Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું.
મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી.
મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કરો.
2 હે યહોવા, પૂરી તપાસ કરીને મારી પરીક્ષા કરો;
મારા અંત:કરણની ઇચ્છાઓને પણ કસોટીની એરણે ચઢાવી પરીક્ષા કરો.
3 કારણ, હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું.
અને હું હંમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું.
4 મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી.
હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.
5 હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને
દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ.
6 હું મારી નિર્દોષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ;
હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
7 હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું
અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું.
8 હે યહોવા, મને પ્રિય છે તમારુ મંદિર,
અને તે જગા જ્યાં તમારુ ગૌરવ છે.
9 પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ.
માણસોની સાથે મને મારી નાખશો નહિ.
10 તેઓ હમેશા ધૃણાજનક કૃત્યો કરે છે,
અને તેમના જમણા હાથ લાંચરુસ્વતથી ભરેલાં છે.
11 હે યહોવા, હું તેઓના જેવો નથી,
હું પ્રામાણિકપણાના માર્ગે ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો.
12 યહોવાએ મને પડી જવા દીધો નથી,
માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ.
તેમાનના અલીફાઝનો સંવાદ
4 પછી તેમાનના અલીફાઝે જવાબ આપ્યો કે,
2 “શું, હું તને એકાદ બે શબ્દ કહું તો તું સહન કરી શકીશ?
અને હવે હું કહ્યાં વગર પણ કેવી રીતે રહી શકું?
3 જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે,
અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે.
4 તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે,
અને જેં લોકો પોતાની જાતે પગભર નથી તેમને તેં પ્રબળ કર્યા છે.
5 પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારે માથે આવી પડી છે,
ત્યારે તું ઉત્સાહ ભંગ થઇ ગયો છે,
જ્યારે તારો વારો આવ્યો છે
ત્યારે તું ગભરાઇ જાય છે.
6 દેવ પ્રત્યે તને ખરેખર વિશ્વાસ છે?
તારી વિશ્વસનીયતાને કારણે તું આશા રાખે છે?
7 વિચારી જો, નિર્દોષ લોકો કદી નાશ પામ્યા છે?
કદી એક સારી વ્યકિતનો નાશ થયો છે?
8 મને એવો અનુભવ છે કે, જેઓ પાપ અને અડચણો વાવે છે,
તેઓ તેવું જ તે લણે છે.
9 દેવની એક ફૂંકથી જ તેઓ ઊડી જાય છે,
તેમના એક કોપના ફૂંફાડા માત્રથી જ તેઓ ફેંકાઇ જાય છે.
10 દુષ્ટો બરાડા પાડે છે અને સિંહની જેમ ઘુરકે છે.
પરંતુ દેવ દુષ્ટોને મૂંગા કરી દે છે, અને તેઓના દાંત તોડી નાખે છે.
11 હા, તે દુષ્ટ લોકો, શિકાર શોધી ન શકે તેવા સિંહ જેવા છે.
તેઓ મરી જાય છે અને તેઓના બચ્ચાં રખડી પડે છે.
12 “હમણા એક ગુપ્ત વાત મારી પાસે આવી,
અને તેના ભણકારા મારા કાને પડ્યા.
13 જ્યારે માણસને રાત્રે નિદ્રા ઘેરી વળે છે
ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં.
14 હું ભયથી જી ગયો
અને મારાઁ સર્વ હાડ થથરી ઊઠયાં.
15 ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઇ ગયો
અને મારા શરીરનાં રૂઆં ઉભા થઇ ગયાં.
16 તે સ્થિર ઊભો રહ્યો,
પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ.
એક આકૃતિ મારી સમક્ષ આવીને ઊભી રહી,
અને ત્યાં શાંતિ હતી.
પછી મેં એક ખૂબજ શાંત અવાજ સાંભળ્યો.
17 ‘શું માણસ દેવ કરતાં વધારે ન્યાયી હોઇ શકે?
શું તે તેના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોઇ શકે?
18 જુઓ, તેને તેના સ્વર્ગના સેવકોમાં વિશ્વાસ નથી;
એ તો એના દેવદૂતોનો પણ વાંક કાઢે છે.
19 તો વસ્તુત: લોકો વધારે ખરાબ છે!
લોકો પાસે માટીના ઘરો જેવા શરીર છે.
તેમના પાયા ગંદવાડમાં હોય છે.
તેઓને કચરીને મારવું તે પતંગિયા મારવા કરતાં પણ સહેલું છે.
20 તેઓ સવારમાં જીવતા હોય છે પણ સાંજ પડતા તો મૃત્યુ પામે છે.
તેઓ સદાને માટે ચાલ્યા જાય છે, કોઇ તેઓની ચિંતા કરતું નથી.
21 જો તેઓના તંબૂના દોરડાં ઉપર તાણ્યાં હોય
તો આ લોકો ડહાપણ રહિત મરી જાય છે.’”
આત્મામાં જીવન
8 તેથી હવે જે લોકો ખ્રિસ્ત ઈસુમાં છે, તેઓને અપરાધી ઠરાવવામાં આવતા નથી. 2 મને શા માટે અપરાધી ઠરાવવામાં આવ્યો નથી? કારણ કે ખ્રિસ્ત ઈસુમાં આત્માનો જે નિયમ જીવન લાવે છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. 3 આપણી પાપમય જાતે નિયમને બિનઅસરકારક બનાવ્યો. જે નિયમ ન કરી શકે તે દેવે કર્યું. બીજા લોકો માનવજીવનનો ઉપયોગ પાપકર્મમાં કરે છે. પણ દેવે તેના દીકરાને માનવજીવનના રૂપમાં પૃથ્વી પર પાપ માટે પોતાને મતને બલિદાન અર્પણ કરવા મોકલ્યો. આમ પાપનો નાશ કરવા દેવે માનવજીવનનો ઉપયોગ કર્યો. 4 આપણા જીવનમાં નિયમની પરિપૂર્ણતાના હેતુ માટે દેવે આમ કર્યું. હવે આપણે આપણી પાપમય જાતના હુકમ પ્રમાણે જીવતા નથી. પણ હવે આપણે આત્માને અનુસરીને જીવીએ છીએ.
5 ફક્ત પાપમય દુર્વાસનાઓની જ ઈચ્છાઓ વિષે જે લોકો વિચારે છે, તે પાપમય દુર્વાસનાઓને અનુસરીને જીવે છે. પણ જે લોકો આત્માને અનુસરે છે તેઓ હંમેશા આત્મા તેમની પાસે જે કરવાની અપેક્ષા રાખે છે તેનો વિચાર કરે છે. 6 જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે, તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે. 7 આ સત્ય કેમ છે? જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે તો તે વ્યક્તિ દેવથી વિમુખ છે. એવી વ્યક્તિ દેવનો નિયમ પાળવાનો ઈન્કાર કરે છે. અને ખરેખર તો એવી વ્યક્તિ દેવનો આદેશ પાળી શકતી નથી. 8 જે લોકો દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી.
9 પરંતુ તમારા પર દૈહિક મનની સત્તા નથી. જો દેવનો આત્મા તમારામાં ખરેખર વસતો હોય તો તમારા પર આત્માની સત્તા ચાલે છે, પરંતુ જો કોઈ વ્યક્તિના હૃદય પર ખ્રિસ્તના આત્માનો પ્રભાવ નહિ હોય, તો ખ્રિસ્ત પાસે તેનું સ્થાન નથી. 10 પાપને કારણે તમારું શરીર મરેલું છે. પરંતુ જો તમારામાં ખ્રિસ્ત (વસતો) હશે, તો આત્મા તમને જીવન આપશે, કેમ કે તમને દેવ સાથે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. 11 જો દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો, અને જો દેવનો આત્મા તમારામાં વસતો હશે, તો તમારા ર્મત્ય શરીરોને પણ તે નવું જીવન આપશે. ખ્રિસ્તને મૃત્યુમાંથી ઊઠાડનાર એક માત્ર દેવ છે. અને એ જ રીતે તમારામાં રહેતો તેનો પવિત્ર આત્મા દ્વારા તમારા નાશવંત શરીરોને જીવન આપશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International