Revised Common Lectionary (Semicontinuous)
1 હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ;
શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.
2 વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ;
સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.
3 યહોવાના નૂતન ગીતો ગાઓ;
વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.
4 યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે,
તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે.
5 તે ન્યાય અને નિષ્પક્ષતાને ચાહે છે.
પૃથ્વી યહોવાની કૃપાથી ભરાઇ ગઇ છે.
6 એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું,
અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
7 તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્
અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે.
8 સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ,
અને પૃથ્વીવાસી તેનું ભય રાખો અને આદર કરો.
9 કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ;
અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.
10 યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે.
જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
11 યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે.
તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.
તેઓને ધન્ય છે.
ઇબ્રામ કનાન પાછો ફર્યો
13 ઇબ્રામે મિસર છોડયું. તે પોતાની પત્ની અને પોતાનો બધો સામાંન સાથે લઈને મિસરથી નેગેબ તરફ પાછો ગયો. લોત પણ તેની સાથે હતો. 2 તે સમયે ઇબ્રામ ઘણો ધનવાન હતો. તેની પાસે ઘણાં પશુઓ, પુષ્કળ રૂપું તથા સોનુ હતું.
3 ઇબ્રામ બધી બાજુ પ્રવાસ કરતો રહ્યો. તે નેગેબથી મજલ કરતાં કરતાં બેથેલ નજીક, જે સ્થળે એમણે શરૂઆતમાં બેથેલ અને આય વચ્ચે મુકામ કર્યો હતો. 4 એ એ જ જગ્યા હતી જયાં ઇબ્રામે પહેલાં વેદી બાંધી હતી. ત્યાં સુધી તેઓ ગયા અને ત્યાં તેમણે યહોવાની પ્રાર્થના કરી.
ઇબ્રામ અને લોત જુદા થયા
5 તે સમય દરમ્યાન લોત પણ ઇબ્રામ સાથે પ્રવાસ કરી રહ્યો હતો. લોત પાસે પણ મોટી સંખ્યામાં ઢોરઢાંખર ઘેટાંબકરાં તથા તંબુઓ હતા. 6 ઇબ્રામ અને લોતની પાસે એટલા બધાં ઢોરઢાંખર હતાં કે, તે ભૂમિ એક સાથે તે બધાને ઘાસચારો પૂરો પાડી શકે નહિ, એ પ્રદેશ એવો હતો કે, તે બંન્ને એક સાથે રહીને ગુજારો ન કરી શકે. 7 ઇબ્રામ અને લોતના ગોવાળો વચ્ચે અંદરો અંદર ઝગડા ચાલતા હતા. તે દિવસો દરમ્યાન કનાનીઓ અને પરિઝીઓ એ પ્રદેશમાં રહેતા હતા.
8 ઇબ્રામે લોતને કહ્યું, “માંરી અને તારી વચ્ચે તેમ જ માંરા ગોવાળ અને તારા ગોવાળ વચ્ચે ઝગડા થવા જોઈએ નહિ. આપણે બધા ભાઈઓ છીએ. 9 આપણે જુદા થઈ જવું જોઇએ. તારી આગળ આખો દેશ પડેલો છે. તું જો ડાબી બાજુ જઈશ, તો હું જમણી બાજુ જઈશ અથવા જો તું જમણી બાજુ જઈશ, તો હું ડાબી બાજુ જઈશ.”
10 લોતે જ્યારે નજર ફેરવી તેને દેખાયુ કે યર્દન ખીણથી સોઆર સુધીનો સમગ્ર પ્રદેશ યહોવાના બગીચા જેવો લાગતો હતો. ત્યા ઘણુંજ પાણી હતું. તે મિસર જેવો સારો પ્રદેશ હતો. યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કર્યો તે પહેલાં તે આવો હતો. 11 તેથી લોતે પોતાને રહેવા માંટે યર્દનખીણનો પ્રદેશ પસંદ કર્યો. આમ બંન્ને એકબીજાથી જુદા પડયા. અને લોતે પૂર્વ તરફ પ્રયાણ કર્યું. 12 ઇબ્રામ કનાન પ્રદેશમાં રહ્યો અને લોત યર્દનખીણના નગરોમાં વસવા લાગ્યો, તેણે સદોમની દક્ષિણે મુકામ કર્યો. 13 સદોમના લોકો ઘણા દુષ્ટ હતા; તેઓ હંમેશા યહોવાની વિરુધ્ધ ભયંકર પાપો આચરતા હતા.
14 જયારે લોત ચાલ્યો ગયો ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારી ચારે બાજુ જો, તું જયાં ઊભો છે ત્યાંથી ઉત્તરમાં અને દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં નજર કર. 15 આ બધી જ ભૂમિ, જેને તું જુએ છે, તે હું તને અને તારા પછી તારા વંશજોને સદાને માંટે આપું છું. આ પ્રદેશ હમેશને માંટે હવે તમાંરો છે. 16 હું તારા વંશજોની સંખ્યા પૃથ્વીની રજ જેટલી અસંખ્ય બનાવી દઈશ. જો કોઈ વ્યકિત પૃથ્વીની રજને ગણી શકે તો જ તારા વંશજોને ગણી શકે. 17 એટલા માંટે ઊઠ, તારા પ્રદેશમાં એક છેડેથી બીજા છેડા સુધી ફરી વળ, કારણ કે હું એ પ્રદેશ તને આપી દેનાર છું.”
18 તેથી ઇબ્રામે પોતાનો તંબુ ખસેડ્યો અને તે હેબ્રોનમાં આવેલા માંમરેનાં વિશાળ એલોન વૃક્ષો પાસે રહેવા ગયો. ત્યાં ઇબ્રામે યહોવા માંટે એક વેદી બાંધી.
17 તે ખોટા પ્રબોધકો એવી નદીઓ સમાન છે જેમાં પાણી નથી. તેઓ વાદળા જેવા છે જે વંટોળિયામાં ફૂંકાઇ જાય છે, તેઓના માટે ઘોર અંધકારવાળું સ્થાન રાખવામાં આવ્યું છે. 18 તે ખોટા ઉપદેશકો અર્થહીન શબ્દોની બડાશો મારે છે. તેઓ લોકોને પાપના છટકામાં દોરી જાય છે. તેઓે ખોટા રસ્તે જીવતા લોકોથી દૂર થવાની શરૂઆત કરતાં હોય તેઓને દોરે છે. તે ખોટા ઉપદેશકો લોકોને પાપ કરવા ઈચ્છતા હોય તેવા દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે. 19 આ ખોટા ઉપદેશકો તેઓને સ્વતંત્રતાનું વચન આપે છે. પરંતુ પોતે જ પાપનાં દાસ છે. કારણ કે માણસને જે કઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ કરી લે છે. તેઓ જે વસ્તુઓનો વિનાશ થવાનો છે, તેના જ દાસ છે, વ્યક્તિ તેને નિયંત્રિત કરી શકે તેવી વસ્તુનો તે દાસ છે.
20 તે લોકોને જગતની અનિષ્ટ બાબતોથી મુક્ત રાખવામાં આવ્યા હતા. તેઓને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વડે મુક્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ જો તે લોકો ફરી પાછા તે દુષ્કર્મો તરફ વળે, અને તેઓ તેનાં આધિપત્ય નીચે આવી જાય, તો પહેલા હતાં તે કરતાં પણ તેઓની દશા બૂરી છે. 21 હા, તેઓના માટે તો કદાપિ સત્યપંથ મળ્યો જ ન હોત તો તે વધારે સારું હોત. સત્યપંથ જાણવો અને જે પવિત્ર ઉપદેશ તેઓને સોંપવામા આવ્યો છે તેનાથી વિમુખ થઈ જવું તેના કરતાં તો તે જ સારું છે કે સત્યપંથ જાણ્યો જ ન હોત. 22 તે લોકોએ જે કર્યું તે આ સત્ય ઉકિત જેવું જ છે: “જ્યારેં કૂતરું ઓકે છે, ત્યારે તે પોતાની ઓક તરફ પાછો ફરે છે,”(A) અને “જ્યારે ભૂંડ સ્વચ્છ બને છે, ત્યારે તે પાછું કાદવમાં જાય છે, અને આળોટે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International