જ બદલો મળશે નહિ.

“જ્યારે તમે ગરીબોને આપો તો તેની જાહેરાત કરશો નહિ. દંભી લોકો દાન આપતાં પહેલાં તેનાં બણગાં ફૂંકે છે અને લોકો તેમને આપતા જુએ એ રીતે જાહેરમાં ધર્મસ્થાનો અને શેરીઓમાં આપે છે. કારણ બીજા લોકો તેમને માન આપે તેવું તેઓ ઈચ્છે છે. હું તમને સત્ય કહું છું તેમને જે બદલો મળ્યો છે તે એટલો જ છે. જેથી જ્યારે તમે ગરીબોને આપો તો ખાનગીમાં આપો, તમે શું કરો છો તેની કોઈને જાણ પણ થવા દેશો નહિ. તમારું દાન ગુપ્ત હોવું જોઈએ. તમે જે કાંઈ ગુપ્ત રીતે કરો છો તે તમારો પિતા કે જે ગુપ્ત રીતે જે કાંઈ થાય છે તે જોઈ શકે છે. તે તમને બદલો આપશે.

ઈસુ પ્રાર્થના વિષે શિક્ષણ આપે છે

(લૂ. 11:2-4)

“જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે દંભી લોકોની જેમ ના કરો. દંભી લોકો સભાસ્થાનોએ શેરીઓના ખૂણા પાસે ઉભા રહી મોટા અવાજથી પ્રાર્થના કરે છે. જેથી લોકો તેમને જોઈ શકે. હું તમને સત્ય કહું છું કે તેમને તેનો પૂરો બદલો મળી ગયો છે. જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ અને તમારા ઓરડાના બારણાં બંધ કરો. પછી તમારા પિતાને પ્રાર્થના કરો. તમારો પિતા ગુપ્ત રીતે કરવામાં આવેલાં કામ જોઈ શકે છે. અને તે તેનો તમને બદલો આપે છે.

“અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે અધર્મીઓની જેમ પ્રાર્થના ના કરો, તેઓ માને છે કે દેવની પાસે ઘણી વાતો કરવાથી દેવ ચોક્કસ કાંઈક તો સાંભળશે જ. તમે એવા લોકો જેવા ન બનો, તમે તેની પાસે માંગણી કરો તે પહેલા તમરા પિતા જાણે છે કે તમારે શાની જરૂર છે. તેથી જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ:

‘ઓ આકાશમાંના અમારા પિતા,
    અમે પ્રાર્થના કરીએ કે તારું નામ હંમેશા પવિત્ર રહેવું જોઈએ.
10 તારું રાજ્ય આવે અને તું ઈચ્છે છે તેવી બાબતો જે રીતે આકાશમાં બને
    છે તે રીતે પૃથ્વી ઉપર બને તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
11 અમને અમારી રોજની જરૂરિયાત પ્રમાણે અન્ન આપ.
12 જે રીતે અમે અમારું ખરાબ કરનારને માફી આપી છે,
    તે રીતે તું પણ અમે કરેલા પાપોની માફી આપ.
13 અને અમને લાલચમાં પડવા દઈશ નહિ;
    પરંતુ શેતાનથી અમને બચાવ.’[g]

14 હા, જો તું બીજાઓનાં દુષ્કર્મો માફ કરશે, તો આકાશનો પિતા તારાં પણ દુષ્કર્મો માફ કરશે. 15 પરંતુ જો તું તારું ખરાબ કરનારને માફ નહિ કરે તો આકાશનો પિતા તને પણ માફ નહિ કરે.

ઈસુ ઉપવાસ વિષે શિક્ષણ આપે છે

16 “જ્યારે તમે ઊપવાસ કરો, ત્યારે તમારી જાતને ઉદાસ દેખાડશો નહિ, દંભીઓ એમ કરે છે. તેઓ તેમના ચહેરા વિચિત્ર બનાવી દે છે જેથી લોકોને બતાવી શકે કે તેઓ ઉપવાસ કરી હ્યા છે. હું તમને સત્ય કહું છું કે તે દંભી લોકોને તેનો બદલો પૂરેપૂરો મળી ગયો છે. 17 જ્યારે તું ઉપવાસ કરે ત્યારે, તારા માથા પર તેલ ચોપડ અને તારું મોં ધોઈ નાખ. 18 ત્યારે લોકોને ના જણાવો કે તમે ઉપવાસ કર્યા છે, તમારા પિતા જેને તમે જોઈ શક્તા નથી તે બધુંજ જુએ છે. તમે ગુપ્ત રીતે જે કંઈ કરો છો તે તમારા આકાશમાંના પિતા જુએ છે. અને તે તમને તેનો બદલો જરૂરથી આપશે.

ધન કરતાં દેવનું વધુ મહત્વ

(લૂ. 12:33-34; 11:34-36; 16:13)

19 “તમારા માટે અહી પૃથ્વી ખજાનાનો સંગ્રહ ન કરો કારણ કે પૃથ્વી પર કીડા તથા કાટ ખજાનાનો નાશ કરે છે. ચોર ખાતર પાડીને ચોરી જાય છે. 20 આકાશમાં ખજાનાઓને સંગ્રહ કરો, આકાશમાં તમારા ખજાનાઓને નાશ ઉધઈ કે કાટ કરી શકશે નહિ કે તેને ચોર ચોરી જશે નહિ. 21 જ્યાં તમારું ધન હશે ત્યાં જ તમારું ચિત્ત રહેશે.

22 “આંખ તો શરીરનો દીવો છે. જો તારી આંખો સારી હશે, તો તારું આખુ શરીર પ્રકાશથી પૂર્ણ રહેશે. 23 પણ જો તારી આંખો ભૂુંડી હશે તો તારું આખું શરીર અંધકારમય રહેશે. અને જો તારી પાસેનો એક માત્ર પ્રકાશ હકીકતમાં અંધકાર જ હોય તો અંધકાર કટલો અંધકારમય હશે.

24 “કોઈપણ વ્યક્તિ એક સાથે બે ઘણીની સેવા કરી શકે નહિ. તે એકને પ્રેમ કરે તો બીજાને તિરસ્કાર કરે અથવા એક ઘણીને સમર્પિત બનશે અને બીજાને અનુસરવાની ના પાડશે. તમે એક સાથે ધન અને દેવની સેવા કરી શકો નહિ.

પ્રથમ દેવનું રાજ્ય

(લૂ. 12:22-34)

25 “તેથી હું તમને કહું છું કે, તમારે જીવવા માટે જરૂરી ખાવાપીવાની ચિંતા કરશો નહિ અને શરીરને ઢાંકવા કપડાંની ચિંતા ના કરો. કારણ ખોરાક કરતાં જીવન બધારે અગત્યનું છે અને કપડાં કરતાં શરીર વધારે અગત્યનું છે. 26 તમે પક્ષીઓને જુઓ, તેઓ બી વાવતાં નથી, ને કાપતાં નથી ને કોઠારોમાં ભરતાં નથી. અને છતાય તમારો પિતા તે પંખીઓનું ભરણપોષણ કરે છે તમે તો પક્ષીઓ કરતાં ઘણા જ મૂલ્યવાન છો. 27 એના વિષે ચિંતા કરવાથી તમારાં આયુષ્યમાં એકાદ પળનો પણ વધારો નહિ કરી શકો.

28 “અને તમે તમારાં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? ખેતરનાં ફૂલોને નિહાળો, તેઓ કેવાં ખીલે છે, તેઓ તેના માટે મહેનત કરતાં નથી કે પોતાને માટે વસ્ત્રો પણ બનાવતાં નથી. 29 અને છતાં પણ હું તમને કહું છું કે સુલેમાને તેની પૂર્ણ ભવ્યતામાં પણ ફૂલોમાંના એકાદ ફૂલ જેવો સુંદર પોષાક ધારણ કર્યો ન હતો. 30 જે ઘાસ આજે છે તે આવતીકાલે કરમાઈ જશે, તો તેને અગ્નિમાં બાળી દેવામાં આવશે એવા ઘાસની કાળજી દેવ રાખે છે તો હે માનવી, એ દેવ તારી કાળજી નહિ રાખે? તેના ઉપર આટલો ઓછો વિશ્વાસ રાખશો નહિ.

31 “તેથી તમે ચિંતા રાખશો નહિ અને કહેશો નહિ, ‘અમે શું ખાઈશું?’ ‘અમે શું પીશું?’ અથવા ‘અમે શું પહેરીશું?’ 32 જે લોકો દેવને ઓળખતા નતી તેઓ આ બધી વસ્તુઓની પાછળ પડે છે. તમે આની ચિંતા ના કરો કારણ કે આકાશમાં રહેલાં તમારા પિતાને ખબર છે કે તમારે આ બધાની જરૂર છે. 33 પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે. 34 તે માટે આવતીકાલની ચિંતા ન કરો. આજની સમસ્યાઓ આજને માટે પૂરતી છે. આવતીકાલનું દુ:ખ આવતીકાલનું છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International