Read the Gospels in 40 Days
દેવની આજ્ઞા અને મનુષ્યએ બનાવેલ નિયમો
(માર્ક 7:1-23)
15 પછી કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરૂશાલેમથી ઈસુની પાસે આવ્યા અને તેઓએ પૂછયું. 2 “તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!”
3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો? 4 દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’(A) અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’(B) 5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’ 6 આમ તમે પોતાના બાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે. 7 તમે દંભી છો! તમારા વિષે યશાયાએ જે ભવિષ્યવાણી કરી છે, તે સાચી છે:
8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,
પરંતુ તેઓનાં હૃદય મારાથી ઘણાં દૂર છે.
9 તેઓની મારા તરફની ભક્તિ નકામી છે.
તેઓ દેવની આજ્ઞાઓને બદલે માણસોએ બનાવેલા નિયમોનો ઉપદેશ આપે છે.’”(C)
10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું, “હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને સમજવા પ્રયત્ન કરો. 11 મનુષ્ય જે ખોરાક ખાય છે, તેથી તે અપવિત્ર થઈ જતો નથી, પરંતુ તેના મુખમાંથી જે કોઈ શબ્દો નીકળે છે તેનાથી તે અશુદ્ધ બને છે તેનાથી તે અપવિત્ર થાય છે.”
12 ત્યારે શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, “શું તમને ખબર છે કે તમારી આ વાતથી ફરોશીઓ ગુસ્સે થયા છે?”
13 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા આકાશમાંના બાપે રોપ્યાં નહિ હોય એવા દરેક છોડને મૂળમાંથી ઉખાડી નાંખવામાં આવશે. 14 માટે ફરોશીઓની વાત જવા દો. જો એક આંધળો માણસ બીજા આંધળા માણસનો દોરશે તો બંન્ને જણ ખાડામાં પડશે.”
15 પિતરે ઈસુને વિનંતી કરી કહ્યું, “અગાઉ લોકોને આપેલ દૃષ્ટાંતનો અર્થ સમજાવો.”
16 ઈસુએ કહ્યુ, “હજુ પણ તમને સમજવામાં મુશ્કેલી છે? 17 શું તમે નથી જાણતાં કે જે ખોરાક તમારા મોંમાં જાય છે તે પેટમાં જાય છે. પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તે ગટરમાં જાય છે. 18 પરંતુ જે શબ્દો વ્યક્તિના મોંમાંથી નીકળે છે તે જે રીતે વ્યક્તિ વિચારે છે તેનું પરિણામ છે. આ શબ્દો માણસને અસ્વચ્છ બનાવે છે. 19 કેમ કે ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, દુરાચાર, જૂઠ, ચોરી, નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે. 20 માણસને આજ વસ્તુ અપવિત્ર બનાવે છે. હાથ ધોયા વિના ખાવાથી કંઈ અશુદ્ધ થવાતું નથી.”
ઈસુ બીન યહૂદિ સ્ત્રીને મદદ કરે છે
(માર્ક 7:24-30)
21 પછી એ વિસ્તારમાંથી ઈસુ દૂર તૂર અને સિદોનના પ્રદેશમાં ગયો. 22 ત્યાં રહેતી એક કનાની સ્ત્રીઓ ઈસુ પાસે આવીને જોરથી બૂમ પાડીને વિનંતી કરી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરીને ભૂત વળગેલું છે અને તે કાયમ રિબાયા કરે છે.”
23 પણ ઈસુએ તેને કશો જ ઉત્તર આપ્યો નહિ, શિષ્યોએ ઈસુને વિનંતી કરતાં કહ્યું, “તેને દૂર મોકલી દો. તે આપણી પાછળ આવે છે અને બૂમો પાડે છે.”
24 ઈસુએ કહ્યું, “દેવે મને ઈસ્રાએલના (યહૂદિઓ) ઘરનાં ખોવાયેલાં ઘેટાં પાસે મોકલ્યો છે.”
25 પછી તે સ્ત્રી ફરીથી ઈસુ પાસે આવી અને તેને પગે પડી કહેવા લાગી, “પ્રભુ, મને મદદ કર!”
26 ઈસુએ કહ્યું, “છોકરાઓની રોટલી લઈન કૂતરાંઓને આપવી એ બરાબર નથી.”
27 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “હા પ્રભુ, એ તો ખરું છે પરંતુ કૂતરાંઓ પોતાના માલિકના મેજ નીચે પડેલા રોટલીના નાના ટુકડાઓ ખાય છે.”
28 ઈસુએ કહ્યું, “બાઈ, તારો વિશ્વાસ ઘણો છે! તારી ઈચ્છા પ્રમાણે તને થાઓ.” તેની દીકરી તે જ ઘડીએ સાજી થઈ ગઈ.
ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા
29 પછી ઈસુએ તે સ્થળ છોડી દીઘું. અને ગાલીલના સરોવરના કિનારે ગયો. પછી તે એક ટેકરી પર ચઢયો અને ત્યાં બેઠો.
30 લોકોનાં ટોળેટોળાં ત્યાં આવ્યાં લંગડા, આંધળા, ટુડાંઓને, મૂંગા અને બીજા ઘણા માંદા લોકોને ઈસુના પગ આગળ લાવીને તેમને મૂક્યાં અને તેણે તે બધાને સાજા કર્યા. 31 લોકો આશ્ર્ચર્ય પામ્યા. કારણ કે તેઓએ મૂંગાઓને બોલતાં જોયાં, અપંગ સાજા થયાં, લંગડા ચાલતા થયાં અને આંધળા દેખતાં થયા છે! આથી લોકોએ ઈસ્રાએલના દેવની સ્તુતિ કરી.
ઈસુએ 4,000 કરતાં વધુ લોકોને જમાડયા
(માર્ક 8:1-10)
32 પછી ઈસુએ તેના શિષ્યોને પાસે બોલાવ્યા અને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે કારણ કે તેઓ ત્રણ દિવસથી સતત મારી સાથે છે. હવે એમની પાસે કંઈજ ખાવાનું નથી. હું તેમને ભૂખ્યા જવા દેવા માંગતો નથી, કદાચ રસ્તામાં તેઓ જતાં જતાં ભૂખથી બેભાન થઈ જાય.”
33 પછી શિષ્યોએ કહ્યું, “આટલા બધા લોકોને જમાડવા આપણે પૂરતી રોટલી ક્યાંથી મેળવીશું અને આપણે કોઈપણ ગામથી ઘણા દૂર છીએ.”
34 ઈસુએ પૂછયું, “તમારી પાસે કેટલી રોટલી છે?”
શિષ્યોએ કહ્યું, “અમારી પાસે સાત રોટલીઓ અને થોડીક નાની માછલીઓ છે.”
35 ઈસુએ લોકોને જમીન પર બેસી જવા કહ્યુ. 36 ઈસુએ રોટલી અને માછલી લઈન દેવનો આભાર માન્યો અને તેણે રોટલીના ટૂકડા કરી શિષ્યોને આપ્યા અને શિષ્યોએ તે ટૂકડા લોકોને આપ્યા. 37 દરેકે ઘરાઈને ખાધું. પછી વધેલા ટૂકડા ભેગા કર્યા અને તેની સાત ટોપલી ભરાઈ. 38 ત્યાં જેઓએ ખાધું તેમાં સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત 4,000 પુરુંષો હતા. 39 પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને તેઓ હોડીમાં બેસી મગદાન પ્રદેશમાં ગયા.
યહૂદિ આગેવાનો દ્વારા ઈસુની કસોટી
(માર્ક 8:11-13; લૂ. 12:54-56)
16 ફરોશીઓ અને સદૂકીઓ ઈસુની કસોટી કરવા આવ્યા. તેઓએ તેને પૂછયું, જો તને દેવે મોકલ્યો છે તો અમને કોઈ પરાક્રમ કરી બતાવ.
2 ઈસુએ ઉત્તર આપ્યો, “સૂર્યાસ્ત સમયે તમે જાણો છો કે હવામાન કેવું થવાનું છે અને આકાશ રતૂમડું છે તો તમે કહેશો કે હવામાન સારું હશે. 3 અને સુર્યોદય સમયે આકાશ લાલ અને ઘેરાયેલું હોય તો તમે કહેશો કે આજે હવામાન તોફાની હશે. તમે આકાશના ચિન્હો સમાજી શકો છો ખરા, પણ વતૅમાન સમયના ચિન્હો તમે પારખી શકતા નથી. આજની દુષ્ટ અને વ્યભિચારી પ્રજા પરાક્રમોની એંધાણી માગે છે. 4 આજની દુષ્ટ અને અવિશ્વાસી પેઢી એંધાણીની રાહ જુએ છે પણ તેઓને યૂનાના ચિન્હ[a] સિવાય બીજુ કોઈ ચિન્હ અપાશે નહિ.” પછી ઈસુ તે જગ્યા છોડીને ચાલ્યો ગયો.
ઈસુ યહૂદિ આગેવાનોથી સાવધ રહેવા જણાવે છે
(માર્ક 8:14-21)
5 ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરી ગયા. પણ રોટલી લાવવાનું શિષ્યો ભૂલી ગયા. 6 ઈસુએ તેઓને કહ્યું, “ફરોશીઓ અને સદૂકીઓના ખમીરથી સાવધ રહો.”
7 શિષ્યોને લાગ્યું કે, “તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા છે તેથી ઈસુ આવું કહે છે?”
8 ઈસુએ શિષ્યોને વિચાર જાણીને તેઓને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસી લોકો, તમે શા માટે કોઈ રોટલી નહિ હોવાની ચર્ચા કરો છો? 9 શું તમે હજી પણ સમજતા નથી? તમને યાદ છે કે ફક્ત પાંચ રોટલીથી મેં 5,000 માણસોને જમાડ્યા હતા અને તેમના જમ્યા પછી કેટલી બધી રોટલી વધી હતી? 10 અને યાદ કરો કે, સાત જ રોટલીઓથી 4,000 માણસોને જમાડ્યા હતા. અને તેમના જમ્યા પછી પણ તમે કેટલી બધી ટોપલીઓમાં રોટલી ભરી હતી? 11 હું ખોરાક સંબંધી કહું છું એવો વિચાર જ તમને કેમ આવ્યો? તમે કેમ સમજતા નથી? પણ ફરોશીઓ અને સદૂકીઓના ખમીરથી તમે સાવધાન રહો.”
12 આખરે શિષ્યો સમજ્યા કે ઈસુ તેમને રોટલીના ખમીરથી સાવધ રહેવાનું કહેતો ન હતો, પરંતુ ઈસુ તેમને ફરોશીઓ અને સદૂકીઓના ઉપદેશથી સાવધ રહેવાનું કહેતો હતો.
પિતર કહ્યુ, ઈસુ તે ખ્રિસ્ત છે
(માર્ક 8:27-30; લૂ. 9:18-21)
13 જ્યારે ઈસુ કૈસરિયા ફિલિપ્પી પ્રદેશમાં આવ્યો તો તેણે તેના શિષ્યોને પૂછયું કે, “માણસનો દીકરો કોણ છે એ વિષે લોકો શું કહે છે?”
14 શિષ્યોએ કહ્યું, “કેટલાક લોકો કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે. બીજા લોકો કહે છે કે, તું એલિયા[b] છે. થોડા લોકો કહે છે તું યર્મિયા[c] અથવા બીજા પ્રબોધકમાંનો એક છે.”
15 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “તમે શું કહો છો, હું કોણ છું?”
16 સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તું પોતે મસીહ, જીવતા દેવનો દીકરો છે.”
17 ઈસુએ ઉત્તર આપ્યો; “યૂના પુત્ર સિમોન તને ધન્ય છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાં બાપે તને એ જણાવ્યું છે. 18 હું તને કહું છું કે તું પિતર છે, આ ખડક પર હું મારી મંડળી બાંધીશ, અને તે મંડળીની સામે હાદેસની સત્તાનું[d] જોર ચાલશે નહિ. 19 હું તને આકાશના રાજ્યની ચાવીઓ આપીશ. તું જેને પૃથ્વી પર બંધનકર્તા ગણશે તે જ આકાશમાં બંધનકર્તા રહેશે. અને પૃથ્વી પર તું જે બંધનકર્તા નથી તેમ જાહેર કરીશ તે આકાશમાં બંધનકર્તા થશે નહિ.”
20 પછી તે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ નહિ જણાવવા ઈસુએ તેના શિષ્યોને ચેતવણી આપી.
ઈસુના મરણની આગાહી
(માર્ક 8:31–9:1; લૂ. 9:22-27)
21 પછી ઈસુ તે સમયથી તેના શિષ્યોને કહેવા લાગ્યો કે, તેણે યરૂશાલેમ જવું પડશે. ત્યાં વડીલો તથા મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્વારા ઘણી બાબતો સહન કરવી પડશે. તેણે તેઓને સમજાવ્યું કે તેને મારી નાખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તે ફરીથી મરણમાંથી સજીવન થશે.
22 પિતર ઈસુને એક બાજુ લઈ ગયો અને કહેવા લાગ્યો, “તને દેવ બધી બાબતોથી બચાવે, પ્રભુ! તારી સાથે આવું બનશે નહિ!”
23 ઈસુ પિતર તરફ ફર્યો અને કહ્યું, “અરે શેતાન, તું મારાથી દૂર ચાલ્યો જા; તું દેવની રીતે નહિ પણ માણસની રીતે વિચારે છે.”
24 પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ વ્યક્તિ મારી પાછળ આવવા માંગે છે તો તેણે પોતાની જાતને ભૂલી જઈ તેણે પોતાની વધસ્તંભ ઊઠાવીને મારી પાછળ ચાલવું પડશે. 25 જે માણસ પોતાનું જીવન બચાવવા ઈચ્છે, તે પોતાનું જીવન ગુમાવશે, પણ મારે લીધે જે પોતાનું જીવન ગુમાવશે, તે તેનું જીવન બચાવશે. 26 જો કોઈ એક માણસ આખું જગત મેળવે, પણ જો તેનું જીવન ગુમાવે તો તે શા કામનું? અથવા માણસ પોતાના જીવનને બદલે શું આપશે? 27 માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો સુદ્ધાં આવશે, તો તે સમયે તે પ્રમાણે તેનો બદલો આપશે. 28 હું તમને સત્ય કહું છું, અહીં ઊભેલામાંથી કેટલાક લોકો માણસના દીકરાને તેના રાજ્ય સાથે આવતો જુએ ત્યાં સુધી જીવતા રહેશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International