Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 124

મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.

ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
    જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
    ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
    અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
    અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
તે અભિમાની માણસોએ અમને
    પાણીમાં ડૂબાડી દીધા હોત.

યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
    અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.

જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
    તેમ અમારા જીવ બચી ગયા છે;
    જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
    યહોવા જ અમારા મદદગાર છે.

એસ્તેર 1:1-21

રાણી વાશ્તી પદષ્ટ

આ બધું બન્યું ત્યારે અહાશ્વેરોશ રાજા, ભારતથી તે કૂશ સુધીના એકસો સત્તાવીસ પ્રાંતોનો સમ્રાટ હતો. રાજા અહાશ્વેરોશ પાટનગર સૂસામાં તેના સિંહાસન પર મહેલમાંથી રાજ્ય કરતો હતો.

તેના અમલના ત્રીજા વર્ષે તેણે પોતાના બધા અમલદારો અને દરબારીઓને એક ઉજાણી આપી. તે સમય દરમ્યાન ઇરાન તથા માદાયના લશ્કરી આગેવાનો અને મહત્વના નેતાઓ પણ ઉજાણીમાં હાજર હતા; તે સમયે તેણે તેમની સમક્ષ એક સો એંશી દિવસ સુધી પોતાના રાજ્યની વિપુલ સંપત્તિનું અને પોતાના રાજવૈભવનું પ્રદર્શન કર્યુ. એક સો એંશી દિવસની ઉજવણીને અંતે રાજાએ પાટનગર સૂસાના સર્વ લોકોને, સૌથી વધારે મહત્વની વ્યકિતઓથી માંડીને સૌથી ઓછા મહત્વના લોકોને ઉજાણી આપી, જે સતત સાત દિવસો સુધી મહેલના ઉદ્યાનમાં રાખવામાં આવી હતી. ત્યાં લટકતાં સફેદ અને ભૂરા રંગના શણના કપડા જેને સફેદ શણની અને જાંબુડી રંગની દોરીઓ વડે ચાંદીની કડીઓ પર અને આરસના સ્તંભો દ્વારા લગાડવામાં આવ્યા હતા. સોનાચાંદીના પલંગો આરસ અને બીજા ભાતભાતના મૂલ્યવાન પથ્થરોની ફરશ પર ગોઠવ્યા હતા. તેઓને અનેકવિધ પ્રકારના આકારના સોનાના પાત્રોમાં દ્રાક્ષારસ પીરસવામાં આવ્યો હતો. રાજાએ પોતાને શોભે એ રીતે દ્રાક્ષારસ છૂટથી પીવડાવ્યો હતો. રાજાએ દ્રાક્ષારસ પીવા સંબંધી નિયમ કર્યો હતો; દરેક વ્યકિત પોતાની ખુશી પ્રમાણે ભલે પીએ, પરંતુ કોઇને વધારે પીવા માટે ફરજ પાડવી નહિ. રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો કે, તે દરેકને પોતપોતાની ઇચ્છા મુજબ પીવા દેવું.

રાણી વાશ્તીએ પણ સ્રીઓ માટે અહાશ્વેરોશ રાજાના રાજમહેલમાં એક ઉજાણી આપી હતી.

10 ઉજાણીના સાતમા દિવસે રાજા દ્રાક્ષારસ પીને ખુબ નશામાં હતો અને તેણે પોતાની સેવા કરતા સાત ખોજાઓ મહૂમાન, બિઝથા, હાબોર્ના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસને બોલાવ્યા અને હુકમ કર્યો કે, 11 રાણી વાશ્તીને તેણીનો મુગટ પહેરાવીને લાવો, જેથી આગેવાનો અને મહત્વના લોકો તેના સૌદર્યનું દર્શન કરે. રાણી સાચે જ બહુ સુંદર હતી.

12 પરંતુ જ્યારે ખોજાઓએ રાજાના આદેશ વિષે રાણીને કહ્યું ત્યારે તેણે આવવાનો ઇન્કાર કર્યો. આથી રાજાને ખૂબ ગુસ્સો ચઢયો, અને તે ક્રોધથી ભભૂકી ઊઠયો. 13 તેથી રાજાએ બુદ્ધિમાન માણસોની કાનૂની નિષ્ણાંતોની અને હાલના વિષયોમાં જાણકારોની સલાહ લીધી, કારણ, રાજા માટે કાનૂન અને વ્યવસ્થાના નિષ્ણાતોની સલાહ લેવાનો ત્યારે રિવાજ હતો. 14 બુદ્ધિમાન માણસો જે રાજાની ખૂબ નજીક હતાં તે કાર્શના, શેથાર આદમાથા, તાશીર્શ, મેરેસ, માર્સના, અને મમૂખાન જેવા સૌથી નજીકના માણસો હતા. એ સાતે ઇરાનના અને માદાયના નેતાઓ હતા. તેઓ રાજાને સીધા મળી શકતા હતા, અને રાજ્યમાં ઉંચી પદવીઓ ધરાવતા હતા. 15 રાજાએ તેઓને પ્રશ્ર્ન કર્યો, “દરબારીઓ મારફતે પહોંચાડવામાં આવેલી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માટે કાયદેસર રીતે રાણી વાશ્તી સામે શાં પગલાં લેવાં જોઇએ?”

16 પછી રાજા અને તેના અમલદારો સમક્ષ મમૂખાને કહ્યુ કે, “વાશ્તી રાણીએ કેવળ રાજા વિરૂદ્ધ જ નહિ પરંતુ અહાશ્વેરોશના સામ્રાજ્યના પ્રત્યેક અધિકારી તથા પ્રત્યેક નાગરિક વિરૂદ્ધ અપરાધ કર્યો છે. 17 બધી જ સ્ત્રીઓને રાણીના વર્તનની જાણ થશે અને તેઓ પણ પોતાના પતિ પ્રત્યે અનાદર કરવા પ્રેરાશે, તેઓ પોતાના પતિઓને કહેશે કે, ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની સંમુખ આવવા આજ્ઞા કરી પણ રાણીએ તેનુ પણ પાલન કર્યુ નહિ.’

18 “તે જ દિવસે ઇરાન તથા માદાયના આગેવાનો અને અમલદારોની પત્નીઓ જેને રાણીના જવાબની જાણ થઇ, તેઓ પોતાના પતિઓની સાથે એની વાત કરવાની અને તેને પરિણામે સમગ્ર રાજ્યમાં અવિનય અને ક્રોધ મોટી માત્રામાં ફેલાઇ જશે,

19 “જો રાજાને પસંદ પડે તો અમારીં સલાહ આ છે: જેને ઇરાન અને માદાયના કાનૂનોમાં લખવામાં આવશે અને તેને બદલી શકાશે નહિ, શાહી ફરમાન બહાર પાડો: ‘વાશ્તી રાણીએ અહાશ્વેરોશ રાજાની હાજરીમાં ક્યારેય ન આવવું.’ પછી આપ બીજી કોઇ વધુ પાત્રતાવાળી સ્ત્રીને રાણી બનાવો. 20 આ શાહી ફરમાન આખા સામ્રાજ્યમાં જાહેર થશે, પછી બધી જ સ્ત્રીઓ પોતાના પતિને માન આપશે પછી તે મહાન અને અગત્યનો હોય કે અગત્યનો ન હોય.”

21 રાજા તથા તેના અધિકારીઓને મમૂખાનની સલાહ પસંદ પડી અને તે પ્રમાણે કર્યુ.

પ્રેરિતોનાં કૃત્યો 4:13-31

13 યહૂદિ આગેવાનો સમજતા હતા કે પિતર અને યોહાન પાસે કોઇ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા. પણ આગેવાનોએ તે પણ જોયું કે પિતર અને યોહાન બોલતાં ડરતાં નહોતા. તેથી યહૂદિ આગેવાનો નવાઇ પામ્યા. પછી તેઓને ખ્યાલ આવ્યો કે પિતર અને યોહાન ઈસુની સાથે હતા. 14 તેઓએ એક અપંગ માણસને ત્યાં બે પ્રેરિતોની બાજુમાં ઊભેલો જોયો. તેઓએ જોયું કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેથી તેઓ પ્રેરિતોની વિરૂદ્ધ કંઈકહી શક્યા નહિ.

15 યહૂદિ આગેવાનોએ તેઓને સભા છોડી જવા કહ્યું. પછી આગેવાનોએ તેઓને શું કરવું જોઈએ તે વિષે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. 16 તેઓએ કહ્યું, “આપણે પેલા માણસોનું શું કરીશું? યરૂશાલેમમાં દરેક માણસ જાણે છે કે તેઓએ અદભૂત ચમત્કાર કર્યા છે. આ સ્પષ્ટ છે. આપણે કહી શકીએ નહિ કે તે સાચું નથી. 17 આપણે તેઓને ધમકી આપવી જાઇએ અને આ માણસ (ઈસુ) વિષે કદી પણ ના બોલવા જણાવવું જોઈએ. જેથી આ વાત લોકોમાં આગળ પ્રસરશે નહિ.”

18 પછી યહૂદિ આગેવાનોએ પિતર અને યોહાનને ફરીથી અંદર બોલાવ્યા. તેઓએ પ્રેરિતોને ઈસુના નામે કંઈ પણ શીખવવાની કે કહેવાની મનાઇ કરી. 19 પણ પિતર અને યોહાને તેઓને જવાબ આપ્યો, “તમારી દ્દષ્ટિએ શું યોગ્ય છે? દેવ શું ઈચ્છે છે? અમારે દેવને કે તમને તાબે થવું? 20 અમે શાંત રહી શકીએ નહિ. અમે જે જોયું છે અને સાંભળ્યું છે તેના સંદર્ભમાં અમારે લોકોને કહેવું જોઈએ.”

21-22 યહૂદિ આગેવાનો પ્રેરિતોને શિક્ષા કરવાનો કોઇ રસ્તો શોધી શક્યા નહિ, કારણ કે જે કંઈ બન્યું હતું તેને લીધે બધા લોકો દેવની સ્તુતિ કરતા હતા. (આ ચમત્કાર દેવની સાબિતી માટે પૂરતો હતો જે માણસ સાજો થયો હતો તે 40 વરસથી મોટી ઉંમરનો માણસ હતો.) તેથી યહૂદિ આગેવાનોએ પ્રેરિતોને ફરીથી ચેતવણી આપીને છોડી દીધા.

પિતર અને યોહાનનું વિશ્વાસીઓમાં પાછા જવું

23 પિતર અને યોહાને યહૂદિ આગેવાનોની સભાનો ત્યાગ કર્યો અને તેઓ પોતાના સમૂહમાં ગયા. તેઓએ મુખ્ય યાજકો અને વડીલ યહૂદિ આગેવાનોએ તેમને જે કંઈ કહ્યું હતું તે બધું સમૂહને કહ્યું. 24 જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ બધાએ પ્રાર્થના કરી અને એ જ વિનંતી કરી. “પ્રભુ, પૃથ્વી, આકાશ, સમુદ્ર અને જે બધી વસ્તુઓ જગતમાં છે તેને ઉત્પન્ન કરનાર તું જ છે. 25 અમારો પૂર્વજ દાઉદ તારો સેવક હતો. પવિત્ર આત્માની સહાયથી તેણે આ શબ્દો લખ્યા:

‘શા માટે રાષ્ટ્રો બૂમો પાડે છે?
શા માટે વિશ્વના લોકો દેવની વિરૂદ્ધ યોજના ઘડે છે? તે નિરર્થક છે!

26 ‘પૃથ્ની પરના રાજાઓ તેઓની જાતે લડવા સજજ થયા છે,
    અને બધા અધિકારીઓ પ્રભુની (દેવ) વિરૂદ્ધ અને તેના ખ્રિસ્તની વિરૂદ્ધ ભેગા થયા છે.’(A)

27 જ્યારે અહીં યરૂશાલેમમાં ઈસુની વિરૂદ્ધ હેરોદ, પોંતિયુસ પિલાત, રાષ્ટ્રો અને બધા યહૂદિ લોકો આવીને ભેગા મળ્યા ત્યારે ખરેખર આ બાબતો બની. ઈસુ તારો પવિત્ર સેવક છે. તે એક છે જેને તેં ખ્રિસ્ત બનાવ્યો છે. 28 આ લોકો જે ઈસુની વિરૂદ્ધ આવીને ભેગા મળ્યા છે જેથી તારી યોજના પૂર્ણ થઈ. તારા સાર્મથ્ય અને તારી ઈચ્છાથી તે બન્યું. 29 અને હવે, પ્રભુ, તેઓ શું કહે છે તે સાંભળ, તેઓ અમને ધમકાવે છે! પ્રભુ, અમે તારા સેવકો છીએ. તું અમારી પાસે જે કહેવડાવવા ઇચ્છતો હોય તે અમે ભય વગર બોલીએ તેમાં અમને સહાય કર. 30 તારું સાર્મથ્ય બતાવીને અમને સાર્મથ્યવાન થવામાં મદદ કર. માંદા લોકોને સાજા કર, સાબિતીઓ આપ, અને ઈસુના નામના અદભૂત સાર્મથ્યથી તે અદભૂત ચમત્કારો થવા દે, જે તારો પવિત્ર સેવક છે.”

31 વિશ્વાસીઓની પ્રાર્થના પછી તેઓ જ્યાં ભેગા થયા હતા તે મકાન હાલ્યું. તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને તેઓએ દેવનો સંદેશો નિર્ભય રીતે કહેવાનું ચાલુ કર્યું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International