Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે;
સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
2 તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે;
તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે
અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
3 યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે,
અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.
4 મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજો કરો,
કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
5 મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
તેનું નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
6 મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે,
અને હૃદયમાં અન્યાયનો સંગ્રહ કરે છે;
જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે
અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
7 મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે,
અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
8 તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે
કે તે પથારીમાં પડ્યો છે
ઓટલે પાછો ઊઠવાનો નથી.”
9 મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ
અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
10 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો;
મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
11 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે;
તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
12 હું નિર્દોષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો.
તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.
13 ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી
તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે.
આમીન તથા આમીન.
નિર્દેશક માટે. દાઉદનું માસ્કીલ, જ્યારે દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, “દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે,” તે વખતે લખાયેલું છે.
1 અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે?
તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છે?
2 તું દુષ્ટ યોજનાઓ બનાવે છે.
તારી જીભ અણીદાર અસ્રા જેવી છે.
તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
3 તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે,
તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.
4 તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
5 પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે;
અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.
6 નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે,
અને દેવને માન આપશે
તેઓ હસશે અને કહેશે કે,
7 “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
અને દુષ્કર્મોને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”
8 પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું.
હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
9 હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ.
તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત. માસ્કીલ.
1 હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે,
જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું,
તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
2 વિદેશીઓની પ્રજાને,
તમે તમારા હાથે હાંકી કાઢી,
ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી
તેઓને ત્યાં વસાવ્યા હતા.
3 જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી.
અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો.
તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા,
પરંતુ તમારા જમણા હાથે,
તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા.
કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
4 હે દેવ, તમે મારા રાજા છો.
આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
5 અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું;
અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.
6 હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, “તરવાર”
પણ મારો બચાવ કરી શકશે નહિ.
7 તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે,
જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો
8 આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું!
અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!
9 પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે.
તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.
10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે,
અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે.
11 તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે,
અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.
12 તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે,
શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી?
13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે;
અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.
14 તમે અમને રાષ્ટ્રો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે.
તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.
15 આખો દિવસ હું મારું કલંક જોઉં છું
અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.
16 કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે.
જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે.
17 ભલે, આ બધું અમારા પર આવી પડ્યું,
તોય અમે તમને ભૂલી નથી ગયા;
ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી,
અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.
19 તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે;
અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે
20 જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત
અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,
21 તો શું દેવે તે જાણ્યું ન હોત? હા,
યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.
22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ.
તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.
23 હે યહોવા, જાગૃત થાઓ!
હવે ઊંઘસો નહિ;
અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.
24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો?
તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?
25 અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ
અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.
26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો,
અને તમારી કૃપાથી અમને બચાવી લો.
દાઉદે શાઉલને શરમિંદો કર્યો
24 પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને શાઉલ પાછો આવ્યો તેને કોઈએ કહ્યું કે, “દાઉદ એન-ગેદીના વગડામાં છુપાયો છે.”
2 એટલે શાઉલે સર્વ ઇસ્રાએલમાંથી 3,000 માંણસોને પસંદ કર્યા અને તેમની સાથે દાઉદ અને તેના માંણસોને શોધવા જંગલી બકરાંના ખડક પર ગયા. 3 અને પછી તે રસ્તે ઘેટાઁના વાડા હતા અને તેની પાસે એક ગુફા હતી ત્યાં શાઉલ પગ ઢાંકવા ગયો. એ જ ગુફાની છેક અંદરના ભાગમાં દાઉદ અને તેના માંણસો સંતાયેલા હતા. 4 દાઉદના માંણસોએ તેને કાનમાં કહ્યું, “યહોવાએ તમને કહ્યું હતું કે, ‘હું તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દઈશ અને તારે તેને જે કરવું હોય તે કરજે. એ દિવસ આજે આવ્યો છે.’”
દાઉદે ઊભા થઈને ખબર ન પડે તે રીતે શાઉલના ઝભ્ભાની ચાળ કાપી લીધી. 5 પણ પછી ચાળ કાપવા માંટે તેનું અંતર તેને ડંખવા લાગ્યું. 6 પછી તેણે તેના માંણસોને કહ્યું, “માંરે તે પ્રમાંણે કરવું જોઈતું નહોતું. કારણ કે, તે યહોવાએ અભિષેક કરેલો રાજા છે,” 7 આમ કહીને દાઉદે પોતાના માંણસોને પાછા વાર્યા, તેમને શાઉલની સામે ઊઠવા દીધા નહિ, પછી શાઉલ ગુફામાંથી ઊભો થઈને રસ્તે પડ્યો.
8 દાઉદ પણ પાછળથી ઊઠયો, ને ગુફાની બહાર નીકળીને શાઉલને હાંક માંરીને કહ્યું, “માંરા ધણી અને રાજા!”
શાઉલે પાછા ફરીને જોયું. દાઉદે ભૂમિ પર લાંબા થઈને પ્રણામ કર્યા અને કહ્યું, 9 “દાઉદ આપને માંરી નાખવા ફરે છે. ‘એવું કહેનાર લોકોનું તમે સાંભળો છો શા માંટે?’ 10 આ તમે પોતે જોઇ રહ્યાં છો. આજે યહોવાએ એ ગુફામાં તમને માંરા હાથમાં સોપી દીધા અને હું તમને ત્યાજ માંરી નાખી શકત. માંરા માંણસોએ તમને માંરી નાખવાનુ કહ્યું, ‘પરંતુ મે તમાંરા જીવ પર દયા કરી, કારણ કે હુ માંરા ધણીને માંરી શકતો નથી કારણ કે યહોવાએ પોતે તમને રાજા બનાવ્યા હતા.’ 11 જુઓ, માંરા હાથમાં શું છે? આ રહી માંરા હાથમાં આપના ઝભ્ભાની ચાળ, મેં એ કાપી લીધી, પણ આપનો વધ ન કર્યો. એથી આપને ખાતરી થશે કે, માંરા મનમાં આપની સામે બળવો કરવાનો કે આપને ઇજા પહોંચાડવાનો ખ્યાલ જ નથી. મેં આપનું કશું જ બગાડયું નથી, તેમ છતાં આપ માંરો જીવ લેવા માંરી પાછળ પડયા છો. 12 યહોવા તારી અને માંરી વચ્ચે ન્યાયાધીશ રહેશે. તમે માંરી સાથે ખોટું કર્યુ છે, યહોવા તેના માંટે તમને સજા કરે. પણ હું આપની સામે હાથ ઉગામવાનો નથી. 13 એક જૂની કહેવત છે કે,
‘દુષ્ટતા દુષ્ટોમાંથી નીકળે છે.’
“પણ હું તમાંરું કદી નુકસાન કરીશ નહિ. 14 ઇસ્રાએલના રાજા કોને પકડવા નીકળી પડયા છે? તમાંરે શું મરેલા કૂતરા અથવા ચાંચડ હાંકવાના છે? 15 ભલે યહોવા તારી અને માંરી વચ્ચે ન્યાયધીશ રહે. યહોવા માંરો પક્ષ લેશે અને હું સાબિત કરીશ કે હું સાચો છું. તેઓ માંરી સાથે રહે અને તારા હાથમાંથી મને બચાવે.”
16 દાઉદ બોલી રહ્યો એટલે શાઉલે કહ્યું, “આ માંરો પુત્ર દાઉદ બોલે છે?” એમ બોલીને મોટેથી રડવા લાગ્યો, 17 પછી તેણે દાઉદને કહ્યું, “ન્યાય તારે પક્ષે છે, માંરે પક્ષે નથી, તેં માંરું કેટલું બધું ભલું કર્યુ છે પણ હું તારા પર ક્રૂર હતો. 18 આજે તેં માંરા પ્રત્યે અદૃભુત ભલાઈ દર્શાવી છે. યહોવાએ મને તારા હાથમાં સોંપી દીધો હતો, પણ તેં મને માંરી નાખ્યો નહિ. 19 જો કોઈ માંણસના હાથમાં તેનો દુશ્મન આવે, તો તે તેને શાંતિથી જવા ન દે. આજ તેઁ માંરું ભલું કર્યુ છે તેથી યહોવા તને તારા સારા કામ માંટે સારો બદલો આપશે. 20 હું જાણું છું કે તું ચોકકસ રાજા બનશે અને ઇસ્રાએલી પ્રજા પર તું રાજ કરશે. 21 માંટે આજે તું યહોવાના નામની પ્રતિજ્ઞા લે અને મને વચન આપ કે માંરા મરણ પછી તું માંરા વંશજોને નહિ માંરી નાખે અને માંરા પિતાના કુટુંબમાંથી માંરું નામ ભૂંસી નહિ નાખે.”
22 દાઉદે શાઉલને એ પ્રમાંણે વચન આપ્યું અને શાઉલ પાછો ઘેર ગયો. પરંતુ દાઉદ અને તેના માંણસો પાછા ગઢોમાં ગયા.
44 બીજા વિશ્રામવારે, લગભગ શહેરના બધા જ લોકો પ્રભુનો બોધ સાંભળવા ભેગા મળ્યા. 45 યહૂદિઓએ આ બધા લોકોને ત્યાં જોયા. તેથી યહૂદિઓને વધારે ઈર્ષા થઈ. તેઓએ થોડાક અપશબ્દો કહ્યા. અને પાઉલે જે કહ્યું હતું તેના વિરોધમાં દલીલો કરી. 46 પણ પાઉલ તથા બાર્નાબાસે ઘણી હિંમત રાખીને કહ્યું, તેઓએ કહ્યું, “અમારે પ્રથમ તમને યહૂદિઓને દેવના વચનો કહેવા જોઈએ. પણ તમે ધ્યાનથી સાંભળવાની ના પાડી. તમે તમારી જાતે ખોવાઇ જાઓ છો, અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો! તેથી અમે હવે બીજા રાષ્ટ્રોના લોકો પાસે જઈશું. 47 પ્રભુ એ આપણને જે કરવાનું કહ્યું છે તે આ છે. પ્રભુએ કહ્યું છે:
‘મેં તમને બીજા રાષ્ટ્રો માટેનો પ્રકાશ થવા બનાવ્યા છે,
જેથી કરીને તમે આખા વિશ્વમાં લોકોને તારણનો માર્ગ બતાવી શકશો.’(A)”
48 જ્યારે બિનયહૂદિઓએ પાઉલને આમ કહેતા સાંભળ્યો, ત્યારે તેઓએ ખુશ થઈને દેવનું વચન મહિમાવાન માન્યું અને લોકોમાંના ઘણાએ વિશ્વાસ કર્યો. તે લોકોની પસંદગી અનંતજીવન માટે કરવામાં આવી હતી.
49 અને તેથી આખા દેશમાં પ્રભુનો સંદેશ કહેવામાં આવ્યો હતો. 50 પરંતુ યહૂદિઓએ ધાર્મિક તથા કુલીન સ્ત્રીઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરણી કરીને પાઉલ અને બાર્નાબાસની સતાવણી કરાવી. પરિણામે આ લોકોએ પાઉલ અને બાર્નાબાસને શહેરની બહાર હાંકી કાઢ્યા. 51 તેથી પાઉલ અને બાર્નાબાસે તેમનાં પગોની ધૂળ ખંખેરી નાખી. પછી તેઓ ઈકોનિયા શહેરમાં ગયા. 52 પરંતુ અંત્યોખમાં ઈસુના શિષ્યો ખુશ હતા અને પવિત્ર આત્માથી ભરપૂર હતા.
બી વાવનાર એક ખેડૂત વિષેની વાર્તા
(માથ. 13:1-9; લૂ. 8:4-8)
4 બીજી એક વખત ઈસુએ સરોવરની બાજુમાં ઉપદેશ શરૂ કર્યો. ઘણા બધા લોકો ઈસુની આજુબાજુ ભેગા થયા. તેથી તે હોડીમાં ચઢ્યો અને ત્યાં બેઠો. બધા જ લોકો પાણીની બાાજુમાં સમુદ્રને કાંઠે રહ્યાં. 2 ઈસુએ હોડીમાંથી જ લોકોને ઉપદેશ આપ્યો. ઈસુએ તેઓને શીખવવા માટે ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું:
3 “ધ્યાનથી સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા માટે બહાર નીકળ્યો. 4 જ્યારે ખેડૂત વાવતો હતો, કેટલાંક બી રસ્તાની બાજુએ પડ્યા. પક્ષીઓ આવ્યાં અને પેલાં બધા બી ખાઈ ગયાં. 5 કેટલાંક બી ખડકાળ જમીન પર પડ્યાં. જ્યાં પૂરતી માટી ન હતી. ત્યાં બી ઘણા ઝડપથી ઊગ્યાં કારણ કે જમીન બહુ ઊંડી ન હતી. 6 પણ સુર્ય ઊગ્યો ત્યારે તે છોડ કરમાઇ ગયો હતો. તે અંતે સુકાઇ ગયો. કારણ કે તેને ઊંડા મૂળિયાં ન હતા. 7 બીજા કેટલાંક બી કાંટાળા જાળાંમા પડ્યાં. કાંટાના જાળાંએ સારા છોડને ઉગતાં અટકાવ્યા. તેથી તે છોડોએ ફળ ન આપ્યું. 8 કેટલાંક બીજા બી સારી જમાન પર પડ્યાં. સારી જમીનમાં તે બી ઊગવા માંડ્યાં. તે ઊગ્યા અને ફળ આપ્યાં. કેટલાક છોડે ત્રીસગણાં, કેટલાક છોડોએ સાઠગણાં અને કેટલાક છોડોએ સોગણાં ફળ આપ્યાં.”
9 પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!”
ઈસુ કહે છે તે શા માટે વાર્તાઓનો ઉપયોગ કરે છે
(માથ. 13:10-17; લૂ. 8:9-10)
10 જ્યારે ઈસુ એકાંતમાં હતો ત્યારે બાર પ્રેરિતો અને ઈસુના બીજા શિષ્યોએ તેને વાર્તાઓ વિષે પૂછયું.
11 ઈસુએ કહ્યું, “તમે ફક્ત દેવના રાજ્ય વિષેનું સાચું રહસ્ય સમજી શકો. પણ બીજા લોકોનું હું બધી વસ્તુઓ વાર્તાઓનો ઉપયોગ કરી કહું છું. 12 હું આ કરું છું તેથી,
‘તેઓ જોશે અને જોયા કરશે પરંતુ કદાપિ જોઈ શકશે નહિ;
તેઓ સાંભળશે અને સાંભળ્યાં કરશે, પણ કદાપિ સમજશે નહિ.
જો તેઓએ જોયું હોય અને સમજ્યા હોય તો, તેઓ પસ્તાવો કરે, ને તેઓને (પાપની) માફી મળે.’(A)”
બી વાવનારની વાર્તા ઈસુ સમજાવે છે
(માથ. 13:18-23; લૂ. 8:11-15)
13 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે આ વાર્તા સમજ્યા? જો તમે ના સમજ્યા હોય તો પછી તમે બીજી કઈ વાર્તા સમજી શકશો? 14 ખેડૂત એ એક વ્યક્તિ છે જે લોકોમાં દેવના વચનને વાવે છે. 15 કેટલીક વાર તે વચન રસ્તા પર પડે છે. આ કેટલાક લોકો જેવું છે. તે લોકો દેવનું વચન સાંભળે છે. પરંતુ શેતાન આવે છે અને વચન લઈ જાય છે જે તેઓનામાં વવાયેલું હતું.
16 “બીજા લોકો પથ્થરવાળી જમીનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ વચન સાંભળે છે અને તેનો આનંદથી તરત જ સ્વીકાર કરે છે. 17 પણ આ લોકો વચનને તેમના જીવનમાં ઊંડા ઉતરવા દેતા નથી. તેઓ આ વચનને ફક્ત થોડી વાર માટે રાખે છે. જ્યારે મુશ્કેલી અથવા સતાવણી વચનને કારણે આવે છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.
18 “બીજા કેટલાંક લોકો કાંટાળા જાળામાં વાવેલાં બીજ જેવા છે. આ લોકો વચન સાંભળે છે. 19 પણ પછી તેમના જીવનમાં આવી બાબતો આવે છે. જેવી કે આ જીવનની ચિંતાઓ, ખૂબ પૈસાનો ખોટો મોહ, અને બીજી બધીજ જાતની વસ્તુઓની કામના. આ વસ્તુઓ વચનના વિકાસને અટકાવે છે. તેથી તે વચન તે લોકોના જીવનમાં ફળદાયી થતું નથી.
20 “બીજા લોકો સારી જમાનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ ઉપદેશ સાંભળે છે, સ્વીકારે છે અને ફળ આપે છે. કેટલીક વાર ત્રીસગણાં, કેટલીક વાર સાઠગણાં અને કેટલીક વાર સોગણાં ફળ આપે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International