Revised Common Lectionary (Semicontinuous)
સંભારણું- દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ,
અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.
2 તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે;
અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
3 તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી.
મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
4 મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે,
ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
5 મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે
અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
6 હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું,
અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
7 મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં,
અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
8 હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું,
હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9 હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે,
મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે,
આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે,
અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે,
મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે.
પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી,
પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે,
હું એવા માણસ જેવો છું.
15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું;
હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે,
મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.”
17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ,
મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ;
અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે;
જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે,
અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે,
કારણ, હું જે સારું છે
તેને અનુસરું છું.
21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ,
હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 હે યહોવા, મારા તારણના દેવ,
તમે જલદી આવો અને મને મદદ કરો!
યહોવાની ઉપાસના
5 હે યહોવા, અમારા પર શું શું વીત્યું છે તેનું સ્મરણ કર;
ને અપમાન પર નજર કર.
2 દેશ વિદેશીઓના હાથમાં ગયો છે,
અમારા ઘરબાર પારકાઓના કબજામાં ગયા છે.
3 અમે અનાથ અને નબાપા થઇ ગયા છીએ,
ને અમારી માતાઓ વિધવા થઇ ગઇ છે.
4 પીવાના પાણીના પૈસા આપવા પડે છે.
અને લાકડાં પણ વેચાતાં લેવા પડે છે.
5 અમારી ડોક પર ઝૂંસરી મૂકી
અમને પશુની જેમ હાંકવામાં આવે છે.
અમે હવે અનહદ થાકી ગાય છીએ;
અમને વિશ્રામ મળતો નથી.
6 અમારે પેટ ભરીને રોટલો મેળવવા માટે મિસર
અને આશ્શૂર સામે હાથ જોડવા પડ્યા.
7 પાપ કરનારા અમારા પિતૃઓ રહ્યા નથી.
અમારે તેમના પાપની સજા ભોગવવી પડે છે.
8 શાસન કરે છે ગુલામો અમારા પર.
તેમના હાથમાંથી અમને છોડાવનાર કોઇ નથી.
9 જીવને જોખમે અમારે રોટલો મેળવવો પડે છે;
વગડામાં તરવારનું જોખમ છે.
10 દુકાળની ભડભડતી અગનજાળથી
અમારી ચામડી ભઠ્ઠી જેવી તપી ગઇ છે.
11 અમારી સ્ત્રીઓનો સિયોનમાં બળાત્કાર થાય છે,
અને કુમારીકાઓનો યહૂદાના નગરોમાં.
12 અમારા આગેવાનોને તેમના હાથ વડે લટકાવી દેવામાં આવે છે,
અને વડીલોને કોઇ માન આપતું નથી.
13 જુવાનો પાસે ચક્કી પીસાવવામાં આવે છે.
અને છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.
14 વડીલો હવે ચોરે બેસતા નથી.
જુવાનિયાઓએ ગાવાનું છોડી દીધું છે
15 અમારા અંતરનો આનંદ મરી પરવાર્યો છે.
અમારાં નૃત્યો આક્રંદમાં પરિણમ્યા છે.
16 અમારે માથેથી મુગટ પડી ગયો છે,
દુર્ભાગ્ય અમારૂ! કારણકે અમે પાપ કર્યા છે.
17 આને કારણે અમારા હૃદય બીમાર થઇ ગયા છે,
અને આને લીધે અમારી આંખોએ અંધારા આવી ગયા છે.
18 કારણકે સિયોનનો પર્વત ઉજ્જડ થઇ ગયો છે એ જગ્યા,
જ્યાં શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.
19 પણ, યહોવા, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે.
પેઢી-દરપેઢી રાજ્યાસન ચાલુ રહે છે.
20 તું શા કારણે અમને ભૂલી જાય છે?
તેં શા માટે આટલા બધા દિવસ સુધી અમારો ત્યાગ કર્યો છે?
21 અમને પાછા લઇ લે, હે યહોવા!
ત્યારે અમે ફરીથી તારા થઇ જઇશું.
અમને નવું જીવન આપ જેવું તેં ઘણા વર્ષ પહેલા કર્યું હતું.
22 પણ તેં અમને સંપૂર્ણ નકાર્યા છે;
તું અમારા પર બહુ કોપાપમાન થયો છે.
ઈસુ પાસે દેવની સત્તા છે
19 પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે જ માત્ર કરે છે. પિતા જે કરે છે તે જ કામ દીકરો કરે છે. 20 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું જ દીકરાને દેખાડે છે; આ માણસ સાજો થયો હતો, પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે. પછી તમે બધા નવાઈ પામશો. 21 પિતા મૂએલાઓને ઊઠાડે છે અને તેઓને સજીવન કરે છે. તે જ રીતે દીકરો પણ તેની ઈચ્છા હોય તો મૂએલાઓને સજીવન કરે છે.
22 “કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી. પરંતુ પિતાએ ન્યાય કરવાની સર્વ સત્તા દીકરાને આપી છે. 23 દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે.
24 “હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે. 25 હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 કારણ કે પિતા (દેવ) ના પોતાનામાંથી જીવન આવે છે. તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે. 27 અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. શા માટે? કારણ કે તે દીકરો માણસનો દીકરો છે.
28 “આથી તમે આશ્ચર્ય પામશો નહિ. એ સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે. 29 જે લોકોએ જીવનમાં સારા કામો કર્યા છે તેઓ સજીવન થશે અને અનંતજીવન મેળવશે. પરંતુ જે લોકોએ ભૂંડા કામ કર્યા છે તેઓને ન્યાયની સામે ઊભા કરવામાં આવશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International