Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
હઝકિયેલ 27-29

તૂર સમુદ્ર પર વ્યાપાર માટેનું મહાન સ્થળ

27 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: “હે મનુષ્યના પુત્ર, તું તૂર વિષે આ મરશિયો ગા. ‘તું એ સમુદ્રકાંઠે વિસ્તરેલા તે નગરને, વિશ્વના વ્યાપારકેન્દ્રને કહે કે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:

“‘હે તૂર, તું કહેતી હતી કે
    હું સુંદર મુગટ છું.
હે તૂર, તું કહેતી હતી, મારા સૌદર્યમાં કોઇ ઊણપ નથી.
    તારી સરહદ ઠેઠ મધદરિયા સુધી વિસ્તરેલી છે.
    તારા બાંધનારાઓએ તારામાં કોઇ ઉણપ રાખી નથી.
તારા પાટિયાં તેમણે સનીર પર્વતના
    સરૂના લાકડાનાં બનાવ્યા હતાં,
અને તારા સ્તંભો બનાવવા માટે
    લબાનોનના એરેજકાષ્ટનો ઉપયોગ કર્યો હતો.
તેઓએ તારાં હલેસાં બાશાનના
    એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં.
તારું તૂતક સાયપ્રસના દક્ષિણ કાંઠેથી
    લાવેલા સરળવૃક્ષના લાકડાનું
    અને હાથીદાંતજડિત બનાવવામાં આવ્યું હતું.
તારા સઢ મિસરના ભરતભરેલા કાપડમાંથી બનાવ્યા હતાં,
    જે તારા માટે વાવટાનું કામ કરતા હતા.
તારી છત અલીશાહ ટાપુઓના નીલ
    અને જાંબુડિયા કાપડમાંથી બનાવી હતી.
તારાં હલેસાં મારનારા સિદોન અને આર્વાદના રહેવાસીઓ હતાં.
    તારા પોતાના કુશળ માણસો તારા ખલાસીઓ હતા.
ગેબાલથી આવેલા કુશળ કારીગરો
    તારું સમારકામ કરતાં હતાં.
દેશપરદેશથી સાગરના બધાં વહાણોના ખલાસીઓ
    તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.

10 “‘તારા સૈન્યમાં પારસ, લૂદ અને પૂટના માણસો સૈનિકો તરીકે સેવાઓ આપતા હતા. તેઓ તારી ભીતો ઉપર ઢાલો અને ટોપો લટકાવતા હતા અને તારી શોભા વધારતા હતા. 11 આર્વાદ અને સિસિલના સૈનિકો તારા કિલ્લાનું રક્ષણ કરતા હતા. ગામ્માદના માણસો તારા બુરજોમાં ફરજ બજાવતા હતા. તેઓની ઢાલો તારી દિવાલોની ઉપર લટકાવેલી હતી, જે તારા ગૌરવમાં વધારો કરતી હતી,

12 “‘તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાશીર્શ વેપાર કરતું હતું. અને તારા બજારમાં તારા માલના બદલામાં ચાંદી, લોખંડ, કલાઇ અને સીસું લવાતું હતું. 13 ગ્રીસ, તુબાલ અને મેશેખથી વેપારીઓ ગુલામો અને પિત્તળના વાસણો લાવતા હતા અને બદલામાં તારો માલ લઇ જતા હતા. 14 બેથતોગાર્માહના લોકો તારા માલના બદલામાં તને ભારવાહક ઘોડા, લડાયક ઘોડા અને ખચ્ચર આપતા હતા. 15 દેદાનવાસીઓ તારી સાથે વેપાર કરતા હતા. ધણા સમુદ્ર તટ પરના પ્રદેશમાં લોકો તારા માલના બદલામાં તને હાથીદાંત અને અબનૂસ આપતા હતા. 16 અરામ તેના વેપારીઓ મોકલીને તારી ઉત્પન્ન કરેલી વસ્તુઓ ખરીદતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામ કરેલી વસ્તુઓ, બારીક મલમલ, પરવાળાં તથા કિંમતી પત્થરો આપતા હતા.

17 “‘યહૂદા અને ઇસ્રાએલના લોકો તારો માલ ખરીદી બદલામાં તને ઘઉં, જૈતુન, મધ, લાખ, તેલ તથા સુગંધીત દ્રવ્યો આપતા હતા. 18 તારે ત્યાં એટલી બધી વસ્તુઓ બનતી હતી અને તારે ત્યાં એટલો બધો માલ હતો કે દમસ્કના લોકો તારી સાથે વ્યાપાર કરતાં અને બદલામાં તને હેલ્બોનનો દ્રાક્ષારસ અને સહારનું ઊન આપતા હતા. 19 દેદાનના લોકો અને ઉઝાલના યુવાનો તને ઘડતરનું લોઢું અને તેજાના અને શેરડી આપી તારો માલ ખરીદતા. 20 દેદાનના લોકો તારા માલના બદલામાં તને ઘોડાના જીન માટે ધાબળા આપતા. 21 અરબસ્તાનના લોકો અને કેદારના આગેવાનો તારા માલની કિંમત ઘેટાબકરાંમાં ચૂકવતાં. 22 શેબા અને રાઅમાહના વેપારીઓ ઉત્તમ જાતના તેજાના, રત્નો અને સોનું આપીને તારો માલ ખરીદતા. 23 હારાન, કાન્નેહ અને એદેન, શેબાના શહેરો અને આશ્શૂર તથા ખિલ્માદના લોકો સાથે તારો વેપાર ચાલતો હતો. 24 તેઓ તને જાતજાતનો કિંમતી માલ, મોંઘું જાંબુડિયા રંગનું કાપડ અને કિનખાબ, ભભકાભર્યા રંગોના ગાલીચા અને ગૂંથેલા મજબૂત દોરડાં વેચતા હતા.

25 “‘મોટાં મોટાં વહાણોમાં તારો માલ દેશવિદેશ જતો હતો.
    તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો.
26 પરંતુ હવે તારા કુશળ ખલાસીઓ તને ભરસમુદ્રમાં લઇ ગયા છે.
    તારું સમર્થ વહાણ પૂર્વના તોફાની પવનોમાં સપડાયું છે અને મધદરિયે તારા ભુક્કેભુક્કા ઉડાવી દીધા.
27 તેં બધું જ ગુમાવ્યું છે,
    તારી બધી દોલત,
તારો બધો જ માલ અને સરસામાન,
    તારા બધા ખલાસીઓ અને સારંગો,
તારા મરામત કરનારાઓ,
    વેપારીઓ અને બીજા બધા જ યોદ્ધાઓ,
બધા જ માણસો-ટૂંકમાં બધું જ ડૂબતાં
    તારી સાથે સમુદ્રમાં ડૂબી ગયું.

28 “‘તારા નાવિકોની ચીસોથી દરિયા કિનારો કંપી ઊઠયો.
29 તે સાંભળીને બધા હલેસા મારનારાઓ,
    બધા નાવિકો, અને સારંગો પોતપોતાના વહાણ ઉપરથી ઊતરીને કિનારે જઇ ઊભા.
30 તેઓ તારું દુ:ખ જોઇને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે
    અને માથા પર ધૂળ નાખી રાખમાં આળોટશે.
31 તેઓ ભારે શોકમાં પોતાનાં માથાં મૂંડાવશે.
    તેઓ શણના વસ્ત્રો પહેરશે
અને પોતાના હૃદયમાં ભારે દુ:ખ સાથે તારા માટે વિલાપ કરશે.

32 “‘તેઓ શોકમાં તારા માટે વિલાપગીત ગાશે,

“‘તૂર જેવું કોણ છે?
    એ તૂરનગરી અત્યારે સાગરમાં શાંત પોઢી ગઇ છે!
33 જ્યારે તારો માલ સમુદ્રમાંથી ઠલવાતો ત્યારે
    તું દરેક પ્રકારની પ્રજાઓને સંતોષતી હતી.
    તારા માલ દ્વારા મેળવાતા પુષ્કળ દ્રવ્યથી રાજાઓના ભંડાર ભરાતાં હતાં.
34 હવે મહાસાગરે તારા ભુક્કા ઉડાવી દીધા છે,
    અને તું સમુદ્રને તળિયે ડૂબી ગઇ છે.
તારો બધો માલ અને તારા બધા માણસો
    તારી ભેગા સમુદ્રને તળિયે પહોંચી ગયા છે.
35 સમુદ્રકાંઠે રહેનારા સર્વ તારી
    દશા જોઇને સ્તબ્ધ થઇ ગયા છે.
તેઓના રાજાઓ ભયભીત થઇ ગયા છે
    અને તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાયેલો છે.
36 દુનિયાભરના વેપારીઓ ડરીને ચીસો પાડી ઊઠયા છે;
કારણ કે તારો અંત ભયંકર આવ્યો છે.
    સદાને માટે હવે તારો નાશ થયો છે.
    હવે તો તું ફરિ કદી હયાતીમાં આવશે નહિ!’”

તૂર પોતાને દેવ માને છે

28 મને યહોવાનું વચન આ પ્રમાણે સંભળાયું; “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજવીને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:

“‘તું અભિમાનથી ફુલાઇ ગયો છે
    અને દેવ હોવાનો દાવો કરે છે,
તું કહે છે, “દેવની જેમ હું
    સમુદ્રોની મધ્યે આસન પર બેસું છું.”

“‘તું દેવના જેવો જ્ઞાની હોવાનો દાવો ભલે કરે,
    પરંતુ તું નાશવંત મનુષ્ય છે, દેવ નહિ.
છતાં તું દેવ હોવાનો દંભ કરે છે,
    તું એમ માને છે
કે તું દાનિયેલ કરતા પણ ડાહ્યો છે.
    તારાથી કશું અજાણ્યું નથી.
તારા ડહાપણ અને તારા કૌશલથી
    તે સોનાચાંદીના ભંડાર ભર્યા છે.
તું વેપારમાં ઘણો કાબેલ છે.
    તેથી તું ઘણો ધનવાન થયો છે
અને તે કારણે
    તું અભિમાની થયો છે.

“‘તેથી યહોવા મારા માલિક કહે છે:
તું દેવોના જેવો જ્ઞાની હોવાનો દાવો કરે છે.
તેથી હું તારા પર હુમલો કરવા માટે ઘાતકીમાં
    ઘાતકી પરદેશીઓને લઇ આવીશ.
તેં તારી કુશળતાથી અને દાનાઇથી જે સંપત્તિ પ્રાપ્ત કરી છે
    તે બધાનો નાશ કરી,
    તેઓ તારી કીર્તિને ઝાંખી પાડશે.
તેઓ તારા પ્રાણ લેશે અને તને નરકના ખાડામાં ધકેલી દેશે.
    અને સાગરને તળિયે પહોંચાડી દેશે.
તેઓ તારો પ્રાણ લેવા આવશે ત્યારે
    પણ તું એમ જ કહેતો રહીશ કે, “હું દેવ છું?”
તું દેવ નથી, તું તો કેવળ માણસ જ છે.
    અને તે પણ વધ કરનારાઓના હાથમાં પડેલો છે.
10 તું બેસુન્નત વિદેશીની જેમ વિદેશીઓના હાથે મૃત્યુ પામશે.
    તેથી મેં આમ કહ્યું છે.’”
એમ યહોવા મારા માલિક કહે છે.

11 મને ફરીથી યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 12 “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજાને માટે શોકગીત ગા. અને તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:

“‘એક વખત તું સંપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો,
    તું જ્ઞાનનો અને સૌદર્યનો ભંડાર હતો.
13 દેવના ઉદ્યાન એદનમાં તારો વાસ હતો
અને બધી જાતના રત્નો તું ધારણ કરતો હતો;
    હીરા, માણેક, પોખરાજ,
    નીલમ, અકીક, બદામી ઇન્દ્રનીલ,
    પન્ના અને તારાં આભૂષણો સોનાનાં હતાં.
તારા જન્મ સમયે
    તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.
14 તારું રક્ષણ કરવા એક અભિષિકત રક્ષક
    દૂત તરીકે નીમ્યો હતો.
તું દેવના પવિત્ર પર્વત પર જઇ શકતો હતો
    અને અગ્નિના ચળકતાં પથ્થરો પર ચાલતો હતો.
15 તું જન્મ્યો ત્યારે તારું આચરણ નિષ્કલંક હતું,
    પણ પાછળથી તારી દુષ્ટતા પ્રગટ થવા માંડી.
16 તારો વધતો જતો વ્યાપાર તને હિંસામાં
    અને પાપમાં ખેંચી ગયો.
આથી મેં તને દેવના પવિત્ર
    પર્વત પરથી હાંકી મૂક્યો.
જે દેવ દૂત તારું રક્ષણ કરતો હતો
    તેણે તને ઝળહળતાં રત્નોમાંથી તગેડી મૂકયો.
17 તારા સૌદર્યને કારણે તું ફુલાઇ ગયો હતો
    અને તારી કીર્તિને કારણે તારી બુદ્ધિ બહેર મારી ગઇ હતી.
મેં તને ભોંય ઉપર પટક્યો છે
    અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.
18 તારા વેપારમાં તેં એટલાં બધાં પાપો
અને ષ્ટતા આચર્યા કે તારા મંદિરો
    પણ ષ્ટ થઇ ગયા.
આથી, હે તૂર, મેં તને આગ ચાંપી
    અને તને બાળીને ભોંયભેગો કરી દીધો.
આજે તને જોનારા સૌ કોઇ
    તને ભસ્મીભૂત થયેલો જુએ છે.

19 “‘જે પ્રજાઓ તને ઓળખતી હતી
    તે બધી તારી દશા જોઇને સ્તબ્ધ થઇ ગઇ છે.
તારું પરિણામ ભયંકર આવ્યું છે,
    સદાને માટે તારો નાશ થયો છે.’”

સિદોન વિરુદ્ધ સંદેશ

20 ફરીથી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 21 “હે મનુષ્યના પુત્ર, તું સિદોન તરફ મુખ કરીને તેની વિરુદ્ધ પ્રબોધ કર. 22 તેણીને કહે, ‘યહોવા મારા માલિક કહે છે:

“‘હે સિદોન, હું તારી વિરુદ્ધ છું.
    હું તારા સ્થાનમાં મારો
મહિમા પ્રગટ કરીશ.
    તારામાં વસતા લોકોને સજા કરી હું
મારી પવિત્રતા પ્રગટ કરીશ
    ત્યારે લોકો જાણશે કે હું યહોવા છું.
23 હું તારા પર મરકી મોકલીશ.
    તારી શેરીઓમાં લોહી વહેશે. કારણ,
જેઓની હત્યા થઇ છે તેઓ ત્યાં પડ્યા છે.
    પછી તને ખાતરી થશે કે હું યહોવા છું.’”

રાષ્ટ ઇસ્રાએલની મશ્કરી કરવાનું બંધ કરશે

24 યહોવાએ કહ્યું, “‘ઇસ્રાએલનો તિરસ્કાર કરનારી આજુબાજુની પ્રજાઓ હવે કદી તેને ભોંકાતા કાંટા કે ઝાંખરાની જેમ હેરાન નહિ કરે. અને ત્યારે તેઓને ખબર પડશે કે હું યહોવા તમારો માલિક છું.’”

25 આ યહોવા મારા માલિકના વચન છે: “ઇસ્રાએલીઓને મેં જે પ્રજાઓમાં વેરવિખેર કરી નાખી છે, તે બધામાંથી હું તેમને પાછા લાવી એકત્ર કરીશ અને ત્યારે બધી પ્રજાઓને ખબર પડશે કે હું પવિત્ર છું. ઇસ્રાએલના લોકો, મેં મારા સેવક યાકૂબને આપેલી તેમની પોતાની ભૂમિમાં વસશે. 26 તેઓ ઇસ્રાએલમાં શાંતિપૂર્વક રહેશે, ઘરો બાંધશે અને દ્રાક્ષની વાડીઓ રોપશે. તેમની સાથે દુર્વ્યવહાર કરનારી આજુબાજુની પ્રજાઓને હું સજા કરીશ અને તેઓ શાંતિથી રહેશે. ત્યારે તેઓને ખબર પડશે કે હું તેમનો દેવ યહોવા છું.”

મિસરને શિક્ષા થશે

29 યહોયાકીન રાજાને બંદીવાન થયાને દશમા વર્ષના દશમા મહિનાના બારમા દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુન તરફ મોં કરીને તેની અને તેના આખા દેશના સર્વ લોકો વિરુદ્ધ પ્રબોધ કર. તેને સંબોધીને કહે કે ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:

“‘હે મિસરના રાજા ફારુન,
    હે નાઇલ નદીના જળમાં આળોટતા મગર, હું તારી સામે પડ્યો છું.
તું એવો દાવો કરે છે કે “નાઇલ નદી તારી છે.
    તેં પોતે એનું સર્જન કર્યું છે.”

“‘હું તારા જડબામાં આંકડી પરોવીશ અને તારી નાઇલની માછલીઓ
    તારાં ભિંગડાને ચોંટી રહે એમ કરીશ.
અને એ બધી માછલીઓ સાથે હું
    તને નદીમાંથી બહાર ખેંચી કાઢીશ.
હું તને અને તારી નાઇલની બધી માછલીઓને રણમાં ફગાવી દઇશ.
    તું ખુલ્લી જમીન ઉપર પડ્યો રહીશ.
કોઇ તને દફનાવશે નહિ.
    હું તને પશુપંખીઓનો આહાર બનાવીશ.
ત્યારે મિસરના બધા લોકોને
    ખબર પડશે કે હું યહોવા છું.

“‘તેં ઇસ્રાએલીઓને આપેલો ટેકો બરુની
    લાકડીના ટેકા સમાન હતો.
જ્યારે જ્યારે તેમણે એ લાકડી પકડી ત્યારે ત્યારે તે તેમના હાથમાં ભાંગી ગઇ,
    અને તેમના ખભાને તેણે ચીરી નાખ્યા.
ને તેમણે જ્યારે એનો ટેકો લીધો ત્યારે
    તે તૂટી ગઇ અને તેમનાં અંગો ધ્રૂજતા રહ્યાં.’”

તેથી યહોવા આ પ્રમાણે કહે છે:
“હે મિસર, હું તારી વિરુદ્ધ સૈન્યને મોકલીશ
    અને તારા લોકોની અને ઢોરઢાંખરની હત્યા કરાવીશ.
મિસર વેરાન અને ઉજ્જડ થઇ જશે;
    અને ત્યારે લોકોને ખબર પડશે કે હું યહોવા છું.”

દેવ કહે છે, “કારણ કે તેં કીધુ હતું કે નાઇલ નદી તારી છે અને તેં જ તેને બનાવી છે, 10 ‘તેથી હું તારી અને તારી નાઇલ નદીની વિરુદ્ધ છું,’ હું સમગ્ર મિસરને ઉત્તરમાં મિગ્દોલથી માંડીને ઠેઠ કૂશની સરહદ પાસે આવેલા આસ્વાન સુધી વેરાન અને ઉજ્જડ બનાવી દઇશ. 11 ચાળીસ વર્ષ સુધી આ દેશમાં માણસ કે પશુ કોઇ ફરશે નહિ. તેમાં કોઇ વસવાટ કરશે નહિ. 12 હું મિસરને ઉજ્જડ બનાવીશ તથા તેની આજુબાજુના દેશોને પણ ઉજ્જડ બનાવીશ. તેના નગરો ચાલીસ વર્ષ સુધી ખંડિયેર જેવા રહેશે, હું મિસરવાસીઓને બીજા દેશોમાં અને પ્રજાઓમાં વિખેરી નાખીશ.”

13 આ યહોવા મારા માલિકના વચન છે: “ચાળીસ વર્ષને અંતે મિસરીઓ જે પ્રજાઓમાં વેરવિખેર થઇ ગયેલા હશે તેઓમાંથી તેમને પાછા ભેગા કરીશ. 14 હું મિસરની જાહોજલાલી પુન:સ્થાપિત કરીશ અને હું તેઓને મિસરની દક્ષિણના પાથોર્સમાં જ્યાં તેઓનો જન્મ થયો હતો ત્યાં પાછા લાવીશ. પણ તેઓ મહત્વના નહિ તેવા નાના રાજ્ય તરીકે રહેશે. 15 બધા રાજ્યોમાં તે નાનામાં નાનું રાજ્ય હશે. અને તે કદી બીજી પ્રજાઓ પર સત્તા નહિ ચલાવી શકે, હું તેમને એવા તો પામર બનાવી દઇશ કે તેઓ બીજી પ્રજાઓને તાબે નહિ કરી શકે. 16 ઇસ્રાએલ હવે કદી મિસરની સહાય પર આધાર રાખશે નહિ, કારણ કે જેટલી વાર તે મિસરની મદદ મેળવવાનો પ્રયાસ કરશે તેટલી વાર તેને યાદ આવશે કે તેની મદદ મેળવવા માટે ઇસ્રાએલે પાપ કર્યું હતું. ત્યારે ઇસ્રાએલ જાણશે કે હું એકલો જ, યહોવા મારા માલિક છું.”

મિસરને બાબિલ લેશે

17 સત્તાવીસમાં વર્ષના પહેલા મહિનાના પહેલા દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 18 “હે મનુષ્યના પુત્ર, બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તૂર ઉપર હુમલો કર્યો, તેના સૈનિકોએ એટલી સખત મહેનત કરી કે તેમના વાળ ખરી પડ્યા અને તેમના ખભા છોલાઇ ગયા તેમ છતાં તેને કે તેના સૈન્યને પોતાની મહેનતનું કશું વળતર ન મળ્યું.” 19 તેથી યહોવા મારા માલિક કહે છે કે, “હું મિસરની ભૂમિ બાબિલના રાજા નબૂખાદરેસ્સારને આપીશ અને તે એની સર્વ સંપત્તિ તેના શ્રમના બદલા તરીકે લઇ જશે. 20 તૂર સામે એણે કરેલી મહેનતના બદલામાં હું તેને મિસરની ભૂમિ આપી દઉં છું, કારણ, તેની સેના મારે માટે કામ કરતી હતી.” આ યહોવા મારા માલિક બોલ્યા છે.

21 “અને એવો દિવસ આવશે કે હું જ્યારે ઇસ્રાએલને તેનું અગાઉનું બળ ફરીથી આપીશ. જેથી એ લોકોની આગળ તું બોલી શકે, અને ત્યારે લોકો તારા શબ્દો પ્રત્યે આદર રાખશે અને મિસર જાણશે કે હું યહોવા છું.”

1 પિતર 3

પત્નીઓ અને પતિઓ

તે જ રીતે પત્નીઓએ પતિઓની સત્તાને સ્વીકારવી જોઈએ. તેથી જો તમારામાંના કેટલાએક પતિઓ દેવની સુવાર્તાને અનુસરવા ના પાડે, તો તેઓને અનુસરવા સમજાવી શકાય. તમારે કંઈજ કહેવાની જરુંર નથી. તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી સમજી શકશે. દેવ પ્રત્યેના સન્માન સાથે તમે જે જીવન જીવો છો તે તમારા પતિઓ જોશે. તમારો બાહ્ય શણગાર કલાત્મક રીતે ગુંથેલા કેશ, સોનાના ઘરેણાંનો કે સુંદર વસ્ત્રોનો એવો ના હોય. ના! તમારી સુંદરતા તો એવી હોવી જોઈએ જે તમારા અંત:કરણમાંથી આવતી હોય. નમ્ર અને શાંત આત્માની આ સુંદરતા કદી અદશ્ય નહિ થાય. તે દેવ માટે ઘણીજ મૂલ્યવાન છે.

ઘણા વખત પહેલા દેવને અનુસરનારી પવિત્ર નારીઓ સાથે પણ આમ જ હતું. એજ રીતે તેમણે તેઓની જાતને સુંદર બનાવી હતી અને તેમના પતિઓની સત્તાને તેમણે સ્વીકારી હતી. હું સારા જેવી સ્ત્રીની વાત કરું છું. તે પોતાના પતિ ઈબ્રાહિમને આજ્ઞાંકિત રહી અને તેને પોતાનો સ્વામી ગણ્યો. અને જો તમે હંમેશા યોગ્ય વર્તન કરો અને ભયભીત ન બનો તો તમે પણ સારાનાં સાચાં સંતાન છો.

તે જ રીતે તમારે પતિઓએ પણ તમારી પત્નીઓ સાથે સમજણપૂર્વક રહેવું જોઈએ. તમારી પત્નીઓ પ્રત્યે તમારે માન દર્શાવવું જોઈએ. તેઓ તમારા કરતાં નબળું પાત્ર છે. પરંતુ જે દેવના આશીર્વાદ તમને લભ્ય છે તે તેઓને પણ લભ્ય છે, અને એ કરૂણા પણ જે તમને સાચું જીવન બક્ષે છે. આમ કરો કે જેથી તમારી પ્રાર્થનામાં કોઈ મુશ્કેલી ઊભી નહિ થાય.

સત્કર્મ કરવાને કારણે પડતું દુ:ખ

તેથી તમારે બધાએ ઐક્ય ભાવથી રહેવું જોઈએ. અને એક બીજાને સમજવાનો અને ભાઈની જેમ અકબીજાને પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. દયાળુ અને વિનમ્ર બનો. એક વ્યક્તિ કે જેણે તમારું ભૂંડું કર્યુ હોય તો તેનો બદલો વાળવા તમે ભૂંડુ ન કરો. તમારા માટે નિંદા કરનારની સામે બદલો વાળવા તમે નિંદા ન કરો. પરંતુ દેવ પાસે તેને માટે આશીર્વાદ માગો. આમ કરો કારણ કે તમને જ આવું કરવા દેવે બોલાવ્યા છે. તેથી જ તમે દેવના આશીર્વાદને પાત્ર બન્યા છો. 10 પવિત્રશાસ્ત્ર કહે છે કે,

“જે વ્યક્તિ જીવનને પ્રેમ કરવા માગે છે
    અને સારા દિવસોનો આનંદ માણવા માગે છે
તો તેણે દુષ્ટ બોલવા માટે પોતાની જીભ બંધ કરી દેવી જોઈએ,
    અને જુઠું બોલવાથી પોતાના હોઠ બંધ કરી દેવા જોઈએ.
11 તે વ્યક્તિએ દુષ્ટ કાર્ય કરવાં ન જોઈએ અને સત્કર્મ કરવાં જોઈએ;
    તેણે શાંતિની શોધ કરવી જોઈએ અને તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
12 પ્રભુની નજર સારા લોકો પર હોય છે,
    અને દેવ તેઓની પ્રાથૅનાઓ સાંભળે છે;
પરંતુ દેવ દુષ્ટતા કરનારની વિરૂદ્ધ છે.” (A)

13 જો તમે હંમેશા સત્કર્મને સમર્પિત હો તો કોઇ પણ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહિ. 14 પરંતુ સત્કર્મ કરવા છતાં પણ તમારે દુ:ખ સહન કરવું પડે. જો આમ થાય તો તમને ધન્ય છે. તમને દુ:ખી કરનાર લોકોથી ગભરાશો નહિ કે મુશ્કેલી અનુભવશો નહિ. 15 પરંતુ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારા હ્રદયમાં પવિત્ર માનો. તમારી આશા માટે સંદેહ કરે તેને પ્રત્યુત્તર આપવા હંમેશા તૈયાર રહો. 16 પરંતુ તમારો પ્રત્યુત્તર વિનમ્ર અને માનસહિત હોવો જોઈએ. તમે હંમેશા સારું કરો છો તેવી લાગણી અનુભવવા માટે સાર્મથ્યવાન બનો. તમે જ્યારે આમ કરશો ત્યારે, તમારા માટે ખરાબ બોલનાર લોકો શરમાશે. ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની તેઓ નિંદા કરે છે અને તેથી તમારા વિષે ખરાબ માટે તેઓ શરમાશે.

17 ખરાબ કામ કરી અને સહન કરવું એના કરતાં સારું કામ કરી અને સહન કરવું તે વધારે સારું છે. હા, જો દેવ તમે ઈચ્છતો હોય તો તે વધારે સારું છે.

18 ખ્રિસ્ત પોતે તમારા માટે મરણ પામ્યો.
    અને મરણ તે તમારા પાપની એક ચૂકવણી હતી.
તે ગુનેગાર નહોતો.
    પણ ગુનેગાર લોકો માટે તે મરણ પામ્યો.
    તમને બધાને દેવની નજીક લાવવા
તેણે આમ કર્યુ તેનું શરીર મરણ પામ્યું,
    પરંતુ આત્મા દ્ધારા તે સજીવન થયો.

19 તે કારાવાસમાં ગયો અને આત્માઓને આત્મામાં ઉપદેશ કર્યો. 20 તે એ આત્માઓ હતા કે જેમણે ઘણો વખત પહેલા એટલે કે નૂહના સમયમાં દેવની અવજ્ઞા કરનારા હતા. જ્યારે નૂહ વહાણ બાંધી રહ્યો હતો ત્યારે દેવ ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તે વહાણમાં માત્ર થોડાક જ લોકોને બચાવવામાં આવ્યા હતા. તેઓ આઠ જણ હતા. તે લોકો પાણીથી બચાવી લેવાયા. 21 એ દષ્ટાત પ્રમાણે તે પાણી બાપ્તિસ્મા સમાન છે જે તમને અત્યારે બચાવે છે. બાપ્તિસ્મા એ શરીરનો મેલ દૂર કરવાની પ્રક્રિયા નથી. બાપ્તિસ્મા તો ઈશ્વર પાસે શુદ્ધ હ્રદય માટેની એક યાચના છે. તે તમને બચાવે છે કારણ કે ઈસુ ખ્રિસ્ત મૂએલામાંથી પુનરૂત્થાન પામ્યો હતો. 22 હવે, ઈસુ આકાશમાં ગયો છે. તે દેવની જમણી બાજુએ છે. તે દૂતો, અધિકારીઓ, અને પરાક્રમીઓ પર રાજ કરે છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International