Old/New Testament
દાનિયેલને થયેલુ બીજું સંદર્શન
8 રાજા બેલ્શાસ્સારના રાજ્યકાળના ત્રીજા વર્ષે મને દાનિયેલને અગાઉ જે સંદર્શન થયું હતું, તેના જેવું બીજું સંદર્શન થયું. 2 સંદર્શનમાં મે જોયું તો, હું એલામ પ્રાંતમાં આવેલા શુશાન ગઢમાં હતો. હું ઉલાય નદીને કાંઠે ઊભો હતો. 3 મેં જોયું તો ઉલાય નદીને કિનારે એક મેંઢો ઊભેલો હતો. તેને બે શિંગડાં હતાં. એક શિંગડું મોટું હતું. અને મોટું શિંગડુ થોડીવાર પછી બીજા કરતા ઊંચુ થયું. 4 મેં એ મેંઢાને પશ્ચિમમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં શિંગડા મારતો જોયો. તેની આગળ કોઇ પ્રાણી ટકી શકે એમ નહોતું, અને એના પંજામાંથી કોઇ છોડાવી શકે એમ નહોતું. તે મરજીમાં આવે તેમ કરતો હતો અને અભિમાની બની ગયો હતો.
5 આનો અર્થ શો હશે તે હું વિચારતો હતો, એવામાં અચાનક પશ્ચિમમાંથી એક બકરો અતિશય વેગથી પૃથ્વી પર આક્રમણ કરતો ઘસી આવ્યો. તેના પગ જમીનને અડકતા પણ નહોતા એ બકરાની આંખો વચ્ચે એક ભારે મોટું શિંગડું હતું. 6 પહેલા જે શિંગડાવાળા મેંઢાને મેં નદીકાંઠે ઊભેલો જોયો હતો, તેની પાસે આવીને, તે તેના ઉપર પૂરા જોસથી ઘસી ગયો. 7 મેં તેને મેંઢાની પાસે આવતો જોયો. તે મેંઢા પર ક્રોધે ભરાયો હતો. તેણે પૂરા બળથી મેંઢા ઉપર હુમલો કર્યો અને તેના બંને શિંગડાં ભાંગી નાખ્યાં. મેંઢો બિલકુલ લાચાર બની ગયો. બકરાએ તેને નીચે પછાડી દીધો અને તેને પગ તળે કચડી નાખ્યો, કેમકે તેને બકરાથી બચાવનાર કોઇ જ ન હતું.
8 પછી એ બકરો ખૂબ જ અભિમાની બની ગયો, પણ તેનું બળ વધ્યું ત્યાં તેનું મોટું શિંગડું ભાંગી ગયું અને તેને ઠેકાણે ચાર દિશમાં ચાર મોટા શિંગડા ફૂટી નીકળ્યાં.
9 અને તે બધાંમાંથી એક નાનું શિગડું આવ્યું અને દક્ષિણ તરફ, પૂર્વ તરફ અને રળિયામણા દેશ તરફ તે ખૂબ વધી ગયું. 10 વધતું વધતું તે નક્ષત્રમંડળ સુધી પહોંચી ગયું. કેટલાક નક્ષત્રોને અને તારાઓને તેણે પૃથ્વી પર પટક્યાં અને પગ તળે કચડ્યાં. 11 તેણે પોતાને આકાશના સૈન્યના સરદાર જેટલો મહાન કર્યો અને તેની પાસેથી દરરોજનું અર્પણ લઇ લીધું અને તેના મંદિરને અપવિત્ર કર્યું. 12 બળવાને કારણે દૈંનિક અર્પણોની સાથે સૈન્ય પણ આપી દેવામાં આવ્યું; પરિણામે સત્યને જમીન પર ફેકી દેવામાં આવ્યું અને પોતાની મરજી મુજબ ર્વત્યું, ને નઠારૂ-ભૂંડાઇ વિજયી બની અને આબાદ થઇ.
13 પછી મેં એક પવિત્ર દેવદૂતને બોલતો સાંભળ્યો, બીજા પવિત્રે જે પહેલો બોલતો હતો તેને કહ્યું, “જ્યારે રોજીંદા અર્પણો શરૂ થશે, બળવો મંદિરની શરણાગતિ અને સૈન્યને કચડી નાખવાનું એ દ્રશ્યમાન થવાને કેટલો સમય લાગશે?”
14 પહેલાએ જવાબ આપ્યો, “2,300 સવારસાંજ સુધી, ત્યાર પછી મંદિરને પોતાના હક્કનું સ્થાન પાછું મળશે.”
દાનિયેલને સંદર્શન સમજાવવું
15 હું દાનિયેલ આ સંદર્શન જોતો હતો અને તેનો અર્થ સમજવા પ્રયત્ન કરતો હતો ત્યારે એકાએક જોઉં છું તો એક પુરુષ જેવી આકૃતિ મારી સામે ઊભી હતી. 16 મેં ઉલાય નદીને પેલે પારથી આ મનુષ્યનો અવાજ સાંભળ્યો, તેણે કહ્યું, “ગાબ્રિયેલ, દાનિયેલને આ સંદર્શનનો અર્થ સમજાવ.”
17 પછી ગાબ્રિયેલ મારી તરફ આવવા લાગ્યો, તે પાસે આવ્યો; ત્યારે હું એટલો ડરી ગયો કે, હું ઊભો રહી શક્યો નહિ અને ઊંધે મોઢે જમીન પર પડી ગયો. પરંતુ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, સમજી લે કે, આ સંદર્શન અંત કાળનું છે.”
18 એ જ્યારે બોલતો હતો ત્યારે હું જમીન પર મૂછિર્ત થઇને પડ્યો હતો, પણ તેણે મને પકડીને હું જ્યાં પડ્યો હતો ત્યાં ઊભો કર્યો. 19 અને કહ્યું, “જો, હું તને જણાવું છું કે, દેવના ક્રોધને અંતે શું થવાનું છે; કારણ આ સંદર્શન અંતકાળ વિષે છે.
20 “તેઁ જોયેલાં બે શિંગડાવાળો મેંઢો, માદી અને ઇરાનના રાજાઓ છે. 21 અને પેલો બકરો જે લાંબા જાડા બરછટ વાળ વાળો છે, તે ગ્રીસનું રાષ્ટ છે, અને તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું ગ્રીસનો પહેલો રાજા છે. 22 તેં જોયું કે, એ શિંગડું ભાંગી ગયું અને તેની જગ્યાએ ચાર શિંગડાં ફૂટી નીકળ્યાં તેનો અર્થ એ છે કે, તેના વંશમાંથી ચાર રાજ્યો ઉદય પામશે, પણ તેમનામાં એના જેવું બળ નહિ હોય.
23 “તેઓના રાજ્યના અંતકાળે તેઓ નૈતિક રીતે અધ:પતન પામ્યા હશે ત્યારે મુત્સદ્દગીરીમાં કુશળ અને બાહોશ રાજા ઊભો થશે. 24 તે મહા બળવાન હશે અને ભારે વિનાશ નોતરશે. તે જે પણ કરશે, તેમાં તે સફળ થશે. તેની સામે થનારા શકિતશાળી સૈન્યોનો પણ તે નાશ કરશે અને દેવના લોકોને હિંસા દ્વારા નાશ કરશે.
25 “તે પોતાની કુશળતાને લીધે છેતરામણા કાર્યો દ્વારા વિજયી નીવડશે. તે પોતાના મનમાં બહું મહાન બની જશે અને ઘણા લોકોનો ચેતવણી વગર નાશ કરશે. તે પોતાને એટલો મહાન સમજશે કે, તે સરદારોના સરદારને પણ યુદ્ધમાં ઘસડી જશે. પણ આમ કરવામાં તે પોતાનો જ સર્વનાશ નોતરશે. પરંતુ કોઇનાય હાથ વગર તેનો નાશ થશે.
26 “સવાર અને સાંજના અર્પણોનું સંદર્શન જે વર્ણવ્યું છે તે સાચું છે; પરંતુ તું એ સંદર્શનને ગુપ્ત રાખજે, કારણકે તે સાચું પડે તે પહેલાં ઘણાં દિવસો પસાર થઇ જશે. અને તેની પહેલા જે થશે તે સાચું હશે.”
27 પછી હું દાનિયેલ, આ સાંભળીને મૂછિર્ત થઇ ગયો અને ઘણા દિવસો બીમાર રહ્યો. ત્યારબાદ હું સાજો થયો અને રાજા પ્રત્યેની મારી ફરજો બજાવવા લાગ્યો; પરંતુ એ સંદર્શનથી હું અચંબો પામ્યો, અને હું તે સંદર્શન સમજી શકતો ન હતો.
પ્રજા માટે દાનિયેલની પ્રાર્થના
9 અહાશ્વેરોશનો પુત્ર માદીનો દાર્યાવેશ જે બાબિલ રાજ્યનો રાજા હતો, તેના પહેલા વર્ષમાં આ બનાવ બન્યો. 2 તેની કારકિદીર્ના પ્રથમ વર્ષમાં; હું દાનિયેલ, યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી, તે પ્રમાણે યરૂશાલેમ 70 વર્ષ સુધી ખંઢેર રહેશે. તે ઉપરથી તે 70 વર્ષનો વિચાર પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.
3 પછી હું ગંભીરતાથી દેવ તરફ પ્રાર્થના સાથે જાણવા માટે વળ્યો, અને ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને રાખના ઢગલા પર બેસીને, મેં સાચા હૃદયથી દેવ મારા માલિકની પ્રાર્થના કરી. 4 મેં દેવ યહોવાને પ્રાર્થના કરીને આપણા પાપોની કબૂલાત કરતા કહ્યું,
“હે યહોવા, હે મહાન અને ભયાવહ દેવ, તું તારા કરારને વળગી રહે છે, અને તારા ઉપર જેઓ પ્રેમ રાખે છે અને તારી આજ્ઞાઓનું જેઓ પાલન કરે છે તેમના ઉપર તું સદા કરૂણા રાખે છે.
5 “પરંતુ યહોવા અમે પાપ કર્યા છે, દુષ્ટ કૃત્યો કર્યા છે, તમારી સામે બળવો કર્યો છે, તમારી આજ્ઞાઓ અને તમારા હુકમોની ઉપેક્ષા કરી છે. 6 અમારા રાજાઓને, આગેવાનોને તથા અમારા વડવાઓને અને દેશના બધા લોકોને તારા નામે ઉપદેશ આપનાર તારા સેવકો પ્રબોધકોની વાત અમે કાને ધરી નથી.
7 “હે યહોવા, તમે તો વિશ્વાસી છો, પણ આજે શરમાવાનું તો અમારે છે-યહૂદાના માણસોને, યરૂશાલેમના બાકીના લોકોને અને દૂરના તથા નજીકના સર્વ ઇસ્રાએલીઓને અમે તમારા પ્રત્યે વિશ્વાસઘાતી નીવડ્યા તેથી અનેક દેશોમાં તમે અમને વિખેરી નાખ્યાં.
8 “હે યહોવા, આ સર્વ દેશોમાં અમારે શરમાવાનું છે, અમારા રાજાઓને, આગેવાનોને અને અમારા વડવાઓને. કારણ, અમે બધાએ તમારી વિરૂદ્ધ પાપ કર્યા છે, અમે તમારા અપરાધી બન્યા છીએ.
9 “અમારા યહોવા દેવ, તમે તો દયાળુ છો અને ક્ષમા કરો છો, પણ અમે તમારી સામે બળવો પોકાર્યો છે. 10 હે યહોવા, અમારા દેવ, અમે તમારી વાણી માની નથી. તમારા સેવક પ્રબોધકો દ્વારા તમે અમને આપેલા સર્વ નિયમોનો અમે ભંગ કર્યો છે. 11 હા, સર્વ ઇસ્રાએલે તમારી વાણી પ્રત્યે ધ્યાન આપ્યું નથી. તેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ભયાનક શાપ અમારા પર રેડી દેવામાં આવ્યો છે, કેમકે અમે તેની વિરૂદ્ધ પાપ કર્યુ છે.
12 “તમે અમને અને અમારા રાજ્યકર્તાઓને ચેતવણી આપ્યા પ્રમાણે જ કર્યું છે, અને યરૂશાલેમ પર અતિ ભારે આપત્તિ આવવા દીધી છે, પૃથ્વી પર બીજા કોઇ નગરમાં કદી એવી આપત્તિ આવી નથી. 13 મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા ઉપર ઊતરી છે, તેમ છતાં તમને, અમારા દેવ યહોવાને રીઝવવા અમે પ્રયત્ન કર્યો નથી; અમે પાપકૃત્યો છોડ્યાં નથી કે, અમે તમારા સત્યને માર્ગે ચાલ્યાં નથી. 14 હે અમારા દેવ યહોવા, તમે અમારા પર આફત ઉતારવાને રાહ જોઇને બેઠા હતા અને તમે તે ઉતારી પણ ખરી. તમે જે કઇં કર્યું છે તે બધું ન્યાયપૂર્વક કર્યું છે. કારણ, અમે તમારી આજ્ઞાનો અનાદર કર્યો છે.
15 “હે યહોવા, અમારા દેવ, તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને તમારું સાર્મથ્ય પ્રગટ કર્યું છે. તમારા નામનો મહિમા કર્યો છે. યહોવા ફરીથી એવું થવા દો! જો કે, અમે પુષ્કળ પાપ કર્યા છે અને અમે અધમતાથી ભરેલા છીએ. 16 હે યહોવા, તમે અનેક વખત અમને ઉગાર્યા છે; તમારા ન્યાયને માટે તે રીતે હવે તમે યરૂશાલેમ ઉપરથી તમારો રોષ ઉતારી નાખો. એ તો તમારી નગરી છે, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપોને કારણે અને અમારા પિતૃઓના અપરાધોને કારણે યરૂશાલેમ અને તમારી પ્રજા આસપાસના લોકોમાં હાંસીપાત્ર બની ગયાઁ છે.
17 “માટે હવે હે અમારા યહોવા, તમારા સેવકની આજીજી સાંભળો, તેમની વિનવણી ઉપર ધ્યાન આપો અને તમારા પોતાને માટે વિલંબ ન કરો. હે યહોવા, તમારા ખંઢેર બનેલા મંદિર ઉપર તમારી કૃપાદ્રષ્ટિ કરો. 18 હે મારા દેવ, મારી અરજ તમારા કાને ધરો, ને સાંભળો અને આંખ ઉઘાડીને અમારી તારાજી ઉપર નજર કરો. અને તમારા નામે ઓળખાતી નગરી તરફ જુઓ, કારણ, અમે અમારા પુણ્યને બળે નહિ પણ તમારી અપાર કરુણાને બળે તમને વિનવણી કરીએ છીએ. 19 હે યહોવા, સાંભળો, હે યહોવા, ક્ષમા કરો, હે યહોવા, મારું સાંભળો અને કઇંક કરો. તમારા પોતાને માટે હે મારા દેવ, કારણકે તમારા લોકો અને તમારું નગર તમારા નામે ઓળખાય છે.”
70 સપ્તાહો વિષે સંદર્શન
20 હું આ પ્રમાણે પ્રાર્થના કરતો હતો, મારા અને મારા લોકો ઇસ્રાએલીઓના પાપની કબૂલાતો કરતો હતો અને મારા દેવ યહોવા સમક્ષ પવિત્ર પર્વત વતી વિનવણી કરતો હતો. 21 તે જ સમયે ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો. 22 તેણે મને કહ્યું, “દાનિયેલ, દેવના ભવિષ્યવચનો સમજવામાં તને મદદ કરવા હું અહીં આવ્યો છું. 23 તેઁ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું એ જ ક્ષણે યહોવાએ તેનો ઉત્તર આપ્યો અને તે ઉત્તર તને કહેવા માટે હું અહીં આવ્યો છું. કારણકે દેવ તને પુષ્કળ ચાહે છે. હવે તું સાંભળ, અને તેઁ જોયેલા સંદર્શનનો અર્થ સમજવાનો પ્રયત્ન કર!
24 “તમારા લોકો માટે અને તમારી નગરી માટે સિત્તેર અઠવાડિયાં નક્કી થયાં છે, જેમાં દુષ્કૃત્યો બંધ કરવાના છે, પાપનો અંત લાવવાનો છે, અપરાધોની સજા ભોગવવાની છે. અને સૌથી પવિત્રને સમર્પિત થવાનું છે.
25 “માટે હવે તું સાંભળ! યરૂશાલેમ ફરી બાંધવાની આજ્ઞા અપાઇ એ સમયથી નિયુકત કરેલો રાજકુમાર આવે ત્યાં સુધીનો સમય સાત અઠવાડિયાઁનો હશે. છતાં યરૂશાલેમની શેરીઓ તથા ભીતો બાસઠ અઠવાડિયાઁમાં ફરીથી બંધાશે. આ આપત્તિનો સમય હશે. 26 બાસઠ અઠવાડિયાઁ પછી એ અભિષિકતનો વધ કરવામાં આવશે અને કોઇ તેનો પક્ષ નહિ લે. એક સેનાપતિ સૈના સાથે આવીને નગરીનો અને મંદિરનો નાશ કરશે; એનો અંત અચાનક રેલની જેમ આવશે અને અંતીમ સુધી નિર્માયેલાં યુદ્ધ અને વિનાશ ચાલ્યા કરશે.
27 “એ સેનાપતિ અન્ય લોકો સાથે સાત દિવસનું કબૂલાતનામું બનાવશે, તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે; અને તે સમય દરમ્યાન વિનાશ નોતરશે, અને ધૃણાસ્પદ વસ્તુઓ કરશે. ત્યાં સુધી, જ્યારે અંતમાં યહોવાનો ચુકાદો તેની પર લાગુ કરવામાં આવશે.”
સંદેશાવાહક દાનિયેલને થયેલ સંદર્શન
10 ઇરાનના રાજા કોરેશના રાજ્યકાળના ત્રીજા વર્ષ દરમ્યાન દાનિયલ ઉફેર્ બેલ્ટશાસ્સારને બીજું સંદર્શન થયું. તેનો સંદેશો સત્ય હતો અને તે એક મહાન સૈન્ય બાબત હતો. તેણે સંદર્શનમાંનો સંદેશો સમજી લીધો.
2 તે વખતે, “હું દાનિયેલ ત્રણ અઠવાડિયાઁનો શોક પાળતો હતો. 3 તે પૂરાં ત્રણ અઠવાડિયાઁ સુધી મેં કોઇ સ્વાદિષ્ટ ભોજન ખાધું નહોતું, માંસ કે, દ્રાક્ષારસ મારા મોંમાં સુદ્ધાં મૂક્યા નહોતા, તેમજ શરીરે કોઇ તેલ કે, મલાઇ લગાવી નહોતી.
4 “પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, તીગ્રિસ નદીને કિનારે ઊભો હતો, 5 એવામાં મારી નજર ઊંચે ગઇ તો, મારી આગળ એક વ્યકિતને જોયો. જેણે શણનો ઝભ્ભો પહેર્યો હતો, અને કમરે ચોખ્ખા સોનાનો પટ્ટો હતો. 6 તેનું શરીર પોખરાજના જેવું અને તેનો ચહેરો વીજળીના જેવો હતો. તેની આંખો બળતી મશાલ જેવી હતી. અને તેના હાથ અને પગ પિત્તળની જેમ ચળકતા હતાં, અને તેનો અવાજ માનવ મેદનીના અવાજ જેવો હતો.
7 “હું દાનિયેલ એકલો આ મહાન સંદર્શન જોઇ શકતો હતો. મારી સાથેના માણસો તે જોઇ શકતા નહોતા, તેમ છતાં તેઓ ભયભીત થઇને નાસી ગયા અને સંતાઇ ગયાં. 8 હું ત્યાં એકલો સંદર્શન જોતો ઊભો રહ્યો. મેં આ અદ્ભૂત સંદર્શન જોયું ત્યારે મારી શકિત જતી રહી અને હું ભયને કારણે નબળો અને ફિક્કો પડી ગયો. 9 ત્યારબાદ મેં તેમના બોલવાનો અવાજ સાંભળ્યો, અને તે સાંભળતાઁ જ હું મૂર્છા ખાઇને ઊંધે મોઢે ભોંય ઉપર પડ્યો.
10 “પછી અચાનક એક હાથે મને સ્પર્શ કર્યો. હું હજી પણ ુજતો હતો. અને ઘૂંટણ તથા હથેળી ઉપર બેઠો હતો. 11 તેણે મને કહ્યું, ‘હે દાનિયેલ, હે અતિ વહાલા માણસ, હું તને કહું તે ધ્યાનથી સાંભળ, ટટ્ટાર ઊભો રહે. કારણ, હવે મને તારી પાસે મોકલવામાં આવ્યો છે.’ તેણે મને આ પ્રમાણે કહ્યું, એટલે હું ધ્રૂજતો ધ્રુજતો ઊભો થયો. 12 પછી તેણે મને કહ્યું, ‘ડરીશ નહિ, દાનિયેલ, કારણ, જે દિવસથી તેં સમજવાનો પ્રયત્ન કર્યો અને તારા દેવ આગળ દીન થયો તે દિવસથી તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે અને તેના જવાબ રૂપે હું આવ્યો છું. 13 ઇરાનના રાજ્યના રાજકુમારે એકવીસ દિવસ સુધી મારો રસ્તો રોકી રાખ્યો. પછી મુખ્ય દેવદૂતોમાંનો એક મિખાયેલ, મારી મદદે આવ્યો. કારણકે ઇરાન પશિર્યાના રાજાએ મને રોકી રાખ્યો હતો. 14 હું તને તારા લોકો પર ભવિષ્યમાં શું વીતવાનું છે તે સમજાવવા આવ્યો છું; કારણ, આ સંદર્શન ભવિષ્યને લગતું છે.’
15 “તે સમય દરમ્યાન હું માથું નમાવીને જમીન તરફ જોઇ રહ્યો હતો, અને મૂંગો જ ઊભો હતો. 16 પછી અચાનક કોઇક જે માણસ જેવો લાગતો હતો, તેણે મારા હોઠને સ્પર્શ કર્યો એટલે મેં બોલવા માટે મોઢું ખોલ્યું અને જે મારી સામે ઊભો હતો તેને ઉદ્દેશીને કહ્યું, ‘હે મારા માલિક, આ સંદર્શનને કારણે મને ખૂબ વેદના થાય છે. મારામાં કશી શકિત રહી નથી. 17 હું તો માલિક આગળ ઊભા રહેલા ગુલામ જેવો છું. મારા જેવો માણસ તમારી સાથે કેવી રીતે વાત કરી શકે? કારણકે મારી શકિત ચાલી ગઇ છે અને હું મુશ્કેલીથી શ્વાસ લઇ શકું છું.’
18 “પછી તેણે મને ફરીથી સ્પર્શ કર્યો અને મને બળ આપ્યું. 19 અને કહ્યું, ‘હે અત્યંત વહાલા માણસ, ડરીશ નહિ, શાંત થા. હિંમત રાખ. બળવાન બન.’
“એના શબ્દો સાંભળીને મારામાં બળ આવ્યું અને હું બોલ્યો, ‘આપ બોલો, આપે મને બળ આપ્યું છે.’
20 “તેણે કહ્યું, ‘તને ખબર છે હું શા માટે તારી પાસે આવ્યો છું? પહેલા મારે ઇરાનના રક્ષકદૂત સાથે યુદ્ધ કરવાનું છે. હું જઇશ ત્યારે, તરત ગ્રીસનો રક્ષકદૂત નજરે પડશે. 21 સત્યના ગ્રંથમાં શું લખેલું છે એ હું તને કહીશ. તે શાશકો સામે મદદ કરવા માટે હજી સુધી કોઇ નથી સિવાય કે, તમારો દેવદૂત મિખાયેલ.
1 જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું,
તે પ્રિય ગાયસ જોગ લખિતંગ વડીલ તરફથી કુશળતા:
2 મારા પ્રિય મિત્ર, હું જાણું છું તારો આત્મા કુશળ છે. તેથી હું પ્રાર્થના કરું છું કે તું બધી રીતે કુશળ રહે. અને હુ પ્રાર્થના કરું છું કે તું તંદુરસ્ત રહે. 3 કેટલાએક ખ્રિસ્તમાં ભાઈઓ આવ્યા અને તારા જીવનના સત્ય વિષે મને કહ્યું. તેઓએ મને કહ્યુ કે તું સત્યના માર્ગને અનુસરી રહ્યો છે. તેથી હું ઘણો ખુશ થયો. 4 જ્યારે હું સાંભળું છું કે મારાં બાળકો સત્યના માર્ગને અનુસરે છે ત્યારે મને હંમેશા સૌથી વધુ આનંદ થાય છે.
5 મારા પ્રિય મિત્ર, તું ખ્રિસ્તમાં ભાઈઓને માટે હા, પારકા ભાઈઓને માટે પણ, તું જે કંઈ કરે છે તે તું વિશ્વાસ કરનારને યોગ્ય કામ કરે છે. તુ જેને જાણતો નથી એવા ભાઈઓને પણ તું મદદ કરે છે. 6 આ ભાઈઓએ મંડળીને તારા પ્રેમ વિશે વાત કરી છે. કૃપા કરીને તેઓનો પ્રવાસ ચાલુ રાખવામાં તેઓને મદદ કર. દેવ પ્રસન્ન થાય તે રીતે તેઓને મદદ કર. 7 આ ભાઈઓ ખ્રિસ્તની સેવા કરવા માટે આજુબાજુ પ્રવાસ કરી રહ્યા છે. તેઓ જે લોકો વિશ્વાસીઓ નથી તેઓની કોઈ પણ પ્રકારની મદદનો સ્વીકાર કરતા નથી. 8 તેથી આપણે આ ભાઈઓને મદદ કરવી જોઈએ. જ્યારે આપણે તેઓને મદદ કરીએ છીએ, ત્યારે આપણે તેઓના સત્ય માટેના કાર્યમાં સહભાગી થઈએ છીએ.
9 મેં મંડળીને પત્ર લખ્યો છે. પણ દિયોત્રફેસ અમે જે કહીએ છીએ તે ધ્યાનપૂર્વક સાંભળતો નથી. તે હંમેશા તેઓનો આગેવાન થવા ઈચ્છે છે. 10 જયારે હું આવીશ, ત્યારે હું દિયોત્રફેસ શું કરે છે તે વિશે કહીશ. તે જૂઠુ બોલે છે અને અમારા વિષે ભૂંડું બોલે છે. પરંતુ તે જે બધું કરે છે તે એટલું જ નથી! તે જે ભાઈઓ ખ્રિસ્તની સેવાનાં કામો કરે છે તેઓને મદદ કરવાની પણ ના પાડે છે. દિયોત્રફેસ પેલા લોકો જે ભાઈઓને મદદ કરવા ઈચ્છે છે તેઓને પણ અટકાવે છે. અને તે લોકોને મંડળીમાંથી બહિષ્કૃત કરે છે.
11 મારા પ્રિય મિત્ર, જે ખરાબ છે તેને અનુસરો નહિ; જે સારું છે તેને અનુસરો. જે વ્યક્તિ સારું છે તે કરે છે તે દેવથી છે. પણ જે વ્યક્તિ દુષ્ટ કાર્ય કરે છે તેણે કદી દેવને ઓળખ્યો નથી.
12 બધા લોકો દેમેત્રિયસ વિષે સારું બોલે છે. અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે. આપણે પણ તેના માટે સારું કહીએ છીએ. અને તમે જાણો છો કે આપણે જે કહીએ છીએ તે સાચું છે.
13 મારી પાસે ઘણું છે જે મારે તમને કહેવું છે. પણ હું શાહી અને કલમનો ઉપયોગ કરવા ઈચ્છતો નથી. 14 હું જલ્દીથી તારી મુલાકાત લેવાની આશા રાખું છું. પછી આપણે સાથે મળીને વાતો કરી શકીશું. 15 તને શાંતિ થાઓ. જે મિત્રો અહીં મારી સાથે છે તેઓ તને ક્ષેમકુશળ કહે છે. મહેરબાની કરીને ત્યાંના દરેક મિત્રોને વ્યક્તિગત રીતે અમારો પ્રેમ અને ક્ષેમકુશળ કહેજે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International