Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
લૂક 17:11-18:14

આભારી બનો

11 ઈસુ યરૂશાલેમમાં મુસાફરી કરતો હતો. તે ગાલીલમાં થઈને સમરૂન ગયો. 12 તે એક નાના ગામમાં તેને દશ માણસો મળ્યા હતા. આ માણસો ઈસુની નજીક આવ્યા નહિ, કારણ કે તે બધા રક્તપિત્તિયા હતા. 13 પણ તે માણસોએ ઘાંટો પાડીને કહ્યું, “ઈસુ! સ્વામી! કૃપા કરી અમને મદદ કર!”

14 જ્યારે ઈસુએ માણસોને જોયા, તેણે કહ્યું કે, “જાઓ તમે તમારાં શરીરને યાજકોને દેખાડો.”

જ્યારે દશ માણસો યાજકો પાસે જતા હતા ત્યારે, તેઓ સાજા થયા. 15 જ્યારે તેઓના એક માણસે જોયું કે તે સાજો થયો હતો, તે ઈસુ પાસે પાછો ગયો. તેણે મોટા અવાજે દેવની સ્તુતિ કરી. 16 તે ઈસુના પગમાં પડ્યો. તે માણસે ઈસુનો આભાર માન્યો. (તે માણસ સમરૂની હતો યહૂદિ નહિ.) 17 ઈસુએ ઉત્તર આપ્યો, “દશ માણસો સાજા થયા હતા; બીજા નવ ક્યાં છે? 18 દેવનો આભાર માનવા આવનાર આ વિદેશી સમરૂની માણસ જ પાછો આવ્યો?” 19 પછી ઈસુએ તેને કહ્યું, “ઊભો થા, તું જઇ શકે છે. તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.”

દેવનું રાજ્ય તમારામાં છે

(માથ. 24:23-28, 37-41)

20 કેટલાએક ફરોશીઓએ ઈસુને પૂછયું, “દેવનું રાજ્ય ક્યારે આવશે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “દેવનું રાજ્ય આવે છે પણ તમે તમારી આખો વડે જોઈ શકો તે રીતે નહિ. 21 લોકો કહેશે નહિ, ‘જુઓ, અહી દેવનું રાજ્ય છે!’ અથવા ‘ત્યાં તે છે!’ ના, દેવનું રાજ્ય તો તમારામાં છે.”

22 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એવો સમય આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઈચ્છશો પણ તમે જોઈ શકશો નહિ. 23 લોકો તમને કહેશે, ‘જુઓ ત્યાં તે છે!’ જુઓ, અહીં તે છે! તમે જ્યાં છો ત્યાં જ રહો; દૂર જશો ના અને શોધશો ના.

24 “જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે તમે તે જાણી શકશો. જે દિવસે તે આવશે ત્યારે તે આકાશમાં વીજળીના ઝબકારાની જેમ પ્રકાશસે. 25 પણ તે પહેલા માણસના દીકરાને ઘણું સહન કરવું પડશે અને આ પેઢીના લોકો દ્ધારા તેનું મરણ થશે.

26 “જેમ નૂહના દિવસોમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. 27 નૂહના સમય દરમ્યાન જ્યારે તે દિવસે નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા પીતા પરણતા અને પરણાવતા હતા. પછી રેલ આવી અને બધા લોકોનો નાશ થયો.

28 “લોતના સમય દરમ્યાન પણ એમ જ થયું, જ્યારે દેવે સદોમનો નાશ કર્યો ત્યાં સુધી પેલા લોકો ખાતા, પીતા, ખરીદતા, વેચતા, રોપતા, અને તેઓના માટે મકાનો બાંધતા હતાં. 29 જ્યારે લોતે શહેર છોડ્યું ત્યારે તે દિવસે પણ લોકો આ બધું કરતા હતા. પછી આકાશમાંથી અજ્ઞિવર્ષા થઈ અને ગંધકનો વરસાદ થયો અને બધાનો નાશ થયો. 30 જે દિવસે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે પણ એમ જ બનશે.

31 “તે દિવસે જો માણસ ધાબા પર હોય તો તેની પાસે અંદર જઇને સામાન લેવાનો પણ સમય નહિ હોય. જો માણસ ખેતરમાં હોય તો તે પાછો ઘરે જઇ શકશે નહિ. 32 યાદ કરો, લોતની પત્નીનું શું થયું?

33 “જે માણસ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે, તે જીવ ગુમાવશે અને જે કોઈ માણસ તેનો જીવ આપશે, તે બચાવી શકશે. 34 જ્યારે હું ફરીથી આવીશ તે સમયે બે જણ એક જ પથારીમાં ઊઘતા હશે. તો એક જણને લઈ લેવાશે. અને બીજા માણસને પડતો મૂકાશે. 35 જ્યાં બે સ્ત્રીઓ સાથે અનાજ દળતી હશે તો એક સ્ત્રીને લઈ લેવાશે અને બીજી સ્ત્રીને પડતી મૂકાશે. [36 બે માણસો એક ખેતરમાં હશે. એક માણસ ઉચકી લેવાશે, અને બીજો માણસ પડતો મૂકાશે.]”[a]

37 શિષ્યોએ ઈસુને પૂછયું, “પ્રભુ! આ ક્યાં થશે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં મડદું હોય, ત્યાં ગીધો પણ એકઠાં થશે.”

દેવ તેના લોકોને ઉત્તર આપશે

18 પછી ઈસુએ તેના શિષ્યોને શીખવ્યું કે તેઓએ હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને કદાપિ આશા ગુમાવવી જોઈએ નહિ. ઈસુએ તેઓને શીખવવા એક વાર્તાનો ઉપયોગ કર્યો: “એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે દેવની પરવા કરતો નહિ. ન્યાયાધીશ પણ લોકો તેના વિષે શું વિચારે છે તેની ચીંતા કરતો નહિ. તે જ ગામમાં એક સ્ત્રી હતી, તેના પતિનું અવસાન થએલ હતું. તે સ્ત્રી ઘણીવાર આ ન્યાયાધીશ પાસે આવતી અને કહેતી કે, ‘એક માણસ મારું ખરાબ કરી રહ્યો છે, મને મારા હક્કો અપાવ.’ પરંતુ ન્યાયાધીશ તે સ્ત્રીને મદદ કરવા ઈચ્છતો ન હતો. લાંબા સમય પછી ન્યાયાધીશે તેની જાતે વિચાર્યુ, ‘હું દેવથી ડરતો નથી અને લોકો શું વિચારે છે તેની પણ પરવા કરતો નથી. પણ આ સ્ત્રી મને તકલીફ આપે છે. જો હું તેને જે જોઈએ છે તે આપીશ તો તે મારો પીછો છોડશે. પણ જો હું તેને જે જોઈએ છે તે નહિ આપુ તો હું માંદો પડીશ ત્યાં સુધી તે મને તકલીફ કરશે!’”

પ્રભુએ કહ્યું કે, “ધ્યાનથી સાંભળ, અન્યાયી ન્યાયાધીશે જે કહ્યું તેનો પણ અર્થ છે. દેવના લોકો તેને રાત દિવસ બૂમો પાડે છે. દેવ હંમેશા તેના લોકોને જે સાચું છે તે હંમેશા આપશે. દેવ તેના લોકોને ઉત્તર આપવામાં ઢીલ કરશે નહિ. હું તમને કહું છું, દેવ જલ્દીથી તેના લોકોની મદદ કરશે! તે તમને બહુ જ જલ્દીથી આપશે! પણ જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે, ત્યારે તેનામાં વિશ્વાસ હોય એવા લોકો તેને પૃથ્વી પર જડશે?”

દેવ સાથે સારા બનવું

ત્યાં કેટલાએક લોકો હતા તેઓ વિચારતા કે તેઓ ઘણા સારા છે. આ લોકો એવી રીતે વર્તતા કે જાણે તેઓ બીજા લોકો કરતાં વધારે સારા છે. ઈસુએ આ વાર્તાનો ઉપયોગ તેઓને શીખવવા માટે કર્યો. 10 “એક વખત બે જણા મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા. એક ફરોશી હતો તે અને બીજો કર ઉઘરાવનાર હતો. 11 ફરોથી કર ઉઘરાવનારથી દૂર ઊભો રહ્યો. જ્યારે ફરોશીએ તેની પ્રાર્થનામાં કહ્યું કે, ‘ઓ દેવ, હું બીજા લોકો જેટલો ખરાબ નથી, તે માટે તારો આભાર માનું છું. હું ચોરી કરનાર, છેતરનારા કે વ્યભિચાર કરનારા માણસો જેવો નથી. હું કર ઉઘરાવનાર અધિકારી કરતાં વધારે સારો છું તે માટે તારો આભારમાનું છું. 12 હું સારો છું, હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી કમાણીનો દશમો ભાગ આપુ છું!’

13 “જકાત ઉઘરાવનાર પણ એકલો ઊભો રહ્યો. પણ જ્યારે એણે પ્રાર્થના કરી, ત્યારે તેણે ઊચે આકાશ તરફ જોયું પણ નહિ. દાણીએ છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ દેવ, મારા પર દયા કર, હું એક પાપી છું!’ 14 હું તમને કહું છું, જ્યારે આ માણસ તેની પ્રાર્થના પૂરી કરીને ઘરે ગયો, તે દેવ પાસે ન્યાયી હતો. પણ તે ફરોશી જે પોતાને બીજા કરતા વધારે સારો સમજતો હતો તે દેવ પાસે ન્યાયી ઠર્યો નહોતો. પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને મહત્વની બનાવે છે તેને નીચી કરવામાં આવશે. પણ જે વ્યકિત પોતાની જાતને નીચી કરે છે તે માનવંતી બનાવાશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International