Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
લૂક 6-7

ઈસુ વિશ્રામવારનો પ્રભુ છે

(માથ. 12:1-8; માર્ક 2:23-28)

એક વખત વિશ્રામવારના દિવસે ઈસુ અનાજના ખેતરોમાંથી પસાર થતો હતો. ત્યારે તેના શિષ્યો અનાજના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતાં. કેટલાએક ફરોશીઓએ પૂછયું, “વિશ્રામવારના દિવસે મૂસાના નિયમાનુસાર જે કાર્ય કરવું મંજૂર કરેલ નથી તે શા માટે કરો છો?”

ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, “દાઉદે શું કર્યું જ્યારે તે અને તેની સાથેનાં માણસો ભૂખ્યા હતા. તે શું તમે વાંચ્યું નથી? દાઉદ દેવના મંદિરમાં ગયો અને દેવને અર્પિત થયેલી રોટલી મૂસાના નિયમ પ્રમાણે યાજકો સિવાય બીજો કોઈ ખાઇ શકે નહિ તે રોટલી તેણે ખાધી હતી અને તેમાંથી રોટલીનો થોડો થોડો ટૂકડો તેની સાથેના લોકોને આપ્યો હતો.” પછી ઈસુએ ફરોશીઓને કહ્યું કે, “માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”

વિશ્રામવારના દિવસે ઈસુ માંદા માણસને સાજો કરે છે

(માથ. 12:9-14; માર્ક 3:1-6)

બીજા એક વિશ્રામવારે ઈસુ જ્યારે સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો તેવો માણસ ત્યાં હતો. વિશ્રામવાર હોવાથી ઈસુ તેને સાજો કરે છે કે નહિ, તે જોવા માટે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આતુર હતા. તેઓ ધ્યાનથી જોઈ રહ્યાં હતા જેથી તેઓને ઈસુને દોષિત ઠરાવવા માટે કારણ મળે. પણ સુ તે લોકોના વિચારો જાણતો હતો. તેથી તેણે જેનો હાથ સુકાઈ ગયેલો હતો તે માણસને બોલાવીને કહ્યું, “ઊઠ અને વચમાં જઇને ઊભો રહે.” તેથી તે ઊઠ્યો અને વચમાં જઇને ઊભો રહ્યો. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું છું કે વિશ્રામવારના દિવસે કોઈનું, ભલું કરવું યોગ્ય છે કે માઠું કરવું, કોઈની જીવન બચાવવું કે તેનો નાશ કરવો, એ બેમાંથી શું યોગ્ય છે?”

10 ઈસુએ ત્યારબાદ ચારેબાજુ લોકો પર નજર ફેરવીને તે માણસને કહ્યું કે, “તારો હાથ લંબાવ,” તેણે ઈસુની આજ્ઞાનું પાલન કર્યુ અને તેનો હાથ ફરીથી સાજો થઈ ગયો. 11 પરંતુ આ જોઈને શાસ્ત્રીઓ અને ફરોશીઓ ગુસ્સે થયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, “હવે ઈસુનું આપણે શું કરીએ?”

ઈસુના બાર પ્રેરિતોની પસંદગી

(માથ. 10:1-4; માર્ક 3:13-19)

12 તે દિવસો દરમ્યાન ઈસુ પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયો. અને તેણે આખી રાત દેવની પ્રાર્થનામાં વિતાવી. 13 અને પછી જ્યારે પ્રભાત થયું ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને ચેઓનામાંથી બારની પસંદગી કરી અને તેઓને “પ્રેરિતો” નામ આપ્યું.

14 એટલે સિમોન (ઈસુએ તેનું નામ પિતર પાડ્યું)

અને તેના ભાઈ આંન્દ્ધિયાને,

યાકૂબ

તથા યોહાનને,

ફિલિપને

તથા બર્થોલ્મીને,

15 માથ્થીને

તથા થોમાને,

યાકૂબને (અલ્ફીના દીકરો)

તથા સિમોન,

જેને ઝેલોટીસ કહેતા હતા. તેને,

16 યહૂદા (યાકૂબનો દીકરો)

આ યહૂદા ઇશ્કરિયોત હતો જેણે ઈસુને તેના દુશ્મનોને સોંપ્યો.

ઈસુનો ઉપદેશ અને લોકોને સાજાપણું

(માથ. 4:23-25; 5:1-12)

17 ઈસુ અને પ્રેરિતો પહાડ પરથી નીચે ઉતર્યાને ઈસુ સપાટ મેદાનમાં આવીને ઊભો રહ્યો. ત્યાં મોટા સમૂહમાં તેના શિષ્યો હતા. અને સમગ્ર યહૂદિયામાંના તથા યરૂશાલેમના અને તૂર તથા સિદોનના સમુદ્ધકિનારાના ઘણા લોકો મોટા સમૂહમાં હતા. 18 જેઓ ભેગા થયા હતા તે તેનો ઉપદેશ સાંભળવા તથા તેઓના રોગોમાંથી સાજા થવા માટે આવ્યા હતા. તે લોકો અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા. ઈસુએ તે બધા લોકોને સાજા કર્યા. 19 બધાજ લોકો ઈસુને સ્પર્શ કરવા કોશિશ કરતાં હતા, કારણ કે તેનામાંથી જે પરાક્રમ નીકળી રહ્યુ હતુ તેનાથી દરેક સાજા થયા હતા!

20 ઈસુ તેના શિષ્યો તરફ જોતાં જોતાં બોલ્યો,

“તમે લોકો જે ગરીબ છો, તે સૌને ધન્ય છે,
    કારણ કે દેવનું રાજ્ય તમારુંછે.
21 તમે જે હમણાં ભૂખ્યા છો, તેઓને પણ ધન્ય છે,
    કારણ કે તમે પણ તૃપ્ત થવાના છો.
આજે તમે રડો છો,
    તમને પણ ધન્ય છે, કારણ કે તમે હસશો.

22 “માણસના દીકરાને કારણે લોકો તમને તેમના જૂથમાંથી હાંકી કાઢશે, તમારા નામની નિંદા કરશે, તમારી બદનામી કરશે ત્યારે પણ તમને ધન્ય છે. 23 એવું બને તે દિવસે તમે આનંદમગ્ર બનીને નાચી ઊઠજો, કારણ કે આકાશમાં તમને મોટો બદલો પ્રાપ્ત થશે. કારણ કે તેઓના બાપદાદાઓએ પણ આ પ્રબોધકો સાથે આ જ રીતે વ્યવહાર કર્યા છે.

24 “પણ હે ધનવાનો, તમને અફસોસ છે,
    કારણ કે તમારી સુખસંપત્તિ આ જીવન માટે જ છે.
25 અને એ લોકો અત્યારે જે સંતુષ્ટો છે તેમને પણ અફસોસ છે,
    કારણ કે તમારો ભૂખે મરવાનો સમય આવનાર છે,
અને હાલમાં હસનારાઓ, તમને અફસોસ છે,
    કારણ કે તમે શોક કરવાના છો અને રડવાના છો.

26 “જ્યારે બધાજ લોકો તમારું સારું કહેશે ત્યારે તમને અફસોસ છે કારણ કે તેઓના બાપદાદાઓ પણ હંમેશા જૂઠા પ્રબોધકો માટે આવી જ પ્રસંશા કરતા હતા.

તમારા વૈરીઓ પર પ્રેમ કરો

(માથ. 5:38-48; 7:12)

27 “હું જે લોકો મને ધ્યાનથી સાંભળે છે તે સૌ સાંભળનારાઓને કહું છું, તમારા વૈરીઓને પ્રેમ કરો. જેઓ તમારો તિરસ્કાર કરે તેઓનું પણ ભલું કરો. 28 જેઓ તમારું ખરાબ ઈચ્છે તેઓનું પણ તમે સારું ઈચ્છો. જેઓ તમારું અપમાન કરે છે તેઓના ભલા માટે પ્રાર્થના કરો. 29 જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો તમે તેની આગળ બીજો ગાલ ધરો. 30 દરેક વ્યક્તિને તે જે માગે તે આપો. જ્યારે તમારી પાસેથી કોઈ તમારો કોટ લઈ જાય તો તમારું ખમીસ પણ લઈ જવા દો. તેની પાસેથી તે પાછું માગશો નહિ. 31 જેમ તમે ઈચ્છા રાખો છો કે બીજાઓ તમારા માટે કરે તેમજ તમે પણ તેઓના માટે તેવું કરો.

32 “જો તમે, તમને જે ચાહે છે તે લોકોને જ ચાહો તો તેમાં તમારી મહેરબાની શાની? કારણ કે પાપીઓ પણ તેમના પર પ્રેમ કરનારાઓને ચાહે છે!

33 “જે લોકો તમારુંભલું કરે છે, ફક્ત તે લોકોનું જ તમે ભલુ કરો તો તેમ કરવા માટે તમને વધારે પ્રસંશા મળે ખરી? ના! પાપીઓ પણ એમ જ કરે છે! 34 હંમેશા જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો, તેઓને જ તમે ઊછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? ના! પાપીઓ પણ પાછું લેવા માટે પાપીઓને ઊછીનું આપે છે!

35 “તેથી તમારા વૈરીઓને પણ પ્રીતિ કરો. તેઓનું ભલું કરો. અને કંઈ પણ પાછું મેળવવાની આશા વિના તમે ઉછીનું આપો. જો તમે આમ કરશો તો તમને તેનો બદલો મળશે. અને તમે પરાત્પરના દીકરાઓ થશો. હા કારણ કે દેવ, અનુપકારીઓ તથા દુષ્ટ લોકો પર પણ માયાળું છે. 36 તેથી જેમ તમારો બાપ પ્રેમ અને દયા આપે છે તેમ તમે પણ પ્રેમ અને દયા દર્શાવો.

તમારી જાત તરફ જુઓ

(માથ. 7:1-5)

37 “બીજા લોકોનો ન્યાય તમે ના કરો. એટલે તમારો ન્યાય પણ થશે નહિ. બીજા લોકોનો તિરસ્કાર ના કરો. એટલે કોઈ તમારો તિરસ્કાર કરશે નહિ. બીજા લોકોને માફ કરો તેથી તમને માફી મળશે. 38 બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.”

39 ઈસુએ તેમને આ દષ્ટાંત કહ્યું, “શું એક આંધળો બીજા આંધળાને દોરી શકે? ના! તેઓ બંને ખાડામાં પડશે. 40 વિધાર્થી પોતાના શિક્ષક કરતા મોટો નથી. પરંતુ જ્યારે વિધાર્થી સંપૂર્ણ રીતે વિદ્ધાન બનશે ત્યારે તે તેના શિક્ષક જેવો બનશે.

41 “શા માટે તમે તમારા ભાઈની આંખમાં પડેલા નાના ધૂળના રજકણનું ધ્યાન રાખો છો, પણ તમે તમારી આંખમાં પડેલા મોટા ભારોટિયાને તમે નથી જોતા? 42 તમે તમારા ભાઈને કહો છો, ‘ભાઈ, તારી આંખમાંથી મને નાની ધૂળની રજકણ કાઢી નાખવા દે.’ તમે આવું શા માટે કહો છો? તમે તમારી પોતાની, આંખમાંનો મોટો ભારોટિયો પણ જોઈ શકતા નથી. તમે એક ઢોંગી છો. પહેલા તમે તમારી પોતાની આંખમાંથી મોટા ભારોટિયાને બહાર કાઢો. પછી તમે તમારા ભાઈની આંખમાંથી ધૂળ કાઢવાનું સ્પષ્ટ જોઈ શકશો.

બે પ્રકારના ફળ

(માથ. 7:17-20; 12:34-35)

43 “એક સારું વૃક્ષ ખરાબ ફળ આપતું નથી, તેમ એક ખરાબ વૃક્ષ સારું ફળ આપતું નથી. 44 પ્રત્યેક વૃક્ષ જે પોતે જે ફળ આપે છે તેનાથી ઓળખાય છે. લોકો કાંટાના ઝાડ પરથી અંજીર ભેગા કરતા નથી. અને ઊંટકટા પરથી દ્ધાક્ષ મેળવતા નથી! 45 સારા માણસના હ્રદયમાં સારી વસ્તુઓ સાચવેલી હોય છે તેથી તેના હ્રદયમાંથી સારી વસ્તુઓ બહાર આવે છે. પરંતુ દુષ્ટ માણસના હ્રદયમાં ખરાબ વસ્તુઓ સાચવેલી હોય છે. તેથી તે ખરાબ વસ્તુઓ બહાર કાઢે છે. કારણ કે વ્યક્તિ તેના હ્રદયમાં જે કાંઇ ભરેલું હોય છે તે જ બોલે છે.

બે પ્રકારના લોકો

(માથ. 7:24-27)

46 “તમે મને પ્રભુ, પ્રભુ, શા માટે કહો છો, અને હું જે કહું છું તે શા માટે કરતા નથી? 47 પ્રત્યેક માણસ જે મારી પાસે આવે છે અને મારા શબ્દો ધ્યાનથી સાંભળે છે અને તેનું પાલન કરે છે તે કોના જેવો છે, એ હું તમને બતાવીશ: 48 તે એક મકાન બાંધનાર માણસ જેવો છે. જે ઊડું ખોદે છે અને મજબૂત ખડક પર મકાન બાંધે છે જ્યારે રેલ આવે છે ત્યારે પાણી મકાનને તાણી જવા પ્રયત્ન કરે છે. પરંતુ રેલ ઘરને હલાવી શકતી નથી, કારણ કે મકાન સારી રીતે (મજબૂત) બાંધેલું હતું.

49 “પરંતુ જે માણસ સારા શબ્દો ધ્યાનથી સાંભળે છે પરંતુ તેનું પાલન કરતો નથી તે મજબૂત ખડક પર મકાન નહિ બાંધનાર માણસ જેવો છે. જ્યારે રેલ આવે છે ત્યારે મકાન તરત જ નીચે પડી જાય છે. અને મકાન સંપૂર્ણ નાશ પામે છે.”

ઈસુનું નોકરને સાજા કરવું

(માથ. 8:5-13; યોહ. 4:43-54)

ઈસુએ લોકોને આ બધી બાબતો કહેવાનું પૂર્ણ કર્યુ. પછી ઈસુ કફર-નહૂમ ગયો. ત્યાં કફરનહૂમમાં એક લશ્કરનો અમલદાર હતો. તે અમલદારને એક નોકર હતો જે ઘણો માંદો હતો. તે મરવાની અણી પર હતો, તે અમલદાર નોકરને ઘણો ચાહતો હતો. જ્યારે અમલદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે યહૂદિઓના વડીલોને તેની પાસે મોકલ્યો. તે અમલદારની ઈચ્છા હતી કે માણસો ઈસુને આવીને નોકરને બચાવવાનું કહે. તે માણસો ઈસુ પાસે ગયા. તેઓએ ઈસુને અમલદારને મદદ કરવા વિનંતી કરી. તેઓએ કહ્યું, “આ અમલદાર તમારી મદદ માટે યોગ્ય છે. તે આપણા લોકોને ચાહે છે અને આપણા માટે તેણે સભાસ્થાન બંધાવ્યું છે.”

તેથી ઈસુ તે માણસો સાથે ગયો. જ્યારે ઈસુ અમલદારના ઘર નજીક આવતો હતો ત્યારે અમલદારે કેટલાએક મિત્રોને કહેવા માટે મોકલ્યા કે, “પ્રભુ મારા ઘરમાં આવવાની તકલીફ લઈશ નહિ. હું તને મારા ઘરમાં લાવવા માટે પૂરતી યોગ્યતા ધરાવતો નથી. તેથી હું મારી જાતને તારી પાસે આવવા યોગ્ય ગણી શકતો નથી. તારે તો માત્ર આજ્ઞા કરવાની જ જરૂર છે અને મારો નોકર સાજો થઈ જશે. હું તારી સત્તા જાણું છું. હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું. અને મારા તાબામાં સૈનિકો છે. હું એક સૈનિકને કહું છું કે જા, એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું, કે આવ, અને તે આવે છે; અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે.”

જ્યારે ઈસુએ આ સાંભળ્યું; તે આશ્ચર્યચકિત થયો. જે લોકો તેની પાછળ આવતા હતા તેઓના તરફ ઈસુ પાછો ફર્યો. ઈસુએ કહ્યું, “હું તમને કહું છું આટલો બધો વિશ્વાસ તો મેં ઇઝરાએલમાં પણ નથી જોયો.”

10 જે લોકોને ઈસુ પાસે મોકલવામાં આવ્યા હતા. તેઓ ઘેર પાછા ફર્યા ત્યારે તેઓએ નોકરને સાજો થયેલો જોયો.

ઈસુનું માણસને સજીવન કરવું

11 બીજે દિવસે ઈસુ નાઇન નામના શહેરમાં ગયો. તેના શિષ્યો અને લોકોનો મોટો સમૂહ તેની સાથે યાત્રા કરતો હતો. 12 જ્યારે ઈસુ શહેરની ભાગોળે આવ્યો, તેણે એક મૂએલા માણસને બહાર લઈ જતાં જોયો, એક માતા કે જે વિધવા હતી તેનો એકનો એક દિકરો મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેના પુત્રના મૃતદેહને લઈ જવાતો હતો ત્યારે માતાની સાથે શહેરના ઘણા લોકો હતા. 13 જ્યારે પ્રભુએ (ઈસુ) તેને જોઈ, ત્યારે તેના હ્રદયમાં તેને માટે કરૂણા ઉપજી. ઈસુએ તેને કહ્યું, “રડીશ નહિ,” 14 ઈસુ ઠાઠડીની પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. ખાંધિયા ઊભા રહ્યાં. ઈસુએ મૃત્યુ પામેલા પુત્રને કહ્યું, “હે જુવાન, હું તને કહું છું કે ઊઠ.” 15 પછી તે મૃત્યુ પામેલો માણસ બેઠો થયો અને વાતો કરવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.

16 બધાજ લોકો ભયભીત થયા. તેઓ દેવની સ્તુતી કરતા હતા. તેઓએ કહ્યું, “આપણી પાસે એક મોટો પ્રબોધક આવ્યો છે!” અને તેઓએ કહ્યું, “દેવ તેના લોકોની સંભાળ રાખે છે.”

17 ઈસુ વિષેના આ સમાચાર આખા યહૂદિયામાં અને આસપાસના બધાજ પ્રદેશમાં પ્રસરી ગયા.

યોહાનનો પ્રશ્ર

(માથ. 11:2-19)

18 યોહાનના શિષ્યોએ આ બધી વાતો યોહાનને કહી. યોહાને પોતાના શિષ્યોમાંથી બે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા. 19 યોહાને તેઓને પ્રભુ (ઈસુ) ની પાસે મોકલીને પૂછાવ્યું કે, “જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજી વ્યક્તિની રાહ જોઈએ?”

20 તેથી તે માણસો ઈસુ પાસે આવ્યા. તેઓએ કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને તારી પાસે અમને પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે શું તું જ છે કે પછી અમે બીજી આવનાર વ્યક્તિની રાહ જોઈએ?”

21 તે સમય દરમ્યાન, ઈસુએ ઘણા લોકોને માંદગીમાંથી, રોગોમાંથી અને ભૂંડા આત્માઓથી પીડાતાઓને સાજા કર્યા. ઈસુએ ઘણા આંધળાઓને સાજા કર્યા જેથી તેઓ ફરીથી દેખતા થઈ શકે. 22 પછી ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, “જાઓ અને તમે અહીં જે જોયું છે અને સાંભળ્યું છે તે યોહાનને કહી સંભળાવો. આંધળા લોકો સાજા થયા છે અને જોઈ શકે છે. લૂલાં સાજા થયા છે અને ચાલી શકે છે. રક્તપિત્તિઓને સાજા કરવામાં આવે છે, બહેરાઓને સાજા કર્યા છે અને તેઓ સાંભળી શકે છે. મૃત લોકોને સજીવન કરવામાં આવ્યા છે. અને ગરીબ લોકોને દેવના રાજ્યની સુવાર્તા પ્રાપ્ત થાય છે. 23 અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે!”

24 યોહાનના સંદેશાવાહકો ગયા પછી ઈસુએ યોહાન વિષે લોકોને કહેવાનું શરૂ કર્યુ: “રેતીના રણમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને? 25 તમે બહાર શું જોવા ગયા હતા? શું સુંદર વસ્ત્ર પરિધાન કરેલા માણસને? ના, તો શું જેઓ ભપકાદાર વસ્ત્રો પહરે છે અને ભોગવિલાસ કરે છે કે જેઓ મહેલોમાં રહે છે. 26 ખરેખર, તમે શું જોવા માટે બહાર ગયા હતા? શું પ્રબોધકને? હા, અને હું તમને કહું છું, યોહાન એ પ્રબોધક કરતાં વધારે છે. 27 યોહાન વિષે આમ લખેલું છે:

‘સાંભળ! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
    જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે.’(A)

28 હું તમને કહું છું, આજ પર્યંત જે કોઈ જન્મ્યા છે તે સૌના કરતાં યોહાન વધારે મોટો છે. તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.”

29 (જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તે બધાએ કબૂલ કર્યુ કે, દેવનો ઉપદેશ સારો હતો. જકાતદારો પણ સંમત થયા. આ બધા લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30 પરંતુ ફરોશીઓ તથા શાશ્ત્રીઓએ તેમના માટેની દેવની યાજનાનો સ્વીકાર કરવાની ના પાડી. અને તેઓએ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામવા ના પાડી.)

31 “આ સમયના લોકો માટે હું શું કહું? હું તેઓને શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે? 32 આ પેઢીના લોકો તો બજારમાં કોઈ જગ્યાએ બેઠેલા બાળકો જેવા છે. એક બાળકોનું ટોળું બીજા બાળકોને બોલાવે છે અને કહે છે:

‘અમે તમારે માટે સંગીત વગાડ્યું,
    પણ તમે નાચ્યા નહિ;
અમે કરૂણ ગીત ગાયું,
    પણ તમે દિલગીર થયા નહિ.’

33 યોહાન બાપ્તિસ્ત આવ્યો અને બીજા લોકોની જેમ રોટલી ખાધી નહિ કે દ્ધાક્ષારસ પીધો નહિ, અને તમે કહો છો કે, ‘તેનામાં ભૂત છે.’ 34 માણસનો દીકરો બીજા લોકોની જેમ ખાતો અને પીતો આવ્યો છે. અને તમે કહો છો કે ‘એના તરફ જુઓ! તે વધારે પડતું ખાય છે અને ખૂબ વધારે દ્ધાક્ષારસ પીએ છે! તે જકાતદારોનો તથા ખરાબ માણસોનો મિત્ર છે!’ 35 પરતું જ્ઞાની પોતાના સર્વ કાર્યોથી યથાર્થ મનાય છે.”

સિમોન ફરોશી

36 ફરોશીઓમાંના કોઈ એકે ઈસુને પોતાની સાથે જમવા માટે કહ્યું. ઈસુ ફરોશીના ઘરમાં ગયો અને મેજ પાસે બેઠો.

37 તે સમયે તે શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જાણ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમવા બેઠો છે. તેથી તે અત્તરની આરસપાનની એક ડબ્બી લાવી. 38 તે ઈસુના પગ પાસે ઊભી રહી, અને રડવા લાગી. પછી તેના આંસુઓથી તેના પગ ધોવાનું શરૂ કર્યું. તે પોતાના ચોટલાથી ઈસુના પગ લૂછવા લાગી. તેણે તેના પગને ઘણીવાર ચૂમ્યા અને પછી અત્તરથી ચોળ્યા.

39 ઈસુને પોતાને ઘેર આવવા જે ફરોશીએ કહ્યું હતું, તેણે આ જોયું. તે તેની જાતે વિચાર કરવા લાગ્યો. “જો આ માણસ પ્રબોધક હોત તો એ જાણતો હોત કે જે સ્ત્રીતેને સ્પર્શે છે તે પાપી છે!”

40 ઈસુએ ફરોશીને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.”

સિમોને કહ્યું, “ઉપદેશક તું શું કહેવા માગે છે?”

41 ઈસુએ કહ્યું, “બે માણસો હતા, બંને એક જ લેણદારના દેવાદાર હતા, એક માણસને લેણદારનું 500 ચાંદીના સિક્કાનું દેવું હતું. બીજાને લેણદારનું 50 ચાંદીના સિક્કાનું દેવું હતું. 42 માણસો પાસે પૈસા ન હતા, તેથી તેઓનું દેવું ચૂકવી શક્યા નહિ. પરંતુ લેણદારે તે માણસોને કહ્યું, ‘તેઓએ તેને કશું આપવાનું નથી. તે બે માણસોમાંથી કયો માણસ લેણદારને વધુ પ્રેમ કરશે?’”

43 સિમોને ઉત્તર આપ્યો, “મને લાગે છે કે જે માણસને તેનું સૌથી વધારે દેવું હતું તે.”

ઈસુએ સિમોનને કહ્યું, “તું સાચો છે.” 44 પછી ઈસુ તે સ્ત્રીતરફ વળ્યો અને સિમોનને કહ્યું, “આ સ્ત્રીને તું જુએ છે? જ્યારે હું તારા ઘરમાં આવ્યો ત્યારે તેં મને મારા પગ ધોવા માટે પાણી આપ્યું નહી. પણ તેણે મારા પગ તેના આંસુથી ધોયા અને તેના ચોટલાથી લૂંછયા છે. 45 તેં મને ચુંબન કર્યુ નથી, પણ હું જ્યારથી અંદર આવ્યો ત્યારથી તે જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે! 46 તેં મારા માથામાં તેલ ચોળ્યું નથી, પણ તેણે મારા પગ પર અત્તર ચોળ્યું છે. 47 તેથી હું તને કહું છું કે, તેના ગણા પાપો હોવા છતાં માફ થયા છે. આ સ્પષ્ટ છે, કારણ કે તેણે ઘણો પ્રેમ દર્શાવ્યો છે. પરંતુ જેને ઓછું માફ કરવામાં આવે છે તે પ્રેમ પણ થોડોક દર્શાવે છે.”

48 પછી ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા પાપ માફ કરવામાં આવ્યા છે.”

49 જમવાના મેજ પાસે બેઠેલા લોકો તેઓની જાતે વિચાર કરવા લાગ્યા કે, “આ માણસ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?”

50 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International