Old/New Testament
લોકો માટે યહોવાનો ચોકીદાર હઝકિયેલ
33 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્ય પુત્ર, તું તારા દેશબંધુઓને જઇને આ જણાવ; ‘જ્યારે હું, યહોવા, કોઇ દેશ સામે લશ્કર મોકલું છું, ત્યારે ત્યાંના લોકો પોતામાંના એકજણને પસંદ કરીને સંત્રી તરીકે નીમે છે. 3 જ્યારે તે લશ્કરને દેશ પર ચઢી આવતું જુએ છે ત્યારે તે લોકોને ચેતવવા રણશિંગુ ફૂંકે છે. 4 રણશિંગાનો અવાજ સાંભળવાં છતાં જો કોઇ ચેતે નહિ અને લશ્કર આવીને તેને મારી નાખે તો તેની જવાબદારી તેની પોતાની છે. 5 કારણ કે તેણે રણશિંગાનો અવાજ સાંભળ્યો પણ તે ચેત્યો નહિ; જો ચેત્યો હોત તો બચી ગયો હોત.
6 “‘પણ લશ્કરને આવતું જોઇને જો સંત્રી રણશિંગુ ન ફૂંકે અને લોકોને ન ચેતવે અને લશ્કર આવીને કોઇને મારી નાખે, તો તે પોતાને પાપે મર્યો હોવા છતાં હું એને માટે સંત્રીને જવાબદાર ઠેરવીશ.’
7 “હે મનુષ્યના પુત્ર, મેં તને ઇસ્રાએલીઓનો સંત્રી નીમ્યો છે, જ્યારે જ્યારે તું મારી વાણી સાંભળે, ત્યારે ત્યારે મારા તરફથી તું તેમને ચેતવણી આપજે. 8 જો હું કોઇ દુષ્ટ વ્યકિતને તેની દુષ્ટતા ખાતર મોતની સજા કરું અને તું તે માણસને ખોટો રસ્તો છોડી દેવાની ચેતવણી ન આપે, તો તે મરશે તો તેના પોતાના પાપે, પણ એના મોત માટે હું તને જ જવાબદાર લેખીશ. 9 પરંતુ જો તે ખોટો રસ્તો છોડી દેવાની તેને ચેતવણી આપી હોય છતાં તેણે તે નહિ છોડ્યો હોય; તો તે પોતાના પાપે મરશે પણ તું બચી જશે.
દેવ લોકોનો નાશ કરતા ન હતા
10 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલી લોકોને કહે કે તમે આ પ્રમાણે કહો છો: ‘અમારાં પાપોનો બોજ અમારા માથા પર વધી ગયો છે. અપરાધોને લીધે અમે ક્ષીણ થતા જઇએ છીએ, અમે શી રીતે જીવીશું?’
11 “તું એમને કહે કે, ‘હું યહોવા, મારા જીવના સમ ખાઇને કહું છું કે, દુષ્ટ માણસ મરી જાય એમાં મને આનંદ નથી આવતો. હું ઇચ્છું છું કે દુષ્ટ માણસ પોતાના ભૂંડા માર્ગોથી પાછો ફરે અને જીવતો રહે, પાછા ફરો તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, હે ઇસ્રાએલી લોકો, તમે શા માટે મૃત્યુ પસંદ કરો છો?’
12 “હે મનુષ્યના પુત્ર, તારા દેશબંધુઓને કહે કે, ‘કોઇ પુણ્યશાળી માણસ પાપ કરે તો તેનું પુણ્ય તેને બચાવી નહિ શકે. જો કોઇ દુષ્ટ માણસ તેનો દુષ્ટ રસ્તો છોડી દે તો તેનાં કરેલા પાપો તેને પડવા નહિ દે, અને કોઇ પુણ્યશાળી માણસ પાપ કરવાનું શરૂ કરે તો તે જીવતો નહિ રહે.’
13 “હું કોઇ પુણ્યશાળી માણસને કહું કે, તું જીવશે, અને તે મારું પુણ્ય મને બચાવશે એમ માનીને પાપ કરે, તો તેનું કોઇ પુણ્ય સંભારવામાં નહિ આવે, પણ તેણે પાપ કર્યું એટલે તે મરવાનો જ.
14 “હું દુષ્ટ માણસને કહું કે તું મૃત્યુ પામશે, પણ જો તે પોતાના પાપોથી પાછો ફરે અને જે યોગ્ય તથા ભલું છે તે કરે. 15 જો એ ગીરો રાખેલી વસ્તુ પાછી આપે, ચોરેલી વસ્તુ પાછી સોંપી દે અને કશું ખોટું ન કરતાં સાચા જીવનના નિયમો પાળે તો તે જરૂર જીવશે, મરશે નહિ, 16 એણે કરેલું કોઇ પણ પાપ સંભારવામાં નહિ આવે; કારણ કે તેણે નીતિમત્તા અને ન્યાયનો માર્ગ અનુસર્યો છે એટલે એ ચોક્કસ જીવશે.
17 “તેમ છતાં તારા દેશબંધુઓ કહે છે કે, ‘યહોવાનો વ્યવહાર ન્યાયી નથી.’
“પણ હકીકત એ છે કે તેઓનો પોતાનો વ્યવહાર ન્યાયી નથી. 18 હું ફરીથી કહું છું કે જો ન્યાયી માણસ પોતાના ન્યાયી કૃત્યો મૂકી દઇને ભૂંડાઇઓ તરફ વળશે તો તે મૃત્યુ પામશે. 19 પણ જો કોઇ પાપી માણસ પાપનો રસ્તો છોડીને નીતિમત્તા અને ન્યાયના માર્ગે ચાલે ત્યારે તેણે કરેલા સત્કર્મોને કારણે તે જીવશે. 20 છતાં તમે ઇસ્રાએલી લોકો કહો છો એ યહોવાનો વ્યવહાર ન્યાયી નથી, પરંતુ હું તમારામાંના દરેકનો ન્યાય તમારાં કામ પ્રમાણે કરીશ.”
યરૂશાલેમ લઇ લેવાયું
21 અમારા દેશવટાના બારમાં વરસમાં દશમાં મહિનાના પાચમા દિવસે યરૂશાલેમથી નાસી છૂટેલો એક માણસ મારી પાસે આવ્યો અને મને કહ્યું, “નગરનું પતન થયું છે.”
22 તે આવ્યો તે પહેલાની સાંજે મને યહોવાની શકિતનો અનુભવ થયો હતો અને સવારમાં તે મારી પાસે આવ્યો તે પહેલાં યહોવાએ મારું મોં ખોલી નાખ્યું હતું. મને વાચા પ્રાપ્ત થઇ ચૂકી હતી અને પછી હું મૂંગો નહોતો. 23 પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું: 24 “હે મનુષ્યના પુત્ર, યહૂદાના બચી ગયેલા લોકો ખંડિયેર થયેલા નગરોમાં રહે છે. તેઓ એમ કહે છે, ‘ઇબ્રાહિમ એક જ માણસ હતો છતાં તેણે સમગ્ર દેશનો કબ્જો મેળવ્યો! અમે તો ઘણા છીએ, એટલે એ દેશ અમારો જ છે.’
25 “માટે તું તેઓને કહે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: ‘તમે લોહીવાળું માંસ ખાઓ છો, મૂર્તિપૂજા કરો છો અને ખૂન કરો છો. છતાં શું તમે એમ માનો છો કે હું તમને દેશ પાછો આપીશ? 26 તમે તરવાર પર આધાર રાખો છો, ધૃણાસ્પદ રિવાજો પાળો છો, એકબીજાની સ્ત્રીઓ જોડે વ્યભિચાર કરો છો, છતાં તમે દેશનો કબજો તમારી પાસે રહે એમ ઇચ્છો છો!’
27 “‘તેઓને કહે; “યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે, હું મારા જીવના સમ ખાઇને કહું છું કે, જેઓ ખંડિયેર નગરોમાં રહે છે, તેઓ સર્વ તરવારથી ચોક્કસ માર્યા જશે. જેઓ ખેતરોમાં રહે છે તેઓ જંગલી પ્રાણીઓનું ભોજન બનશે, જેઓ ગઢોમાં તથા ગુફાઓમાં રહે છે તેઓ રોગથી મૃત્યુ પામશે. 28 હું આ દેશને ઉજ્જડ કરીશ અને તેના અભિમાની સાર્મથ્યનો અંત આવશે. પર્વત પર વસાવેલા ઇસ્રાએલના નગરોને હું ઉજ્જડ કરીશ, જેથી કોઇ ત્યાંથી પસાર થશે નહિ. 29 તેમણે આચરેલા ધૃણાસ્પદ આચારોને કારણે હું દેશને વેરાન અને ઉજ્જડ બનાવી દઇશ ત્યારે તે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.”
30 “‘હે મનુષ્યના પુત્ર, તારા દેશબંધુઓ કોટની રાંગે અને ઘરના બારણા પાછળ તારે વિષે વાતો કરે છે; “ચાલો, યહોવાનો શો સંદેશો છે તે સાંભળીએ તો ખરા!” 31 એટલે મારા લોકો ગંભીર હોવાનો ઢોંગ કરીને તારી આગળ બેસીને તારું સાંભળે છે. પણ હું તેઓને કહું છું, તેનું પાલન કરવાની ઇચ્છા તેમની નથી. યહોવાને પ્રેમ કરવા વિષે તેઓ મધુર વાતો કરે છે પણ હૃદયોમાં તેઓને દ્રવ્ય પર વધુ સ્નેહ છે.
32 “‘તેઓ તારી સામે એવી રીતે જુએ છે, જાણે તું કોઇ સુંદર અવાજવાળો ગાયક હોય અથવા જાણે તું કોઇ કુશળ રીતે વાજિંત્ર વગાડનારો હોય. તારા સંદેશાઓ તેમના માટે મનોરંજન જેવા હોય છે. કારણ કે તેઓ તારા વચનો સાંભળે છે, પણ તેમનો અમલ તેઓ કરતા નથી, ને તેના તરફ ધ્યાન પણ આપતા નથી! 33 પરંતુ જ્યારે તમારાં વચનો સાચા પડશે અને ચોક્કસ તેમ થશે જ, ત્યારે તેઓ જાણશે કે તેઓની વચ્ચે એક પ્રબોધક આવ્યો હતો.’”
ઇસ્રાએલના સાચા ઘેટાંપાળક
34 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના રાજકર્તાઓને મારા તરફથી સાવધાન કરીને તેમને કહેજે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘હે ઇસ્રાએલના ઘેટાંપાળકો, તમારું આવી બન્યું! તમારે ઘેટાંનું પાલનપોષણ કરવું ન જોઇએ? તમે તો પોતાનું જ લાલનપાલન કરીને સ્વાર્થ સાધો છો. 3 તમે દૂધ પી જાઓ છો, ઊનના કપડાં પહેરો છો અને તાજામાજાં ઘેટાંને મારીને ખાઓ છો, પણ તમે ઘેટાંને ખવડાવતા નથી. 4 તમે પાતળાની કાળજી રાખી નથી, માંદાની સાચવણી કરી નથી, ઘવાયેલાને પાટાપિંડી કરી નથી, જેઓ ભટકી ગયા છે તેઓની તમે શોધ કરી નથી અને તેઓને પાછા લાવ્યા નથી, પરંતુ તેમના ઉપર બળજબરી અને સખતાઇથી શાસન ચલાવ્યું છે.
5 “‘તેથી પાળક વિના તેઓ વિખેરાઇ ગયા અને જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે. 6 મારા ઘેટાં ડુંગરે ડુંગરે અને પર્વતે પર્વતે રખડતાં ફરે છે. ઘેટાંબકરાંના ટોળાં આખા દેશમાં વેરવિખેર થઇ ગયા છે. કોઇને તેમની પડી નથી કે કોઇ તેમને શોધવા જતું નથી.’”
7 માટે હે પાળકો, યહોવાનું વચન સાંભળો: 8 “મારાં ઘેટાં જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે, તેમનો કોળિયો બન્યા છે, કારણ, તેમનો કોઇ પાળક નથી. મારા પાળકોને ઘેટાંની કશી પડી નથી. ઘેટાંને ખવડાવવાને બદલે તેઓ પોતાનું પેટ ભરવાની જ કાળજી રાખે છે.”
9 તેથી ઓ પાળકો, તમે યહોવાનું વચન સાંભળો, હું યહોવા જીવના સમ ખાઇને કહું છું કે, 10 “હું તમારી વિરુદ્ધ છું, હું મારા ઘેટાં માટે તમને જવાબદાર ઠરાવીશ. પાળક તરીકે હું તમને દૂર કરીશ. જેથી પાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તમારા મુખમાંથી છોડાવી લઇશ અને મારા ઘેટાં તમારો ખોરાક બનશે નહિ.”
11 યહોવા મારા માલિક કહે છે: “હું પોતે જ મારા ઘેટાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ. 12 પોતાનાં ઘેટાં આજુબાજુ વેરવિખેર થઇ ગયા હોય ત્યારે ભરવાડ જેમ તેમને શોધવા જાય છે તેમ હું મારા ઘેટાંને શોધવા જઇશ અને તેમને સુરક્ષિત પાછા લાવીશ. જ્યારે તેઓ ગભરાઇ ગયા હોય અને અંધારા વાદળીયા દિવસે ખોવાઇ ગયા હોય. 13 જ્યાં તેઓ વિખેરાઇ ગયા છે તે દેશમાંથી અને પ્રજાઓમાંથી હું તેઓને પાછા લાવીશ અને તેઓને પોતાના દેશ ઇસ્રાએલમાં ઘરે પાછા લાવીશ. ઇસ્રાએલના પર્વતો પર નદીના કાંઠે તથા ફળદ્રુપ જગ્યાઓમાં હું તેઓનું પોષણ કરીશ. 14 હું તેઓને ચારાની સારી જગ્યાઓમાં લઇ જઇશ. ઇસ્રાએલના પર્વતોની ઊંચાઇઓ તેઓ માટે ચરવાની જગ્યા થશે. ત્યાં લીલા બીડમાં શાંતિથી તેઓ સૂઇ જશે. હું તેઓને ઇસ્રાએલના પર્વતોના રસાળ બીડોમાં લાવીશ. 15 હું જાતે મારા ટોળાને ચારીશ અને આરામ કરાવીશ.” આ હું યહોવા માલિક કહું છું.
16 “ખોવાયેલાની હું શોધ કરીશ, આડે રસ્તે ચઢી ગયેલાને હું રસ્તે લાવીશ, ઘવાયેલાને હું પાટાપિંડી કરીશ, પાતળાંને બળ આપીશ; પણ તંદુરસ્ત અને મજબૂત હશે તેમનો હું નાશ કરીશ, અને સારી રીતે તેઓને ચરાવીશ.”
17 અને તમને મારા ટોળાને વિષે હું યહોવા માલિક એમ કહું છું કે, “હું ઘેટાં ઘેટાં, વચ્ચે ન્યાય કરીશ. 18 હે ઘેટાંઓ અને બકરાઓ, ઉત્તમ ચારો આરોગી તમે ધરાયા નથી કે બાકીના ચારાને તમે પગ વડે કચડી નાખો છો? અથવા સ્વચ્છ પાણી પીને તમે ધરાયા નથી કે બાકીનું પાણી પગ વડે ડહોળી નાખો છો? 19 મારા બાકીના ટોળાએ તમારું કચડેલું ખાવું પડે છે અને તમારું ડહોળેલું પાણી પીવું પડે છે!”
20 તેથી યહોવા મારા માલિક કહે છે: “હું આ જાડા અને પાતળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ. 21 તમે જોડાથી અને ખભેથી હડસેલા મારીને મારા માંદા અને ભૂખ્યાને ઘણે દૂર સુધી વિખેરી નાખ્યા છે. 22 તેથી હું પોતે મારા ટોળાને બચાવીશ. પછી કોઇ તેઓને સતાવી શકશે નહિ કે તેઓનો નાશ કરશે નહિ. તેઓ તંદુરસ્ત છે કે પાતળા છે તે હું જોઇશ અને પછી તેઓનો ન્યાય કરીશ. 23 ત્યાર બાદ હું યહોવા, એમની સંભાળ લેવા માટે મારા સેવક દાઉદ જેવો એક ભરવાડ નીમીશ. તે તેમને ચારશે અને તેમનો ભરવાડ બનશે. 24 હું, યહોવા, તેમનો દેવ થઇશ અને મારો સેવક દાઉદ મારા લોકોમાં રાજકર્તા સમાન થશે. હું યહોવા એમ બોલ્યો છું.
25 “હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ અને દેશમાંથી જંગલી પશુઓને હાંકી કાઢીશ એટલે બધા ખુલ્લા ગૌચરમાં શાંતિને સુરક્ષામાં વાસો કરશે અને જંગલમાં સૂશે. 26 મારી ટેકરીની આસપાસ હું મારા લોકોને ત્યાં વસાવીશ અને તેઓનાં ઘરોને આશીર્વાદ આપીશ. અને હું ઋતુ પ્રમાણે વરસાદ વરસાવીશ અને વરસાદ આશીર્વાદ લાવશે. 27 તેઓના ફળના વૃક્ષો ફળ આપશે અને ખેતરોમાં મબલખ પાક થશે. સર્વ લોકો સુરક્ષિત રહેશે. જ્યારે હું તેઓની ગુલામીની સાંકળો તોડી નાખીશ અને તેઓના ભોગે લાભ મેળવનારાઓથી હું તેઓને છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. 28 હવે પછી ફરી કદી ન તો વિદેશી પ્રજાઓ તેમને સતાવશે કે ન તો જંગલી પ્રાણીઓ તેમને ખાઇ જશે. તેઓ શાંત ચિત્તે કોઇનાપણ ભય વગર રહેશે. 29 હું તેમની ભૂમિને એવી ફળદ્રુપ બનાવીશ કે તેની કીર્તિ ચોમેર થશે. ફરી કદી દુકાળ પડશે નહિ. કે કોઇ વિદેશી પ્રજા તેમને ટોણા મારી લજ્જિત કરશે નહિ. 30 તેમને ખાતરી થશે કે, હું, યહોવા તેમનો દેવ તેમની જોડે છું અને તેઓ મારી ઇસ્રાએલી પ્રજા છે.” આ હું યહોવા દેવ બોલું છું.
31 “તમે મારા ઘેટાં છો, જેમનો હું ચારનાર ભરવાડ છું; હું તમારો દેવ છું.” આ યહોવા મારા માલિકના વચન છે.
દેવનું ટોળું
5 હવે તમારા સમૂહના વડીલોને મારે કંઈક કહેંવું છે. હું પણ વડીલ છું. મેં પોતે ખ્રિસ્તની યાતનાઓ જોઈ છે. અને જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેનો હું પણ ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે, 2 દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો. નીચ લોભને માટે નહિ, પણ હોંસથી કરો, દેવની આવી ઈચ્છા છે. તમે સેવા કરવાથી પ્રસન્ન થાઓ છો તેથી આમ કરજો. પૈસાને માટે ન કરતા. 3 જે લોકો પ્રત્યે તમે જવાબદાર છો, તેઓના સત્તાધીશ ન બનશો. પરંતુ તે લોકોને આદશરુંપ થાઓ. 4 પછી જ્યારે મુખ્ય ઘેંટાપાળક (ખ્રિસ્ત) આવશે ત્યારે, તમને મુગટ મળશે. તે મુગટ ઘણોજ મહિમાવંત હશે અને તેની સુંદરતા કદી પણ નાશ પામશે નહિ.
5 જુવાનો, મારે તમને પણ કંઈક કહેવું છે. તમારે વડીલોની સત્તાને સ્વીકારવી જોઈએ અને એકબીજા પ્રત્યે તમારે બધાને વિનમ્ર બનવું જોઈએ.
“દેવ અભિમાની લોકોની વિરૂદ્ધ છે.
પરંતુ વિનમ્ર લોકો પ્રતિ તે કૃપા (દયા) રાખે છે.” (A)
6 તેથી દેવના સમર્થ હાથો નીચે પોતાને વિનમ્ર બનાવો પછી યોગ્ય સમયે તે તમને ઉચ્ચપદે મૂકશે. 7 તમારી બધીજ ચિંતાઓ તેને સોંપી દો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે.
8 તમારી જાતને નિયંત્રિત કરો અને સાવધાન રહો! શેતાન તમારો દુશ્મન છે, અને તે ગાજનાર સિંહની પેઠે કોઇ મળે તેને ખાઇ જવા માટે શોધતો ફરે છે. 9 શેતાનનો વિરોધ કરો. અને તમારા વિશ્વાસમાં સુદઢ બનો. તમે જાણો છો કે તમારા જેવી જ યાતના દુનિયાભરમાં તમારા ભાઇઓ અને બહેનો ભોગવી રહ્યા છે.
10 હા, થોડા સમય માટે તમારે સહન કરવું પડશે. પરંતુ તે પછી, દેવ બધુંજ સાંરું કરશે. તે તમને શક્તિશાળી બનાવશે. તમારું પતન ન થાય તે માટે તમારો આધાર બની રહેશે. તે જ સર્વ કૃપાનો દેવ છે. તેણે તમને ખ્રિસ્તમાં પોતાના મહિમામાં સહભાગી થવા બોલાવ્યા છે. આ મહિમા સદાસર્વકાળ પર્યંત રહેશે. 11 તેને સદાસર્વકાળ સત્તા હોજો. આમીન.
અંતિમ શુભેચ્છાઓ
12 સિલ્વાનુસ, મને ખબર છે કે તે ખ્રિસ્તમાં વિશ્વાસુ ભાઈ છે. તમને આદર સાથે હિંમત અને પ્રોત્સાહન આપવા તેની હસ્તક મેં ટૂંકમા આ લખ્યું છે. મારે તમને કહેવું હતું કે આ તો દેવની ખરી કૃપા છે. અને તે કૃપામાં સ્થિર ઊભા રહો.
13 બાબિલોનની મંડળી તમને સલામ કહે છે. તમારી જેમ તે લોકો પસંદ કરાયેલા છે. ખ્રિસ્તમાં મારો પુત્ર માર્ક પણ તમને સલામ કહે છે. 14 જ્યારે તમે મળો ત્યારે પ્રિતિના ચુંબનથી અકબીજાને સલામ કરજો.
ખ્રિસ્ત ઈસુમાં તમ સર્વને શાંતિ થાઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International