Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઝખાર્યા 9-12

ઇસ્રાએલના પડોશીઓનું પતન

યહોવાએ વચનરૂપી દેવવાણી હાદ્રાખ દેશ તથા દમસ્કની વિરુદ્ધ આપી છે. ઇસ્રાએલના કુળસમૂહ જ એક માત્ર દેવને જાણનાર નથી. દરેક જણ મદદ માટે તેની તરફ જાય છે.[a] અને એની સરહદે આવેલું હમાથ પણ એનું જ છે. તૂર અને સિદોન પણ ગમે તેટલાં ચતુર હોય તોય એનાં જ છે. તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે સોનાચાંદીને ધૂળની જેમ અને શેરી પરની માટીની જેમ ખૂબજ ભેગા કર્યા છે. પણ યહોવા તેનો કબજો લેશે, તેની બધી સંપત્તિ દરિયામાં ડુબાડી દેશે અને એ શહેર સુદ્ધાંને આગ ભરખી જશે.

આશ્કલોન તે જોઇને થથરી જશે, ગાઝા પણ ભયથી ફફડશે, અને એક્રોનની આશાઓ ખોટી પડશે. ગાઝામાં રાજા નહિ રહે અને આશ્કલોન નિર્જન થઇ જશે. આશ્દોદમાં વર્ણસંકર પ્રજા વસશે, યહોવા કહે છે, “હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ. હું તેમને લોહીવાળું માંસ કે બીજા નિષિદ્ધ પદાથોર્ ખાતાં બંધ કરીશ. એ લોકોમાંથી જેઓ બચવા પામશે તેઓ મારી પ્રજા બની જશે અને યહૂદિયાની એક કોમ જેવા થઇ જશે. અને એક્રોનના લોકો યબૂસીઓની જેમ મારા લોકોમાં ભળી જશે. ઇસ્રાએલમાં હુમલાખોરોને આવતા રોકવા માટે મારા મંદિરની ચારે બાજુ હું રક્ષણ કરીશ અને હું તેઓને દૂર રાખીશ; હું નજીકથી તેઓની હિલચાલ પર નજર રાખીશ. ફરીથી કોઇ વિદેશી જુલમગાર મારા લોકોની ભૂમિ ઉપર આક્રમણ કરશે નહિ.”

ભવિષ્યનો રાજા

સિયોનના લોકો, આનંદોત્સવ મનાઓ,
    હે યરૂશાલેમના લોકો, હર્ષનાદ કરો! કારણ, જુઓ,
તમારો રાજા તમારી પાસે આવે છે.
    તે વિજયવંત થઇને આવે છે.
    પણ નમ્રપણે, ગધેડા પર સવારી કરીને, ખોલકાને-ગધેડીના બચ્ચાને વાહન બનાવીને આવે છે.
10 તે એફ્રાઇમ અને યરૂશાલેમમાં યુદ્ધના રથોને,
    અશ્વોને અને શસ્ત્રોનો નાશ કરશે.

સમગ્ર પ્રજાઓમાં તે શાંતિ સ્થાપશે,
    અને તેનું રાજ્ય સાગરથી સાગર સુધી
    અને ફ્રાતનદીથી પૃથ્વીના છેડા સુધી વિસ્તરશે.

યહોવા પોતાના લોકોની રક્ષા કરશે

11 યહોવા કહે છે, “તમારી સાથે લોહીથી કરેલા કરાર મુજબ
    હું દેશવટો ભોગવતા તમારા ભાઇઓને કારાવાસની ગર્તામાંથી મુકત કરું છું.
12 તમે સઘળા બંદીવાનો, સુરક્ષિત જગ્યાએ આવો,
    હજુ પણ આશા છે, હું આજે તમને કહું છું કે,
હું તમને તમે ભોગવેલાં કષ્ટો કરતા
    બેવડા આશીર્વાદ આપીશ.
13 ગ્રીસના લશ્કર સામે લડવા માટે
    યહૂદિયા મારું ધનુષ થશે,
ઇસ્રાએલ મારું તીર થશે
    અને સિયોન પુત્રો મારી વીંઝાતી તરવાર થશે.”
14 યહોવા તેઓને દેખાશે,
    અને તેના તીર વીજળીની જેમ પ્રહાર કરશે;
યહોવા મારા પ્રભુ, રણશિંગું વગાડશે
    અને દક્ષિણમાં વંટોળિયાની જેમ યહોવા તેમના શત્રુઓની સામે જશે.
15 સૈન્યોનો દેવ યહોવા તેમની ઢાલ થશે,
    અને તેઓ દુશ્મનોને પથ્થરથી નાશ કરી નાખશે,
    તેઓ લોહી દ્રાક્ષારસની જેમ પીશે.
તેઓ વેદીના ખૂણાઓ પરના પ્યાલાઓમાંથી જેવી રીતે રેડાય છે,
    તેવી રીતે લોહી રેલાવશે.
16 તે સમયે તેમનો દેવ યહોવા કોઇ
    ભરવાડ ઘેટાંને બચાવી લે તેમ
    તેના પોતાના લોકોને તે ઉગારી લેશે,
અને તેઓ રાજમુગુટમાં જડેલાં રત્નોની
    જેમ પોતાના સમગ્ર પ્રદેશમાં ઝગમગશે.
17 શી તેમની સંપત્તિ! શું તેમનું સૌભાગ્ય!
    મબલખ અનાજ અને દ્રાક્ષારસ ઉપર
ત્યાંના યુવક-યુવતીઓ અલમસ્ત રહીને
    સુખસમૃદ્ધિ અને આનંદ પામશે.

યહોવાની પ્રતિક્ષા

10 વસંતઋતુમાં વરસાદ માટે યહોવાને પોકારો. તે યહોવા છે જે વાદળો અને વરસાદને મોકલે છે અને દરેક માણસના ખેતરમાં લીલોતરી ઉગાડે છે;

જ્યારે મૂર્તિઓ અર્થ વગરનું બોલે છે. અને જોષીઓ જૂઠા જોષ જુએ છે, સ્વપ્ન જોનારાઓ ખોટાં સ્વપ્નો વર્ણવે છે અને અવાસ્તવિક ભરોસો આપે છે, આથી લોકો બકરાઁની જેમ રખડે છે, તેઓ દુ:ખી છે કારણ, હુમલા સામે તેઓનું રક્ષણ કરનાર કોઇ પાળક નથી.

યહોવા કહે છે, “મારો રોષ રાજકર્તાઓ વિરુદ્ધ સળગી ઊઠયો છે; તેઓએ મારી પ્રજાઓની સાથે જે રીતે વર્તણૂંક કરી છે તેને કારણે હું તેઓને સજા કરીશ.” હું સૈન્યોનો દેવ યહોવા, મારા આશ્રિતો યહૂદિયાઓની સંભાળ લઇશ, અને તેઓને હું યુદ્ધના અશ્વો જેવા બનાવીશ.

“તેઓમાંથી જ ખૂણાનો મુખ્ય પથ્થર, તમામ આશાઓનો આધાર જેના પર છે તે ખીલો, યુદ્ધને જીતનાર ધનુષ્ય, અને દરેક રાજ્યકર્તા પ્રગટ થશે. દેવની સહાયથી તેઓ બળવાન યોદ્ધાઓ થશે અને દુશ્મનોને રસ્તાના કાદવમાં કચડી નાખશે. યહોવા તેમની સાથે છે. તેઓ શત્રુઓના સૈનિકોને હરાવી દેશે. હું યહૂદિયાના લોકોને બળવાન બનાવીશ અને ઇસ્રાએલના લોકોને પણ ઉગારી લઇશ. મને તેમના પર દયા આવે છે, માટે હું તેમને પાછા લાવીશ અને કોણ જાણે કેમ મેં તેમનો ત્યાગ જ ન કર્યો હોય એવી તેમની સ્થિતિ હશે, કારણ, હું યહોવા, તેમનો દેવ છું અને તેમની પ્રાર્થના સાંભળીશ. ઇસ્રાએલના લોકો બળવાન યોદ્ધા જેવા બની જશે અને તેમનાં હૃદય દ્રાક્ષારસ પીધો હોય એમ આનંદમાં આવી જશે. તેમના વંશજો તે જોઇને ખુશ થશે અને મારી કૃપા યાદ કરીને તેમનાં હૃદય હરખાશે.

“હું તેમને સીટી વગાડીને સંકેત કરીશ અને તેઓને સાથે ભેગા થવા માટે બોલાવીશ. અને તેઓની સંખ્યાં વધીને પહેલાનાં જેટલી થશે. મેં તેમને જુદી જુદી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યાં છે છતાં દૂરદૂરના દેશોમાં તેઓ મને સંભારશે. અને તેઓ પોતાનાં બાળકો સાથે જીવતાં પાછા આવશે. 10 હું મિસરમાંથી અને આશ્શૂરમાંથી તેમને પાછા લાવી ઘરભેગાં કરીશ; હું તેમને ગિલયાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ; અને ત્યાં પણ તેઓ એટલા બધા હશે કે ત્યાં પૂરતી જગ્યા નહિ હોય. 11 તેઓ આફતના દરિયામાંથી સલામત પાર ઉતરશે. કારણ, મોજાઓને રોકી રાખવામાં આવશે. નાઇલ નદી સૂકાઇ જશે, આશ્શૂરનો ગર્વ ઉતારવામાં આવશે અને મારા લોક પરના મિસરના શાસનનો અંત આવશે.” 12 યહોવા કહે છે, “હું મારા લોકને મારા સાર્મથ્યથી બળવાન કરીશ, અને તેઓ મારે નામે આગળ વધશે.” આ યહોવાના વચન છે.

જુલ્મી લોકોનો વિનાશ

11 હે લબાનોન તારા દરવાજા ઉઘાડી નાખ,
    જેથી આગ ત્યાં દેવદારોને સ્વાહા કરી જાય!
હે સરૂના વૃક્ષ, વિલાપ કરો, કારણ, દેવદારવૃક્ષ પડી ગયું છે
    અને મજબૂત વૃક્ષો ઊંચકીને લઇ જવામાં આવશે.
બાશાનનાઁ ઓકવૃક્ષો વિલાપ કરો,
    કારણ, ગાઢ જંગલ ખાલી થઇ ગયું છે!
ઇસ્રાએલના ઘેટાંપાળકોની પોકનો અવાજ સાંભળો,
    કારણ તેમનો વૈભવ નષ્ટ થયો છે;
સિંહના બચ્ચાંની ગર્જનાનો અવાજ સાંભળો કારણ,
    યર્દનની ખીણમાંથી જંગલ જેવી ગીચ જાડી નષ્ટ થઇ છે.

પછી યહોવા મારા દેવે મને કહ્યું, “જા, અને કસાઇને ત્યાં વધ કરવા માટે લઇ જવા ખવડાવીને પુષ્ટ કરેલા ઘેટાંનો તું હવે પાળક બન. તેઓના નેતાઓ ઘેટાંને ખરીદનારા વેપારી જેવા છે, તેમના વધ કરે છે અને છતાં તેમને દોષિત હોવાની લાગણી થતી નથી, અને તેને વેચનારા કહે છે કે, ‘યહોવાનો આભાર હું ધનવાન બન્યો,’ તેમના પોતાના ભરવાડો પણ તેમના પર દયા બતાવતા નથી.” યહોવા કહે છે, “હું પણ તેઓને દયા દાખવીશ નહિ, હું તેઓને તેઓના પોતાના દુષ્ટ આગેવાનોના ફંદામાં પડવા દઇશ, અને મરવા દઇશ. તેઓ તેમની જમીનને અરણ્યમાં ફેરવી નાખશે અને હું તે જમીનનું તેઓથી રક્ષણ કરીશ નહિ.”

ઘેટાંના વેપારીઓએ મને મજૂરીએ રાખ્યો. વધ થનારા ઘેટાઁઓના ટોળાને હું ચરાવવા લાગ્યો. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં “કૃપા” પાડ્યું અને બીજીનું નામ “એકતા” પાડ્યું, અને ઘેટાંઓના ટોળાને ચરાવવાનું શરૂ કર્યું. એક મહિનામાં તો મેં ત્રણ ભરવાડોને રજા આપી, કારણ, મારી ધીરજ ખૂટી ગઇ હતી અને તેઓ પણ મને ધિક્કારતા હતા. તેથી મેં તેઓને કહ્યું, “હવેથી હું તમારો પાળક રહીશ નહિ, જે મરવાના છે તે ભલે મરતાં, જે નાશ પામવાના છે તે ભલે નાશ પામતાં, જે બાકી રહે તે ભલે એકબીજાને ખાઇ જતાં.” 10 પછી મેં મારી “કૃપા” નામની લાકડી લઇને તેના બે ટુકડા કર્યા. અને બધી પ્રજાઓ સાથે જે કરાર કર્યો હતો તે તોડી નાખ્યો. 11 આમ, તે દિવસે તે કરારને રદ કરવામાં આવ્યો અને ઘેટાંના જે વેપારીઓ મારા પર નજર રાખી રહ્યાં હતા તેઓ સમજી ગયા કે એ યહોવાનો સંદેશો હતો.

12 પછી મેં તેઓના આગેવાનોને કહ્યું, “જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો. નહિ તો રહેવા દો.” અને તેમણે મને મજૂરી લેખે ચાંદીની ત્રીસ મહોર આપી. 13 પછી મને યહોવાએ કહ્યું, “તેથી આ રીતે તેઓએ તારું મોટું મૂલ્ય આંક્યું છે. તે નાણાંની મોટી રકમ તું મંદિરના ખજાનામાં નાખી દે.” તેથી મેં તે ત્રીસ સિક્કા લઇને યહોવાના મંદિરનાં ખજાનામાં નાખી દીધાં. 14 પછી મેં મારી બીજી લાકડી “એકતા” ને ભાંગી નાખી, એમ સૂચવવા કે યહૂદિયા અને ઇસ્રાએલ વચ્ચે એકતા તૂટી ગઇ છે.

15 પછી યહોવાએ મને કહ્યું, “તું ફરીથી પાળકની જવાબદારી લઇ લે, આ વખતે મારે નકામા અને દુષ્ટ પાળક તરીકે ભાગ ભજવવાનો હતો.” 16 યહોવાએ મને કહ્યું, “આ વખતે હું આ ઢોરના ટોળાઓને એવો પાળક આપીશ કે જે ખોવાયેલાઓને શોધશે નહિ, ઘેટાંઓની સંભાળ રાખશે નહિ, માંદા થયેલાઓને સાજા કરશે નહિ, કે પુષ્ટોને ખાવાનું આપશે નહિ, પરંતુ ચરબી યુકતોને તે પૂરેપૂરા ખાઇ જશે.”

17 એ ઘેટાંને છોડી જનાર
    નકામા પાળકને ચિંતા!
દેવની તરવાર તેની જમણી આંખ
    અને તેના હાથ પર ઘા કરો!
    તેનો હાથ સૂકાઇ જાઓ
    અને તેની જમણી આંખ આંધળી થઇ જાઓ.

શત્રુઓનો વિનાશ-યરૂશાલેમનો ઉદ્ધાર

12 ઇસ્રાએલને લગતી દેવ વાણી, આકાશને ફેલાવનાર અને પૃથ્વીને સ્થિર કરનાર તથા માણસની અંદર જીવ પૂરનાર યહોવાના આ વચન છે: “હું યરૂશાલેમને પડોશી પ્રજાઓ માટે કેફી પ્યાલા જેવો બનાવીશ કે જે નગર પર હુમલો કરશે, તેઓ પણ યહૂદિયા પર હુમલો કરશે. તેઓ યહૂદિયાને પણ ઘેરો ઘાલશે. તે દિવસે હું યરૂશાલેમને બધી પ્રજાઓ માટે ભારે શિલારૂપ બનાવી દઇશ. જે કોઇ તેને ઉપાડવા જશે તે ભયંકર રીતે ઘવાશે. પૃથ્વી ઉપરની બધી પ્રજાઓ ભેગી થઇને તેનો સામનો કરશે. તે દિવસ તેની સામે થનાર સૈન્યોને હું મૂંઝવી નાખીશ અને તેઓને મૂર્ખા બનાવીશ. કેમ કે હું યહૂદિયાના લોકો પર મારી નજર રાખીશ. પણ તેના દુશ્મનોને આંધળા કરી નાખીશ. અને યહૂદિયાના કુળના સરદારો લોકોને પ્રોત્સાહન આપશે તેઓ કહેશે, ‘સૈન્યોનો યહોવા તમારા દેવ છે જેણે આપણને પ્રબળ કર્યા છે.’ તે દિવસે હું યહૂદિયાના આગેવાનોને વનમાં આગ લગાડનાર ચિંગારી સમાન અને ઘાસની ગંજીને આગ ચાંપનાર મશાલ સમાન બનાવીશ. તે જમણી અને ડાબી બાજુના પડોશી દેશોને બાળી નાખશે પણ યરૂશાલેમ અડગ રહેશે.”

યહોવા, પહેલાં યહૂદિયાના ગામોને વિજયી બનાવશે, તે બતાવવા કે દાઉદનું કુળ અને યરૂશાલેમ યહૂદિયાના બીજા લોકો કરતા ચડિયાતા નથી. તે દિવસે હું યરૂશાલેમના વતનીઓનું રક્ષણ કરીશ, જેથી તેઓમાંનો નબળામાં નબળો માણસ પણ દાઉદ જેવો બળવાન બની જશે. અને દાઉદના કુટુંબો દેવની જેમ, યહોવાના દૂતની જેમ તેમની આગળ હશે.

“તે દિવસે હું યરૂશાલેમની સામે ચઢી આવનાર બધી પ્રજાઓનો નાશ કરનાર છું. 10 પછી હું દાઉદના અને યરૂશાલેમના વતનીઓમાં તે દિવસે કરૂણા અને પ્રાર્થનાની ભાવના જગાડીશ, અને તેઓએ જેમને રહેંસી નાખ્યા છે તેના માટે શોક કરશે જેવી રીતે જેઓ પોતાના એક જ સંતાન માટે શોક કરે છે, જેવી રીતે જેઓ પોતાના પહેલા બાળક માટે રડે છે. 11 અને મગિદોનની ખીણમાં હદાદરિમ્મોનના વિચારના જેવા ભારે વિચાર તે દિવસે યરૂશાલેમમાં થશે. 12 દેશનાં સર્વ કુળો એકબીજાથી જુદા પડી જશે અને શોક કરશે. દાઉદના વંશજોના પુરુષો અલગ શોક પાળશે, અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; નાથાનના વંશજોના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે. 13 લેવીના કુટુંબના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; શિમઇના કુટુંબના પુરુષો અલગ શોક પાળશે; અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; 14 અને બાકીના બધા કુટુંબોના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે.”

પ્રકટીકરણ 20

1,000 વર્ષો

20 મેં એક દૂતને આકાશમાંથી નીચે આવતાં જોયો. તે દૂત પાસે અસીમ ઊંડાણની ચાવી હતી. તેમજ તેના હાથમાં એક મોટી સાંકળ પણ હતી. તે દૂતે તે અજગર એટલે ઘરડા સાપને પકડ્યો. તે અજગર શેતાન છે. દૂતે 1,000 વર્ષ માટે તેને સાંકળથી બાંધ્યો. તે દૂતે તે અજગરને અસીમ ઊંડાણમાં નાખ્યો અને તેને બંધ કર્યું. તે દૂતે તાળું મારી તેના પર મહોર મારી. તે દૂતે આ કર્યું, જેથી તે સાપ 1,000 વર્ષ પૂરા થતાં સુધી પૃથ્વીના લોકોને ફરીથી ભ્રમિત કરી શકે નહિ. (1,000 વર્ષ પછી તે અજગરને થોડાક સમય માટે મુક્ત કરાશે.)

પછી મેં કેટલાંક રાજ્યાસનો અને લોકોને તેઓના પર બેઠેલા જોયા. આ તે લોકો હતા, જેઓને ન્યાય કરવાનો અધિકાર અપાયો હતો અને મેં એ લોકોના આત્માઓ જોયા. જેઓનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. કારણ કે તેઓ ઈસુના સત્યને અને દેવ તરફથી આવેલ સંદેશને વફાદાર હતા. એ લોકો તે પ્રાણીને કે તેની મૂર્તિને પૂજતા ન હતા. તેઓનાં કપાળ પર કે તેઓનાં હાથો પર પ્રાણીની છાપ ન હતી. તે લોકો ફરીથી સજીવન થયા અને ખ્રિસ્ત સાથે તેઓએ 1,000 વર્ષ રાજ્ય કર્યું. (બીજા મરેલા લોકો 1,000 વર્ષ પૂરાં થતાં સુંધી ફરીથી સજીવન થયા નહિ.)

આ પ્રથમ પુનરુંત્થાન છે. એ લોકો જેનો પ્રથમ પુનરુંત્થાન માં ભાગ છે તે લોકો ધન્ય અને પવિત્ર છે. તે લોકો પર બીજા મૃત્યુનો અધિકાર નથી. તે લોકો દેવના તથા ખ્રિસ્તના યાજકો થશે. તેઓ 1,000 વર્ષ માટે તેની સાથે રાજ કરશે.

શેતાનની હાર

જ્યારે 1,000 વર્ષ પૂરા થશે ત્યારે શેતાનને તેના અસીમ ઊંડાણમાંથી, બંદીખાનામાંથી મુક્ત કરવામાં આવશે. પૃથ્વી પરના બધા રાષ્ટ્રોને ગોગ અને માગોગને ભ્રમિત કરવા તે બહાર જશે. શેતાન લોકોને લડાઈ માટે ભેગા કરશે. ત્યાં એટલા બધા લોકો હશે, જેથી તેઓ સમુદ્ર કિનારા પરની રેતી જેવા હશે.

શેતાનના લશ્કરે પૃથ્વીની આખી સપાટી પર કૂચ કરીને દેવના લોકોની છાવણીની આજુબાજુ અને તે શહેર જેને દેવ ચાહે છે તેની આજુબાજુ ઘેરો ઘાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ નીચે ઊતર્યો અને શેતાનના લશ્કરનો વિનાશ કર્યો. 10 અને શેતાન ગંધકના સળગતા સરોવરમાં પ્રાણી અને જૂઠા પ્રબોધક સાથે ફેંકાયો હતો. ત્યાં તેઓને દિવસ અને રાત સદાસર્વકાળ વેદના ભોગવવી પડશે.

પૃથ્વીના લોકોનો ન્યાય

11 પછી મેં એક મોટું શ્વેત રાજ્યાસન જોયું. એક જે રાજ્યાસન પર બેઠો હતો તેને મેં જોયો. પૃથ્વી અને આકાશ તેનાથી દૂર જતાં રહ્યા; અને અદશ્ય થઈ ગયા. 12 અને મેં તે લોકોને જેઓ મૃત્યુ પામ્યા હતા એવા નાના મોટા સર્વને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. કેટલાક પુસ્તકો ઉઘાડ્યાં હતાં તેની સાથે જીવનનું પુસ્તક પણ ઉઘાડ્યું હતું. આ મૃત્યુ પામેલા લોકોનો તેઓએ કરેલાં કૃત્યોનો ન્યાય કરવામાં આવ્યો. આ વસ્તુઓ તે પુસ્તકોમાં લખેલી છે.

13 સમુદ્ર તેનામાં જે મૃત્યુ પામેલા લોકો હતા. તેઓને પણ પાછા આપી દીધા અને મૃત્યુ તથા હાદેસે પણ પોતાનામાં રહેલા મૃત લોકોને પણ પાછા આપ્યાં. પ્રત્યેક વ્યકિતનો તેઓએ કરેલા કૃત્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. 14 અને મૃત્યુ અને હાદેસને અગ્નિના સરોવરમાં નાખવામાં આવ્યાં. આ અગ્નિનું સરોવર એ બીજું મરણ છે. 15 અને જે કોઈ વ્યક્તિ જીવનના પુસ્તકમાં નોંધાયેલો ન મળ્યો તે વ્યક્તિને આગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International