Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવાનું ગીત.
1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
તે સર્વને ધન્ય છે.
2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.
ઇસ્રાએલને શાંતિ થાઓ.
દેવનો આદર
5 દેવના મંદિરમાં તમે જાઓ ત્યારે તમારાં પગલાં સંભાળો. ભૂંડુ આચરણ કરે છતાં તે બાબતમાં સભાન ન રહે તેવા મૂર્ખ માણસોના જેવા યજ્ઞાર્પણો લાવવા કરતાં દેવનાં વચનો ધ્યાનથી સાંભળવા તે વધારે ઉચિત છે. 2 તારા મુખે અવિચારી વાત કરીશ નહિ, દેવની સન્મુખ કંઇપણ બોલવા માટે તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કારણ કે દેવ આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે; અને તારા શબ્દો તો થોડા જ હોય.
3 કારણ કે અતિશય શ્રમની ચિંતાથી રાત્રે સ્વપ્નો આવે છે
અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઇ ઉઘાડી પડી જાય છે.
4 જ્યારે તમે દેવ સમક્ષ જે પ્રતિજ્ઞા લીધી હોય તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કારણ કે દેવ મૂર્ખાઓ પર રાજી નથી હોતા; તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો. 5 તમે પ્રતિજ્ઞા લો અને પાળો નહિ તેના કરતાં તમે પ્રતિજ્ઞા ના લો તે વધારે ઉચિત છે. 6 તમે તમારી જાત પાસે પાપ કરાવવા દેતા નહિ, દેવના દૂતને તમે એમ કહેતા નહિ કે તમારાથી ભૂલમાં વચન અપાઇ ગયું હતું, કારણ કે એ દેવને હજી વધારે ગુસ્સે કરાવશે. અને કદાચ તમારી સમૃદ્ધિ નષ્ટ કરશે. 7 કારણ કે અતિશય સ્વપ્નોમાં રાચવાથી, વ્યર્થ વિચારો કરવાથી અને ઝાઝું બોલવાથી આવું બને છે માટે તું યહોવાનો ડર રાખ.
પ્રત્યેક અધિકારીની ઉપર એક અધિકારી છે
8 જો તમે ગરીબો પર થતાં અત્યાચાર અને દેશમાં ન્યાયને ઊઁધા વાળતા અતિશય ત્રાસને જુઓ, તો તે વાતથી આશ્ચર્ય પામશો નહિ, કારણ કે પ્રત્યેક અધિકારી તેનાથી ઊંચા અધિકારીના હાથની નીચે છે અને ઊંચો અધિકારી તેના પર દેખરેખ રાખનારની નજર હેઠળ છે. 9 પૃથ્વીની ઊપજ તો તે બધાંને મળે છે. અને રાજા પણ તેના ખેતરોનો ગુલામ છે.
10 પૈસાનો લોભી પોતાની પાસે જે છે તેનાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો પ્રેમી લોભી પોતાની આવકથી કદી સંતોષ પામશે નહિ; આ બધું પણ વ્યર્થ છે.
11 જેમ તમારી પાસે શ્રીમંતાઇ વધતી જાય છે તેમ તેનો ઉપભોગ કરનારા પણ વધે છે; અને તેથી તેનાં માલિકને તો તે વપરાતી નજરે જોયા સિવાય બીજો શો લાભ થાય?
12 શ્રમ કરનાર મનુષ્ય ઓછું ખાય કે વધારે, પણ તે શાંતિથી ઊંઘી જાય છે. ધનવાન ચિંતા કર્યા કરે છે અને તેની સમૃદ્ધિ તેને શાંતિથી ઊંઘવા દેતી નથી.
13 મેં ત્યારબાદ દુનિયામાં સર્વત્ર એક ગંભીર બાબત જોઇ, એટલે સંપત્તિનો ધણી પોતાની હાનિને માટે જ દ્રવ્ય-સંગ્રહ કરી સંપત્તિ વધારે છે. 14 પરંતુ ખોટા સાહસને કારણે સંપત્તિ ચાલી જાય છે અને તેના પોતાના પુત્રોના હાથમાં પણ કઇં આવતું નથી.
15 માતાના ગર્ભાશયમાંથી મનુષ્ય નગ્નસ્થિતિમાં બહાર આવે છે અને જાય છે ત્યારે એ જ સ્થિતિમાં વિદાય લે છે. સખત પરિશ્રમ કરીને જે કાંઇ પ્રાપ્ત કર્યુ છે તેમાંથી તે કઇં પણ સાથે લઇ જતો નથી. 16 આ પણ એક ભારે દુ:ખ છે કે, જેવો તે આવ્યો હતો તે જ સ્થિતિમાં તેને પાછા જવું પડે છે; તે પવનને માટે પરિશ્રમ કરે છે અને અંતે સર્વ ઢસડાઇ જાય છે. 17 વળી તેનું સમગ્ર આયુષ્ય અંધકારમાં જાય છે, અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે.
પોતાના જીવનના કર્મોમાં મોજમઝા કરો
18 જુઓ, મને મનુષ્યનાં માટે જે બાબત સારી લાગી તે એ છે કે, દેવે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું પીવું, અને દુનિયામાં જે સઘળો શ્રમ કરે છે તેમાં મોજમજા માણવી; કારણ કે એ જ તેનો ભાગ છે.
19 અને જો મનુષ્યને દેવ તરફથી સંપત્તિ પ્રાપ્ત થાય અને તેના ઉપભોગ માટે સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય તે વધારે સારું છે. તેથી તેને પોતાના કામમાં આનંદ માણવો અને તેને મળતો ભાગ સ્વીકારવો-ખરેખર આ જ સાચી દેવ તરફથી મળતી ભેટ છે. 20 તેનાં જીવનનાં દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ; કારણ કે તેના અંત:કરણનો આનંદ તો તેને દેવે આપેલો ઉત્તર છે.
યહૂદિઓ ઈસુ વિષે સમજતા નથી
21 ફરીથી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને છોડીશ. તમે મારી શોધ કરશો, પણ તમે તમારા પાપ સાથે મૃત્યુ પામશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકશો નહિ.”
22 તેથી યહૂદિઓએ તેમની જાતે પૂછયુ, “તમે ધારો છો કે ઈસુ આત્મહત્યા કરશે? તો પછી આ બાબત હોવી જોઈએ. કારણ કે તેણે કહ્યું, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકશો નહિ’?”
23 પણ ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “તમે નીચેની દુનિયાના છો, હું ઉપરની દુનિયાનો છું. તમે આ દુનિયાના છો, હું આ દુનિયાનો નથી. 24 તેથી મેં તમને કહ્યું છે કે તમે તમારા પાપોમાં મૃત્યુ પામશો. હા, હું (તે) છું એવો તમે વિશ્વાસ નહિ કરો તો તમે તમારાં પાપોમાં મૃત્યુ પામશો.”
25 યહૂદિઓએ પૂછયું, “તો પછી તું કોણ છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમને શરુંઆતથી જે કહ્યું છે તે હું છું. 26 મારી પાસે તમારા વિષે કહેવાની ઘણી બાબતો છે. હું તમારો ન્યાય કરી શકું છું તો પણ જેણે મને મોકલ્યો છે અને મેં તેની પાસેથી જે વાતો સાંભળી છે તે જ ફક્ત હું લોકોને કહું છું અને તે સત્ય કહું છું.”
27 ઈસુ કોના વિષે વાત કરતો હતો તે લોકો સમજતા ન હતા. ઈસુ તેઓને પિતા (દેવ) વિષે વાત કરતો હતો. 28 તેથી ઈસુએ લોકોને કહ્યું, “તમે માણસના દીકરાને ઊચો કરશો (મારી નાખશો) પછી તમે હું તે જ છું તે તમે જાણી શકશો અને હું મારી પોતાની જાતે કઈ કરતો નથી પણ જેમ પિતાએ જે મને શીખવ્યું છે, તેમ હું એ વાતો તમને કહું છું. 29 જેણે (દેવે) મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેને જે ગમે છે તે હું હમેશા કરું છું. તેથી તેણે મને એકલો છોડ્યો નથી.” 30 જ્યારે ઈસુ આ વાતો કહેતો હતો ત્યારે, ઘણા લોકોએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો. ઈસુ પાપમાંથી છુટકારા વિષે વાત કરે છે.
પાપ વિષે ચેતવણી
31 તેથી જે યહૂદિઓએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા બોધને માનવાનું ચાલુ રાખશો તો પછી તમે મારા સાચા શિષ્યો છો. 32 પછી જ તમને સત્ય સમજાશે અને સત્ય તમને મુક્ત કરશે.”
33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે ઈબ્રાહિમના લોકો છીએ. અમે કદી ગુલામ રહ્યા નથી. તેથી શા માટે તું કહે છે કે એમ મુક્ત થઈશું?”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સાચું કહું છું પ્રત્યેક વ્યક્તિ જે પાપ કરે છે તે ગુલામ છે. પાપ તેનો માલિક છે. 35 ગુલામ કુટુંબ સાથે હંમેશા રહેતો નથી. પરંતુ તે દીકરો હંમેશા કુટુંબનો રહી શકે. 36 તેથી જો દીકરો તમને મુક્ત કરે તો પછી તમે ખરેખર મુક્ત થશો. 37 હું જાણું છું તમે ઈબ્રાહિમના લોકો છો. પરંતુ તમે મને મારી નાખવા ઈચ્છો છો. શા માટે? કારણ કે તમે મારા બોધનો સ્વીકાર કરવા ઈચ્છતા નથી. 38 મારા પિતાએ જે મને બતાવ્યું છે તે જ કામો હું તમને કહું છું. પરંતુ તમે તમારા પિતાએ તમને જે કહ્યું છે તે કરો છો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International