Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાના નામની સ્તુતિ કરો;
હે યહોવાના સેવકો,
તમે તેમની સ્તુતિ કરો.
2 યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં;
આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
3 યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે;
તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.
4 યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે;
ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.
5 હું યહોવાની મહાનતા જાણું છું,
સર્વ દેવો કરતાં તે મહાન છે.
6 આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં
યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.
7 તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે;
અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે;
તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે;
પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
8 મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
9 તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ
અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો;
અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
11 અમોરીઓના રાજા સીહોનને,
તથા બાશાનના રાજા ઓગને;
અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો.
12 તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.
13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે;
હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે;
તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.
15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે.
તેઓ માણસોના હાથે જ બનેલા છે.
16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી;
આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી;
અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે;
અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો,
જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
21 યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે;
યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો.
યહોવાની સ્તુતિ કરો!
અ ગ્નની ભઠ્ઠીમાં ચાર વ્યકિત- સુવર્ણમૂર્તિની પૂજા
3 રાજા નબૂખાદનેસ્સારે સોનાનું એક પૂતળું ઘડાવીને બાબિલના પ્રાંતમાં આવેલા દૂરાના મેદાનમાં તેની સ્થાપના કરાવી. એ સાઠ હાથ ઊંચો અને છ હાથ પહોળુ હતુ. 2 ત્યારબાદ તેણે સર્વ સરદારોને, રાજયપાલોને, કપ્તાનોને, ન્યાયાધીશોને, ખજાનચીઓને, સલાહકારોને, ભંડારીઓને અને અન્ય અધિકારીઓને આ પૂતળાની સ્થાપન વિધિમાં હાજર રહેવા માટે સંદેશા મોકલ્યાઁ.
3 તેઓ બધા નબૂખાદનેસ્સાર રાજાએ જે પ્રતિમાની સ્થાપના કરી હતી તેની પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે ભેગા થયા. અને તેઓ પ્રતિમા સમક્ષ ઊભા રહ્યા. 4 ચોકીદારે મોટે અવાજે કહ્યું, “હે સર્વ દેશના જાતિના અને ભાષાઓના લોકો, આ હુકમ રાજાનો છે 5 કે, જેવો તમે રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી વગેરે સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળો કે, તમારે નીચે નમીને પૂજા કરવી. 6 જે કોઇ નીચે નમીને પૂજા નહિ કરે તેને તરત જ બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે.”
7 આથી રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી વગેરે વાજિંત્રોનો નાદ સાંભળતા જ જુદી જુદી પ્રજાઓના અને જુદી જુદી ભાષા બોલનારા બધા લોકોએ રાજા નબૂખાદનેસ્સારે સ્થાપન કરેલી સોનાના પૂતળાની સાષ્ટાંગ નમસ્કાર કરીને પૂજા કરી.
8 તે વખતે કેટલાક અધિકારીઓએ રાજાની પાસે આવીને યહૂદીઓ ઉપર આરોપ મૂક્યું. 9 તેઓએ રાજા નબૂખાદનેસ્સારને કહ્યું, “હે રાજા, સદા જીવતા રહો. 10 નામદાર, આપે એવી આજ્ઞા કરી છે કે, જો કોઇ માણસ રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી, વગેરે વાજિંત્રોનો નાદ સાંભળે, તેણે સોનાની પ્રતિમાને સાષ્ટાંગ નમસ્કાર કરી પૂજા કરવી, 11 અને તમારા કહ્યાં મુજબ જે કોઇ માણસ સોનાના પૂતળાની નીચે નમીને પૂજા ન કરે, તો તેને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવો. 12 આપે શાદ્રાખ, મેશાખ અને અબેદનગો નામના યહૂદીઓને બાબિલ પ્રાંતનો વહીવટ સોંપ્યો છે. નામદાર, એ માણસોએ આપની સુચનાઓનો ભંગ કર્યો છે. તેઓ તમારા દેવની સેવા કરતા નથી કે, તમે બનાવેલા સોનાના પૂતળાની નીચે વળીને પૂજા કરતા નથી.”
13 ત્યારે રાજા નબૂખાદનેસ્સાર ખૂબ રોષે ભરાયો અને તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને પોતાની આગળ લાવવાનો હુકમ કર્યો. તેમને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યા. 14 નબૂખાદનેસ્સારે તેમને કહ્યું, “હે શાદ્રાખ, મેશાખ અને અબેદનગો, એ વાત સાચી છે કે, તમે મારા દેવોની પૂજા કરતાં નથી કે, મેં સ્થાપન કરેલી સોનાની પ્રતિમાની પૂજા કરતા નથી? 15 પરંતુ હું એક વધુ તક તમને આપીશ. જ્યારે વાજિંત્રોમાં રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી વગેરે વાગે ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તમે પૂજા કરવા તૈયાર થશો તો સારી વાત છે. પણ જો તમે પૂજા નહિ કરો તો તમને તત્કાળ બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. મારા હાથમાંથી કયા દેવ તમને બચાવશે?”
16 શાદ્રાખ, મેશાખ અને અબેદનગોએ જવાબ આપ્યો, “હે નબૂખાદનેસ્સાર રાજા, અમારું શું થશે એની અમે ચિંતા કરતા નથી. 17 જે દેવની અમે સેવા કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી અને આપના હાથમાંથી ઉગારવાને શકિતમાન છે. તે અમને બચાવવા માટે શકિતમાન છે. 18 અને જો નહિ ઉગારે તો પણ, આપ નામદાર જાણી લેજો કે, અમે નથી તો આપના દેવોની સેવા કરવાના કે, નથી આપે સ્થાપિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરવાના.”
19 આ સાંભળીને રાજા નબૂખાદનેસ્સારે શાદ્રાખ, મેશાખ અને અબેદનગો ઉપર ક્રોધે ભરાયો અને તેનો ચહેરો લાલચોળ થઇ ગયો. તેણે હુકમ કર્યો, “ભઠ્ઠીને હંમેશા ગરમ કરવામાં આવે તે કરતાં સાતગણી વધારે ગરમ કરો.” 20 અને તેણે પોતાના લશ્કરના કેટલાક બળવાનમાં બળવાન માણસોને શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને બાંધીને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવાનો હુકમ કર્યો.
21 તેથી તેઓએ પહેરણ, પાઘડી અને બીજા વસ્ત્રો સાથે તેઓને દોરડાં વડે સખત બાંધ્યાં અને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા. 22 રાજાએ ગુસ્સામાં ભઠ્ઠીને ખૂબજ તપાવવાનો હુકમ કર્યો હતો. અગ્નિની જવાળાઓ ભઠ્ઠીની બહાર નીકળતી હતી. તેથી તેઓને ભઠ્ઠીમાં નાખનાર સૈનિકો પોતે ભસ્મ થઇ ગયા. 23 પછી શાદ્રાખ, મેશાખ અને અબેદનગો બંધાયેલી હાલતમાં જ ભભૂકતી જવાળામાં પડ્યાં.
24 નબૂખાદનેસ્સાર રાજા આ જોઇ આશ્ચર્ય પામીને એકદમ ઊભો થઇ ગયો અને પોતાના દરબારીઓને પૂછયું, “શું તમે ત્રણ જણને બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યાં નહોતાં?”
દરબારીઓએ કહ્યું “હા, એમજ કર્યુ હતું, નામદાર.”
25 નબૂખાદનેસ્સારે બૂમ પાડી. “અરે જુઓ, પણ હું તો ચાર માણસોને છૂટા થઇને આગમાં સાજાસમા ફરતાં જોઉં છું, અને પેલો ચોથો માણસ દેવપુત્ર જેવો દેખાય છે.”
26 પછી નબૂખાદનેસ્સારે સળગતી ભઠ્ઠીની પાસે જઇને પેલા માણસોને કહ્યું, “શાદ્રાખ, મેશાખ અને અબેદનગો, સૌથી મહાન પરાત્પર દેવના સેવકો, બહાર આવો, અહીં આવો!”
આ સાંભળીને તેઓ તરત જ અગ્નિમાંથી બહાર આવ્યા. 27 અને પ્રશાસકો, સૂબાઓ, નાયબ સૂબાઓ અને રાજાના દરબારીઓ તેમની આસપાસ ભેગા થઇ ગયા. અને તેમણે જોયું કે, તેમના શરીર ઉપર અગ્નિની કોઇ અસર થઇ નહોતી. તેમના માથાના વાળ પણ બળ્યા નહોતા, તેમના વસ્ત્રોને અગ્નિ અડ્યો જ નહોતો અને તેમના શરીરમાંથી બળ્યાની ગંધ પણ આવતી નહોતી.
28 ત્યારબાદ નબૂખાદનેસ્સારે કહ્યું, “શાદ્રાખ, મેશાખ અને અબેદનગોના દેવનો જય હો! તેણે પોતાના દૂતને મોકલીને પોતાના ભકતોને ઉગારી લીધા છે, જેમણે એને ભરોસે રાજાની આજ્ઞાનો ભંગ કર્યો હતો અને પોતાના દેવ સિવાય બીજા કોઇપણ દેવની સેવા કે, પૂજા કરવાને બદલે મરવાનું પસંદ કર્યું હતું. પરંતુ દેવે તેઓનો ઉદ્ધાર કર્યો છે. 29 તેથી હું એવી આજ્ઞા કરું છું, કે, કોઇપણ પ્રજાનો કે, કોઇપણ ભાષા બોલનારો કોઇપણ માણસ મારા કાયદા નિયમનું ઉલ્લંધન કરનારને અને શાદ્રાખ, મેશાખ અને અબેદનગોના દેવની નિંદા કરનારના ટુકડે ટુકડા કરી દેવામાં આવશે. અને તેનું ઘર તોડીને ઢગલો કરી નાખવામાં આવશે, કારણ, માણસોને આ રીતે ઉગારી શકે એવો બીજો કોઇ દેવ નથી.” 30 ત્યારબાદ રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને વધારે ઊંચું સ્થાન આપ્યું, તેથી તેઓ બાબિલ પ્રાંતમાં પુષ્કળ સમૃદ્ધ થયાં.
3 જો આપણે દેવે જે આપણને કહ્યું છે તેનુ પાલન કરીશું, તો પછી આપણને ખાતરી છે કે આપણે ખરેખર દેવને ઓળખીએ છીએ. 4 એક વ્યક્તિ કહે છે કે, “હું દેવને જાણું છું!” પણ જો તે વ્યક્તિ દેવની આજ્ઞાઓનું પાલન કરતો નથી, તો પછી તે વ્યક્તિ જૂઠો છે. તેનામાં સત્ય નથી. 5 પણ જ્યારે એક વ્યક્તિ દેવના વચનનું પાલન કરે છે, તો તેનામાં દેવ પરનો પ્રેમ તેના લક્ષ્યાંક સુધી પહોંચ્યો છે. આ રીતે આપણે જાણીએ છીએ કે આપણે દેવને અનુસરીએ છીએ. 6 જો કોઈ વ્યક્તિ કહે કે તે દેવમાં જીવે છે, તો પછી તેણે ઈસુ જેવું જીવન જીવ્યો તેવું જીવન જીવવું જોઈએ.
દેવે બીજા લોકોને પ્રેમ કરવા આપણને આજ્ઞા કરી છે
7 મારા વહાલા મિત્રો, હું તમને નવી આજ્ઞા લખતો નથી. જે તમને શરુંઆતથી આપવામાં આવી છે તે એ જ આજ્ઞા છે. જે વચન તમે સાંભળ્યું છે તેની તે જ આ આજ્ઞા છે. 8 પણ હું આ નવી આજ્ઞા તરીકે તમને લખું છું. આ આજ્ઞા સત્ય છે. તમે તેનું સાચાપણું ઈસુમાં અને તમારી જાતમામ જોઈ શકશો. અંધકાર દુર જઈ રહ્યો છે અને ખરો પ્રકાશ આ સમયે હમણા પ્રકાશી રહ્યો છે.
9 કોઈ વ્યક્તિ કહે છે કે, “હું પ્રકાશમાં છું,” પણ જો તે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે, તો પછી તે હજુ અંધકારમાં જ છે. 10 જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરે છે તો તે પ્રકાશમાં જીવે છે, અને તે વ્યક્તિમાં એવું કશું નથી જેથી તે ખોટું કરી શકે. 11 પરંતુ જે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે તે અધંકારમાં છે. તે અધંકારમાં જીવે છે. તે વ્યક્તિ જાણતો નથી કે તે ક્યાં જાય છે. શા માટે? કારણ કે અંધકારે તેને આધળો બનાવી દીધો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International