Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 111

યહોવાની સ્તુતિ કરો!

ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
    હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.
યહોવાના કાર્યો મહાન છે;
    લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.
તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે.
    અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે.
દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે.
    યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.
તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે,
    અને તે પોતાના વચનોને કદી ભૂલતા નથી.
તેણે તેના લોકોને બીજા રાષ્ટ્રોની જમીન આપી છે.
    અને આ રીતે તેમને તેના સાર્મથ્યભર્યા કૃત્યો દેખાડ્યા છે.
તેમણે જે કાંઇ કર્યુ છે તેમાં સત્યતા અને ન્યાય છે;
    તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદૃભવ્યા છે;
    તેઓ સદાને માટે અચળ છે.
દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે, અને તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે.
    તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે.
    જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે.
    તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.

1 રાજાઓનું 1:1-30

અદોનિયાની રાજા બનવાની ઇચ્છા

હવે દાઉદ રાજા ઘણો વૃદ્ધ થયો હતો. તેમને અનેક ધાબળાઓ ઓઢાડયાં, છતાં તેનું શરીર ગરમ રહેતું નહોતું. તેથી તેમના સેવકોએ તેને કહ્યું, “આપ, નામદારની આજ્ઞા હોય તો આપને માંટે કોઈ યુવાન કુમાંરિકા શોધી કાઢીએ, જે આપની સેવામાં ઊભી રહે અને આપની સારવાર કરે, આપની સોડમાં સૂઈ જશે, જેથી આપનું શરીર હુંફાળું થઇ જશે.” તેમણે આખા ઇસ્રાએલમાં એક સુંદર, જુવાન અને અપરણિત કન્યા મેળવવા તપાસ કરી, આખરે તેમને શૂનામ્મી અબીશાગ નામની કન્યા પસંદ આવી, તેથી તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા. તે ખૂબ રૂપાળી હતી અને સતત રાજાની સાથે રહેતી અને તેણ રાજાની મદદ અને સેવા કરી, છતાં રાજાએ તેનો સંસર્ગ કર્યો નહિ.

તે સમયે દાઉદ અને હાગ્ગીથના પુત્ર અદોનિયાએ પોતાના વૃદ્વ પિતાની જગ્યાએ રાજા થવાની મહત્વાકાંક્ષા રાખી હોવાથી તેણે એક રથ મેળવ્યો, ઘોડા અને પોતાના રસાલા માંટે પચાસ માંણસો મેળવ્યા. તેના પિતાએ તેને આખા જીવન દરમ્યાન કદી ઠપકો આપ્યો નહોતો કે, તેને પૂછયું સરખુંય નહોતું કે, “તું આમ શા માંટે કરે છે?” વળી તે દેખાવડો હતો; અને આબ્શાલોમ પછી જન્મ્યો હતો.

તેણે સરૂયાના પુત્ર સરદાર યોઆબ અને યાજક અબ્યાથાર ને સર્વ પ્રથમ પોતાના વિશ્વાસમાં લીધા. તેઓએ તેને રાજા બનવામાં મદદરૂપ થવા તૈયારી બતાવી. પરંતુ યાજક સાદોકે, યહોયાદાના પુત્ર બનાયા, પ્રબોધક નાથાન, શિમઈ, રેઈ અને દાઉદના સૈન્યના સરદારોએ અદોનિયાને સાથ આપવાનો ઇન્કાર કર્યો,

9-10 તેથી એક વખત અદોનિયાએ એન-રોગેલના ઝરણાં પાસે આવેલા ઝોહેલેથના ખડક પર ઘેટાં, ગાય અને વાછરડાઓનું બલિદાન કર્યુ. અને તેણે પોતાના સર્વ ભાઈઓને-રાજકુમાંરોને અને જે યહૂદાવાસીઓ રાજાના સેવકો હતા તે બધાને તેણે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેણે પ્રબોધક નાથાનને, યાજક બનાયાને કે અંગરક્ષકોને અથવા ભાઈ સુલેમાંનને આમંત્રણ આપ્યું નહિ.

નાથાન બાથશેબાને મળ્યો

11 ત્યારબાદ પ્રબોધક નાથાને સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને પૂછયું; તમને ખબર છે કે, “હાગ્ગીથનો પુત્ર અદોનિયા રાજા થઈને બેઠો છે, ને આપણા ધણી રાજા દાઉદ એનાથી અજાણ છે? 12 હવે જો તમે તમાંરો અને તમાંરા પુત્ર સુલેમાંનનો જીવ બચાવવા ઇચ્છતા હોય તો માંરી તમને સલાહ છે કે, 13 તમે અત્યારે જ દાઉદ રાજા પાસે જાઓ, અને તેમને કહો કે, ‘ધણી, આપે આપની દાસીને એવું વચન નહોતું આપ્યું કે, માંરા પછી તારો પુત્ર સુલેમાંન રાજા થશે, અને તે જ માંરી ગાદી પર બેસશે? તો પછી શા માંટે અદોનિયા રાજા થયો છે?’ 14 અને તમે રાજા સાથે વાત કરતા હશો, એટલામાં જ હું આવી પહોંચીશ અને તમે શું કહો છો તેની ચોકસાઇ કરીશ.”

15 તેથી બાથશેબા રાજાના ઓરડામાં ગઈ, રાજા ઘણો વૃદ્વ થઈ ગયો હતો અને શુનામ્મી અબીશાગ તેમની સેવા ચાકરી કરતી હતી. 16 બાથશેબાએ રાજાની સમક્ષ જમીન પર પડી સાષ્ટાંગ પ્રણામ કર્યા. રાજાએ પૂછયું, “બોલ, તારી શી ઇચ્છા છે?”

17 તેણે જવાબ આપ્યો, “નામદાર, આપે આ દાસીને આપના દેવ યહોવાને નામે વચન આપ્યું હતું કે, ‘માંરા પછી તારો પુત્ર સુલેમાંન રાજા થશે અને ફકત તે જ માંરી રાજગાદી પર બેસશે.’ 18 પણ અત્યારે તો આપની જાણ બહાર અદોનિયા જ રાજા થઈ બેઠો છે. 19 તેણે બળદો અને ઘણા તંદુરસ્ત બકરાઓનું શાંત્યર્પણ અર્પણ કર્યુ, તમાંમ રાજકુમાંરોને, યાજક અબ્યાથારને અને લશ્કરના સેનાપતિ યોઆબને નિમંત્રણ આપ્યાં છે, પરંતુ તેણે આપના સેવક સુલેમાંનને નિમંત્રણ આપ્યું નથી. 20 અને હવે માંરા ધણી, માંરા રાજા, સમગ્ર ઇસ્રાએલ આપના પછી કોણ રાજગાદી પર આવશે એની જાહેરાત માંટે આપના પર મીટ માંડી રહ્યું છે. 21 જો તમે એમ નહિ કરો તો તમે જ્યારે તમાંરા પિતૃઓ સાથે દટાયા હશો, ત્યારે માંરા પુત્ર સુલેમાંન અને માંરી સાથે ગુનેગારનું વર્તન થશે.”

22 બાથશેબા હજી તો રાજાની સાથે વાત કરતી હતી, ત્યાં જ પ્રબોધક નાથાન આવી પહોંચ્યો. 23 સેવકોએ રાજાને જણાવ્યું કે, “પ્રબોધક નાથાન આવ્યા છે.” અને નાથાને રાજાની સમક્ષ આવીને ભૂમિ પર પડી પ્રણામ કર્યા. 24 તેણે કહ્યું, “તો શું આપ નામદારની એવી આજ્ઞા છે કે, અદોનિયા આપના પછી રાજા થાય અને તે આપની ગાદીએ બેસે? 25 કારણ, આજે તેણે પોતાના રાજયાભિષેકની ઉજવણી માંટે બળદો, અને ઘણાં પુષ્ટ બકરાઓનાં બલિદાન આપ્યાં છે અને તેની ખાણીપીણીમાં તેણે તમાંરા પુત્રો ઉપરાંત લશ્કરના સેનાપતિ અને યાજક અબ્યાથાર, તેઓ તેની સાથે ખાન-પાન કરે છે અને કહે છે. ‘ઇશ્વર રાજા અદોનિયાને ઘણું જીવાડો!’ 26 તેમ છતાં તેણે આપના સેવક મને કે યાજક સાદોકને કે યહોયાદાના પુત્ર બનાયા અથવા આપના સેવક સુલેમાંનને આમંત્રણ આપ્યું નથી. 27 શું આ બધું તમાંરી જાણમાં છે? આ બધું આપ નામદારની સંમતિથી થયું છે, અને તમે આ સેવકોને જણાવ્યું પણ નથી કે, આપના પછી રાજગાદીએ કોણ આવનાર છે?”

28 ત્યારબાદ રાજા દાઉદે કહ્યું, “બાથશેબાને માંરી પાસે બોલાવો.” તેથી તે રાજા સમક્ષ આવીને ઊભી રહી.

29-30 રાજા દાઉદે કહ્યું કે, “મેં ઇસ્રાએલના દેવ યહોવાને નામે પ્રતિજ્ઞા કરી હતી, તારો પુત્ર સુલેમાંન માંરા પછી રાજા થશે અને માંરી રાજગાદી પર બેસશે. માંરા બધા સંકટોમાંથી મને યહોવાએ ઉગાર્યો છે. હું યહોવાના સોગંદ ખાઉં છું કે આજે હું માંરું વચન પાળીશ.”

પ્રેરિતોનાં કૃત્યો 6:8-15

સ્તેફનના વિરોધી યહૂદિઓ

સ્તેફનને મહાન આશીર્વાદ પ્રાપ્ત થયો. દેવે સ્તેફનને ચમત્કારો કરવાનું અને લોકોને દેવની સાબિતીઓ બતાવવાનું સાર્મથ્ય આપ્યું. પરંતુ કેટલાક યહૂદિઓ આવ્યા અને સ્તેફનની સાથે દલીલો કરી. આ યહૂદિઓ સભામાંના હતા. તે સભા લિબર્તીની માટેની હતી. (આ સભા કુરેનીના યહૂદિઓ માટેની તથા આલેકસાંદ્રિયાના યહૂદિઓ માટેની હતી.) કિલીકિયા અને આસિયાના યહૂદિઓ તેઓની સાથે હતા. તેઓ બધાએ આવીને સ્તેફન સાથે દલીલો કરી. 10 પરંતુ સ્તેફન આત્માની પ્રેરણાથી જ્ઞાન સાથે બોલતો. તેના શબ્દો એટલા મક્કમ હતા કે યહૂદિઓ તેની સાથે દલીલો કરી શક્યા નહિ.

11 તેથી યહૂદિઓએ કેટલાક માણસોને કહેવા માટે ઊભા કર્યા, “અમે સાંભળ્યું છે કે સ્તેફન, મૂસા અને દેવની વિરૂદ્ધ બોલ્યો.” 12 આમ કરીને આ યહૂદિઓએ લોકોને, વડીલો તથા શાસ્ત્રીઓને મૂંઝવણમાં મૂંક્યા. તેઓ એટલા બધા ઉશ્કેરાયા કે તેઓએ આવીને સ્તેફનને પકડી લીધો. તેઓ તેને યહૂદિઓના બોધકોની સભામાં લઈ ગયા.

13 યહૂદિઓ સભામાં કેટલાક માણસોને લાવ્યા. તેઓએ આ માણસોને સ્તેફન વિષે જૂઠું બોલવાનું કહ્યું. તે માણસોએ કહ્યું, “આ માણસ (સ્તેફન) હંમેશા આ પવિત્ર જગ્યા માટે ખરાબ કહે છે અને હંમેશા તે મૂસાના નિયમશાસ્ત્ર વિરૂદ્ધ દુર્ભાષણ કરે છે. 14 અમે તેને કહેતાં સાંભળ્યો છે કે ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે. તેણે એમ પણ કહ્યું છે કે મૂસાએ આપણને જે રીતરિવાજો આપ્યા છે તેને ઈસુ બદલી નાખશે.” 15 સભામાં બેઠેલા બધા લોકો સ્તેફન તરફ એકી નજરે જોઈ રહ્યા. તેનો ચહેરો એક દૂતના જેવો દેખાતો હતો અને તેઓએ તે જોયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International