Old/New Testament
રાજા અમાસ્યાનો અમલ અને મૂર્તિપૂજા
25 અમાસ્યા ગાદી પર આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ યહોઆદાન હતું અને તે યરૂશાલેમની હતી. 2 તેણે યહોવાની ષ્ટિએ જે યોગ્ય હતું તે કર્યું. પણ હંમેશા તે પૂરા હૃદયથી તેમ કરતો ન હતો. 3 રાજા તરીકે તે સ્થિર થયો ત્યારે તેણે પોતાના પિતાના ખૂનીઓને મારી નાખ્યા. 4 જો કે તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યા નહિ, મૂસાના નિયમમાં લખેલી દેવની આજ્ઞાને તે આધીન થયો, “બાળકોના પાપોને કારણે પિતા માર્યા ન જાય, અને પિતાના પાપોને કારણે બાળકો માર્યા ન જાય, પ્રત્યેક પોતાનાં પાપની શિક્ષા ભોગવે છે.”
5 ત્યારબાદ અમાસ્યાએ રાજ્યના બધા લોકોને- યહૂદાના તેમજ બિન્યામીનના વંશના લોકોને ભેગા કર્યા, અને તેમને કુટુંબવાર હજાર હજારના અને સો સોના નાયકો નીચે ગોઠવી દીધા. 20 વરસના અને તેની ઉપરનાની તેણે ગણતરી કરી તો 3,00,000 ચુનંદા યોદ્ધાઓ થયા. તેઓ બધા ઢાલ અને ભાલાથી યુદ્ધ કરવાને સજ્જ હતા. 6 એ પછી તેણે ઇસ્રાએલમાંથી 1,00,000 શૂરવીરોને 3,400 કિલો ચાંદી આપવાની કહીને ભાડે રાખ્યા. 7 પણ એવામાં એક દેવના માણસે આવીને તેને કહ્યું, “મહારાજ, ઇસ્રાએલી સૈનાને તમારી સાથે આવવા ન દેશો, કારણ એ એફ્રાઇમીઓ સાથે યહોવા નથી. 8 એ લોકો જો તમારી સાથે આવશે, તો તમે ગમે તેટલી ધીરતાપૂર્વક લડશો, તો પણ દેવ તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કારણ, જયપરાજય આપવો એ એના હાથની વાત છે.” 9 અમાસ્યાએ કહ્યું, “પણ મેં જે ચાંદી આપી છે તેનું શું?” દેવના માણસે ઉત્તર આપ્યો, “યહોવા તને એથી પણ વિશેષ આપવાને સમર્થ છે.”
10 આથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેમને જુદા પાડીને ઘેર પાછા મોકલી દીધા. એ લોકો યહૂદા પર ભારે રોષે ભરાયા અને ધૂંધવાતા ધૂંધવાતા ઘેર ગયા.
11 ત્યારપછી અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઇ ગયો અને ત્યાં તેણે અદોમના 10,000 માણસોને કાપી નાખ્યા. 12 યહૂદાના માણસોએ બીજા 10,000ને જીવતા કેદ પકડ્યા અને તેમને ખડકની ટોચે લાવી ત્યાંથી હડસેલી મૂક્યા. આથી તેમના બધાના ટુકડે ટુકડા થઇ ગયા. નીચેની ખડકો ઉપર પછડાઇને તેઓ મૃત્યુ પામ્યા.
13 આ દરમ્યાન ઇસ્રાએલના જે સૈન્યને ઘેર મોકલી દીધું હતું, તેઓએ બેથ-હોરોનથી સમરૂન સુધીના યહૂદાના શહેરોમાં લૂંટ ચલાવી. તેઓ 3,000 માણસોને મારી નાખીને, મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા.
14 અદોમીઓને હરાવીને અમાસ્યા પાછો આવ્યો અને જે અદોમીઓના પૂતળાં સાથે લઇ આવ્યો હતો, તેની તેણે પોતાના દેવો તરીકે સ્થાપના કરી, પછી તેણે તેની પૂજા કરવાનું અને તેમની સામે ધૂપ બાળવાનું શરૂ કર્યું. 15 આથી યહોવા તેના ઉપર ખૂબ કોપાયમાન થયા અને તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, “તમે એ લોકોના દેવો પાસેથી સલાહ શા માટે લીધી જે દેવો પોતાના માણસોને પણ તમારા હાથમાંથી બચાવી શક્યા નહોતા?”
16 પરંતુ રાજાએ ગુસ્સે થઇને કહ્યું, “મેં તારી સલાહ ક્યાં માંગી છે? ચૂપ રહે, નહિ તો હું તને મારી નાખીશ.” પ્રબોધકે જતાં જતાં ચેતવણી આપી, “હું જાણું છું કે, દેવે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે કારણકે તેઁ આ મૂર્તિઓની પૂજા કરી છે, અને મારી સલાહ માની નથી.”
17 એ પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલી કહેવડાવ્યું કે, “ચાલો, આપણે મોઢા મોઢ મળીએ.”
18 પછી ઇસ્રાએલના રાજા યહોઆશે (યોઆશે) એમ કહીને વળતો જવાબ મોકલ્યો કે, “લબાનોનના એક નાનકડાં જાંખરાએ લબાનોનના દેવદારને સંદેશો મોકલ્યો, ‘મારા પુત્ર સાથે તારી પુત્રી પરણાવ.’ પણ લબાનોનના એક જંગલી પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા જાંખરાને પોતાના પગ તળે કચડી નાંખ્યુ. 19 ‘મેં અદોમ સર કર્યુ છે’ એમ તું કહે છે, અને તેથી તારું મગજ ફાટી ગયું છે. અદોમ ઉપર વિજય મળવાથી તું ઘણો અભિમાની થઇ ગયો છે, પણ મારી સલાહ છે કે, તું તારે ઘેર રહે અને મારી સાથે યુદ્ધ કરીશ નહિ, રખેને તું અને સમગ્ર યહૂદા ભારે નુકશાન વહોરી લો.”
20 પણ અમાસ્યાએ સાંભળ્યું નહિ. કારણકે તેઓ અદોમના દેવને ભજતા હતા. લડાઇમાં યહૂદા હારી જાય એમ દેવ ઇચ્છતા હતા. તેથી જ તેમણે અમાસ્યાને ઇસ્રાએલ સામે લડાવ્યો. 21 માટે ઇસ્રાએલના રાજા યોઆશે ચઢાઇ કરી; અને તે તથા યહૂદાનો રાજા અમાસ્યા યહૂદાના બેથશેમેશમાં એકબીજાને સામસામે મળ્યા. 22 યહૂદાના માણસો ઇસ્રાએલના માણસોથી હારીને પોતપોતાને ઘેર ભાગી ગયા. 23 પણ ઇસ્રાએલનો રાજા યોઆશ યહૂદાના હારી ગયેલા રાજા અમાસ્યાને કેદ કરીને યરૂશાલેમ લઇ ગયો. ત્યાં તેણે એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધીનો 200 હાથ જેટલો યરૂશાલેમનો કોટ તોડી નંખાવ્યો. 24 વળી દેવના મંદિરમાંથી જે બધું સોનું-ચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં, તે લઇને તે સમરૂન પાછો ફર્યો. આ બધી વસ્તુઓ ઓબેદ-એદોમના તાબામાં હતી-તે રાજાના મહેલમાંથી પણ સંપત્તિ લઇ આવ્યો હતો અને થોડા કેદીઓને પણ સમરૂન પાછા લાવ્યો હતો.
25 ઇસ્રાએલના રાજા યહોઆહાઝના પુત્ર યહોઆશના મૃત્યુ પછી યહૂદાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા 15 વર્ષ જીવ્યો. 26 અમાસ્યાનાં બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદાના તથા ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં નોંધેલા છે. 27 અમાસ્યા યહોવાનું અનુકરણ ન કરતાં અવળે માર્ગે ચાલવા લાગ્યો તે સમયથી યરૂશાલેમમાં લોકોએ તેની વિરૂદ્ધ બંડ કર્યુ. તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને તેને ત્યાં જ ઠાર કરવામાં આવ્યો. 28 ત્યારબાદ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરૂશાલેમ લાવવામાં આવ્યો અને ત્યાં દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો.
રાજા ઉઝિઝયાનું શાસન
26 યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના થયેલા ઉઝિઝયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજા બનાવ્યો. 2 અમાસ્યાના અવસાન પછી ઉઝિઝયાએ એલોથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું.
3 યરૂશાલેમમાં તેણે 52 વર્ષ રાજ કર્યુ; તેની માતા યખિલ્યા યરૂશાલેમની વતની હતી. 4 તે પોતાના પિતા અમાસ્યાને માર્ગે ચાલ્યો, અને યહોવાની ષ્ટિમાં તે સારો રાજા હતો. 5 ઝખાર્યાની હયાતીમાં ઉઝિઝયા દેવને પ્રસન્ન કરવા હંમેશા આતુર હતો. ઝખાર્યાએ લોકોને દેવની સેવા કરવાનો સાચો રસ્તો બતાવ્યો હતો. જ્યારે રાજા દેવના માર્ગે ચાલ્યો; ત્યારે દેવે તેને સફળતા આપી.
6 તેણે પલિસ્તીઓ ઉપર ચઢાઇ કરી ગાથ, યાબ્નેહ અને આશ્દોદની દીવાલો તોડી પાડી અને તેણે આશ્દોદની નજીક અને પલિસ્તીઓના બાકીના પ્રદેશમાં શહેરો બંધાવ્યાં. 7 દેવે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ મદદ કરી. 8 આમ્મોનીઓ ઉઝિઝયાને ખંડણી ભરવા લાગ્યા. તેની કીર્તિ ઠેઠ મિસરની સરહદ લગી ફેલાઇ, કારણ, તે ખૂબ બળવાન બની ગયો હતો.
9 એ ઉપરાંત તેણે યરૂશાલેમમાં “ખૂણાના દરવાજા,” ખીણના દરવાજા અને કિલ્લા દરવાજા પાસે અને દીવાલનાં વળાંક પાસે બુરજો બંધાવ્યા. 10 તેણે રણમાં પણ બુરજો બંધાવ્યા અને અનેક કૂવાઓ ખોદાવ્યા, કારણ, તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમજ ઉચ્ચ પ્રદેશમાં ઘણાં ઢોરો હતાં. તેને ખેતીવાડીનો શોખ હતો, એટલે એણે દ્રાક્ષવાડીઓ ઉગાડનાર અને ફળદ્રૂપ ભૂમિમાં અને પર્વતીય પ્રદેશોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા.
11 ઉઝિઝયા પાસે યુદ્ધ માટે સજ્જ તાલીમ પામેલી સેના હતી, અને મહામંત્રી યેઇએલ અને અધિકારી માઅસેયાએ રાજાના એક સેનાપતિ હનાન્યાના હાથ નીચે તૈયાર કરેલી યાદી પ્રમાણે તેની ટૂકડીઓ પાડવામાં આવી હતી. 12 સેનાનાયકોની કુલ સંખ્યા 2,600 હતી. 13 તેમના નેતૃત્વ હેઠળ 3,07,500 સૈનિકોનું તાલિમબદ્ધ સૈન્ય હતું અને તે દુશ્મનો સામે રાજાનું રક્ષણ કરતું હતું. 14 ઉઝિઝયાએ આખા સૈન્ય ને ઢાલો, ભાલાઓ, ટોપાઓ, બખ્તરો, ધનુષ્ય અને ગોફણો માટે પથ્થરો આપ્યાં હતા. 15 કુશળ શોધકોએ શોધેલાં યુદ્ધના નવાં યંત્રોનું ઉઝિઝયાએ યરૂશાલેમમાં ઉત્પાદન કર્યુ. આ યંત્રો બુરજો પરથી અને દીવાલોને ખૂણેથી બાણો અને મોટા કદનાં પથ્થરો ફેંકવા માટે ઉપયોગી હતા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઇ ગઇ. તેને ઘણી બધી મદદ મળી અને તે એક સાર્મથ્યવાન રાજા બની ગયો.
16 પણ જેમ જેમ તેનું બળ વધતું ગયું, તેમ તેમ તે અભિમાની બનતો ગયો અને તેમાંથી તેનો વિનાશ થયો. તેણે ધૂપની વેદી ઉપર ધૂપ ચઢાવવા માટે યહોવાના મંદિરમાં પ્રવેશ કરીને યહોવાનો ગુનો કર્યો. 17 યાજક અઝાર્યાએ યહોવાના 80 બહાદુર યાજકો સાથે રાજા ઉઝિઝયાની પાછળ પાછળ જઇ તેને રોકીને કહ્યું, 18 “ઉઝિઝયા, યહોવાને ધૂપ ચઢાવવાનો તમને અધિકાર નથી. તે અધિકાર તો એ સેવા માટે પવિત્ર બનાવવામાં આવેલ હારુનના વંશજોને જ છે. પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળો. તમે યહોવાનો ગુનો કર્યો છે. હવે યહોવા દેવ તરફથી તમને સન્માન મળશે નહિ.”
19 એટલે ઉઝિઝયાને ક્રોધ ચઢયો; તેના હાથમાં ધૂપ કરવા માટે ધૂપદાન હતું; યાજકો પર તે કોપાયમાન થયો હતો, એટલામાં ધૂપવેદીની પાસે યહોવાના મંદિરમાં યાજકોના દેખતાં તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો. 20 મુખ્ય યાજક અઝાર્યા અને બીજા યાજકોએ તેના તરફ જોયું તો તેના કપાળ પર કોઢ જણાયો, અને તેને એકદમ મંદિરની બહાર હડસેલી મૂક્યો. યહોવાએ તેને સજા કરી હતી. તેથી તે પોતે પણ બહાર જવા માટે આતુર હતો. 21 પોતાના મૃત્યુ સુધી ઉઝિઝયા કોઢી જ રહ્યો અને એકાંતવાસમાં જીવ્યો. તે મંદિરથી અને પોતાના લોકોથી અલગ કરાયેલો હતો. તેના પુત્ર યોથામે રાજાનો વહીવટ સંભાળી લીધો અને દેશના લોકોનો ન્યાય કરવાનું કામ કર્યુ.
22 ઉઝિઝયાના રાજ્યના બીજા બનાવો પરથી પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક યશાયા-આમોસના પુત્રએ નોંધેલું છે. 23 ઉઝિઝયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો; અને તે કોઢિયો છે એમ કહીને તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાન પાસેના ખેતરમાં તેના પિતૃઓની સાથે ન દફનાવતાં પાસેના ખેતરમાં તેને દફનાવ્યો; પછી તેનો પુત્ર યોથામ નવો રાજા બન્યો.
રાજા યોથામનો અમલ
27 યોથામ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ યરૂશા હતું. અને તે સાદોકની પુત્રી હતી. 2 તેના પિતા ઉઝિઝયાએ જે સઘળું કર્યુ હતું તે પ્રમાણે તેણે યહોવાની ષ્ટિમાં જે સારું હતું તે કર્યુ; પરંતુ યહોવાના મંદિરમાં તે જતો નહિ; પણ લોકોએ ષ્ટ કાર્યો કરવાનું ચાલુ રાખ્યું. 3 તેણે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બંધાવ્યો અને ઓફેલના કોટનું ઘણું બાંધકામ કરાવ્યું. 4 તેણે યહૂદાના પહાડી પ્રદેશમાં નગરો બંધાવ્યાં અને જંગલોમાં કિલ્લાઓ અને બુરજો ચણાવ્યાઁ. 5 તેણે આમ્મોનીઓના રાજા સાથે યુદ્ધ કરી તેને હરાવ્યો, અને તે વરસે આમ્મોનીઓએ તેને 3,400 કિલો ચાંદી, 10,000 માપ ઘઉં, તથા 10,000 માપ જવ સતત ત્રણ વર્ષ સુધી તેને આપતાં રહ્યાં.
6 યોથામ પોતાના બધા નિર્ણયો દેવના માર્ગોને અનુસરીને લેતો હતો. તેથી તે ઘણો બળવાન બનવા પામ્યો. 7 યોથામના રાજ્યના બીજા બનાવોની, તેના બધા યુદ્ધોની અને તેના રાજ્યવહીવટની નોંધ ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના વૃત્તાંતમાં લેવામાં આવેલી છે. 8 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ શાસન કર્યુ. 9 ત્યારપછી તે પિતૃલોકને પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ ગાદીએ આવ્યો.
16 “હું તમને આ વચનો કહું છું તેથી તે લોકો તમારા વિશ્વાસનો નાશ કરવા શક્તિમાન થશે નહિ. 2 લોકો તમને તેમના સભાસ્થાનોમાંથી હાંકી કાઢશે. હા, એવો સમય આવે છે જ્યારે લોકો વિચારશે કે તમને મારી નાખવા તે દેવની સેવા છે. 3 લોકો આ કામ કરશે કારણ કે તેઓએ પિતાને ઓળખ્યો નથી. અને તેઓએ મને પણ ઓળખ્યો નથી. 4 મેં તમને હવે આ વચનો કહ્યાં છે. તેથી જ્યારે આ વસ્તુઓ થવાનો સમય આવે ત્યારે મેં તમને આપેલી ચેતવણી તમે યાદ કરશો.
પવિત્ર આત્માનું કાર્ય
“મેં તમને શરુંઆતમાં આ વચનો કહ્યાં ન હતા કારણ કે ત્યારે હું તમારી સાથે હતો. 5 હવે હું જેણે મને મોકલ્યો છે તેની પાસે પાછો જાઉ છું, પણ તમારામાંથી કોઈએ મને પૂછયું નહિ, ‘તું ક્યાં જાય છે?’ 6 તમારાં હૃદયો વ્યાકુળતાથી ભરાયેલાં છે. કારણ કે મેં તમને આ વચનો કહ્યાં છે. 7 પણ હું તમને સત્ય કહું છું. મારું દૂર જવું એ તમારા માટે સારું છે. શા માટે? કારણ કે હું જ્યારે દૂર જઈશ હું તમારા માટે સંબોધક મોકલીશ. પણ જો હું દૂર નહિ જાઉં તો પછી સંબોધક આવશે નહિ.
8 “જ્યારે સંબોધક આવશે ત્યારે લોકોને આ બાબતો જેવી કે પાપ વિષે, ન્યાયીપણા વિષે અને ન્યાય ચુકવવા વિષે જગતને ખાતરી કરાવશે. 9 સંબોધક ખાતરી કરશે કે લોકો પાપી છે, કારણ કે તેઓને મારામાં વિશ્વાસ નથી. 10 તે તેઓને મારા ન્યાયીપણા વિષે ખાતરી કરાવશે, કારણકે હવે હું પિતા પાસે જાઉં છું. પછી તમે મને જોશો નહિ. 11 અને સંબોધક જગતને ન્યાય વિષે ખાતરી કરાવશે. કારણ કે ખરેખર આ જગતનો શાસક (શેતાન) નો ન્યાય ચુકવવામાં આવ્યો છે.
12 “હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે. પણ હવે તમારા માટે તે બધું સ્વીકારવું વધારે પડતું છે. 13 પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહિ. તે ફક્ત જે સાંભળે છે તે જ બોલશે. તે જે થનાર છે તેના વિષે કહેશે. 14 સત્યનો આત્મા મને મહિમાવાન કરશે. કેવી રીતે? તે મારી પાસેથી વાતો મેળવશે અને તમને તે વાતો કહેશે. 15 પિતા પાસે જે બધું છે તે મારું છે. તેથી હું કહું છું કે આત્મા મારી પાસેથી મેળવશે અને તમને તે કહેશે.
ઉદાસીનતા પ્રસન્નતામાં પરિવર્તન પામશે
16 “ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ. પરંતુ ફરીથી ટૂંક સમય બાદ તમે મને જોઈ શકશો.”
17 કેટલાક શિષ્યોએ એકબીજાને કહ્યું, “જ્યારે તે કહે છે ત્યારે ઈસુ શું સમજે છે, ‘ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ, અને પછી ટૂંક સમય પછી તમે મને ફરીથી જોશો?’ અને તે શું સમજે છે જ્યારે તે કહે છે, ‘કારણ કે હું પિતા પાસે જાઉ છું?’” 18 શિષ્યોએ પૂછયું, “થોડા સમયનો તે શું અર્થ સમજે છે? તે શું કહે છે તે અમે સમજી શકતા નથી.”
19 ઈસુએ જાણ્યું કે શિષ્યો તેને આ વિષે પૂછવા ઈચ્છતા હતા. તેથી ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે હું કહું છું તમે એકબીજાને પૂછો છો હું શું સમજું છું? થોડા સમય પછી તમે મને જોશો નહિ અને પછી બીજા થોડા સમય પછી તમે મને ફરીથી જોશો?” 20 હું તમને સત્ય કહું છું. તમે રડશો અને ઉદાસ થશો, પણ જગતને આનંદ થશે. તમે ઉદાસ થશો પરંતુ તમારી ઉદાસીનતા આનંદમાં ફેરવાઈ જશે.
21 “જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે, તેને પીડા થાય છે કારણ કે તેનો સમય આવ્યો છે. પણ જ્યારે તેના બાળકનો જન્મ થાય છે, તે પીડા ભૂલી જાય છે. તે ભૂલી જાય છે કારણ કે બાળકનો જન્મ આ જગતમાં થયો હોવાથી તે ઘણી પ્રસન્ન હોય છે. 22 તમારી સાથે પણ એવું જ છે. તમે હમણા ઉદાસ છો. પણ હું તમને ફરીથી જોઈશ અને તમે પ્રસન્ન થશો અને કોઈ તમારો આનંદ છીનવી શકશે નહિ. 23 તે દિવસે તમે મને કઈ પૂછશો નહિ. હું તમને સત્ય કહું છું. મારા નામે તમે જે કઈ મારા પિતા પાસેથી માગશો તે તમને આપશે. 24 તમે કદી પણ મારા નામે કશું માગ્યું નથી. માગો અને તમને પ્રાપ્ત થશે. અને તમારો આનંદ સંપૂર્ણ થશે.
જગત પર વિજય
25 “મેં તમને આ વચનો અર્થને છુપાવતા શબ્દોનો ઉપયોગ કરીને કહી છે. પરંતુ એવો સમય આવશે હું તમને વચનો કહેવા માટે તેના જેવા શબ્દોનો ઉપયોગ કરીશ નહિ. હું તમારી સાથે પિતા વિષે સાદા શબ્દોમાં વાતો કરીશ. 26 તે દિવસે તમે મારા નામે પિતા પાસે જે કંઈ માગશો. હું કહું છું કે મારે તમારા માટે પિતાની પાસે કંઈ માગવાની જરૂર પડશે નહિ. 27 ના! પિતા પોતે તમને પ્રેમ કરે છે. તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે મને પ્રેમ કર્યો છે. અને તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે વિશ્વાસ કર્યો છે કે હું દેવ પાસેથી આવ્યો છું. 28 હું પિતા પાસેથી જગતમાં આવ્યો છું. હવે હું જગત છોડીને પિતા પાસે પાછો જાઉ છું.”
29 પછી ઈસુના શિષ્યોએ કહ્યું, “હવે તું અમને સ્પષ્ટ કહે છે. તું સમજવામાં કઠિન પડે એવા શબ્દપ્રયોગ કરતો નથી. 30 હવે અમે જોઈ શકીએ છીએ કે તું બધું જાણે છે. તું વ્યક્તિને તે પૂછે તે પહેલા તેનો ઉત્તર આપે છે. તેથી અમને વિશ્વાસ થાય છે કે તું દેવ પાસેથી આવ્યો છે.”
31 ઈસુએ કહ્યું, “તેથી શું હવે તમે વિશ્વાસ કરો છો? 32 ધ્યાનપૂર્વક મને સાંભળો. સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો. તે સમય હવે અહીં છે. તમે મને છોડી જશો. હું એકલો પડીશ. પણ ખરેખર હું એકલો નહિ હોઉ, કારણ કે પિતા મારી સાથે છે.
33 “મેં તમને આ વચનો કહ્યાં છે જેથી કરીને તમને મારામાં શાંતિ મળે. આ દુનિયામાં તમને મુશ્કેલીઓ પડશે. પરંતુ હિંમતવાન બનો! મેં જગતને પરાજય આપ્યો છે!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International