Revised Common Lectionary (Semicontinuous)
10 “જેમ વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે,
અને ધરતીને જળથી સીંચ્યા વગર પાછા વળતા નથી;
તેથી જ ધરતી ફૂલેફાલે છે
અને વાવવા માટે બીજ અને ખાવા માટે અનાજ આપે છે.
11 તે જ રીતે મારા વચનો મારા મુખમાંથી નીકળે છે
અને હંમેશ ફળ આપે છે.
મારી ઇચ્છા પ્રમાણે તે કાર્ય પૂરું કર્યા વગર
અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વિના એ પાછો ફરતો નથી.”
12 “તમે બાબિલમાંથી આનંદપૂર્વક નીકળી પડશો
અને સુરક્ષિત રીતે તમને દોરી લઇ જવામાં આવશે.
તમારી આગળ પર્વતો અને ડુંગરો આનંદના પોકારો કરીને
અને જંગલના વૃક્ષો તાળીઓ પાડીને તમને આવકારશે.
13 એક વખતે જ્યાં કાંટા-ઝાંખરા હતા,
ત્યાં દેવદાર અને મેંદી ઊગી નીકળશે.
આ પરાક્રમને કારણે યહોવાના નામનો મહિમા અમર થશે.
તે શાશ્વત સ્મારકરૂપ પરાક્રમ અને ક્યારેય ન ભૂંસાય તેવી નિશાની થશે.”
વિશ્રામવાર માટેનું સ્તુતિગીત.
1 યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના,
પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
2 દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર
કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
3 પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો,
અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
4 હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે;
હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે
અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13 યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે;
તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે,
અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15 તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે.
તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.
51 પરંતુ સાંભળો, હું તમને એક રહસ્ય કહું છું: આપણે બધા મૃત્યુ નહિ પામીએ પરંતુ એક પરિવર્તન પામીશું. 52 અને આ એકમાત્ર ક્ષણમાં થશે. એક આંખના પલકારાની ત્વરાથી આપણે બદલાઈ જઈશું. જ્યારે છેલ્લું રણશિંગડું ફૂંકાશે ત્યારે આમ બનશે. રણશિંગડું ફૂંકાશે અને જે વિશ્વાસીઓ મૃત્યુ પામ્યા છે તે ચિરંતનકાળ પર્યંત જીવવા પુર્નજીવિત થશે. અને આપણે જે જીવંત છીએ તે પણ પરિવર્તન પામીશું. 53 આ શરીર કે જેનો નાશ થવાનો છે. તેણે જેનો નાશ ન કરી શકાય તેવાં વસ્ત્રો પરિધાન કરેલાં હોવા જોઈએ. અને આ શરીર જે મૃત્યુ પામે છે તેણે તેને અમરપણું પરિધાન કરેલું હોવું જોઈએ. 54 એટલે કે શરીર જે નાશવંત છે તેણે અમરપણું ધારણ કરવું જોઈએ અને આ શરીર જે મૃત્યુ પામે છે તેને અમરપણું ધારણ કરાવવું જોઈએ. જ્યારે આ બનશે ત્યારે ધર્મલેખ નીચેનું કથન સત્ય સાબિત થશે:
“મૃત્યુનો વિનાશ થયો અને આ મરણ જયમાં ગરક થઈ ગયું છે.” (A)
55 “મરણ તારો વિજય ક્યાં છે?
મરણ, તારી ઘાયલ કરવાની શક્તિ ક્યાં છે?” (B)
56 પાપ તે મૃત્યુની ઘાયલ કરવાની શક્તિ છે, અને પાપની શક્તિ તે નિયમ છે. 57 પરંતુ આપણે દેવના આભારી છીએ, દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે.
58 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દઢ બનો. કોઈ પણ વસ્તુથી તમારી જાતને બદલવા ન દો. હંમેશા પ્રભુના કામમાં સમર્પિત બનો. તમે જાણો છો કે પ્રભુ પ્રત્યેનું તમારું કાર્ય કદી પણ નિરર્થક જતું નથી.
39 ઈસુએ તેમને આ દષ્ટાંત કહ્યું, “શું એક આંધળો બીજા આંધળાને દોરી શકે? ના! તેઓ બંને ખાડામાં પડશે. 40 વિધાર્થી પોતાના શિક્ષક કરતા મોટો નથી. પરંતુ જ્યારે વિધાર્થી સંપૂર્ણ રીતે વિદ્ધાન બનશે ત્યારે તે તેના શિક્ષક જેવો બનશે.
41 “શા માટે તમે તમારા ભાઈની આંખમાં પડેલા નાના ધૂળના રજકણનું ધ્યાન રાખો છો, પણ તમે તમારી આંખમાં પડેલા મોટા ભારોટિયાને તમે નથી જોતા? 42 તમે તમારા ભાઈને કહો છો, ‘ભાઈ, તારી આંખમાંથી મને નાની ધૂળની રજકણ કાઢી નાખવા દે.’ તમે આવું શા માટે કહો છો? તમે તમારી પોતાની, આંખમાંનો મોટો ભારોટિયો પણ જોઈ શકતા નથી. તમે એક ઢોંગી છો. પહેલા તમે તમારી પોતાની આંખમાંથી મોટા ભારોટિયાને બહાર કાઢો. પછી તમે તમારા ભાઈની આંખમાંથી ધૂળ કાઢવાનું સ્પષ્ટ જોઈ શકશો.
બે પ્રકારના ફળ
(માથ. 7:17-20; 12:34-35)
43 “એક સારું વૃક્ષ ખરાબ ફળ આપતું નથી, તેમ એક ખરાબ વૃક્ષ સારું ફળ આપતું નથી. 44 પ્રત્યેક વૃક્ષ જે પોતે જે ફળ આપે છે તેનાથી ઓળખાય છે. લોકો કાંટાના ઝાડ પરથી અંજીર ભેગા કરતા નથી. અને ઊંટકટા પરથી દ્ધાક્ષ મેળવતા નથી! 45 સારા માણસના હ્રદયમાં સારી વસ્તુઓ સાચવેલી હોય છે તેથી તેના હ્રદયમાંથી સારી વસ્તુઓ બહાર આવે છે. પરંતુ દુષ્ટ માણસના હ્રદયમાં ખરાબ વસ્તુઓ સાચવેલી હોય છે. તેથી તે ખરાબ વસ્તુઓ બહાર કાઢે છે. કારણ કે વ્યક્તિ તેના હ્રદયમાં જે કાંઇ ભરેલું હોય છે તે જ બોલે છે.
બે પ્રકારના લોકો
(માથ. 7:24-27)
46 “તમે મને પ્રભુ, પ્રભુ, શા માટે કહો છો, અને હું જે કહું છું તે શા માટે કરતા નથી? 47 પ્રત્યેક માણસ જે મારી પાસે આવે છે અને મારા શબ્દો ધ્યાનથી સાંભળે છે અને તેનું પાલન કરે છે તે કોના જેવો છે, એ હું તમને બતાવીશ: 48 તે એક મકાન બાંધનાર માણસ જેવો છે. જે ઊડું ખોદે છે અને મજબૂત ખડક પર મકાન બાંધે છે જ્યારે રેલ આવે છે ત્યારે પાણી મકાનને તાણી જવા પ્રયત્ન કરે છે. પરંતુ રેલ ઘરને હલાવી શકતી નથી, કારણ કે મકાન સારી રીતે (મજબૂત) બાંધેલું હતું.
49 “પરંતુ જે માણસ સારા શબ્દો ધ્યાનથી સાંભળે છે પરંતુ તેનું પાલન કરતો નથી તે મજબૂત ખડક પર મકાન નહિ બાંધનાર માણસ જેવો છે. જ્યારે રેલ આવે છે ત્યારે મકાન તરત જ નીચે પડી જાય છે. અને મકાન સંપૂર્ણ નાશ પામે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International